Opinion Magazine
Number of visits: 9456622
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ સત્તાનો ખેલ છે જેમાં હિંદુઓ અને મુસલમાનો પ્યાદાં માત્ર છે.

રમેશ ઓઝા|Opinion - Opinion|10 December 2024

રમેશ ઓઝા

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી વારંવાર કેન્દ્ર સરકારને યાદ દેવડાવે છે કે બંગલાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલા વિષે કાંઈક કરો. બીજા દેશની બાબતમાં દરમિયાનગીરી કરવાનો રાજ્ય સરકારનો અખત્યાર નથી, આ કેન્દ્ર સરકારનો વિષય છે અને તેણે ભૂમિકા લેવી જોઈએ. તેમણે કહ્યું હતું કે જો બંગલાદેશમાં હિંદુઓની સુરક્ષાની વ્યવસ્થા ભારત સરકાર કરી શકે એમ ન હોય તો બંગલાદેશના હિંદુ શરણાર્થીઓને સમાવવા પશ્ચિમ બંગાળ તૈયાર છે. માટે વડા પ્રધાને ખુદે અને નહીં તો કમ સે કમ વિદેશ પ્રધાને બોલવું જોઈએ. પ્લીઝ કશુંક કરો. બંગલાદેશમાં હિંદુઓ અદ્ધર જીવે જીવે છે. તેમણે પ્રસિદ્ધ મણિપુર-મૌનની પણ યાદ અપાવી હતી.

જ્યારે તમે જેમાં રમમાણ રહેતા હોય ત્યારે તેની યાદ અપાવવામાં આવે એ સ્વાભાવિક છે. હિન્દુત્વવાદીઓ અતીત અને શૌર્યમાં રમમાણ રહે છે. ચોવીસે કલાક તેઓ અતીતમાં જીવે છે અને ‘બીજાને’ લલકારે છે. આ તેમનો સ્થાયીભાવ છે. ફલાણાઓએ ભૂતકાળમાં ફલાણી ફલાણી ભૂલો કરી જેની હિંદુઓ કિંમત ચૂકવે છે. પણ કશો વાંધો નહીં, અમે બેઠા છીએ હવે કોઈ હિંદુઓનો વાળ પણ વાંકો નહીં કરી શકે. લઘુમતી કોમે લાડ લડાવનારા સત્તાભૂખ્યા અને નમાલા લોકોનો યુગ પૂરો થયો. અમે દુ:શ્મન સાથે આંખમાં આંખ મેળવીને વાત કરવાની ક્ષમતા ધરાવીએ છીએ, અમે હિંદુહિતને ભૂલીને દુ:શ્મન સાથે બિરિયાની ખાનારા કાયર અને દેશદ્રોહી નથી. આમ હિન્દુઓના ગૌરવશાળી અતીતની અને પ્રસંગોપાત બીજા દ્વારા દુભાવવામાં આવેલા રાંકડા હિન્દુઓના અતીતની વાત તમે સાંભળી હશે અને હવે કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે એવા શૌર્યની વાતો પણ તમે સાંભળી હશે. દેખીતી રીતે મમતા બેનર્જી લાગ જોઇને તેમને તેની યાદ અપાવે છે.

ગયા ઓગસ્ટ મહિનામાં બંગલાદેશમાં પ્રજાએ (મુખ્યત્વે યુવાઓએ) બળવો કર્યો અને બંગલાદેશમાંથી વડાં પ્રધાન શેખ હસીનાએ દેશ છોડીને નાસી જવું પડ્યું ત્યારથી બંગલાદેશમાં વસતા હિંદુઓ ઉપર હુમલા થઈ રહ્યા છે. હમણાં થોડા દિવસથી તેમાં વધારો થઈ રહ્યો છે અને એ વધારો ચિંતાજનક છે. આ બાજુ ભારત સરકાર નિષ્ક્રિય છે, નિષ્ક્રિય કરતાં પણ હતપ્રભ છે, શું કરવું તે તેને સમજાતું નથી. હોંકારાપડકારા કરવાથી સત્તા સુધી પહોંચી શકાય ખરું, શાસન નથી થતું. ચીન, પાકિસ્તાન, નેપાળ, માલદીવ અને હવે બંગલાદેશે આ બતાવી આપ્યું છે. બંગલાદેશ કહે છે કે શેખ હસીનાને ભારત સરકાર આશ્રય આપી રહી છે એટલે લોકો નારાજ છે અને હિંદુઓ પર હુમલા થઈ રહ્યા છે. શેખ હસીના બંગલાદેશના ગુનેગાર છે અને ભારત સરકારે અમને સોંપી દેવા જોઈએ. ભારત સરકાર એ પણ કરી શકે એમ નથી. નથી શેખ હસીનાને બીજો કોઈ દેશ આશ્રય આપતો. ભારતની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી છે. રહી વાત બંગલાદેશમાં વસતા હિંદુઓની તો ભારત સરકાર કશું જ કરી શકતી નથી. જો બંગલાદેશ અને નેપાળ સામે હિન્દુત્વવાદીઓ કશું ન કરી શકતા હોય તો ચીન તો મહાસત્તા છે. માટે મમતા બેનર્જી ચાહી કરીને યાદ દેવડાવે છે કે હિંદુઓને બચાવીને ઇતિહાસ બદલવાનો તેમ જ ખમીર બતાવવાનો અવસર આવ્યો છે તો બતાવો.

પહેલાં થોડી અતીતની વાત. ૧૫મી એપ્રિલ ૧૯૪૬ના રોજ કોલકત્તા નજીક તારકેશ્વરમાં હિંદુ મહાસભાની બેઠક મળી હતી અને તેમાં ઠરાવ કરીને બંગાળના વિભાજન અંગે અંતિમ નિર્ણય લેવાનો અધિકાર હિંદુ મહાસભાના અધ્યક્ષ ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીને આપવામાં આવ્યો હતો. એ અધિવેશનમાં વિનાયક દામોદર સાવરકર હાજર હતા. મે મહિનામાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટનને પત્ર લખ્યો હતો કે ભારતનું વિભાજન થાય કે ન થાય, પણ બંગાળનું વિભાજન થવું જોઈએ. હિંદુઓ અને હિંદુ બહુમતી વિસ્તારો પર મુસલમાનો રાજ કરે એ અમને સ્વીકાર્ય નથી. પણ મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં હિંદુ વસે છે તેનું શું? તેમની સંખ્યા લગભગ ૨૫ ટકાની હતી, ઓછી નહોતી. દર ચોથો હિંદુ મુસ્લિમ બહુમતી વિસ્તારમાં વસતો હતો. પણ તેની તેમને ચિંતા નહોતી. જો કે ચિંતા તો મુસ્લિમ લીગને પણ નહોતી. બહુમતી હિંદુ વિસ્તારોમાં એટલા જ પ્રમાણમાં એટલે કે ૨૫ ટકા મુસલમાનો રહેતા હતા.

ભારતનું વિભાજન થાય કે ન થાય, બંગાળનું વિભાજન થવું જોઈએ એવી માગણી કરતી વખતે તેમણે પૂર્વ બંગાળ(અત્યારના બંગલાદેશ)માં વસતા હિંદુઓની ચિંતા કરી નહોતી. તેમને એટલી પણ સમજ નહોતી અથવા ચિંતા નહોતી કે પૂર્વ પાકિસ્તાનમાં વસતા ૨૫ ટકા હિંદુઓનું જીવન અસુરક્ષિત થઈ જશે. એટલે તો પૂર્વ બંગાળમાં નોઆખલીમાં લઘુમતી હિંદુઓનો નરસંહાર થયો ત્યારે હિંદુઓને બચાવવા માત્ર ગાંધીજી ગયા હતા જેને તેઓ કાયર તરીકે ઓળખાવે છે. એક પણ હિન્દુત્વવાદી નોઆખલી ગયો નહોતો. લોર્ડ માઉન્ટબેટનનું પ્રસિદ્ધ કથન યાદ હશે. તેમણે કહ્યું હતું કે પૂર્વના મોરચે માત્ર એક વ્યક્તિની બટાલિયને શાંતિ સ્થાપી છે. અતીતની હજુ એક વાત. સુભાષચંદ્ર બોઝના ભાઈ સરતચન્દ્ર બોઝ અને શહીદ સુહરાવર્દીએ  પ્રસ્તાવ રાખ્યો હતો કે પશ્ચિમે પાકિસ્તાનની જેમ પૂર્વે જો સંયુક્ત બંગાળને સ્વતંત્ર દેશ તરીકે સ્થાપવામાં આવે તો અમે એટલે કે બંગાળી હિંદુ અને બંગાળી મુસલમાન સાથે રહેવા તૈયાર છીએ. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ તે પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો, ટૂંકમાં ભારતનું વિભાજન થાય કે ન થાય અમને બંગાળનું વિભાજન થવું જોઈએ છે. એટલું જ નહીં, અમને સ્વતંત્ર બંગાળ પણ નથી જોઈતું, કારણ કે તેમાં સહિયારાપણાની શરત છે અને અમારે સાથે મુસલમાનો સાથે રહેવું નથી.

આ ડૉ શ્યામા પ્રસાદ મુખર્જી ભારતીય જનસંઘ(અત્યારનો ભા.જ.પ.)ના સ્થાપક અધ્યક્ષ હતા અને અત્યારે હિન્દુત્વવાદીઓ બંગલાદેશમાં હિંદુઓની અવસ્થા જોઇને રુદન કરે છે, પણ કશું જ કરી શકતા નથી. ૧૯૪૭માં હિન્દુત્વવાદીઓ અને મુસ્લિમ લીગીઓએ જે તે કોમના બહુમતી વિસ્તારોમાં ત્યાં વસતી લઘુમતી કોમનું શું થશે એ વિષે વિચાર કર્યો હોત તો ભારતનું વિભાજન ન થયું હોત. જો હિંદુ કે મુસ્લિમ બહુમતી કોમે પોતાને ત્યાંની લઘુમતી કોમને સતાવી ન હોત તો આજના દિવસ જોવા ન મળ્યા હોત. આજે પણ મુસલમાનોને સતાવતી વખતે હિન્દુત્વવાદીઓ વિચારતા નથી કે પડોશી દેશમાં લઘુમતી હિંદુઓનું શું થશે અને પાકિસ્તાનમાં અને બંગલાદેશમાં હિંદુઓને સતાવતી વખતે કોમવાદી મુસ્લિમ વિચારતા નથી કે ભારતમાં વસતા મુસલમાનોનું શું થશે!

અને થોડી વાત શૌર્યની. છે કોઈ વિકલ્પ ભારતના શાસકો પાસે? વિકલ્પ એક જ છે, બંગલાદેશની સરકારને સમજાવવાનો. સમજે નહીં તો વિશ્વમત કેળવવાનો. દબાવ લાવવાનો. પણ સમસ્યા એ છે કે વિશ્વદેશો ભારતના હિન્દુત્વવાદી શાસકોને તેમનાં મુસ્લિમ વિરોધી વલણની અને બુલડોઝર પોલીસીની યાદ અપાવે અને તે પાલવે એમ નથી. સામે બંગલાદેશના શાસકોને પણ હિંદુ વિરોધી વલણનાં પરિણામે ભારતમાં મુસલમાનોનું શું થશે તેની કોઈ ચિંતા નથી.

આ સત્તાનો ખેલ છે જેમાં હિંદુઓ અને મુસલમાનો પ્યાદાં માત્ર છે.

Loading

બધું સરસ હોય ત્યારે જ જીવન નીરસ લાગે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 December 2024

રવીન્દ્ર પારેખ

આજની પેઢી સ્વેચ્છાએ પોતાનું જીવન નક્કી કરે છે. બીજા કોઇની દખલ તે બહુ સાંખતી નથી. માબાપ કે અન્ય સંબંધીઓનું પણ અમુક હદથી વધારે દબાણ યુવાનો પર ચાલતું નથી. એમાં યુવક કે યુવતી, કોઈ પણ હોય, વર્તણૂક કે જીવન શૈલીમાં બહુ ફરક પડતો નથી. વલણ એવું પણ રહ્યું છે કે યુવક કે યુવતીનું ભણતર એ પ્રકારનું હોય છે કે નોકરી મોટે ભાગે વતનથી દૂર મહાનગરોમાં મળતી હોય છે ને પગાર સારો હોય તો દૂર જવાનો પણ વાંધો હોતો નથી. આમ તો યુવાનો અંદર ખાને એવું ઇચ્છતા પણ હોય છે કે નોકરી ઘરથી થોડે દૂર હોય, તે એટલે કે ઘરનાઓની એટલી દખલ ઓછી !  બેંગલોર, મુંબઈ, દિલ્હી, કોલકાતા, મદ્રાસ જેવાં શહેરોમાં નોકરી હોય તો યુવાનોને મહાનગરની લાઈફ માણવા મળે એ લોભ પણ ખરો. મોટે ભાગના યુવાનોએ એકલાં રહેવું હોય છે ને ધારેલું કરવું હોય છે. એવું ઘરે હોય તો કરવાનું ઓછું મળે. હાથમાં સારી કંપનીની ઊંચી પોસ્ટવાળી નોકરી હોય તો ઘણું બધું અંકે કરી શકાય ને થોડી ફાસ્ટ લાઈફ પણ માણવા મળે, એવું યુવાનો ઇચ્છતા હોય છે. થોડું ગમતું થાય ને થોડી થ્રિલ અનુભવાય તો સોનામાં સુગંધ ભળે.

સુનિધિને મુંબઇમાં રોબોટ બનાવતી કંપનીમાં મોટા પેકેજની નોકરી મળી. 28 વર્ષની સુનિધિ ઘરનાં લોકોને નારાજ કરીને મુંબઈ ગોઠવાઈ હતી. ખાસી ટેલન્ટેડ ને ડેશિંગ હતી. થોડા વખતમાં તો ફ્રેન્ડ સર્કલ બની ગયું. આમ તો તે બધાંની બોસ હતી, પણ તે ડ્યૂટી અવર્સમાં. સર્કલમાં તો તે ખાસી ફ્રેન્ડલી હતી. શરૂઆતમાં તો સ્ટાફે તેને કો-ઓપરેટ કરી, પણ પછી એમને એમની લાઈફ પણ હતી, એટલે ડ્યૂટી પૂરી થતી કે સ્ટાફ નીકળી જતો. સુનિધિને પોતાના ફ્લેટ પર જવાનું મન થતું, પણ ત્યાં પણ કોઈ રાહ જોનારું હતું નહીં, એટલે ઓફિસમાં જ કામ કર્યા કરતી. કંપની તેના કામથી ખુશ હતી ને ઇન્સેન્ટિવ સાથે તેને જુદા જુદા પ્રોજેક્ટ્સ સોંપતી જતી હતી. તે પણ જીવ રેડીને કામ કરતી હતી. સવારે આવતી ને રાત્રે ફ્લેટ પર પહોંચતી. ડ્રાઈવર કે પ્યૂન થોડા અકળાતા પણ ખરા, કારણ તેમણે મોડે સુધી રોકાવું પડતું. એ ખરું કે સુનિધિને ઓફિસ સિવાય બીજું કામ ન હતું, પણ ડ્રાઈવર અને પ્યૂનને તો ઘરે રાહ જોનારું કોઈ હતું.

ધીરે ધીરે એવી સ્થિતિ આવી કે ઓફિસની બહાર તે જાણે હતી જ નહીં ! એક તબક્કે તો સ્ટાફ સાથે નાઈટ લાઈફ માણવા પણ તે નીકળી પડતી, પણ હવે તો કોઈ મોડે સુધી રોકાતું ન હતું ને તેણે ક્યાંક જવું હોય તો કોઈ કંપની ન હતી. આમ તો કામ જ એટલું પહોંચતુ કે બીજા કોઈ વિચાર માટે જગ્યા જ ન રહેતી. ઘરનાં લોકો સાથેનો સંપર્ક તેણે જ રાખ્યો ન હતો. કોઈ વાર મમ્મી ફોન કરતી તો એને ઉપાડવાની ફુરસદ જ ન હોય ને હવે એ ફોન કરતી તો મમ્મી લગ્નની વાત કાઢતી ને તે તેને માફક આવતી ન હતી, એટલે વાત ટૂંકી જ રહેતી. ભાઈ તેની ફેમિલીમાં વ્યસ્ત હતો ને પપ્પાને કમાવામાંથી ફુરસદ ન હતી. વળી પપ્પા તો સુનિધિની નોકરીથી જ નારાજ હતા, એટલે પણ એ બહુ વાત કરવા રાજી ન હતા. થોડો વખત વોટ્સએપ, ફેસબુક પણ કરી જોયું. મિત્રો તો થઈ જતા, પણ તેમાં ગંદકી સિવાય ખાસ કૈં રહેતું નહીં.

જો કે, કામ સિવાય સુનિધિને કશું સૂઝતું પણ નહીં ને એથી જ કદાચ એકધારા કામથી તે થાકવા લાગી. કામનો કંટાળો આવવા લાગ્યો. ઓફિસની બહાર પણ દુનિયા છે એ ભાન તેને થયું, ત્યાં સુધીમાં તો તે સાવ એકલી પડી ગઈ હતી. બધું જ હતું. ધારે તે કરી શકે એમ હતું, પણ ધારવાનું જ ભુલાઈ ગયું હતું. કામ તે ઘણું કરતી, પણ કામ કરી કરીને પણ ક્યાંક તો અટકવાનું હતું. કામના પૈસા મળતા હતા, પણ પૈસાથી આનંદ મળતો ન હતો. પૈસાથી તે ઘણું ખરીદી શકે એમ હતી, પણ આનંદ ખરીદવાનું શક્ય ન હતું. જિંદગી તેને સાવ નીરસ લાગવા માંડી. ભરચક પગાર હતો, લક્ઝુરિયસ ફ્લેટ હતો, કંપનીની ને પોતાની એમ બબ્બે કાર હતી, કપડાં, ઘરેણાંની પણ ખોટ ન હતી. બધું જ હતું, પણ તેને નિરાંત જોઈતી હતી, શાંતિ જોઈતી હતી ને તે તેને મળતી ન હતી. કંપની પ્રોજેક્ટ્સ આપ્યે જતી હતી ને તે કર્યે જતી હતી – જેમ તેનાં જ બનાવેલાં રોબોટ્સ કમાન્ડ ઉઠાવ્યે જતાં હોય તેમ ! આ બધું તે શું કામ કર્યે જતી હતી, તેવો સવાલ તેને થતો ને તેને બધું નિરર્થક લાગતું. તેને બધું જ ફગાવી દેવાનું મન થયું. નોકરી છોડીને ઘર ભેગાં થવાનું મન થયું, પણ ઘર કયાં મોઢે જવું? આ બધાંથી કુટુંબે તેને ચેતવી ન હતી એવું ન હતું.

બન્યું એવું કે સુનિધિનો બધી વાતોમાંથી રસ ઊડવા લાગ્યો. ખાવાપીવાનું મન મરવા લાગ્યું. લાખો રૂપિયા વપરાયા વગર પડી રહેવા લાગ્યા. હૈયું ને આંખો ભરાવાં લાગ્યાં. જિંદગી અકારી લાગવા માંડી ને વાત કાઉન્સેલિંગ, સાઇકિયાટ્રિસ્ટ સુધી આવી. સારવાર શરૂ થઈ અને થોડી સારવાર પછી સુનિધિ જિંદગીમાં પાછી ફરી, પણ જુદી જીવન શૈલીએ –

આવું સુનિધિ જેવી ઘણી મહિલાઓને અને ઘણા સુનિલ કે અનિલને બનતું હોય છે. આજના સમયમાં હતાશા, નીરસતા ઘણાંની જિંદગીમાં ઘૂસે છે. આ ઘૂસણખોરી માટે ખરેખર તો જે તે વ્યક્તિ જ વધારે જવાબદાર હોય છે. સુનિધિનો જ દાખલો જોઈએ, તો આવી જિંદગી તેણે સામે ચાલીને સ્વીકારી છે. તેનો વાંક છે એવું નથી, પણ કશુંક કરી નાખવાના ઉત્સાહમાં યુવાનો આગળ પાછળનો બહુ વિચાર કરતાં નથી. સાહસ, હસાહસમાં ન પરિણમે એટલું દરેકે જોવું જોઈએ. એકલપંડે ઘણું બધું કરી નાખવાનો ઉત્સાહ ઘણી વાર હતોત્સાહ કરે છે. સુનિધિએ એકલાં જીવવું હતું ને આવી પડેલી એકલતાએ તેને હતાશા તરફ ધકેલી. કોઈ પણ કાળમાં માણસ એકલો રહે એવું કુદરતે જ નથી રાખ્યું, પણ માણસને એકલાં રહેવાનું ગમે છે. હકીકત એ છે કે કોઈ પણ પરિસ્થિતિ લાંબો સમય ચાલે તો તે માણસને ગમતી નથી. તે એકલો હોય તો બેકલો થવા ઈચ્છે છે ને બેકલો હોય તો એકલો થવા ઈચ્છે છે. કુદરતે મનુષ્ય જીવનના દરેક તબક્કા બહુ સમજીને નક્કી કર્યા છે. બાળપણમાં બાળપણ અનુભવી લેવું. તેને બદલે કોઈ વૃદ્ધત્વ કે સાધુત્વનો પ્રયત્ન કરે તો ઘાતક નીવડે એમ બને. સ્વેચ્છાએ એકલા રહેવું અને અનિચ્છાએ એકલા રહેવું, એ બે જુદી બાબતો છે. એકમાં આનંદ છે, બીજામાં પીડા છે.

સુનિધિ જેવી મહિલાઓ કે સુનિલ, અનિલ જેવા યુવાનો વધુ કમાણીની લાલચે એટલી બધી જવાબદારીઓ વહોરી લે છે કે પછી પહોંચી વળાતું નથી. સ્માર્ટનેસ એટલી સસ્તી થઈ ગઈ છે કે સ્માર્ટથી ઓછું તો કોઈને કશું ખપતું જ નથી. સ્માર્ટનેસ વ્યક્તિમાં હોય તો તે ડિપ્રેસ થાય નહીં ને ડિપ્રેશનમાં ફસાય નહીં. ફસાય તો પણ તેનો લાંબો સમય શિકાર બને નહીં, પણ આજકાલ સ્ટ્રેસનો એવો વાવર ચાલે છે કે કોઈ પણ ઉંમરની વ્યક્તિ તેનો ભોગ બની શકે છે. બધું જ ઇચ્છિત મળ્યું હોય ને બધું જ અન્યને ઈર્ષા આવે એવું હોય, તો ય યુવાપેઢી ઝડપથી ખુશ કે હતાશ થઈ જાય છે. આ હતાશા ક્યારેક આત્મહત્યા સુધી પણ ખેંચી જાય છે. અત્યારની વિચિત્ર પરિસ્થિતિમાં સ્વસ્થ રહેવું મોટો પડકાર છે. ઘણા એ પડકાર ઝીલે છે, તો ઘણા હારી જાય છે. આવનારા સમયમાં મનોરોગીઓની સંખ્યા અનેક ગણી વધવાની છે. બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના ઘણા ડિપ્રેશનનો ભોગ બને છે. માણસ ભીડ વચ્ચે રહેતો હોય તો ય એકલતાથી પીડાતો હોય એમ બને ને એકલતા ભાગ્યે જ સુખદ હોય છે. વધારે શું કહેવું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 08 ડિસેમ્બર  2024

Loading

શું વધારે જરૂરી છે-વસ્તી વધારો કે વસ્તી નિયંત્રણ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|9 December 2024

રવીન્દ્ર પારેખ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ગયા રવિવારે ઓછામાં ઓછા ત્રણ બાળકો જરૂરી છે એવું જણાવીને ઘટતા જતા વસ્તી વૃદ્ધિ દર અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે કોઈ સમાજનો વસ્તી વૃદ્ધિ દર 2.1થી નીચો જાય તો તે સમાજ ભવિષ્યમાં નાશ પામે છે. ભાગવતે આધુનિક વસ્તી વિજ્ઞાન ટાંકતા કહ્યું કે જે સમાજનો પ્રજનન દર 2.1થી નીચે જાય તો, કોઈ કટોકટી ન હોય તો પણ, તે સમાજ નામશેષ થઈ જાય છે. આ રીતે ઘણી ભાષાઓ અને ઘણા સમાજો નષ્ટ થયાં છે. ત્રણ બાળકો હશે તો જ સમાજ ટકશે. તેમણે નામ પાડ્યું નથી, પણ ભાગવતનો 2.1નો આંક વધારવાનો સંકેત હિન્દુ સમાજ સંદર્ભે છે તે કહેવાની જરૂર નથી. ભા.જ.પે. ભાગવતની ટિપ્પણીનું સ્વાગત કર્યું છે. ભા.જ.પ.ના સાંસદ નેતા મનોજ તિવારીએ તો ભાગવત પર આંધળો વિશ્વાસ મૂકતાં સ્પષ્ટ કર્યું છે કે ભાગવતજીએ જે કૈં પણ કહ્યું છે તે નિશ્ચિંતપણે રાષ્ટ્રીય હિતમાં જ હશે. ભાગવતે શું કહ્યું છે તેની દરકાર રાખ્યા વગર તિવારી, જે  કૈં કહ્યું છે તે હકારાત્મક રીતે રાષ્ટ્રીય હિતમાં જ કહ્યું છે એમ માની લે એ વધારે પડતું છે. મેરઠના સાંસદ અરુણ ગોવિલે પણ ભાગવત પરિપક્વ વ્યક્તિ છે એટલે તેમનું નિવેદન રાષ્ટ્રીય હિતમાં જ હશે તેવું માને છે. આખી વાત જાણીને આ નેતાઓ આવું બોલ્યા હોત તો કૈંકે લેખે લાગ્યું હોત.

દેખીતું છે કે કાઁગ્રેસની એની સામે પ્રતિક્રિયા હોય જ ! તેણે ભાગવતનાં નિવેદનને રાજકીય એજન્ડા ગણાવ્યો છે. કાઁગ્રેસી નેતા અને વિપક્ષી નતા ઉમંગ સિંઘરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે જેઓ પહેલેથી વસ્તીમાં છે જ, તેમને નોકરી તો આપો. એક તરફ પાકની જમીન ઘટી રહી છે, બેરોજગારી વધી રહી છે ને વસતિની દૃષ્ટિએ દેશને શક્તિશાળી બનાવવાની વાતો કરો છો તો શરૂઆત ભાગવત, મોદી અને યોગીથી કરવી જોઈએ. વસ્તી વધારવાની હિમાયત થતી હોય તો એ પણ વિચારવાનું રહે કે ભાવિ વસ્તી માટે સંસાધનો ક્યાંથી આવશે? ખાદ્ય સામગ્રીઓ અત્યંત મોંઘી છે. કાઁગ્રેસી સાંસદ રેણુકા ચૌધરીએ તો ત્યાં સુધી કહ્યું કે ભાગવતજીને બાળકોનાં પાલનપોષણનો શો અનુભવ છે? કટિહારના કાઁગ્રેસી સાંસદ તારિક અન્વરે સોંસરું કહ્યું છે કે ભાગવતનું નિવેદન ભા.જ.પ.ના નેતાઓની વાતથી એ રીતે વિપરીત છે કે ભાગવત વસ્તી વધારવાની વાત કરે છે ને ભા.જ.પ. વસ્તી નિયંત્રણની વાત કરે છે. અન્ય વિપક્ષી સાંસદોએ પણ વિરોધનો સૂર કાઢ્યો છે.

આમ પણ વસ્તીમાં ચીનને પાછળ રાખીને ભારત સૌથી વધુ વસ્તીવાળો દેશ બન્યો છે. છેલ્લી વસ્તી ગણતરીમાં હિન્દુઓની ટકાવારી 80 ટકા હતી અને તે હવે ઘટીને 78.9 ટકા પર આવી છે. આમ હિન્દુઓની વસ્તી 100 કરોડ જેટલી છે, જ્યારે મુસ્લિમોની વસ્તી 14 ટકા જેટલી છે અને તે વધી રહી હોવાનું કહેવાય છે. બને કે ભાગવતને એ સંદર્ભે ત્રણ બાળકોની વાત કહેવાનું ઠીક લાગ્યું હોય. એ ખરું કે ભા.જ.પ. હિન્દુત્વને વરેલો છે ને સંઘ, ભા.જ.પ.ના માધ્યમથી પોતાની વિચારધારા દેશમાં ફેલાવ્યે જાય છે. ભા.જ.પ. અને સંઘ વચ્ચે મતભેદો પણ ઊભા થાય છે, પણ છેવટે તો ઘી ખીચડીમાં જ ઢોળાઈને રહે છે. મતભેદ સપાટી પર હોય તો હોય, પણ ચૂંટણી દરમિયાન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મહિમા હિન્દુત્વનો થાય તેને માટે સંઘ, સભાઓમાં કે પ્રવચનોમાં પ્રયત્નશીલ રહે છે ને તેની અસર ચૂંટણીનાં પરિણામોમાં જોવા પણ મળે છે.

સાદો પ્રશ્ન એ છે કે ત્રણ બાળકોની ગણતરીએ ભવિષ્યમાં જે વસ્તી વધશે એનો બોજ ઉપાડવા દેશ તૈયાર હશે ખરો? વિકાસ તો ઘણો થાય જ છે ને ભૌતિક સુવિધાઓ પણ વધી રહી છે, પણ મોંઘવારી અને રોજગારીની સમસ્યાઓ આજે જ વિકરાળ છે, તો ભવિષ્યમાં કેવી હશે તેની કલ્પના સંઘે કરી છે કે પડશે તેવા દેવાશે એ નીતિએ આગળ વધવા માંગે છે? વારુ, સંઘ સંચાલકે તો એક ચિંતા સાર્વત્રિક રીતે કરી છે, પણ ત્રણ બાળકોને ધરતી પર લાવનાર સામાન્ય માબાપ તેમનો ઉછેર અને તેમની જવાબદારીઓ કેવી રીતે ઉપાડશે તેનું માર્ગદર્શન પણ ભાગવત કરે તે અપેક્ષિત છે. વળી જે સ્ત્રી ત્રણ બાળકોને જન્મ આપશે એને વિષે એક હરફ પણ કોઈએ કાઢ્યો નથી તે દુ:ખદ છે. એક તરફ ભા.જ.પ. જ વસ્તી નિયંત્રણની વાત કરતો હોય ને તેના જ સાંસદો ભાગવતનાં ત્રણ બાળકો અંગેનાં નિવેદનનું સમર્થન કરતો હોય તો સવાલ થાય કે ખરેખર અપેક્ષિત શું છે – વસ્તી નિયંત્રણ કે વસ્તી વધારો?

આવું ભાગવતે જ કહ્યું છે એવું નથી. થોડા વખત પર જ આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ વૃદ્ધોની વસ્તી વધી રહી છે તો તેમની દેખભાળ માટે લોકોએ બે કે તેથી વધુ બાળકોને જન્મ આપવો જોઈએ તેવું કહેલું ને સાથે એમ પણ ઉમેરેલું કે બે કે વધુ બાળકો હોય તેને જ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડવાનો અધિકાર મળી શકે એવો કાયદો રાજ્ય સરકાર લાવવા જઈ રહી છે. યુવાનો વિદેશમાં કે રાજ્ય બહાર સ્થાયી થયા છે, પરિણામે યુવાનોની વસ્તી ઘટી છે ને ગામમાં વૃદ્ધો જ રહી ગયા છે. જો બાળકો વધશે તો વસ્તી સંતુલિત થશે. એક સમય હતો જ્યારે આ જ નાયડુ વસ્તી નિયંત્રણની વાત કરતા હતા ને હવે વધુ બાળકો હોય તેને જ રાજકીય લાભ આપવાની વાત કરે છે. સાચું તો એ છે કે વિદેશની તકોને હિસાબે યુવાનો જ નહીં, અમીરો પણ દેશ છોડી રહ્યા છે, ત્યારે સવાલ થાય કે દેશ ખરેખર જ વિકાસ કરી રહ્યો છે ને અહીં તકો વધી રહી છે, તો યુવાનો તો ઠીક, અમીરો કેમ દેશ છોડી રહ્યા છે? આપણને એનું આશ્ચર્ય નથી થતું કે 2019થી 2023 સુધીમાં 8.34 લાખ લોકોએ ભારતીય નાગરિક્તાને છોડી દીધી છે ને આ વાત બીજા કોઈએ નહીં, પણ સરકારે લોકસભામાં કબૂલી છે. એક તરફ સરકાર વિદેશી રોકાણોને ભારતમાં આકર્ષિત કરવા મથે છે ને બીજી તરફ વધુ વળતરની અપેક્ષાએ ભારતીયોએ 20 લાખ કરોડની સંપત્તિ સિંગાપોર કે હોંગકોંગમાં રોકી છે. દેખીતું છે કે આ વેપલામાં વૃદ્ધો ન હોય. એમાં યુવાનો જ જોડાય. આ હાલત હોય તો દેશમાં યુવાનો ઘટે જ તે સમજી શકાય એવું છે.

આટલું ઓછું હોય તેમ તમિલનાડુના મુખ્ય મંત્રી સ્ટાલિને સમૂહ લગ્નના એક કાર્યક્રમમાં એવું કહ્યું કે પરિણીત યુગલો 16 બાળકો પેદા કરે. 16 બાળકો પેદા કરવા પાછળનો સ્ટાલિનનો તર્ક એવો છે કે 2029ની લોકસભાની ચૂંટણી 78 સીટો સાથે થઈ શકે. એ હકીકત છે કે ઉત્તર ભારત કરતાં દક્ષિણી રાજ્યોનો પ્રજનન દર ઘટ્યો છે. એ સંજોગોમાં સ્ટાલિનનું માનવું છે કે 10 લાખની વસ્તીએ એક સાંસદ વધે. એને માટે સીમાંકન દ્વારા સીટો વધી શકે. થયું એવું કે 1971 પછી કેન્દ્ર સરકારે વસ્તી નિયંત્રણ માટે કોશિશો કરી. દક્ષિણનાં રાજ્યો એ અંગે સભાન થયાં ને તેને વસ્તી નિયંત્રણમાં સફળતા મળી. એની સામે ઉત્તર ભારત વસ્તી નિયંત્રણમાં પાછળ રહ્યું એટલે તેની વસ્તી વધી, પરિણામે તેની લોકસભાની સીટો પણ વધીને 255 પર પહોંચી. એની તુલનામાં દક્ષિણની સીટો 130 જ છે. આંધ્રની અને તમિલનાડુની સરકારની ગણતરી એવી છે કે વસ્તી બમણી થાય તો આંધ્રની સીટ 25ની 50 થાય ને  તમિલનાડુની 39ની 78 થાય.

એક તરફ એન.ડી.એ.ની રાજ્ય સરકારો વસ્તી નિયંત્રણ માટે પ્રયત્નો કરતી હોય ત્યારે આંધ્ર, તમિલનાડુની સરકારો વધુ બાળકો પેદા કરવા પ્રજાને ઉતેજિત કરતી હોય તેનું આશ્ચર્ય છે. તે તો ઠીક, સંઘના જ રાષ્ટ્રીય વડા ત્રણ બાળકો પેદા કરવાની ફરમાઇશ કરતાં હોય ત્યારે કોકડું કેટલું ગૂંચવાયેલું છે તે સમજી શકાય એવું છે. 1971ની કેન્દ્ર સરકારને ત્યારે 55 કરોડની વસ્તી વધુ લાગતાં તેણે વસ્તી નિયંત્રણ માટે કોશિશો કરેલી ને આજે 142 કરોડની વસ્તીનો વાંધો ન હોય તેમ આંધ્ર, તમિલનાડુ અને સંઘ વસ્તી વધારવાની હિમાયત કરે છે. ઉત્તર પ્રદેશમાં બે બાળકોનો કાયદો થઈ શકે એમ નથી, તો મહારાષ્ટ્રમાં બેથી વધુ બાળકો હોય તેને સરકારી નોકરી અપાતી નથી. આ બધું પાછું શુદ્ધ બુદ્ધિથી નથી થતું. દરેકની આવી હિમાયત પાછળ રાજકીય ગણતરીઓ છે. એટલે જ રાજ્યોના કાયદાઓમાં એકસૂત્રતા નથી. સાદો સવાલ એ છે કે સૌથી વધુ વસ્તી દુનિયામાં ભારતની હોય ને સંસાધનોની તંગી હોય તો વસ્તી વધારવામાં લાંબે ગાળે મુશ્કેલીઓ જ વધે, એવું ખરું કે કેમ?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 ડિસેમ્બર 2024

Loading

...102030...327328329330...340350360...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved