Opinion Magazine
Number of visits: 9584357
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Air India Sale

'Surendra'|Opinion - Cartoon|7 June 2017

courtesy : "The Hindu", 07 June 2017

Loading

બે મહત્ત્વનાં લેસન, ખાસ વડીલો માટે

તરુ કજારિયા|Opinion - Opinion|6 June 2017

વડીલોની લાચાર સ્થિતિના હૃદયદ્રાવક કિસ્સાઓથી અખબાર ભરાયેલું છે, ત્યારે પોતાની હયાતીમાં પુત્રના નામે સંપત્તિ અને ઘરબાર ન કરવાં તથા પોતાની ક્ષમતા અને શક્તિ પણ સાચવીને રાખવી એ વાત હજી પણ સમજી લો તો પાછલી જિંદગી સારી જશે

ગયા અઠવાડિયે અખબારોમાં સિનિયર સિટિઝન્સ એટલે કે વડીલોની લાચાર સ્થિતિના કેટલા બધા કિસ્સાઓ એક જ સપ્તાહમાં જોવા-વાંચવા મળ્યા. હૉસ્પિટલમાં દીકરા-દીકરીની રાહ જોતી મા, બીજા એક કિસ્સામાં વષોર્થી વૃદ્ધાશ્રમમાં રહેતાં એક ગુજરાતી સિનિયર સિટિઝન માના પણ એ જ હાલ છે તો ત્રીજા એક કિસ્સામાં મહારાષ્ટ્રના એક નાનકડા ગામના ત્રણ-ત્રણ દીકરાઓનાં મા-બાપ વૃદ્ધાવસ્થામાં અને બીમાર હોવા છતાં મજૂરી કરીને અને ભીખ માગીને પેટ ભરે છે.

એક સ્ત્રીને તેનો પુત્ર ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ લઈ આવ્યો અને હૉસ્પિટલમાં જમા કરાવવા માટેના રૂપિયા ATMમાંથી કઢાવવા જાઉં છું કહીને ગયો તે ગયો. પછી દેખાયો જ નથી. એ મા અને હૉસ્પિટલ પણ એ ભાગેડુ દીકરાની રાહ જોઈ રહી છે! દરમ્યાન માની આંખો વારંવાર ભીની થઈ જાય છે. તે દીકરાના નામની માળા જપ્યા કરે છે. એ સ્ત્રીએ કહ્યું કે દીકરો તેને ત્રણ-ચાર દિવસે એક વાર જમવા આપતો હતો. જે દીકરા માટે મા પોતાનું ઘર વેચીને તેની સાથે ભાડાના ઘરમાં રહેવા આવી હતી એ ઘર પણ દીકરાએ ખાલી કરી નાખ્યું છે તેમ ત્યાંના પાડોશીઓ પાસેથી જાણવા મળ્યું છે.

આ સ્ત્રીએ એક જમાનામાં ‘પાકિઝા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેના સમાચાર વાંચીને ફિલ્મ બિરાદરીના બે સજ્જનો હૉસ્પિટલમાં પહોંચી ગયા અને તેનું બિલ ભરી દીધું. કોઈ ઓલ્ડ એજ હોમમાં તેની રહેવાની વ્યવસ્થા કરવા માટે તેઓ પ્રયત્નો કરી રહ્યા છે.

એક અન્ય કિસ્સામાં કર્જતના એક વૃદ્ધાશ્રમમાં બાર-બાર વર્ષથી રહેતાં બ્યાંસી વર્ષનાં એક ગુજરાતી મહિલા પણ દીકરાની રાહ જુએ છે. જિંદગીની સાંજ ઢળી ગઈ છે, પછી આ અંતિમ દિવસો પોતાના દીકરા સાથે ગાળવાની તેમને ઝંખના છે. પરંતુ દીકરાનો સંપર્ક નથી થઈ શકતો! પતિના અવસાન બાદ દીકરાનાં ઊજળાં ભવિષ્ય માટે આ માએ કેટલા ય ઢસરડા કર્યા, નોકરી કરી, પારકાં કામ કર્યાં અને દીકરો પ્રેમલગ્ન કરીને ઠરીઠામ થયો એમ લાગ્યું; પરંતુ એ તો આ કમનસીબ સ્ત્રીનો ભ્રમ હતો. ગૃહકંકાસ, બીમારી જેવી બીજી અનેક દુ:ખદ ઘટનાઓએ તેમનો પીછો ન છોડ્યો. છેલ્લાં વીસ વર્ષથી દીકરાના ઘર અને જીવન બન્નેમાંથી બહાર થઈ ગયેલાં આ વૃદ્ધાને હજી પણ દીકરા પ્રત્યેની મમતા વળગેલી છે. તેઓ કહે છે દીકરાનું મોઢું જોઈને ભલે મોત આવે!

આ માને મળવા તેનો દીકરો તો નથી આવ્યો, પણ કેટલાક સજ્જન અને સહૃદય ગુજરાતી વેપારીઓ આ માના દીકરા બનીને ભેટસોગાદ લઈને તેમને મળવા પહોંચી ગયા ત્યારે એ વૃદ્ધાના ચહેરા પર સંતોષનું સ્મિત જરૂર ફરક્યું હતું.

ત્રીજો કિસ્સો જે મા-બાપનો છે તેમને તો ત્રણ-ત્રણ દીકરાઓ છે. મહારાષ્ટ્રના શિરુર જિલ્લાના કર્ડે ગામના આ ખેડૂત પિતા પાસે એક જમાનામાં ઓગણીસ એકર જમીન હતી. પરંતુ ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં પિતાએ એ જમીન પોતાના ત્રણેય દીકરાઓમાં સરખે ભાગે વહેંચી દીધી અને એ માટેની કાનૂની પ્રક્રિયા શરૂ કરી. ત્યારે દીકરાઓ પાસેથી વચન મળેલું કે અમે તમને દર મહિને પાંચ-પાંચ હજાર રૂપિયા આપીશું. અને બે મહિના સુધી એ રકમ પિતાને મળી પણ ખરી, પરંતુ જેવી જગ્યા કાયદેસર રીતે તેમના નામ પર થઈ ગઈ કે પિતાને રૂપિયા મળતા બંધ થઈ ગયા! ટીબીનો દરદી બાપ દીકરાઓના ઘરે ગયો તો આભો જ બની ગયો! જમીન મળ્યા પહેલાં મીઠું-મીઠું બોલનાર દીકરાઓનાં વાણી અને વર્તન બે ય તદ્દન બદલાઈ ગયાં હતાં. બાપને એકના ઘરેથી બીજાના ઘરે ધક્કા ખવડાવ્યા, પણ રૂપિયા ન આપ્યા. પરિણામે એ ઓગણીસ એકર જમીનનો મૂળ માલિક આજે દાડિયા મજૂરી કરીને પોતાનું અને પત્નીનું પેટ ભરે છે અને કામ ન મળે એ દિવસે મંદિરની બહાર બેસીને ભીખ માગીને પૂરું કરે છે.

આ વૃદ્ધ દંપતીને પોતાની સાથે થયેલી છેતરપિંડીનો ખ્યાલ આવતાં તેમણે અદાલતમાં દીકરાઓ સામે ભરણપોષણ માટે અપીલ કરી છે. આ કેવી વિડંબના છે, દાતા (દેનાર) ખુદ માગનાર બની ગયો છે! આજે આપણા સમાજમાં અનેક વડીલોની આવી લાચાર સ્થિતિ છે. લાગણીમાં તણાઈ જઈને સંતાનો માટે ઓવરડુઇંગ કરી નાખે છે અને પછી પોતાને માટે હાથમાં કટોરો લઈ માગવાનો સમય આવે છે. મને થાય છે કે વડીલો ક્યાં સુધી આવી મૂર્ખાઈ કરતા રહેશે? વર્ષોથી દરેક મીડિયા પર આવા કિસ્સાઓ વાંચતા-સાંભળતા અને જોતા આવ્યા છીએ. એવા દરેક કિસ્સાને અંતે એક વણમાગી સલાહ અપાઈ હોય છે, જેનો એક જ સૂર હોય છે : વડીલો પોતાના જીવતેજીવ પોતાની મૂડી પોતાની પાસે જ રાખે. જે કંઈ સંતાનોને આપવાનું હોય એ પોતાના મરણ પછી જ મળે એવી પાકી સૂચના અને વ્યવસ્થા કરે એટલું જ નહીં, સમાજમાંથી કે પરિચિત વર્તુળમાંથી પણ આ અગમચેતી અવારનવાર ઊઠતી જ રહે છે. એમ છતાં વડીલો લાગણીમાં અને સંતાનમોહમાં કે સંતાનો પરના ભરોસામાં ખેંચાઈને પોતાની જિંદગીભરની મૂડી તેમના હવાલે કરી દે છે ત્યારે હકીકતમાં તેઓ પોતાની બાકી બચેલી જિંદગીને દાવ પર લગાવી દે છે.

માત્ર ભૌતિક સંપત્તિની જ આ વાત નથી, શારીરિક અને માનસિક શક્તિને પણ આ વાત લાગુ પડે છે. કેટલાં ય મા-બાપ સંતાનોના ભણવા માટે, તેમને પરદેશ મોકલવા માટે કે તેમને સેટલ કરવા માટે પોતાની વધતી ઉંમર કે ઘટતી શક્તિની ઉપેક્ષા કરીને પણ જાત ઘસતા રહે છે. તેમના મનમાં એક જ ઉમ્મીદ હોય છે : છોકરાઓ ભણીગણીને સેટ થઈ જાય ત્યાં સુધીની જ તકલીફ છે. એક વાર એ લોકો સેટલ થઈ જાય એટલે આપણે નિરાંતે આરામથી રહીશું. પરંતુ આવી નિરાંત અને આરામ ભોગવવાનું કેટલાં મા-બાપોના  નસીબમાં હોય છે? બહુ થોડાં. તો લેસન નંબર ટૂ : મા-બાપ પોતાની શક્તિ અને ક્ષમતા પોતાના જીવનની સમી સાંજ માટે બચાવીને રાખે. એ વખતે એનર્જી લેવલ ડાઉન હશે. ત્યારે આ સાચવેલી શક્તિ અને ક્ષમતા કામ લાગશે અને પોતાની બચત પર નિર્ભર હશે એ મા-બાપ વૃદ્ધાવસ્થામાં ખુમારીભેર રહી શકશે. સંતાનો પર પ્રેમ હોય, તેમના માટે ઘણુંબધું કરવાનું મન થાય – એવી બધી વાતો બરાબર છે, પણ એ જ સંતાનોને છેક સુધી એવાં અડોરેબલ રહેવા દેવાં હોય તો ઉપર કહી એવી સ્વ-સંભાળ અને સ્વ-સાવચેતી અનિવાર્ય છે. સરવાળે એ સૌના સુખની ચાવી છે.

સૌજન્ય : ‘સોશ્યલ સાયન્સ’ નામક લેખિકાની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 06 જૂન 2017

Loading

પ્રોફેસી – એક મજેદાર, રોચક નવલકથા

મહેન્દ્ર દેસાઈ|Opinion - Opinion|6 June 2017

‘પ્રોફેસી’ એટલે ભવિષ્યવાણી, અને ભવિષ્યવાણીનું નામ સાંભળતાં પંચમ શુકલએ તાજેતરમાં ફેઇસબુક પર મોકલેલી ચંદ્રવદન મહેતાની જૂની કવિતાની એક પંક્તિ યાદ આવી ગઈ : “કાલે રજા છે ગઈ છુ હું થાકી, વાંચીશ વ્હેલા સહુ પાઠ બાકી તારી હથેળી અહીં લાવ ભાઈ, સાચું હું આજે તુ જ ભાગ્ય વાંચું”.

આવું હેતાળુ, મમતાળું ભાવિકથન આ પુસ્તકમાં નથી, અને ન હોઈ શકે એનું કારણ છે. પૂર્વમાં અને પશ્ચિમમાં, ખાસ કરીને ભારતમાં અને ઇંગ્લેન્ડમાં ભાવિકથન અલગ અલગ રીતે વિકસ્યું છે. ભારતમાં હસ્તરેખા જોઈને કે જન્માક્ષર કે ગ્રહો જોઈને ભાવિકથન કરવાનું મુખ્યત્વે બ્રાહ્મણવર્ગનું કાર્ય રહ્યું છે, જેઓ પુરસ્કારરૂપે યજમાનો પાસેથી દક્ષિણા મેળવતા હોય છે. એટલે યજમાનોને ખુશ કરીને સારી દક્ષિણા મેળવવા સારુ ભાવિકથન કરવાની રીત પ્રચલિત બની. “માજી તમારા પૌત્રના ગ્રહો સારા છે. બહુ ભણશે અને ગાડી-વાડી ભોગવશે.” આ સાંભળી માજી ખુશ થાય અને વહુને ભાર દઈને કહે કે, “મહારાજને દાન-લોટ અને દક્ષિણામાં બે રૂપિયા ઉપરથી આપજો.” આમ મહારાજ ખુશ અને યજમાન પણ ખુશ. જ્યારે પશ્ચિમમાં બ્રાહ્મણો નહિ હોવાથી ભાવિકથનની રીત જરા જુદી રીતે વિકસી, અહીં પોતાની વાત સાંભળવા માટે ઊંચે અવાજે બોલવાનું, લાકડી પછાડીને સામાને ડરાવવાનું, કાચના ગોળામાં જોઈને, ભૂત-પ્રેતની વાણી સાંભળીને, ભેદી અવાજે બોલવાનું. ચેતાવણી આપવાની અને આપત્તિજનક ભાવિકથન કરવાનું. – આવી આપણા ગોરમહારાજથી વિપરીત રીત વિકસી છે.

આ પુસ્તકમાંની ભવિષ્યવાણી કેવી હશે એનો આછેરો ખ્યાલ મેળવવા માટે આપણે ચારસો – સવા ચારસો વરસ પહેલાંના ઇંગ્લેન્ડના ઇતિહાસના સમયમાં જવું પડશે. થોડીક રૂપરેખા આપું એ સમયના માહોલની. 1583ની સાલનો સમય છે. હજુ સૂર્ય-ચંદ્ર, ગ્રહો અને તારાઓ બધા જ પૃથ્વીની આસપાસ ઘૂમે છે. પૃથ્વીનું કેન્દ્રબિંદુ એ રોમ શહેર છે અને એના મધ્યસ્થાન પર કેથોલિક ધર્મનું મુખ્ય સ્થાન વેટીકન આવેલું છે. એ વેટીકનનો અધિપતિ છે પોપ. એટલે સમગ્ર વિશ્વનો અત્યાધિપતિ હોવાનો દાવો એ પોપનો છે. યુરોપના અનેક શક્તિશાળી રાજાઓ આ પોપને નમતા હોય છે, અને એની કૃપાદૃષ્ટિ મેળવી તે રાજાઓ પોતાની સત્તા વધારવા પ્રયત્નશીલ રહેતા હોય છે. રોમની કેથોલિકની આમ સમગ્ર યુરોપમાં એકચક્રી ધર્મ સત્તા રહેલી છે. એ સત્તાનો લાભ લઈને એના અનુચરો–સુચરો-દુરાચરો સમાજ પોતપોતાની વગ વધારવા પોતાની પ્રતિભા ઉપજાવવા કે પછી, સામાને ડરાવી – ધમકાવીને પોતાનો લાભ મેળવવા સુ-આચાર કે પછી અત્યાચાર ગુજારતા હોય છે. એટલે સ્વાભાવિક છે કે પ્રજામાં અસંતોષ જાગે અને તેથી કરીને બીજો અલગ ધર્મ વિચાર સમાજમાં પ્રગટે. આમ પ્રોટેસ્ટન્ટ ધર્મ અસ્તિત્વમાં આવ્યો અને ધીરે ધીરે પ્રસરતો ગયો અને યુરોપમાં ધર્મ સંઘર્ષ ઊભો થયો. ઇંગ્લેન્ડમાં પણ એ જ પરિસ્થિતિ હતી.

હવે રાજકીય પરિસ્થિતિ જાણવા માટે આપણે થોડાંક વર્ષ પાછળ જઈએ. ઇંગ્લેન્ડમાં રાજા હેન્રી આઠમાનું રાજ્ય છે. હેન્રી આઠમો એટલે રંગીલો રાજા. લગ્ને લગ્ને કુંવારો. છ વાર લગ્ન કર્યાં, પહેલી રાણીએ પુત્રીને જન્મ આપ્યો, તેનું નામ મૅરી. જે આપણી વાર્તાની ખલનાયિકા મેરી સ્ટુઅર્ટ. પહેલી રાણીને છૂટાછેડા આપ્યા, અને બીજીવાર અને ત્રીજીવાર લગ્ન કર્યાં પણ રાજ્યના ધર્મ સ્થાને બેઠેલા રોમન કેથોલિકના ધર્મગુરુએ એ લગ્નને માન્યતા આપવા ઇન્કાર કર્યો એટલે રાજાએ ધર્મ પરિવર્તન કરીને પ્રોટેસ્ટન્ટ ધર્મ અપનાવ્યો. ત્રીજી રાણીથી જન્મેલી પુત્રી, એનું નામ એલિઝાબેથ જે આપણી વાર્તાની મુખ્ય રાણી. રાજા હેન્રી એ નવી રાણી લાવવા જૂની રાણીને છૂટાછેડા આપીને, કે પછી એનો ત્યાગ કરીને કે પછી બેવફાઈનો આરોપ મૂકીને શીરચ્છેદ કર્યો. ત્રીજી રાણી જે એલિઝાબેથની માતા છે તેના પર આરોપ મૂકીને શીરચ્છેદ કર્યો ત્યારે કુંવરી બે વરસની હતી પણ રાજાને એના પ્રત્યે મમતા હતી, તે મોટી થઈ એની બુદ્ધિ પ્રતિભાથી ખેંચાઈને રાજાએ એની ઉછેરવાની અને ભણાવવાની ખાસ અલગ વ્યવસ્થા કરી હતી. રાજાના મૃત્યુબાદ રાજ્યની ઉમરાવ સમિતિ “પ્રીવી કાઉન્સિલે” કુંવરી એલિઝાબેથ પર પસંદગી ઉતારી અને આમ એલિઝાબેથ ઇંગ્લેન્ડની રાણી બની.

રાજાની પહેલી રાણીથી જન્મેલી મેરી સ્ટુઅર્ટ ને સ્કોટલેન્ડની ગાદી મળી હતી પણ તેને ઇંગ્લેન્ડની ગાદી પર પોતાનો હક છે અને તેથી તેણે ખટપટો શરૂ કરી, પણ પકડાઈ ગઈ અને એને લંડનના ટાવર હાઉસમાં કેદ રાખવામાં આવી. રાણી એલિઝાબેથને વારસામાં પ્રોટેસ્ટન્ટ ધર્મ મળ્યો હતો પણ રાજ્ય વહીવટમાં હજુ પણ ઘણા અફસરો – ઉમરાવો કેથોલિક ધર્મમાં માનનારા હતા એટલે રાજકીય વાતાવરણ પણ ડામાડોળ હતું.

એક ત્રીજું લફરું પણ એ સમયે ઊભુ થયું, એ છે વિજ્ઞાનનો ઉદય. જો કે આપણો ગેલેલિયો તો હજુ કિશોર અવસ્થાએ જ છે. પણ સો એક વર્ષ પૂર્વે કોઈ કોપરનિક્સસ નામના “ગાંડા” માણસે એવું જાહેર કરેલું કે સૂર્ય-ચંદ્ર પૃથ્વીની આસપાસ નહિ પણ ખુદ પૃથ્વી જ સૂર્યની આસપાસ ફરે છે. આમ પૃથ્વી વિશ્વના કેન્દ્રમાં નથી અને તેથી કરી તે રોમ અને વેટીકન વિશ્વના કેન્દ્રમાં નથી, તેથી કરીને ધર્મ સત્તાભ્રષ્ટ થવાથી ધાર્મિક પ્રજામાં ખળભળાટ શરૂ થયો. નવા જ્ઞાનના ઉદયથી બૌદ્ધિક લોકોમાં જીજ્ઞાસા જાગી. આમ યુરોપના સમગ્ર સમાજમાં બૌદ્ધિક અને ધાર્મિકો વચ્ચે ઉગ્ર ચર્ચા – વિવાદ થવા લાગ્યા. એટલે રાણી એલિઝાબેથે જ્યારે રાજગાદી સંભાળવાની શરૂઆત કરી ત્યારે ઇંગ્લેન્ડમાં સમગ્ર રીતે વાતાવરણ અસ્થિર હતું. આવા અસ્થિર વાતાવરણમાં એ સ્વાભાવિક છે કે પ્રજાને “કાલે શું થવાનું છે” એની જીજ્ઞાસા હોય – ભવિષ્ય જાણવાની આકાંક્ષા હોય એટલે આ નવલકથાનું નામ સૂચક રીતે રાખવામાં આવ્યું છે – પ્રોફેસી.

હવે આ કથામાં આવતાં મહત્ત્વનાં પાત્રો વિશે થોડી જાણકારી મેળવીએ.

સૌ પ્રથમ તો રાણી એલિઝાબેથ પહેલી. જો કે આ કથાની મુખ્ય નાયિકા આ રાણી નથી અને કથામાં ઘટતિ અનેક ઘટનાઓમાં એ ક્યાં ય પણ સક્રિય નથી, છતાં પણ વાર્તાના કેન્દ્રમાં છે. પસીચ વર્ષની ઉંમરે રાજગાદી મળે છે. સૂઝ-બૂઝવાળી વ્યક્તિ છે. બુદ્ધિમત્તાથી રાજ્યમાં ચાલતા ધર્મ ઘર્ષણમાં પોતે ધર્મ-સમાનતા જાળવે છે. અસ્થિર સમયમાં રાજ્ય વહીવટ કેવી કુશળતાથી ચલાવવો એની એને જાણ છે, અને તેથી કરીને મિત્રો કરતાં દુશ્મનોને તે નજીક રાખી શકે તેવી તે વિચક્ષણ છે. ત્યાર પછી આવે છે એનો વિશ્વાસુ મંત્રી જેનુ નામ છે ફ્રાંસિસ વૉલસિંઘમ, જે ગુપ્તચર ખાતાનો વડો છે.

વિલિયમ સેસિલ એ ખજાનચી છે. રાણીની પ્રીવી કાઉન્સિલનો શક્તિશાળી મંત્રી છે. ત્યાર પછી આવે છે રાણી જેને નજીક રાખે છે તે, દુશ્મન મંડળનો એક સભ્ય હેન્રી હાવર્ડ જે શક્તિશાળી ઉમરાવ છે. આર્ચિલાલ્ડ ડગલાસ એ સ્કોટલેન્ડનો ઉમરાવ છે. ત્યાંની રાણી મેરી સ્ટુઅર્ટને કેદમાં નાખ્યા પછી ગાદી પર તેના દસ વર્ષના કુંવર જેમ્સને સ્થાપ્યો છે. પણ રાજ્ય કારોબાર ઇંગ્લેન્ડે રચેલા વહીવટી મંડળ ચલાવે છે. ત્યાંનો પ્રતિનિધિત્વ ધરાવતો આ પ્રીવી કાઉન્સિલનો સભ્ય છે. વ્હિલિયમ ફાઉલર એ ઇંગ્લેન્ડના અમીર કુટુંબનો હોશિયાર નબીરો છે અને ગુપ્તચર મંત્રી ફ્રાંસિસ વૉલસિંધમનો સહાયક છે.

એ સમયકાળમાં યુરોપમાં બે મહાસત્તાઓ હતી – એક ફ્રાંસ અને બીજી સ્પેન. એટલે ત્યાંના એલચી ખાતાઓ ઇંગ્લેન્ડ માટે મહત્ત્વ ધરાવતા હોય છે. સ્પેનનો એલચી છે પીટર મેન્ડોઝા, ઊંચો પહોળો કરડા સ્વભાવનો. રોમન કેથોલિકનો ધર્મ ચુસ્ત છે અને ફ્રાન્સનો એલચી છે માઈકલ કેસલનું, મોટી ઉંમરનો ધીર ગંભીર સહૃદયી અને બુદ્ધિશાળી રોમન કેથોલિક ધર્મી પણ મેન્ડોઝા જેવો ચુસ્તધર્મી નહિ. તેની પત્નીનું નામ છે મારી ડી કેસલનું. પતિ કરતાં ઉંમરમાં ઘણી નાની અને દેખાવે નાનકડી નાજુક લાગે પણ મુખ પરની રેખાઓ ઉમ્મરની ચાડી ખાય, ચબરાક અને ખટપટી. અને છેલ્લે આપણી આ નવલકથાનો મુખ્ય નાયક –સૂત્રધાર – જ્યોર્દાનો બ્રુનો. તે ઇટલીનો છે, ધાર્મિક વૃત્તિ હોવાથી નાનપણથી સાધુ થયેલો પણ ધર્મ વિશે પોતાના સ્વતંત્ર વિચારો ધરાવતો હોઈ એટલે એની ધર્મ ઇટલીમાંથી થતા ધાર્મિક અત્યાચારો કે શિક્ષાઓથી બચવા માટે તે ત્યાંથી નાસી છૂટે છે અને ફ્રાન્સમાં આવે છે, ત્યાંના રાજાની કૃપાથી તેને લંડનમાં આવેલી ફ્રાન્સની ઑફિસમાં આશ્રય મળે છે. ધાર્મિક વિચાર ધરાવતો ફિલોસોફર છે, વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ છે, પુરાણા ગ્રંથો વાંચવાનો શોખ છે આવી અનેકવિધ પ્રતિભા ધરાવતો, પોતાની બુદ્ધિમતાથી અને વાકચાતુર્યથી લંડનના અમીર-ઉમરાવ વર્ગમાં જાણીતો થાય છે અને રાણીના ગુપ્તચર વિભાગના મંત્રી ફ્રાંસિસ વૉલસિંઘમનો માનીતો થાય છે.

હવે આ નવલકથાની આછી રૂપરેખા.

વાર્તાંની શરૂઆત આ નવલકથાના નામ અનુસાર ભવિષ્યવાણીથી થાય છે. જ્હોન ડી નામનો એક વૈજ્ઞાનિક છે, તે ખગોળશાસ્ત્રી અને પુરાત્તત્વવિદ્દ પણ છે. એની લેબોરેટરીમાં અનેક પ્રયોગો-નિરીક્ષણો કરતો રહેતો હોય છે. સમાજમાં પોતાનો માનમરતબો જળવાઈ રહે તે માટે ઘણા લોકો અમીર-ઉમરાવ વર્ગ સાથે સંબંધ બાંધીને પોતાની વગ જમાવતા હોય છે. તે સમયે પ્રવર્તતી વિકટ પરિસ્થિતિમાં ભવિષ્ય ભાખનારને જરા ઊંચું સ્થાન મળવું હોય છે. જ્હોન ડીનો એક સહાયક છે નેડ કેલી જેની પાસે કાચના ગોળામાં જોઈને ભવિષ્યના બનાવો જાણવાની વિદ્યા છે. આપણો બ્રુનો જૂના પુસ્તકોનો અભ્યાસી છે. તે અવારનવાર જ્હોન ડીની લાઈબ્રેરીમાંથી પુસ્તકો લેવા આવતો જતો હોય છે, તેથી બન્ને વચ્ચે મિત્રતા કેળવાય છે. તેની ઉપસ્થિતિમાં નેડ કેલી કાચના ગોળામાં જોઈને ભવિષ્યવાણી ઉચ્ચારે છે, કે ‘શનિ-ગુરુની યુતિ થવાની છે, રાણીની જિંદગી પર ખતરો છે, રાજ્યમાં ઘણીબધી ઉથલપાથલ થવાની છે, નવો બદલાવ આવવાનો છે, પણ આગળ જતાં બધુ સારું થશે! વૈજ્ઞાનિક જ્હોન ડી આનાથી પ્રભાવિત થાય છે જ્યારે બ્રુનો અવઢવમાં છે, ત્યાંથી વિદાય થાય છે.

બ્રુનો તેના એક મિત્ર ફિલિપ સિડનીના લગ્નની પાર્ટીમાં જાય છે. લગ્ન ફ્રાંસિસ વૉલસિંઘમની દીકરી સાથે છે. પાર્ટીમાં બ્રુનો વૉલસિંઘમ સાથે વાતે વળગે છે અને ચાલતાં ચાલતાં ભવનના બગીચામાં જાય છે, ત્યાં રાજમહેલનો એક સંદેશવાહક ઉતાવળે આવીને વૉલસિંઘમને સમાચાર આપે છે કે રાજમહેલમાં એક ગંભીર ઘટના બની છે અને રાણીનો ખજાનચી લોર્ડ બર્લી (વિલિયમ સેસિલ)એ તાબડતોડ ત્યાં હાજર થવા જણાવ્યું છે, રાજમહેલમાં રાણીના અંત:પુરની એક દાસીનું ખૂન થયું છે, વૉલસિંઘમ રાજમહેલ તરફ જતાં જતાં બ્રુનોને સાથે આવવા જણાવે છે. (દાસી શબ્દથી એક સામાન્ય નોકરાણીને એવો વિચાર આવે પણ ઇંગ્લેન્ડમાં તે સમયે રાજમહેલના અંત:પુરમાં કામ કરવા માટે અમીર-ઉમરાવો પોતાની દીકરીઓને આવું દાસીકામ કરવા માટે મોકલતા હતા, જેથી કરીને ઉચ્ચ વર્ગની રહેણીકરણી, બોલચાલ અને મોટાઘરના વહીવટ વિશેની જાણકારી શીખી શકે, અને તેથી કરીને તેને કોઈ ઉચ્ચ કુટુંબનો સારો મૂરતિયો મળી જાય) આથી આપણને સમજાય છે કે એક દાસીના ખૂનથી આ ઉચ્ચ મંત્રીઓ શાથી ચિંતીત છે.

ચિંતાના બીજા બે કારણો છે, એક તો મૃતદેહના હાથમાં સ્પેનના કેથોલિક ધર્મચિહ્ન ક્રોસ અને રોઝરી (તસ્બી જય માતા) છે. અને બીજું મૃતદેહની છાતી પર ધારદાર હથિયારની ગુરુ ગ્રહની સંજ્ઞા દોરવામાં આવેલી છે, મંત્રીઓ જ્હોન ડી એ રાજમહેલમાં જણાવેલી ભવિષ્યવાણીથી વાકેફ છે એટલે વિશેષ ચિંતા. બ્રુનો મોઢું બંધ રાખીને આંખ-કાન-ખુલ્લા રાખે છે અને નોંધ લે છે. બ્રુનો એક ઓરડામાં આંટા મારતો હોય છે ત્યાં મહેલની બીજી એક દાસી મૉરલી એલિગેઈલ તેને ઇશારો કરી બોલાવે છે અને જણાવે છે કે તેની પાસે અમુક માહિતી છે જે તેને કોઈ એક ખાનગી સ્થળે મળીને આપવા જણાવે છે. બીજે દિવસે એલિગેઈલ બ્રુનોને શહેરની એક ગલીમાં મળે છે અને ત્યાં ઉતાવળે બ્રુનોને એક પોટલી પકડાવી દે છે અને પોતે પકડાઈ ન જાય કે ઓળખાઈ ન જાય માટે એલિગેઈલ ઝડપથી ત્યાંથી નીકળી જાય છે. બ્રુનોને વહેમ પડે છે કે કોઈ તેઓ બન્નેને જોઈ ગયું હોય. પોતાની રૂમ પર આવીને બ્રુનો પોટલી ખોલીને ચીજવસ્તુનું બારીકાઈથી નિરીક્ષણ કરતો હોય છે અને તે જોઈને તેને આશ્વર્ય થાય છે સાથે સાથે પેલો કોઈ જોઈ ગયાનો વહેમ પણ થાય છે, અને એને લાગે છે કે એલિગેઈલની જિંદગી પર ખતરો છે.

નીચે ફ્રેન્ચ એમ્બેસીના મોટા હોલમાં શહેરની અગત્યની વ્યક્તિઓ ડિનર પાર્ટી માટે ભેગી થયેલી છે, બ્રુનો નીચે આવીને પાર્ટીમાં સામેલ થાય છે, છેલ્લાં છ એક મહિનાથી આ એમ્બેસીના ઘરનો સભ્ય જેવો બની ગયેલો છે, એટલે પાર્ટીને બહાને ભેગી થયેલ વ્યક્તિઓ એની હાજરી સ્વીકારી લે છે. એ પાર્ટીમાં હેન્રી હાવર્ડ, સોઈનનો એમ્બેસેડર મેન્ડેઝા, ફ્રાંસિસ વોલસિંઘમનો સહાયક અને રોમન-કેથોલિક ધર્મનો અનુયાયી વિલિયમ ફાઉલર, સ્કોટલેન્ડનો આર્ચિબાલ્ડ ડગલાસ અને ફ્રેન્ચ એમ્બેસેડર માઈકલ કેમલનુ વગેરે હાજર છે અને બધા જ રોમન કેથોલિક ધર્મના અનુયાયી હોવાથી રોમન કેથોલિક ધર્મ પાળતી, ટાવર હાઉસમાં કેદ રખાયેલી મેરી સ્ટુઅર્ટ પ્રત્યે હમદર્દી હોય અને સહુ કોઈ પોતાનો સ્વાર્થ સાધવાના હેતુથી મેરીને વફાદાર હોવાનો પ્રત્યન કરતા હોય છે અને એ વફાદારી ઇંગ્લેન્ડની ગાદી પર, પ્રોટેસ્ટન્ટ ધર્મ પાળતી રાણી એલિઝાબેથને ઉથલાવીને તેની જગ્યાએ સ્કોટલેન્ડની રાણી મેરી સ્ટુઅર્ટને બેસાડવા માટેના કાવતરા સુધી લંબાતી જાય છે.

બ્રુનો આ સભામાં ચર્ચાની વાતોમાં કોઈપણ ટાપસી મુક્યા વગર કે ટિપ્પણી કર્યા વગર વાતો સાંભળતો હોય છે. કોઈ એક રાણી પ્રત્યેની વફાદારી એનામાં ઘડાઈ નથી પણ ધર્મના નામે થતા અનિષ્ટો એને પસંદ નથી. ચાલતી સભામાં થોડી ઉત્તેજના આવે છે ફ્રેન્ચ એમ્બેસેડર  પત્ની મારી ડી કેસલનુના પ્રવેશથી. હાજરજવાબી મગજ, તીખી જબાન પણ પોતાની સંમોહક નજરથી વાક્પટુતાના પ્રભાવથી એ સભાના મધ્ય સ્થાને આવી જાય છે અને કાવતરાને નક્કરરૂપે આગળ વધારવા અન્ય સભ્યોને આડકતરી રીતે અનુરોધ કરતી જાય છે. પોતાની નાની ઉંમરની પત્નીની આ રીતની દખલગીરી માઈકલ કેસલનુને પસંદ નથી પણ વાતનો દોર પોતાના હાથમાં લઈ શકતો નથી. બ્રુનો આ સઘળું ધ્યાનપૂર્વક નિહાળતો હોય છે. રાજ્યમહેલમાં થયેલા ખૂનમાં કે આ ફ્રેન્ચ એમ્બેસીમાં ઘડાતા કાવતરામાં બ્રુનો સંડોવાયેલો નથી, છતાં પણ બન્ને ઘટનાઓમાં તે સંકળાતો જાય છે. બન્ને ઘટનાઓનાં પગલે પગલે ઊભા થતાં અનેક પ્રસંગોએ અને એ પ્રસંગોમાં આવતી અનેક વ્યક્તિઓ સાથે આપણો બ્રુનો સંકળાતો જાય છે, અત્ર તત્ર સર્વત્ર જેવા બ્રુનોને સર્વ ઘટનાઓમાં હાજર રાખવા લેખકે સુંદર રીતો પ્રસંગો ઘડ્યા છે; જેથી કરીને તેની હાજરી યત્નપૂર્વકની નથી લાગતી, પણ કોઈ સંવાદ થકી કે ક્યાંક પૂછપરછ થકી તે પ્રસંગો તેની હાજરી સહજ જ બની જતી હોય છે. લેખકની આ કુશળતા છે. વાર્તામાં અનેક વ્યક્તિઓ આવતી જતી હોય છે. તેઓને અલગ અલગ પ્રસંગોએ સાંકળી લઈને વાર્તા સુંદર રીતે આગળ ચાલે છે અને અંતે એક રહસ્યમય કથાનો જેવી રીતે અંત આવતો હોય છે તેમ અંતે ખૂની પકડાઈ જાય છે અને કાવતરા ઘડનારો પણ પકડાઈ જાય છે, રાણીનું રાજ્ય સલામત રહે છે.

હવે આ નવલકથા વિશે. પણ તે પહેલાં લેખક વિશેની થોડીક માહિતી જોઈ લઈએ. પુસ્તક પર લેખકનું જે નામ S.J. PARRIS લખેલું છે, તે તેનું ઉપનામ છે. ખરું નામ છે Stephanie Jane Meritt. એ એક લેખિકા છે, તે એક પત્રકાર છે સાથે સાથે વિવેચક પણ છે. તે ઉપરાંત રેડિયો/ટીવી પર નામી વ્યક્તિઓ સાથે વાર્તાલાપનો કાર્યક્રમ પણ કરે છે. સોહો લંડન થિયેટર સાથે સક્રિય રીતે જોડાયેલી છે અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ પહેલીના સમય ટયુડર વંશનો ખૂબ જ ઉંડાણથી અભ્યાસ કરેલો છે. એ વિષયને લઈને તેણે પાંચ પુસ્તકો લખ્યાં છે, જેમાંનું આ પુસ્તક પ્રથમ છે જે 2011ની સાલમાં લખાયેલું છે. 1974માં જન્મેલી સ્ટેફની આમ નાની ઉંમરે પણ કલા અને સાહિત્ય ક્ષેત્રે ઘણું બધું હાસિલ કર્યું છે.

આ એક રહસ્ય નવલકથા છે. તેથી સ્વાભાવિક રીતે ઘટનાઓ પુષ્કળ હોય, એક ઘટના પછી બીજી ઘટના અને તેમાંથી ફૂટતી ત્રીજી ઘટના, આમ અભિમન્યુના ચક્રવ્યૂહની જેમ પ્રસંગો રચાતા જાય. બ્રુનો તેનો ભેદ જાણવા પ્રવેશે અને તેમાંથી બીજો વ્યૂહ સ્વાભાવિક રચાઈ જાય. આમ વાર્તાની લાંબી સાંકળ બનતી જાય. વાર્તામાં આવતા દરેક પાત્રને પોતપોતાની અગત્યતા અપાયેલી છે જે કાં તો ઘટનામાં પૂરક બનતી હોય કે પછી અંગૂલી નિર્દેશ કરીને નવી ઘટના માટે પ્રેરક બનતી હોય છે. આમ દરેક પાત્ર અને દરેક પ્રસંગ એક Jigsaw puzzleની જેમ પોતાના સ્થાને એવી રીતે ગોઠવાઈ જાય છે કે જાણે એના વગર આખું ચિત્ર ઉપસી ન શકે, વાર્તાકારની આ કુશળતા છે, જે વાચક ને રસપૂર્વક જકડી રાખે છે.

વાર્તામાં જેમ્સ બૉન્ડ ટાઇપ એક રંગીન પ્રસંગ પણ વાચક વર્ગનું મનોરંજન કરવા રચવામાં આવ્યો છે, પણ વાર્તાનાં વહેણને આડમાર્ગે દોર્યા વગર અને ધર્મપ્રિય બ્રુનોના સાધુપણાની મર્યાદા જાળવીને, લેખિકાએ સ્ત્રી સહજ માતૃત્વભાવને વચમાં ગોઠવીને, આ પ્રસંગ સુંદર રીતે રજૂ કર્યો છે, જે આપણને લેખિકાની નીતિમત્તતાનું ભાન કરાવે છે. વાર્તા તે સમયને અનુરૂપ ધીમી ગતિએ વહેતી હોય છે, ક્યાં ય રઘવાટ નથી, દોડાદોડી નથી. લોકો નાવમાં બેસીને પ્રવાસ કરતા હોય તો વાર્તાનો માહોલ પણ એવો જ સર્જવો પડે ને ! લેખક ત્યારે પ્રકૃતિનું સહેજ નિરૂપણ કરી લે છે અને સાથે સાથે નદી કિનારે આવેલા આવાસોના ઇતિહાસમાં પણ જરા ડોકિયું કરાવીને અમૂક પાત્રોના પરિચય પણ કરાવી દે છે.

આ વાર્તાનો સમયકાળ ટ્યુડર વખતનો હોઈ વાર્તાકારે તે સમયની લોકોક્તિઓને પ્રસંગે પ્રસંગે આલેખી છે, જેમાંની એક-બેને અહીં ટાંકું છું. (1) જૂઠ્ઠાબોલા નેડ કેલીને માટે બ્રુનોની ઉક્તિ : Cat’s Cradle of lies. (2) સમયનું પાલન કરતા બ્રુનો માટે, લોર્ડ બર્લીની ઉક્તિ ‘you are up with the lark’ (3) લગ્નની પાર્ટીમાં નારી સાથે ડાન્સ કરતા બ્રુનો જોઈ તેના મિત્ર ફિલિપ સિડનીની ઉક્તિ lifting legs with the flowers of her majesty’s court વગેરે વગેરે. આ થકી પાત્રના સ્વભાવનું પણ નિરૂપણ થતું રહે છે. સામાન્યત:, આવી રહસ્યમય કે ભેદભરમવાળી નવલકથાઓમાં વપરાતી ભાષા બહુ સાદી સરળ હોય જે ઘટનાનું સચોટ નિરૂપણ કરવા સક્ષમ હોય. જ્યારે અહીં વાર્તાકારે ટ્યુડર સમયને અનુરૂપ અને તે સમયના અમીર-ઉમરાવને છાજે તેવી શિષ્ટ સુશીલ અને અલંકારી ભાષા વાપરી છે જે વાચકને બહુ રોચક લાગે છે. જાણે કોઈ કલાસિકલ સાહિત્ય વાંચતા હોય તેમ લાગે. બીજું અહીં જેમ પ્રકૃતિ કે સ્થળના વર્ણન માટે ઓછું લખાણ છે તેમ પાત્રાલેખન માટે પણ બહુ ટૂંકું લખાણ દેખાય છે. પણ એ ટૂંકા વાક્યો થકી પણ પાત્રોનું સચોટ નિરૂપણ થયું છે જેમ કે રાણી એલિઝાબેથ માટે, “She is not beautiful but in her face is a refinement that goes beyond beauty, a look of purpose and self-possession that makes beauty seem trivial,” અને આગળ ઉપર બીજું વર્ણન છે “If any sovereign is suited to be the patron of a heretic philosopher with unorthodox and provocative views, it is surely this open-minded unashamedly, intellectual woman must have a will of stud to have ruled so long alone in the world of man.” અને બીજું એક પાત્ર ફ્રેન્ચ એમ્બેસેડરની પત્ની મારી ડી કેસલનુ માટે, “Her figure could be of a girl but her face betrays that she is the wrong side of thirty” કે પછી she has a neat white teeth. It seems she is not afraid to use them”     

આવો ભાષા વૈભવ વાંચનમાં રુચિ ઉપજાવે છે અને સાથસાથે ઘટનાની કઠોરતા કે વ્યક્તિનું કરડાપણું કઠતું નથી અને રહસ્યમયી ભેદભરમવાળી વાર્તા હોવા છતાં પણ વાચકના હૃદયના ધબકારા 100થી ઉપર જતા નથી. ટ્યુડર સમયની એ બલિહારી હશે કે તે વખતે લોકોને હાર્ટ એટેક નહિ આવતા હોય.

આ એક સુંદર નવલકથા છે. ઉત્તમ ભાષા થકી રજૂ કરાયેલ એ સમયકાળથી વાચક તાદૃશ થાય છે. અને છેવટે ખાધું-પીધુંને રાણીએ ઉત્તમ રીતે રાજ કર્યું. એ અંત વાચકને રુચિકર લાગશે અને ઉત્તમ કૃતિ માણ્યાનો આનંદ પણ થશે.

e.mail : mndesai.personal@googlemail.com

Loading

...102030...3,3633,3643,3653,366...3,3703,3803,390...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved