Opinion Magazine
Number of visits: 9689338
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકશક્તિનું લાવણ્ય ક્યારે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|12 March 2017

પાક્ષિક “નિરીક્ષક”નો તંત્રીલેખ :

તમે એને ‘મોદી, મોદી, ઑલ ધ વે’ કહી શકો. ક્યાં છે રાહુલ ગાંધી, એવું આધ્યાત્મિક અજ્ઞાન પ્રગટ કરી શકો. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી મોદીને નામે અગાઉથી ખતવી શકો. જેમ ટ્રમ્પની ફતેહમાં જોયું અને અન્યત્ર જણાઈ રહ્યું છે તેમ જાગતિક જમણેરી જમાનાની એક સાહેદીરૂપે જોઈ શકો : ૨૦૧૭ની ૧૧મી માર્ચે પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવાનાં પરિણામો પછી આ પ્રાથમિક પ્રતિક્રિયા લગારે ખોટી નથી. કબૂલ કે જેમ ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ તેમ મણિપુર ને ગોવા સુવાંગ ભાજપનાં નથી. કબૂલ કે પંજાબે કૉંગ્રેસને નિર્ણાયક બહુમતી આપી છે, અને અકાલી-ભાજપ ગૃહમાં ત્રીજા ક્રમે મુકાઈ ગયાં છે. ભાઈ, બધું સાચું પણ મણિપુરમાં ભાજપની આવી ને આટલી હાજરી પૂર્વે કદાપિ નહોતી. ગોવા ખોઉં ખોઉં છતાં હાજરી તો ઠીક જ છે. ગમે તેમ પણ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં અદ્યાપિ પર્યંત વિક્રમી વિજય સાથે આ ઘટનાક્રમને મોદી, મોદી, ઑલ ધ વે એમ વર્ણવ્યા વગર અને આ પ્રક્રિયામાં પક્ષપ્રમુખ અમિત શાહની વ્યૂહકારીને બિરદાવ્યા વગર ન જ રહી શકો, એ સાદો પ્રાથમિક હિસાબ છે.

પણ જે જીત્યો, જીત્યો અને જીત્યો તે સો ટચનો સિકંદર એવી કોઈ સમજ પર ઠરવાનું હોય તો નાગરિક છેડે એ એક ગરબડગોથું જ લેખાશે. ૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરે જે બન્યું – અને તેને પગલે ૧૯૯૩માં નવી વિધાનસભા ચૂંટણીમાં અયોધ્યા લેતાં લખનૌ ખોયા જેવો ઘાટ ઊપસી રહ્યો – તે પછી તેવીસ વરસે સુવાંગ ભાજપ સરકાર આવે છે. તો શું તે દરમ્યાન ભાજપની અહીંથી થતી રહેલી ટીકા, ૨૦૦૨ના હિંસક ક્રમ સબબ સરકારી મેળાપીપણા અને વિચારધારાકીય વરખ બાબતે અસંદિગ્ધ આલોચના, આ બધું જ આપોઆપ રદ લેખાશે? એક વસ્તુ આ ગાળામાં વખતોવખત સાંભળવાની મળતી રહી છે કે તમે જેટલી ટીકા કરો છો એટલું એ આગળ વધે છે.

પ્રશ્ન જો કે આ છે : જે ટીકા થઈ તે સ્વતઃ ગ્રાહ્ય છે કે નહીં? એટલે કે ટીકા ન કરવી તેવી તમારી વ્યૂહાત્મક સલાહ છે કે પછી ટીકા પોતે જ ખોટી છે? જો ટીકામાં દમ હોય (અને તંત્રીના મતે છે) તો આજે એ સ્વીકાર્ય બને કે ન બને, એ કરતી વેળાએ પોતાની સમજ મુજબ એક ઇતિહાસકર્તવ્ય બજાવ્યાનું જે પણ સુખ તે તો છે જ છે. વૈશ્વિક સ્તર પર એકંદરે જમણેરી ઉછાળો જોવા મળે છે ત્યારે પણ જો ટીકાનો દોર ચાલુ રાખીએ તો સામેપૂર પણ આપણે મતે એક સાચી વાત કહ્યાનો, ભલે દૂઝતા જખમનો કે મીઠી વલૂરનો આનંદ તો છે જ છે. અને મોટી વાત, જે આજે વ્યૂહાત્મક સલાહકારોને નથી વસતી તે તો કદાચ એ છે કે કાળક્રમે જ્યારે નવી રચનાની વેળા સામે આવશે ત્યારે આ ટીકાટિપ્પણમાંથી એક વૈકલ્પિક ભાત હાથવગી હોઈ શકશે. તે ઉપરાંત, બને કે, ચાલુ ટીકાદોર ચાલુ પ્રક્રિયા (એટલે કે વિક્રિયામાં કિંચિત્‌કવચિત્‌સંસ્કારક (કરક્ટિવ) ભૂમિકા પણ ભજવી શકે.

વાજપેયી-અડવાણી-નમો નેતૃત્વમાં ભાજપની જે કૂચ મે ૨૦૧૪ સાથે પરાકાષ્ઠાએ પહોંચતી માલૂમ પડી એને વિગતોના ઉજાસમાં જોવીતપાસવી રહે છે. અયોધ્યા આંદોલન સાથે પોતે વિમર્શ આખો બદલી નાખ્યો એમ અડવાણી કહેતા રહ્યા છે. પણ ૧૯૯૮થી ૨૦૦૪નો વાજપેયી શાસનકાળ, આ બદલાયેલા કહેવાતા વિમર્શને બંધારણીય આણ અને નાગરિક ધોરણોની માજામાં રાખવાની એક કોશિશ હતી. આ કાચીપાકી-કાલીઘેલી કોશિશ, એ સંદર્ભમાં તંગ દોરની નટચાલ, તે વાજપેયીનું કંઈક જમા પાસું હતું. વાજપેયીને આ કોશિશમાં મળી રહેલી મદદ જો સંઘ પરિવારની સંભવિત સત્તાસુવિધાવશ હશે તો ટીકાકારોની ટીકાવશ પણ હશે, એનો આપણને કદાચ ખયાલ જ નથી આવતો. વાજપેયીએ જે સ્વીકૃતિ બનાવી હતી એના ફીલગુડ માહોલનો લાભ ૨૦૦૪માં મળશે એવી અડવાણીની ગણતરી હતી પણ તે પાછી અને કાચી પડી એનું કારણ ગુજરાત ૨૦૦૨ની કલંકકથા હતી, એવું વાજપેયીનું ખુદનું કહેવું હતું.

પણ તે સાથે ભાજપે અયોધ્યાઉત્તર પથ-સંસ્કરણ(કોર્સ કરેકશન)ની જે પ્રક્રિયા એળે નહીં તો બેળે પણ શરૂ કરી હશે તે ય સમજવા જેવી છે. ૧૯૯૩ની ચૂંટણીમાં મુલાયમ અને માયાવતી એકત્ર આવ્યાં તે સાથે ૧૯૯૨ની કથિત અયોધ્યા ફતેહ કદ મુજબ વેતરાઈ ગઈ અને ભાજપ ઉજળિયાત હિંદુઓના પક્ષ તરીકે સત્તામાંથી ફેંકાઈ ગયો. આ પડકાર કેવળ સવર્ણ હિંદુ ઓળખમાંથી બહાર આવવાનો હતો. ૧૯૯૩ અને ૨૦૧૭ વચ્ચે રાજનાથ સિંહને જે ટૂંકો કાળ મળ્યો એમાં એમણે એમ.બી.સી. (મોસ્ટ બેકવર્ડ કલાસ) જોગવાઈઓનો પાસો ફેંક્યો તે આ દિશાનો હતો. ૧૯૯૫માં ભાજપે ગુજરાતમાં સુવાંગ ફતેહ મેળવી, કેશુભાઈ પટેલના નેતૃત્વમાં અને શંકરસિંહ-નમોની આખા પગની ને પૂરા દિમાગની વ્યૂહકારીમાં, એમાં સોશ્યલ એન્જિનિયરીંગની દિશા ઉમેદવારપસંદગીમાં અભિપ્રાય પકડવામાં આવી હતી. તે પછી તરતના મહિનાઓમાં પક્ષની ગોવા બેઠકમાં નમોએ એનો વિગતે ખયાલ પણ આપ્યાનું સ્મરણ છે. અલબત્ત, ચિંતનાત્મક સ્તરે પક્ષમાં આનું શ્રેય આજે પક્ષખારિજ ગોવિંદાચાર્યને નામે જમે બોલે છે. હકીકતે, ૧૯૯૩માં લખનૌ ખોયું, ‘આજ પાંચ પ્રદેશ, કલ સારા દેશ’ એ સૂત્ર ભોઠું પડ્યું ત્યારે દીનદયાલ શોધ સંસ્થાનમાં મળેલી ચિંતન બેઠકમાં ઉમા ભારતીએ આખી વાત સચોટપણે મૂકી હતી કે ચેહરા, ચરિત્ર ઔર ચાલ બદલના હોગા. ૨૦૦૧ના ઑક્ટોબરમાં દિલ્હીનીમ્યા દંડનાયક તરીકે મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે જાતદેખરેખ નીચે ખાસ કાળજીભેર પ્રસારિત કરેલા બાયોડેટામાં પોતાની ઓ.બી.સી. ઓળખ પણ અધોરેખિત કરી હતી. વિશ્વનાથ પ્રતાપસિંહના મંડલાસ્ત્રને મંદિર સાથે સમન્વિત કરવાની આ રાજનીતિ હતી, જેમાં હિંદુ ઓળખનુંં (એમાં વળી એનું સહજરૂપે થોડાક ટકા સવર્ણોમાં સમેટાઈ જવંુ) કેટલું અપૂરતું છે અને એક નાના ટોચકા સિવાય કેટલા બધાને પોતાનામાં ભેળવવાની (એક મેઘધનુષી સંકલનાની) જરૂર છે એનો એકરાર અને સ્વીકાર હતો. જો કે, હિંદુત્વ નામની રાજકીય વિચારધારાની પોતાની મર્યાદાઓ અને ભયસ્થાનો વિશે કોઈ સભાન આત્મતપાસ ભાગ્યે જ હશે.

વસ્તુતઃ કેવળ ‘અગડો’ને બદલે ‘પીછડોં’ની રાજનીતિ એ એક વૈચારિક અભિગમ તરીકે રામ મનોહર લોહિયાની ભેટ હતી. ‘કલાસ’ અને ‘કાસ્ટ’ બંનેની સમજ આ દેશજ સમાજવાદીને ઠીક ઠીક હતી. ઉત્તરપ્રદેશમાં યાદવસીમિત સામાજિક ન્યાયની રાજનીતિને નમો અમિતે સર્વ બિનયાદવ પછાતોને ચૂંટણીમાં પ્રતિનિધિત્વ આપવાની રીતે પેલું મંડલમંદિર મેળાપીપણું અંકે કર્યું. યોગી આદિત્યનાથ જેવાઓએ કોમવાદી મુદ્દા સળગતા રાખીને કે નમોએ સ્મશાન વિ. કબ્રિસ્તાન જેવી તથ્યનિરપેક્ષ મરોડમાસ્તરીથી અગર તો અમિત શાહે સામેવાળાઓને ‘કસાબ’ કહીને મૂળના કોમી ધ્રુવીકરણના પાયાને સાચવી લીધો અને તે સાથે નાના-નાના બિનયાદવ ઓ.બી.સી. તબકાને સાંકળીને તે વિસ્તાર્યો. માયાવતીએ મોટે પાયે મુસ્લિમ ઉમેદવારો ઊભા રાખીને તો ૨૦૧૪ની જેમ જ ૨૦૧૭માં એકે મુસ્લિમ ઉમેદવાર નહીં ઊભો રાખીને નમો-અમિતે હિંદુ મતોનું દૃઢીકરણ પાકું કર્યું. આ પ્રક્રિયામાં માર્કેટને અલબત્ત ન જ ભુલાય. નમોએ ગુજરાતની ૨૦૧૨ની ચૂંટણીથી આગળ કરેલું એક વાનું ‘એસ્પિરેશનલ મિડલ કલાસ’- કંઈક અભીપ્સુ, કંઈક ખુદગર્જ મધ્યમવર્ગનું હતું. ઊંચો મધ્યમવર્ગ જે નરસિંહ રાવ – મનમોહનસિંહની ભેટ છે તે નમો-અમિતનો જાનૈયો કે’દીનો હતો જ. નમોનું હિંદુત્વ અને વિકાસવેશ બેઉ મંડલમંદિર માર્કેટ ત્રિશૂલ છે તે સમજવા જેવું છે.

પીછડોંકી રાજનીતિનો જે દેશજ સમાજવાદ લોહિયા લાવ્યા એનો સંદર્ભ વ્યાપક લોકશાહી સમાજવાદનો હતો અને તે માટેની પાવડા-મતપેટી-જેલ ભરો રાજનીતિની ચાલતાના ‘સપ્તક્રાન્તિ’ની હતી. જયપ્રકાશ ચિત્રમાં આવ્યા ત્યારે એમણે જગવેલ અને ગજવેલ અપીલ ‘સમ્પૂર્ણ ક્રાન્તિ’ની હતી. ઈંદિરા ગાંધીના વોટ બેંક પોલિટિક્સથી કે નમો-અમિતના મંડલ મંદિરમાર્કેટવાદથી ઉફરાટે તે નવા અને ન્યાયી સમાજની ખોજ હતી. કૉંગ્રેસ, સમાજવાદી પક્ષ, બહુજન સમાજ પક્ષની દેખાઈ આવે એવી (અને એથી ચૂંટણીમાં નસિયતપાત્ર) મર્યાદાઓ સામે આ ત્રિશૂલ હાલ તો સફળ થઈ રહ્યું છે. પણ તેમાં સાચો જવાબ નથી, એ ક્યારે સમજાશે?

દેખીતો દેશમિજાજ આજની તારીખે બેલાશક ‘બદરીકી દુલ્હનિયાં’નો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તત્કાળ પ્રતિક્રિયામાં કહ્યું છે કે નોટબંધીના ટીકાકારોને પ્રજાએ વોટબંધી ફરમાવી છે. અને વાત પણ સાચી છે. એક પણ દાવા કે કારણની કોઈ પ્રતીતિકર સાહેદી નથી. વાસ્તવિક હાડમારીનો દોર નજરોનજર પસાર થયો છે. પણ એની તપાસ કે તમા વગર આમ માનસે મોદીમાં એક ‘ડુઅર’ (કરી જાણનાર) અને તારણહારને જોવો પસંદ કર્યો છે. રૂપાણીએ ગુજરાત ભાજપ ‘યુપીમેં તીનસો, ગુજરાતમેં દેઢસૌના સૂત્ર સાથે તાનમાં હોવાની વાચા આપી છે- અને ખાસ તો, ગુજરાતમાં કોઈ ત્રીજાને સ્થાન નથી તેમ કહ્યું છે.

જ્યાં સુધી ત્રીજાનો સવાલ છે, બે ત્રણ મુદ્દા લાજિમ છે. દેશમાં સર્વત્ર દ્વિપક્ષ પ્રથા નથી. તામિલનાડુમાં એ.ડી.એમ.કે. – એ.આઈ.ડી.એમ.કે. સાથે કૉંગ્રેસે કે ભાજપે સમજૂતી કરવી પડે છે. મહારાષ્ટ્રમાં શિવસેના કે પંજાબમાં અકાલીદળ એનાં ઉદાહરણ છે. ઉત્તર પ્રદેશના એક હિસ્સામાં જેમ કે અપના દલ છે જેની સાથે ભાજપની સમજૂતી ચાલે છે. બીજું, પરિવર્તનની રાજનીતિ બધો વખત બધાને માટે બે પક્ષોમાં સીમિત રહી શકે નહીં. ‘આપ’નો ઉદય એનું તરતનાં વર્ષોનું ઉદાહરણ છે. પંજાબમાં એની આશાઅપેક્ષા ભોંઠી પડી છે તે સાચું; પરંતુ તે મુખ્ય વિપક્ષ બને છે તે પણ સાચું છે. ગુજરાતમાં હમણે હમણે એણે ઠીક નેટવર્કિંગ કર્યાના હેવાલો છે એથી રૂપાણીનો ત્રીજું કોઈ નહીં એ ઉદ્‌ગાર સમજી શકાય એમ છે. જો કે આપના ગુજરાત એકમે જૂના સાથીઓને મનાવી લઈ ઠીક જ કર્યું છે, પણ પંજાબે અને ખાસ તો ગોવાએ દર્શાવી આપ્યું છે તેમ આશાવાદ હાજરી પુરાવવાથી વધુ કલ્પવાની જરૂર નથી. પણ વૈકલ્પિક વિચારનું એક કેન્દ્ર જાગતું રહે એ તો જરૂરી હતું, છે અને રહેશે. નલિયા પ્રકરણમાં જણાઈ રહ્યું છે તેમ મેચ ફિક્સિંગના સંજોગોમાં તો ખાસ.

દરમ્યાન, મોદીના ઉદયમાં (ઈંદિરાજી જેવી) એક ગરીબ તારણહાર મુદ્રા રવિશંકર પ્રસાદ સહિતના લોકોએ અલબત્ત સકારાત્મક ધોરણે નોંધી છે. મનરેગા વિસ્તારીને તો ગરીબીની રેખા તળેના વર્ગને મફત ગેસ મળી શકે ત્યાંથી માંડીને જનધન ખાતા સહિતના વાનાં અહી સાંભરે છે. છેવાડાના માણસને કંઈક પણ મળે એથી રાજી જરૂર થઈએ, પણ જૉબલેસ ગ્રોથની અનવસ્થાનો ઉગાર નમો-ટ્રમ્પ અર્થનીતિમાં નથી. ‘મેઈક ઈન ઈન્ડિયા’ વાસ્તવમાં ‘મેઈકબિલીવ ઈન ઈન્ડિયા’ બની રહેવાને નિર્માયેલ છે.

વિજયી રાજાને ક્યાંક પરંપરાગત સલાહ અપાયાનું સંભળાતું રહ્યું છે કે એક માણસ ખાસ નીમવો જે કાનમાં બધો વખત ‘ચેત રાજા, ચેત’ ‘જાગ, રાજા, જાગ’, ‘જરી સમ્હલકે’ કહેતો રહે. ‘મનકી બાત’ને વરેલ પ્રતિભા કને આવી કોઈ સોઈ છે કે કેમ તે આપણે જાણતા નથી. પણ નાગરિક છેડેથી આપણી પ્રજાસૂય ચિંતા, નિસબત ને તાકીદ તો ‘લીગલ સોવરેન’ (રાજ્યકર્તા) કરતાં વિશેષ કરીને ‘પોલિટિકલ સોવરેન’ કહેતાં જનસાધારણ જોગ રહેવાની કે જરી સંભાળીને – મારા ભાઈ, જાગતો રહે. ચેતતો રહે.

આ અગ્રનોંધ પૂરી કરવામાં છું અને આજની તારીખનો જોગાનુજોગ સામે આવે છે. કથિત વિમર્શ પલટુ અયોધ્યાયાત્રા સામે, રક્તરંજિત કોમી ધ્રુવીકરણને ધોરણે નવા વિભાજનની સ્થિતિ સરજનાર યાત્રા સામે, દાંડીકૂચનું સ્મરણ એક દોષહર ને જોશભર નોળવેલ શું છે. નાતજાત કોમલિંગ ધરમ મજહબ સઘળું વટીને લવણ મુદ્દે સૌને એકત્ર કરી એણે લોકશક્તિનું લાવણ્ય પ્રગટ કીધું હતું. વિવેકપુત લોકશક્તિના લાવણ્યને ઝંખતો, કોઈ ચંદનમહેલમાં નહીં પણ નાગરિક સમાજમાં રોપાયેલ વિકલ્પવિમર્શ … પથ પણ, ધ્રુવતારક પણ!

માર્ચ ૧૨, ૨૦૧૭ 

સૌજન્ય “નિરીક્ષક”, 16 માર્ચ 2017; પૃ. 01, 02 તથા 15

Loading

જાહેર જીવનમાં જટાયુ થવાની અનિવાર્યતા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|11 March 2017

‘અસંતુષ્ટ બૌદ્ધિકો’ના ટીકાકારોને કોણ સમજાવે કે સંતુષ્ટ ભુંડ થવા કરતાં અસંતુષ્ટ સોક્રેટીસ થવું સારું

ચૂંટણી પરિણામના કલાકોમાં બીજા જ કોઈ વિષયમાં ચાલ્યા જવું કંઇક સલામત અને કદાચ આસાન પણ હશે. પણ શનિવારની વહેલી સવારે થોડું પણ મનન (ખરું જોતાં પ્રગટ ચિંતન) થઈ શકે તો પરિણામને છેડે ઊભી આગળ અને પાછળ નજર કરી લેવાનું નાગરિકને સારુ સરળ પણ બની રહે. લાગે છે, સવારની આસાની કરતાં સાંજની આસાનીનો રાહ લેવો સારો! અલબત્ત, સાંજની આસાની પણ નવા સૂર્યોદયની તલાશમાં રાત આખી જે પણ વહોરવાવેઠવાનું હોય એને વાસ્તે જ હોવાની છે.

તહેવાર એગ્ઝિટ પોલ ભા.જ.પ.ની એકંદર સરસાઈના તેમ હાંફતી કૉંગ્રેસ અપવાદરૂપ જીવતદાન(પંજાબ)ના તો આપની કંઇક આગેકૂચના અને બહુજન સમાજ પક્ષને 2012ની હારની કળ વળી રહ્યાના સંકેતો લઈને આવી ચૂક્યા છે. વિખંડિત જનાદેશના સંજોગોમાં રાષ્ટ્રપતિ શાસન (એટલે કે ભા.જ.પ.નો રિમોટ કન્ટ્રોલ) ટાળવા માટે અખિલેશ-કૉંગ્રેસે માયાવતીનો સાથ લેવાની તૈયારી દાખવ્યાના હેવાલો કંઈ નહીં પણ એટલું તો સૂચવે જ છે કે ક્યારેક જો બિનકૉંગ્રેસવાદનું લૉજિક હતું તો આજે બિનભાજપવાદનું પણ હોઈ તો શકે છે, જે બિહારમાં આપણે જોયું પણ છે. જો 2014માં લોકસભાની ચૂંટણીમાં મોદી ભા.જ.પ.નો એકચક્રી આણ જેવો સિક્કો પડ્યો ન પડ્યો ત્યાં દિલ્હીમાં આપ અને બિહારમાં જે.ડી.યુ.-કૉંગ્રેસની ફતેહે વગદાર વિકલ્પ હાજરી પુરાવી હતી તે આ ક્ષણે સાંભરે છે.

ધારો કે આજે નમતા પહોરે આવી કોઈક વગદાર વિકલ્પહાજરી વરતાય તો આપણે જરૂર રાજી થઈશું. પણ એથી ભાવઠ ભાંગશે એમ કહેવું વહેલું જ નહીં, વધારે પડતું પણ ગણાશે. એક તો, વ્યાપક આકલન એવું છે કે આજના પરિણામથી નિરપેક્ષપણે 2019માં પક્ષ તરીકે ભા.જ.પ. અને એથી પણ વિશેષ તો વ્યક્તિ તરીકે નમો નેતૃત્વ, બેનો કોઈ અખિલ હિંદ મુકાબલો હોવાનો નથી. મેઘનાદ દેસાઈએ સમર્થન કે વિરોધની રીતે નહીં પણ રાજકીય વિશ્લેષણની રીતે આ મતને ઠીક ઠીક આપી છે. બીજી બાજુ, સ્વામીનાથન અંકલેસરીઆ અય્યર જેવા છે જે 2017 તેમ 2019 બંનેમાં નમો ભા.જ.પ.નો વિજય જુએ છે. નોટબંધી કે બીજા નજરબંધીના ખેલ બાબતે અંક્લેસરીઆ અય્યરની ટીકા નિ:શેષ અસંદિગ્ધ છે. પણ છાકો પાડી દઈ કંઇક કીર જાણનાર (ડુઅર) એવા પ્રતાપી ને નિર્ણાયક નેતૃત્વની છાપ મોદીએ (ભલે તથ્યનિરપેક્ષપણે) જનમાનસમાં જન્માવી છે જરૂર. એટલે 2017 અને 2019માં એમની આગેકૂચ જારી રહેશે.

વિશ્લેષકોનો એક ત્રીજો કોણ, નમૂના દાખલ, તવલીનસિંહ જેવાનો પણ છે. 2014 પૂર્વે નમોનો ઉદય ભાખવામાં અને ઇચ્છવામાં તવલીનને પક્ષે કોઈ દિલચોરી નહોતી. નોટબંધી સહિતના કેટલાક મુદ્દે તવલીન પણ નમો શાસનના ટીકાકાર તરીકે ઉભર્યાં છે. પણ, ભલે જરૂરી દુરસ્તી સાથે પણ, 2019માં એમની આશા ને અપેક્ષા હમણાં સુધી તો મોદીકેન્દ્રી વરતાય છે.નમો શાસન એટલે શું. અહીં આ પૂર્વે એકથી વધુ વાર અરુણ શૌરિને ટાંકવાનું બન્યું છે તેમ કૉંગ્રેસ વતા ગાય. ટૂંકમાં, વિકાસનો વરખ અને કોમી ધ્રુવીકરણ, એ સાદો હિસાબ છે. ઉત્તર પ્રદેશમાં, કેમ કે રામ મંદિર ધાર્યું ઉછળી શકે નહીં, આ વખતે ‘સ્મશાન વિ. કબ્રસ્તાન’ની તરજ પર કામ લેવાયું તે આમ તો ‘વત્તા ગાય’ ફોર્મ્યુલા જ હતી.

મહારાષ્ટ્રનાં મહાનગરપાલિકા પરિણામોમાં નોટબંધીને કારણે ભા.જ.પ.ને વેઠવું ન પડ્યું એમાં ભા.જ.પ. પોતાનું સમર્થન જુએ છે. અલબત્ત, એણે અને શિવસેનાએ જુદાં પડીને પણ સરવાળે પોતાના કોમી ધ્રુવીકૃત અભિગમથી મહારાષ્ટ્રની એકંદર રાજનીતિ ખંડી લીધેલ છે. નોટબંધીના કારણો અને દાવાઓ કોઈ પ્રતીતિકરપણે ઉપસ્યાં નથી પણ નમોની ‘ડુઅર’ મુદ્રાની કળ હજુ લોકમાનસને વળી નથી, એ નક્કી. તેથી આજ નમતા પહોર પછીની અને 2019ની સંભવિત મોદી ફતેહના માહોલ વચ્ચે તટસ્થ બૌદ્ધિકોએ સોક્રેટિક બગાઈની ભૂમિકા (જે હંમેશ હોવી જોઈએ તે સવિશેષ) માંજતા રહેવાપણું સાફ છે. આમ તો, વિજયી રાજવીએ (પોતે ઉન્મત્ત ન થઈ જાય તે માટે) એક મિત્રને નિયમિતપણે પોતાના કાનમાં સાવધાનીના સૂર રેડતા રહેવાની કામગીરી સોંપ્યાનો કિસ્સો મશહુર છે. પણ અહીં અપેક્ષિત બૌદ્ધિક ભૂમિકા કોઈ સરકારી પ્રતિનિયુક્તિ કહેતા ‘ઑન ડેપ્યુટેશન’ તરેહની નથી.

રાજીવ ગાંધીના નિકટવર્તુળમાં થોડો વખત રહી આવેલા અને પછી વીપી-વાજપેયી પ્રધામંડળોમાં રહી આવેલા અરુણ શૌરિનું અહીં સ્મરણ થઈ આવે છે.

કટોકટી વખતે નિર્ભીક ટીકાકાર તરીકે ઉભરેલા અને તરતના નિર્ણાયક ચૂંટણી જંગમાં બૌદ્ધિક ઊંજણ પૂરનાર બની રહેલા શૌરિની મુશ્કેલી કદાચ એ રહી છે કે ગ્રાસરુટ કામગીરી અને તળ સંપર્કો વગરની ચંદનમહેલ જિંદગી એમને કોઇક શક્તિશાળી/ આદર્શવાદી લોકસમર્થનપ્રાપ્ત રાજકીય નેતૃત્વની ઓશિંગણ બનાવી દે છે. સમજાય ત્યારે ખસવાની તૈયારી એ ચોક્કસ જ એમનુું જમા પાસું છે, પણ કંઇક કરવાની લાયમાં એમને સ્થાપિત જોડાણ દુર્નિવાર લાગે છે. બૌદ્ધિકોની બીજી એક તરેહ આપણે સૌનિયા ગાંધીની સલાહકાર સમિતિરૂપે જોઈ. અરુણા રોય વગેરે એના પર હતા અને વાયા સોનિયા યુ.પી.એ. પર એમનો રુક્કો ચાલ્યો. કેટલાક પ્રજાપરક નિર્ણયો યુ.પી.એ. શાસનમાં શક્ય બન્યા તે સલાહકાર સમિતિને આભારી હતું. પણ એમાં બેસનારાઓનું સૅન્ક્શન એમના પ્રત્યક્ષ કાર્યજોડાણ કરતાં સોનિયા ગાંધીમાં સવિશેષ હતું.

બને કે, હાલના અને હવેના દિવસોમાં પબ્લિક ઇન્ટેલેક્યુઅલની ભૂમિકા વિશેષ જરૂરી હોય. શાસન અને પ્રજાનાં પરિબળો, બંનેમાં એનો પ્રવેશ યથાસંભવ, યથાપ્રસંગ હોય પણ એનું સૅન્ક્શન નાગરિક સમાજ સાથેના અવિનાભાવ સંબંધપૂર્વકની યથાર્હ કામગીરીમાં પડેલું હોય. ગાંધીજીવનના સંદર્ભમાં ટૉયન્બીને જે વાનું વસ્યું હતું કે હવેના ધર્મપુરુષોએ સ્લમ્સ ઑફ પોલિટિક્સમાંથી આવવું રહે છે, કંઇક એવું. ગુજરાતમાં જેપી આંદોલનનો ઝંડો (અને ઝાડુ) સાહનાર બૌદ્ધિકોને એક તબક્કે કિમલોપે અસંતુષ્ટ બૌદ્ધિકો(ડિસગ્રન્ટલ્ડ ઇન્ટેલેક્યુઅલ્સ)નું માન આપ્યું હતું. ભલા ભાઈ, કોણ સમજાવે એમને કે સંતુષ્ટ ભુંડ થવા કરતાં અસંતુષ્ટ સોક્રેટીસ થવું સારું. એવૉર્ડ વાપસી વખતે ભા.જ.પ. શ્રેષ્ઠીઓની પ્રતિક્રિયા આ જ કિમલોપી તરજ પર હતી તે તરત સાંભરશે.

યોગેન્દ્ર યાદવ અને પ્રશાન્ત ભૂષણ જેવાઓ, સ્વરાજ અભિયાનના હાલના દોર સહિત લાંબી પૂર્વકામગીરી સાથે લોકપરક પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ તરીકે ઉભર્યા છે, એમાંથી સોડાતું ઍક્ટિવિઝમ ખસૂસ સરાહનીય છે. પણ આપના કેજરીવાલ-સિસોદિયાને આ દૂઝતી ગાયના પાટુ ખમવાનો વિવેક પોતાની ગરજે સમજાઇ રહ્યો હોત તો રાજકીય વિકલ્પનાં બળો વચ્ચે વૈકલ્પિક રાજનીતિના સાર્થક હસ્તક્ષેપની એની ભૂમિકા ઓર ઉચકાત. પંજાબમાં એની જે આગેકૂચ સમજાય છે તે બિહારની નીતીશ અને ઉત્તર પ્રદેશની અખિલેશ કરતાં કંઇક જમાતજુદી લાગે છે, પણ તત્ત્વત: તેણે ઘણું કરવાનું રહે છે જે કેજરીવાલ-સિસોદિયા વલણો જોતાં શક્ય જણાતું નથી.

ગમે તેમ પણ, સર્વાંગસક્ષમ સૂચિત પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલની રાહમાં, સ્થળ પરના નાનામોટા સૌએ પ્રવાહ પ્રાપ્ત પડકારને ભાગ્યે જ રેઢા મૂકવાના વખતે અડવા જેવી આળ-ઓળખનો ભય વહોરીને પણ એણે તો જટાયું કે કાસાબિએન્કા થવું રહ્યું. જેમ બિનકૉંગ્રેસવાદ તેમ બિનભાજપવાદનું લૉજિક સ્વીકાર્યા પછી પણ આરતભરી પુકાર તો પેલા ડિસગ્રન્ટલ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ અને ડિસગ્રેન્ટલ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલની જ રહેવાની. 2017 માર્ચના પહેલાબીજા અઠવાડિયામાં આ લખતી વેળાએ થતું તીવ્ર સ્મરણ ચાલીસ વરસ પરના માર્ચ 1977ના દિવસોનું છે જ્યારે બિનકૉંગ્રેસવાદે યશસ્વી બની લોકશાહીની પુન:પ્રતિષ્ઠાનો પથ પ્રશસ્ત કર્યો હતો …

ચલના જીવન કી કહાની, રુકના મોતકી નિશાની!

લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે

e.mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : ‘શાસકીય પ્રતિક્રિયા’, “દિવ્ય ભાસ્કર”, 11 માર્ચ 2017

Loading

પૈડાંવાળી ખુરશીને સહારે જીવતા પ્રોફેસરને માઓવાદીઓ સાથેના કાવતરા માટે આજીવન કેદની સજા

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|11 March 2017

ડૉક્ટર વિનાયક સેન, કાર્ટૂનિસ્ટ અરુણ ફરેરિયા, કબીર કલા મંચના કલાકારો પછી હવે સાઈબાબા

નેવુ ટકા વિકલાંગતાને કારણે પૈડાંવાળી ખુરશી પર જીવતા દિલ્હી યુનિવર્સિટીની અધ્યાપક ડૉ.જી.એન. સાઈબાબાને પૂર્વ મહારાષ્ટ્રના અંતરિયાળ ગડચિરોલી જિલ્લાની કોર્ટે બુધવારે જનમટીપની સજા ફટકારી. છત્તીસગઢમાં સરકારે અપનાવેલી જનવિરોધી નીતિઓ સામે અવાજ ઊઠાવનાર આ અધ્યાપક પર રાષ્ટ્રવિરોધી માઓવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણીના ગુનેગાર ગણવામાં આવ્યા છે. તેમની સાથે આ સજા પામનાર બીજા ચાર જણ છે – જનવાદી કલાકાર અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી હેમ મિશ્રા, કર્મશીલ પત્રકાર પ્રશાન્ત રાહી, સ્થાનિક આદિવાસી ખેડૂતો મહેશ તિર્કી અને પાંડુ નરોટે. છત્તીસગઢના આદિવાસી મજૂર વિજય તિર્કીને દસ વર્ષની સખ્ત મજૂરીની સજા ફરમાવવામાં આવી છે.

આ બધાને મુખ્યત્વે અનલૉફુલ ઍક્ટિવિટિઝ પ્રિવેન્શન ઍક્ટ (યુ.એ.પી.એ.) હેઠળ સજા કરવામાં આવી છે. આ જ કાનૂન હેઠળ નક્ષલવાદીઓ સાથે સંડોવણીના આરોપસર 2007ના મે મહિનામાં છત્તીસગઢના રાયપુરમાં ડૉક્ટર વિનાયક સેનની ધરપકડ કરવામાં આવી હતી. વિનાયક સેન બે દાયકાથી દુર્ગમ વિસ્તારમાં આદિવાસીઓના તબીબ હતા. પિપલ્સ યુનિયન ફૉર સિવિલ લિબર્ટીઝના કર્મશીલ તરીકે તે લોકજાગૃતિનાં કામ અને સરકારની આદિવાસીઓ અંગેની નીતિની તપાસમાં સામેલ હતા. દેશ અને દુનિયામાં સન્માનિત વિનાયક પર પર રાજદ્રોહનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. તેમને સ્થાનિક અદાલતે ડિસેમ્બર 2010માં આજીવન કેદની સજા ફટકારી હતી, જે વડી અદાલતે ચાલુ રાખી હતી. તેમને 2011ના એપ્રિલમાં સર્વોચ્ચ અદાલતે જામીન આપ્યા હતા. મુંબઈના કર્મશીલ તેમ જ કાર્ટૂનિસ્ટ અરુણ ફરેરિયા પણ યાદ આવે. તેમની પર સુરક્ષાદળોએ  માઓવાદી આગેવાન હોવાને લગતા અગિયાર  આરોપ યુ.એ.પી.એ. હેઠળ કર્યા હતા. તેમણે પણ સાઈબાબાની જેમ નાગપુર જેઈલની ભયંકર અંડા સેલમાં પાંચ વર્ષ વીતાવ્યાં હતા. મુંબઈની વડી અદાલતે 2014ના ફેબ્રુઆરીમાં અરુણને સંપૂર્ણ નિર્દોષ જાહેર કર્યા. યુ.એ.પી.એ. હેઠળ કબીર કલા મંચના શીતલ સાઠે અને સચિન માળી સહિતનાં કલાકારો પર રાજ્યના જુલમ અને અદાલતના જામીનની અલગ દાસ્તાન છે.

પચાસ વર્ષના અધ્યાપક સાઈબાબા પરના સિતમનું મૂળ મનમોહન સિંગની સરકાર વખતે  ‘ઑપરેશન ગ્રીન હન્ટ’ના નામે માઓવાદીઓની સામે 2009 જે જંગ છેડ્યો તેના તેમણે કરેલા વિરોધમાં છે. બીજા ઘણા કર્મશીલોની જેમ સાઈબાબા પણ માને છે ઑપરેશન ગ્રીન હન્ટ અને સાલવા જુડુમની નીતિ કૉર્પોરેટ કંપનીઓને જમીન આપવાનો ઇન્કાર કરનાર આદિવાસીઓને ખતમ કરવાનો પેંતરો છે. એટલે આ પ્રોફેસરે અનેક શહેરોમાં ઑપરેશન ગ્રીન હન્ટના વિરોધ માટેના કાર્યક્રમો  યોજવામાં મદદ કરી. તેના પછી તેમની તાવણી શરૂ થઈ.

બારમી સપ્ટેમ્બર 2013ના દિવસે પચાસેક હથિયારધારી પોલીસે તેમના ઘર પર છાપો માર્યો. તેમની પાસે ગડચિરોલી જિલ્લાના અહેરી ગામમાં થયેલી ચોરીની તપાસ માટેનું વોરન્ટ હતું. પોલીસે લૅપ ટૉપ, હાર્ડ ડિસ્ક અને પેન ડ્રાઇવ્ઝ લઈ લીધાં. પાસ વર્ડ લઈને બધું વાંચ્યું. નવ જાન્યુઆરીએ 2014ના રોજ પોલીસે તેમના ઘરે જ તેમની કલાકો સુધી પૂછપરછ કરી. અંતે નવમી મે 2014એ રસ્તામાંથી અપહરણ કરવામાં આવે તે રીતે, અથવા કોઈ આતંકવાદીને ચીલઝડપે ઝભે કરવામાં આવે તેમ, સાઈબાબાની ધરપકડ કરી. તેમની ઉપર માઓવાદીઓની સાથે ષડયંત્ર રચવાનો આરોપ મૂક્યો.  એ જ રાત્રે તેમને વિમાનમાં નાગપુર અને ત્યાંથી પછી સેંકડો પોલીસોની ફોજ સાથે રોડ માર્ગે આહેરી લઈને પાછા નાગપુરની જેલના ભયંકર અંડા સેલમાં નાખવામાં આવ્યા. આ બધા ગાળામાં વ્હીલચેરને પુષ્કળ નુકસાન થયું. વ્હીલચેર વિના તેમને લઈ જવામાં આવતા અને આધાર વિના હલચલન કરવામાં તેમની કરોડરજ્જુને ભારે ઇજા પહોંચી.

લોકની વાત લઈને ભણવા-ભણાવવામાં ડૂબેલા રહેતા અંગ્રેજીના વિદ્વાન અધ્યાપક સાઈબાબા  2014ના મે મહિનાથી કથળતી તબિયત સાથે નાગપુરની જેલમાં સબડ્યા. તેમને ખતરનાક ગુનેગારો માટેની હવા-ઉજાસ વિનાના અંડા સેલમાં પૂરવામાં આવ્યા હતા. તેમની મદદ માટે કોઈ ન હતું. તેમને ચોપગા થઈને ઘસડાતા ઘસડાતા ટૉઇલેટ માટે જવું પડતું. તેમની કરોડરજ્જુ ખલાસ થવા લાગી હતી. જમણો હાથ તો ક્યારનો ય નકામો થઈ ચૂક્યો છે. અપંગ કેદીઓ માટેની જોગવાઈનો લાભ તેમને આપવાનો જેલના સત્તાવાળાએ ઇન્કાર કર્યો હતો. જેલ ડૉક્ટરે ઍન્જિઓપ્લાસ્ટીની જરૂરિયાત જણાવી હતી. તેમનાં મૂત્રાશય અને પિત્તાશયમાં પથરીઓ થઈ.  સ્થાનિક અદાલતે તેમની જામીન અરજી ત્રણ વખત નામંજૂર કર્યા પછી ત્રીસ જુલાઈ 2015ના રોજ મુંબઈની વડી અદાલતે તેમને જામીન આપ્યા. અદાલતે જણાવ્યું કે આવી હાલતમાં સાઈબાબાને જામીન નકારવામાં અદાલત એમના મૂળભૂત અધિકારનો ભંગ ગણાશે. જેલમાં  તેમણે ગાલિબ અને ફૈજ પહેલી વાર તેમ જ  માર્ક્સ અને લેનિન ફરીથી વાંચ્યા. 

સાઈબાબા આંધ્રના અમલપુર જિલ્લાના નાના ગામના ગરીબ ખેડૂત કુટુંબમાં જન્મેલા અને સફાઈકામદારોના વિસ્તારમાં ઉછરેલા છે. નાનકડી જમીન પણ તેમના સંપૂર્ણ અભણ પિતાએ દેવા હેઠળ વેચી દેવી પડી હતી. તેમના ઘરે વીજળી ન હતી. સાઈબાબાએ પાંચ વર્ષની ઉંમરે  પોલિયોને કારણે પગ ગુમાવ્યા. વ્હીલચેર તો તે પચીસ વર્ષની ઉંમરે દિલ્હી પહોંચ્યા પછી વસાવી શક્યા. તેજસ્વી વિદ્યાર્થી તરીકે તે ગામની શાળામાં શિષ્યવૃત્તિઓ પર ભણ્યા. પૂર્વ ગોદાવરી જિલ્લાની કૉલેજમાં તે વિદ્યાર્થી સંગઠનમાં પણ જોડાયા. હૈદરાબાદમાં એમ.એ.ના અભ્યાસ માટેની ફી તેમનાં પત્નીએ ચૂકવી. વસંથા દસમા ધોરણથી તેમનાં પ્રેમિકા હતાં.

કૉલેજનાં બધાં વર્ષોમાં તેમણે ગદર, જન નાટ્યમંડળી અને સામાજિક નિસબત ધરાવતા લેખકો-બૌદ્ધિકોના પ્રભાવ હેઠળ ચાલતા ઑલ ઇન્ડિયા પિપલ્સ રેઝિસ્ટન્સ ફોરમની કામગીરી પણ હાથ ધરી. કેટલાક સમય પછી તેના મહામંત્રી તરીકેની જવાબદારી સ્વીકારીને પત્ની વસંથા અને દીકરી મંજિરાને હૈદરાબાદમાં મૂકીને દિલ્હી ગયા. પાટનગરમાં તેમની પ્રવૃત્તિ ઘણી વિસ્તરી. વૈશ્વિકરણ, નવસામ્રાજ્યવાદ, જાતિવાદ સામેની લડતોમાં તે જોડાતા રહ્યા. ઝારખંડ, આસામ, મણિપુર અને કાશ્મીરમાં માનવધિકારોના પ્રશ્ને રચાતી નાગરિક તપાસ સમિતિઓ સાથે પણ તે સંકળાતા રહ્યા.  અભ્યાસ તરફ પણ ધ્યાન આપીને તે 2003માં રામ લાલ આનંદ કૉલેજમાં અધ્યાપક બન્યા. સાઈબાબા ક્યારે ય વર્ગ પડતો ન મૂકતા, તે ક્યારે ય મોડા ન પડતા. સાઈબાબા સાહિત્યને સોશ્યો-પૉલિટિકલ દૃષ્ટિબિંદુથી જુએ છે. તેમણે સાહિત્યમાં વંચિતો તરફની વિમુખતા વિશે લખ્યું છે. કબીર અને જનવાદી તમિલ કવિઓ પર તેમણે કામ કર્યું છે.

દિલ્હી યુનિવર્સિટીના અધ્યાપક તરીકે તે વિદ્યાર્થી-વિરોધી શૈક્ષણિક સુધારા તેમ જ આપખુદશાહી સામે લડતા રહ્યા છે. અપંગ અધ્યાપક માટેની જોગવાઈના હેઠળ યુનિવર્સિટી પરિસરમાં મળેલું ઘર છોડવા માટે દબાણ પણ આવતું રહ્યું છે. અદાલત તેમને ગુનેગાર ઠેરવે તે પહેલાં કૉલેજે તેમને સસ્પેન્ડ કર્યા હતા. કૉલેજમાં તેમની પર હુમલા પણ થયા હતા. અલબત્ત અનેક વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સંગઠનો તેમની સાથે પણ રહ્યા છે. તેમને છોડાવવા માટેની સમિતિ પણ રચાઈ છે. સાઈબાબાના ભાઈ ઉપરાંત તેમની પાછળ અડીખમ ઊભાં રહેનારાં પત્ની વસંથાએ ચૂકાદા પછી કહ્યું: ‘ઈસ ફાસિસ્ટ ગવર્નમેન્ટ ને હમારે સાથ ઐસા કિયા કી હમારી આંખમેં આંસુ નહીં આ રહે હૈ, આગ આ રહી હૈ.’

09 માર્ચ 2017

++++++

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 10 માર્ચ 2017

Loading

...102030...3,4673,4683,4693,470...3,4803,4903,500...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved