Opinion Magazine
Number of visits: 9584056
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સૂ કી : સિદ્ધાંત v/s સત્તામોહ

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|13 September 2017

આજકાલ દુનિયામાં બે દેશોના વડાઓ સૌથી વધારે વગોવાઈ રહ્યા છે. વગોવાતા-વખોડાતા રાષ્ટ્રીય સત્તાધીશોમાં પહેલા ક્રમે આવે છે ઉત્તર કોરિયાનો યુવા સરમુખત્યાર કિમ જોંગ ઉન. એક પછી એક પરમાણુ પરીક્ષણો અને મિસાઇલ ટેસ્ટ પછી છેલ્લે હાઇડ્રોજન બૉમ્બનું પરીક્ષણ કરીને તેણે ભલભલી મહાસત્તાઓને હચમચાવી દીધી છે. અમુક લોકોને તો ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા પણ સંભળાઈ રહ્યા છે. અલબત્ત, ઉન જે કંઈ કરી રહ્યા છે, એમાં કશું અનઅપેક્ષિત નથી. યુદ્ધખોર પ્રકૃતિ ઉનને ડી.એન.એ.માં મળેલી છે. ઉનના પિતા અને પિતામહની વૃત્તિ-પ્રવૃત્તિ પણ કંઈક આવી જ હતી. ઉન જરા યુવા વયમાં સત્તામાં આવી ગયા છે ત્યારે તેમનું ઉકળતું લોહી યુદ્ધ માટે વધારે ઉતાવળું હોય તો એમાં નવાઈ પામવા જેવું જરા ય નથી. નવાઈ અને અપેક્ષાભંગનું વધારે તત્ત્વ તો વગોવાઈ રહેલા બીજાં નેતાના કિસ્સામાં જોવા મળે છે. આ નેતા એટલે મ્યાનમારનાં સ્ટેટ કાઉન્સિલર અને વિદેશમંત્રી આંગ સાન સૂ કી.

સૂ કીને મ્યાનમારમાં સત્તા મળી એ પહેલાં પોતાના દેશમાં લોકશાહીની સ્થાપના માટેના અહિંસક આંદોલનને નેતૃત્વ પૂરું પાડવા માટે તેમને વિશ્વવિખ્યાત શાંતિનો નોબેલ પારિતોષિક મળ્યો હતો. શાંતિનો નોબેલ ભલે ગાંધીજીને ન મળી શક્યો હોય, પરંતુ ગાંધીજીના સિદ્ધાંતો મુજબ અન્યાય સામે સંઘર્ષ કરનારા અનેક લોકોને શાંતિનો નોબેલ પારિતોષિક મળી ચૂક્યો છે અને આ ગૌરવવંતી યાદીમાં સૂ કીનો પણ આજ દિન સુધી સ-સન્માન સમાવેશ થતો આવ્યો છે, પરંતુ રોહિંગ્યાના મુદ્દે તેમના મૌન અને નિષ્ક્રિયતાને કારણે હવે તેમની ચોમેરથી ટીકા થઈ રહી છે. મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારો અને તેમની વ્યાપક હિજરતનો મામલો હવે આંતરરાષ્ટ્રીય બની ચૂક્યો છે. રોહિંગ્યાની વકરી રહેલી સ્થિતિ મામલે મૌન અને પછી લૂલો બચાવ કરવાને કારણે સૂ કીની શાખ અને શાનને બટ્ટો લાગ્યો છે. સૂ કીએ લૂલો બચાવ કર્યો છે કે ‘રોહિંગ્યા મુસ્લિમોનો મુદ્દો તો દાયકાઓ જૂની સમસ્યા છે. હું મારા 18 મહિનાના શાસનમાં આ સમસ્યાનો ઉકેલ લાવી શકું, એવી અપેક્ષા કઈ રીતે કરી શકાય.’ સૂ કીને કોણ સમજાવે કે ઉકેલ આવે કે ન આવે તમારો એ દિશામાં પ્રયાસ કે સક્રિયતા તો દેખાવી જોઈએને?

રોહિંગ્યા મુસ્લિમોની સમસ્યા આંગ સાન સૂકી માટે સૌથી મોટો રાજકીય પડકાર બની ગયો છે. જો કે, રોહિંગ્યાના મામલે સૂ કી ગાંધીજીના નહીં, પરંતુ પોતાના પિતા આંગ સાનના માર્ગે ચાલી રહ્યા હોય એવું લાગે છે. સૂ કીના પિતા આંગ સાને 1946માં રોહિંગ્યાઓને તમામ અધિકાર આપવાનો અને કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં રાખવામાં આવે, એવી ખાતરી આપી હતી, પરંતુ તેમણે વાયદો નિભાવ્યો નહોતો. ઈ.સ. 1947માં તેમણે બર્માના જુદા જુદા જાતિ – ધર્મના સમુદાયોને એકઠા કરેલા ત્યારે તેમણે રોહિંગ્યા સમુદાયના લોકોને સામેલ કરવાનું ટાળ્યું હતું. 1970ના દાયકાથી લઈને આજ સુધી રોહિંગ્યા પર સમયાંતરે હુમલાઓ થયા કરે છે. 1982માં તો તેમનું નાગરિકત્વ જ છીનવાઈ ગયું છે. લાખો રોહિંગ્યા પોતાનું વતન છોડીને હિજરતી બનવા માટે મજબૂર છે. રોહિંગ્યા વિશ્વના સૌથી વધુ પ્રતાડિત હિજરતી સમુદાય તરીકે જાણીતા બની રહ્યા છે.

સૂ કીના મીંઢા મૌનની ટીકા દક્ષિણ આફ્રિકાના આર્ચબિશપ ડેસમન્ડ ટૂટૂથી માંડીને મલાલા સુધીના 12 નોબેલ પારિતોષિક વિજેતાઓ કરી ચૂક્યાં છે. ડેસમન્ડ ટૂટૂએ તો કડક શબ્દોમાં કહ્યું છે, ‘તમારી મ્યાનમારની સત્તાના શિખર પર પહોંચવાની કિંમત તમારું મૌન હોય તો આ કિંમત બહુ વધારે કહેવાય.’ દુનિયાભરના લોકો સૂ કીના અભિગમથી નારાજ છે. 3.86 લાખ લોકોએ એક ઓન-લાઇન અરજી થકી નોબેલ પારિતોષિક સમિતિને સૂ કી પાસેથી નોબેલ પારિતોષિક પાછો લઈ લેવાની માગણી કરી છે. નોબેલ સમિતિએ જાહેર કર્યું છે કે પુરસ્કાર પાછો લેવાની જોગવાઈ નથી, આમ અધિકૃત રીતે તો સૂ કી પાસેથી નોબેલ પાછો નહીં લેવાય, પરંતુ સૂ કી જો પોતાનું વલણ નહીં બદલે કે પછી સત્તામોહ માટે સિદ્ધાંતો સાથે સમાધાન કરવાનું અને માનવતાને કોરાણે મૂકવાનું ચાલુ રાખશે તો નોબેલ પાછો લેવા કરતાં પણ મોટી નાલેશી તેમણે ઇતિહાસના ગ્રંથોમાં ભોગવવી પડશે.

e.mail : divyeshvyas.bhaskar@gmail.com

સૌજન્ય : ‘સમય સંકેત’, નામક લેખકની સાપ્તાહિક કોલમ, ’કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 13 સપ્ટેમ્બર 2017

Loading

જલને સમર્પિત જીવન અનુપમ મિશ્ર

રઘુવીર ચૌધરી|Opinion - Literature|12 September 2017

‘જીહાં હુજુર મૈં ગીત બેચતા હૂં’ – કાવ્યના સર્જક ભવાની પ્રસાદ મિશ્ર કવિ તરીકે ભારતભરમાં જાણીતા હતા. એ ગાંધીમાર્ગના સમર્પિત યાત્રી હતા. એમના સુપુત્ર અનુપમ મિશ્ર પાણી અને પર્યાવરણના જતન માટે સતત સક્રિય રહ્યા. વક્તા અને લેખક તરીકે એ વિશ્વવિખ્યાત થયા. અહિંસા સંસ્કૃિત કા દ્વૈમાસિક ‘ગાંધીમાર્ગ’નું સંપાદન કર્યું. માત્ર અડસઠ વર્ષ (1948થી 2016) જીવ્યા પણ શતાબ્દીથી પણ સવાયું કામ કર્યું. એમનાં ધર્મપત્ની મંજુશ્રીએ ગાંધી-માર્ગના છેલ્લા અંકમાં આપેલા જીવન-વૃત્તની વિગતો વાંચતાં આશ્ચર્ય થાય છે.

સંસ્કૃત સાથે એમ.એ. થયેલા પણ ભાષાની સાદગી એમની પાસેથી શીખવાની રહે. સને 1969માં એ ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં જોડાયા. પ્રભાષ જોશીના નેતૃત્વમાં શ્રવણ ગર્ગ સાથે જોડાઇ લેખન-પ્રકાશનની જવાબદારી સંભાળી. સર્વ સેવા સંઘના સાપ્તાહિક ‘સર્વોદય’નું પ્રકાશન આરંભ્યું.

વૃક્ષો બચાવવા માટેનું ‘ચિપકો’ આંદોલન, મધ્યપ્રદેશના નવા બંધનું મિટ્ટી બચાવો આંદોલન, ગોચર રક્ષા આંદોલનમાં ભાગ લઇ લખવાનો આરંભ કર્યો. સને 1973માં જયપ્રકાશજીના નેતૃત્વમાં ચંબલમાં ડાકુઓ આત્મસમર્પણ કરે એ માટેના અભિયાનમાં જોડાયા. એ વિશે ‘ચંબલની બંદૂકો ગાંધીનાં ચરણોમાં’ એ નામે પુસ્તક લખ્યું.

આજીવન દાસ બનાવવામાં આવતા ‘બંધુઆ મજદૂરો’નો સર્વે કર્યો. સને 1980થી પાણીનું કામ સંભાળ્યું. રાજસ્થાનની પાણી જાળવણીની પરંપરાનો અભ્યાસ કર્યો. બારેક વર્ષના અભ્યાસ પછી ‘આજ ભી ખરે હૈં તાલાબ’ પુસ્તક રચ્યું. આ પુસ્તક અનેક ભાષાઓમાં પહોંચ્યું. અનુપમજી પછીનાં વર્ષોમાં પાણી અને પર્યાવરણના પ્રશ્ને રજૂઆત કરવા વિશ્વના અનેક દેશોનાં સંમેલન કે સંસ્થાઓ દ્વારા આમંત્રણ મેળવે છે. સને 1977થી 2000 સુધીમાં પર્યાવરણ કક્ષ દ્વારા નાનાં મોટાં સત્તર પુસ્તકો પ્રગટ થયાં. ‘આજ ભી ખરે હૈં તાલાબ’ની ચોત્રીસ આવૃત્તિઓ થઇ છે. ભારતની મોટાભાગની ભાષાઓમાં એના અનુવાદ છપાયા છે. કોપીરાઇટ જેવું કંઇ રાખ્યું જ નથી. છાપો, વાંચો, અમલ કરો.

સને 1975માં સુલભ થયેલ ‘રાજસ્થાન કી રજત બૂંદે’ ફ્રાન્સથી ચીન સુધી પ્રસરે છે. અનુપમજીને પર્યાવરણ ક્ષેત્રે વિરલ કામગીરી બદલ અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયાં. આ બધું ગાંધીજી અને ગાંધી-માર્ગ ખાતે જમા. 2000થી 2006 સુધી ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના સચિવ તરીકે અને 2006થી 2016 સુધી-મૃત્યુપર્યંત ‘ગાંધી-માર્ગ’નું સંપાદન કર્યું.

જાન્યુઆરી, એપ્રિલ 2017ના સંયુક્ત અંકમાં દેશના ગાંધીમાર્ગી કર્મશીલ સારસ્વતોએ અનુપમજીના જીવન અને કાર્ય વિશે લખ્યું છે. ‘ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન’ના પ્રમુખશ્રી કુમાર પ્રશાંત લખે છે: અનુપમજી ગાંધીના બ્રહ્માંડમાં પરિક્રમા કરનારા અગણિત ગ્રહોમાંના એક હતા, પરંતુ એ અર્થમાં અનુપમ હતા કે એ પોતાની કક્ષામાંથી કદી વિચલિત નહોતા થયા.

નયા જ્ઞાનોદયે પણ અનુપમ મિશ્ર વિશે વિશેષ લેખ પ્રગટ કર્યા હતા.( ફેબ્રુઆરી 2017) એમાં લખેલા લેખના આરંભે કુમાર પ્રશાંતજીએ રવીન્દ્રનાથની રચનાનો અનુપમજીના પિતા ભવાનીપ્રસાદ મિશ્રે કરેલો અનુવાદ ટાંક્યો છે:

દેશ કી માટી દેશ કા જલ
હવા દેશ કી દેશ કા ફલ
સરસ બનેં, પ્રભુ સરસ બનેં.

આ સાદગીનો વારસો અનુપમજીએ પણ દિપાવ્યો છે.

શ્રીકૃષ્ણકુમારના લેખનું એક વાક્ય યાદ રહી ગયું: ‘પ્રકૃતિની જેમ ગામ પણ વિજયી નીવડશે.’ – આ અનુપમજીની શ્રદ્ધા હતી.

રામચંદ્ર રાહીના લેખ દ્વારા જાણવા મળ્યું કે છેલ્લે કેન્સરની બીમારી દરમિયાન પણ અનુપમજી કેવા સ્વસ્થ-પ્રસન્ન હતા. એમનું તારણ છે કે સત્તા, સંપત્તિ અને ધર્મની સત્તાએ એમને આકર્ષિત કર્યા ન હતા, ન તો પોતાના દાયરામાં એ સત્તાઓ એમને સમેટી શકી હતી. પોતાના કર્મમય જીવન-સાધનાની ઉપલબ્ધિઓ પર પણ એમણે કદી પોતાનો હક દર્શાવ્યો ન હતો.

જમીને થાળી જાતે ધોવી, આંધીથી વરંડામાં આવી પડેલી ધૂળ જાતે વાળવી, જેવાં અનેક કામ જાતે કરતા એથી મિત્રો પ્રેરાતા.

કેતકી નાયકની કવિતાની થોડીક પંક્તિઓ: 

‘અનુપમ, યે મેરી આંખોં કે તાલાબ
સૂખે નહીં હૈ
તુમ્હારે જાને કે બાદ
યે નિરંતર બહ રહે હૈં.

•••

યે આંસૂ તુમ્હારી તરફ સરલ ઔર સહજ
ભી નહીં હૈચ
યે બડે હી હઠી ઔર જિદ્દી હૈં
મના કરને પર ભી નહીં રુકતે.’

આ વિશેષાંકમાં વચ્ચે વચ્ચે પિતાશ્રી ભવાનીપ્રસાદ મિશ્રની કાવ્ય પંક્તિઓ મૂકીને યુગસંધિ રચવા સાથે વારસાને વધુ સાર્થક કર્યો છે :

પ્યાર કી સીમા નહીં હૈ
મુક્ત સ્વર મેં કહ સકૂં વહ શક્તિ દે,
પ્યાર કે મેરે પુજારી મન
લૂંટા દૂં પ્યાર સબકુછ મુઝે વહ ભક્તિ દે.

સૌજન્ય : ‘સાહિત્ય વિશેષ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 10 સપ્ટેમ્બર 2017

Loading

નોટબંધી અને રૂપિયાનું આપણું કલેક્ટિવ ફિક્સન

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 September 2017

સરસ રીતે બોલાયેલું જૂઠ ક્યારે ય જૂઠ નથી ગણાતું. ઇન ફેક્ટ, એ જૂઠ પણ નથી ગણાતું, માન્યતા અથવા વફા ગણાય છે. આપણે ભલે સત્ય બોલવાનો અને સત્ય સંભાળવાનો આગ્રહ રાખીએ, પણ આપણી રોજિંદી જિંદગીનો અનુભવ કહે છે કે આપણે બહુ સહજતાથી જૂઠ ચલાવી લઈએ છીએ. ધાર્મિક અને રાજકીય અનુમાનો આવી રીતે જ લોકપ્રિય થાય છે. આપણે રાજકીય વચનોને જૂઠ ગણીએ છીએ પણ એમાં માનનારાઓ માટે એ સત્ય વચન હોય છે, અને એટલે જ બંનેમાં સંપ્રદાયોની અને અનુયાયીઓની સંખ્યા વધુ હોય છે. આવું કેમ? કારણ કે જૂઠ ત્યારે જ જૂઠ હોય જ્યારે એમાં ઈરાદો હોય. ઈરાદા વગરનું જૂઠ હકીકતનો અંદેશો બની રહે છે. એટલા માટે જ ગુરુઓ અને નેતાઓ પ્રત્યેની આપણી વફા અડીખમ રહે છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને બહુ મોટા ગપ્પીદાસ તરીકે ઓળખવામાં આવે છે. એમણે ચૂંટણી પ્રચાર દરમિયાન એવા એવા દાવા કર્યા હતા જેને મીડિયામાં ગલત સાબિત કરવામાં આવ્યા છતાં ના તો ટ્રમ્પને કે ના તો એમના ભક્તોના પેટનું પાણી હાલ્યું. ‘તમે કશા પુરાવા વગર સાવ આવું ધુપ્પલ ચલાવે રાખો તે તમને શોભે?’ એવું એક પત્રકારે એમને પૂછ્યું તો એમણે કહ્યું, ‘ના રે, લાખો લોકો મારી સાથે સહમત હોય પછી શું છે?’

મતલબ કે, ટ્રમ્પ એ જ બોલતા હતા જે લોકોને સાંભળવું હતું. એનો બીજો મતલબ એમ પણ થાય કે ટ્રમ્પ જૂઠું બોલતા હતા એટલે બહુ લોકપ્રિય થયા હતા એવું નહીં, ટ્રમ્પ બોલતા હતા એટલે જૂઠ લોકપ્રિય થયું. દરેક રાજકારણીને આ ખબર છે કે એના અનુયાયીઓ એને સવાલ નહીં પૂછે કારણ કે એમની પાસે એની વાત માનવા સિવાય બીજો ચારો પણ નથી. માણસના મન-મગજની આ એક કમજોરી છે કે જ્યારે એની સામે કોઈ નવી વાત આવે ત્યારે એ વાતને બરાબર સમજવા માટે સૌથી પહેલા તો, ભલે એક મિનિટ માટે તો એક મિનિટ, પણ એનો સ્વીકાર કરવો પડે.

ઉદાહરણ તરીકે ભ્રષ્ટાચારીઓએ આ દેશને લૂંટ્યો છે અને નોટબંધી પછી એ બધા ભીખ માંગતા થઈ જશે એવી વાતને તમે આઉટરાઈટ કેવી રીતે રિજેક્ટ કરી શકો? તમારે પહેલાં એ વાતને થોડોક સમય તો અંકે કરવી પડે, અને પછી એનો સ્વીકાર કે અસ્વીકાર કરવાનો વિકલ્પ આવે. રાજકારણમાં આ ‘થોડોક સમય’ બહુ અગત્યનો છે, અને મોટા ભાગે થોડા થોડા સમયે આવી જ રીતે ‘સત્ય વચનો’  આવતાં રહે છે અને ચાલતાં પણ રહે છે.

ઇઝરાયલી ઇતિહાસકાર યુવલ નોહા હરારી કહે છે કે માનવજાતિની સફળતા એ હકીકતમાં છે કે એનામાં ફિક્સન(કલ્પના)માં વિશ્વાસ કરવાની ગજબની તાકાત છે, ચાહે એ કલ્પના ધર્મની હોય કે પછી રાજકીય કે આર્થિક વિચારોની હોય. યુવલ લખે છે, ‘પથ્થરયુગથી લઇને માણસને સંગઠિત થવામાં જાતે માનેલી મીથની બહુ મોટી ભૂમિકા રહી છે. આ જગત ઉપર માણસની પ્રજાતિ રાજ કરે છે એમાં કલ્પનાઓ સર્જવાની અને એનો પ્રસાર કરવાની એની ક્ષમતા બહુ રંગ લાવી છે. સચ્ચાઈ એ છે કે, જીવતા રહેવાની એની જરૂરિયાતમાં સચ્ચાઈની પ્રમુખતા ક્યારે ય રહી નથી.’

બીજા પ્રાણીઓ એમને જે રિયાલિટી મળી છે એમાં જ જીવે છે, માણસજાત એ જ રિયાલિટી ઉપર પોતે કલ્પેલી ‘રિયાલિટી’ થોપે છે. ઉદાહરણ તરીકે, પ્રાકૃતિક રિયાલિટીમાં ઈશ્વરનું અસ્તિત્વ નથી, પણ માણસે કલ્પના કરીને ઈશ્વરની રિયાલિટી ઊભી કરી છે. એવી જ રીતે રૂપિયાની નોટનું પ્રાકૃતિક રીતે કોઈ મહત્ત્વ નથી, પણ માણસે કાગળના ટુકડા ઉપર એક વેલ્યૂની કલ્પના કરી અને એ રૂપિયો ગજબનો ચમત્કાર બની ગયો, જેમાં દરેક માણસ એકસરખી રીતે શ્રદ્ધા રાખે છે.

આ કલ્પના અને આ શ્રદ્ધા કેવી રીતે કામ કરે છે એનું જ્વલંત ઉદાહરણ નોટબંધી છે. ગયા નવેમ્બર મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરતી વખતે એમ કહ્યું કે ભ્રષ્ટાચારીઓ અને દેશવિરોધીઓનું હવે આવી બન્યું છે અને આજ રાતથી એની શરૂઆત થઈ રહી છે ત્યારે એ વાતમાં આપણને ચમત્કારિક સચ્ચાઈ નજર આવી હતી. એ વાત કેટલી લલચાવનારી અને હકીકતથી સાવ નજીકની હતી કે ઈમાનદાર કરદાતાઓ લાઈનમાં ઊભા રહીને એમની મોટી મોટી નોટો બેંકમાં જમા કરાવી દેશે, અને કાળા બજારીઓ એમનાં ઘરોમાં રોકડ નોટોમાં મોઢું છુપાવીને રડશે! નાણામંત્રી અરુણ જેટલીએ પણ કહ્યું હતું, ‘બહુ સીધી વાત છે કે જે લોકો પાસે ગુનાખોરીના રૂપિયા છે એ લોકો મૂરખ નથી કે એને બેન્કિંગ સિસ્ટમમાં જમા કરાવીને જોખમ માથે લે.’

ગયા સપ્તાહે રિઝર્વ બેન્કે જે આંકડા જાહેર કર્યા એ પ્રમાણે તો ભારતમાં કોઈ વ્યક્તિ બેઈમાન નથી, કારણ કે આંકડા મુજબ તો 500 અને 1000ની 99 પ્રતિશત નોટો બેંકમાં પાછી આવી ગઇ છે. મતલબ કે બજારમાં બધા રૂપિયા ઈમાનદારીના હતા! મોદીના વિરોધીઓ આ અહેવાલથી ‘અમે નો’તા કહેતા’ કહીને ખુશ થઇ ગયા છે પણ એમના ફેન-વર્ગની બે પ્રતિક્રિયા છે: એક, ‘એમણે કમ-સ-કમ એક મોટો પ્રયાસ તો કર્યો’ અને બે, ‘એ થોડા પોતાનું ઘર ભરે છે?’ આ સાબિત કરે છે કે દેશના એક મોટા વર્ગને મોદીના આઈડિયા અને ઈન્ટેનશનમાં કોઈ ખામી નજર નથી આવતી. મોદીની સફળતા એ હકીકતમાં છે કે આ દેશમાં બહુ બધા નેતાઓ અને મંત્રીઓ વ્યક્તિગત ઈમાનદારીમાં નિષ્ફળ નીવડ્યા છે ત્યારે મોદીની છબી હજુ સ્વચ્છ રહી છે. એટલા માટે જ મોદી જ્યારે કોઈ ઈન્ટેનશન વ્યક્ત કરે છે ત્યારે એમાં અવિશ્વાસ રાખનારાઓ કરતાં વિશ્વાસ રાખનારાઓ વધુ હોય છે.

વિજ્ઞાન લેખક અને ઇતિહાસકાર માઈકલ શેરમન કહે છે કે, ‘અવિશ્વાસ રાખવા કરતાં વિશ્વાસ રાખવો એ માણસની મૂળભૂત વૃતિમાં છે.’ રાજકારણમાં કોન્સ્પિરસી થિયરીનું બહુ મહત્ત્વ હોય છે. એટલે ભારતના ધનવાન લોકો ચોર છે અને દેશને લૂંટી રહ્યા છે એવી વાત સામાન્ય માણસને એટલા માટે સાચી લાગે, કારણ કે એમને એક તો એમની ગરીબીનું કારણ કે એના માટે જવાબદારનું નામ જોઈતું હતું અને એમની એ માન્યતાને કોઈકે પાણી આપ્યું. તમે જે માનતા હતા એને કોઈ બળ આપે તો તમે એ માની જ લેવાના છો.

માનવવૃત્તિનું ગણિત એવું હોય છે કે, કોઈ વાત માનવામાં કોઈ નુકસાન નથી, પણ ના માનવમાં નુકસાનની સંભાવનાઓ ચોક્કસ છે. માની લો કે તમને ઘાસમાંથી કોઈક અવાજ આવે. એ અવાજ પવનનો છે કે કોઈ જંગલી પશુનો? વેલ, તમે એમ માનો કે ઘાસમાં કોઈ રાની પશુ છે અને એ ખાલી પવનનો અવાજ જ નીકળે તો તમારો અંદાઝ ખોટો પડ્યો એટલું જ. કોઈ નુકસાન નહીં. તમે સાવધ થઇને આગળ વધી જશો, અને આગળ ઉપર જઈને વધુ સાવચેતીપૂર્વક અવાજ સાંભળશો.

બીજી બાજુ, તમે એમ માનો કે ઘાસમાં ખાલી પવનનો અવાજ છે અને, હકીકતમાં જંગલી શિયાળ બહાર આવે તો તમે એના માટે ‘લંચ’ જ બની જાઓ. પહેલી ભૂલ તમને ભારે નહીં પડે, અને તમને વધુ ચોક્કસ બનાવશે. પણ બીજી ભૂલ, કે ઘાસમાં કોઈ જોખમ નથી, તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે. એટલે, આપણા માટે વિશ્વાસ રાખવો એ હિતાવહ રહે છે.

આ દેશના ગરીબ અને સામાન્ય લોકો એમ માને છે કે ધનવાન લોકો જ એમની બધી સમસ્યાનું મૂળ છે, અને જ્યારે એ ધનવાનોને પાઠ ભણાવાની વાત આવે ત્યારે એ નહીં માનવા કરતાં, માનવામાં વધુ સમજદારી દેખાઇ હતી. નોટબંધીમાં ધનિક લોકો બહુ પરેશન થયા અને ‘ગંગા નદીમાં નોટો ફેંકવા લાગ્યા’ એ વાત એટલી પાવરફુલ હતી કે સામાન્યજન પોતાની મુસીબતો ભૂલી ગયો. નોટબંધીમાં જેટલી અંધાધૂંધી મચી, ગરીબોને એમ જ લાગ્યું કે પૈસાવાળા પરેશાન થઈ રહ્યા છે. ભારતમાં જ નહીં, પૂરા જગતમાં ગરીબોને ધનિકો પ્રત્યે તિરસ્કાર છે. એટલે કોઈ નેતા કે રાજકારણી આવીને એ લાગણીનો પડઘો પડે તો સ્વાભાવિક રીતે જ, રાજકારણી પ્રત્યે ઓછો અને ધનિક પ્રત્યે વધુ રોષ હોવાનો. મઝાની વાત એ છે એ રાજકારણી ખુદ ધનવાન હોય તો પણ લોકો પૈસાવાળાને પાઠ ભણાવાની વાત માનવા પ્રેરાવાના જ.

પૈસો આમ પણ બહુ જ પ્રેરણાદાયક બળ છે. દરેક માણસની પાસે પૈસાને લઈને કોઈ ને કોઈ માન્યતા હોય છે. એમાં જ્યારે તમારી માન્યતાને મળતી કોઈક વાત આવે તો એ માન્યતા કરન્સી બની જાય છે જેને ક્યાં ય પણ વાપરી શકાય. આગળ જેની વાત કરી તે હરારી પૈસાને ‘કલેક્ટિવ ફિક્સન’ કહે છે. જેમ તમે એક પથ્થરની મૂર્તિમાં કે સોનાના ટુકડામાં શ્રદ્ધા રાખો છો તેવી જ રીતે રૂપિયો પણ શ્રદ્ધાનું પ્રતીક છે. રૂપિયાનું મૂલ્ય એ નોટમાં નહીં પણ તમારી માન્યતામાં છે. પૈસાની વાત આવે ત્યારે આપણે સાવ અજાણ્યા માણસ સાથે પણ ‘સહકારી પ્રવૃત્તિ’ કરવા તૈયાર થઇ જઇએ છીએ, કારણ કે એ વ્યક્તિ પણ આપણી જેમ પૈસાની ‘કહાની’માં વિશ્વાસ રાખે છે.

હરારી માણસના પૂર્વજ ચિમ્પાન્ઝીનું ઉદાહરણ આપીને કહે છે, તમે ચિમ્પાન્ઝી પાસેથી એનું કેળું એવું કહીને ના મેળવી શકો કે એ જ્યારે મરીને ચિમ્પાન્ઝીના સ્વર્ગમાં જશે ત્યાં એને સાત પેઢી ચાલે એટલાં કેળાંની ભેટ મળશે. ચિમ્પાન્ઝીઓ આવી ‘વાર્તા’ નથી માનતા.

પૈસાના ‘કલેક્ટિવ ફિક્સન’માં વિશ્વાસ રાખવાની ક્ષમતા માત્ર માણસજાતમાં જ છે. એટલે જ માણસ જગત ઉપર રાજ કરે છે અને  ચિમ્પાન્ઝીઓ ઝૂ અને લેબોરેટરીઓમાં રિસર્ચનો વિષય બને છે.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 10 સપ્ટેમ્બર 2017

Loading

...102030...3,2883,2893,2903,291...3,3003,3103,320...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved