Opinion Magazine
Number of visits: 9456712
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉસ્તાદ ઝાકીર હુસૈનઃ સાક્ષાત શિવ સમા કલાકારની વિદાયથી પૃથ્વી પણ તાલ ચૂકી ગઇ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|22 December 2024

ઝાકીર હુસૈનની પ્રતિભા તેમના ઝુલ્ફાં જેવી હતી, બિંધાસ્ત, બેબાક, રોમેન્ટીક, બેકાબૂ, તોફાની અને મુક્ત. તેમના તબલા નાદબ્રહ્મ હતાં તો તેમનો પોતાનો અવાજ રેશમ કોઇની શામળી ત્વચા પરથી સરી જતું હોય તેવો હતો

ગયા વર્ષે, ડિસેમ્બરમાં મુંબઈના ષણ્મુખાનંદ હૉલમાં ઉસ્તાદ ઝાકીર હુસૈનને સાંભળ્યા ત્યારે સ્વપ્ને પણ કલ્પના નહોતી કે એક વર્ષ પછી આ ચમત્કાર નરી આંખે ફરીથી જોવાનો મોકો હાથમાંથી જતો રહેશે. ઝાકીર હુસૈનનું ન હોવું એટલે શું એ સમજી શકાય પણ એ લાગણીને અભિવ્યક્ત કરવી એટલે ધમાર જેવા સંકુલ તાલને ચપટીમાં કળી જવાની અશક્યતાઓ જેવું છે. ઝાકીર હુસૈનની શ્રધ્ધાંજલી આઠ કૉલમની મર્યાદામાં બાંધવા બેસીએ તો ક્યાંક બે-તાલ થઇ જવાનો ડર રહે પણ આખરે તાલનું આવર્તન પૂરું થાય અને સમ પર અંત આવે એ પણ અનિવાર્ય છે. આ કારણે જ ઉસ્તાદની સ્મરણાંજલીના આવર્તનને વિલંબિત, મધ્ય અને દ્રુતમાં ઉતારવાનો પ્રયાસ કરવો જ રહ્યો.

ઝાકીર હુસૈન – નામ કાને પડે એટલે સૌથી પહેલાં તો તેમના હવામાં લહેરાતા, ફેંકાતા, ઉછળતા વાળ યાદ આવે, સાથે તાજ મહેલ ચાયની ‘વાહ ઉસ્તાદ’ વાળી જાહેરાત તો મનમાં એક વાર ઝબકી જ જાય, તેમની આંખોમાં એક ગજબની નિર્દોષતા હતી પણ સાથે એક આકર્ષણ, રોમાન્સ અને ગહેરાઈ પણ હતાં. તેમની આંગળીઓના જાદુને ચુંબન કરીને અમૃતપાન કર્યું હોવાનો આભાસ થતો હશે તેની મને ખાતરી છે. ભારતીય શાસ્ત્રીય સંગીતના ફલક પર ઝાકીર હુસૈનનું હોવું એટલે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ફલક પર સંગતના વાદ્ય તબલાની ઓળખનું બેઠું થવું. વારસામાં મળેલી કળાને એટલી વિસ્તારવી કે તેનું એક આગવું બ્રહ્માંડ રચાય એ રીતે ઝાકીર હુસૈને તબલા વાદનને માટે અલાયદું સ્થાન બનાવ્યું.

તબલાના વિશ્વમાં, હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત વિશ્વમાં અને અન્ય પ્રકારના સંગીતની સાથે તાલ મેળવીને સાધેલા સંવાદને માટે ઝાકીર હુસૈનને જેટલી કુરનીશ બજાવીએ એટલી ઓછી છે.

અત્યાર સુધીના ઇતિહાસમાં તબલા વાદક, વિશેષજ્ઞો ઘણાં થઈ ચૂક્યાં છે, ઝાકીર હુસૈનનાં પિતાજી ઉસ્તાદ અલ્લા રખા કુરેશી પણ એવો જ એક ચહેરો હતા પણ છતાં ય ઝાકીર હુસૈને તબલા વાદનમાં જે પ્રસ્તુતીઓ કરી, જે પ્રયોગો કર્યા, જે પ્રકારની રચનાઓ કરી તેના જેવું, તેની સમાંતર કહી શકાય એવું તો કંઇ ક્યારે ય થયું નથી અને થશે નહીં.  સદ્નસીબે ઉસ્તાદ ઝાકીર હુસૈનનાં કામનું દસ્તાવેજીકરણ સારી પેઠે થયું છે પણ તેમના દૃષ્ટિકોણને, તેમનાં કામની પહોંચને સમજવા માટેની ગહેરાઈ લાવવાની જહેમત તેમના ચાહકો, રસિકો અને સંગીતજ્ઞોએ કરવી રહી.

પંડિત રવિ શંકર, જ્યોર્જ હેરિસન, વૅન મોરિસન, જ્હોન મૅકલૉક્લિન, ફારોઆ સેન્ડર્સ, મિકી હાર્ટ જેવા કલાકારોની સાથે અલગ અલગ પ્રોજેક્ટ પર કામ કરી ચૂકેલા ઝાકીર હૂસૈને ભારતમાં એક કિશોરવયના કલાકાર તરીકે પ્રચલિત થવાથી શરૂઆત કરી. એ સફરનો હાઇ પોઇન્ટ હતો 2024 ફેબ્રુઆરીમાં જ્યારે તેમને એક જ રાતમાં ત્રણ ગ્રેમી એવોર્ડ્ઝ મળ્યા – કોઇપણ ભારતીય કલાકારને મળેલું આ પહેલવહેલું ગ્રેમી સન્માન હતું. ઝાકીર હુસૈનની શાસ્ત્રી સંગીતની દુનિયામાં કલાકાર તરીકેની શરૂઆત કોઇ યોજનાનો હિસ્સો નહોતી. તેમના પિતાજીની તબિયત ઠીક નહોતી અને પંડિત રવિ શંકર સાથે વિદેશના કાર્યક્રમોમાં તેમણે પોતાના દીકરાને લઇ જવા કર્યું અને પછી જે સિલસિલો શરૂ થયો તેમાંથી નવા રસ્તા, નવા મંચ અને નવા આયામો સર્જાતા રહ્યા. તેમણે અલી અકબર ખાન, શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા જેવા વાદ્ય ઉસ્તાદો સાથે પણ સતત કામ કર્યું. વિદેશમાં સ્થાયી થઇ ત્યાં યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટન, સિએટલમાં અને બાદમાં સાન ફ્રાન્સિસ્કોમાં સંગીત શીખવવા સ્થાયી થયેલા ઝાકીર હુસૈને પશ્ચિમી શાસ્ત્રીય સંગીતના કલાકારોની સંગત કરીને અફલાતૂન પ્રોજેક્ટ્સ પાર પાડ્યા. આ સાથે પંડિત રવિ શંકર સાથેના તેમના કાર્યક્રમો પણ સતત ચાલુ રહ્યા. પશ્ચિમ અને પૂર્વ બન્ને દિશાઓમાં ઝાકીર હુસૈનના તબલાનો નાદ પહોંચતો રહ્યો, સર્જાતો રહ્યો.

ઉસ્તાદ અલ્લા રખાનું મૂળ લાહોર, ત્યાંથી તે દિલ્હી આવ્યા અને પછી મુંબઈ. મહારાષ્ટ્રમાં દિલ્હી, અજરડા અને ફારુખાબાદ ઘરાનાની તબલા પરંપરા પ્રચલિત હતી. ઉસ્તાદ અલ્લા રખાએ તબલાનો નવો શબ્દકોષ, નવી ભાષા દર્શકો સામે રજૂ કરી, તાલનો એક નવો દૃષ્ટિકોણ રચાયો. એ સમયે ઓળખ મેળવવી, સ્થાન ખડું કરવું સરળ નહોતું પણ તે પોતાની કળાની લીટી લાંબી કરતા રહ્યા. દીકરા ઝાકીરે પણ એ જ વાટ પકડી અને સંગતના વાદ્યાને અલાયદી ઓળખ અપાવી. તેમણે પિતા પાસેથી વારસામાં મળેલા પંજાબ ઘરાના ઉપરાંત અન્ય ઘરાનાની વાદન છટાને પણ પોતાના સર્જનોમાં ઉતારી. તેમણે મંચ પર તબલાવાદનમાં કરેલા પ્રયોગો તેમની પ્રતિભાનો ભાગ બનતા ગયા. શાસ્ત્રીય સંગીતનું વિશ્વમાં ઘરાનાઓ અને પરંપરાની વાડાબંધી બહુ કઠોર હોય છે. પણ તબલા પર પાણીના રેલાની માફક ફરતી ઝાકીર હુસૈનની આંગળીઓ અને હથેળીની થાપે આ મર્યાદાઓ તોડી. તબલા વાદનની પરંપરાઓની વાડ વચ્ચેથી ઝાકીર હુસૈનના તબલાનો નાદ પોતાનો માર્ગ એ રીતે કરતો ગયો જાણે કોઈ નદી સાગરમાં ભળવા પોતાનો રસ્તો શોધી લેતી હોય. તેમના આ પ્રકારના કામને કારણે ભારતીય શાસ્ત્રી સંગીત વિશ્વમાં લોકોએ તબલા વાદનને અલાયદી પ્રસ્તુતી તરીકે માણવાનો રસ કેળવ્યો. પંરપરા બદલવા માટે ઘોંઘાટ કે દેકારા નહીં પણ સાતત્યપૂર્ણ તાલબદ્ધ પ્રયોગ કરનારા ઉસ્તાદનો આપણે જેટલો પાડ માનીએ એટલો ઓછો છે. સંગીતના વિવિધ સ્રોતના પ્રભાવને પોતાના સંગીતમાં ભેળવવાની ઝાકીર હુસૈનની હિંમત અને સર્જનાત્મકતાને મોકળાશ સાંપડી કારણ કે તેમણે યુ.એસ.એ. જઇને સ્થાયી થઇ ત્યાં ઘણું કામ કર્યું. જો તે ભારતમાં જ રહ્યા હોત તો વિદેશના જાઝ અને રોક સંગીતને આપણાં શાસ્ત્રીય સંગીત સાથે ભળતું જોવાનું આપણે ચૂકી ગયા હોત. વળી ભારતમાં કદાચ વાડાબંધીનો બોજ તેમના વાદન પર આવી જાય એવી શક્યતાઓ પણ ખડી થઇ હોત.

તેમના સ્ક્રીન સાથેના સબંધને પણ આપણે મમળાવવો જોઇએ. ‘અરે હુઝુર વાહ તાજ બોલીએ’ વાળી જે જાહેરાતે તેમના ચહેરાની ચાહનાને ચિરંતન કરી દીધી એ જાહેરાત માટે તે યુ.એસ.એ.થી પોતાના ખર્ચે આવ્યા હતા કારણ કે તાજ મહેલ પૃષ્ઠભૂમિમાં હોય એ વિચાર માત્રએ તેમને રોમાંચિત કર્યા હતા. શૂટિંગ જોવા ભેગા થયેલા લોકોને તેમણે કહેલું કે પોતે મિથુન ચક્રવર્તીના નાના ભાઈ છે અને અભિનેતા અહીં શૂટ કરવા આવવાના છે. સ્ક્રીન પર તેઓ જેમ્સ આઇવરીના બ્રિટિશ હિસ્ટોરિકલ રોમાન્સ હીટ અને ડસ્ટમાં દેખાયા હતા તો સાઇ પરાંજપેની સાઝમાં તેમણે અભિનય કર્યો હતો. આ ઉપરાંત ધી પરફેક્ટ મર્ડર, મિસ બેટ્ટીઝ ચિલ્ડ્રન, થંન્ડુવિટાએન એન્નાઈ જેવી ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો હતો. ઝાકીર એન્ડ હિઝ ફ્રેન્ડ્ઝ ડોક્યુમેન્ટરીમાં પણ તેમણે પોતાની વાત માંડી તો છેલ્લે દેવ પટેલની ફિલ્મ મંકી મેનમાં તેમણે કેમિયો કર્યો હતો. તેમણે ફિલ્મોમાં સંગીત પણ આપ્યું હતું જેમાં વાનપ્રસ્થાન, ધી લાસ્ટ ડાન્સ, સત્યમ શિવમ સુંદરમ, ધી મિસ્ટિક મેસ્યુર, મિસ્ટર એન્ડ મિસિઝ ઐયર, પરઝાનિયા, મન્ટો અને મંકી મેનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાની એપોકેલિપ્સ નાઉ, બર્નાર્ડો બેર્ટોલુચીની લિટલ બુદ્ધામાં તેમણે સંગીત આપ્યું હતું.

જો તમે એમ માનતા હો કે ઉસ્તાદની સતત વાહવાહી જ થઇ છે તો તે પણ ખોટું છે કારણ કે ઝાકીર હુસૈન પર બેતાલી ટીકાઓનો વરસાદ પણ વરસ્યો હતો. જે મામલે તેમના ખોબલે ખોબલે વખાણ થાય છે તે જ પ્રયોગો અને મોકળાશ, તેમની તકનિક અને તબલાને આપેલા નવા તાલ કોષ અંગે તેમને હંમેશાં પ્રશસ્તિ નહોતી મળતી. ટીકાઓથી રોકાય એ ઝાકીર હૂસૈન નહોતા જ અને માટે જ તેમણે સતત નવાની દિશામાં પગલાં માંડવાનું ચાલુ જ રાખ્યું અને આખરે ટીકાઓ અધવચ્ચે કોઇ અધ કચરા તાલની માફક ખાલી પર જ અટકી ગઇ.

કલાકાર પિતાના યુવાન દીકરાની ઓળખ વૈશ્વિક આઇકોન સુધી પહોંચી. તેમને હૉસ્પિટલમાંથી ઘરે લાવ્યા પછી તેમના કાનમાં પિતાએ તબલાના બોલ કહ્યા હતા કારણ કે એ જ તેમને માટે પ્રાર્થના હતી એ વાત આપણે બધાં જ જાણીએ છીએ. વારસામાં જે મળે તેનું વૈશ્વિક વટવૃક્ષ બનાવવાની ક્ષમતા કેવી રીતે કેળવાય તે ઉસ્તાદની જિંદગી પરથી શીખી શકાય. બાર વર્ષની વયે પહેલીવાર કોન્સર્ટમાં ભાગ લેનાર ઝાકીર પોતાના સ્કૂલના વર્ગ ચાલુ થાય તે પહેલાં મદરસામાં કુરાન પણ વાંચતા અને રોમન કેથલિક ચર્ચમાં હિમ્સ પણ ગાતા, વળી ઘર નજીકના મસ્જિદમાંથી સંભળાતી સૂફી કવ્વાલી પણ તેમણે માણી છે. તેમના ઉછેરમાં તેમને મળેલી વૈવિધ્યતામાં માત્ર કલાના સ્વરૂપો હતા, સંગીત હતું , તાલ હતા અને માટે જ તેમનું આસમાન મોકળાશ શ્વસતું હતું.

ઝાકીર હુસૈને સંગીતની પરંપરાના બધા જ તાલ શીખ્યા એટલું જ નહીં નવાનું સર્જન પણ કર્યું. ઝાકીર હુસૈન પોતે કદાચ ત્રિતાલ જેવા હતા એમ કહી શકાય કારણ કે તે પણ ત્રિતાલની માફક સરળ, સમજી શકાય એવા હોવા છતાં ય અનંત સંભાવનાઓ અને સર્જનોમાં મહાલતા રહેતા. સલામ ઝાકીર સાહેબ. આ વિશ્વમાં જન્મ લેવા બદલ અને સંગીતના વિશ્વને શાશ્વત ભેટ આપવા બદલ તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.

બાય ધી વેઃ 

તાલની બારીકીઓ પર ઝાકીર હુસૈનની હથોટી, પકડને અનંત માત્રાઓમાં પણ બાંધી શકાય તેમ નથી. કલાકારોની વર્તમાન અને ભવિષ્યની પેઢી ઝાકીર હૂસૈનનીની સર્જનાત્મકતાની ભૂખ, તેમનામાં સતત રહેલું કુતૂહલ, તેમની સ્વયં સ્ફુરીતાને કેળવવાનો પ્રયાસ કરશે તો તેમણે જે આપ્યું છે તે કંઇક અંશે આપણે રસિકજન તરીકે, તેમના ચાહક તરીકે અને કળાના રખેવાળ તરીકે તેમને પાછું આપ્યું એમ કહેવાની હિંમત કરી શકીશું. ઝાકીર હુસૈનની પ્રતિભા તેમના ઝુલ્ફાં જેવી હતી, બિંધાસ્ત, બેબાક, રોમેન્ટિક, બેકાબૂ, તોફાની અને મુક્ત. તેમના તબલા નાદબ્રહ્મ હતાં તો તેમનો પોતાનો અવાજ રેશમ કોઇની શામળી ત્વચા પરથી સરી જતું હોય તેવો હતો. આ હતા ઝાકીર હુસૈન, તોફાની કૃષ્ણ સમા પણ તબલા પર આંગળીઓ ફરે ત્યારે લાગે જાણે સાક્ષાત ભગવાન શિવ આવીને તબલા વગાડી રહ્યા છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 ડિસેમ્બર 2024

Loading

કોઈને ય મોક્ષ જોઈતો નથી, સત્તા જોઈએ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|22 December 2024

રમેશ ઓઝા

ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે “આખો દિવસ આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર કરો છો, તેની જગ્યાએ જો ભગવાનનું નામ લીધું હોત તો મોક્ષ મળત.”

આના પ્રતિવાદમાં એમ કહી શકાય કે આખો દિવસ અને આખી જિંદગી મુસલમાન મુસલમાન મુસલમાન મુસલમાન કરો છો તેની જગ્યાએ જો ઈશ્વરનું નામ લીધું હોત તો માણસ તરીકેનું આયખું સાર્થક થાત અને મોક્ષ મળત.

પણ બંનેમાંથી કોઈને ય મોક્ષ જોઈતો નથી, બંનેને સત્તા જોઈએ છે. એક સત્તા સારુ આંબેડકર આંબેડકર કરે છે અને બીજા સત્તા સારુ મુસલમાન મુસલમાન કરે છે. બી.જે.પી. વિશેની સર્વસાધારણ ઈમેજ એવી છે કે તે સવર્ણોનો સવર્ણોનાં હિત માટેનો પક્ષ છે જે મનુસ્મૃતિ આધારિત બ્રાહ્મણી મUલ્યોમાં શ્રદ્ધા ધરાવે છે. તે બહુજન સમાજ, દલિત, સ્ત્રીઓ અને ગૈરહિંદુઓ વિરોધી વિચાર ધરાવે છે. ભારતનું બંધારણ ભેદભાવ વિના દરેકને સમાન સ્થાન અને સમાન અવસર આપે છે એ તેમને માટે તેમની કલ્પનાના ભારતની રચના કરવામાં આડે આવે છે, એટલે તેઓ તેને બદલવા માગે છે. જ્યાં સુધી સહિયારા ભારતની બાંયધરી આપનારા વર્તમાન બંધારણને ખતમ કરવામાં ન આવે ત્યાં સુધી હિંદુ સવર્ણોની સર્વોપરિતાવાળા બંધારણીય હિંદુ ભારતનું નિર્માણ કરવું શક્ય નથી. ટૂંકમાં તેમના હાથમાં ભારતનું બંધારણ સુરક્ષિત નથી અને માટે તેઓ આંબેડકર વિરોધી છે. વિરોધ પક્ષો બી.જે.પી.ની આ જે ઈમેજ છે તેને વટાવી ખાવા માગે છે. બંધારણ ખતરે મેં હૈ અને માટે તેઓ આંબેડકર આંબેડકર કરે છે.

બી.જે.પી.ને ખબર છે કે જ્ઞાતિગ્રસ્ત વિભાજીત હિંદુ સમાજને સંગઠિત કરવો હોય તો તેને કોઈકનો ડર બતાવવો જરૂરી છે અને મુસલમાન હિંદુઓને ડરાવવા માટેની હાથવગી કોમ છે. આમ તો હિંદુ શૂરવીર છે, તેનો ઇતિહાસ શૌર્યથી છલકાય છે, પણ મુસલમાનોથી ડરે છે. મુસલમાનોએ શૂરવીર હિંદુઓને ભૂતકાળમાં સતાવ્યા છે તેને યાદ કરીને તેઓ માતમ કરે છે. તેમને એક એવા હિંદુની જરૂર છે જે ટોળાંમાં દુ:શ્મનને લલકારે, પણ એકલો ડરે. ટોળાંમાં ગર્જના કરે, પણ એકલો રડે. અંગ્રેજીમાં કહીએ તો તેઓ બાયપોલાર ડિસઓર્ડર ધરાવતો હિંદુ પેદા કરી રહ્યા છે. તેઓ હિંદુઓની કુસેવા કરી રહ્યા છે, પણ તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેમને હિંદુ સાથે કોઈ લેવાદેવા નથી, તેમને તો માત્ર સત્તા જોઈએ છે.

ટૂંકમાં એક બંધારણ બચાવવાના નામે આંબેડકરનો ઉપયોગ કરે છે અને બીજા મુસલમાનોનો ડર બતાવીને હિંદુનો ઉપયોગ કરી રહ્યા છે.

આંબેડકર એટલે બંધારણ અને બંધારણ એટલે આંબેડકર એવું સમીકરણ તેમ જ સરળીકરણ બંધારણીય મૂલ્યોની અને ભારતની કલ્પનાની વિરુદ્ધ છે. ભારત વિશેની કલ્પના રાજા રામમોહન રોયથી લઈને દોઢસો વરસમાં ક્રમશઃ વિકસી હતી, જેને બંધારણમાં લેખિત સ્વરૂપ આપવામાં આવ્યું હતું. એની પૃષ્ઠભૂમિમાં વેદો ઉપનિષદો, શ્રમણદર્શન, નાસ્તિક પરંપરા, મધ્યકાલીન સંતો અને સૂફીઓ, ન્યાય અને સમાનતા જેવાં પાશ્ચાત્ય મૂલ્યો, અંગ્રેજોએ વિકસાવેલું ન્યાયતંત્ર તેમ જ વહીવટીતંત્ર, આધુનિક  રાજ્યવ્યવસ્થા વગેરેનો પણ ફાળો હતો. આ સિવાય મહાત્મા ફૂલે, ડૉ. આંબેડકર પોતે, પેરિયાર રામસ્વામી નાયકર જેવા અસંમતિના અવાજોનો પણ ફાળો હતો. દોઢસો વરસ વલોણું ચાલ્યું હતું, વૈચારિક અને જમીન પર સંઘર્ષો અને અથડામણો થઈ હતી અને તે ત્યાં સુધી કે અંગ્રેજો ભારતીય નેતાઓને ટોણો મારતા હતા કે આઝાદી માગતા પહેલાં એકતા સાધી આવો અને એક અવાજમાં આઝાદ ભારતની કલ્પના માંડો.

પણ આ થયું, કારણ કે તેની પાછળ દોઢસો વરસનું વલોણું હતું. દોઢસો વરસ સુધી સામસામે રવાઈઓ તાણીને ઘમઘમાટ ચાલે અને નવનીત ન નીકળે એવું બને ખરું? એ નવનીત એટલે ભારતનું બંધારણ. એ કોઈ એક વ્યક્તિએ ઘરમાં બેસીને રચ્યું નથી જે રીતે આઇવર જેનિંગે શ્રીલંકા(ત્યારે સિલોન)નું બંધારણ ઘડ્યું હતું. વિશ્વપ્રસિદ્ધ બંધારણવિદ સર જેનિંગે ઘડેલું બંધારણ ૧૪ વરસ પણ નહોતું ટક્યું, શ્રીલંકાનાં શાસકોએ તેને રદ્દ કર્યું હતું. ભારતનું બંધારણ ઘડવાનું કામ સર જેનિંગને સોંપવું જોઈએ એવું સૂચન પણ કરવામાં આવ્યું હતું, જેનો સ્વીકાર કરવામાં નહોતો આવ્યો. દોઢસો વરસ સુધી જેણે રવાઈ તાણી હોય અને હાથમાં ફોલ્લા પાડ્યા હોય તે પોતાનું બંધારણ ન ઘડી શકે? બીજા વિશ્વયુદ્ધ પછી આઝાદ થયેલા દેશોમાંથી કેટલાક દેશો બંધારણ ઘડી જ શક્યા નથી અને જેણે ઘડ્યું એ ટકાવી શક્યા નહીં એનું કારણ મુક્ત વલોણાનો અભાવ હતો. એ વલોણામાં હિંદુહિતના ઠેકેદારોએ ભાગ નહોતો લીધો. દૂરદૂર સુધી તેઓ નજરે નહોતા પડતા. એવું નથી કે તેઓ અસ્તિત્વ નહોતા ધરાવતા, કાનાફૂસી તો ચાલુ જ હતી. બાયપોલર ડિસઓર્ડર ધરાવતા હિંદુને પેદા કરવાની પ્રવૃત્તિ તેઓ કરતા હતા, પણ ખુલ્લા વિમર્શમાં ક્યાં ય નજરે નહોતા પડતા.

તો વાતનો સાર એ કે ભારતનું બંધારણ દોઢસો વરસ લાંબા મંથનનું પરિણામ છે, લેખિત સ્વરૂપ છે. એનાં જુદાંજુદાં અંગોનો ચોક્કસ ઘાટ ઘડવા માટે બંધારણસભાના સભ્યોમાંથી ખાસ સમજણ અથવા ખાસ હિત ધરાવતા લોકોની પેટા સમિતિઓ રચવામાં આવી હતી. એ પેટા સમિતિઓમાં જુદાં જુદાં અંગોનો ઘાટ ઘડાતો જતો હતો તેમ તેને મુસદ્દા સમિતિ (ડ્રાફ્ટિંગ કમિટી) લેખિત રૂપ આપતી હતી. એ લેખિત મુસદ્દો બંધારણસભામાં રજૂ કરવામાં આવતો હતો, તેના પર ચર્ચા થતી હતી, સુધારા સૂચવવામાં આવતા હતા અને મંજૂરી આપવામાં આવતી હતી. ટૂંકમાં ભારતનું બંધારણ કોઈ એક વ્યક્તિનું સર્જન નથી. દોઢસો વરસના મંથન પછી નિકળેલા નવનીતને એક પ્રક્રિયા દ્વારા આપવામાં આવેલું લેખિત સ્વરૂપ છે.

બંધારણ સભાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદને ભંધારણનો મુસદ્દો સુપરત કરતા બંધારણ સમતિના વડ બીમરાવ આંબેડકર

પણ ડૉ આંબેડકરને બંધારણના શિલ્પકાર તરીકે ઓળખાવવામાં આવે છે. એમાં બે ફાયદા છે. એક તો જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી, મૌલાના આઝાદ, ડૉ રાજેન્દ્ર પ્રસાદ, આચાર્ય કૃપાલાની જેવા કાઁગ્રેસીઓના ફાળાને ભૂલાવી શકાય અને દલિતો રાજી થાય. ડૉ આંબેડકરને બંધારણના શિલ્પકાર તરીકે સ્થાપિત કરવામાં દલિતો કરતાં હિન્દુત્વવાદીઓ વધારે અગ્રેસર હતા. સરદારની જેમ આંબેડકરને પાંખમાં લેવાનો તેમણે પ્રયાસ કર્યો હતો.

પણ હવે તેમની સામે સમસ્યા પેદા થઈ છે. બંધારણના રચયિતા આંબેડકર છે અને આંબેડકરે રચેલું બંધારણ સહિયારા ભારતનું છે જે તેમને ખપનું નથી. આ બાજુ દલિતોએ અને અન્ય પછાત સમાજોએ પણ ભારતનાં બંધારણને આંબેડકર રચિત બંધારણ માની લીધું છે એટલે તેઓ તેને હાથ લગાડવા દેતા નથી. વિરોધ પક્ષો આ જાણે છે એટલે તેઓ પણ ડૉ આંબેડકરનું બંધારણ ખતરામાં છે એવો શોરબકોર કરી રહ્યા છે.

આ સત્તા માટેની રમત છે, બંધારણ માટેની નથી. જો સહિયારા ભારતની કલ્પનાને સ્વીકારનારા દેશના મધ્યમમાર્ગી પક્ષોએ બંધારણ નિષ્ઠા બતાવી હોત તો આજે તેમને અને દેશને જે દિવસો જોવા મળી રહ્યા છે તે જોવાનો વારો ન આવ્યો હોત.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 ડિસેમ્બર 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—268

દીપક મહેતા|Opinion - Opinion|21 December 2024

તાતા સ્ટીલ: આફત આવે છે ત્યારે એકલી નથી આવતી  

કવિ કલાપીએ ભલે ગયું હોય કે ‘જે પોષતું તે મારતું, એવો દીસે ક્રમ કુદરતી.’ પણ ઉદ્યોગ-ધંધા માટે તો ઘણી વાર એનાથી ઊલટું બનતું હોય છે : ‘જે મારતું તે પોષતું, એવો દીસે ક્રમ કુદરતી.’ પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રિટિશ સલ્તનતને જરૂરી માલસામાન પૂરો પાડવા માટે આપણા દેશનાં કારખાનાં રાત-દિવસ ધમધમતાં હતાં. પણ ૧૯૧૮ના નવેમ્બરની ૧૧મી તારીખે પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું. અને માત્ર હિન્દુસ્તાનમાં જ નહિ, દુનિયાના અનેક દેશોમાં રાતોરાત કેટલાંયે કારખાનાં બંધ થવા લાગ્યાં. મજૂરો બેકાર થવા લાગ્યા. લાખો સૈનિકો યુદ્ધના મેદાન પરથી પોતપોતાને દેશ પાછા ફરવા લાગ્યા. અને પાછા ફર્યા પછી બેકાર બનવા લાગ્યા. ૧૯૧૮માં અમેરિકામાં સૈનિકોની સંખ્યા હતી ૨૯ લાખ. ૧૯૧૯મા તેમાંથી સૈનિક તરીકેની નોકરી પર રહ્યા ૧૫ લાખ. અને ૧૯૨૦માં તો એ આંકડો ઘટીને થયો ૩.૮ લાખ. મોંઘવારી વધવા લાગી. અને આજની ભાષામાં કહીએ તો અનેક દેશો reseesionમાં સપડાયા. 

પહેલા વિશ્વયુદ્ધ પછી સ્વદેશ પાછા ફરેલા અમેરિકન સૈનિકો

હિન્દુતાનના ધંધા-ઉદ્યોગોને પણ ઝાળ લાગી. જમશેદપુરમાં પણ મજૂરોના વિરોધનો ગણગણાટ શરૂ થયો. લડાઈ દરમ્યાન ટ્રેનના પાટા અને બીજો લોખંડી સરંજામ પૂરો પાડવાનું કામ રાતદિવસ ચાલતું હતું તે એકાએક બંધ. 

આફત આવે છે ત્યારે એકલી નથી આવતી. ગ્રેટ બ્રિટન પછી તાતા સ્ટીલનો બીજો મોટો ઘરાક દેશ હતો જાપાન. ૧૯૨૩ના સપ્ટેમ્બરની પહેલી તારીખે જાપાનમાં ભયંકર ભૂકંપ થયો. લગભગ દોઢ લાખ લોકોએ જાન ગુમાવ્યો. ઉદ્યોગ-ધંધા, કારખાનાં ઢળી પડ્યાં. અર્થતંત્ર ખાડે ગયું. પોલાદની આયાત લગભગ બંધ. કોઈ લેવાવાળું ન હોય તો તાતાના કારખાનામાં પોલાદ બનાવ્યે રાખીને ફાયદો શું? પણ ઉત્પાદન બંધ થાય, વેચાણ ન જેવું થાય, તો મજૂરોને દર મહીને પગાર ચૂકવવો કઈ રીતે? ચાલો, બેંક પાસેથી લોન લઈને પગાર ચૂકવીએ. વર્ષોથી ઈમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા (આજની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) સાથે તાતા સ્ટીલને સારો સંબંધ. પણ આવા કપરા કાળમાં એ બેન્કે પણ લોન આપવાની ના પાડી દીધી! મજૂરોમાં અને લોકોમાં અફવા ઊડી કે તાતા સ્ટીલ દેવાળું કાઢીને બંધ થાય છે.

પછી દોરાબજીએ બાજી પોતાના હાથમાં લીધી. પોતાની અંગત માલિકીની મિલકત વેચવા માંડી. પત્ની મેહેરબાઈને પોતાના દાગીના, ઝવેરાત, વગેરે ગીરવે મૂકવા સમજાવ્યાં. આ બધું કરીને એક કરોડ રૂપિયા (એ જમાનાના એક કરોડ એટલે આજના કેટલા?) તો ય હજી બીજા એક કરોડ ખૂટતા હતા. અને ત્યારે મદદે આવ્યા ગ્વાલિયરના મહારાજા. એમના દીવાન હતા એક પારસી, અવટંકે દિનશાહ. તાતા સ્ટીલની કંપની શરૂ થઈ ત્યારે પણ ગ્વાલિયરના મહારાજાએ તેના શેરમાં પોતાના પૈસા રોક્યા હતા. આ વખતે ખૂટતી રકમની લોન આ મહારાજાએ જ આપી. એ વખતે દોરાબજીના મનમાં એક જ વાત ઘુમરાયા કરતી હતી : કોઈ પણ મજૂરનો પગાર એક દિવસ પણ મોડો ન થવો જોઈએ. કાકા રતન (આર.ડી.) તાતા પણ ખભે ખભો મેળવીને ઊભા રહ્યા. ૧૯૨૪માં શેર હોલ્ડર્સની મીટિંગમાં કેટલાક શેર હોલ્ડરોએ જોરદાર માગણી કરી કે આવી ખોટમાં જતી અને લોન પર જીવતી કંપનીને વેચી નાખવી જોઈએ. આર.ડી. તાતા ઊભા થયા અને ત્રાડ પાડી કહ્યું : “હું જીવતો છું ત્યાં સુધી આ કંપની વેચવાની કોની મગદૂર છે?” અને પછી ટેબલ પર જોરથી મુઠ્ઠી પછાડી મીટિંગ છોડીને ચાલતા થયા. 

પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું તે પછી જે જે મુશ્કેલીઓ ઊભી થઈ એનો સામનો કરીને કંપનીનો શ્વાસ હજી તો માંડ બેઠો હતો. ત્યાં વળી નવી આફત. બીજા ઘણા દેશોની જેમ ગ્રેટ બ્રિટન પણ આર્થિક રીતે પાયમાલ થયું હતું. પોતાના ઉદ્યોગોને બેઠા કરવા સરકારે ઠરાવ્યું કે જે જણસ દેશમાંથી જ મળતી હોય તે પરદેશથી મગાવવી નહિ. એ વખતે આર.ડી. તાતાના બે મિત્રો મદદે આવ્યા. તેમાંના એક તે પંડિત જવાહરલાલ નેહરુ અને બીજા તે મહમ્મદઅલી ઝીણા. બંને આર.ડી. તાતાના મિત્રો. તેમણે ગ્રેટ બ્રિટનની સરકારને સમજાવી કે હિન્દુસ્તાનના ઉદ્યોગો પડી ભાંગશે તો છેવટે નુકસાન તો તમને જ થશે. એટલે ગ્રેટ બ્રિટનથી હિન્દુસ્તાન થતી નિકાસ પર ડ્યૂટી નાખો. અને કોણ જાણે કેમ, બ્રિટિશ સરકારને ગળે આ વાત ઊતરી ગઈ. 

બહારની આફત ટળી ત્યાં અંદરની આફત ઊભી થઈ. એ વખતે તાતા સ્ટીલમાં ૫૫ હજાર મજૂરો કામ કરતા હતા. તેમાંના ૨૩ હજાર ખાણોમાં કામ કરે. આ બધા કામદારોએ ભેગા મળીને યુનિયન બનાવ્યું, અને જાતજાતની માગણીઓ કરવા લાગ્યા. ગાંધીજીના નિકટના સાથી દિનબંધુ સી.એફ. એન્ડ્રુઝ આ યુનિયનના પહેલા સેક્રેટરી બન્યા. બીજી બાજુ સુભાષ ચંદ્ર બોઝે પણ તાતા સ્ટીલનો વિરોધ શરૂ કર્યો. એમની મુખ્ય ફરિયાદ એ હતી કે કંપની ઊંચા હોદ્દાઓ પર પરદેશીઓની જ નિમણૂક કરે છે. ‘દેશી’ઓને એવી તક આપતી નથી. વખત જતાં બોઝ પોતે સેક્રેટરી બન્યા. એક બાજુથી ડાબેરીઓ અને બીજી બાજુથી અસામાજિક તત્ત્વો કંપનીને રોજેરોજ પજવવા લાગ્યાં. જમશેદપુરનો ચરુ ઉકળવા લાગ્યો. 

‘ઇન્ડિયન ઓપીનિયન’માં આર.ડી. (રતન) તાતાને ગાંધીજીએ આપેલી અંજલી

અને ત્યારે વહારે ધાયા મહાત્મા ગાંધી પોતે. મોટા ઉદ્યોગોના વિરોધી હોવા છતાં ગાંધીજીને જમશેદજી તાતા માટે ઘણું માન. કારણ જમશેદજી ‘સ્વદેશી’ના હિમાયતી હતા. જમશેદજીના અવસાન પછી ગાંધીજીએ તેમના સામયિક ‘ઇન્ડિયન ઓપિનિયન’માં લખેલું : “જમશેદજી જે કોઈ કામ કરતા તે પૂરેપૂરા નિ:સ્વાર્થ ભાવે કરતા. સરકારી માન કે ખિતાબોની અપેક્ષા તેમણે કદી રાખી નહોતી. તેઓ જ્યારે સખાવત કરતા ત્યારે ન્યાત-જાત-ધર્મ, કશાયનો ભેદભાવ મનમાં ન રાખતા. ધનવાન હોવા છતાં તેમનું જીવન સાદું અને પવિત્ર હતું. હિન્દુસ્તાનને આવા બીજા ઘણા ‘તાતા’ની જરૂર છે.”

જમશેદપુરમાં ગાંધીજી અને બાબુ રાજેન્દ્ર પ્રસાદ

જમશેદપુરમાં ભાષણ કરતા ગાંધીજી

દોરાબજીના ભાઈ આર.ડી. તાતા સાથે પણ ગાંધીજીને સારા સંબંધો. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે ગાંધીજીના ‘ઇન્ડિયન ઓપીનિયન’ અખબારને અને સત્યાગ્રહની ચળવળને મદદ કરવા માટે આર.ડી. તાતાએ ૨૫ હજાર રૂપિયાના પાંચ હપ્તે સવા લાખ રૂપિયા (એ વખતના, હોં!)ની મદદ કરી હતી. ગાંધીજી દક્ષિણ આફ્રિકા હતા ત્યારે તેમને હિન્દુસ્તાનથી દાન મોકલનારા આર.ડી. તાતા પહેલા હતા. આ દાનનો બીજો હપતો મળ્યા પછી ગાંધીજીએ ‘ઇન્ડિયન ઓપીનિયન’માં આર.ડી. તાતાની પ્રશંસા કરતો લેખ પણ લખ્યો હતો. તાતા સ્ટીલના મજૂરો અને તાતા ગ્રૂપ વચ્ચે સમજૂતી સાધવાના ઈરાદે ગાંધીજી ૧૯૨૪માં જમશેદપુર આવ્યા. પછીથી આઝાદ હિન્દુસ્તાનના પહેલા પ્રમુખ બન્યા તે બાબુ રાજેન્દ્ર પ્રસાદ મૂળ બિહારના. એટલે ગાંધીજીએ તેમને પણ સાથે લીધા. પહેલાં તેમણે સ્ટીલ ફેક્ટરીની મુલાકાત લીધી. થોડાક મજૂરો સાથે વાતચીત કરી. પછી કંપનીના ડિરેક્ટરના બંગલે આર.ડી. તાતા અને બીજા કેટલાક અધિકારીઓ સાથે ગાંધીજીએ વાટાઘાટ કરી અને મજૂરોની મુખ્ય ત્રણ માગણીઓ અંગે સમાધાન કરાવ્યું. સાંજે ટીસ્કો ઇન્સ્ટિટ્યૂટ પાછળ આવેલા મેદાનમાં લગભગ વીસ હજાર મજૂરોની મેદની આગળ ભાષણ કર્યું. ભાષણને અંતે ગાંધીજીએ કહ્યું : “તમે સૌ જ્યારે તાતાની સેવા કરો છો ત્યારે સાથોસાથ આપણા દેશની પણ સેવા કરો છો. કારણ આ કોઈ સામાન્ય કારખાનું નથી. તમે અહીં દેશસેવાનું વધુ ઊંચું અને મહત્ત્વનું કામ કરી રહ્યા છો.”

*

વેણીભાઈ પુરોહિતના એક કાવ્યની શરૂઆત આમ થાય છે :

ખજૂરની કવિતા કહો તો લખી દઉં,

મજૂરની કવિતા મારાથી લખાય ના.

પણ આપણે તો આજે હિંમત કરીને કવિતા નહિ, તો મજૂરોની થોડી વાત લખી નાખી. હવે પછી વાત કરશું પરીકથા જેવી એક ઘટનાની, જે અલબત્ત, તાતા કુટુંબમાં બની હતી.  

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 21 ડિસેમ્બર 2024

Loading

...102030...315316317318...330340350...

Search by

Opinion

  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved