Opinion Magazine
Number of visits: 9766404
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિદાય !

નિરંજના દેસાઈ|Poetry|20 April 2018

એક પછી એક,
                 કેટલાં ય આપ્તજનોએ,
                         ને સ્નેહીજનોએ,

હમણાં હમણાં વિદાય લીધી.
કોક તો કંઈ પણ કીધા વિના,
કશા ય અણસાર દીધા વિના,
ચિર નિદ્રામાં પોઢી ગયાં,
થંભ્યા ય ના અલવિદા કહેવા !
કોઈક −
     સર્જરીની સતત મુલાકાતે,
     હોસ્પિટલોની અવિરત દોટંદોટે;
     હામ ખોતાં, હાંફી જાતાં
     અટવાતાં, આથડતાં !
     સ્વાસ્થ્યને ઢંઢોળતાં !
અમુક −
    “વાંસાસિ જિર્ણાની યથા વિહાય”
     જીર્ણ વસ્ત્રોને હાવાં દો વિદાય;
     “નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ”,
     શસ્ત્રો આત્માને ન શકે હણી,
એ −
     ભગવદ્દગીતાના અમૂલ્ય બોધે,
     સ્થિતપ્રજ્ઞ શાં, અનન્ય ધૈર્યે;
     વહ્યાં મહાનિર્વાણે !

60 Wilson Gardens, WEST HARROW, Middlesex HA1 4DZ

Loading

કોમનવેલ્થ ગેમ્સનો હુલ્લાસ !

નિરંજના દેસાઈ|Opinion - Opinion|20 April 2018

4થી અૅપ્રિલ 2018ના રોજ અમારા બ્રિટનનાં મહારાણીના અતિપ્રિય ને એમનાં હૃદયમાં સદાય વસેલા દેશો − હાજી, “કોમનવેલ્થ કન્ટૃીઝ”, જે એક જમાનામાં બ્રિટનની હકૂમત નીચે આ-રા-મથી કે પ્રમાદથી આનંદતા હતા, એ દેશોનું આ ભવ્ય સંમેલન − “રમત-ગમતનો અદ્વિતીય મેળાવડો” ઓસ્ટૃેલિયામાં, ક્વિન્સલેન્ડના ગોલ્ડકોસ્ટના વિશાળ સ્ટેિડયમમાં, ભારે દબદબાથી યોજાયો હતો. અફસોસ એ જ કે પહેલી વાર, વધતી ઉંમરને કારણે, મહારાણીના પ્રતિનિધિ તરીકે એમના પાટવી કુંવર – પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સ અૉફ વેલ્સ, તેમના પત્ની સાથે પધાર્યા હતા.

ઉદ્દઘાટન વિધિ અત્યંત રોમાંચક ને ‘આલાગ્રાન્ડ’ હતી. ખાસ ધ્યાન પ્રેરે તથા અભિનંદનીય બાબત એ હતી કે એક વખતે જેઓને નહિવત્‌ કરવાના અનેક પ્રયાસો થયા હતા તે − ઓસ્ટૃેલિયાના આદિવાસીઓને ઉદ્દઘાટન વિધિમાં, શુકનપ્રેરિત અગ્રસ્થાન આપવામાં આવ્યું હતું. આ આદિવાસીઓએ તેઓના અત્યંત છટાદાર આદિવાસી નૃત્ય ને આદિવાસી રીત-રિવાજ મુજબ, પોતાની ભૂલાઈ જતી આગવી સંસ્કૃિતને, ઉદ્દઘાટન વિધિમાં તાદૃશ્ય રજૂ કરી હતી.

હવે મુખ્ય વાત પર આવીએ. આરંભમાં દરેક દેશના ખેલાડીઓ − ‘એથલીસ્ટ’ પોતાના દેશનો રાષ્ટૃધ્વજ ફરકાવતા ફરકાવતા, સંગીતના સૂરે કદમ મિલાવી ગૌરવભેર આવતા હતા. દૃશ્ય ખૂબ જ સુંદર હતું. વળી, સહુ, એક યા બીજી રીતે પોતાના દેશના રાષ્ટૃધ્વજના રંગોને આવરતા, પોતાના દેશના રાષ્ટૃીય પોષાકમાં સજ્જ થઈ કદમ મિલાવી ગૌરવભેર આગે કૂચ કરતાં હતાં. તે તે દેશનાં લોકો આ દૃશ્ય જોઈ કેટલો આનંદ ને ગૌરવ અનુભવતાં હશે!

અમે પણ અમારા મિત્રમંડળ સહિત, ચહા-નાસ્તાને ન્યાય આપતાં આ ભવ્ય કૂચનો આનંદ ટેલિવિઝન દ્વારા માણી રહ્યાં હતાં. ખાસ કરીને, આફ્રિકાના દેશોના ખેલાડીઓનો પોષાક અત્યંત સમુચિત, નયનરમ્ય તથા પોતાના દેશના રાષ્ટૃધ્વજને આબેહૂબ તાદૃશ કરતાં હતાં. અમે ખૂબ જ ઈન્તેજારીપૂર્વક ભારતની ટીમની કાગડોળે પ્રતિક્ષા કરી બેઠાં હતાં. અંદર અંદર થોડી ઘૂસપૂસ કરીને અમારા ધોળિયા મિત્રોને કહ્યું કે ભારતના રાષ્ટૃધ્વજના સુંદર – કેસરી, સફેદ, લીલા રંગોને આભૂષિત કરતો પોષાક ધરી ભારતીય ખેલાડીઓને જોઈ તમે મુગ્ધ થઈ જશો ! ને આ દૃશ્ય જોવા અમે મોંમાં તલસાંકળીનો કટકો ચગળતાં તલપાપડ થઈ બેઠાં હતાં. આ ત્રણ સુંદર રંગોનાં કૂરતા-કમીઝ, કે ઝભ્ભા, પંજાબી ડૃેસ સહિત દૂપટ્ટો કે કેસરી, સફેદ, લીલા રંગની સાડીોનાં દર્શન કદાચ થાય ! ને સ્મરણે ચડ્યું − અમે ભારતનો સ્વાતંત્રદિન ખૂબ જ ઉત્સાહભેર ઉજવતાં − એકલો સ્વાતંત્રદિન જ નહીં પણ આવા કોઈ મહા ઉત્સવ પ્રસંગે − કેસરી ઓઢણી, સફેદ બ્લાઉઝ ને સુંદર લીલા રંગનો ઘેરદાર ઘાઘરો પહેરી આઝાદીનાં ગીતો લલકારતાં ને નૃત્ય કરતાં. અત્રે, લંડનમાં બહેનોનું એક મંડળ – ભારતના રાષ્ટૃધ્વજના રંગોની સાડી પહેરી આનંદભેર 15મી અૉગસ્ટ ઉજવે છે ! તો આ ખેલાડીઓ તો ભારતના ને ભારતનું પ્રતિનિધિત્વ ધરી આ ઉત્સવમાં આવતાં હતાં. ખેર, મનુષ્યનું અળવીતરું મન આવા પ્રસંગે ક્યાંનું ક્યાં ય ઊપડી જાય છે ! 2012માં, અમારા લંડનમાં, ઓલિમ્પિકની રમગમતની ભવ્ય પરેડ ને તેમાં ઇન્ડિયાની ટીમના ‘ગોસ્મટાળા’ કો’કે યાદ કરાવ્યા ! અમે પ્રાર્થના કરી કે એવું અહીં ન બને ! અસ્તુ.

આખરે અમે કાગડોળે જે પરેડની રાહ જોતાં હતાં તેનું નામ બોલાયું : “નમસ્તે ઇન્ડિયા!” અમે આતુરતાથી કેસરી – સફેદ – લીલા રંગોનો માહોલ જોવા, ભારતનો રાષ્ટૃધ્વજ ઝાલી ઊભાં થયાં !! − ‘ઓહ ! નો !’ અમારાથી ચીસ પડાઈ ગઈ ! ભારતની ટીમ તદ્દન ‘કાળામસ’ સૂટમાં ! પુરુષો તો ઠીક પણ સ્ત્રીઓ સીખ્ખે ! − કૂચકદમ કરતાં દેખાયાં ! હા, રાષ્ટૃધ્વજનો રંગ કેસરી, સફેદ, લીલો જ હતો પરંતુ આખી ‘પલ્ટન’ ઘેરા કાળા રંગના ‘કોટ-પાટલૂન’માં ! અમે સાચ્ચેસાચ્ચ રડમસ થઈ ગયાં ! અમારાં ગોરાં દોસ્તો પણ આશ્ચર્યચકિત થઈ ગયાં ! અમને થયું કે કોના મૃત્યુની ‘કાણ’માં ભારતની ટીમ આવા વેષે નીકળી હતી ! કે પછી આટલાં વર્ષોની આઝાદી બાદ પણ અંગ્રેજોના શાસનને યાદ કરી, તેઓ જે પોષાક ને જે રંગનો પોષાક પહેરતાં હતાં તે આ ભવ્ય સમારોહમાં યાદ કરી, ‘ગોરારાજ્ય’ને બિરદાવતાં હતાં !! વળી કોઈકે કહ્યું કે ત્યાં ભારતમાં આ પરેડ જોઈ ત્યાંના લોકોને શું થયું હશે એ તો ભગવાન જાણે !!

ખેર ! અમારો તો ‘મૂડ’ જ ચાલ્યો ગયો. હાથમાં હજી ભારતનો રાષ્ટૃધ્વજ હતો તેને આદરથી ટેબલ પર મૂકી અમે બેસી પડ્યાં !!

60 Wilson Gardens, WEST HARROW, Middlesex HA1 4DZ

Loading

નીરુભાઈ દેસાઈ સન્માનપુરસ્કૃત ઉર્વીશ કોઠારી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|19 April 2018

નીરુભાઈ દેસાઈ સન્માનપુરસ્કૃત પત્રકાર, લેખક, હાસ્યલેખક, સંશોધક, બ્લોગર, પ્રકાશક અને હવે અધ્યાપક એવી બહુમુખી પ્રતિભા ધરાવતા ઉર્વીશ કોઠારી ન માત્ર ગુજરાતી પત્રકારત્વની, ગુજરાતના નાગરિકસમાજની અને એકંદર જાહેરજીવનની એક વિરલ જણસ છે.

૪ ફેબ્રુઆરી, ૧૯૭૧ના રોજ ખેડા જિલ્લાના મહેમદાવાદમાં જન્મેલા ઉર્વીશ કોઠારીએ પોણા પાંચ દાયકાની જિંદગીમાં જે સવા બે દાયકાનું લેખન-પત્રકારત્વ કર્યું છે; તેણે આપણને, ગુજરાતને મળતાં મળે એવા લેખક-પત્રકારનો અહેસાસ કરાવ્યો છે.

“પત્રકારત્વના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી જોઈએ કે બનાવી શકાય”, એવો વિચાર ઊંડે-ઊંડે પણ જેમને કદી આવ્યો નહોતો, એવા કૅમેસ્ટ્રીમાં સ્નાતક ઉર્વીશભાઈએ પત્રકારત્વની વિધિવત્‌ તાલીમ વિના, ૧૯૯૫માં, ’અભિયાન’ મારફત ગુજરાતી પત્રકારત્વમાં પગરણ માંડ્યાં હતાં. મોટા ભાઈ બીરેન કોઠારીના અને કુટુંબના વાચન-સંસ્કાર તો હતા જ. મહેમદાવાદની સોનાવાલા હાઈસ્કૂલના બાયોલોજીના શિક્ષક અને જાણીતા ગઝલકાર હનીફ ‘સાહિલ’ પાસેથી બાયોલૉજી નહિવત્‌ અને રદીફ-કાફિયા ઠીકઠીક પ્રમાણમાં એ શીખ્યા. એમના હાસ્યવ્યંગલેખનની અનૌપચારિક શરૂઆત ૧૯૮૭માં બારમા ધોરણના અંતે સ્કૂલમાં યોજાયેલા વિદાય-સમારંભમાં ફિશપૉન્ડની તર્જ પર તેમણે ગુરુજનો અને સહપાઠીઓ વિશે કરેલા લખાણથી થયેલી. જેમ જૂનું ફિલ્મ-સંગીત એમ હાસ્યલેખન પણ ઉર્વીશભાઈની લેખન માટેની પહેલી પસંદગી. વીસેક વરસ (૧૯૯૯થી ૨૦૧૬) તેમણે નિયમિત અઠવાડિક હાસ્યલેખનની કૉલમ લખી. એમાંથી હાસ્યલેખનનાં ત્રણ માતબર પુસ્તકો પણ નીપજ્યાં છે : ‘બત્રીસે કોઠે હાસ્ય’ (૨૦૦૮), ‘જ્યાં જ્યાં હસે એક ગુજરાતી’ (૨૦૧૫) અને હાસ્ય લઘુનવલ ‘ભદ્રંભદ્ર અનામત આંદોલનમાં’ (૨૦૧૬). તેમના બ્લૉગ પર અંગ્રેજીમાં હાસ્ય-વ્યંગનાં લખાણો ‘ઓરિજિનલી ફૅકન્યૂઝ’ પણ થોડા સમય માટે આવ્યાં. ૨૦૦૮માં તેમના પુસ્તક ‘બત્રીસ કોઠે હાસ્ય’ના પ્રાગટ્ય નિમિત્તે મિત્રો સાથે મળીને તેમણે યોજેલો પોતાની મોક કોર્ટ(હાસ્ય-અદાલત)નો કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય-લેખનનાં ત્રણ પેઢીનાં તેમનાં પ્રિય એવાં નામોને એકસાથે મંચ પર રજૂ કરીને અભૂતપૂર્વ બની રહ્યો હતો.

રજનીકુમાર પંડ્યા, વિનોદ ભટ્ટ, અિશ્વની ભટ્ટ, નગેન્દ્ર વિજય જેવાં ગુરુજનોની સાખે દૈનિક અને સામયિક પત્રકારત્વમાં ઉર્વીશ કોઠારીએ ગુણવત્તાને લગીરે આંચ ન પહોંચે એવું ‘ચોંપ અને ચુસ્તીવાળું’ જથ્થાબંધ લેખન કર્યું છે. જ્ઞાન-વિજ્ઞાનના માહિતીપ્રદ લેખો, રાજકીય, સામાજિક, આર્થિક વિશ્લેષણાત્મક લેખો, સિટી-પ્રોફાઇલ, સંશોધનાત્મક લેખો, સાંપ્રત ઘટનાઓ અંગેનું લેખન અને ‘ગુજરાત સમાચાર’ તથા ‘દિવ્ય ભાસ્કર’ના તંત્રીલેખો જેવાં બૃહદ્ ‌સ્તરે તેમનું પત્રકારત્વ-લેખન વિહરી ચૂક્યું છે. ગુજરાતનાં ત્રણેય મુખ્ય અખબારો ’ગુજરાત સમાચાર’, ‘દિવ્ય ભાસ્કર’ અને ‘સંદેશ’ ઉપરાંત ‘અભિયાન’, ‘સિટીલાઈફ’, ‘આરપાર’, ‘દલિતશક્તિ’ અને ‘વૈશ્વિક માનવવાદ’માં તેમણે લેખન-સંપાદન કર્યું છે. ‘સમકાલીન’, ‘જન્મભૂમિ’, ‘ફૂલછાબ’, ‘કચ્છમિત્ર’ અને ‘ગુજરાત ટાઇમ્સ’માં કૉલમલેખન કરનાર આ લેખક-પત્રકારે રીડિફ.કોમ અને ‘ધ પ્રિન્ટ’માં અંગ્રેજીમાં થોડું લેખન કર્યું છે. તો મિત્ર વિસ્તસ્પ હોડીવાલાએ તેમના થોડા લેખોનો અંગ્રેજી અનુવાદ પણ કર્યો છે. ૨૦૦૮થી ‘ગુજરાતી વર્લ્ડ’ નામે એમણે બ્લૉગ લખવાનો શરૂ કર્યો, જેમાં આજે જાતભાતની આશરે ૧૪૦૦ પોસ્ટને હજારો વાચકો મળ્યા છે.

૧૯૯૬માં ‘અભિયાન’ છોડ્યા પછી ‘સંદેશ’માં પૂર્તિના સંપાદક તરીકે જોડાયા. ૨૦૦૧માં ‘સંદેશ’ની ફુલટાઈમ નોકરી છોડ્યા પછી કન્ટ્રીબ્યૂટર તરીકે થોડો સમય ઑફિસે જવાનું હોય એ રીતે છાપાં-સામયિકો-પ્રકાશનો સાથે એ જોડાયા … અને હવે તો એટલા પૂરતું પણ મીડિયાની ઑફિસમાં ગયા વિના, માત્ર ફ્રીલાન્સ લેખન-સંશોધન-અધ્યાપન કરવાનું નક્કી કર્યું છે. તેમની સામાજિક નિસબત અને ભીતરી સંવેદનાને માર્ટિન મૅકવાનના પરિચયે વધુ સંકોરી. એટલે ગુજરાતના કર્મશીલ જગતનો અને દલિત – સમસ્યાનો પરિચય થયો. … ૨૦૦૩થી ૨૦૧૪ સુધી તે ‘દલિતશક્તિ’ સામયિકના સંપાદક રહ્યા. ૧૯૩૦થી આરંભાયેલી ગુજરાતી દલિત પત્રકારત્વની યાત્રામાં ‘દલિતશક્તિ’નો દાયકો સીમાચિહ્નરૂપ છે. એંશી વરસના ગુજરાતી દલિત પત્રકારત્વમાં એક સર્વાંગસંપૂર્ણ દલિત સામયિકના જ્ઞાતિનાં ચોકઠાની રીતે, જન્મે બિનદલિત સંપાદક તરીકે ઉર્વીશ કોઠારીનું હોવું બહુ ગૌરવપ્રદ છે. ‘દલિતશક્તિ’ મારફત તેમણે ન માત્ર દલિત પત્રકારત્વને, દલિતસાહિત્યને ઊંચાઈ અને ઊંડાણ બક્ષ્યાં હતાં; ‘દલિતશક્તિ’ના એકાધિક વિશેષાંકોમાં આભડછેટ, અનામત અને આંબેડકર પરના વિશેષાંકો તો હોય જ પણ, હિંદી ફિલ્મો અને દલિતો કે ક્રિકેટમાં આભડછેટ અને જાતિભેદ જેવા દલિત પત્રકારત્વમાં ઓછા જાણીતા વિષયો પર પણ એમણે વિશેષાંકો કર્યા હતા.

ઉર્વીશ કોઠારી એક નોખા-અનોખા એટલા જ અભ્યાસુ લેખક-પત્રકાર-સંશોધક છે. ૨૦૦૨નો ‘આરપાર’નો હોળી હાસ્ય-વિશેષાંક એમણે એક પણ ગુજરાતી હાસ્યલેખકના હાસ્યલેખ વિના કર્યો હતો. ‘દલિતશક્તિ’ની જેમ ‘આરપાર’ના દશેક વિશેષાંકો આપણી સામયિક વિશેષાંકોની દુનિયામાં નવી ભાતના છે. સરદાર, ગાંધી અને જ્યોતીન્દ્ર દવે વિશેષાંકો તો ખરા જ. પણ જાહેરખબર, ફિલ્મ-સંગીત, પત્રલેખન, આત્મકથા અને ૨૦૦ યાદગાર પુસ્તકો વિશેના વિશેષાંકનાં સંપાદનો તેમણે કર્યાં હતાં. જ્યારે પત્રકાર તરીકે તે કારકિર્દીના મધ્યાહ્ને હતા, ત્યારે તેમણે પત્રકારત્વના વિદ્યાર્થી બનવું પસંદ કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં ૨૦૧૨થી ૨૦૧૪ સુધી ભણીને તે પત્રકારત્વના અનુસ્નાતક થયા. આજે ગાંધીજીની ગૂજરાત વિદ્યાપીઠમાં એ પીએચ.ડી. કરી રહ્યા છે અને તેમનો વિષય છે : ‘ગાંધીજીના નવજીવનનાં લખાણોમાં હિંદુ-મુસલમાન સંબંધોનું નિરૂપણ’. જ્યોતીન્દ્ર દવેના જીવન અને તેમના અગ્રંથસ્થ સાહિત્ય વિશેનું દોઢ દાયકાથી ચાલતું એમનું સંશોધન, એમને વગર માંગે પીએચ.ડી.ની ડિગ્રી આપવી જોઈએ, તે બરનું હોવાનું છે. ઉર્વીશ કોઠારીના અનોખાપણાનો એક વધુ પુરાવો ભારતમાં કદાચ ક્યાં ય ન ચાલતો હોય, તેવો ‘સેપ્ટ’ યુનિવર્સિટીની સમર સ્કૂલનો એમનો ત્રણ વીકનો કોર્સ, જેનો વિષય હતો, ‘રાજકીય કાર્ટૂનો દ્વારા ભારતના રાજકીય ઇતિહાસની સફર’. આ અનોખો કોર્સ, શીખનાર અને શીખવનાર-બેઉ માટે ‘મનમાં શિક્ષણનો જેવો ખ્યાલ હતો એવું શિક્ષણ આપવાનું શક્ય છે અને આપી શકાય છે એ વાતના સંતોષનો’ હતો. આવું જ કંઈક તે બેએક વરસથી હસિત મહેતાની સંગતમાં નડિયાદની જર્નાલિઝમ કૉલેજના અધ્યાપક તરીકે કરી રહ્યા છે.

પૂર્વી ગજ્જરના સહલેખનમાં લખાયેલું, ગુજરાતના દલિતોની અવદશા અને તેની સામે નવસર્જનના સંઘર્ષના સરવૈયાના દસ્તાવેજનું તેમનું  પુસ્તક ‘નોખા ચીલે નવસર્જન’ (૨૦૦૨) એ કોઈ પણ સ્વૈચ્છિક સંસ્થાનાં કાર્યોના દસ્તાવેજીકરણનો ઉત્તમ નમૂનો છે. ઉર્વીશ કોઠારીનું પ્રથમ પુસ્તક ‘સરદાર : સાચો માણસ, સાચી વાત’ (૨૦૦૫) અનેક અર્થોમાં અરૂઢ કહી શકાય તેવું છે. સરદાર વિશેની અનેક ઓછી જાણીતી સામગ્રીને કારણે વિપુલ સરદારસાહિત્યમાં આ પુસ્તક નોખું તરી આવે છે. સાહિત્ય પરિષદ અને અકાદમી દ્વારા તેમનાં પુસ્તકો પુરસ્કૃત થયાં છે. એપ્રિલ, ૨૦૧૩થી ઉર્વીશભાઈએ મિત્રો દીપક સોલિયા, ધૈવત ત્રિવેદી અને કાર્તિક શાહ સાથે મળીને સાર્થક પ્રકાશન શરૂ કર્યું છે. સાર્થક પ્રકાશનનાં પુસ્તકો ઉપરાંત તેનું અર્ધવાર્ષિક ‘સાર્થક જલસો’ પણ ઉર્વીશભાઈના સંપાદનનો અને સામયિક માટેની તેમની દૃષ્ટિનો નમૂનો છે.

પત્રકારત્વમાં પ્રવેશ્યા ત્યારથી ઉર્વીશભાઈનો સ્પષ્ટ અને દૃઢ ખ્યાલ હતો કે “પત્રકાર ઍન્ટિ એસ્ટાબ્લિશમેન્ટ હોવો જોઈએ”. એ ખ્યાલ કોઈ ઠાલો આદર્શ ન બની રહ્યો પણ તેમના લેખનમાં બરાબર ઊપસ્યો છે. “રાજકારણમાં હજુ પણ રસ તો નથી જ પડતો. લખવાનું મોટે ભાગે નાગરિકી ફરજના ભાગ રૂપે થાય છે.” અને એ નાગરિકી ફરજ એટલે શું? ઉર્વીશભાઈ લખે છે, “૨૦૦૨થી ન-છૂટકે રાજકારણ વિશે લખવાનું થયું. કારણ કે એ વરસોમાં સામાજિક ધિક્કાર મુખ્ય રાજકીય એજન્ડા હતો. એ વખતે ગુજરાતમાં મોદીયુગનું વાતાવરણ એટલું ધિક્કારયુક્ત હતું અને તેની વિરુદ્ધમાં લખવું મને ધર્મરૂપ લાગ્યું અને એ લખી શક્યો, એનો મને બહુ આનંદ છે.”

“અનુચર, ભક્ત કે ફોલ્ડર નહીં એવા સમરસિયા, સજ્જ અને દરેક ઉંમરના વાચકો” જેમને મળ્યા છે, પ્રેમાળ મિત્રો સતત મેળવતા રહેવાની બાબતમાં જે પોતાને અતિસમૃદ્ધ ગણે છે, અને જેમને “વાંચનારની સમજ સંકુચિત નહીં, વ્યાપક બને તેમાં રસ છે તેવા પ્રહરી” પત્રકાર ઉર્વીશ કોઠારીનો આ આનંદધર્મ ક્યારેય સમાપ્ત ન થાવ, તેવી અપેક્ષા સાથે નીરુભાઈ દેસાઈ પત્રકારત્વ ઍવૉર્ડ નિમિત્તે અભિનંદન!

Email : maheriyachandu@gmail.com

[તા. ૨૫ માર્ચ, ૨૦૧૮ના રોજ નીરુભાઈ દેસાઈ સન્માન વખતે વિતરિત બ્રોશરમાંથી સંપાદિત]

સૌજન્ય : “નિરીક્ષક”, ૧૬ અૅપ્રિલ 2018; પૃ. 14-15 

Loading

...102030...3,1923,1933,1943,195...3,2003,2103,220...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved