Opinion Magazine
Number of visits: 9688598
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મૂલ્યોનો સંઘર્ષ અને ઉમાશંકર

મનીષી જાની|Opinion - Opinion|8 August 2017

કલ્ચરલ એજ્યુકેશન ફોરમે ગોષ્ઠીનું મથાળું, ‘પ્રજાજીવનના કવિ ઉમાશંકર’ બાંધ્યું છે તે સવિશેષ આનંદની વાત છે. એ કવિની વૈચારિક ભૂમિકા દર્શાવનારું છે. આપણે ત્યાં મોટે ભાગે કવિતાના રસાસ્વાદ ને શબ્દ શાશ્વત્‌ છે, એવી વાતો વધુ ચાલતી હોય છે.

વળી મને હમણાં એક મૂંઝવણ પણ ઘણાં વખતથી એ છે કે આપણાં ગુજરાતમાં સાહિત્યકારો ને સાહિત્યની સંસ્થાઓ કેવી રીતે ચર્ચા કરતી હોય છે. હમણાં જ જ્યારે સરકારી સાહિત્ય અકાદમીના સરકારી અધ્યક્ષ વિષ્ણુભાઈએ સ્વાયત્તતા માટે લડનારા એ ચતુર્વણા વ્યવસ્થાની જેમ જે ચાર પ્રકારો પાડ્યા, એને સિતાંશુભાઈએ યોગ્ય રીતે જ મૂકેલાં છે તે આપણે ‘નિરીક્ષક’માં વાંચી ચૂક્યાં છીએ. એટલે મારી મૂંઝવણ એ છે કે આપણે ત્યાં કેમ હંમેશાં કોઈ પણ મુદ્દે વૈચારિક ભૂમિકાને ચાતરી જવામાં આવે છે. ખાસ તો આ વૈચારિક મુદ્દાઓથી ચાતરી જવા જ તમે કોઈને પણ કહી દો કે આ ડાબેરી સર્જક છે, આ સામાજિક કવિતા કરનારો કવિ છે, આ માનવતાવાદી છે, આ ગાંધીવાદી છે. આ મુશાયરાનો કવિ છે ને ફલાણો કૃષિકવિ છે.

આવાં લેબલોને લઈ સર્જક કવિની વૈચારિક ભૂમિકાની ચર્ચા થાય જ નહીં. એક લેબલ લગાડી તેની ઉપેક્ષા અવહેલના કરો, ને બાજુમાં મૂકી દો! આ એક નકારાત્મક પદ્ધતિ છે.

અને ખાસ તો એ વાત છે કે આવાં લેબલ લગાડનાર ખુદ – હા, હું જમણેરી છું કે ફલાણા કવિ જમણેરી છે એવું નથી કહેતા કે નથી એવું કહેતા કે હું હિંદુ રાષ્ટ્રવાદી છું! આવું જો કહે તો આપણને કોઈ વાંધો ન હોઈ શકે. દરેકને પોતાની વિચારસરણી રાખવાનો હક્ક છે પરંતુ તમે છદ્મવેશી બનીને અન્યના વિચારોને રોકવાના પ્રયત્નો કરો તે ઘણાં પ્રશ્નો ઊભા કરે છે.

મારે ઉમાશંકરને કોઈ લેબલ નથી મારવું. એમણે પોતાના વિના બહુ સ્પષ્ટ રીતે અનેક વાર જણાવ્યું છે કે પોતે કોણ છે. અને તે આપણે જાણવું જોઈએ એટલે જ ઉમાશંકરને એ રીતે તપાસવા બહુ જરૂરી છે. વૈચારિક ભૂમિકાએ કવિને તપાસવાની, કવિતાને જાણવાની પરંપરા આપણે ઊભી કરવી જોઈએ. એક નવો ચીલો પાડવો જોઈએ. મોટે ભાગે માત્ર અધ્યાપકીય રીતે ‘રસાસ્વાદ’ થતાં રહ્યા છે તેનાથી હવે છૂટવું રહ્યું.

દુકાળને કારણે સાબરકાંઠાના લુસડિયાથી સ્થળાંતર કરી બામણા ગામમાં વસેલા આર્થિક રીતે અત્યંત સામાન્ય એક પરિવારના, તેજસ્વી તરુણ ઉમિયાશંકર અમદાવાદની પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. મૅટ્રિકમાં સમગ્ર બોમ્બે સ્ટેટમાં ત્રીજા નંબરે અને અમદાવાદમાં પ્રથમ નંબરે પાસ થાય છે. ૧૯૨૯માં ગુજરાત કૉલેજમાં ભણતાં હોય છે, ત્યારે સાઈમન કમિશનના બહિષ્કારના મુદ્દે વિદ્યાર્થીઓની ઐતિહાસિક હડતાળ પડી હતી. ઉમાશંકર તેમાં ઝંપલાવે છે. તેજસ્વી વિદ્યાર્થી તરીકે મળતી શિષ્યવૃત્તિ જો તે પરીક્ષામાં ન બેસે તો ગુમાવશે એવી તેમને નોટિસ મળી ચૂકી હતી.

આ ગ્રામીણ તરુણ શિષ્યવૃત્તિના સહારે જ ભણી શકે એમ છે. એ સત્તર વર્ષનો તરુણ જે નિર્ણય આ મુદ્દે કરે છે, તે દર્શાવતો પત્ર તા. ૧૧ જાન્યુ ૧૯૨૯ના રોજ કુટુંબીજનોને લખે છે. તે વાંચવા જેવો છે :

તા. ૩૦મીના આગલા શુક્રવારે ફરીથી લેવામાં આવતી પરીક્ષા(?)ની ફી આપી દેવી જ જોઈએ એમ જાહેર થયું હતું. ભાઈ દલસુખે તથા મેં નિશ્ચય કરી દીધો હતો કે ફી કોઈ કાળે ન જ આપવી. અમે ન આપી … તમે તો મને બહુ જ આગ્રહપૂર્વક જણાવેલ કે બધું ય બાજુ મૂકી. અવ્વલ નંબરની વાણીઆશાહી વાપરી આપખુદ સત્તાનાં હિમાયતીઓને ‘જીહા! જીહા!’ ભણવી. પરંતુ હું એવો વૈશ્ય નથી એ તમારે જાણવું જોઈતું હતું … सा विद्या या विमुक्तये। ’તે વિદ્યા, જે વિમુક્તિદા’ – એવી જે ગુલામીમાં સડે છે તેમને તેમાંથી વિમુક્તિ આપનાર, અંધકારમાં વિભ્રમિત ફરનારાઓને પ્રકાશ આપી એમાંથી ઉગારનાર, ભૂલેલાને રસ્તો સૂઝાડનાર. પડેલાને હાથ ઝાલી ઉદ્ધારનાર વિદ્યાના જ ઉપાસક થવાની મારી મહેચ્છા છે. નહીં કે સ્વમાનને બાજુએ મૂકી, તુમાખી ભરેલા અધિકારીઓના ગુલામીમાં જકડી દેતા હુકમોને તાબે થતાં શીખવે એવી વિદ્યાના પૂજક થવાની … હું તો એથી ય આગળ વધી કહું છું કે ઘેરથી કોઈ પણ પ્રકારે અંદર દાખલ થવું જ એવી ભારપૂર્વક શિખામણ આપવામાં આવી હોય. છતાં અન્તરાત્મા કબૂલે છે કે દાખલ થવું તે મહાપાપ છે તો જરૂર ન દાખલ થવું. કારણ પિતૃભક્તિથી ચલિત ન જ થવું જોઈએ. છતાં અન્તરાત્માને પસંદ પડતાં પ્રહ્‌લાદે બાળપણમાં પણ પિતાના અવળા વિચારથી વિરુદ્ધ વર્તન અમાનુષિક અત્યાચારો સહન કરીને પણ કરવાની હિંમત ખેડી હતી. રાવણથી છૂટા પડતાં, વિભીષણે પોતાના અંતરાત્માની સહાય હોવાથી, લેશ પણ બીક રાખી નહોતી અને એમ કરવાથી જ એમને ઇષ્ટપ્રાપ્તિ થઈ હતી.

… અને મુશ્કેલીઓ તો સૌને હોય છે. સારું કરવા જનારના માર્ગમાં મુશ્કેલીઓ ન આવતી હોય તો જગમાં આટલી બધી બુરાઈ વધત કે? મુશ્કેલીઓમાં આર્થિક મુશ્કેલી તો મુશ્કેલી જ ન ગણાય. આવતી પંદરમી તારીખે પરીક્ષા ન આપે તો ગર્વમેન્ટ સ્કૉલરો-બે-ને ૬ માસની સ્કૉલરશીપ ન આપવી. આને Merit-Scholarship કહે છે, એ તો તમે જાણતા હશો. આપણા ગુણની એમને કદર હોય ત્યાં સુધી એ સ્કૉલરશીપ આપે. સ્વમાન-સ્વતંત્રતા – જે આપણી દૃષ્ટિએ ગુણ હોય તે એમની આંખમાં અવગુણ તરીકે ખૂંચે તો જરૂર એ સ્કૉલરશીપ બંધ કરે. પણ જો પરીક્ષામાં અમે બેસીએ તો ગુલામીમાં સબડવાની ઇચ્છારૂપી ગુણની ખાતરી એમને આપીએ તો જરૂર તે સ્કૉલરશીપ બંધ ન કરે. કોણ સલાહ આપવાની હિંમત કરશે કે આવો ગુણ ધરાવી સ્કૉલરશીપ મેળવવી ? જરૂર, પિતાશ્રી તો ના જ કહે.

(પત્રો : ૧૯૨૮-૧૯૫૦, પૃ. ૭-૧૦માંથી સંકલિત અંશો)

આ પત્રમાંથી પ્રગટતાં ઉમાશંકરના મિજાજ ખુમારી, સ્વતંત્રતા અંગેની સમજને મૂલ્યનિષ્ઠા ઉલ્લેખનીય છે. અને આ જ મૂલ્યનિષ્ઠા ઉમાશંકરનો પાયો છે. એ સતત પ્રગટતી આપણને જોવા મળે છે. જાહેરજીવનના દરેક પ્રસંગે વ્યક્ત થતી રહે છે.

૧૯૩૦માં દાંડીકૂચના સત્યાગ્રહી તરીકે જોડાય છે. ગામડાઓ ખૂંદે છે. ધરપકડ વહોરે છે. અને જેલમાં પણ જાય છે. ઉમાશંકરની જાણીતી પંક્તિઓ :                  

સ્વતંત્ર પ્રકૃતિ તમામ
એક માનવી જ કાં ગુલામ?

અનેક જગાએ વંચાતી બોલાતીને શાળાઓમાં ભણાવાતી રહી છે. આ પંક્તિઓ ૧૯૩૦માં જ તરુણ ઉમાશંકરે દેત્રોજના પોલીસથાણામાં ધરપકડ દરમિયાન લખેલી એવું જ્યારે જાણીએ ત્યારે આ પંક્તિઓનું મહત્ત્વ વિશેષ બની રહે છે. સમયના બંધન વિના કવિતા જાણવી એવા ઘણાનો દુરાગ્રહ હોય છે. પણ કવિના સમયકાળ-સંજોગોના સંદર્ભમાં કવિતા વાંચવાથી કંઈક વિશેષ આપણે મેળવીએ છીએ એ શું મૂલ્યવાન નથી?

આવા સવાલો કૉલેજો યુનિવર્સિટીઓમાં ઊઠવા જોઈએ એવું નથી લાગતું? અને લાંબા જેલવાસ દરમિયાન આપણને તેમનાં છ નોંધપાત્ર નાટકો મળે છે, જેમાં ખાસ ઉલ્લેખનીય છે તેમનાં સ્ત્રી પાત્રો. ઉમાશંકરની વાર્તાઓ ને નાટકોમાં સ્ત્રીઓ તરફની તેમની સન્માનપૂર્વક જોવાની દૃષ્ટિ એ તેમનાં વિચારજગતના પ્રતીક તરીકે જોવી રહી.

૧૯૩૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં તેમને કાકાસાહેબ કાલેલકર અને ધર્માંનંદ કૌસાંબી એવા શિક્ષકો મળે છે. કૌસાંબી તે સમયે વિદ્યાપીઠમાં રશિયનક્રાંતિનાં વર્ગો લેતા હતા અને જવાહરલાલ નેહરુ વિદ્યાપીઠમાં આવ્યા ત્યારે સમાજવાદ આવે તેની સમાજમાં શું અસરો થાય એ અંગેની શંકાકુશંકાઓ સાથેની ચર્ચાઓ જે યુવા ઉમાશંકરે કરી હતી તે પોતાની રોજનીશી ‘વાસરી’માં લખેલી છે.

અને આ જ સમયમાં પરદેશી કાપડ બહિષ્કારનું આંદોલન પણ ચાલતું હતું. યુવા ઉમાશંકર અને તેમના સાથીઓ વિદ્યાપીઠથી ખાદી લઈને નીકળે અને અમદાવાદ શહેરના કાપડ માર્કેટમાં જઈ પરદેશી કાપડની દુકાનની આગળ સવારથી સાંજ ઊભા રહે અને લોકોને ખાદી ખરીદવા પ્રેરે. પરદેશી કાપડ વેચતા વેપારીની દુકાનની બહાર આખો દિવસ ખભે ખાદી નાંખીને ઊભા રહેવું એ સહેલી વાત ન હતી. વરસાદ પડતો હોય તો ય વેપારીનો તિરસ્કાર વેઠીને ય ઊભા રહેવું અને લોકોને પરદેશી કાપડને બદલે ખાદી ખરીદવાનું સમજાવવાનું એ અઘરી વાતો તો ખરી જ.

લોકોની વચ્ચે તેઓ આજીવન રહ્યા છે. તેમને માત્ર સાહિત્યકારો ને અધ્યાપકો જ મિત્રો ન હતાં. તમામ પ્રકારના લોકો તેમના મિત્રો. આઝાદીની લડતમાં સક્રિય ભૂમિકા ભજવી, ઘણીવાર જેલમાં ગયા પણ દેશ જ્યારે આઝાદ થયા ત્યારે આનંદઉત્સવની વાતો કે પોતાની પીઠ પોતે જાતે થપથપાવવાનું કામ તેમણે નહોતું કર્યું. ૧૯૪૭ના ઑગસ્ટ મહિનાના ‘સંસ્કૃિત’માં લોકોની જ ચિંતા તેમણે વ્યક્ત કરી ‘બ્રિટનનો સત્તા ત્યાગ’ એવા મથાળા હેઠળ તેમણે લખ્યું :

‘… પણ આ ઘટનાને એની બીજી બાજુ પણ છે. અંગ્રેજને પોતે હિંદ છોડી રહ્યા છે એનો જેટલો ઉમંગ છે એ માટેનાં પગલાં લેવામાં જેટલો ઉત્સાહ છે, જેટલી હોંશ છે. તેટલી એમનાથી છૂટ્યા કહેવાતા હિંદને હોય એમ જોવા મળતું નથી. પ્રજાના કોઈ પણ પક્ષમાં ક્યાં ય ઉમળકો નામ ને વસ્તુ નજરે પડતી નથી!

‘એટલા ઉપરથી જ હિંદ ખરેખર અંગ્રેજના પ્રભાવમાંથી કેટલુંક છૂટ્યું છે – કેવુંક છૂટ્યું છે – એનું સૂચન મળી રહે છે.’ 

(સમયરંગ, પૃ. ૧૭, ૨૦૦૪)

‘રાજકારણ એ પ્રાણવાયુ સમાન છે’ – એવું માનનારા ઉમાશંકર યુવાવસ્થામાં ગાંધીજીના સમયમાં જ સતત કામ કરતાં રહ્યા. પણ તેમને ગાંધીવાદી કે ગાંધીજીની સાહિત્યકારનું લેબલ પસંદ ન હતું. યશવંત ત્રિવેદી સંપાદિત ‘ઇન્ટરવ્યૂઝ’(૧૯૮૫)માં છપાયેલી મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું : ‘ગાંધીયુગ પ્રયોગ સાહિત્યચર્ચામાં બરોબર છે? રાજા કે રાજવંશને નામે સાહિત્યના પણ યુગોનું નામકરણ થતું પછી ઇતિહાસના સામંતશાહી જેવા વલણને અનુસરી મુખ્ય કોઈ લેખક ઉપરથી થતું જોવા મળે છે. હવે એ પદ્ધતિ ખપની લાગતી નથી. વળી, નીતિવિષયક મૂલ્યોનો આગ્રહ એ માત્ર ગાંધીજીના જીવનકાળની જ વાત હોય એવું નથી. ગોવર્ધનરામમાં પણ જોઈ શકાશે. ગાંધીજીનો આયુષ્યકાળ પૂરો થતાં હાશ નીતિવિષયક મૂલ્યોનો સંદર્ભ અપ્રસ્તુત થઈ ગયો એમ માની લેવામાં ભૂલ કરી બેસશો.’

(થોડુંક અંગત, પૃ. ૯૯, ૨૦૧૧)

૧૯૭૦માં તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત પામ્યા. ગુજરાતમાં જે પ્રકારનું રાજકારણ શરુ થયું અને ચીમનભાઈ પટેલે ધારાસભ્યોને ખરીદી પંચવટી ફાર્મમાં પૂરી મુખ્યપ્રધાનપદ મેળવ્યા જે ખેલ ખેલ્યો ત્યારે ઉમાશંકર સત્તાની સાથે રહી ચૂપ ન રહ્યા. રાજ્યસભાને રાજ્યસભા બહાર પણ સક્રિય બન્યા અને તેમની મૂલ્યોના સંઘર્ષની લડાઈ નવનિર્માણ વિદ્યાર્થી આંદોલન, જેપી આંદોલન, જનતા મોરચાની રચના અને કટોકટી કાળ સુધી ચાલુ રહી. તેઓ પોતે જ આ અંગે લખે છે :

‘છેલ્લા દશકામાં દેશની સ્થિતિ વણસતી જતી હતી ત્યારે વધારે લખવાનું બન્યું. રાજ્યસભામાં તો ખાસ બોલ્યા વગર જ હું છ વરસ પૂરા કરત. પણ ગુજરાત પ્રકરણ અને કટોકટીને કારણે સહેજે બોલવાનું થતું. એકંદરે કહી શકાય કે ચાલુ બનાવો પર બોલવા-લખવા પાછળ મૂલ્યોનો સંઘર્ષ કારણભૂત રહ્યો છે.         

(સમયરંગ, પૃ. ૮, પ્રથમ આવૃત્તિ ૧૯૭૮)

નવનિર્માણ આંદોલન દરમિયાન તેઓ સતત વિદ્યાર્થીઓને મળતા રહ્યા એ પછી અમદાવાદ હોય કે દિલ્હીમાં. દિલ્હીમાં અમે તિહાડ જેલમાં હતા ત્યારે રોજ સવારે પુસ્તકો અને વિવિધ રાજકીય પક્ષોના સાંસદોને લઈ મળવા આવતા. ગુજરાતની સ્થિતિ ને વિદ્યાર્થીઓના આંદોલનને લઈ તેમણે બે વિગતવાર ભાષણો કર્યા. અને તેમણે જે લેખ લખ્યા તેમાં રજૂ થતી તેમની સૂક્ષ્મ અને ઘટનાઓને એક વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોવાની દૃષ્ટિ ઉલ્લેખનીય બની રહે છે : ‘એમાં સૌથી સારી વસ્તુ એ છે કે કોમી એખલાસને આંચ આવી નથી. ૧૯૬૯ની કારમી સ્મૃિતઓ અને ગઈ સાલનો મોડાસાનો કોમી ભડકો એ હજી મગજમાં તાજાં છે. કોમી એખલાસ તૂટ્યો હોત તો અમારી તદ્દન ખાનાખરાબી થાત. નહીં કે તેને તોડવાના પ્રયત્ન થયા ન હતા. પણ સદ્‌ભાગ્યે વિદ્યાર્થીઓ ચેતી ગયા અને લોકો પણ આપોઆપ એ અંગે સચેત થઈ જતા. અમદાવાદમાં નવનિર્માણ સમિતિના વિદ્યાર્થીઓએ શાહપુરમાં શહીદ-પંકજ-ને પુષ્પાંજલિ આપી અને એ એકના એક પુત્રને ગુમાવનાર પિતા પાસે આશ્વાસન આપવા માટે ગયા અને ત્યાંથી નીકળી જમાલપુરમાં શહીદ ફઝ્‌યુલને ત્યાં જઈને પુષ્પો ચઢાવ્યાં અને તેના પિતા અબ્દુલ રહીમને મળીને દિલસોજી આપી. વળી જ્યારે કોમી એખલાસ ભયમાં હતો ત્યારે તરત જ વિદ્યાર્થીઓ ભેગા થઈ ગયા. કોઈ કુરાને શરીફમાંથી આયાતો બોલવા લાગ્યા તો કોઈ ગીતાનો પાઠ કરવા માંડ્યા. અને એ રીતે તેઓ કોમીશાંતિ જાળવવામાં સફળ થયા.

‘… લશ્કર વિશે પણ બે શબ્દ કહેવા જોઈએે. ૨૭મી જાન્યુઆરીએ અમદાવાદમાં જે લશ્કર બોલાવવામાં આવ્યું તેની સામે પ્રજાને કશી ફરિયાદ કરવાની નથી. લશ્કર રહ્યું તે ગાળામાં કશું બન્યું નથી. અમદાવાદમાં લોકોએ એને વધાવ્યું. લાખ જેટલા માણસોએ રસ્તાની બે બાજુએ ઊભા રહીને તેની પ્રત્યે ભાઈચારાનો ભાવ પ્રદર્શિત કર્યો.’

(સમયરંગ, પૃ. ૩૮૧-૮૬)

લોકલડત પૂર જોશમાં ચાલતી હતી તેવામાં દિલ્હીમાં એક નેતા સાથે તે અંગે વાત થતાં મેં કહ્યું : બારીઓ અંદરથી બરોબર બંધ કરવામાં આવી હતી. બારણાને તાળા લગાવવામાં આવ્યાં હતાં. દરવાજા પર બંદૂકધારી ગોઠવાયેલો હતો. પણ એવું બન્યું કે મકાનનું છાપરું ઊડી ગયું!

પ્રજાની લાગણી કેટલી બધી ધૂંધવાઈ પ્રબળ બની હશે ત્યારે એમ થવા પામ્યું હશે? પ્રજાને ચારે બાજુથી આંતરવામાં આવે તો બીજું શું થાય?

(૧૯-૪-૧૯૭૪) (શેષ સમયરંગ, પૃ. ૪૦૬, ૨૦૦૪)

૧૯૭૪માં ગુજરાતમાં વિધાનસભા વિસર્જન બાદ જે નવી મોરચા સરકાર બની તેની આખી ય પ્રક્રિયા, જયપ્રકાશ નારાયણે ગુજરાતમાં ઊભી કરેલી લોકસંઘર્ષ સમિતિના સભ્ય તરીકે ઉમાશંકરે જોઈ હતી. લોકઉમેદવારો અને વિરોધ પક્ષોએ ભેગા થઈ બનાવેલા જનતા મોરચાનું ચૂંટણી પ્રતીક એક જ હોય એવો એક આદર્શ હતો જે અંગે પક્ષો વચ્ચે મતભેદ હતા. આ અંગેની એક મિટિંગ અમદાવાદના ટાઉનહૉલના ગ્રીનરૂમમાં જયપ્રકાશજી અને મોરારજીભાઈ વચ્ચે ચાલી રહી હતી ત્યારે ટાઉન હૉલમાં બહાર ઊભા રહી સૂત્રોચ્ચાર કરી એક પ્રતીકની વાત ઉમાશંકરે કહી હતી. ગુજરાતના રાજકારણમાં સર્વોચ્ચ કહેવાતા ‘મોરારજીભાઈએ ઉમાશંકરને વખોડતાં પત્રકારોને જણાવ્યું હતું કે ઉમાશંકર મોટા કવિ ખરા પણ તેમને રાજકારણમાં સમજ ના પડે!’

પણ ઉમાશંકરને રાજકારણમાં કેવી ઊંડી સમજ પડતી હતી એ તેમનું ૧૯૭૫માં લખેલું લખાણ જ વ્યક્ત કરે છે. ૧૯૭૭માં મોરારજીભાઈ વડાપ્રધાન બન્યા હતા એટલી વાત ધ્યાનમાં રાખીને અહીં મૂકેલાં તેમના લખાણના કેટલાક અંશો વાંચવા આજે રસપ્રદ બની રહેશે :

જનતાએ તો ભારે સમજ બતાવી ગણાય. મોરચાને સૌથી આગળ મૂક્યો પણ ચોખ્ખી બહુમતી આપી નહીં. કૉંગ્રેસને પાછળ રાખી પણ પક્ષ તરીકે સારો દેખાવ કરવા દીધો. કિમલોપને કોઈએ પણ ધાર્યું હોય તે કરતાં ભારે શિકસ્ત આપી – માત્ર બાર જ બેઠકો આપી અને મોટી વાત તો એ બની કે તેના ચૂંટણીમાં પાવરધા નેતાને તેર હજાર મતથી હાર મળી. જનતાએ સૌથી વધુ રોષ કિમલોપ તરફ બતાવ્યો.

જનતા ‘મોરચાની અને લોકસંઘર્ષ સમિતિ અપવાદરૂપ વ્યક્તિઓ બાદ કરતાં ઘણા મોટા ભાગની વ્યક્તિઓ આરંભથી જ કિમલોપ સાથે ગઠબંધન ચાહતી હતી અને તેઓમાંથી કેટલાકના પ્રયાસો ભાગ્યે જ ક્યારેક પણ અટક્યા હોય. જો તેમની ઇચ્છા પ્રમાણે મોરચાએ કિમલોપ સાથે અગાઉથી ગઠબંધન કર્યું હોત તો એ બંનેને થઈને પણ ૮૬ બેઠકો ન મળત. ચૂંટણીમાં પ્રજાએ કિમલોપ અંગે જે ચુકાદો આપ્યો તે પછી ‘બિનશરતી’ ટેકો આપતા કિમલોપનો હાથ ઝાલવા દોટ મૂકવામાં જનતાની ઇચ્છાને માન આપ્યું એમ કહેવું એ પ્રજાને ભરમાવવા જેવું છે. મોરચાએ લઘુમતી સરકાર રચવાની તૈયારી બતાવી હતી. તેને વળગી રહેવાનું હતું.

… ગુજરાતની ચૂંટણીઓની ફલશ્રુતિ મોરારજી દેસાઈને માટે પૂર્ણ નહીં તો લગભગ પૂર્ણ સંતોષકારક લેખી શકાય. હવે અત્યારે જોવું શક્ય છે કે તેઓશ્રી પોતાનું મન બરોબર સમજતા અને એક આંકેલી માર્ગરેખા પર મક્કમપણે તેઓ ચાલતા રહ્યા ને ધાર્યું મેળવ્યું ત્યારે રહ્યા. પછી ભલેને લાંબાં હિતોની દૃષ્ટિએ ગુજરાતને અને દેશ સમગ્રને ગમે તેટલું સોસવાનું આવે.

… મોરારજી દેસાઈને એક વ્યવહારુ રાજકારણી તરીકે પ્રામાણિક ખ્યાલો અને પોતાની મર્યાદાઓ હશે. પણ ગુજરાતની ચૂંટણીઓ નિમિત્તે દેશને નવી આશા મળે એવું ક્રાંતિનું વાતાવરણ જન્માવવાનું અને દેશને સાચી દોરવણી આપવાનું તેઓશ્રીએ ટાળ્યું. ગણતરીપૂર્વકની ઉઘાડી રાજરમતથી સંતોષ માન્યો. એને પરિણામે જનસંઘને ગુજરાતની પાછલી વિધાનસભામાં જેટલી બેઠકો હતી તેટલા હોદ્દા (વત્તા સંસદીય સચિવનો હોદ્દો) મળ્યા, પોતાના પક્ષના આધિપત્યવાળી નવી સરકાર રચાઈ, બાઈબલકથિત ‘પ્રોડિગલ સન’ જેવા કિમલોપી નેતા પોતાને પાછા આવી મળ્યા! સંસ્થા કૉંગ્રેસની રાષ્ટ્રીય કારોબારીએ ઠરાવમાં ઘા પર મીઠું ભભરાવતા શબ્દો વાપર્યા કે ‘નવનિર્માણના આંદોલનની’ ભાવનાને ઉઠાવ મળ્યો છે:

… ગુજરાતની એક વ્યક્તિએ વડાપ્રધાન બનવું છે, અને અન્યને મુખ્યપ્રધાન (એક સૌરાષ્ટ્રી નેતાએ તે કરી બતાવવાનું પણ લીધું છે,) – આ બે મહત્ત્વકાંક્ષાઓનાં પડ વચ્ચે ગુજરાતનું જાહેર જીવન થોડા વખત ભીંસાતું રહેવાનું. શ્રીમતી ગાંધીના સત્તાદોરને ખાળવાના પ્રયત્નો ગુજરાતમાં અપ્રતિષ્ઠિત થયેલ સર્વોચ્ચવાદ, શ્રી ચીમનભાઈની સત્તાથી પૈસો-થી સત્તા-થી પૈસો તરફની દોટ, અને પ્રમાણમાં અજાણ્યા એવા જનસંઘની પ્રતિષ્ઠા કરવામાં પરિણમ્યા છે.

ગુજરાત કેળવણીના અને જાહેર જીવનના અન્ય ક્ષેત્રોમાં હવે મોરારજીભાઈ-કસ્તૂરભાઈ-ચીમનભાઈ ધરીનો દબાવ અનુભવશે.

(૨૩-૬-૧૯૭૫)                       

(શેષ સમયરંગ, પૃ. ૪૪૪-૫૦)

આજના સમયે દેશમાં જે હાલત ઊભી થઈ છે તેનો અણસાર ઉમાશંકરના આ લખાણમાં આપણે પામી શકીએ છીએ.

મૂલ્યના સંઘર્ષમાં સતત અડીખમ રહેલા ને ખાસ તો ક.મા. મુનશીના સાહિત્ય પરિષદ પરના વૈચારિક આધિપત્યને આંદોલનથી તોડનારા ઉમાશંકર વિશે વિચારતા આજના સમયમાં એક બીજી મૂંઝવણ પણ મને થતી રહી છે કે ઉમાશંકરના ઘણી શિષ્યો હતા. તેમની આંગળી પકડીને ઘણા સાહિત્યકારો અકાદમીથી માંડી અનેકાનેક સંસ્થાઓમાં સ્થાન પામ્યા. આ શિષ્યો કહો કે ઉમાશંકરની સાથે ચાલનારાઓમાં ઉમાશંકરમાં મૂલ્યોના સંઘર્ષમાં સક્રિય ભૂમિકા અદા કરવાની જે તાકાત – મિજાજ હતાં તેનો નાનો સરખો અંશે ય કેમ તેમનામાં દેખાતો નથી?

અત્યારે તો ખરેખર ચારેકોર જ અંધારું છે ત્યારે મૂલ્યો માટે ઊંચા અવાજે હિમ્મતભેર બોલનારાઓની ઘણી જરૂર છે. ઉમાશંકરના શિષ્યો અને સાથીદારો ક્યાં છે? મારી મૂંઝવણનો કોઈ જવાબ આપશે?

(ગોષ્ઠીમાં આપેલા વક્તવ્યના સંકલિત અંશો)

૨૧-૭-૨૦૧૭

E-mail : manishijani@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2017; પૃ. 06-08

Loading

‘સંસ્કૃિત-સૂચિ’ અને ‘સમયરંગ’ વિશે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|8 August 2017

સંસ્કૃિત-સૂચિ

ઉમાશંકર જોશીના પ્રદાન વિશે તાજેતરમાં થયેલું બહુ મહત્ત્વનું કામ એટલે ‘સંસ્કૃિત’ સામયિકના ચારસો સોળ જેટલા અંકોમાં પ્રસિદ્ધ થયેલાં પાંચ હજારથી વધુ લખાણોની સૂચિ. તેનું નામ છે ‘સંસ્કૃિત-સૂચિ’, પેટા નામ ‘સામયિકની વર્ગીકૃત સૂચિ’. આઠસો જેટલાં પાનાંનો આ ઉપયોગી, દૃષ્ટિપૂર્ણ અને શ્રમસાધ્ય સંદર્ભગ્રંથ અમદાવાદની શ્રી હરિવલ્લભદાસ કાળિદાસ આટ્‌ર્સ કૉલેજનાં સમર્પિત ગ્રંથપાલ તોરલ પટેલ અને જાણીતાં સાહિત્યકાર શ્રદ્ધા ત્રિવેદીએ તૈયાર કર્યો છે. સૂચિકર્તાઓએ ‘સંસ્કૃિત’ની સામગ્રીને ત્રીસ વિભાગમાં વહેંચી છે. તે આ સામયિકના ફલકની અને સૂચિકર્તાઓની ચીવટની ઝલક આપે છે.  સૂચિની યથાર્થતા સમજવા માટે ‘સંસ્કૃિત’ના અંકો સુલભ હોવા જરૂરી છે. પણ તે આપણાં જાહેર ગ્રંથાલયો કે ઉચ્ચશિક્ષણની સંસ્થાઓમાં બહુ ભાગ્યે જ હોય છે. ઉકેલ તરીકે, સંસ્કૃિત’ના તમામ અંકો ઉમાશંકરે સ્થાપેલાં ગંગોત્રી ટ્રસ્ટ માટે, મુદ્રણ-પ્રકાશનના કીમિયાગર અપૂર્વ આશરે તૈયાર કરેલી ઉમાશંકર જોશીની અધિકૃત વેબસાઇટ www.umashankarjoshi.in પર વાંચી શકાય છે.

‘સંસ્કૃિત’ સૂચિનો પહેલો જ વિભાગ સૂઝપૂર્ણ છે. આ વિભાગ  અંકોનાં ‘આવરણ પૃષ્ઠ’ અંગેનો છે.  તેમાં દરેક અંકના મુખપૃષ્ઠ પરનાં ચિત્ર/રેખાંકન/છબીની માહિતી છે. ત્રીજા કે ચોથા પૂંઠા પર મોટે ભાગે કવિતા  કે ફકરો છે તેની નોંધ છે. સૂચિમાં શુદ્ધ સાહિત્યને લગતા વિભાગો આ મુજબ છે : કવિતા, વાર્તા, નવલકથા : અભ્યાસ/સમીક્ષા/સાર/પ્રસ્તાવના, નાટક, નિબંધ, આત્મકથન, ચરિત્રકથન, સાહિત્ય-અભ્યાસ : સિદ્ધાન્ત/ઇતિહાસ/સ્વરૂપ/વિવેચન, ભાષાવિજ્ઞાન, લોકસાહિત્ય, પ્રવાસ. ‘સંસ્કૃિત’ની બહુ મોટી સિદ્ધિ તો સાહિત્યેતર વિષયોને તેમાં મળેલું સ્થાન છે. એટલા માટે સૂચિમાં આ મુજબના વિભાગો પણ છે : જાહેરજીવન-રાજકારણ-ઇતિહાસ, સમાજકારણ, અર્થકારણ, શિક્ષણ, ધર્મ-તત્ત્વજ્ઞાન, કળા-સંસ્કૃિત, પત્રકારત્વ; અને પુસ્તકોને લગતો વિભાગ ‘સ્વાધ્યાય અને સમીક્ષા’. સર્જનાત્મક લખાણો સિવાયનાં લખાણોમાંથી દરેકને એક કે તેથી વધુ વિષયમાં વર્ગીકૃત કરવા એ કસોટીરૂપ બાબત છે. ઉમાશંકર એકંદર જાહેરજીવનનાં સંખ્યાબંધ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પાસાંને લગતી લાંબી-ટૂંકી પ્રાસંગિક નોંધો લખતા. તેનો ‘સમયરંગ’ નામનો વિભાગ સૂચિમાં બીજા ક્રમે છે. તેના પછીના ‘અર્ઘ્ય’ વિભાગમાં એવાં લખાણોની યાદી છે, જે તંત્રીએ બીજાં પ્રકાશનોમાંથી લીધેલાં હોય. પત્રમ્‌પુષ્પમ્‌, ‘સંસ્કૃિત’ના વિશેષાંકોના વર્ગ પછી લેખકોનાં નામોની યાદી છેલ્લા ત્રીસમા વિભાગ તરીકે છે.

છેલ્લેથી બીજો વિભાગ, ‘ઉલ્લેખ-સૂચિ’ એટલે કે ચાવીરૂપ શબ્દોની યાદી એ આ ગ્રંથની અનોખી સિદ્ધિ છે. તેમાં સર્જનાત્મક સાહિત્ય સિવાયનાં લખાણોમાં આવતાં મહત્ત્વનાં વ્યક્તિ/સંસ્થા/કૃતિ/પારિતોષિકો વગેરેનાં નામ તેમ જ નોંધપાત્ર ઘટનાઓને લગતા શબ્દો છે. વધુ પડકારરૂપ છે તે મુખ્ય વિચાર કે વિષય દર્શાવતા શબ્દો. જેમ કે ‘લોકશાહી’, ‘વિજ્ઞાન’, ‘સમાજ’ વગેરે. એટલે જે લેખોમાં ‘લોકશાહી’ને લગતું કંઈ પણ હોય તે દરેકનું ‘સંસ્કૃિત’ના અંકોમાંનું સ્થાન ‘લોકશાહી’ શબ્દની સામે નોંધવામાં આવ્યું છે. ઉલ્લેખ-સૂચિ ઝડપી વાચન (સ્પીડ રીડિંગ) અને આકલન પ્રક્રિયાથી તૈયાર થાય છે. દરેક લખાણનું હેતુપૂર્ણ વાચન, તેમાંના કયા શબ્દો ઉલ્લેખ-સૂચિમાં આવી શકે તેની તારવણી, અને આવી તારવણી દરમિયાન ઊભો થતો, વધતો  શબ્દરાશિ સતત મનમાં જાગતો રાખવાની સતેજતા અનિવાર્ય હોય છે. પાંચેક હજાર ચાવીરૂપ શબ્દોનો આ વિભાગ ‘સંસ્કૃિત’ની ઉપયોગિતા ખૂબ વધારી શકે, તેવું મૌલિક પ્રદાન છે.

આવી મૌલિકતા કવિતા વિભાગમાં પણ છે. વિશ્વસાહિત્યના આરાધક ઉમાશંકરના ‘સંસ્કૃિત’માં દેશ અને દુનિયાની ભાષાઓની કવિતાઓના સંખ્યાબંધ અનુવાદ વાંચવા મળે છે. તેમાં ભારતનાં રાજ્યો ઉપરાંત અમેરિકા, આફ્રિકા, એશિયા, ઑસ્ટ્રેલિયા અને યુરોપના દેશોની કવિતાઓના અંગ્રેજીમાંથી થયેલા અનુવાદ પણ છે. સૂચિમાં તેમાંથી મોટા ભાગની કવિતાઓનાં મૂળ શીર્ષક મળે છે. કાવ્યાસ્વાદના વિભાગને પણ બિલકુલ આ જ બાબત લાગુ પડે છે. ‘સંસ્કૃિત’ના પાને ઘણું કરીને અનુવાદનાં અંગ્રેજી શીર્ષકો આપેલાં નથી. દુનિયાભરની આવી સો કરતાં વધુ પદ્યરચનાઓનાં અંગ્રેજી નામ, કોઈ પણ ભાષાના સાહિત્યનો ઔપચારિક અભ્યાસ ન ધરાવનાર, તોરલબહેને શોધ્યાં છે. તેમાં ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનની તેમની તાલીમનો પ્રસ્તુત ઉપયોગ જોઈ શકાય છે. અભ્યાસીઓ સૂચિની મર્યાદાઓ તરફ આંગળી ચીંધી શકશે. પણ ગુજરાતી સાહિત્ય અકાદમીએ બહાર પાડેલી આ સૂચિનાં ઊજળાં પાસાં અનેક છે : એકંદર રચનામાં ડગલે ને પગલે જોવા મળતી સૂઝ, પૃષ્ઠરચના, વિરામચિહ્નોની ઝીણવટ, યુઝર-ફ્રૅન્ડલી બનવાની તમામ કોશિશ અને અન્ય. એ પણ નોંધવું જોઈએ કે આ વેબસાઇટનો આ સૂચિની મદદથી કરેલો ઉપયોગ અનેક સંકલનો, સંચયો, સંપાદનો, સંશોધનો અને ઉઠાંતરીઓનો સ્રોત બની શકે એમ છે.

ગુજરાતે ઉમાશંકરને સાહિત્યકાર પૂરતાં જ મર્યાદિત રાખ્યા છે. દુનિયા આખાના જાહેરજીવનના પ્રશ્નો જ નહીં પણ સિવિલાઇઝેશન વિશે નક્કર સંદર્ભમાં સતત વિચારનારા પ્રાજ્ઞજન તરીકે એમની મોટાઈ ચૂકી જવાઈ છે. આ માન્યતા ‘સંસ્કૃિત’ સૂચિમાંથી પસાર થતાં બે રીતે દૃઢ થાય છે : એક, સંસ્કૃિતની પોતાની સામગ્રી; અને બે, સંસ્કૃિત વિષયક લેખોનો અઠ્ઠાવીસમો વિભાગ. તેમાં નોંધવામાં આવેલા મોટા ભાગના અભ્યાસો સાહિત્યકાર ઉમાશંકર વિશે જ લખે છે, સિવિલાઇઝેશનના માનવતાવાદી ચિંતક ઉમાશંકર વિશે નહીં.

સમયરંગ

આપણા સાહિત્યિક વિમર્શની આવી મર્યાદાનો દાખલો એ ઉમાશંકરના ‘સમયરંગ’ અને ‘શેષ-સમયરંગ’ પુસ્તકો છે. તેમાં પ્રકટતા લેખક ઉમાશંકર આવશ્યક અને ઉપેક્ષિત બંને છે. આ બંને પુસ્તકો ‘સંસ્કૃિત’માં ઉમાશંકરે ખુદ લખેલાં લખાણોના સંચય છે. ‘સમયરંગ’ ૧૯૭૮માં મુંબઈના ચીમનલાલ લિટરરી ટ્રસ્ટે પ્રસિદ્ધ  કર્યું. તેનું પુનર્મુદ્રણ ૨૦૦૪માં ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે કર્યું. સાથોસાથ તેણે ‘શેષ સમયરંગ’ પણ બહાર પાડ્યું. સ્વાતિ જોશી સંપાદિત આ સંચયમાં ‘સંસ્કૃિત’ના ‘સમયરંગ’ વિભાગનાં બાકીનાં લખાણો ઉપરાંત ‘નિરીક્ષક’ના અગ્રલેખો અને ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી તરીકે ઉમાશંકરે લખેલી નોંધોનો સમાવેશ થાય છે. આ બંને પુસ્તકોનાં કુલ ૯૮૦ પાનાંમાં ૧૦૬૩ લખાણો છે. તેમાં આ મુજબની બાબતો આવે છે : રાજકારણ, શિક્ષણ, અર્થકારણ, ભાષા સાહિત્ય, કલા, સંસ્કૃિત જેવાં વિવિધ ક્ષેત્રનાં ‘ચાલુ બનાવો પરની નોંધો’, અગ્રલેખો, ભાષણો, સંસદીય પ્રવચનો, મુલાકાતો, ટૂંકા અહેવાલો, વ્યાખ્યાન-સંક્ષેપો અને અંજલિલેખો. નાનામાં નાની નોંધ એક વાક્યની છે : ‘‘પથેર પાંચાલી’ પરદા પર જોયું?’ (‘સમયરંગ’, પાનું ૨૧૭), લાંબામાં લાંબા લેખ પાંચ પાનાંના છે. જેમ કે, ‘સોવિયેત-દોસ્તી ભલે, સોવિયેત-પરસ્તી હરગિજ નહીં’, અથવા નવનિર્માણ આંદોલન પછી રાજ્યસભામાં આપેલું પ્રવચન ‘વિસર્જન અનિવાર્ય છે, તો વિલંબ શા માટે ?’ આંતરરાષ્ટ્રીય તથા એતદ્દેશીય રાજકારણ વિશેનાં મોટા ભાગનાં લખાણો વિસ્તૃત અને વિપુલ છે. બંને ગ્રંથોનાં કુલ લખાણોના ચોથા ભાગનાં એટલે કે અઢીસો જેટલાં લખાણો રાજકારણને લગતાં છે, એ હકીકત ઉમાશંકરનો અગ્રતાક્રમ સૂચવે છે. ‘સમયરંગ’ની પ્રસ્તાવનામાં તે લખે છે : ‘રાજકારણ પણ મનુષ્યના જીવનની એક અત્યંત મહત્ત્વની રગ છે, કહો કે રાજકારણ પ્રાણવાયુ સમાન છે. જાગ્રત નાગરિક રાજકારણથી અસ્પૃષ્ટ રહી શકતો નથી, પણ હું રાજકારણ કરતાં જાહેર બનાવો(પબ્લિક અફેર્સ)માં રસ લઉં છું એમ જ કહેવાનું વધુ પસંદ કરું.’ રાજકારણની સભાનતાનું ઉમાશંકરને મન કેટલું મહત્ત્વ છે તે ‘સમયરંગ’નાં અન્ય બે અવતરણોમાં પણ બહાર આવે છે : ‘રાજકારણ એ પ્રાણવાયુ સમાન છે. મારા જેવો કવિતાનો માણસ પણ રાજકારણ વગર શ્વાસ લઈ શકે નહીં’ (પૃ.૩૩૫). અને ‘પોલિટિક્સનો છોછ રાખ્યે નહીં ચાલે. યા તો બુદ્ધ યા તો બુદ્ધુ સમાજની બહાર રહી શકે, પણ આપણે સમાજના બધા વ્યવહારમાં રહેનાર રાજકારણનો છોછ રાખીએ તે ન ચાલે, કેમ કે આપણે રાજકારણને છોડીએ ભલે, રાજકારણ આપણને છોડશે નહીં’ (પૃ ૩૭૪).

બધા સ્તરની મહત્ત્વની રાજકીય ગતિવિધિઓ વિશે ઉમાશંકરે એક દૃષ્ટિપૂર્ણ વિશ્લેષક તરીકે લખ્યું છે. એમણે અમદાવાદ મ્યુિનસિપલ કૉર્પોરેશનની ચૂંટણીઓથી લઈને સંસદની ચૂંટણીઓને આવરી લીધી છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ, વિલિનીકરણ, ભાષાવાર પ્રાંતરચના, બંધારણસભા, સમાજવાદી પક્ષની રચના, ગોવામુક્તિ આંદોલન, તેલંગણનો પ્રશ્ન, તાશકંદ-કરાર જેવા જૂજ ઉલ્લેખો જ અહીં કરી શકાય. તે જ પ્રમાણે ભારતના બધા પડોશી દેશો તેમ જ મહાસત્તાઓ સાથેના સંબંધોના મુદ્દે વારંવાર લખવાનું થયું છે. વળી, પ્રજાસમૂહના દેશો, ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવના, શીતયુદ્ધ, બાંડુંગ-પરિષદ, અણુશસ્ત્ર વિરોધ જેવી સંખ્યાબંધ રાજકીય ઘટનાઓ વિશેનાં સરેરાશ દોઢ-બે પાનાંના અભ્યાસપૂર્ણ લેખો મળે છે.

કવિ-સાંસદનું રાજ્યસભામાંનું પહેલું ભાષણ ‘હરિજનો અને ગિરિજનોની સમસ્યા’ વિષય પરનું છે, નવનિર્માણ આંદોલન પરનાં સંસદીય પ્રવચનો કડક છે. ગુજરાતમાં

પોલીસ અને દિલ્હીથી  ઊતરી આવેલ લશ્કર તેમ જ મુખ્ય પ્રધાનના રેડિયો પરના ભાષણ પરનો ઉલ્લેખ કરીને તે કહે  છે : ‘આપણા મનમાં નાઝી જર્મની સાથે આ જાતની વસ્તુઓ જોડાયેલી છે’ (સમયરંગ, ૩૪૫). નવનિર્માણ આંદોલનને ‘હું ક્રાન્તિથી ઓછું મૂલવતો નથી … એ એક સામાજિક મહાઘટના છે’, એમ પણ લેખક કહે છે. ‘શેષ-સમયરંગ’માં પણ નવનિર્માણને લગતા આઠ ધારદાર લેખો છે. રાષ્ટ્રપતિનિયુક્ત સાંસદ ઉમાશંકર ‘રાષ્ટ્રપતિ મૂર્ધન્ય વ્યક્તિ કે રબરસ્ટૅમ્પ?’ નામનો લેખ આપે છે. ભ્રષ્ટાચાર અને શાસકોની ઓસરતી જતી વિશ્વસનીયતા વિશે તેઓ લખે છે.  કટોકટી સત્રમાંના નિર્ભીક ભાષણ ‘મૂર્તિ ખંડિત થઈ’માં આ સાંસદ કહે છે : ‘ ભારતમાં ક્યારે ય પ્રિ-સેન્સરશિપ ઠોકી બેસાડવામાં આવી નથી, પણ આપણે સત્યથી બીઈએ છીએ. દેશ આખાને આવરી લેતો આ કાળમુખો પડછાયો આવે છે ક્યાંથી? …. આજે આ દેશમાં આપણે એવે તબક્કે પહોંચ્યા છીએ, જ્યાં જીવનનું સત્ય ઝપાટાભેર હણાઈ રહ્યું છે’ (સમયરંગ, ૩૯૦).

રાજકારણને લગતા વ્યાપક લેખનના કેન્દ્રસ્થાને લોકશાહીની વિભાવના છે. લેખક લોકશાહીની જે અનેક પ્રસંગો  કે સંદર્ભોમાં વાત કરે છે, તેમાંના કેટલાક આ મુજબ છે : પાઠ્યપુસ્તકો, પત્રકારત્વ, ગુજરાતી સાહિત્ય પરિષદ, સમાજવાદ, રાજકીય બળોનું ધ્રુવીકરણ, આકાશભારતી, જયપ્રકાશ નારાયણ, બ્રિટિશ અને અમેરિકન સંસ્થાનવાદ – આ યાદી ઘણી લાંબી થઈ શકે. લોકશાહીના ઉછેરના તબક્કે ઉમાશંકરનો સૂર આશા અને અગમચેતીનો છે, વીતતાં વર્ષોની સાથે ક્યારેક દિલાસાનો, પણ મોટે ભાગે ચિંતા અને આક્રોશનો છે.

લોકશાહીના પ્રખર પુરસ્કર્તા ઉમાશંકરને મન નાગરિક સ્વાતંત્ર્ય ખૂબ મહત્ત્વનું છે. જ્યારે-જ્યારે એ હણાવાના પ્રસંગો આવે છે, ત્યારે – ત્યારે ઉમાશંકર લખે છે. તેમાંના કેટલાક છે : ઉત્તરપ્રદેશ સરકારે ખૂબ બીમાર સામ્યવાદી નેતા ભારદ્વાજની કરેલી ધરપકડ અને તેમનું કેદમાં અવસાન, દિનકર મહેતાની સલામતીધારા હેઠળ ધરપકડ, સિવિલ લિબર્ટીઝ માટેની ખાનગી સભા પર મુંબઈ પોલીસનો પ્રતિબંધ, અધ્યાપકોનાં સંશોધનો પર બંધનો, અને બીજા અનેક. સાબરમતી જેલના રાજકીય સામ્યવાદી કેદીઓ પરના ગોળીબારના કિસ્સાની વિગતો નોંધીને પછી ઉમાશંકર લખે છે : ’લોકશાહીનાં અનિવાર્ય ધોરણો અને નાગરિકસ્વાતંત્ર્ય જેવી ચીજો ટકાવી રાખવી હોય, તો આવા બનાવોની તપાસ વિના વિલંબે થવી જોઈએ’ (સમયરંગ, ૮૭).

અગ્રણી ભારતીય સાહિત્યકાર ઉમાશંકરનાં આ બે પુસ્તકોનાં લખાણોમાં સંખ્યાની દૃષ્ટિએ બીજા ક્રમે સાહિત્યક્ષેત્ર છે પણ તેને લગતી મોટા ભાગની નોંધો ટૂંકી, તદ્દન પ્રાસંગિક અને ઓછી વિચારપ્રધાન છે. વૈચારિક મહત્ત્વની દૃષ્ટિએ રાજકારણ પછીના ક્રમે કેળવણી આવે છે. તેને લગતાં સવાસો જેટલાં લખાણોના મુખ્ય વિષયો આ મુજબ છે : શાળા અને યુનિવર્સિટી શિક્ષણ, ગામ-ખેતી-હુન્નર-યંત્રવિદ્યાને કેન્દ્રમાં રાખતું શિક્ષણ, શિક્ષણનું માધ્યમ, પાઠ્યપુસ્તકો, શિક્ષણમાં રાજકીય હસ્તક્ષેપ, અધ્યાપકોનું સ્વાતંત્ર્ય ઇત્યાદિ. ‘કેળવણીનો કીમિયો’ નામના ઉમાશંકરના બીજા એક ઓછા જાણીતા પુસ્તકમાં છે એવા ચિંતનાત્મક દીર્ઘ લેખો અહીં ઓછા મળે છે. જો કે જે છે એ લખાણોમાં એકંદરે કલ્યાણરાજ્યમાં વંચિત વર્ગો માટેના સાર્વત્રિક સ્વાયત્ત અને સામાજિક જવાબદારી નિભાવનાર શિક્ષણના હિમાયતી ઉમાશંકર મળે છે.

ઉમાશંકરના કેળવણીવિષયક વિચારોમાં વિદ્યાર્થીની વાત વારંવાર આવે છે. તેમને અભિપ્રેત છે ‘ઠેઠ સૂઈ ગામ, રાધનપુર ને બનાસકાંઠા, કચ્છ, સૌરાષ્ટ્ર, મહીકાંઠા, સાબરકાંઠા … ઠેરઠેરનાં વિદ્યાકાંક્ષી બાળકો’, ‘કેવળ આર્થિક સંકડામણને કારણે વિદ્યાભ્યાસ છોડી દેતાં અકિંચન વિદ્યાર્થીઓ’. એટલા માટે વિસનગર, કોલ્હાપુર કે ગુજરાત કૉલેજમાં ફી-વધારાનો તે વિરોધ કરે છે. નોકરી કરનારા વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા માટે આર્ટ્સ‌ કૉલેજ સવારની કરવાની જોગવાઈને તે આવકારે છે. વિદ્યાર્થીઓમાંનો તેમનો રસ શાળા-કૉલેજનાં કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ પરની નોંધોમાં પણ દેખાય છે. 

વિદ્યાર્થીઓ માટેની લાગણી સહુથી વ્યાપક રીતે વ્યક્ત થઈ હોય, તો તે નવનિર્માણ આંદોલનને લગતાં લખાણોમાં. ત્યાં ઠેકઠેકાણે ઉમાશંકર વિદ્યાર્થીશક્તિનાં જાણે ઓવારણાં લે છે. તે બધાંના સાર સમો ગદ્યાંશ ‘શેષ સમયરંગ’ના એક લેખમાં મળે છે : ‘બધા વિચારકો, શિક્ષણશાસ્ત્રીઓ, સમાજનેતાઓ ચિંતા વ્યક્ત કરતા હતા કે આજના વિદ્યાર્થીના ભણતરનો દેશના દેશમાં જિવાતા જીવન સાથે મેળ નથી. એકાએક એવું બન્યું કે વિદ્યાર્થીના જીવનનો તાર જિવાતા જીવન સાથે બરાબર સંધાઈ ગયો. વિદ્યાર્થીઓના હાથ સહુથી ચોખ્ખા છે, એટલે સહેજે તેઓ ભ્રષ્ટાચાર સામે ઝઝૂમી શકે એમ છે. નૈતિકતામાં તેઓ વડેરા કરતાં વડા નીવડી શકે એમ છે. ગુજરાતના-ભારતના જાગેલા વિદ્યાર્થીઓ આગળથી ભ્રષ્ટાચારે હવે ભાગવું પડશે’ (પૃ. ૪૦૩). વિદ્યાર્થીઓનું આવું ઉદાત્તીકરણ ઉપરછલ્લુંનથી.એટલે જ તે વિદ્યાર્થીઓ પરના હિંસાચારના આરોપોનો રાજ્યસભાના પ્રવચનમાં બચાવ કરે છે. આંદોલન પૂરું થતાં તેમને પરીક્ષા આપવા સમજાવે છે. અનામતના પ્રશ્ને તબીબી શાખાના વિદ્યાર્થીઓને આંદોલન ન કરવા સમજાવતાં બે લેખો ‘શેષ સમયરંગ’માં આપે છે – ‘સાંકડાં હૃદય ન રાખશો’ (પૃ. ૫૧૯) અને ‘માનવીય ગૌરવ અને સામાજિક ન્યાયનો તકાજો’ (પૃ. ૫૨૧). નવનિર્માણમાં વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચારથી ઉમાશંકર વ્યથિત થાય છે. કૉલેજની વિદ્યાર્થિનીઓ પર પોલીસે ગુજારેલા દમનથી તેમનું ‘હૃદય અત્યંત વિહ્વળ બને છે’. બંગાળમાં ૧૯૭૪ના મધ્યમાં ‘નક્સલ કહેવાતી છોકરીઓ પર જે ત્રાસ ગુજારવામાં આવ્યો’, તે એમને ‘અમાનુષતાને હદ વટાવી જાય’ તેવો લાગે છે. આ નિમિત્તે ‘નેતાગીરીને મન યુવાનોની આ કિંમત ?’ એવા વેધક લેખમાં એ કહે છે : ‘છેલ્લાં વરસોમાં દેશના યુવાનો-વિદ્યાર્થીઓમાં સમાજના શોષિત વર્ગ અંગે જાગૃતિ વધતી રહી છે … તેઓની અકળામણ ક્યાંક માઝા વટાવતી હોય તેમ બને … પણ શાસકોએ ચેતી જઈને સામાજિક ન્યાયની પ્રક્રિયાને વેગીલી બનાવવાને બદલે એ પ્રક્રિયાને શક્તિમતિ પ્રમાણે ધપાવવા મથતા જુવાનો પર શી ગુજારી છે, એનો ખ્યાલ પણ કમકમાં ઉપજાવે એવો છે … યુવક-યુવતીઓ શોષિત જનતાને માટે જાનફેસાની કરવા બહાર પડતાં હોય અને તેમને જે દેશની નેતાગીરી  રિબાવે, વેરવિખેર કરવા મથી છૂટે … એ દેશના ભાવિ વિશે, તેની નેતાગીરીના ભાવિ વિશે શું કહેવું ?’

કેટલોક સમય પહેલાં કેન્દ્ર સરકારના યુનિવર્સિટી ગ્રાન્ટ-કમિશન(યુજીસી)એ વિદ્યાર્થીઓને ઉચ્ચશિક્ષણ અને સંશોધન ન પોષાય તેવી નીતિ ઘડી ત્યારે વિદ્યાર્થીઓએ દિલ્હીમાં ‘ઑક્યુપાય યુજીસી’ નામે આંદોલન ચલાવ્યું હતું. દેખાવ કરનારા યુવાઓ પર વૉટરકૅનન અને લાઠીઓનો મારો ચલાવવામાં આવ્યો હતો. આવું જ નિર્ભયા પરના અત્યાચારનો વિરોધ કરનાર યુવતીઓ અને યુવકો પર કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પક્ષના માનીતા એવા અતિસાધારણ અભિનેતાને દેશની મહત્ત્વની ‘ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા’(એફ.ટી.આઇ.આઇ.)ના વડા તરીકે નીમવામાં આવ્યા. તેની સામેના ચારેક મહિનાના આંદોલન બાબતે પર સરકાર આપખુદ અને અસંવેદનશીલ જ રહી. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના જુદું વિચારતા અને સવાલ ઉઠાવતા વિદ્યાર્થીઓ પર તેણે જુલમ ગુજાર્યો. રોહિત વેમુલાની આત્મહત્યાના મુદ્દે હૈદરાબાદ સેંટ્રલ યુનિવર્સિટીમાં વિરોધ કરતા વિદ્યાર્થીઓ પર જુલમ વરસાવવામાં આવ્યો. આ બધી વખતે ઉમાશંકર યાદ આવતા રહ્યા.

(કલ્ચરલ એજ્યુકેશન ફોરમના ઉપક્રમે ઉમાશંકર જયંતીની સાંજે, ગુજરાતી સહિત્ય પરિષદના સંકુલમાં, યોજાયેલ ગોષ્ઠીમાં આપેલા વક્તવ્ય માટે કરેલી નોંધ પરથી)                

૨૬ જુલાઈ, ૨૦૧૭

E-mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2017; પૃ. 09-11

Loading

યુદ્ધ દ્વારા કોઈ પ્રશ્ન ઉકેલાતો નથી, દરેક પ્રશ્ન વાતચીત દ્વારા જ ઉકેલાતો હોય છે એ સુષમા સ્વરાજની વાત સો ટકા સાચી છે. એ નીતિ પાકિસ્તાન સાથે પણ અપનાવવામાં આવે તો કેમ?

રમેશ ઓઝા|Opinion - Opinion|7 August 2017

ચીને ડોકલામ પર કબજો કર્યો છે એ વિશે સંસદમાં ચર્ચા થાય એ સ્વાભાવિક છે.

રાજ્યસભામાં ચાર કલાક માટે ચર્ચા થઈ હતી જેમાં સભ્યોએ રચનાત્મક અભિગમ સાથે ચર્ચા કરી હતી. આવી સ્થિતિ શેને કારણે પેદા થઈ, ચીન ભુતાનનો પ્રદેશ ખાલી કરે એ માટે શું પ્રયત્નો કરવામાં આવ્યા છે અને ભુતાન કેમ ચૂપ છે એવા કેટલાક પ્રશ્નો ઉપસ્થિતિ થવા સ્વાભાવિક છે. ચીન સાથે યુદ્ધની ભાષા પરવડે એમ નથી એ વિરોધ પક્ષો પણ જાણે છે એટલે દેશની આબરૂ જળવાય એ રીતે કોઈ રસ્તો નીકળવો કોઈએ એવો એકંદરે સૂર હતો. જો કે રાજદ્વારી કુનેહ એમાં છે કે જે સરકાર સત્તાવારપણે કહી ન શકતી હોય એ વિરોધ પક્ષો દ્વારા કહેવડાવવામાં આવે છે અને સરકાર વિરોધ પક્ષોની ભાવનાને ધ્યાનમાં રાખીને સભ્યોના ગુસ્સાને સમજવાની અને શાંત પાડવાની કોશિશ કરે છે. હજી જરૂર લાગે તો શાસક પક્ષના સભ્યોને પણ ઉદ્વેગી સૂરમાં બોલવાનું કહેવામાં આવે છે અને હજી વધુ જરૂર હોય તો જુનિયર કે કૅબિનેટ પ્રધાન બોલી જાય છે અને વડા પ્રધાન ભાવનાની નોંધ લઈને શાંત પાડે છે.

આને એકંદરે શાસનવ્યવસ્થા કહેવામાં આવે છે જેમાં દરેકની ભૂમિકા હોય છે અને ક્યારેક તાકીદની કે ગૂંચવાડાભરી સ્થિતિમાં બધું આયોજનપૂર્વક થતું હોય છે. એવું પણ બન્યું છે કે વિરોધ પક્ષોને રસ્તા પર ઊતરીને આંદોલન કે દેખાવો કરવાનું કહેવામાં આવે છે. ડોકલામના મામલામાં વિરોધ પક્ષો ચીની એલચીકચેરી સામે દેખાવો કરે તો એમાં મેસેજ એટલો જ ગયો હોત કે ભારતની પ્રજા ચીનના વલણથી ખૂબ નારાજ છે, આંદોલિત છે અને ભારત સરકાર પ્રચંડ પ્રજાકીય દબાણ હેઠળ છે. રાજકારણમાં દબાણ હેઠળ મજબૂર હોવાનો દેખાવ કરવાનું પણ મહત્ત્વ છે. ભૂતકાળમાં ઇન્દિરા ગાંધીએ, પી. વી. નરસિંહ રાવે અને અટલ બિહારી વાજપેયીએ આ માર્ગ અપનાવ્યો હતો.

અહીં ખાટલે મોટી ખોડ એ છે કે સરકાર જ સાડાત્રણ જણની છે અને વિરોધ પક્ષોને એક કે બીજા બહાને ખતમ કરવાની પેરવી ચાલી રહી છે. વડા પ્રધાન એવા છે જે દબાણ હેઠળ છે કે મજબૂર છે એનો દેખાડો કરવામાં પણ નાનપ અનુભવી રહ્યા છે. મને પૂછ્યા વિના દેશમાં ચકલું પણ ફરકી શકતું નથી એવી શૌર્યરસીય ધાક જમાવવાના મોહમાં મજબૂરીના કરુણરસની સકારાત્મક જરૂરિયાત તેમના ધ્યાનમાં આવતી નથી. સમજાવે કોણ? એ લાખ રૂપિયાનો સવાલ છે. ગૃહિણીઓ રસોડામાં સોએક જેટલી ચીજો રાખતી હોય છે જેમાં રોજના વપરાશમાં પાંચ-દસ ચીજો જ વપરાતી હોય છે અને બાકીની ચીજો વખત આવ્યે ખપમાં લેવાની હોય છે. શાસનવ્યવસ્થામાં દરેકની ભૂમિકા હોય છે અને વખત આવ્યે એને ખપમાં લેવાતી હોય છે. જેમ પાંચ વાનાંનું રસોઈઘર ન હોય એમ સાડાત્રણ જણની સરકાર ન હોય.

ખેર, ચર્ચાના ઉત્તરમાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજે જે નિવેદન કર્યું એ મહત્ત્વનું છે અને ખાસ નોંધ લેવા જેવું છે. હકીકતમાં વડા પ્રધાને સરકાર વતી ખુલાસો કરવો જોઈતો હતો. બે મહિનાથી ચીન ભારતની છાતી પર આવીને ગળું દબાવીને બેઠું છે અને વડા પ્રધાને દેશની પ્રજાને સધિયારો આપતો શબ્દ પણ નથી ઉચ્ચાર્યો. પખવાડિયા પહેલાં મન કી બાતમાં પણ ડોકલામ વિશે તેઓ કાંઈ બોલ્યા નથી. ડોકલામે હજી સુધી ભારતના વડા પ્રધાનના મનનો કબજો લીધો નથી એવો એનો અર્થ કરવાનો? જે પ્રશ્ન દરેકના મનમાં હોય એ વડા પ્રધાનના મનમાં ન હોય એવું બને? જો અત્યારે બોલવું ઉચિત ન લાગતું હોય તો મૌન રહેવું જોઈએ, પણ આખી દુનિયાનું ડહાપણ ડોળવું અને પ્રજાના મનમાં જે પ્રશ્ન ઘોળાતો હોય અને જે વાતનો ભય હોય એ વિશે ચૂપ રહેવાનું એ બરોબર નથી.

તો સુષમા સ્વરાજે રાજ્યસભામાં સભ્યોને અને એ દ્વારા દેશની પ્રજાને કહ્યું કે યુદ્ધથી ક્યારે ય કોઈ પ્રશ્ન ઉકેલાતો નથી. જગતમાં બધા પ્રશ્નો વાતચીત દ્વારા જ ઉકેલાયા છે. યુદ્ધ કરી લીધા પછી પણ વાતચીતના ટેબલ પર બેસવું પડતું હોય છે. ટૂંકમાં, વાતચીત સિવાય બીજો કોઈ ઇલાજ નથી અને આ મજબૂરી નથી, દૂરંદેશી છે. ભારત ડોકલામ પ્રશ્ન ચીન સાથે વાતચીત દ્વારા ઉકેલશે અને સરકારને ખાતરી છે કે એ પ્રશ્ન ઉકેલાઈ જશે.

સુષમા સ્વરાજની વાત સો ટકા સાચી છે. આ જગતમાં કોઈ પ્રશ્ન યુદ્ધ દ્વારા ઉકેલાયો નથી અને ઉકેલાવાનો નથી. મહાભારતમાં પાંડવો પણ એક રીતે યુદ્ધ જીત્યા પછી હારી જ ગયા હતા. જો કૃતક રાષ્ટ્રવાદની ભંભેરી ચીવીસે કલાક વગાડવામાં ન આવતી હોત તો ચીન સાથેનો સરહદનો પ્રશ્ન દાયકાઓ પહેલાં ઉકેલાઈ ગયો હોત. ૧૯૬૨ના યુદ્ધ પછી ચીને લદ્દાખનો ગ્લૅસિયરનો પ્રદેશ કબજે કરી લીધો ત્યારે જવાહરલાલ નેહરુએ કહ્યું હતું કે એ પ્રદેશ કોઈ જીવ વસી શકે એવો નથી અને ત્યાં તરણું પણ ઊગતું નથી. નેહરુની એ વાતના જવાબમાં કૉન્ગ્રેસના સભ્ય મહાવીર ત્યાગીએ માથા પરથી ટોપી કાઢીને ટાલ બતાવતાં કહ્યું હતું કે આ પ્રદેશમાં તરણું પણ ઊગતું નથી એટલે શું માથું કોઈને આપી દેવાનું? આવાં રાષ્ટ્રવાદી કથનો ટાંકતાં આપણે થાકતા નથી. એ પછી તો દરેક લોકસભાના પહેલા સત્રમાં ભારતે ગુમાવેલા પ્રદેશને પાછો મેળવવાની પ્રતિજ્ઞા લેવાતી હતી. હવે એ રિવાજ ભૂલી જવાયો છે.

તો યુદ્ધ દ્વારા કોઈ પ્રશ્ન ઉકેલાતો નથી, દરેક પ્રશ્ન વાતચીત દ્વારા જ ઉકેલાતો હોય છે એ સુષમા સ્વરાજની વાત સો ટકા સાચી છે. યાદ માત્ર એટલી જ અપાવવાની કે આ ડહાપણ ભારતની પશ્ચિમે પાકિસ્તાન સાથે પણ ઉપયોગમાં લેવામાં આવે. એક દિશાએ બાવડાં બતાવવામાં આવે અને બીજી દિશાએ અનુનય કરવામાં આવે એ બરાબર નથી. સુષમાબહેને અને ભારત સરકારે આ પરમ જ્ઞાનનો ઉપયોગ ઘરઆંગણે કાશ્મીરીઓ સાથે પણ કરવો જોઈએ. પોતાના લોકો સાથે વાતચીત કરવામાં નાનપ શેની? તમે જ કહો છે કે દરેક પ્રશ્ન માત્ર અને માત્ર વાતચીત દ્વારા જ ઉકેલાતો હોય છે અને લોહી રેડ્યા પછી પણ અંતે તો વાતચીતના ટેબલ પર બેસવું પડતું હોય છે. કાશ્મીરીઓ સાથે પણ વાતચીત કરવામાં આવે એ જરૂરી છે.

ચીન અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧માં ભારત અને રશિયા વચ્ચે શાંતિકરાર થયો હતો એવો કોઈક કરાર થશે એવો મને ભય છે. જો ભારત અને રશિયા પર કોઈ ત્રીજો દેશ આક્રમણ કરે તો બન્ને એકબીજાને લશ્કરી સહયોગ કરશે એવો ૧૯૭૧નો ભારત-રશિયા કરાર હશે. જો આવો કોઈક કરાર ચીન અને પાકિસ્તાન વચ્ચે થાય અને એવી સંભાવના નજરે પડી રહી છે ત્યારે ભારતે સાઉથ એશિયા અને ચીન સાથેની વિદેશનીતિ વિશે નવેસરથી વિચારવું જોઈએ. એક જગ્યાએ સિંહ અને બીજી જગ્યાએ શિયાળની છાતીનું પ્રદર્શન કરીને વધારે હાસ્યાસ્પદ બનવાનું થશે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 07 અૉગસ્ટ 2017

Loading

...102030...3,3563,3573,3583,359...3,3703,3803,390...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved