Opinion Magazine
Number of visits: 9767461
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક NRI ની ઊલટતપાસ

રજની પી. શાહ|Opinion - Literature|14 September 2017

અા લેખમાં પૂછેલા સવાલો એ ડૉ. ઉષા ઉપાધ્યાય(અમદાવાદ)ના ગુજરાતી ભાષા વિષેના રિસર્ચ પ્રોજેક્ટના છે. એમના ભાષા વિષેના પ્રશ્નોના ઉત્તર મોકલું છું. તમને કદાચ કામમાં લાગે. એક ડિસ્ક્લેમર મૂકી દઉં. હું સાહિત્યનો માણસ નથી. બાય પ્રોફેશન, હું મેડિકલ ડોક્ટર છું અને ૫૦ વર્ષથી ગુજરાતની બહાર રહું છું. હું એમના રિસર્ચ કોઠામાં ફીટ ના પણ થાઉં. એમ છતાં, લેખક ઉષાબહેનના અાભારી છે.

૧. અમેરિકામાં રી-રુટિંગની સમસ્યાનો સામનો કરવામાં આપને ગુજરાતી ભાષા કોઈ રીતે  સહાયક બની હતી?

હું  ૧૯૬૭માં ન્યુ યોર્ક અાવેલો, ત્યારે ગુજરાતીઅો અલ્પ સંખ્યામાં હતા. હું અપરિણીત હતો, માટે મારે એક રૂમ પાર્ટનર હતો. તે મરાઠી. તો ગુજરાતી બોલું કોની સાથે? માટે લાંબા લાંબા એરોગ્રામ પત્રો દેશમાં માબાપને લખતો. જે ફાવે તે લખું. અમેરિકામાં ભૂંગળાં મરચાં કેવાં, યસ, અહીં દૂધી પણ મળે છે, અરે મને તો બધા હબસીઅો એક સરખા જ દેખાય. ધારો કે મારે ઘેર કોઇ હબસી કશું ચોરી જાય તો હું પોલિસમાં વર્ણન શું કરીશ – અાવી અાવી ચક્રમ જેવી વાતો લખવાથી મારી બારાખડી જીવંત રાખતો. પણ પછી તો ક્રમશ: મારી કલમમાંથી ક્ષ ગયો. પછી જ્ઞ ગયો. ટ, ઠ કે ડ, ઢના પાંખિયામાં હેઝિટેશન થવા માંડ્યું. અંતે એક નાનુ ટેપ રેકોર્ડર ઘરે મોકલ્યું ને પત્રને બદલે મારો અવાજ મેઇલ કરવા લાગ્યો. રહીસહી બારાખડી પણ મારા ટેરવેથી ઉશેટાઇ ગઈ. જોવા જાવ તો અમે ફ્રંટિયરમેન કહેવાઇએ, ભારતની ટોળીના અગ્રિમ નેતા. તે વખતે વિવિધ ટેકનો-એક્સપર્ટને જ વિસા મળતા, દા.ત. ડોક્ટરો, પી.એચડી.અો, નર્સો, બાયોકેમિસ્ટો કે એન્જિનિયરોને, વગેરે વગેરે. તે વર્ગને એવી કાંઇ પડી ન હતી કે ઉમાશંકર કોણ કે કલાપી કોણ. સુંદરમ્ તો કદાચ યુનાઇટેડ નેશન્સનો મદ્રાસનો પ્રતિનિધિ હશે એમ મનાય. ધૂમકેતુ બોલીએ તો સામેવાળો બાયનોક્યુલર શોધે.

જે કાંઇ વાંચન થાય તે બેગમાં લાવેલા ધાર્મિક અનુવાદોના થોથાં – એમાંથી થાય. મારી મા વાંચતી તે સાહિત્ય મેં પણ વાંચવા માંડ્યું, ‘વૈશમ્પાયન એણી પેરે બોલ્યા સૂન જનમે જે રાય’. અા અમારા ગુજરાતીની ડોક્યુમેન્ટરી. પછી ડબલે ડબલે અમે એમાં ચૂનો મલાવીને મલાવીને કૂચડા મારવા માંડ્યા. ગુજરાતી ભાષામાં કમ્યુ નિકેશન થવા માંડ્યું. કૌતુક એ વાતનું છે કે એ ઊખાડેલા અાંબાને (અમને પોતાને) અમેરિકી મરૂભૂમિમાં રોપ્યા. પ્રાથમિક વંધ્યત્વ પછી, હવે એમાં તૂરો તૂરો પીળચટો મોર દેખાવા માંડ્યો છે. ગુજરાતી ભાષા, કદાચ, લેક્સિકોનના વેબપેજ ઉપર ફાલશે; પણ મને દહેશત છે, એને વાપરનારા કાળક્રમે નહીંવત્‌ થતા જશે. “બિછડે સભી બારી બારી ….” જેવું થશે.

૨. ગુજરાતીમાં લેખન કરવાથી વતન સાથેનો અનુબંધ સચવાય છે, એવું લાગે છે?

મારો પહેલો જવાબ ‘ના’ છે; અને પછી ‘હા’માં પણ રૂપાંતર થાય છે. સમજાવું. મારું લખાણ ત્યાં દેશમાં છપાતું નથી. માટે વતન માટે હું અજાણ્યો વટેમાર્ગુ છું. હું ત્યાં અાવું છું તો મહદ્દ અંશે તમારી સભાઅો અને સાહિત્ય ગોષ્ટિ મને સભારંજક જ લાગે છે. ચલો એક પ્રિન્ટ મિડિયા લો: ’નવનીત સમર્પણ’. એના છેલ્લા ૨૦ વર્ષના અંક લઇને બેસો. એક જ ઢાંચો, એક જ ફર્મો. એકની એક વાતો, જુદાંજુદાં નામ સાથે. શું છેલ્લાં ૨૦-૩૦ વર્ષથી અાપણે બદલાયા જ નથી? અામ તો એ બેસ્ટ સેલિંગ મેગેઝીન કહેવાય. મને પ્રશ્ન થાય કે બેસ્ટ્ સેલિંગ રહેવા માટે વાચકોને માત્ર કમર સુધીનાં પાણીમાં જ તરાવ્યાં કરવાનાં? હવે અા રેટ-રેસમાં ‘પરબ’ કે ‘શબ્દસૃષ્ટિ’ની પીપૂડી ક્યાં સંભળાય? ત્યાંનાં જ ત્રીસેક સ્થાનિક લેખકો એનાં પત્તા ભરી દે તો ‘એનારાઇ’ની શું વિસાત? અા તો મેં મારા ‘ના’ની વાત કરી.

હવે મારા ‘હા’ની વાત કરું. મારી અહીંની અમરિકી વાતોથી, એ જ વતનથી અહીં અાવીને વસેલા ગુજરાતીઅોને, મારાં ગુજરાતી લખાણમાં બહુ રસ છે. કારણ હું એમની વાતો લખું છું. અમારી કરમકથની કરું છું. એમને કમરથી ઉપરનાં પાણી તરફ ખેંચી જવાય? એ સિદ્ધ કરવા માટે હું એમના પેચ ( અાંટા) ચઢાવ્યે રાખું છું. એમ અાડકતરી રીતે વતન સાથે મારું રિલેશન સચવાય છે. મારું એકાદ એકાંકી નાટક ગુજરાતમાં બતાવું તો ત્યાંની તમારી સમસ્ત નાગરી ન્યાત અભડાઈ જાય. માટે મનોમન હું બોલું છું, ’જાવા દો, સીદીભાઇને સીદકાં વ્હાલાં’ એ મંત્ર જપીને હું તમારા વતન સાથે અનુબંધ રાખું છું. એ રીતે અાપણાં બન્ને ‘વીન વીન’ સંબંધો જાળવી રાખીશું.

૩. ગુજરાતીમાં લેખન કરવાથી વતન સથેનો અનુબંધ અનુભવાય તો તેથી ગુજરાતી ભાષા આપને કોઈ આંતરિક  અવલંબન આપે છે, એવું લાગે છે?

પહેલો વિચાર તો ગુજરાતીમાં જ અાવે. ૫૦ વર્ષથી મગજની સ્પ્રિંગ એવી લબૂક થઇ ગઇ છે કે એ ગુજરાતીનું ઈનસ્ટંટ અંગ્રેજી થઇ જાય છે. ‘જે’ ફોર જ્હોન કે ‘બી’ ફોર બોય એ અોટોમેટિક થઇ જાય છે. હવે અા મારી ગુજરાતી ભાષા મને અાંતરિક અવલંન અાપે છે? મારો જવાબ  છે, ‘ના’. જ્યારે મારા હોઠ ખૂલે છે, ત્યારે હું ઈંગ્લિશ જ બોલું છું. ગાળ પણ. કોઇ વાર મનમાં કોમેડી સંવાદ થાય છે: જાણે યમ મને લેવા અાવશે ત્યારે શું હું એની સાથે ગુજરાતીમાં બોલીશ કે ‘એફ’ કર્સ વાપરીને એની સાથે અાડાઇ કરીને ટંટો ફિસાદ કરીશ? કોઇ ગુજરાતી બચ્ચો યમ તરીકે ડ્યુટી કરતો હોય, તેવો વિચાર પણ અાવતો નથી. માટે મારો ઉત્તર છે: સોરી. મને એવી કોઇ હેલ્પ મારા અંતર થ્રુ મળતી નથી. કદાચ, એટલા માટે એવું હશે કે દેશ છોડ્યે મને ૫૦ વર્ષથી પણ વધારે ટાઈમ થયો, માટે હું ઇનસેન્સિટિવ થઇ ગયો હોઇશ. જડ. વતનની ભાષા સાથે મારે બહુ સંબંધ નથી. હા, એનાં હાલતાં ચાલતાં પાત્રો મારા દિમાગમાં અાવજા કરે, અાવજા કર્યા કરે.

૪. અમેરિકામાં ગુજરાતી ભાષાના ં ભવિષ્ય વિશે આપનો શો મત છે ?

દેશમાંથી અાવતાં બધાં મહેમાન કલાકારો (ગવૈયા, ગઝલું લખનારા, કીર્તનકારો, સ્ટેન્ડપ કોમેડિયનો, મોટિવેશન કોલમો લખનારા, સેલ્ફ મેડ ફિમેલ બેસ્ટ-સેલરો કે સરકારી ખાતા હોલ્ડરો) અમને ઉશ્કેરી ઉશ્કેરીને કહે છે કે ગુજરાતી ભાષાનું ભવિષ્ય અતિ ઉજ્જવળ છે. અમે એમને ફુલાઇને સ્ટેિડંગ અૉવેશન અાપીએ છીએ. ‘તારા મોઢામાં ઘી સાકર’, એમ કહીને એ લોકોને ડોલર્સના ચેક્સ અાપીએ છીએ. પણ મને તો ચિન્હો અવળા દેખાય છે.

અહીંની પ્રજા કશું મૌલિક લખતી નથી, લખી શકતી જ નથી. વેડિંગ કાર્ડમાં પણ વાક્યો છાપેલા હોય. તેમાં અમારી પ્રજા બે અક્ષરથી સહી કરે. યુ – ટ્યુબની વીડિયો સામે વાંચનક્રિયા ટકી જ ના શકે. ડીજિટલ મીડિયાએ સૌના કાંડા ફ્રીજ કરી નાંખ્યાં છે.

અહીંની સભામાં ચહેરા જૂઅો. એમાં ૯૦ ટકા તો સિનિયર સિટીઝન્સ. તેમને રસ છે ભજનમાં, ભક્તિમાં, જ્યાં ભાષાની જરૂર હોતી નથી. એમાં માત્ર સાંભળવાની કે તાળી પાડવાની ક્રિયા છે. વાતચીત કે સંવાદ કોની સાથે? તો કે બાળકો સાથે. ત્યાં પણ ભાષા ફૂગાઈ ગઈ છે કારણ બાળકો ગુજરાતી સમજે છે ખરા. પણ એનો જવાબ અંગ્રેજીમાં અાપે છે. જતે દિવસે અા વૃદ્ધો મરતા જશે ને સાથે સાથે ગુજરાતી ભાષા પણ લુપ્ત થતી જશે.

અહીં એક ત્રિમાસિક ‘ગુર્જરી’ નીકળે છે. એને લગભગ હવે ૨૮ વર્ષ થયાં.  કિશોર દેસાઇ એના તંત્રી છે. એ મેગેઝીનમાંથી તમારા એમ.એ.ના વિદ્યાર્થીઅો માટે એક શોચ નિબંધ થાય અથવા ગુજરાતીઅોનાં આગમનની હિસ્ટરી લખાય. એમાં સ્થનિક લેખકો અને વાચકોના પ્રતિભાવના પ્રુથક્કરણથી ગુજરાતી ભાષાનું પગેરું પકડાય. એમાં ત્રણ ચાર દસકાના ગુજરાતના નામી લેખકોના લેખો પણ છપાયા છે. તો એમાંથી તુલનાત્મક અભ્યાસ પણ થાય. અામ તો અહીં દસેક લેખકો સિવાય કોઇ ખાસ લખતું નથી. પ્રસિદ્ધિને અાંચ અાવે તે ડરથી અા લેખકો પણ  ઇલૂ ઇલૂજ લખ્યા કરે છે, જસ્ટ ટાઇમ પાસ કર્યા કરે. અહીંના નવોદિતો તેા સીધા ભારતમાં જઇને ચોપડી જ છપાવા અાપી દે છે. પછી ત્યાં ને ત્યાં જ વિમોચન ફિમોચન કરાવીને ત્યાંના પ્રસિદ્ધ લેખક-કવિઅોને દાપાં અાપીને એમની સાથે ફોટાફોટી કરી અાવે. જાહેર જનતા એ ફોટા કે વીડિયો ફેસબુકમાં જૂએ. એટલે એવો અાભાસ થાય છે જાણે ગુજરાતી ભાષાને નવો અોક્સિજન સિલિન્ડર મળ્યો છે. પણ અંતે એ છળ છે. ઇલ્યૂઝન છે.

૫. ગુજરાતમાં ગુજરાતી ભાષાની આજની સ્થિતિ આપને કેવી લાગે છે?

અહીં ન્યુઝ મળે માત્ર ત્યાંના મિત્રો સાથેની વાતચીતમાં. હવે વોટસેપ કે યુ – ટ્યુબમાંથી તમારાં પ્રવચનો જોવાં કે સાંભળવાં મળે છે. છૂટી છવાઇ ગુજરાતી સાહિત્યને લગતી સંસ્થાઅોની પત્રિકાઅો પણ વાંચવા મળે. અમારે મન તો તમારી અકાદમી શું, પરિષદ શું ? એમના ટંટા, પરસ્પર વાંધા-વચકા, પારિતોષકો લેવા કે પરત કરવાના કિસ્સા અોલ નોન સેન્સ. મારો અંગત મત એવો છે કે હજુ ત્યાં ગુજરાતમાં પણ એવો કોઇ મેધાવી લેખક દેખાતો નથી કે જેને માટે હું એરપોર્ટથી ઊતરીને સીધો બુકસ્ટોરમાં એની બુકની માંગણી કરું. વળી અા બધા શું લટકાં કે  દરેક વર્ગના અલગ અલગ ચોતરા? ફલાણો લેખક તો કે દલિત સાહિત્યનો. અોહ ! પેલી બાઇ તો છે નારીહક્કની લેખિકા!  … અો માયગોડ! અા તો ‘મમતા’નો લેખક. હું પૂછું છું, તો? તો શું? જો કે ત્યાં ગુજરાતમાં તો અા બધું ચાલ્યા જ કરશે. પણ એમાંથી જ કોઇ સુરેશ જોષી પાકશે, જેની વાતો ૫૦-૬૦ વરસ તો લોકો ઇઝિલી મમળાવ્યા કરશે.

૬. ગુજરાતી ભાષાની સ્થિતિ ગુજરાતમાં વધારે સારી થાય તે માટે શું કરવું જોઈએ?

વિશ્વની બધી જ ભાષાને અા રોગ લાગ્યો છે. કદાચ સોશિયોલોજિસ્ટો કહેશે અા સમસ્ત માનવ જાતિમાં થતો ચેન્જ લાગે છે. એવું બને કે સાહિત્યની ભાષાની જરૂર છે જ નહીં. ફોન પરથી પિઝાના અોર્ડર માટે માત્ર સંજ્ઞાની જરૂર પડે. એમાં અક્ષરની શું જરૂર? સમસ્ત પૃથ્વી પર સંજ્ઞા અને ચિત્રોથી વ્યાપાર થઇ શકે છે. રૂડી ને રંગીલી રાત એ પંક્તિને ગળામાંથી ગાવાની શી જરૂર? ંભલા માણસ. એક રાવણહથ્થો વગાડતા રબારીને બેસાડીને એની ફિલ્મ પાડવા માંડો અને નાઇટનો સીન મૂકીને એને ફેડ અાઉટ કરી દો. બીજા દ્રશ્યમાં મિસ સની લિયોનને પાસું બદલતાં બતાવો. સૂર વહેવા દો. જોનાર અાફ્રિન થઇ જશે. અલબત્ત, એ એક પણ શબ્દ બોલીને એક્સ્પ્રેસ નહીં કરે. કદાચ પાસે બેઠેલો એ રબારી એ રૂડી ને રંગીલી સની લિયોનને પ્રેમથી કીસ કરવા જશે. એટલે ભાષા વગર પણ માણસમાં બીહેવિયર ચેન્જ તો દેખાશે. સની લિયોન ઊંકારા ભરશે તો તે એની પોતાની કસ્ટમ મેડ ભાષા ગણાશે. એટલે મારો ઉત્તર એ છે કે સાહિત્યકારોનો નવો ફાલ અાવે તેને ગુજરાતી શીખવાડવામાં અગર અાપણે નિષ્ફળ જઇએ તો બીજા ઉપાયો કરવા નહીં. એ ઊંંટવૈદું જેવા લાગશે. અાવતા પાંચ દાયકામાં ચોપડીઅો વંચાશે ? અને તે પણ ગુજરાતી? એનો જવાબ છે, નો. તો એનો સારાંશ એવો નીકળે છે કે:

બીહેવિયર ચેન્જ એ માનવ જાતિનાં ઉત્થાન માટે જ થશે. ભાષાને નાહકની રિવાઇવ કરવાની જરૂર નથી. પીરિયડ. ટારઝન પોતાની છાતી પર ઢીંકો મારીને સની લિયોનને પપૈૈયું ખવડાવશે. શિખરિણી કે મન્દાક્રાન્તા વગર પણ એમનું પ્રજનન થશે. એમનાં બાળકો ઉં ઉં કરતા એપલ X ફોનમાં ક્લિક કરતાં કરતાં સર્વ જ્ઞાની થઇ જશે. હૂ કેર્સ ફોર ક્કો – બારાખડી? માત્ર સંજ્ઞા ને ચિત્રો એ ભાષા.

૭. આપના મતે દૂધભાષા ગુજરાતીનો શો મહિમા છે?

અા મહિમા તો ભારે છે. હું સદ્દભાગી હતો. મારે મારાં મા-બાપ-ભાઇ-બહેન સાથે અને પોળના મિત્રો સાથે ગુજરાતીમાં વ્યવહાર હતો. કહેવતો, કવિતા, ગદ્ય, પાઠ્યપુસ્તકો, નાટકો, રેડિયો પ્રોગ્રામો, બધું મારી માતૃભાષામાં હતું. પહેલો વિચાર હજુ પણ ગુજરાતીમાં જ જન્મે છે. તત્ત્ક્ષણ એની સાથેના મેમરી – બિંબથી શબ્દો સામે ઉપસી અાવે છે ને વાક્ય લખાય કે બોલાય છે. જેની પાસે માતૃભાષા નથી તે ઝડપથી પાલકભાષા વાપરવા માંડે છે. એ મહિમા કેવો હશે તેનો વૈજ્ઞાનિક ડેટા મારી પાસે નથી. જો કે એ લોકોએ પણ વિશ્વમાં ઉત્તમ રચનાઅો અાપી છે. સેરિબ્રલ પાલ્સીના બાળકોએ કવિતા લખીને ખિતાબો ને ચન્દ્રકો મેળવ્યા છે, એ શું અાપણે જાણતા નથી?

૮. વિદેશી ભાષાના કયા સાહિત્યિક સામયિકો તમે વાંચો છો?

હું વાંચું છું ‘ટાઇમ મેગેઝીન’ (ખાસ તો એના વ્યંગ લેખો), ‘ન્યુ યોર્ક ટાઇમ્સ’નું વીકલી મેગેઝીન (બુક રિવ્યુ), ‘ન્યુયોર્કર’ (અનિયમિત).

૯. અમેરિકાના આજના કયા લેખકનું સાહિત્ય તમને ગમે છે?

મારો ફેવરિટ તો હજુ વુડી એલન જ છે. હવે એવો કોઇ ફેવરિટ રહ્યો નથી. મને અમેરિકન નાટક જોયા પછી એ નાટ્યકારની સ્ક્રિપ્ટ વાંચવાની ગમે. ધુરંધર નાટ્યકારો જેવા કે અાર્થર મિલર, ટેનેસી વિલિયમ્સ, શેક્સપિયરના પસંદ કરેલા ફકરા ગમે. નાટકની ભજવણીનું સાહિત્ય પણ ગમે. અેમાં રોબર્ટ વિલ્સન અવ્વલ નંબરે અાવે.

(સંપૂર્ણ )

લેખક સંપ ર્ક: Dr. Rajni P. Shah ( RP – New York)  e-mail: rpshah37@hotmail.com

Loading

શિક્ષણનો વેપલો ને અસ્મિતાઓસના રાજકારણે ભારતમાં કેળવણીનું સંકટ પેદા કર્યું છે

રમેશ ઓઝા|Opinion - Opinion|13 September 2017

એમાં ભારતની ૩૦ યુનિવર્સિટીઓને એન્ટ્રી મળી છે જેના સંચાલકો એમ માને છે કે તેઓ વિશ્વકક્ષાનું ઉત્તમ શિક્ષણ આપે છે. હવે પરિણામ જુઓ – ઊતરતા ક્રમે વિશ્વની શ્રેષ્ઠ ૨૫૦ યુનિવર્સિટીઓમાં ભારતની એક પણ યુનિવર્સિટી નથી. બીજું, ભારતની જે ૩૦ યુનિવર્સિટીઓને (ભલે પાછળના ડબ્બાઓમાં) સ્થાન મળ્યું છે એમાં એક પણ યુનિવર્સિટી પ્રાઇવેટ માલિકોની નથી. તમામ ૩૦ યુનિવર્સિટી સરકારી છે તો પછી મેરિટની ચિંતા કરનારાઓ અને દાવા કરનારાઓ છે ક્યાં?

….. કેરળના એક ગામમાં ગરીબ વિદ્યાર્થીઓને ઘરઆંગણે શિક્ષણ ન મળે અને ફરજિયાત ગામથી સાત કિલોમીટર દૂર પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા જવું પડે એ માટે પ્રાઇવેટ સ્કૂલના માલિકો છેક સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યા હતા. બહાનું મેરિટનું હતું. મેરિટમાં સમાધાન કેમ કરાય? જો પ્રાથમિક સ્તરે નબળું શિક્ષણ આપવામાં આવશે તો તેઓ ઉચ્ચ શિક્ષણમાં ટકી નહીં શકે અને અત્યારના હરીફાઈના યુગમાં પાછળ રહી જશે વગેરે. તેઓ અપીલ કરતાં-કરતાં છેક સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યા, કારણ કે તેઓ સ્કૂલના માલિક નથી,  સ્કૂલોની ચેઇન ધરાવે છે. તેમના માટે વિદ્યાર્થી ગ્રાહક છે.

સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે શિક્ષણ, આરોગ્ય, પાણી. રહેઠાણ એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે અને એમાં શિક્ષણ તો બાળકોનો મૂળભૂત અધિકાર છે. શાસકો એમ ન કહી શકે કે ગામથી દસ કિલોમીટર દૂર અત્યાધુનિક હૉસ્પિટલ છે, ૨૫ કિલોમીટર દૂર રહેઠાણની ઉત્તમ વ્યવસ્થા કરી છે, પ્રોસેસ કરેલા શુદ્ધ ફિલ્ટર્ડ પાણીની આઠ કિલોમીટર દૂર વ્યવસ્થા કરી છે અને ઉત્તમ શિક્ષણ માટે માત્ર પાંચ કિલોમીટર દૂર જવું પડે એમ છે. મૂળભૂત જરૂરિયાતની પુરવણી એને કહેવાય જ્યાં માણસ રહેતો હોય ત્યાં તેને એ મળી રહે. શિક્ષણ જરૂરિયાત નથી, બાળકોનો અધિકાર છે. સર્વોચ્ચ અદાલતે પ્રાઇવેટ સ્કૂલના માલિકોની મેરિટની દલીલ ફગાવી દીધી હતી. બાળકનો સર્વોચ્ચ અદાલતમાં વિજય થયો એ આનંદની વાત છે, પરંતુ વિચારવા જેવી વાત એ છે કે કેળવણીનો ધંધો કરનારા લક્ષ્મીદાસો કેટલા નીચ છે અને કેટલા શક્તિશાળી છે. આરોગ્ય અને શિક્ષણને એક જમાનામાં માનવસેવાનું ઉમદા કાર્ય સમજવામાં આવતું હતું જેનું આજે વ્યવસાયીકરણ થઈ ગયું છે.

બીજી બાજુ ઉચ્ચ શિક્ષણની હાલત કેવી છે જ્યાં મેરિટનું રટણ કરનારા લક્ષ્મીદાસોએ મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે એનું ચિત્ર ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં જોવા મળે છે. એમ કહેવાય છે કે ભારતમાં ૭૦૦ જેટલી યુનિવર્સિટીઓ અને ૩૫ હજાર જેટલી કૉલેજો છે. અહીં એમ કહેવાય છે એમ એટલા માટે લખ્યું છે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને અને ભારત સરકારના શિક્ષણ ખાતાને જ ખબર નથી કે ચોક્કસ કેટલી યુનિવર્સિટીઓ અને કૉલેજો આ દેશમાં છે. વિદ્વાન સમાજશાસ્ત્રી પ્રતાપ ભાનુ મહેતા અને દેવેશ કપૂરે ‘નેવિગેટિંગ ધ લૅબિરિન્થ: પસ્ર્પે‍ક્ટિવ્ઝ ઑન ઇન્ડિયાઝ હાયર એજ્યુકેશન’ નામના પુસ્તકમાં યુનિવર્સિટી અને કૉલેજોની સંખ્યાના વિરોધાભાસી આંકડા સરકાર પોતે જ આપી રહી છે એમ કહ્યું છે. લેખકોએ પ્રસ્તાવનામાં લખ્યું છે કે આ દેશમાં બીજા કોઈ પણ કામ કરતાં સૌથી સહેલું કામ સ્કૂલ-કૉલેજ શરૂ કરવાનું છે અને સૌથી અઘરું કામ શિક્ષણમાં સુધારા કરવાનું છે. ભારતમાં બીજા મોરચે સુધારાઓ કરવા કદાચ સહેલા છે, કેળવણીની સ્થિતિમાં સુધારાઓ કરવા એ કપરું કામ છે. એટલે તો લેખકોએ પુસ્તકનું ર્શીષક ‘નેવિગેટિંગ ધ લૅબિરિન્થ…’ આપ્યું છે. લૅબિરિન્થનો અર્થ ભૂલભુલૈયા થાય છે.

તો ભારતમાં સરકારી, અર્ધસરકારી, પ્રાઇવેટ, વિદેશની યુનિવર્સિટીનું નામ વાપરવાનું લાઇસન્સ ધરાવનારી એમ કુલ મળીને અંદાજે ૭૦૦ યુનિવર્સિટીઓ છે. છત્તીસગઢની સરકારે ૨૦૦૨ની સાલમાં છત્તીસગઢ પ્રાઇવેટ યુનિવર્સિટીઝ ઍક્ટ ઘડીને બે વરસમાં સો કરતાં વધુ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને મંજૂરી આપી હતી. નાનકડા છત્તીસગઢ રાજ્યમાં માત્ર બે વરસમાં સો કરતાં વધુ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ સ્થપાઈ હતી જેમાંથી ૯૭ યુનિવર્સિટીઓની માન્યતા સર્વોચ્ચ અદાલતે ૨૦૦૫માં રદ કરી હતી. અદાલતે છત્તીસગઢ પ્રાઇવેટ યુનિવર્સિટીઝ ઍક્ટને જ ગેરબંધારણીય ઠરાવ્યો હતો. એટલે તો પ્રતાપ ભાનુ મહેતા અને દેવેશ કપૂરે તેમના પુસ્તકમાં કહ્યું છે કે આ દેશમાં બીજા કોઈ પણ કામ કરતાં સ્કૂલ-કૉલેજ અને હવે તો યુનિવર્સિટી સ્થાપવી એ સહેલું છે. ૭૦૦માંથી અંદાજે ૫૦૦ યુનિવર્સિટીઓમાં રાજકારણીઓ કાં માલિક છે અથવા ભાગીદાર છે.

ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રૅન્કિંગ માટે વિશ્વની કુલ ૯૮૧ યુનિવર્સિટીઓનો સર્વે કરવામાં આવ્યો હતો. એમાં ભારતની ૩૦ યુનિવર્સિટીઓએ એન્ટ્રી મળી છે જેના સંચાલકો એમ માને છે કે તેઓ વિશ્વકક્ષાનું ઉત્તમ શિક્ષણ આપે છે. હવે પરિણામ જુઓ – ઊતરતા ક્રમે વિશ્વની શ્રેષ્ઠ ૨૫૦ યુનિવર્સિટીઓમાં ભારતની એક પણ યુનિવર્સિટી નથી. બીજું, ભારતની જે ૩૦ યુનિવર્સિટીઓને (ભલે પાછળના ડબ્બાઓમાં) સ્થાન મળ્યું છે એમાં એક પણ યુનિવર્સિટી પ્રાઇવેટ માલિકોની નથી. તમામ ૩૦ યુનિવર્સિટી સરકારી છે તો પછી મેરિટની ચિંતા કરનારાઓ અને દાવા કરનારાઓ છે ક્યાં?

પ્રતાપ ભાનુ મહેતા અને દેવેશ કપૂર કહે છે એમ ભારતમાં શિક્ષણમાં સુધારા કરવા એ વિકટ કામ છે. એક સમસ્યા ડિમાન્ડ ઍન્ડ સપ્લાયની છે જેનો લક્ષ્મીદાસો લાભ લે છે. શાસકો કેળવણી માટે નાણાંની ફાળવણીમાં વધારો કરતા નથી, કારણ કે તેઓ પોતે પ્રાઇવેટ શિક્ષણસંસ્થાઓના માલિક છે અથવા એમાં ભાગીદાર છે. બીજી સમસ્યા જીવનમાં સફળ થઈ જવાની હરીફાઈની છે. દરેકને સફળ પ્રોફેશનલ બનવું છે એટલે લક્ષ્મીદાસો પ્રોફેશનલ કોર્સિસની કૉલેજો અને યુનિવર્સિટીઓ સ્થાપે છે, પછી ભલે સુવિધા ન હોય અને સારા પ્રોફેસરો ન હોય.

ત્રીજી અને સૌથી મોટી સમસ્યા રાજકીય હસ્તક્ષેપ છે. ભારતમાં બહુમતી હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરતા શાસકોને એમ લાગે છે કે તેઓ કેટલા મહાન છે, તેઓ કેટલા પરાક્રમી છે, હિન્દુઓના શાસનમાં ભારત કેવો મહાન દેશ હતો, જગતનું પ્રત્યેક જ્ઞાન કઈ રીતે ભારતમાં વિકસ્યું હતું એની કીર્તિગાથાઓની વાત સ્કૂલ-કૉલેજો અને યુનિવર્સિટીઓમાં કહેવાવી જોઈએ. આવી જ સ્થિતિ રાજ્યોની છે. દરેક રાજ્યના શાસકોને એમ લાગે છે કે તેમના પ્રાંત જેવો મહાન કોઈ પ્રાંત નથી અને ત્યાંની બહુમતી પ્રજાને એમ લાગે છે કે તેમના જેવી બીજી કોઈ પરાક્રમી પ્રજા નથી. તેઓ તેમના કીર્તિગાનનો આગ્રહ રાખે છે. આમ કેન્દ્રમાં અને પ્રાંતોમાં શાસકો કેળવણી ઉપર ચડી બેઠા છે. એક તો તેઓ પ્રાઇવેટ શિક્ષણસંસ્થાઓ સ્થાપીને ધંધો કરે છે અને ઉપરથી અસ્મિતાના નામે કેળવણી સાથે ચેડાં કરે છે.

ભારતીય શિક્ષણસંસ્થાઓ સામે અત્યારે જે સંકટ પેદા થયું છે એ અભૂતપૂર્વ છે. યુનિવર્સિટીઓના ઉપકુલપતિઓની નિમણૂક સીધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાંથી થાય છે. મુંબઈ યુનિવર્સિટીના ઉપકુલપતિએ યુનિવર્સિટીની જે હાલત કરી છે એ આપણી સામે છે. ભારતમાં ૭૦૦માંથી અંદાજે ૫૦૦ યુનિવર્સિટીઓમાં એવા ઉપકુલપતિઓ છે જેમણે જ્ઞાનના ઘૂંટડા સંઘની શાખાઓમાં ધરાઈ-ધરાઈને પીધા છે. એક વાત ગૅરન્ટી સાથે કહું છું જે નોંધી લેજો. આજે ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રૅન્કિંગમાં ભારતની જે ૩૦ યુનિવર્સિટીઓએ પાછળના ડબ્બાઓમાં સ્થાન મેળવ્યું છે એ સ્થાન આવનારાં વર્ષોમાં ભારતની યુનિવર્સિટીઓ ગુમાવી દેશે. કારણ? કારણ કે ત્યાં દીનાનાથ બત્રાઓ અને ગજેન્દ્ર ચૌહાણો જેવા શાખાઓમાં તૈયાર થયેલા વિરલાઓએ સ્થાન મેળવ્યું છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 13 સપ્ટેમ્બર 2017

Loading

ભ્રષ્ટાચારનું સૌથી મોટું કારણ અછત છે

નગીનદાસ સંઘવી|Opinion - Opinion|13 September 2017

વૈશ્ચિક કક્ષાએ ભ્રષ્ટાચાર સામે ઝુંબેશ ચલાવતું ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ (Transparency International) મથક જર્મનીમાં આવેલું છે. વિવિધ દેશોમાં વ્યાપેલા ભ્રષ્ટાચારની આંકણી કરવી, ભ્રષ્ટાચાર નાબૂદીના ઉપાયો સૂચવવા અને તે માટેનાં જરૂરી કાયદાઓ અને વ્યવસ્થાતંત્રો ઊભાં કરવા માટેનો ઊહાપોહ આ સંસ્થા સતત ચલાવતી રહે છે. તે માટેના સર્વેક્ષણો કરીને તેના હેવાલો સંસ્થા દ્વારા અવારનવાર બહાર પાડવામાં આવે છે.

દક્ષિણ અને પૂર્વ એશિયા, પાકિસ્તાનથી માંડીને જાપાન સુધીના 22 દેશોમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર અંગેના તેના છેલ્લા હેવાલમાં ચીનનો સમાવેશ કરવામાં આવ્યો નથી, કારણ કે ચીનમાં સ્વતંત્ર અને તટસ્થ સર્વેક્ષણ કરવાનું શક્ય નથી. ચીની નાગરિકો સત્ય જાણવા છતાં બોલી શકતા નથી અને પરદેશી સંસ્થાઓને કશી ભરોસાલાયક માહિતી મળતી નથી.

આ બાવીસ દેશોના વીસ હજાર કરતાં વધારે નાગરિકોના અનુભવો અને મંતવ્યોની છણાવટ કરીને ટ્રાન્સપરન્સી સંસ્થાએ પોતાનો હેવાલ તૈયાર કર્યો છે. નાગરિકોને જીવન માટે જરૂરી સગવડો મેળવવા માટે કેટલા જણને કેટલો વખત અને કેટલી લાંચ આપવી પડે છે તેના આધારે ભ્રષ્ટાચારનું માપ ઠરાવવામાં આવ્યું છે અને તેમાં એકથી સો સુધીના માર્ક અપાયા છે. ભ્રષ્ટાચાર વધારે હોય તેને વધારે માર્ક અપાય છે, તેથી આ પરીક્ષામાં ઓછા માર્ક મળે તે સફળ થયો ગણાય છે.

ભ્રષ્ટાચાર તમામ દેશોમાં છે, પણ તેનું પ્રમાણ વધતું-ઓછું હોય છે. પૂર્વ એશિયાના દેશોમાં જાપાનમાં ઓછામાં ઓછો ભ્રષ્ટાચાર છે, કારણ કે તેમાં દર હજાર માણસે માત્ર બે માણસોએ લાંચ આપવી પડે છે. ભારતમાં ભ્રષ્ટાચાર સૌથી વધારે ફેલાયેલો છે, કારણ કે ભારતમાં દર સો માણસે 69 માણસોએ લાંચ આપ્યાનું કબૂલ કર્યું છે. વિયેતનામ બીજા નંબરે છે, કારણ કે વિયેતનામમાં 65 ટકા લોકો રુશવત આપે છે. આપણી સરખામણીએ પાકિસ્તાનમાં માત્ર 40 ટકા લોકોએ રુશવત આપવી પડે છે.

ટ્રાન્સપરન્સીના આ હેવાલમાં વ્યાપારી સોદા માટે કે રાજકારણનો લાભ લેવા માટે આપવામાં આવતા લાંચ રુશવતનો સમાવેશ કરવામાં આવ્યો નથી, પણ સરકારી અસ્પતાલો કે સ્વાસ્થ્ય સેવાનો લાભ લેવા માટે, શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે અથવા ગુનાખોરી સામે પોલીસ રક્ષણ મેળવવા માટે આપવી પડતી લાંચ રુશવતનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી રીતે કહીએ તો આ હેવાલમાં ભ્રષ્ટાચારના આખા સ્વરૂપની અથવા તેના વ્યાપકપણાની ચર્ચા નથી, પણ આમ જનતાને પોતાની રોજબરોજની જિંદગીમાં સરકારી સંસ્થાઓ અને સેવાઓનો લાભ લેવા માટે સરકારી અસ્પતાલો, દવાખાનાંઓ, સરકારી શિક્ષણ સંસ્થાઓ અને પોલીસ રક્ષણની જ ચકાસણી કરવામાં આવી છે.

ભારતમાં પ્રવર્તતા ભ્રષ્ટાચારની વધારે વિગત પણ આ હેવાલમાં રજૂ થઈ છે. આવા ભ્રષ્ટાચારનો સૌથી મોટો બોજો ગરીબ અને નિરક્ષર લોકોએ વધારે ઉપાડવો પડે છે, કારણ કે ભારત સરકાર અને રાજ્ય સરકારોની સંસ્થાઓમાં ગરીબોએ ભોગવવી પડતી હાલાકીનો ઊહાપોહ અખબારોમાં અથવા મીડિયામાં ઓછા પ્રમાણમાં થાય છે. ટ્રાન્સપરન્સીના હેવાલ પ્રમાણે ગરીબોએ સૌથી વધારે રુશવત આરોગ્ય સેવા માટે આપવી પડે છે. સરકારી દવાખાનાંઓ, અસ્પતાલો અને આરોગ્ય કેન્દ્રોની મદદ અને સેવા જોઈતી હોય તો ગરીબોએ સૌથી વધારે વખત અને સૌથી વધારે મોટી રકમ રુશવતખોરી માટે ચૂકવવી પડે છે. ભ્રષ્ટાચારની બાબતમાં બીજો નંબર પોલીસખાતાનો આવે છે અને પોલીસોની મદદ મેળવવા માટે, પોતાની ફરિયાદો નોંધાવવા માટે અથવા પોલીસોની દખલગીરી અને ત્રાસમાંથી બચવા માટે લાંચ રુશવત આપ્યા સિવાય કામ થતું નથી.

આવી જ પરિસ્થિતિ સરકારી શાળા, કોલેજોની છે. શિક્ષણ લેવા માટે, શૈક્ષણિક સહાય મેળવવા માટે ભારતવાસીઓએ નાણાં ચૂકવવાં પડે છે.

ભ્રષ્ટાચાર ઘટાડવા અથવા નાબૂદ કરવાની કામગીરીની બાબતમાં 48 ટકા નાગરિકોએ ભાજપી સરકાર પ્રયાસો કરતી હોવાનું જણાવ્યું છે. સરકારની મહેનતનું હજી કશું નક્કર પરિણામ આવ્યું નથી એવું પણ હેવાલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે, પણ લોકો ભ્રષ્ટાચાર નાબૂદી માટે ઘણા આતુર છે, કારણ કે લાંચ-રુશવતમાં તેમની મૂડીનો ઘણો મોટો ભાગ નાહક ખર્ચાઈ જાય છે. આ નાણાં બચે તો ગરીબો મોટી રાહત અનુભવી શકશે તેવું પણ હેવાલે નોંધ્યું છે. ભારતમાં ફેલાયેલો ભ્રષ્ટાચાર વિશિષ્ઠ પ્રકારનો છે અને તદ્દન અલગ કારણસર વધારે ફેલાયેલો છે. ભ્રષ્ટાચારનું સૌથી મોટું કારણ અછત છે. સરકારી સેવા સંસ્થાઓ, દવાખાનાં, અસ્પતાલો, શિક્ષણકેન્દ્રો અને પોલીસમથકો જોઈએ તેના કરતાં ઘણાં ઓછાં છે અને જેટલાં છે તેટલાંમાં પૂરતાં કર્મચારીઓ હોતા નથી. સગવડ અને સેવાની અછતના કારણે ભ્રષ્ટાચાર વધે છે. રેલવે મુસાફરી માટે આરક્ષણ ન મળતું હોય તો લાંચ રુશવત આપવી પડે છે.

એક નક્કર દાખલો લઈએ તો મુદ્દો વધારે સ્પષ્ટ થશે. આજથી 35-40 વર્ષ અગાઉ ટેલિફોનની ભારે અછત હતી અને ટેલિફોન મેળવવા માટે મોટી રુશવત આપવી પડતી હતી. આજે આ સેવા એટલા મબલખ પ્રમાણમાં મળે છે કે તેના માટે કોઈ રુશવત માગતું નથી અને કોઈ આપતું પણ નથી. શિક્ષણ સંસ્થાઓમાં દાક્તરી શિક્ષણ આપનાર સંસ્થાઓની ભારે અછત છે, તેથી તેમાં પ્રવેશ મેળવવા માટે રુશવતખોરીનો આશરો લેવામાં આવે છે. દાક્તરી ભણનાર તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શકે તેટલાં તાલીમ કેન્દ્રો હોય તો કેપિટેશન ફી આપોઆપ નાબૂદ થાય. નોકરીઓ ઓછી અને નોકરિયાતોની સંખ્યા વધારે છે, તેથી નોકરી મેળવવા માટે લાંચ આપવી પડે છે. બેકારી નાબૂદ થાય તો આ પ્રકારની રુશવત બિનજરૂરી બની જાય છે. અછત ભ્રષ્ટાચારની જનેતા છે.

સમાજમાં સમૃદ્ધિની વહેંચણી અન્યાયી હોય તો તેમાંથી અનેક અનિષ્ટો જન્મે છે. ભ્રષ્ટાચાર પણ આવું એક અનિષ્ટ છે. લાંચ આપ્યા વગર જે વસ્તુ અથવા જે સેવા મળતી હોય તે માટે રુશવત આપવામાં આવતી નથી, કારણ કે લાંચ લેવાનું બધાને ગમતું હોવા છતાં લાંચ આપવાવાળા માટે ઘણું ભારરૂપ અને ત્રાસરૂપ બની જાય છે.

e.mail : nagingujarat@gmail.com

સૌજન્ય : ‘તડ અને ફડ’, નામક લેખકની સાપ્તાહિક કોલમ, ’કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 13 સપ્ટેમ્બર 2017

Loading

...102030...3,3563,3573,3583,359...3,3703,3803,390...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved