Opinion Magazine
Number of visits: 9584450
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મા-બાપ બાળક સાથે પુસ્તકો વાંચીને તેમનામાં વાંચન માટેની ઇચ્છા જગાડી શકે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|29 April 2017

રવિવાર ત્રેવીસ એપ્રિલના વિશ્વ પુસ્તક દિન હતો

અમેરિકામાં જિમ ટ્રિલીઝ નામના પત્રકાર, શિક્ષણ સલાહકાર અને વક્તાએ 1979થી ત્રીસેક વર્ષ સુધી ‘રીડ અલાઉડ મૂવમેન્ટ’ ચલાવી હતી. આ ઝુંબેશ બાળકોને પુસ્તકો મોટેથી વાંચી બતાવવાથી તેમનાં ઘડતરમાં થતા બહુ મોટા લાભ લોકોને સમજાવવા માટેની હતી. ટ્રિલીઝ મેસેચ્યુસેટસના ‘ધ સ્પ્રિન્ગફીલ્ડ’ અખબારમાં ફીચર લેખક અને સ્પોર્ટ્સ કાર્ટૂનિસ્ટ હતા. ઉપરાંત તે શનિવાર-રવિવારે કનેક્ટિકટ રિવર વૅલી વિસ્તારની શાળાઓમાં બાળકો સાથે સમય ગાળતા, જેમાં તે પત્રકારત્વની કારકિર્દી અને કાર્ટૂનિંગ ઉપરાંત બાળકોનાં પુસ્તકો વિશે વાતો કરતા. આ દરમિયાન તેમના ધ્યાનમાં આવતું ગયું કે અભ્યાસ માટેનાં અનિવાર્ય વાચન સિવાય બાળકો ફક્ત આનંદ માટે ભાગ્યે જ કંઈ વાંચે છે. ટ્રિલીઝના શબ્દોમાં કહીએ તો તેમને  એ જાણવા મળ્યું કે ‘દર ત્રણ બાળકે બે બાળકો કાં તો વાંચી શકતાં નથી, અથવા તો વાંચતાં નથી અથવા તો વાચન તેમને બિલકુલ ગમતું નથી’. તેમણે એ પણ નોંધ્યું કે ‘જે શાળાઓમાં બાળકોને પુસ્તકો મોટેથી વાંચી બતાવવામાં આવે છે ત્યાં વાતાવરણ સારું રહે છે, અને જે ઘરોમાં આ કરવામાં આવે છે ત્યાં પરિવાર જીવનની ગુણવત્તા વધુ સારી હોય છે.’ બાળકને પુસ્તક વાંચી બતાવવાનું કામ શાળામાં શિક્ષક અને ઘરમાં મા-બાપ ઉત્તમ રીતે કરી શકે. એટલે ટ્રિલીઝે આ બંને વર્ગો અને બાળકોને સાથે લઈને રીડ અલાઉડ અભિયાન હેઠળ વાચન-વાતચીત-ચર્ચાના કાર્યક્રમો કર્યા, જે અમેરિકામાં ઠીક લોકપ્રિય બન્યા. યુરોપમાં પોલૅન્ડે ટ્રિલીઝના મૉડેલને અપનાવીને ચલાવેલા ‘ઑલ પોલન્ડ રીડસ ટુ કિડસ’ અભિયાનમાં દેશના ત્રીજા ભાગના મા-બાપ જોડાયાં.

અભિયાનને આધારે ટ્રિલીઝે ‘ધ રીડ-અલાઉડ હૅન્ડબુક’ (1982) નામનું સવાબસો પાનાંનું પુસ્તક લખ્યું જે બેસ્ટસેલર બન્યું, અનેક ભાષાઓમાં પણ પહોંચ્યું. તે અત્યારે પણ સુલભ છે અને ટ્રિલીઝ બ્લૉગ પણ લખે છે.  પુસ્તકના મુખપૃષ્ઠ પર લખ્યું છે : ‘અ બુક ફૉર એવરિ પેરેન્ટ, ડિસ્કવર ધ જૉઇઝ ઑફ રીડિંગ અલાઉડ ટુ ચિલ્ડ્રન’, એટલે કે આ એવું પુસ્તક છે કે જેમાંથી દરેક મા-બાપને તેમનાં બાળકોને પુસ્તકો વાંચી સંભળાવવાનો આનંદ હાથ લાગે. વળી આ પુસ્તકમાં બાળકોને મોટેથી વાંચી સંભળાવવાં જેવાં ત્રણસોથી વધુ અંગ્રેજી પુસ્તકોની સૂચિ  પણ સમાવવામાં આવી છે. પુસ્તકની પ્રસ્તાવનમાં ટ્રિલીઝ કહે છે કે ‘ધિસ ઇઝ નૉટ બુક ઑન ટીચિંગ યૉર ચાઇલ્ડ હાઉ ટુ રીડ. ઇનસ્ટેડ ઇટ ઇઝ અ બુક ઑન ટીચીંગ યૉર ચાઇલ્ડ ટુ વૉન્ટ ટુ રીડ’. એટલે કે ‘તમારા બાળકને કેવી રીતે વાંચવું એ શીખવવા માટેનું આ પુસ્તક નથી, આ પુસ્તક બાળકને પુસ્તક વાંચવાની ઇચ્છા રાખતાં શીખવવા માટેનું પુસ્તક છે.’

પુસ્તકના પહેલા પ્રકરણ ‘વ્હાય રીડ અલાઉડ?’માં ટ્રિલીઝ શિક્ષણ તેમ જ કમ્યુિનકેશનનાં અનેક અહેવાલો અને અભ્યાસોને સરળ ભાષામાં રજૂ કરે છે. તે વાચકના ગળે ઊતારે છે અંગ્રેજ લેખક ગ્રેહામ ગ્રીને લખેલી વાત : ‘આપણા જીવન પર પુસ્તકોની કોઈ ઊંડી અસર પડતી હોય તો માત્ર બાળપણમાં’. પછીના પ્રકરણ ‘વ્હેન ટુ બિગિન રીડ અલાઉડ’ની શરૂઆતમાં જ ટ્રિલીઝ કહી દે છે : ‘તમે બાળક છ મહિનાનું થાય ત્યારથી એની સાથે વાંચવાનું ચોક્કસ ચાલુ કરી શકો.’ તે આગળ સમજાવે છે આ તબક્કે આપણને ‘અન્ડરસ્ટૅન્ડિન્ગ’ નહીં પણ ‘કન્ડિશનિંગ ધ ચાઇલ્ડ ટુ યૉર વૉઇસ અ‍ૅન્ડ ટુ બુક્સ’ એ બાબત અગત્યની છે. લેખક અમેરિકાની છોકરી કુશલા યોમનનો કિસ્સો વર્ણવે છે. તે ચાર મહિનાની હતી ત્યારે તેનાં મા-બાપે તેને પુસ્તકો વાંચી બતાવવાની શરૂઆત કરી. કુશલા નવ મહિનાની થઈ ત્યારે તો તે પોતાના મનગમતા પુસ્તક તરફ આંગળી ચીંધતી થઈ. પાંચ વર્ષે તે બધું જાતે વાંચતી થઈ. કુશલાના કિસ્સો વધુ નાટ્યાત્મક એટલા માટે છે કે તે રંગસૂત્રોની ખામી સાથે જન્મી હતી, જેને કારણે તેની બરોળ, મૂત્રપિંડ અને મોંના પોલાણમાં ખોડ આવી હતી. તે ત્રણ વર્ષની થઈ ત્યાં સુધી રાત્રે બે કલાકથી વધુ ઊંઘી શકતી નહીં અને હાથમાં કશું પકડી શકતી નહીં. ડૉક્ટરોએ તેને શારિરીક અને માનસિક રીતે વિકલાંગ જાહેર કરીને એવાં બાળકો માટેની સંસ્થામાં દાખલ કરવા જણાવ્યું. પણ કુશલાનો પુસ્તકો માટેનો લગાવ જાણતાં મા-બાપ ડૉક્ટરોનું ન માન્યાં. એને બદલે તેઓ દીકરીને વાંચી બતાવવાનો ‘ડોઝ’ ચૌદ પુસ્તકો પર લઈ ગયાં. કુશલા પાંચ વર્ષની થઈ ત્યારે તો મનોવૈજ્ઞાનિકોએ તેને સાધારણ બાળકો કરતાં વધુ બુદ્ધિશાળી બાળકી ગણાવી. આ કિસ્સો ટ્રિલીઝે ડોરોથી બટલરના સંશોધિત પુસ્તક ‘કુશલા એન્ડ હર બુક્સ’ પરથી ટાંક્યો છે. ચાર પ્રકરણોમાં ટ્રેલીઝ અનુક્રમે મોટેથી પુસ્તક વાંચી બતાવવાના તબક્કા, વાચનમાં શું કરવું અને ન કરવું તે,  સારા વાચનની પદ્ધતિ અને ઘરના પુસ્તક સંગ્રહ તેમ જાહેર ગ્રંથાલયો વિશે સમજાવે છે. ટ્રેલીઝ એક આખું પ્રકરણ ટેલિવિઝનથી થતા નુકસાન અને તેનાથી બાળકોની દૂર રાખી કિતાબોમાં મશગુલ કેવી રીતે રાખી શકાય તેના માટે ફાળવે છે,જે દરેક મા-બાપે વાંચવાં જેવું છે.

આપણે ત્યાં થોડાક અપવાદો બાદ કરતાં મોટાં ભાગનાં મા-બાપ સહિત ઘરનાં લોકો ટેલિવિઝન અને હવે મોબાઇલ કે વૉટસ અ‍ૅપમાંથી બહાર આવતાં નથી. ઘરમાં અખબારો, સામયિકો અને પુસ્તકો ભાગ્યે જ હોય છે. મોટેરાં જે કરે તે દરેક બાબતનું બાળક અનુકરણ કરે છે, તેની છાપ બાળકના માનસ પર અંકાય છે અને તે મુજબ તે ઘડાય છે. બાળકને ઘરમાં હંમેશાં કે વારંવાર વાંચતી વ્યક્તિ ભાગ્યે જ દેખાય છે. એટલે જેને જોઈને બાળકને વાંચવાંનું મન થાય તેવું તેની સામે કોઈ હોતું નથી. મોટેરાં પોતે વાંચતા રહે તો મોટે ભાગે બાળક પણ વાંચતું થાય છે. આવા વાંચતા વડીલો, ખાસ તો મા-બાપ બાળકો સાથે બેસીને વાર્તા-કવિતા સાથે મોટેથી સારી રીતે વાંચે તે બહુ જરૂરી છે.

અમદાવાદના ‘ઇસરો’ના એક મરાઠી વૈજ્ઞાનિકે તેમની દીકરીને ગુજરાતી માધ્યમમાં ભણાવી. તે દીકરી અત્યારે ચેન્નઈની ગણિત સંશોધનની સંસ્થામાં અધ્યાપક છે. એમની દીકરી મરાઠી કેવી રીતે શીખી ગઈ તેનું વર્ણન આ સ્નેહી કરે છે. દીકરી એકાદ વર્ષની હતી ત્યારથી એ અને એમનાં પત્ની દીકરી સાથે બાળકો માટેનાં જુદાં જુદાં સ્તરનાં પુસ્તકો વાંચતાં. વાર્તાની ચોપડીઓ તો ખરી જ મંગેશ પાંડગાવકર, જ્ઞાનપીઠ સન્માનિત કુસુમાગ્રજ ને વિંદા કરંદીકરની બાળકો માટેની કવિતાઓ પણ વાંચતાં. એક વખત એ દીકરીને દાદા-દાદી પાસે મૂકીને બહારગામ ગયાં હતાં. ત્યાં તેમને સાને ગુરુજીની અમર કથા ‘શ્યામચી આઈ’નું એક નાનકડું મરાઠી પુસ્તક મળ્યું. ઘરે આવીને તે પુસ્તક દીકરીને જોવા આપીને જમવાં ગયાં. ઓરડામાં પાછા આવીને જોયું તો દીકરી જાતે એ પુસ્તક મોટેથી ખુશીથી વાંચી રહી હતી. એને મા-બાપે ક્યારેય મરાઠી મૂળાક્ષરો કે એવું કશું કોઈ રીતે દેશીહિસાબ કે પાટી-પેન વડે શીખવ્યું જ ન હતું. માત્ર તેને બાજુમાં બેસાડીને પાનાં પર પંક્તિઓ નીચે આંગળી મૂકી-મૂકીને મીઠાશથી  પુસ્તકો વાંચ્યાં જ હતાં! 

++++++

19 એપ્રિલ 2017

[‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 21 અૅપ્રિલ 2017] 

Loading

નિંભર રાજકારણીઓ અને તેમની આજ્ઞાધારી પોલીસ નલિયા અને માંડવીનાં દુષ્કર્મો અંગે ન્યાય ક્યારે કરશે ?

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|29 April 2017

મહિલાઓ પરના અત્યાચારો અંગે તંત્ર લગભગ નિષ્ક્રિય જણાય છે…. 

કચ્છના નલિયામાં સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી એક હિંમતવાળી યુવા સર્વાઈવર ન્યાય માટે લડી રહી છે. ત્યાં તાજેતરમાં એક વ્યાપક સેક્સકાંડ ચાલી ચૂક્યું છે. એ બંને બાબતો હવે સાવ અજાણી નથી. ‘નલિયા ઘટના સાથે નિસબત ધરાવતો નાગરિક મંચ’ નામનું જૂથ યુવતીને ન્યાય મળે અને સેક્સકાંડના દુષ્કર્મીઓને સજા થાય તે માટે લડત ચલાવી રહ્યું છે. મંચને હમણાં બીજાં એક દુષ્કર્મની ઘટનામાં હસ્તક્ષેપ કરવાનો આવ્યો છે. એ ઘટના તે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના માંડવી ગામની. લોકોને ઓછી જાણકારી હોય તેવા આ બનાવ અંગે મંચની એક ટુકડીએ તાજેતરમાં માંડવીની મુલાકાત લીધી હતી. તેના અનુસંધાનમાં ગયા શનિવારે અમદાવાદમાં જાણીતી મહિલા સંસ્થા ‘અવાજ’ના સંકુલમાં સંમેલન યોજ્યું હતું. તેમાં માંડવીના મૃત પીડિતાનાં પરિવારજનો, રાજ્યભરની પંદરેક સંસ્થાના પ્રતિનિધિઓ તેમ જ અગ્રણી નાગરિકો જોડાયાં હતાં.

ભાવનગરથી આશરે સો કિલોમીટર પરના આઠ-દસ હજારની વસ્તીવાળા માંડવી ગામના પચાસેક વર્ષનાં ભાવનાબહેન ભગવાનભાઈ ખેનીનો, માથામાં ઇજા સાથેનો મૃતદેહ પહેલી ડિસેમ્બરે ગામની સીમમાંથી મળ્યો. તેમની પર સામૂહિક દુષ્કર્મ થયું હોવાનું પણ નોંધાયું. પંદરેક દિવસ સુધી કોઈ ધરપકડ ન થતાં લોકો તેમ જ પાટીદાર, દલિત, ઓ.બી.સી. અને અન્ય સંગઠનો ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓએ મૃત પીડિતાનાં પરિવારને મળ્યા બાદ પોતપોતાની રીતે ઉગ્ર વિરોધની શરૂઆત કરી. તેને પગલે શાસક પક્ષના અગ્રણીઓએ આ બનાવ અંગે નાર્કો ટેસ્ટ સહિતની જરૂરી કાર્યવાહી કરવાની બાંહેધરી આપી. એટલું જ નહીં તેમણે સહુ વિરોધીઓને પરિવાર વતી નિવેદનો આપવાં કે ઉપવાસ પર ન ઊતરવાની હાકલ પણ કરી ! દરમિયાન વિરોધીઓએ ત્રણ કથિત આરોપીનાં નામ પત્રકાર પરિષદમાં જાહેર કરીને સી.બી.આઈ.ને તપાસ સોંપવાની માંગણી કરી. સરકારે કેસની તપાસ ભાવનગર રેઇન્જ ઇન્સ્પેક્ટર જનરલને સોંપી અને એક શકમંદની ધરપકડ કરવામાં આવી.

ત્રણ મહિના પછી 28 માર્ચે આ બનાવના સાક્ષી પિસ્તાળીસ વર્ષના ધીરુભાઈ ગુજરાતીએ આપઘાત કર્યો. તેમના પત્નીએ કરેલી ફરિયાદ અનુસાર ધીરુભાઈને પોલીસ તપાસ માટે વારંવાર બોલાવતી અને ખૂબ મારતી. આ શારિરીક અને માનસિક ત્રાસથી તેમણે આપઘાત કર્યો. ભાવનગર પોલીસ સુપરિન્ટેન્ડન્ટના કહેવા મુજબ દુષ્કર્મ અને હત્યાના સાક્ષી ધીરુભાઈએ તેમનાં નિવેદન વારંવાર બદલ્યાં હતાં. તે માટે દબાણ આવતું હોવાની શક્યતા પણ તેમણે જણાવી. ધીરુભાઈના પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો ઇન્કાર કર્યો. પોલીસની ધરપકડ અને તપાસની બીજી એજન્સીને સોંપણી એવી માગણીઓ અંગે કલેક્ટરે ખાતરી આપ્યા પછી છ દિવસ બાદ પરિવારે નમતું જોખ્યું. દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં સુરતના વરાછા રોડ પરનું હીરા બજાર ચોથી એપ્રિલે બંધ રહ્યું. એ જ દિવસે ધીરુભાઈના આપઘાત માટે જવાબદાર ગણીને એક પોલીસ કર્મચારીની ધરપકડ પણ કરવામાં આવી.

માંડવી બનાવની તપાસ માટે છેક એકત્રીમી માર્ચ અને સોળમી એપ્રિલે જવા માટે અંગે મંચના આગેવાન અને સંમેલનના સંચાલક મીનાક્ષીબહેન જોષીએ દિલગીરી વ્યક્ત કરી. અલબત્ત, સોળમી ફેબ્રુઆરીએ રચાયેલો આ મંચ એ નિસબત ધરાવતાં લોકોનું કદાચ એકમાત્ર જૂથ છે કે જે ઇન્સાની  સરોકારથી યૌન અત્યાચારની તપાસને ધક્કો મારતું રહ્યું હોય. મંચ સર્વાઈવર્સની મુલાકાતો, પોલીસ અને સરકાર સામે રજૂઆતો, દેખાવો, સભાઓ કરતો રહે છે. કોઈ રાજકીય પક્ષ, વગદાર જૂથ, ઉદ્યોગ સમૂહ, સમૃદ્ધ એન.જી.ઓ.નો ટેકો ન લેનાર મંચના સંસાધનો અને પહોંચ ઓછાં છે. સમય આપનાર કાર્યકર્તાઓ તેમ જ વકીલોની જરૂર સતત રહે છે. સભાઓ માટેની મંજૂરી, સ્થળ ,વક્તાઓ, દસ્તાવેજોની નકલો, પત્રિકાઓની છપામણી, તપાસ મુલાકાતો માટેનાં વાહનો સુધીની અનેક બાબતોમાં ઘણી મુશ્કેલી પડે છે. પોલીસ અને સરકારી અધિકારીઓનું વર્તન એકંદરે જડ, તોછડું અને ચૂપકીદીભર્યું હોય છે.

આવા અવરોધો વચ્ચે પણ મંચે માંડવી ઘટનાની તપાસ કરી. તેમાં જોડાયેલાં ‘ગણતર’ના નિરુપમાબહેને જણાવ્યું કે પોલીસે ગામને પાદર બનાવેલી ચોકીમાં અત્યાર સુધી 170 લોકોની પૂછપરછ કરી છે. પણ ભાવનાબહેન અને ધીરુભાઈ બંનેના અપમૃત્યુની એફ.આર.આઈ.માં જે કુલ સાત નામ છે તેમાંથી કોઈ પૂછપરછ કરી નથી. જે એકમાત્ર વ્યક્તિની ધરપકડ કરી છે તે નિર્દોષ હોવાની સંભાવના છે. ભાવનાબહેન પરનાં દુષ્કૃત્ય પહેલાં અહીં આઠ-દસ કિસ્સા બની ચૂક્યા છે. ઑલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃિતક સંગઠનના રિમ્મીએ જણાવ્યું કે નલિયાની જેમ અહીં પણ પોલીસ અમારા વાહનોનો પીછો કરતી રહી હતી. ભાવનાબહેનાનાં પરિવારના તુલસીભાઈએ જણાવ્યું કે પોલીસ પાસે તપાસ અંગે માહિતી પૂછવા જઈએ ત્યારે તે કહે છે કે ‘તમને આ ઉઘરાણી સિવાય કશું આવડતું નથી’. ધીરુભાઈના ભાઈ વલ્લભભાઈએ કહ્યું, ‘મારા ભાઈને પોલીસ અવારનવાર લઈ જતી અને મારપીટ કરતી. કોઈ આરોપી પકડાય નહીં, આખા ઘરને ખોટા ખોટા હેરાન કરે. ભાઈને દિવસે પોલીસવાળા લઈ જાય અને રાતે ગામવાળા લઈ જાય, બંને બોલવા માટે દબાણ કરે.’

ભાવનગરના નીતિન ઘેલાણીએ માંડવીમાં કેટલાંક આસામાજિક તત્વોના ત્રાસથી અનેક સાધનસંપન્ન કુટુંબોએ પણ સૂરત હિજરત કરી હોવાનું જણાવ્યું. ભાવનગરના વરિષ્ઠ નાગરિક અને પૂર્વ અધ્યાપક દમયંતીબહેન મોદીએ જણાવ્યું કે જેલમાં પૂરવામાં આવેલ આરોપી, કથિત આરોપીના પરિવાર, ગામ લોકોની મુલાકાતમાંથી કશું જાણવાના પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. વળી તેમણે શહેરના કેટલાક વિસ્તારમાં મહિલાઓની વારંવાર થતી જાતીય સતામણીના અત્યારના તેમ જ ભૂતકાળના કિસ્સાની વાત કરી. કચ્છ મહિલા વિકાસ સંગઠનનાં મીનાક્ષીબહેને તેમની સંસ્થાએ નલિયા અંગે જે તપાસ કરી તેની ટૂંકી માહિતી આપી. એ દુષ્કર્મ સામે મંચે ચલાવેલી ઝુંબેશમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર નિલપરના ગ્રામ સ્વરાજ સંઘના પ્રતિનિધી દિનેશભાઈ સંઘવીએ ‘રાજ્યના વેચાઈ ગયેલા તપાસ તંત્ર’ પર પસ્તાળ પાડી અને નલિયાની સર્વાઇવર તેમ જ તેના જીવનસાથીને  બિરદાવ્યાં. તદુપરાંત નલિયાકાંડ અંગે લાખો રૂપિયાની અખબારી જાહેરખબરો આપી તપાસ અને ન્યાય પ્રક્રિયાને અસર પાડવાની કોશિશ કરતાં ‘કચ્છ લડાયક મંચ’ સામે  તેમણે પણ મીનાક્ષીબહેનની જેમ લાલબત્તી ધરી.  

નલિયા અંગે જાગેલ લોકમતને કારણે સોળમી માર્ચે રાજ્ય સરકારે વિધાનસભામાં તપાસપંચની જાહેરાત કરી હતી. મંચના જણાવ્યા મુજબ આ પંચનું જાહેરનામું ક્યાં ય ઉપલ્બ્ધ નથી. સરકારે એની વ્યાપક પ્રસિદ્ધિ કરી નથી, તેની કોઈ કાર્યવાહી નજરે પડી નથી. એટલે સરકારે એમાં કાર્યાન્વિત થવું જોઈએ, અથવા ‘આ પંચનું – ન્યાયનું ફારસ બંધ કરી દેવું જોઈએ’ એવું મંચ માને છે. નલિયાની એક ફરિયાદી પીડિતા ઉપરાંત પાંત્રીસ બહેનોનાં પાંસઠ પુરુષોએ કરેલા જાતીય શોષણના પુરાવા તરીકે વિપક્ષના નેતા તથા નાયબ મુખ્યમંત્રી પાસેથી સી.ડી. તાત્કાલિક ધોરણે મગાવી લેવામાં આવે એવી માગણી પણ મંચે કરી છે. 

એમ પણ માનવામાં આવે છે કે નલિયા અને માંડવી બંનેમાં થયેલા મહિલાઓ પરના અત્યાચારની તપાસ પ્રક્રિયા કોમો અને પક્ષોનાં બહુ નિંભર રાજકારણમાં અટવાઈ છે. તાજેતરમાં ગુજરાતના સર્વોચ્ચ પોલીસ અધિકારી એક મહિલા બન્યાં છે ત્યારે પૂછવાનું થાય : ‘હર બાર કિસી ભી હાલાત મેં / ઔરત હી બેઇજ્જત ક્યું ?’  

+++++++

27 એપ્રિલ 2017

[‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 28 અૅપ્રિલ 2017] 

Loading

પ્રજ્ઞા સિંહો છટકી જાય એનો વાંધો નથી, ન્યાયવ્યવસ્થા ડૂબી રહી છે એની ચિંતા છે

રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|28 April 2017

વરસોનાં વરસ આ રીતે વીતે છે. નિર્દોષ સબડે છે, ગુનેગાર છટકી જાય છે અને શાસકોના પેટનું પાણી પણ નથી હલતું. કારણ બહુ સ્પષ્ટ છે, તૂટી પડેલી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ તેમને અનુકૂળ આવે છે. ન્યુ ઇન્ડિયાની વાતો કરનારાઓને કહેવું જોઈએ કે ન્યુ ઇન્ડિયાનો માર્ગ અહીંથી શરૂ થાય છે

મુંબઈની વડી અદાલતે માલેગાંવ બૉમ્બ-બ્લાસ્ટ કેસનાં આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને જામીન પર છોડવાનો હુકમ આપ્યો છે. ૨૦૦૮ની ૨૯ સપ્ટેમ્બરે માલેગાંવમાં બૉમ્બ-વિસ્ફોટ થયા હતા જેમાં છ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને સો જેટલા લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટ કબ્રસ્તાનની બહાર થયા હતા અને માર્યા ગયેલાઓ અને ઘાયલ થયેલાઓ બધા જ મુસલમાન હતા. શરૂઆતની તપાસ પછી પોલીસને હિન્દુ ઉગ્રવાદી જૂથનો હાથ હોવાની શંકા ગઈ હતી. એ પછી ઑક્ટોબર-નવેમ્બરમાં પ્રજ્ઞા સિંહ ઠાકુર, સ્વામી અસીમાનંદ, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, શિવનારાયણ કલસાગરા વગેરેની ધરપકડ કરવામાં આવી હતી. એ પહેલાં શંકાના આધારે કેટલાક મુસલમાન શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી જેમનો નિર્દોષ છુટકારો હજી હમણાં વરસ પહેલા થયો હતો.

પ્રજ્ઞા સિંહ ઠાકુર અને બીજા આરોપીઓ આઠ વરસથી જેલમાં હતા. આઠ વરસે હજી એ ઠરાવવાનું બાકી છે કે તેમની સામે પ્રથમદર્શી પુરાવાઓ છે કે નહીં. આરોપનામું તો હજી બહુ દૂરની વાત છે. ૨૦૦૮માં ATSએ આરોપીઓ સામે મોકા અંતર્ગત કેસ દાખલ કર્યો હતો. ૨૦૦૮ની ૨૦ જાન્યુઆરીએ ATSએ આરોપીઓ સામે પહેલું આરોપનામું દાખલ કર્યું હતું. ૨૦૧૧ના એપ્રિલ મહિનામાં આ કેસ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)ને સોંપવામાં આવ્યો હતો. ૨૦૦૯થી ૨૦૧૧ દરમ્યાન ATSએ ગોકળગાયની ઝડપે તપાસ આગળ વધારી હતી. ૨૦૧૧થી ૨૦૧૬ સુધી NIAએ એ જ ઝડપે તપાસ આગળ વધારી હતી.

૨૦૧૪માં કેન્દ્રમાં અને મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ હતી અને ૨૦૧૬માં NIAએ પ્રજ્ઞા સિંહ ઠાકુર અને બીજા પાંચ આરોપીઓ સામેના મોકા ધારા અંતર્ગત મૂકવામાં આવેલા આરોપો પડતા મૂક્યા હતા. આરોપ જ પડતા મૂકવામાં આવ્યા ત્યાં બીજું કે અંતિમ આરોપનામું દાખલ થવાનો તો સવાલ જ નથી. ગઈ ૧૧ નવેમ્બરે NIAએ અદાલતને જણાવ્યું હતું કે પ્રજ્ઞા સિંહ ઠાકુરને જામીન આપવામાં આવે એની સામે એજન્સીને વાંધો નથી. ૨૫ એપ્રિલે વડી અદાલતે જામીન આપ્યા હતા. લેફ્ટનન્ટ કર્નલ પુરોહિતને જામીન આપવામાં નથી આવ્યા, કારણ કે NIAએ એની સામે વાંધો લીધો છે. પુરોહિત લશ્કરમાં હતો અને લશ્કરમાં શીખવાડવામાં આવતી ટેક્નૉલૉજીનો તેણે દુરુપયોગ કર્યો હતો એ જામીનનો વિરોધ કરવાનો અને જામીન નહીં આપવાનું મુખ્ય કારણ છે. દરમ્યાન ૮ માર્ચે જયપુરની NIAએ અદાલતે ગુજરાતમાં ડાંગમાં આશ્રમ ધરાવતા સ્વામી અસીમાનંદને તમામ આરોપોમાંથી મુક્તિ આપી હતી.

આમ બનવાનું જ હતું અને એના આસાર કેન્દ્રમાં અને મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ એ સાથે જ મળવા લાગ્યા હતા. સવાલ એ નથી. સવાલ એ છે કે ૨૦૦૮થી ૨૦૧૪ સુધી કેન્દ્ર અને રાજ્યમાંની કૉન્ગ્રેસની સરકાર શું કરતી હતી? શા માટે ઝડપથી તપાસ આગળ નહોતી વધતી અને શા માટે અંતિમ આરોપનામાં નહોતાં ઘડાયાં? આનો અર્થ એવો નથી કે કૉન્ગ્રેસની સરકાર પણ આરોપીઓને છાવરતી હતી. આનો અર્થ એ થાય છે કે આપણે ત્યાં ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ પડી ભાંગી છે. સરકાર દખલગીરી ન કરે તો પણ એક-એક દાયકા સુધી તપાસ પૂરી નથી થતી, આરોપનામું અને ખટલો તો બહુ દૂરની વાત છે. પ્રજ્ઞા સિંહ ઠાકુર અને બીજા પાંચ જણ સામે કોઈ આરોપ નથી તો શા માટે તેમને આઠ વરસથી વધુ સમય માટે જેલમાં ગોંધી રાખવામાં આવ્યાં? ૨૦૧૩થી આસારામ જેલમાં છે. આવતા સપ્ટેમ્બરમાં ચાર વરસ પૂરાં થશે, પરંતુ તેની સામેની તપાસ પૂરી થશે એની કોઈ ખાતરી નથી. તે જો નિર્દોષ સાબિત થશે તો તેનાં વેડફાયેલાં વર્ષો અને બદનામી માટે જવાબદાર કોણ?

આરોપી જો ગુનેગાર છે તો તેને કાયદેસર સજા નથી થતી અને આરોપી જો નિર્દોષ છે તો તેનો સમયસર છુટકારો નથી થતો. વરસોના વરસ આ રીતે વીતે છે. નિર્દોષ સબડે છે, ગુનેગાર છટકી જાય છે અને શાસકોના પેટનું પાણી પણ નથી હલતું. કારણ બહુ સ્પષ્ટ છે. તૂટી પડેલી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ તેમને અનુકૂળ આવે છે. ન્યુ ઇન્ડિયાની વાતો કરનારાઓને કહેવું જોઈએ કે ન્યુ ઈન્ડિયાનો માર્ગ અહીંથી શરૂ થાય છે. જે દેશમાં કાયદો વાંઝિયો હોય અથવા પસંદગીના ધોરણે કાયદો સક્ષમ કે વાંઝિયો હોય તેમ જ જે દેશમાં ન્યાયતંત્ર ન્યાય ન આપી શકતું હોય એ દેશ નૂતન અવતાર ધારણ ન કરી શકે. ન્યુ ઇન્ડિયાનાં સપનાં જોઈને રાચનારાઓને આ સત્ય જણાવવું જોઈએ.

સ્વામી અસીમાનંદને જયપુરની અદાલતે મુક્તિ આપી એના અાગલા દિવસે મહારાષ્ટ્રની ગડચિરોલીની સેશન્સ કોર્ટે દિલ્હી યુનિવર્સિટીના પ્રાધ્યાપક જી. એન. સાઈબાબાને ૧૦ વરસની આકરી કેદની સજા કરી હતી. તેમનો ગુનો એ હતો કે તેમના ઘરમાંથી નક્સલવાદી સાહિત્ય મળી આવ્યું હતું અને પોલીસે એનો અર્થ એવો કર્યો હતો કે તે નક્સલવાદી છે. આ સિવાયનો એક પણ સંગીન આરોપ અને સંગીન પુરાવો પોલીસ પાસે નહોતો. એક બાજુ સંગીન ગુનાનો આરોપ ધરાવનારાઓનો છુટકારો થાય અને બીજી બાજુ હાસ્યાસ્પદ આરોપ ધરાવનારાઓને થોડીઘણી નહીં, દસ વરસની સજા થાય એવી આપણી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ છે. સાઈબાબાની ધરપકડ ૨૦૧૪ના એપ્રિલ મહિનામાં કરવામાં આવી હતી જ્યારે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી હતી અને મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસની સરકાર હતી. આશ્ચર્ય થશે, માત્ર ત્રણ વરસમાં સાઈબાબાનો ખટલો ચાલીને સજા પણ થઈ ગઈ છે. કારણ બહુ સ્પષ્ટ છે. એક બાજુ રાજકીય દરમ્યાનગીરી નહોતી અને બીજી બાજુ જજસાહેબે દિમાગ વાપરવાનું નહોતું કે ઘરમાં કોઈ વિચારધારાનું સાહિત્ય રાખવું કે વાંચવું એ ગુનો નથી. મારી પાસે નક્સલવાદી સાહિત્ય છે.

પ્રજ્ઞા સિંહો છટકી જાય એનો વાંધો નથી, ન્યાયવ્યવસ્થા ડૂબી રહી છે એની ચિંતા છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 28 અૅપ્રિલ 2017

Loading

...102030...3,3933,3943,3953,396...3,4003,4103,420...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved