Opinion Magazine
Number of visits: 9664571
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાવણ રાજ્યમાં સત્તા સ્વ-કેન્દ્રિત છે, રામ રાજ્યમાં તે પર-કેન્દ્રિત છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|7 April 2025

રાજ ગોસ્વામી

દેશના પ્રસિદ્ધ માયથોલોજી લેખક દેવદત્ત પટ્ટનાયક ભગવાન રામને મહત્ત્વાકાંક્ષા વગરના રાજા ગણે છે. અને તે તેમનો સૌથી આદરપાત્ર ગુણ છે. મહત્ત્વાકાંક્ષા પ્રગતિનું ચાલક બળ છે તે સાચું, પરંતુ તે લાલચ અને કુટિલતાની પણ જનક છે. રામ એ અર્થમાં સંતુષ્ઠ રાજવી છે, મહત્ત્વાકાંક્ષી નહીં, અને એટલે જ તેઓ ભૌતિકવાદની વર્તમાન દોડમાં સૌથી આદર્શ વ્યક્તિત્વ છે.

પટ્ટનાયક લખે છે, “વિશ્વના આજના મહત્ત્વાકાંક્ષી અબજોપતિઓને જુવો. તેમની પાસે દુનિયામાં અન્ય કોઈની સરખામણીએ વધુ સંપત્તિ છે, પરંતુ તેમનામાં હજુ પણ પૈસા અને પ્રગતિની ભૂખ છે. આનું કારણ એ છે કે આધુનિક સમાજ અનહદ વિકાસની જેમ અસીમ મહત્ત્વાકાંક્ષાને બીમારીને બદલે સદ્દગુણ તરીકે જુએ છે.”

તમારી પાસે બે ટંક ખાવાનું ના હોય ત્યારે મહત્ત્વાકાંક્ષા હોય તેમાં કશું ખરાબ નથી, પરંતુ તમારી સાત પેઢી ખાય તેટલી સંપત્તિ હોય ત્યારે પણ તમને ‘હવે બસ થયું’ એવું ના થતું હોય તો તેવી મહત્ત્વાકાંક્ષા કઈ રીતે આદર્શ કહેવાય?

એ દૃષ્ટિએ ભગવાન રામ સંતોષી રાજા છે-  તે ખાતા નથી, ખવડાવે છે. તપસ્વી રાજા આને કહેવાય. રાવણ મહત્ત્વાકાંક્ષી છે. એવું નથી કે તે તવંગર રાજા હતો. તે તો સોનાની લંકાનો શાસક હતો, પરંતુ તેની મહત્ત્વાકાંક્ષા લોભ અને સ્વાર્થથી રંગાયેલી હતી. 

‘રામાયણ’માંથી કશું આત્મસાત કરવા જેવું હોય, તો તે આ બે વિરોધાભાસી રાજાઓના ગુણ અને અવગુણ છે. રામ આપણને જીવનમાં શું ઉતારવા જેવું છે તે શીખવે છે, જ્યારે રાવણ શેનાથી દૂર રહેવા જેવું છે તે શીખવે છે.

સત્તા અને શખ્સિયત વચ્ચે સીધો સંબંધ છે. સદાચારી અને ઉત્તરદાયી વ્યક્તિ આચાર અને વિચારમાં અનુકૂળ, ઇમાનદાર, વિનમ્ર અને સહકારી હોય છે. એનાથી વિરોધી વ્યક્તિ સ્વ-કેન્દ્રિત, કપટી અને દમનકારી હોય છે. 

બંને શક્તિશાળી છે અને બંને મહામાનવ છે. ફર્ક એટલો જ છે કે રામનું સામર્થ્ય ધર્મ અને સદાચાર માટે છે, રાવણની તાકાત અધર્મ અને દુરાચારમાં છે. રામનો પાવર એમની બુદ્ધિની એરણ પર તપીને વિવેકશીલતામાં બહાર આવે છે. રાવણની અંદર એ જ પાવર સ્વાર્થની વૃત્તિમાં રંગાઇને ઇન્દ્રિયોમાં પ્રતિબિંબિત થાય છે.

રામરાજ્ય અને રાવણરાજ્યમાં પણ આ જ ફર્ક છે. રામ માટે અયોધ્યાના નાગરિકોનું કલ્યાણ પ્રથમ છે, સત્તા નહીં. રામરાજ્યમાં સત્તા સ્વ-કેન્દ્રિત નહીં, પર-કેન્દ્રિત હોય છે. એ જ લોકતંત્રની પણ વ્યાખ્યા છે. રામાયણમાં રાવણ અને મહાભારતમાં દુર્યોધન સ્વ-કેન્દ્રી છે. એમના માટે એમના નગરવાસીઓ પ્રથમ નથી. એટલા માટે જ રાવણરાજમાં લંકાવાસીઓ ભયભીત, ચિંતાતુર છે, પણ રામના શાસનમાં અયોધ્યાવાસીઓ આશ્વસ્ત અને સાહસી છે.

રામ તેમના આદર્શ માટે સત્તાનો ત્યાગ કરે છે. રાવણ આવું કરી શકે? સંતોષી અને સ્વાર્થી રાજા વચ્ચે આ ફર્ક છે. ભારતના જનમાનસમાં આજે પણ રામનું રાજ્ય આદર્શ છે, પરંતુ આપણી રાજનીતિ અને અર્થવ્યવસ્થા મહાભારત જેવી છે. આજે કેટલા નેતાઓ જનકલ્યાણ માટે સત્તાનો ત્યાગ કરવા તૈયાર થશે? કેટલા ધનકુબેરો ગરીબો માટે ખજાનો ખુલ્લો મુકશે?

અબ્રાહમ લિંકન અમેરિકાને કપરા ગૃહયુદ્ધમાંથી ઉગારવા માટે જાણીતા છે. એમણે કહ્યું હતું, “આમ તો દરેક માણસ વિપદા સામે ટકી રહેવા સમર્થ છે, પણ એના ચરિત્રની સાચી પરીક્ષા કરવી હોય તો એને સત્તા સોંપી જુવો.” 

જે ગુણો-દુર્ગુણો વચ્ચે રામાયણની કથા આકાર લે છે, તેની પાછળ એક બાબતનું સામ્ય છે; પાવર. રાવણ લંકાની સત્તામાં છે, અને એને એનો નશો છે. રામ ન્યાયી, સદાચારી અને પ્રજાતરફી છે અને કોસલ રાજ્યને ઉચિત શાસન આપવા માંગે છે. સત્તા અથવા અખત્યારી કેવી રીતે માણસને કુટિલ બનાવી દે, તેની સમજ રામને હતી. સત્તા માણસને ભ્રષ્ટ બનાવે છે એવી સમજ આજના ચિંતકો અને મનોવૈજ્ઞાનિકોને છે.

જંગલમાં સિંહ પાવરના ક્રમમાં સૌથી ઉપર હોય છે. દુનિયાભરમાં બધે જ મહાન લીડર માટે સિંહ પ્રતિક ગણાય છે. એના ઉપરથી ‘સિંહ ભાગ’ શબ્દ છે. સિંહની જગ્યા મોટી હોય, સિંહનો શિકાર મોટો હોય. 

સિંહ શારીરિક પાવરનું પ્રતિરૂપ છે. જંગલમાં સિંહ એના તાકાતના જોરે બાકીનાં પ્રાણીઓ ઉપર રાજ કરે છે. કંઇક એ જ રીતે, માનવ જીવનમાં પણ આપણે લીડરને ‘સિંહ’ તરીકે સ્વીકારતા થયા છીએ. રાજાઓ અને સામંતો એટલે જ લાંબી મૂછો અને દાઢી રાખતા હતા. લીડર હોવું એટલે ડરાવવું, ધમકાવું અને ‘કડક હાથે’ કામ લેવું. 

ફરક એટલો જ છે કે, જંગલમાં સિંહને પાવર માટે પ્રેરણા કે પ્રયોજન નથી હોતું. એ પ્રકૃતિથી પાવરફુલ છે, એટલે એને વધુ પાવરફુલ થવાની જરૂર કે ખ્વાહીશ નથી હોતી. એનો પાવર (કોઈ કારણસર) ઓછો થયો હોય, તો એ હાર પણ માની લે. સિંહમાં પાવરનું ગૌરવ નથી, અને હારની શરમ નથી. સિંહ પ્રતિકૂળ સ્થિતિમાં આરામથી પાછો વળી જાય છે. એ અર્થમાં સિંહ રામાયણના રામ જેવો છે. પાવરથી એ ચલિત કે વિચલિત થતો નથી. એ એને વાપરે ય છે, અને ત્યાગી પણ દે છે.

મોટાભાગના લીડરો પાવર માટે ચૂંટણીથી લઈને વિરોધીને પાડી દેવા સુધીની લડાઈઓ લડે છે, પણ એમને એ ભાગ્યે જ ખબર છે કે, એ પાવર મળી જાય પછી એનું કરવાનું શું? એટલે એ લીડરો પાવર વહેંચવાને (ઉપયોગ કરવાને) બદલે, તેનો સ્ટોક વધારતા જાય. રામમનોહર લોહિયા કહેતા હતા, રામ પાવરના વર્તુળની અંદર રહે છે. એ વર્તુળમાં વ્યવસ્થા (ઓર્ડર) છે, શિસ્ત છે, શિરસ્તો છે, અનુક્રમ (હાઇરાર્કી) છે. એટલા માટે રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. અને એટલા માટે જ ભારતીય જનજીવન ઉપર રામનો પ્રભાવ છે.

સાચો પાવર એ છે, જેનો જનમાનસ ઉપર પ્રભાવ હોય. તમારાથી પ્રભાવિત થઈને જનતા જ્યારે તમારી દૃષ્ટિ, તમારા ચિંતનમાં ભાગીદાર બને એ મહાન લીડર કહેવાય. પ્રભાવ અને અધિકારમાં આ ફરક છે. લીડરશીપ એ છે જેમાં સંબંધ અને સન્માન હોય, અંકુશ અને આજ્ઞા નહીં. લીડર એ નથી જે અનુયાયીઓ બનાવે, લીડર એ છે જે બીજા લીડર બનાવે. લીડર એ નથી જેની પાસે ભીડ છે, લીડર એ છે જેની પાસે રીઝલ્ટ છે. 

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 06 ઍપ્રિલ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ટ્રમ્પની સામે પડેલા અર્બન નક્સલ અને દેશદ્રોહીઓ છે! 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|7 April 2025

તમને યાદ છે? ૨૦૨૦માં જ્યોર્જ ફ્લોઇડ નામના ૪૬ની વયના એક કાળા માણસને એક ગોરા પોલિસ અધિકારીએ ગળા પર પગ મૂકીને જાહેરમાં ફૂટપાથ પાસે મારી નાખેલો, ત્યારે થયેલા દેખાવોના માહોલમાં ટ્રમ્પ બાઇબલ લઈને એક ચર્ચની બહાર ફોટો પડાવવા ઊભેલા. કેટલો બધો ધાર્મિક માણસ છે આ! ટ્રમ્પ તો ખ્રિસ્તી ધર્મપ્રેમી કહેવાય.

આવા દેશભક્ત માણસ સામે આંદોલન થાય? આખા અમેરિકામાં અત્યારે જે આંદોલનો ટ્રમ્પની નીતિરીતિ સામે થઈ રહ્યાં છે, એ તો રશિયાના પુતિન અને ચીનના જિનપિંગનું કાવતરું છે. બાઈડન અને ઓબામા અને આખી ડેમોક્રેટિક પાર્ટી વિદેશી કાવતરાનો ભાગ બની ગઈ છે! નરેન્દ્ર મોદીની ૫૬ ઇંચની છાતી અહીં કામમાં લાગે એમ નથી, કારણ કે એમણે તો આ વખતની ચૂંટણીમાં ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’નો નારો લગાવ્યો નહોતો. 

જો કે, મોદીએ ત્યાંના ભારતીયોને આદેશ આપી દીધો છે કે તેમણે ટ્રમ્પ વિરોધી આંદોલનમાં ભાગ લેવો નહીં. બદલામાં મોદીએ હમણાં જ ટ્રમ્પે ભારતની ચીજો પર લગાડેલી ઊંચી જકાત પાછી ખેંચી લેવી પડશે. મોદીની આ શરત ટ્રમ્પ સ્વીકારી ચૂક્યા છે એટલે અહીં ભારતમાં રામ મંદિરોમાં આજે ભારે ભીડ જામી છે! જેઓ કોઈ દિવસ મંદિરોમાં જતા નહોતા એવા યુવાનો પણ આજે તેથી ભગવાન રામને મોદીનું રાજ કાયમ તપે એવા આશીર્વાદ આપવા બે હાથ જોડીને વીનવવા દોડી ગયા છે. 

ટ્રમ્પે જે ભારતીયોને તગેડી મૂકેલા એમને પાછા બોલાવીને વ્હાઈટ હાઉસમાં જ એમને નોકરી આપવાની જે બીજી શરત મોદીએ મૂકી તે પણ ટ્રમ્પે સ્વીકારી લીધી છે. ટ્રમ્પે તો ફોન પર એવું વચન આપ્યું કે તેઓ જાતે એમને આવકારવા એરપોર્ટ જશે. 

અમેરિકનોને સમજણ જ પડતી નથી. એ લોકો ખોટેખોટો અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો દુરુપયોગ કરી રહ્યા છે. આવી સ્વતંત્રતા તો હોવી જ ન જોઈએ. કોણ આવા દેખાવો માટે ત્યાં પરવાનગી આપે છે? ગુજરાતની પોલિસને ટ્રમ્પ બોલાવે તો કોઈને દેખાવો માટે પરવાનગી આપે જ નહીં. ટ્રમ્પનો આ બાબતે ભૂપેન્દ્ર પટેલ પર ફોન આવ્યાના સમાચાર હમણાં જ મળ્યા છે! 

અમેરિકાને ફરી મહાન બનાવવા માટે ટ્રમ્પ રોજ કેટલી બધી મહેનત કરે છે એનો અમેરિકનોને ખ્યાલ જ નથી. એમની મહેનત નકામી જશે. એમણે તો હમણાં જ કહ્યું કે તેઓ ત્રીજી વાર પણ પ્રમુખ બનવા તૈયાર છે. એને માટે કાયદામાં શો ફેરફાર કરવા એ તેઓ વિચારી રહ્યા હોય ત્યારે આવાં આંદોલનો થાય કંઈ? 

ટ્રમ્પ જ દેશપ્રેમી છે. જુઓ, સમજો જરા એમણે ગેરકાયદે ઘૂસેલા લોકોને તગેડી મૂકવા ઝુંબેશ ઉપાડી, અને વિદેશી ચીજો પર વધુ જકાત નાખીને મોંઘી કરી નાખી. દુનિયા આખીને ડરાવીને ટ્રમ્પ અમેરિકાને મહાન બનાવી રહ્યા છે. એટલે અમેરિકામાં અમેરિકન ચીજો વધુ ઉત્પન્ન થાય અને વેચાય. એ તો મહાત્મા ગાંધીના સ્વદેશીના સિદ્ધાંતને અનુસર્યા કહેવાય! આવા પવિત્ર માણસ સામે આંદોલન કરનારા બધા અમેરિકાનો ભવ્ય ઇતિહાસ ભૂલી ગયા છે. આ આંદોલનજીવીઓ ટ્રમ્પને કામ કરવા દેતા નથી. હજુ અમેરિકા ફરી મહાન થવાનું તો બાકી છે. આ તો ટ્રમ્પના પાશેરામાં પહેલી પૂણી છે! 

એમની સામે આંદોલન કરનારા બધા અર્બન નક્સલ, દેશદ્રોહી, રાજદ્રોહી, વિકાસદ્રોહી, આંદોલનજીવી છે. ટ્રમ્પ હવે પાદરીઓને સંસદમાં બોલાવીને તેમનો ટેકો છે એમ પુરવાર કરે! બાઇબલ માથે મૂકીને કે છાતી પર રાખીને ટ્રમ્પ પોતે ગોડ દ્વારા મોકલવામાં આવેલો ઉદ્ધારક છે એમ જાહેર કરે તો બધું શાંત થઈ જશે. 

ટ્રમ્પ મિસિસિપી નદીમાં સ્નાન કરશે તો પણ તેમનો વાળ વાંકો નહીં થાય એ નક્કી છે. એવી સલાહ એમને મોદીએ ફોન પર આપી દીધી છે! 

આ આંદોલન કરનારા પર કે તેમના નેતાઓને વીણી વીણીને તેમના પર FBI અને CIA લગાડો. જો એવું કંઇ એમને ન આવડતું હોય તો નરેન્દ્ર મોદી અહીંથી ED, IT અને CBIના અધિકારીઓ મોકલીને દોસ્તી નિભાવવા તૈયાર છે!

રામનવમી, ૨૦૨૫.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભારત માતા આજે શોકમગ્ન છે, તેનો સૌથી લાડલો રાજકુમાર ખોવાઈ ગયો : અટલ બિહારી વાજપેયી

શેષ નારાયણ સિંહ [અનુવાદ : હિદાયત પરમાર]|Opinion - Opinion|7 April 2025

જવાહરલાલ નેહરુનું 27 મે 1964ના રોજ અવસાન થયું હતું. સંસદમાં ભારતીય જનસંઘના યુવા નેતા અટલ બિહારી વાજપેયીએ 29 મે, 1964ના રોજ સંસદમાં તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમનું ભાષણઃ આ ભાષણ સંસદના રેકોર્ડનો એક ભાગ છે. 29 મે 1964ના રોજ રાજ્યસભાની કાર્યવાહીમાં પ્રકાશિત છે.

મહોદય,

અટલ બિહારી વાજપેયી

એક સપનું હતું જે અધૂરું રહી ગયું, એક ગીત જે મૌન બની ગયું, એક જ્યોત જે અનંતમાં વિલિન થઈ ગઈ. સ્વપ્ન એક એવા સંસારનું હતું જે ભય અને ભૂખથી મુક્ત હશે, ગીત હતું એક મહાકાવ્યનું જેમાં ગીતાની ગૂંજ અને ગુલાબની સુગંધ હતી. જ્યોત એક એવા દીવાની હતી જે આખી રાત પ્રગટતી રહી, દરેક અંધકાર સામે લડતા રહ્યા અને આપણને રસ્તો બતાવતી, એક સવારે નિર્વાણને પ્રાપ્ત થઈ ગયા .

મૃત્યુ ધ્રુવ છે, શરીર નશ્વર છે. ગઈકાલે, કંચનના જે મૃતદેહને આપણે ચંદનની ચિતા પર ચઢાવીને આવ્યા, તેનો નાશ નિશ્ચિત હતો. પણ શું એ જરૂરી હતું કે મૃત્યુ આટલી ચોરીછૂપીથી આવશે? જ્યારે સંગી-સાથીઓ સૂતા હતા, જ્યારે પહેરેદાર બેખબર હતા, ત્યારે આપણા જીવનનો એક અમૂલ્ય ખજાનો લૂંટાઈ ગયો હતો.

ભારત માતા આજે શોકમગ્ન છે – તેનો સૌથી લાડલો રાજકુમાર ખોવાઈ ગયો. માનવતા આજે ઉદાસ છે – તેના પૂજારી ઊંઘી ગયા. આજે શાંતિ ખોરવાઈ ગઈ – તેનો તારણહાર ચાલ્યો ગયો છે. દલિતોનો સહારો છુટી ગયો. જન-જનની આંખોનો તારો તૂટી ગયો. યવનિકા ભાંગી પડી. વિશ્વની રંગભૂમિના અગ્રણી અભિનેતા તેમના છેલ્લો અભિનય બતાવી અંતરધ્યાન થઈ ગયા.

મહર્ષિ વાલ્મીકિએ રામાયણમાં ભગવાન રામના સંબંધમાં કહ્યું છે કે તેઓ અશક્યનો સમન્વય હતા. મહાન કવિના આ જ વિધાનની ઝલક પંડિતજીના જીવનમાં જોવા મળે છે. તેઓ શાંતિના પૂજારી હતા, પરંતુ ક્રાંતિના અગ્રદૂત હતા; તેઓ અહિંસાના ઉપાસક હતા, પરંતુ સ્વતંત્રતા અને સન્માનની રક્ષા માટે દરેક હથિયારથી લડવાના હિમાયતી હતા.

તેઓ વ્યક્તિગત સ્વતંત્રતાના સમર્થક હતા પરંતુ આર્થિક સમાનતા લાવવા માટે પ્રતિબદ્ધ હતા. સમાધાન કરવામાં તેઓ કોઈનાથી ડરતા ન હતા, પરંતુ કોઈનાથી ડરીને તેમણે સમાધાન કર્યું ન હતું. પાકિસ્તાન અને ચીન પ્રત્યેની તેમની નીતિ આ અદ્ભુત સંયોજનનું પ્રતીક હતું. તેમનામાં ઉદારતા હતી, દૃઢતા પણ હતી. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે આ ઉદારતાને નબળાઈ તરીકે લેવામાં આવી હતી, જ્યારે કેટલાકે તેમની મક્કમતાને હઠવાદિતા તરીકે માન્યું.

મને યાદ છે, ચીનના આક્રમણના દિવસોમાં જ્યારે આપણા પશ્ચિમી મિત્રો કાશ્મીરના પ્રશ્ન પર પાકિસ્તાન સાથે સમજૂતી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે એક દિવસ મેં તેમને ખૂબ ગુસ્સે જોયા હતા. જ્યારે તેમને કહેવામાં આવ્યું કે જો કાશ્મીર પ્રશ્ન પર કોઈ સમાધાન નહીં થાય તો અમારે બે મોરચે લડવું પડશે, તો તેઓ નારાજ થઈ ગયા અને કહેવા લાગ્યા કે જો જરૂર પડશે તો અમે બંને મોરચે લડીશું. કોઈપણ દબાણમાં આવી વાતચીત કરવાની તેઓ વિરુદ્ધ હતા.

મહોદય, જે સ્વતંત્રતા માટે તેઓ લડવૈયા અને રક્ષક હતા, આજે તે સ્વતંત્રતા જોખમમાં છે. આપણે આપણી બધી શક્તિઓથી તેનું રક્ષણ કરવું પડશે. જે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના તેઓ હિમાયતી હતા તે આજે પણ મુશ્કેલીમાં છે. આપણે કોઈપણ મૂલ્ય ચૂકવીને પણ તેને કાયમી જાળવી રાખવાનો છે. તેમણે જે ભારતીય લોકશાહીની સ્થાપના કરી, તેને સફળ બનાવી, આજે તેના ભવિષ્ય વિશે પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આપણે આપણી એકતા, અનુશાસન, આત્મવિશ્વાસથી આ લોકશાહીને સફળ બનાવવાની છે. નેતા ચાલ્યા ગયા, અનુયાયીઓ રહી ગયા. સૂર્ય આથમી ગયો છે, આપણે તારાઓની છાંયમાં આપણો રસ્તો શોધવાનો છે. આ એક મહાન પરીક્ષણનો સમયગાળો છે. જો આપણે બધા એવા ઉમદા હેતુ માટે આપણી જાતને સમર્પિત કરી શકીએ કે જેના હેઠળ ભારત મજબૂત, સક્ષમ અને સમૃદ્ધ બને અને વિશ્વ શાંતિની શાશ્વત સ્થાપનામાં આત્મસન્માન સાથે યોગદાન આપી શકે, તો આપણે તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં સફળ થઈ શકીશું.

સંસદમાં તેમની ગેરહાજરી ક્યારે ય ભરાશે નહીં. કદાચ તેમના જેવી વ્યક્તિને પોતાના અસ્તિત્વમાંથી ત્રિમૂર્તિને ક્યારે ય સાર્થક નહીં કરી શકે. એ વ્યક્તિત્વ, એ જોમ, એ પ્રતિસ્પર્ધીને સાથે લેવાની ભાવના, એ સૌમ્યતા, એ મહાનતા કદાચ નજીકના ભવિષ્યમાં જોવા નહીં મળે. મતભેદો હોવા છતાં, તેમના મહાન આદર્શો પ્રત્યે, તેમની પ્રામાણિકતા, તેમની દેશભક્તિ અને તેમની અતૂટ હિંમત માટે આપણા હૃદયમાં આદર સિવાય બીજું કંઈ નથી.

આ શબ્દો સાથે હું એ મહાન આત્માને મારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

‘હેરિટેજ ટાઇમ્સ’માંથી સાદર 
May 2024
સૌજન્ય હિદાયતભાઈ પરમારની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...327328329330...340350360...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved