Opinion Magazine
Number of visits: 9688812
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્લીઝ હેલ્પ મી મારે હિન્દુત્વવાદીઓ સાથે સદ્દભાવપૂર્વક ડાયલૉગ કરવો હોય તો કોની સાથે કરવો?


રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|7 March 2017

તેમની પાસે તર્કબદ્ધ દલીલો હોતી નથી અને ત્યાં સુધી કે તેમની પીડા પણ તેમની પોતાની હોતી નથી. એ સાંભળેલી, અનુમાનિત કે ઉપજાવેલી (કન્સ્ટ્રક્ટેડ) પીડા હોય છે. જેમ કે; ભારતની પડતી એટલા માટે થઈ કે મ્લેચ્છો ભારતીય વિજ્ઞાન અને શાસ્ત્રો ચોરી ગયા હતા (સાંભળેલી દલીલ) અથવા આ જગતમાં જે કાંઈ જ્ઞાન છે એનું મૂળ વેદોમાં છે (અનુમાનિત) અથવા મુસલમાનોએ વધારે બાળકો પેદા કરીને આખા જગતને ઇસ્લામમય બનાવવાનું કાવતરું રચ્યું છે (ઉપજાવેલી-કન્સ્ટ્રક્ટેડ) વગેરે. તમે પણ આવી દલીલો સાંભળી હશે

પ્રૉક્ટર ઍન્ડ ગૅમ્બલના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર, લેખક અને રાજકીય સમીક્ષક ગુરચરણ દાસે ગયા વરસે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં કન્હૈયા કુમાર સાથેની ઘટના પછી લખ્યું હતું કે એકંદરે ઉદારમતવાદીઓ હિન્દુત્વવાદીઓ કે રૂઢિચુસ્ત સનાતનીઓ સાથે તોછડાઈથી વર્તે છે એ બરાબર નથી. ઍરગન્ટ લિબરલ્સ આર ડુઇંગ અ બિગ ડિસસર્વિસ ટુ લિબરલિઝમ ર્શીષકવાળો તેમનો લેખ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં પ્રકાશિત થયો એ પછી મેં એ લેખનું કાતરણ સાચવી રાખ્યું હતું અને ખબર નહીં કંઈકેટલીયે વાર એ લેખ વાંચ્યો છે. તેમણે લખ્યું હતું કે કોઈને હસી કાઢવા કે ધુતકારી કાઢવા એ ઉદારમતવાદ નથી. ઉદારમતવાદી ઉદાર હોવો જોઈએ. એ પણ જો અનુદાર વલણ અપનાવે તો જીવન જીવવાની શરતો મૂકનારા હિન્દુત્વવાદીમાં અને તેમનામાં ફરક શું કહેવાય?

વાત તો સાચી. હું પણ મારી જાતને ઉદારમતવાદી (લિબરલ) ગણાવું છું અને મેં પોતે અનેક વાર કાલીઘેલી ભાષામાં દેશપ્રેમની, રાષ્ટ્રવાદની, મહાન હિન્દુ સંસ્કૃિતની દલીલો કરનારાઓની ઠેકડી ઉડાડી છે. તેમની ટીકા કરવાનો તો જાણે મને અધિકાર છે; પરંતુ તેમની ઠેકડી ઉડાડવાનો અને બેવકૂફ સમજીને ઉપેક્ષા કરવાનો મને કોઈ અધિકાર નથી. એક લિબરલ તરીકે મારી ફરજ બને છે કે મારે તેમને પૂરા સદ્દભાવ અને ધીરજ સાથે સાંભળવા જોઈએ. તેમની સાથે સંવાદ કરવો જોઈએ. જરૂરી નથી કે તેઓ આપણી દલીલ સ્વીકારે, પરંતુ તેમની સાથે સંવાદ-સેતુ રચવો જોઈએ. જો હું આ ન કરું તો ગુરચરણ દાસે કહ્યું એમ મારા પક્ષે એ બિગ ડિસસર્વિસ ટુ લિબરલિઝમ કહેવાય.

હવે સવાલ એ આવે કે તેમની સાથે સંવાદ-સેતુ રચવો કેવી રીતે? બીજો સવાલ એ આવે કે કોની સાથે સંવાદ કરવો? ઘણા સમયથી હું આ બાબતે પ્રામાણિકતાપૂર્વક મથામણ કરી રહ્યો છું. જેમનો કોઈ અભ્યાસ હોતો નથી, જેમને દલીલો કરતા આવડતું નથી, જેઓ સભાની મર્યાદા જાળવી શકતા નથી, જેઓ કાં તો ગાંડીઘેલી દલીલો કરે છે અને કાં ગાળાગાળી કરે છે એવાં લોકો સાથે સંવાદ કઈ રીતે શક્ય બને? મોટા ભાગના હિન્દુત્વવાદીઓ, રૂઢિચુસ્તો અને દેશપ્રેમીઓ આવા જ છે તો તેમની સાથે વાતચીત કરવી કઈ રીતે? ધુતકારી કાઢીને કે ઉપેક્ષા કરીને હું ઉદારમતવાદના મહાન આદર્શને નુકસાન પહોંચાડવા નથી માગતો તો મારે કયો માર્ગ અપનાવવો?

ગુરચરણ દાસે તેમના લેખમાં લખ્યું હતું કે કોઈને ફાંકડું અંગ્રેજી ન આવડતું હોય, દલીલ કરતા ન આવડતી હોય, સભાગૃહની મર્યાદા ન જાળવી શકતા હોય તો એ બધી મર્યાદા ક્ષમ્ય ગણવી જોઈએ અને તેમને સાંભળવા જોઈએ અને આપણે વળતી દલીલ કરીને સંવાદ સાધવો જોઈએ. મોટા ભાગના હિન્દુ રાષ્ટ્રવાદીઓનું અંગ્રેજી નબળું હોય છે અને સભ્યતામાં જરાક કાચા હોય છે. પહેલી નજરે ગુરચરણ દાસની આ દલીલ ગળે ઊતરે એવી છે, પણ એમાં એક સમસ્યા છે. અંગ્રેજી તો બહુજન સમાજના પ્રશ્નો ની વકીલાત કરનારાઓમાંથી પણ ઘણાને આવડતું નથી. દલિતો અને આદિવાસીઓ ફાંકડા અંગ્રેજીમાં દલીલો કરી શકતા નથી. શોષિત સ્ત્રીઓ, મજૂરો અને વ્યંડળો પણ અંગ્રેજીમાં દલીલ કરી શકતા નથી કે સભાગૃહનું ડેકોરમ જાળવવાની તાલીમ ધરાવતા નથી. ઉદારમતવાદીઓ આ કોઈની ઉપેક્ષા કરતા નથી કે હાંસી ઉડાવતા નથી. ઊલટું તેમની સાથે સંવાદ સાધે છે અને તેમને તેમના સંઘર્ષમાં મદદ પણ કરે છે. માત્ર હિન્દુત્વવાદીઓ સાથે જ સંવાદ મુશ્કેલ બને છે.

તો આનો અર્થ એ થયો કે ઘેલા દેશપ્રેમીઓની કે હિન્દુત્વવાદીઓની કરવામાં આવતી ઉપેક્ષા કે ઠેકડીને અંગ્રેજી ભાષા કે સભ્યતા સાથે સંબંધ નથી, દલીલ સાથે સંબંધ છે. તેમની પાસે તર્કબદ્ધ દલીલો હોતી નથી અને ત્યાં સુધી કે તેમની પીડા પણ તેમની પોતાની હોતી નથી. એ સાંભળેલી, અનુમાનિત કે ઉપજાવેલી (કન્સ્ટ્રક્ટેડ) પીડા હોય છે. જેમ કે; ભારતની પડતી એટલા માટે થઈ કે મ્લેચ્છો ભારતીય વિજ્ઞાન અને શાસ્ત્રો ચોરી ગયા હતા (સાંભળેલી દલીલ) અથવા આ જગતમાં જે કાંઈ જ્ઞાન છે એનું મૂળ વેદોમાં છે (અનુમાનિત) અથવા મુસલમાનોએ વધારે બાળકો પેદા કરીને આખા જગતને ઇસ્લામમય બનાવવાનું કાવતરું રચ્યું છે (ઉપજાવેલી-કન્સ્ટ્રક્ટેડ) વગેરે. તમે પણ આવી દલીલો સાંભળી હશે. આમ તેમની પીડા પણ સાચકલી અને પોતીકી હોતી નથી.

આની સામે વ્યંડળ જ્યારે પોતાની પીડા વ્યક્ત કરે છે ત્યારે તે તેની પોતીકી હોય છે અને એટલે દલીલો તેને સાથ આપે છે. તે પોતાની પીડા વ્યક્ત કરતી વખતે સમાનતાની દલીલ કરશે, માનવીય ગરિમાની દલીલ કરશે, ઈશ્વરની રચનાની દલીલ કરશે, સમાન તકની દલીલ કરશે, સમાજની ફરજની દલીલ કરશે, સરકારના દાયિત્વની દલીલ કરશે. આવી ગળે ઊતરે એવી દલીલ કરવા માટે નથી એને અમત્યર્‍ સેન જેવા ફળદ્રુપ દિમાગની જરૂર પડતી કે નથી અંગ્રેજી ભાષા પરના પ્રભુત્વની જરૂર પડતી. માનવીય ગરિમા અને સમાનતાની ઊંડી અને સાચી ચાહતને દલીલો આપોઆપ ફૉલો કરે છે. પગમાં સ્લિપર અને ગંજી પહેરેલા દલિત શોષિતને બ્રિલિયન્ટ દલીલ કરતા મેં સાંભળ્યા છે અને દલીલપૂર્વક અધિકારની માગણી કરતી સાવ ગરીબ જુઝારૂ મહિલાને સ્ટૅન્ડિંગ ઓવેશન આપતા લિબરલોને મેં જોયા છે. આ લોકો અંગ્રેજી જાણતા નથી કે સેમિનાર સર્કિટના પ્રાણી નથી અને છતાં સભાખંડમાં મેદાન મારી જાય છે, કારણ કે જીવનનું નક્કર સત્ય તેમની સાથે છે. જે લોકો પેટ ચોળીને શુળ પેદા કરે છે અને ભ્રામક પીડા લઈને જીવે છે એવા લોકો પીડાને વાચા આપી શકતા નથી.

હશે, કાલીઘેલી દલીલો કરનારાઓ સાથે સંવાદ મુશ્કેલ બનતો હોય તો વાંધો નહીં, આપણે હિન્દુત્વવાદી અને હિન્દુ રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવનારા વિદ્વાનો સાથે દલીલ કરવી જોઈએ. આ દેશમાં એવા એકાદ ડઝન વિદ્વાન છે જેમને આપણે અભ્યાસી કહી શકીએ. તેઓ અંગ્રેજી જાણે છે અને સભાગૃહની મર્યાદા જાળવવા જેટલી સભ્યતા ધરાવે છે. મ્લેચ્છો આપણું જ્ઞાન ચોરી ગયા હતા એવી હસવું આવે એવી દલીલ તેઓ નથી કરતા. સીતારામ ગોયલ, રામ સ્વરૂપ, અરુણ શૌરી, કૉનરાડ એલ્સ્ટ, ડેવિડ ફ્રૉલે, શ્રીકાન્ત તલાગેરી જેવા કુલ મળીને આઠ-દસ જણ છે જેઓ હિન્દુત્વવાદી વિચારકો ગણાય છે.

વાસ્તવમાં તેમનાં લખાણોનો જો અભ્યાસ કરશો તો ધ્યાનમાં આવશે કે તેઓ હિન્દુત્વવાદી વિચારકો નથી. તેઓ હિન્દુત્વની તર્કસંગત માંડણી નથી કરતા, પરંતુ ઇસ્લામ અને ઈસાઈ ધર્મનું ખંડન કરે છે જે આસાન છે. આ જગતમાં જેટલા ધર્મો છે એ બધા જ માનવીનું સર્જન છે એટલે એમાંથી તર્કવિસંગતિ શોધવી એ આસાન છે. એમાં વળી ક્રિશ્ચિયન ચર્ચ તો વેલ ડૉક્યુમેન્ટેડ છે એટલે ચર્ચે કરેલા ગોરખધંધાનના ચર્ચના ડૉક્યુમેન્ટ્સમાં જ લેખિત પુરાવાઓ મળે છે. તેઓ જાણીબૂજીને હિન્દુ ધર્મની ચિકત્સા નથી કરતા, પણ બીજા પાશ્ચાત્ય ધર્મોની ચિકિત્સા કરીને આડકતરી રીતે હિન્દુ સર્વોપરિતા સ્થાપવામાં હિન્દુત્વવાદીઓને મદદરૂપ થાય છે. તો શું તેઓ એમ કહેવા માગે છે કે હિન્દુ ધર્મ મર્યાદા વિનાનો સંપૂર્ણ છે? જો એમ તેઓ માનતા હોય તો હિન્દુ ધર્મની સંપૂર્ણતાની તેમણે માંડણી કરવી જોઈએ. જો એમ તેઓ ન માનતા હોય તો અન્ય ધર્મોની જેમ હિન્દુ ધર્મની મર્યાદા પણ તેમણે ચીંધી બતાવવી જોઈએ, કારણ કે ધર્મ માત્ર કોઈને ને કોઈને અન્યાય કરતો હોય છે. હિન્દુ ધર્મ દલિતો અને સ્ત્રીઓને અન્યાય કરે છે.

આ વિદ્વાન મંડળી બીજા ધર્મોની મર્યાદા બતાવીને હિન્દુત્વવાદીઓને શસ્ત્રો પૂરાં પાડવાનું કામ કરે છે, પરંતુ હિંદુ ધર્મની સર્વોપરિતાની નથી માંડણી કરતી કે નથી એની મર્યાદા બતાવતી. હિન્દુ ધર્મ દલિતો અને સ્ત્રીઓને અન્યાય કરે છે એ બાબતે પણ તેમનું દિલ વલોવાતું નથી. તો આનો અર્થ એટલો જ થયો કે એ બૌદ્ધિક રીતે અપ્રામાણિક જમાત છે. લોકો હસે, ઠેકડી ઉડાડે, ભૂંડા લાગીએ એવાં કામ તેઓ દીનાનાથ બત્રાઓ માટે છોડી દે છે અને વિધર્મીઓ સામેનાં શસ્ત્રો તૈયાર કરવાનું કામ તેઓ કરે છે. જે લોકો સરાસર બૌદ્ધિક રીતે અપ્રામાણિક છે તેમની સાથે કઈ રીતે ડાયલૉગ થઈ શકે? પસંદગીના ધોરણે જે લોકો અભ્યાસ કરતા હોય અને દારૂગોળો પેદા કરતા હોય તેમની સાથે સંવાદનું ઔચિત્ય શું? તેઓ બૌદ્ધિક વિમર્શ નથી કરતા, ચોક્કસ એજન્ડા પર કામ કરે છે.

ચાલો, એ લોકોને પણ જવા દઈએ. એવા તો કોઈક હશેને જે હિન્દુ ધર્મની સર્વોપરિતા અને સંપૂર્ણતા સિદ્ધ કરવા માટે કામ કરતા હશે. પ્રામાણિકતા સાથે અને શુદ્ધ તાર્કિકતા સાથે કોઈ ધર્મનો બચાવ કરવો શક્ય નથી એટલે એમાં દીનાનાથ બત્રા કરતાં વધારે મોટો વિદ્વાન મળવો મુશ્કેલ છે. તો પછી સદ્ભાવપૂર્વક ડાયલૉગ કરવો કોની સાથે એ પ્રશ્ન તો બાકી બચે જ છે. સરેરાશ હિન્દુત્વવાદી દેશપ્રેમી કે હિન્દુ રાષ્ટ્રવાદી તિલક, તરાઝુ અને તલવાર સાથે જોવા મળશે. તમે હિન્દુ ધર્મની ટીકા કરશો કે તરત દલીલ કરશે; તમે હિન્દુિવરોધી દેશદ્રોહી સ્યુડો સેક્યુલર છો (લેબલ-તિલક). બીજી દલીલ કરશે – ઇસ્લામની ટીકા કરી બતાવો કે પછી કૉન્ગ્રેસે આવું કર્યું હતું ત્યારે તમે કેમ કાંઈ બોલ્યા નહોતા (તટસ્થતાનો તકાદો-ત્રાજવું) અને ત્રીજી દલીલ કરશે – તમારા જેવા દેશદ્રોહીઓને પાકિસ્તાન મોકલી આપવા જોઈએ (સીધી સજા-તલવાર). આ સિવાયની ચોથી દલીલ આજ સુધી મને સાંભળવા નથી મળી. તમને સાંભળવા મળી છે? જો કોઈ તાર્કિક દલીલ હાથ લાગી હોય તો ધ્યાન દોરવા વિનંતી.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 05 માર્ચ 2017

Loading

સેક્સ રજીસ્ટ્રી: સંયમ અને શૃંગારથી શર્મ અને સજા સુધી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|7 March 2017

કેરળ સરકાર ભારતની સૌ પ્રથમ સેક્સ રજીસ્ટ્રી સ્થાપવા જઈ રહી છે. મલયાલમ ફિલ્મોની એક શીર્ષ અભિનેત્રી સાથે ચાલુ કારમાં ત્રણ કલાક સુધી દુર્વ્યવહાર થયો તે પછી રાજ્ય સરકારે સેક્સના ગુનાના મુજરિમોને લગતી તમામ માહિતી એક સિસ્ટમમાં એકઠી રાખવાનો અને કોઈ પણ વ્યક્તિ એનાથી સૂચિત થઈ શકે તે માટે તેને ઓનલાઇન સાર્વજનિક કરવાનો નિર્ણય લેવાયો છે.

કેરળમાં મહિલાઓ અને બાળકો સંબંધી ગુનાની સંખ્યા ગયા વર્ષે 17 હજાર હતી, જેમાં 2,500 ગુના બળાત્કારના હતા. એમાં ગયા સપ્તાહે લોકપ્રિય અભિનેત્રી સાથે જે થયું તે પછી સરકારે પેનિક બટન દબાવીને સેક્સ અપરાધીઓને સાર્વજનિક રીતે શરમમાં મૂકવાનું નક્કી કર્યું છે, જેથી એમને ગુનો દોહરાવતાં રોકી શકાય. સેક્સ રજીસ્ટ્રી અંગ્રેજી-ભાષી દેશોમાં સાધારણ બાબત છે. આ દિશામાં ભારત પ્રથમ બિન-અંગ્રેજી ભાષી દેશ હશે, જે સેક્સ રજીસ્ટ્રી શરૂ કરશે. આ પ્રકારની વ્યવસ્થા અમેરિકા, બ્રિટન, ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા, દક્ષિણ આફ્રિકા, જમૈકા અને ત્રિનિદાદ એન્ડ ટોબેગોમાં છે. આમાંથી અમેરિકાની સેક્સ રજીસ્ટ્રી જ આમ જનતા માટે પણ ખુલ્લી છે, જ્યારે બાકીના દેશોમાં કાનૂન વ્યવસ્થા સંબંધી એજન્સીઓ જ સેક્સ-રજીસ્ટ્રી ચેક કરી શકે છે.

દિલ્હીમાં નિર્ભયા સમૂહ-બળાત્કાર બાદ આ બીજો ભીષણ કિસ્સો છે, જેના કારણે પૂરા કેરળ રાજ્યમાં જનતામાં પ્રચંડ રોષ છે, અને રાજ્યમાં પ્રતિદિન સ્ત્રી વિરોધી ગુનાઓની સ્થિતિ ગંભીર થતી જોઇને સેક્સ-રજીસ્ટ્રીનો વિચાર અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. ભારતમાં બીજાં રાજ્યો પણ આનું અનુકરણ કરે તે સ્વાભાવિક છે, કારણ કે ભારતમાં વધતા-ઓછા અંશે દરેક રાજ્યમાં સ્ત્રીઓને રંજાડવાનું બહુ સામાન્ય છે.

કેરળ ભારતનું સૌથી શિક્ષિત રાજ્ય છે. કેરળમાં બીજાં રાજ્યોની સરખામણીમાં સ્ત્રીઓનો રેશિયો (એક હજાર પુરુષે 1058 સ્ત્રીઓ) પણ વધારે છે. છેલ્લી અડધી સદીથી કેરળમાં સુખ-સંપત્તિનું જબ્બર જુનૂન છે. ઘરબાર, પ્રદેશ છોડીને લાખોની સંખ્યામાં મલાયલીઓ બીજાં રાજ્યોમાં સુખની તલાશમાં ગયા છે. કેરળમાં સૌથી વધુ શરાબ પીવાય છે. મલાયલીઓ ભૌતિક સુખને સૌથી વધુ મહત્ત્વ આપે છે. સુખવાદ અને ઉપભોગીપણાનાં કારણે જ સમાજ અને પરિવારનો ઢાંચો (જેમાં માણસાઇ અહમ હોય છે) હલી ગયો છે, અને આ જ કારણથી સેક્સ સંબંધી ગુના (જેનો સીધો સંબંધ સુખવાદ સાથે છે) વધી રહ્યા છે.

સેક્સ સંબંધી ગુનાઓમાં શું કરવું અને ન કરવું, એ પોલીસ કે કાનૂન વ્યવસ્થાનો પ્રશ્ન એના સ્થાને છે, પરંતુ એનાથી ય અહમ પ્રશ્ન એ છે કે સેક્સ સાથે (એની બહેતરીન પ્રસ્તુિતમાં કે એના બદતરીન કરતૂતમાં) આપણે કેવી રીતે પનારો પાડવો? જે દેશમાં 51 કરોડનો યુવા વર્ગ હોય તેની પાસે સેક્સને લઇને કોઇ દિશા-દોરી ન હોય એ એક સમાજ તરીકે, એક રાષ્ટ્ર તરીકે આપણી વિફળતા કહેવાય. એનું સૌથી મોટું કારણ એ છે કે સેક્સને લઇને આપણો દૃષ્ટિકોણ પશ્ચિમના ચોકઠામાં ફિટ થઈ ગયો છે. ચાહે એ કાયદા-વ્યવસ્થાનો પ્રશ્ન હોય કે પછી સિનેમા-કળાનો હોય (જેમ કે ‘લિપસ્ટિક અંડર માય બુરખા’ ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ આપવાનો ઇન્કાર) આપણે ઉત્તરોત્તર એનાં સમાધાનો કે ઉપાયો પશ્ચિમી સમાજના સંદર્ભોમાં ખોજીએ છીએ.

સેક્સની શરમ કરવાનો કે એને સજા કરવાનો અભિગમ જ પશ્ચિમથી આવ્યો છે. ભારતની પરંપરામાં સેક્સ ક્યારે ય બેઇજ્જતી કે તિરસ્કારનો વિષય રહ્યો ન હતો. જ્યારથી એમાં સંકુચિતતા અને ચીઢ પ્રવેશી ત્યારથી દમન શરૂ થયું અને એમાંથી જ સેક્સને દંડવાની જરૂરિયાત પણ ઊભી થઈ. કેરળ જેવા ‘સુસંસ્કૃત’ સમાજમાં સેક્સ એના પારંપરિક માનવીય સહવાસમાંથી નીકળીને ક્રાઇમ બની જાય, તેનું કારણ સેક્સને પોતાનો દીકરો ગણવો કે અનૌરસ સંતાન? એની મૂંઝવણ છે. આ ભાંજગડ ભારતની નથી, ઉછીની આવેલી છે.

મુસ્લિમ અને બ્રિટિશ શાસનના એક લાંબા સમય દરમિયાન જે નુકસાન થયું તે હિન્દુ સમાજના આત્મવિશ્વાસનું. આજે આપણે મિલિટરી અને આર્થિક તાકાતના જોરે દુનિયા સાથે સ્પર્ધા કરવા કોશિશ કરીએ છીએ, પરંતુ એક સંસ્કૃિત તરીકે આપણામાં ભારોભાર સંશય છે. એક તરફ કામસૂત્ર, ગીત ગોવિંદ, કોણાર્ક અને ખજૂરાહોનો ઇતિહાસ છે, તો બીજી તરફ હિન્દી ફિલ્મોમાં ચુંબનને સેન્સર કરવાનો વર્તમાન છે. આપણે એક એવો સમાજ છીએ જેનામાં સેક્સના દમન અને સેક્સના શૃંગારની ભેળસેળ થઈ છે.

આનું કારણ એ નથી કે ક્રિશ્ચિયાનિટીમાં કે ઇસ્લામમાં કામુકતા ન હતી. ક્રિશ્ચિયાનિટીમાં સેક્સનો તિરસ્કાર રોમન અને ગ્રીક સંસ્કૃિતના આંત્યતિક સુખવાદમાંથી આવ્યો હતો, જ્યારે ઇસ્લામિક સમાજમાં તો વિષયાસક્તિની ધૂમધામ રહી છે. આમ છતાં હિન્દુ સમાજમાં શંૃગાર પ્રત્યે સંશય પેદા થયો, કારણ કે આપણે વિદેશી શાસકોને આપણા કરતાં બહેતર ગણવાનું શરૂ કર્યું. એમાંથી સેક્સનું દમન અને એને સજા કરવાનો ભાવ આવ્યો.

પશ્ચિમના પંડિતોએ એમના સમાજમાં સેક્સને ચીઢથી જોયો હતો, એટલે એમણે જ્યારે શંૃગારને ભારતીય જીવનમાં સહજતાથી ગોઠવાયેલો જોયો ત્યારે તેમાં એમને એક પ્રકારના વિદ્રોહ અને ચુનૌતી દેખાઈ. વિદેશી પંડિતોએ આ જ ચોકઠામાં સેક્સને વ્યાખ્યાઇત કર્યો. ભારતીયો આ નજરથી સેક્સને જોવા ટેવાયેલા ન હતા, અને પશ્ચિમના વિશ્લેષકોએ જ્યારે આ સહજતાને ‘આધુનિકતા’માં ખપાવી ત્યારે હિન્દુ સમાજમાં એક પ્રકારની શર્મિન્દગી પેદા થઈ. વિદેશીઓને આજે પણ શિવલિંગની પ્રાર્થના જોઇને આશ્ચર્ય થાય છે.

પશ્ચિમના અભ્યાસુઓએ ભારતીય સેક્સને આધ્યાત્મિકતાથી હટાવીને જોવાનું શરૂ કર્યું એમાંથી હિન્દુ સમાજને પોતાની સંસ્કૃિતમાંથી વિશ્વાસ ડગી ગયો અને આપણે ક્રિશ્ચિયન તથા ઇસ્લામિક પરિપ્રેક્ષ્યને માનતા થઈ ગયા. 19મી સદીમાં ભારતમાં સામાજિક સુધારનો જે દૌર આવ્યો તેમાં શુદ્ધતા અને વિકાસની આખી વ્યાખ્યા પશ્ચિમના રંગે રંગાયેલી હતી અને હિન્દુ સમાજ માટે જે બાબતો સહજ હતી (અને વિદેશીઓ માટે દૂષિત) તેને પણ વાળીઝૂડીને બહાર મૂકી દેવાઈ.

માણસની તમામ વૃત્તિઓમાંથી એક માત્ર સેક્સ જ ખાસો જટિલ રહ્યો છે. એ શાલીન કે સાધારણ નથી. એ આપણને અસ્વસ્થ કરી મૂકે છે. સેક્સ બેતુકો, બેઢંગ અને વિવેકશૂન્ય છે. સેક્સ માણસની ઉચ્ચતમ જવાબદારીઓ અને મૂલ્યો સાથે દ્વંદ્વ ઊભો કરે છે. સેક્સ એવી અરાજક અને ધૃષ્ટ તાકાત છે, જે સહજ અને સાધારણ રીતે એની સામે પેશ આવવાના આપણા બધા પ્રયાસોને વિફળ બનાવીને રોડાં પાથરતો રહે છે.

હિન્દુ સમાજે સેક્સના મામલે ચતુરાઇ કેળવી હતી.

પશ્ચિમથી વિપરીત, જેમણે સેક્સને મનોરંજન અને પ્રજનનના ચોકઠામાંથી જ જોયો છે, આપણે સેક્સને બાકી ત્રણ પુરુષાર્થ (ધર્મ, અર્થ અને મોક્ષ) સાથે મૂકીને ‘નોર્મલ’ બનાવ્યો હતો. ઉત્તરોત્તર વિક્ટોરિયન નૈતિકતા અને વિદેશીઓ સાથે ભારતના બ્રાહ્મણ વર્ગની પરોક્ષ બંદિશના કારણે સેક્સ જીવનની સહજ આધ્યાત્મિકતામાંથી નીકળીને ‘ગિલ્ટ’માં તબદીલ થઈ ગયો. આજે (અનેક સર્વે અને અભ્યાસ કહે છે તેમ) ભારતનો એક મોટો વર્ગ સેક્સને લઈને દમન, અપરાધ અને કુંઠામાં જીવે છે.

સેન્સર બોર્ડ પ્રકાશ ઝાની ફિલ્મ ‘લિપસ્ટિક અંડર માય બુરખા’ને ‘પોર્નોગ્રાફિક ફેન્ટસી’ ગણીને સર્ટિફાઇ કરવાનો ઇન્કાર કરે કે પછી કેરળ સરકાર બળાત્કારીઓને સાર્વજનિક રીતે શર્મિંદા કરવાનું નક્કી કરે તે બતાવે છે કે આપણે સેક્સને એના ‘ઉચિત’ સ્થાનેથી ગુમાવી બેઠા છીએ, અને સંયમ તથા શંૃગારના સહઅસ્તિત્વના સ્થાને કટ્ટરતાનો શિકાર બની ગયા છીએ.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 05 માર્ચ 2017

Loading

મિશન પર્યાવરણ

સ્વાતિ મેઢ|Opinion - Short Stories|6 March 2017

એક મોટું જંગલ હતું. એમાં બહુ બધાં વાંદરાં રહેતાં હતાં. આમ તો વાંદરાં શહેરો અને ગામોમાં ય રહે પણ જંગલમાં વાંદરાંની વસ્તી વધારે. વાંદરાં ને વળી જાતજાતનાં વાંદરાં. નાનાં, મોટાં, અતિ નાનાં, અતિ મોટાં એમ ઘણી જાતનાં વાંદરાં. આમ બધાં જુદાં ને આમ બધાં એક. કોઈ વાતે અંદરોઅંદર ચડભડ થાય, તો એટલી ધમાલ થાય કે આખું જંગલ હાલી ઊઠે. ને કંઈ હરખની નવાજૂની થાય, તો એવો જ શોરબકોર. કંઈ કેટલાં ય ઝાડવાંનો કચ્ચરઘાણ વળી જાય ને બીજાં પશુપંખીઓ વચ્ચે આવ્યાં તો – બચારાં હતાં ન હતાં થઈ જાય.

આમ કરતાં કરતાં વાંદરાંઓની ઘણી પેઢીઓ વહી ગઈ. વખત જતાં નવી પેઢીનાં વાંદરાંઓને કંઈક સમજાયું. એમને થયું કે આમ લડવામાં ને ઉજવણીઓમાં આપણે જંગલનો ઘાણ વાળીએ એ ઠીક ન કહેવાય. જંગલ તો આપણું જીવન છે. આપણા વડવાઓએ બહુ મોટી ભૂલ કરી છે. આપણે એ સુધારવી જોઈએ.

‘ખરી વાત છે. સુધારીએ આપણા વડવાઓની ભૂલ.’ બધાં વાંદરાં સહમત થયાં. (આમ હસો નહીં, આમ તો વાંદરાં સમજદાર હોય છે. સમજવાની વાત બધાં સમજે.) આપણા વડવાઓએ કરેલી ભૂલ સુધારવાના મુદ્દે બધાં સહમત થયાં.

હવે બે સવાલો આવ્યા. એક તો એ કે ભૂલ સુધારવાના મિશનમાં શહેરો, ગામોનાં વાંદરાને જોડવાં કે નહીં ને બીજો સવાલ એ કે ભૂલ સુધારવી કઈ રીતે?

પહેલી વાતમાં નક્કી થયું કે શહેરો, ગામોનાં વાંદરાંઓને પણ સાથે લેવાં, કારણ કે આખરે એ સૌ પણ વાનરજાત છે. વળી, જંગલનાં વાંદરાંઓને સૌની સાથે હળીમળીને રહેવું ગમે. કોઈ કોઈનું શું લઈ લેવાનું? એટલે એમને પણ સભામાં જોડાવા કહેણ મોકલાયું. એ બધાં હોંશે-હોંશે આવ્યાં. ને પછી એક વાર સમગ્ર વાનરજાતની એક વિશાળ સભા મળી. બધી જ જાતનાં વાનરો ભેગાં થયાં. કેટલી અને કેવી જાતનાં વાનરો એ હું તમને નહીં કહું. એમાં જગ્યા રોકાય પણ સમજોને બધી જાત એટલે બધી જાતનાં. ચર્ચા શરૂ થઈ. એક મુરબ્બી મોટા વાનરે ગંભીર ભાષામાં પૂર્વજોએ કરેલી ભૂલ બાબત વસવસો કર્યો. અને આપણે આ ભૂલ સુધારીશું કઈ રીતે એવા સવાલ વિશે સભાને વિચાર કરવાનું સોંપીને ભાષણ પૂરું કર્યું. એમનું બોલવાનું વેળાસર પૂરું થયું. વડીલ હોવા છતાં ય એમણે વેળાસર પૂરું કર્યું. એટલે બધા બહુ ખુશ થયાં. બહુ જયજયકાર થયો. હવે સવાલ મુકાયો. ‘આપણે ભૂલ સુધારીશું કઈ રીતે ?’

‘એમ કરીએ, આપણે નવી પેઢીને સમજાવીએ કે હવેથી નાનપણથી જંગલને સાચવતાં શીખે’, એક વાનરે કહ્યું.

‘પણ જંગલ સાચવવું હોય, તો આપણે આપણી રમતો, કૂદકા, ધાંધલધમાલ બધું છોડવું પડે અને વાનરજાતનાં સંતાનો એ બધું ન કરે, તો એમનો શારીરિક, માનસિક, બૌદ્ધિક, સામાજિક વિકાસ રૂંધાઈ જાય.’

‘ને આધ્યાત્મિક વિકાસ પણ અટકી જાય એ કઈ રીતે ચાલે ? વ્યક્તિના પૂર્ણ વિકાસ માટે આધ્યાત્મિકતા જરૂરી હોય છે.’ એક અતિ મોટા વાનરે કહ્યું. વાનરજાતમાં એ સૌથી વધારે અક્કલવાળો.

‘ઝાડવાં-ડાળીઓ તોડવામાં આધ્યાત્મિક વિકાસ?’ એક યુવાન બૌદ્ધિક મોટા વાનરે સવાલ કર્યો.

‘તને એ નહીં સમજાય. આજની યુવા પેઢી આ બધાથી અળગી થતી જાય છે. અરેરે, શું થશે?’ પેલા ડાહ્યા વાંદરાએ નિસાસો નાખ્યો.

‘એટલે શું તમે યુવા પેઢી પર આક્ષેપ કરો છો? તેમની તમને ખરેખર ચિંતા છે ?’ બેત્રણ યુવાન વાનરો ઉશ્કેરાઈ ગયા. એકે તો એ જે ડાળી પર બેઠો હતો એ ડાળી તોડી નાંખી. અને પેલા ડાહ્યા વાનરશ્રી તરફ ધસ્યો.

‘હશે જવા દૈ ભૈલા’ ચારપાંચ વાંદરાં વચ્ચે પડ્યાં એટલે એ અટકી ગયો. નહીં તો વળી પંદરવીસ ઝાડવાંનું નિકંદન નીકળી જાત.

‘શાંતિથી વિચારો. આપણે સમગ્ર વાનરજાતની આવતી પેઢીઓને શીખવવાનું છે. કયો માર્ગ ગ્રહણ કરીશું? અતિ મોટાં ડાહ્યાં વાંદરાએ સહેજ પણ વિચલિત થયા વિના વાત આગળ વધારી.

‘માર્ગગ્રહણ એટલે શું ?’ એક યુવાન જંગલવાસી વાંદરાએ બીજાને કાનમાં પૂછ્યું.

‘સવાલ ન પુછાય. વડીલ ડાહ્યા વાનરશ્રી વાત કરે છે.’ બીજાએ પહેલાને ટપલી મારીને કહ્યું. પેલાએ સામી ટપલી મારી. એમ થોડી વાર ટપલાટપલી ચાલી. સભા ય ચાલતી રહી. વાનરોની સભાઓમાં આવું બધું તો થયા કરે.

‘આપણે શિક્ષણનો માર્ગ એટલે કે રસ્તો લઈએ.’ બીજાં બે-ચાર મોટાં વાનરશ્રીઓ બોલ્યાં.

‘અને શિક્ષણ એટલે ખાલી, અમથી, પોકળ, ફોગટ વાતો નહીં. બચ્ચાંને સામે બેસાડીને ભાષણો નહીં ઠોકવાના. વ્યવહારુ રીતે શીખવવાનું. પ્રયોગઅભિમુખ શિક્ષણ આપવાનું જરૂરી છે, ઊગતી પેઢીને.’ વળી થોડાં વાનરો બોલ્યાં.

‘ખરી વાત છે.’ બધાં મોટાં અને અતિ મોટાં વાનરો સહમત થયાં. આમાંનાં મોટાં ભાગનાં વાનરશિક્ષણ વિષે અભ્યાસો અને સંશોધનો કરી ચૂકેલાં અને હવે એ વિશે માર્ગદર્શન કરાવતાં અનુભવી વાનરો હતાં. એમને શિક્ષણ કઈ રીતે અપાય એની બહુ ખબર. કેટલી ય વાર તો શિક્ષણ આપવા વિશેની સર્વજંગલવ્યાપી ચર્ચાઓમાં એમણે વ્યાખ્યાનો આપેલાં. આખરે એ બધાં અનુભવી શિક્ષણકારો હતાં.

આમ, આ અનુભવી વાનર શિક્ષણકારોએ (મોટાં ભાગનાં શહેરનાં હતાં) વાનરોની આવતી પેઢીઓને જંગલનું નિકંદન ન કાઢવા વિશેષ શિક્ષણ આપવાનું નક્કી કર્યું. આ બધા ંતો વ્યાખ્યાનો આપનારાઓ. અમુક વર્ષ શિક્ષણ આપ્યું ને તેઓ હવે માત્ર વ્યાખ્યાનો જ આપતાં હતાં. પણ એમણે જ તૈયાર કરેલા અનુભવમૂલક, પ્રયોગઅભિમુખ શિક્ષણ આપી શકે તેવા  સિનિયર યુવાન વાનરો પણ સભામાં હાજર હતાં. એ બધા આ અભિયાનમાં જોડાવાં આગળ આવ્યાં. કારણ કે જંગલોનું નિકંદન કઈ રીતે વળી શકે એના પ્રયોગપૂર્ણ અનુભવો એમની પાસે હતા. હવે એ અટકાવવાનું હતું. જે થયું તે શું કરીએ તો કર્યું તે ન કર્યું થાય એની ય એમને ખબર હતી. જો કે બગડ્યું સુધારવાનું આમ તો વાનરીઓને સારું આવડે. (બિચારીઓ જન્મોજનમથી એ જ કરતી આવી હોય તે!) પણ એમને કોણ પૂછે? હતી, વાનરીઓ પણ સભામાં હતી. કૌતુક જોવા આવેલી. બેઠેલી એક તરફ બચ્ચાંઓ સાથે.

આમ, વાનરસભામાં નક્કી થઈ ગયું કે આવતી પેઢીને શેનું શિક્ષણ આપવું. હવે સવાલ થતો, કોને આ શિક્ષણ આપવું. ખાસ કયા વર્ગને?

‘કોને આપવું એ સવાલ થવો જ ન જોઈએ. સૌને શિક્ષણ આપવાનું. સૌ સમાન છે. એમાં વર્ગ, જાતિ, પ્રદેશ, કદ, શક્તિ, સામર્થ્ય, સંખ્યા કશાનો ભેદ ન રખાવો જોઈએ.’ જંગલનો એક યુવાન વાનર બોલ્યો. એણે સમાનતાની વિભાવના આપી.

‘બિલકુલ બરાબર.’ ઘણાં બધાં વાનરો સંમત થયાં.

‘હા, એ બરાબર. પણ મને લાગે છે કે જંગલનાં વાનરોને એની વધારે જરૂર છે.’ એક શહેરવાસી વાનરે કહ્યું. યાદ રહે, સભામાં શહેરવાસી વાનરો પણ હતાં. આમ તો એમાંના કોઈકોઈ ક્યારેક જંગલમાં આવે અને જે જુએ તે શહેરમાં જઈને બીજાઓને કહે. શહેરવાસી વાનરોને એટલી ખબર કે જંગલમાં વાનરો બહુ બધાં છે અને એમને શહેર વિશે કંઈ જ ખબર નથી. શહેરવાસીઓ પોતાને બહુ જાણકાર માને.

‘એની તમને કઈ રીતે ખબર?’ એક યુવાન વાનરે પૂછ્યું. એ જંગલવાસી હતો. એને જંગલ માટે ઘણું ગૌરવ હતું.

‘એ મારા અભ્યાસનો વિષય છે. હું એને વિશે પછી વાત કરીશ. પણ એ તો ખરું જ કે અમુક ભેદ તો રાખવો જ પડશે, શિક્ષણ આપવામાં. જેમ કે સંખ્યાબળ, શક્તિ, જાતિ અનુસાર શિક્ષણ વત્તું-ઓછું આપવું.’ શહેરી વાનરના ટેકામાં બીજા એક શહેરવાસીએ કહ્યું.

‘ના, ના, એમ ભેદભાવો ન ચાલે. સૌ સમાનનું સૂત્ર જ અપનાવવું જોઈએ.’ જંગલનાં વાંદરાંઓએ બૂમાબૂમ કરી મૂકી. એમાં નાનાં વાંદરાં વધારે હતાં. શહેરનાં નાનાં વાંદરાં પણ વિરોધમાં જોડાયાં. આમ પણ જંગલમાં નાનાં વાંદરાં વધારે. એમાં વળી શહેરનાં નાનાં વાંદરાંઓ જોડાયાં. સભાની શાંતિ જોખમાઈ. સભા તૂટુંતૂટું થઈ ગઈ. મોટાં સમજદાર વાંદરાઓએ એમના કદનો લાભ લઈને સૌને શાંત તો કર્યાં. સભામાં ચર્ચા આગળ ચાલવાની શરૂઆત થઈ.

એવામાં જરા ગરબડ થઈ ગઈ. થયું એવું કે વડીલવર્ગ જ્યારે ચર્ચા કરતો હતો ત્યારે વાનરબાળવર્ગ રમતગમત કરીને વખત પસાર કરી રહ્યો હતો. મોટાં વાંદરાઓનાં અને નાનાં વાંદરાંઓનાં બચ્ચાં ઘેઘૂર ઘટાદાર વૃક્ષો પર ચડતાંઊતરતાં વૃક્ષોનાં પાંદડાં, ડાળીઓ તોડીને એકબીજાં પર ફેંકતાં હતાં. ઘણો કોલાહલ પણ કરતાં હતાં. શહેરનાં વાંદરાંઓના વડીલો સાથે પિક્નિક કરવા આવેલાં બચ્ચાં લાલચભરી નજરે એ રમત જોઈ રહ્યાં હતાં.

‘જુઓ, જુઓ, તમારાં બાળકો કેટલી વનસમૃદ્ધિનો નાશ કરી રહ્યા છે ?’ એક શહેરી વાંદરાએ ઠપકાના સાદે કહ્યું.

‘એ તો તમારાં બચ્ચાંઓને ઝાડ પર ચડતાં આવડે નહીં એટલે, નહીંતર એ બધાં ય રમતમાં જોડાયાં હોત.’ એક યુવાન વનવાસી વાનર ધીમા સાદે બબડ્યો. પણ સાંભળવાવાળાને જે સાંભળવું હોય તે સંભળાઈ જ જતું હોય છે. શહેરવાસી વાનરોને પણ એ સંભળાયું. એમને એ ન ગમ્યું. ‘વાંક તમારાં બચ્ચાંઓનો છે. એમણે શા માટે રમત કરવી જોઈએ? શિસ્ત પણ નથી એમનામાં. માટે જ કહીએ છીએ, એમને કેળવણીની તાતી જરૂર છે.’

જંગલનાં વાંદરાંઓને કોઈ પણ મુદ્દામાં સામાવાળાનો વાંક કાઢતા ન આવડે. એ શહેરીઓનું કામ. હવે શહેરી વાનરોએ ઠરાવ કરી નાખ્યો કે શહેરનાં મોટાં વાંદરાં સૌ વાનરબાળોને કેળવણી આપશે. એમનો યુવાનવર્ગ બાળવર્ગને જંગલ નષ્ટ ન કરવા વિશે અર્થપૂર્ણ, વ્યવહારુ, સપ્રયોગ શિક્ષણ આપશે. (જુઓ, એમ હસો નહીં. શહેરનાં વાંદરાંઓને પણ જંગલ વિશે જ્ઞાન હોય. એમનાં બધાં સંશોધનો, જંગલની હાલત વિશે જ હોય. નહિતર શહેરોમાં વળી જંગલ ક્યાંથી?) જંગલનાં કેટલાક શહેરમાં જતા-આવતાં યુવાન વાનરોને પણ આ અભિયાનમાં સામેલ કરવામાં આવ્યાં. એમને શહેરની શિક્ષણરીતોની સમજ છે. એ પછી સૂચન થયું કે આ કાર્યને મિશન કહેવું.

વળી, થોડાં જંગલવાસી વાંદરાંઓએ સવાલ કર્યો; મિશન એટલે શું?’

‘અરે આ લોકોને મિશનનો અર્થ પણ ખબર નથી?’ શહેરવાસી વાનરોને નવાઈ લાગી. છેવટે જો કે જંગલવાસી વાનરો સમજ્યાં કે પેલા લોકો જે કહે અને આપણે જે કરીએ એને મિશન કહેવાય. મિશન પર્યાવરણ.

શિક્ષણકાર્ય શરૂ થયું. શહેરની વાનરજાતનો જંગલને જાણનારો (વળી પાછા હસ્યા ? શિસ્ત રાખો અને વાત સાંભળો.) વર્ગ જંગલનાં નાનાંમોટાં વાનર બાળવર્ગને સપ્રયોગ શિખવાડે છે કે ઝાડની ડાળીઓ આમ નહીં આમ તોડવાની. વ્યવહારુ અનુભવ માટે મોટી ડાળીઓ તોડીને બતાવવામાં આવે છે. આ રીતે તોડેલી મોટી ડાળીઓ ઢસડીને શહેરમાં લઈ જવામાં આવે છે, કારણ કે શહેરનાં વાનરોએ કૂદીકૂદીને તોડી નાખેલાં મકાનોનાં છાપરાંઓ પર એ પાથરીને એ ડાળીઓનો ફેરઉપયોગ કરી શકાય. જંગલના સમજદાર મોટા વાનરોને ખબર પડે છે કે આ રીતે જંગલ વધારે નષ્ટ થઈ રહ્યું છે. પણ શું કરે? એમણે જ તો બોલાવેલાં શહેરવાસી વાનરોને સભામાં! ને શહેરમાં? ત્યાં તો વિકાસ જ વિકાસ છે. ઓહોહો! અધધધ!

જે નાનાં વાનરબાળોને મોટી ડાળીઓ તોડતાં નથી ફાવતું તે એ જ રીતે નાની ડાળીઓ તોડે છે. ડાળખાં અને પાંદડાં તોડે છે. હજી તો ઊગીને ઊભાં થતાં નાનકડાં વૃક્ષો જમીનદોસ્ત થઈ જાય છે. પ્રયોગ પછી ઉપજેલો ડાળીઓ-પાંદડાંનો જથ્થો જંગલમાં આમતેમ વેરાય છે. બીજાં પ્રાણીઓને વાગે છે, ઘણા ઘાયલ થઈ જાય છે. તૂટીને વેરાયેલાં ડાળીઓ-પાંદડાં પવનથી ઊડીને જંગલની નદીમાં પડે છે. નદીઓનાં વહેણ રૂંધાય છે. શિક્ષણપ્રયોગ નિમિત્તે કપાતાં ઝાડવાંને લીધે જમીન ખુલ્લી થઈ ગઈ છે. ડુંગરા પર ઝાડ દેખાતાં નથી. ખીણો ખાલીખમ છે. ઠંડા-ગરમ પવનો જંગલમાં ફરી વળે છે. વરસાદ આવે – ન આવે થાય છે. સૌ પશુ-પંખીઓ ત્રસ્ત છે. નાનાં જીવો તો દેખાતાં ય નથી. મોટા જીવો ભટકે છે આશ્રયની શોધમાં. તરસ્યાં છે, ભૂખ્યાં છે. બાળવાનરો હવે મોટાં થયાં છે. એ સૌ એમની શીખેલી રીતે ભાવિ પેઢી માટે જંગલને સુરક્ષિત રાખવામાં વ્યસ્ત છે. સૌ પરસ્પર બૌદ્ધિક, સામાજિક વગેરે-વગેરે પ્રકારનાં શિક્ષણ આપીને વિકાસ સાધવામાં વ્યસ્ત છે. એ વિશે સભાઓ ભરીને નવાનવા ઉકેલો શોધવા અને સૂચવવાની પ્રવૃત્તિ જોરશોરથી ચાલે છે. કાયમી, સર્વસમાવેશી ઉકેલો શોધવાના પ્રયત્નો ચાલે છે. એ મળશે જ, એવી સૌને શ્રદ્ધા છે.

શહેરનાં વાનરો આને જંગલસુરક્ષા અને વિકાસનું લાંબા ગાળાનું મિશન પર્યાવરણ કહે છે. જંગલવાસી વાનરો જંગલમાં એ ચલાવી રહ્યાં છે. મિશન પર્યાવરણ ઘણું જીવો ઘણું જીવો !

(તમે કાં બંધબેસતો ડગલો પહેરી લીધો? ન’તું કીધું આ વાનરોની વાર્તા છે? આ ટેવ ખોટી હોં.)

e.mail : swatejam@yahoo.co.in

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2017; પૃ. 18-19

Loading

...102030...3,4693,4703,4713,472...3,4803,4903,500...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved