Opinion Magazine
Number of visits: 9686236
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બિચ્ચારા નીતીશકુમાર : લાલુ પ્રસાદ યાદવને મળીને તેઓ BJPનું નાક દબાવી રહ્યા છે

રમેશ ઓઝા|Opinion - Opinion|28 June 2018

રાજકારણમાં દોસ્તી કે દુશ્મની કાયમી નથી હોતાં, કાયમી હોય છે રાજકીય સ્વાર્થ.

સ્વાર્થ બદલાય એમ સંબંધો બદલાય છે. લાલુ પ્રસાદ યાદવ અને નીતીશકુમાર આનું ઉદાહરણ છે. લાલુ પ્રસાદ યાદવ સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો એને હજી એક વરસ પણ થયું નથી ત્યાં વળી નીતીશકુમાર પાછા સંબંધ સુધારવાના કામે લાગ્યા છે. ગયા મહિને તેઓ લાલુના પુત્ર તેજપ્રતાપ યાદવનાં લગ્નમાં હાજર રહ્યા હતા અને મંગળવારે નીતીશકુમાર ખાસ પટનાથી મુંબઈ લાલુના ખબર કાઢવા આવ્યા હતા. આ રાજકીય રમત સમજતાં પહેલાં બન્ને વચ્ચેના સંબંધોના ઉતાર-ચઢાવ પર એક નજર કરી લઈએ.

૧૯૭૦ના દાયકામાં બિહારમાં જ્યારે સંપૂર્ણ ક્રાન્તિ આંદોલન ચાલતું હતું, ત્યારે લાલુ પ્રસાદ યાદવ વિદ્યાર્થીઓના નેતા હતા અને નીતીશકુમાર વિદ્યાર્થી આંદોલનના સિપાઈ હતા. ત્યારનો સંબંધ નેતા અને અનુયાયીનો હતો. બન્નેએ સાથે સંઘર્ષ કર્યો હતો અને સાથે જેલમાં પણ હતા. ૧૯૭૭માં ઇમર્જન્સીનો અંત આવ્યો અને જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારે બન્નેએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ૧૯૮૦થી ૧૯૯૦ના દાયકામાં લાલુ બિહારના જનતા દળના સર્વોચ્ચ નેતા હતા અને નીતીશકુમાર તેમના જમણા હાથ સમાન ખાસ માનીતા હનુમાન હતા.

લાલુ પ્રસાદ યાદવ બિહારના મુખ્ય પ્રધાન બન્યા એ પછી બન્ને વચ્ચેનો સંબંધ બગડવા લાગ્યો હતો. એનાં બે મુખ્ય કારણ હતાં. એક તો એ કે લાલુ પ્રસાદ યાદવની સરકારમાં નીતીશકુમારને પ્રધાન બનાવવામાં નહોતા આવ્યા અને તેમને પક્ષ માટે ફાજલ રાખવામાં આવ્યા હતા અને બીજું, નીતીશકુમારને તેઓ જે જાતિમાંથી આવે છે એ કુર્મી સમાજની વોટબૅન્કની કિંમત સમજાઈ ગઈ હતી. યાદવોની સામે કુર્મીઓની વોટબૅન્ક વટાવી શકાય છે. લાલુ પ્રસાદ યાદવે જ્યારે કુર્મી વોટબૅન્કની પૂરી રાજકીય કિંમત ચૂકવવાની ના પાડી દીધી, ત્યારે તેમણે જ્યૉર્જ ફર્નાન્ડિસ સાથે મળીને પોતાની વોટબૅન્ક BJP સાથે વટાવી હતી. આમ ૧૯૯૪થી બિહારનું રાજકારણ દ્વિધ્રુવીય બની ગયું હતું. કૉન્ગ્રેસ તો પહેલાંથી જ ફેંકાઈ ગઈ હતી અને BJP નીતીશકુમારની આંગળિયાત હતી. આ ૨૦૧૪ સુધીની રાજકીય વાસ્તવિકતા હતી.

૨૦૧૪માં નરેન્દ્ર મોદીનો ઉદય થયો અને બિહારના રાજકારણનો ચહેરો બદલાઈ ગયો જેની કિંમત નીતીશકુમાર ચૂકવી રહ્યા છે અને હજી આજે પણ એનો અંત નથી આવ્યો. ૨૦૧૪માં તેમને ડર લાગ્યો હતો કે નરેન્દ્ર મોદીની વિકાસની વ્યાપક વોટબૅન્કમાં તેમની પોતાની કુર્મી તેમ જ અતિ પછાત વોટબૅન્ક ધોવાઈ જશે તો? આ ઉપરાંત NDAમાં રહેવાથી મુસલમાનોની વધારાની વોટબૅન્ક પણ હાથમાંથી જાય એવી શક્યતા છે. હવે જે BJP નજરે પડી રહી છે એ વાજપેયી-અડવાણીની BJP નથી, નરેન્દ્ર મોદી અને અમિત શાહની BJP છે અને એમાં મોટો ફરક છે. નીતીશકુમાર પોતાનું રાજકીય ભવિષ્ય બચાવવા NDAમાંથી નીકળી ગયા હતા.

એ નિર્ણય ખોટો સાબિત થયો હતો. BJPને લોકસભાની ચૂંટણીમાં ૪૦માંથી બાવીસ બેઠકો મળી હતી. ૨૦૦૯માં BJPને ૧૨ બેઠકો મળી હતી. આ બાજુ નીતીશકુમારના પક્ષ JD(U)ની બેઠકો ૨૦માંથી બે થઈ ગઈ હતી. ૧૮ બેઠકો નીતીશે ગુમાવી હતી. લાલુ પ્રસાદ યાદવના પક્ષ RJDની ચાર બેઠકો હતી એ જળવાઈ રહી હતી અને ઉપરથી એને મળેલા કુલ મતમાં એક ટકાનો વધારો થયો હતો, JD(U)એ ૮.૨૪ ટકા વોટ ગુમાવ્યા હતા. હવે નીતીશકુમાર પાસે બે વિકલ્પ હતા; કાં તો NDAમાં પાછા જાય અથવા લાલુના શરણે જાય. NDAમાં પુન: પ્રવેશ થોડો મુશ્કેલ પણ હતો. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીનાં પરિણામો જોતા ત્યારે BJPના નેતાઓને એમ લાગતું હતું કે હવે બિહારમાં નીતીશની કાખઘોડીની જરૂર નથી. પાછા આવવું હોય તો જુનિયર પાર્ટનર તરીકે આવે, બાકી અમને નીતીશની જરૂર નથી.

ઘેરાઈ ગયેલા નીતીશકુમારે લાલુના શરણે જઈને ચૂંટણીજોડાણ કર્યું હતું. ૨૦૧૫માં બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે RJD, JD(U) અને કૉન્ગ્રેસ વચ્ચે મહાગઠબંધન થયું હતું જેણે BJPને ધૂળ ચાટતી કરી મૂકી હતી. એ ચૂંટણીમાં JD(U)ને BJP કરતાં આઠ ટકા ઓછા અને RJD કરતાં બે ટકા ઓછા મત મળ્યા હતા. બેઠકોની વાત કરીએ તો લાલુ યાદવના પક્ષને JD(U) કરતાં નવ (અનુક્રમે ૮૦ અને ૭૧) બેઠકો ઓછી મળી હતી. નીતીશકુમાર બે ટકા મત અને નવ બેઠકથી પાછળ હોવા છતાં લાલુ યાદવે નીતીશકુમારને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. નીતીશકુમારને ગઠબંધનના મુખ્ય પ્રધાન તરીકે પેશ કરવામાં આવ્યા હતા અને લાલુ પ્રસાદે વચન પાળ્યું હતું.

ગયા વરસે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં BJPને મળેલા અકલ્પનીય અને અસાધારણ વિજય પછી નીતીશકુમારને એમ લાગવા માંડ્યું હતું કે ભવિષ્ય નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં BJPનું છે એટલે ઉત્તર પ્રદેશની માફક BJP એક દિવસ આપણને કચડી નાખે એ પહેલાં દોસ્તી કરી લેવી જોઈએ. ગયા વરસના જુલાઈ મહિનામાં નીતીશકુમારે તેમના એક સમયના ગુરુ સાથે વિશ્વાસઘાત કર્યો હતો અને NDAમાં જોડાઈ ગયા હતા. ત્રણ વરસના ગાળામાં નીતીશકુમારે કરેલી એ બીજી હિમાલય જેવડી ભૂલ હતી. તેમણે BJP સાથે હાથ મિલાવ્યા એના પછી તરત નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની પ્રતિષ્ઠા ઝાંખી પડવા લાગી હતી અને હવે તો લગભગ તળિયે છે. ખોટા ટાણે ખોટા ઘરે લૂગડાં નાખ્યાં એનો અત્યારે નીતીશને વસવસો થઈ રહ્યો છે.

જેમનું એક સમયે સેક્યુલર મોરચાના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નામ લેવાતું હતું એ નીતીશકુમાર અત્યારે ગદ્દાર તરીકે ઓળખાય છે. વિધાનસભામાં નવ બેઠક અને બે ટકા ઓછા મત હોવા છતાં મુખ્ય પ્રધાન બનાવનારા લાલુ યાદવ સાથે ગદ્દારી? આ બાજુ લાલુ યાદવની પ્રતિષ્ઠા અને પૉપ્યુલરિટી બન્ને વધી રહ્યાં છે એનાં ત્રણ કારણ છે. એક તો લાલુ યાદવને કરવામાં આવેલી જેલની સજા. જગન્નાથ મિશ્ર અને બીજા સવર્ણોને છોડી મૂકવામાં આવ્યા અને લાલુને સજા કરાઈ એને સવર્ણ-અવર્ણના જાતિના રાજકારણ સાથે જોડવામાં આવે છે. બીજું કારણ તેમની સાથે કરવામાં આવેલી ગદ્દારી છે અને ત્રીજું કારણ તેમનું રાજકીય સાતત્ય છે. તેમણે ક્યારે ય સેક્યુલર મૂલ્ય સાથે સમાધાન કરીને રાજકીય જોડાણ નથી કર્યાં. પ્રાદેશિક પક્ષોમાં લાલુ યાદવ એક માત્ર એવા નેતા છે જે સતત BJPની વિરુદ્ધ રહ્યા છે.

હવે? નીતીશકુમાર સામે પ્રશ્ન છે. એક તો નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ઓટ આવી છે અને ૨૦૧૯માં BJPને બહુમતી મળે એવા કોઈ આસાર નજરે નથી પડતા. નીતીશકુમારને સમજાઈ ગયું છે કે તેમણે ગોળા સાથે ગોફણ ગુમાવી છે. BJP સાથે રહેવામાં ત્રણ રીતે નુકસાન છે. એક તો કેન્દ્ર સરકાર સામેની લોકોની નારાજગીની કિંમત નીતીશકુમારના પક્ષે પણ ચૂકવવી પડે. બીજું, તેમની પોતાની સરકાર સામેની નારાજગીની કિંમત તો ખરી જ અને ત્રીજું સૌથી મોટું નુકસાન લોકસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણીમાં થવાનું છે. BJP બેઠકોની ફાળવણીમાં ૨૦૧૪નાં પરિણામોને રેફરન્સ તરીકે લેવાનો આગ્રહ રાખે છે. ૨૦૧૪માં ૪૦માંથી બાવીસ બેઠકો મળી હતી એ સ્વાભાવિકપણે છોડવા નથી માગતી. આ ઉપરાંત NDAના બીજા બે સાથીપક્ષોને નવ બેઠકો મળી હતી અને એ પક્ષો પોતાની બેઠક છોડવાના નથી. નીતીશને તો માત્ર બે જ બેઠકો મળી હતી.

તો પછી કરવું શું? રાજકીય અસ્તિત્વ કઈ રીતે ટકાવી રાખવું? ફરી પાછી ગુલાંટ મારીને મહાગઠબંધનમાં પાછા ફરવું? લાલુ યાદવ પ્રવેશ આપશે? આ બધા પ્રશ્નો છે, પરંતુ એની વચ્ચે એક ફાયદો થઈ શકે એમ છે. BJP પણ ક્યાં અનુકૂળતા ધરાવે છે? બિહારમાં નીતીશકુમારની મદદ વિના BJPને દસ બેઠક પણ મળે એમ નથી ત્યાં ૨૦૧૪ની બાવીસ બેઠકો તો બહુ દૂરની વાત છે. નીતીશકુમાર આ જાણે છે એટલે નરેન્દ્ર મોદીની ટીકા કરીને, કેન્દ્ર સરકારની નીતિઓની નિંદા કરીને અને લાલુ પ્રસાદ યાદવને મળતાં રહીને તેઓ નાક દબાવવા માગે છે.

જુઓ આગળ આગળ શું થાય છે. આ રાજકારણ છે જેમાં કાંઈ પણ થઈ શકે.

સૌજન્ય : કારણ-તારણ’ નામે લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 28 જૂન 2018

Loading

તરસ્યાની ના તરસ છીપાવે એ વાદળ કોને મન ભાવે …

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|28 June 2018

હૈયાને દરબાર

તાનસેન-બૈજુની હરીફાઈનું રાગ દરબારીનું ગીત સપ્તસૂરોના ઈન્દ્રધનુ … પહેલાં મોહમ્મદ રફી અને મન્ના ડે ગાવાના હતા. રફીસાહેબ સંજોગવશાત્‌ ન આવી શક્યા તો મહેશ કનોડિયાએ એ ગીત ગાયું. આ ગીતમાં ગુજરાત સરકાર તરફથી મન્ના ડેને નહીં, મહેશકુમારને એવૉર્ડ મળ્યો હતો

ગરજ ગરજ વરસો જલધર ગીત અને તાનારીરી ફિલ્મની કથા વિશે આપણે ગતાંકમાં વિગતે ચર્ચા કરી. અદ્દભુત ગીત છે એે અને આ ગીતના સંગીતકાર છે મહેશ-નરેશ.

ગીત કેવી રીતે બન્યું અને ક્યાં શૂટ થયું એ કથા ઈન્ટરેસ્ટિંગ છે. આજે એની વાત કરીશું.

ગુજરાતના કનોડા ગામે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયા અને ગીત-સંગીતની દુનિયાના સરતાજ મહેશ કનોડિયા નામે બબ્બે હોનહાર કલાકારો આપ્યા છે. અત્યંત સંઘર્ષમય જિંદગીમાં સફળતાના શિખરે પહોંચેલી આ બંધુ બેલડીએ ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાયથી લઈને સજન મારી પ્રીતડી અને પ્યોર ક્લાસિકલ ગરજ ગરજ વરસો જેવાં ગીતો સુધીની જબરજસ્ત રેન્જ આપી છે.

દુનિયાભરની નવરાત્રિમાં 90 ટકાથી વધુ ગીતો જેમનાં ગવાય છે એ સંગીતકાર જોડી મહેશ-નરેશમાંથી નરેશ કનોડિયા ‘ગરજ ગરજ વરસો’ ગીતની રચના વિશે કહે છે, અમે લોકોને મનગમતાં અને થનગનતાં ગીતો જ વધારે આપ્યાં છે.

પરંતુ ફિલ્મના વિષયો અલગ અલગ હોય એટલે એ મુજબ સંગીત પિરસીએ. ‘તાના-રીરી’ તદન જુદા વિષયની ક્લાસિક ફિલ્મ હતી. એમાં તો સંપૂર્ણ શાસ્ત્રીય સંગીત જ આપવું પડે. મહેશભાઈએ શાસ્ત્રીય સંગીતના જાણકારો, વિદ્વાનો, મહાવીરજી અને ગોવિંદપ્રસાદજી જેવા ગુરુઓને મળીને મલ્હાર, દરબારી ઈત્યાદિ રાગોમાં કયા સ્વર હોય એ જાણ્યું, એ સૂરોની સાધના કરી અને બહુ જ મહેનત કરીને સંગીત તૈયાર કર્યું. એમણે આ ફિલ્મનાં તમામ ગીતમાં શુદ્ધ શાસ્ત્રીયતા જાળવી રાખી છે. નૌશાદસાહેબે ‘બૈજુ બાવરા’ ફિલ્મનાં ગીતોમાં મિશ્રિત સ્વરો પ્રયોજ્યા છે પણ અમે ‘તાનારીરી’માં પ્યોર ક્લાસિકલ ગીતો તૈયાર કર્યાં તેમ છતાં એ પણ ખૂબ લોકપ્રિય થયાં છે. નરેશભાઈએ ગીત વિશે બીજી કેટલીક રસપ્રદ વાતો કરી. ગરજ ગરજ વરસો ગીત મહેશભાઈને લતાજી-આશાજી પાસે ગવડાવવાની ભાવના હતી, પરંતુ નાદુરસ્ત તબિયતને લીધે લતાદીદી આવી શકે એમ નહોતાં. આશાજીને આ ગીત સંભળાવ્યું તો એમને બહુ જ ગમ્યું. તેમણે મહેશ કનોડિયાને કહ્યું, "આપ હી ક્યૂં નહીં ગા લેતે મેરે સાથ?

મહેશભાઈને ‘વોઈસ ઑફ લતા’નું બિરુદ મળ્યું હતું એનાથી તેઓ વાકેફ હતાં, પરંતુ મહેશભાઇએ પછીથી આશાજી સાથે ઉષા મંગેશકર પાસે ગવડાવવાનું નક્કી કર્યું અને ગીત સુપર હિટ નિવડ્યું. “જો કે, આ ફિલ્મનું તાનસેન-બૈજુની હરીફાઈનું રાગ દરબારીનું અન્ય લોકપ્રિય ગીત સપ્તસૂરોના ઈન્દ્રધનુ …પહેલાં મોહમ્મદ રફી અને મન્ના ડે ગાવાના હતા. રફીસાહેબ સંજોગવશાત્‌ ન આવી શક્યા તો મન્ના ડેના આગ્રહથી રફીસાહેબને બદલે મહેશભાઈએ એ ગીત ગાયું. આ ગીતમાં ગુજરાત સરકાર તરફથી મન્નાડેને નહીં, મહેશકુમારને એવૉર્ડ મળ્યો હતો.

નરેશ કનોડિયા ગૌરવપૂર્વક કહે છે. તેમના કહેવા મુજબ, ઓપન કાર્યક્રમમાં સામે એક લાખનું ઓડિયન્સ બેઠું હોય, અમારા ગીતનું મુખડું શરૂ થાય અને આખું ગીત પબ્લિક પૂરું કરે એવી લોકપ્રિયતા મહેશ-નરેશે મેળવી છે. મહેશ કનોડિયા 32 વોઈસમાં ગાઈ શકતા હતા એ ઈશ્વરીય વરદાન જ કહેવાય. દેશ આઝાદ થયો એ 1947માં મહેશભાઈએ મહેશ-નરેશ એન્ડ પાર્ટી શરૂ કરી હતી અને દેશ-વિદેશમાં પંદર હજાર જેટલા શો કર્યા હતા. કુલ દોઢસો ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. નરેશ કનોડિયા સમયના એવા પાક્કા કે સેટ પર પહોંચવાનો સમય સવારે સાતનો હોય તો નરેશભાઈ આવે એટલે લોકો ઘડિયાળ મેળવે. આવા મહેશ-નરેશની જોડીએ તેમનાં સદાબહાર ગીતો દ્વારા ગુજરાતને નાચતું કર્યું હતું.

આ ફિલ્મના સહનિર્માતા ભરત સાંગાણી કહે છે, "આ ફિલ્મ બનાવવા માટે અમે 25 વર્ષ વહેલા હતા. 1975માં આ ફિલ્મ આવી ત્યારે ભદ્ર વર્ગ બહુ ઓછી ગુજરાતી ફિલ્મો જોતો. ગુજરાતી ફિલ્મો ગામડાંના લોકો જ જુએ એવો ટ્રેન્ડ. એમાં વળી, વિષય શાસ્ત્રીય સંગીત ગાતી બે નાગર કન્યાઓનો. છતાં, મારા પિતા ચંદ્રકાન્ત સાંગાણીને નવલકથા આધારિત ફિલ્મો બનાવવામાં જ રસ હતો. એમણે જસમા ઓડણને બાદ કરતાં 13 ફિલ્મ નવલકથા પર આધારિત જ બનાવી હતી. આ ફિલ્મ પણ પત્રકાર-લેખક હરિન મહેતાની નોવેલ ‘શુભ દિન આયો’ પરથી બનાવી જેનો પ્રથમ ભાગ તાનસેન પુત્ર બિલાસખાન પર હતો અને બીજો ભાગ તાના રીરી વિશે હતો. ‘જિગર અને અમી’ની સફળતાથી પ્રેરાઈને પિતાજીએ આ ફિલ્મ બનાવવાનું બીડું ઝડપ્યું હતું. શક્તિસામંત અને રાજેશ ખન્નાએ સ્થાપેલી શક્તિરાજ ફિલ્મ્સ તાનારીરીના ડિસ્ટ્રિબ્યુટર્સ હતા. ગરજ ગરજ વરસો ગીતમાં અમારે ધોધમાર વરસાદ બતાવવાનો હતો. એ જમાનામાં તો આજના જેવી ટેકનિક નહીં. સ્ટુડિયોમાં વરસાદ પાડવા ચાર ટેન્કર મંગાવ્યાં હતાં અને સેટ પર 40 પીપડાં ગોઠવ્યાં હતાં. લાઈટમેન ઊંચેથી ફોકસ કરે ત્યાં સુધી પાણીની પાઈપ લઈ જતાં. લાઈટ પર પાણી ન પડવું જોઈએ એ ય ધ્યાન રાખવાનું. નહીં તો શોર્ટ સરકિટ થાય. મશીન ચાલુ થાય એટલે એકસાથે 40 પીપડાં ખાલી થઈ જાય ને ધોધમાર વરસાદનું દૃશ્ય નિર્માણ થાય. આ રીતે આખું ગીત શૂટ થયું હતું. આ ફિલ્મને ગુજરાત સરકાર તરફથી 11 એવૉર્ડ્ઝ મળ્યા હતા. એટલું જ નહીં, પબ્લિક વોટિંગ દ્વારા આ ફિલ્મને ગુજરાતી સિનેમાની અડધી સદીની સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવૉર્ડ મળ્યો હતો જેનું ભવ્ય ફંકશન અમદાવાદના ડ્રાઈવ ઈન સિનેમામાં યોજાયું હતું.

આવી ક્લાસિક ફિલ્મમાં અકબરની ભૂમિકા બુલંદ અવાજના માલિક સોહરાબ મોદીએ ખુશીથી સ્વીકારી હતી. ચંદ્રકાન્ત સાંગાણી હંમેશાં હિન્દી ફિલ્મના એકાદ જાણીતા કલાકારને લેવાનું પસંદ કરતા, એ મુજબ તાનાની ભૂમિકામાં બિંદુ, રીરી તરીકે કાનન કૌશલ, અકબર તરીકે સોહરાબ મોદી, તાનસેનની ભૂમિકા અરવિંદ પંડ્યા તથા અન્ય પાત્રોમાં નરેશ કનોડિયા, પ્રતાપ ઓઝા, ઊર્મિલા ભટ્ટ, લીલા જરીવાલા, વિષ્ણુકુમાર વ્યાસ ઈત્યાદિ હતાં. સાંગાણીના જણાવ્યા મુજબ, "કાંતિ અશોક બહુ સુંદર ગીતો લખતા હતા પણ આ કવિની જોઈએ એવી કદર ન થઈ. આજીવન તેઓ ફોર્ટમાં રિઝર્વ બૅંકની સામે આવેલી ફૂટપાથ પરની ખોલીમાં જ રહ્યા એ એમના જીવનની દુખદ હકીકત હતી.”

ફિલ્મ તાના રીરીનાં પણ તમામ ગીતો સ્વર-શબ્દ બન્ને રીતે ચડિયાતાં છે. હવે વાત તાજેતરમાં અમદાવાદમાં ભજવાઈ રહેલા ‘તાનારીરી’ નાટકની. આ ક્લાસિક ફિલ્મ જોયા પછી સતત એમ થતું હતું કે આ ફિલ્મ આજના સમયમાં બની હોત તો ખરેખર હિટ ગઈ હોત! એવામાં ‘હૈયાને દરબાર’નાં વાચક અને ચાહક નેહા યાજ્ઞિકે માહિતી આપી કે અમદાવાદમાં ‘તાનારીરી’ નાટ્ય સ્વરૂપે ભજવાઈ રહ્યું છે. તરત જ એ નાટકના નિર્માતા-દિગ્દર્શક આર્જવ ત્રિવેદીનો સંપર્ક સાધ્યો અને તેમણે ઘણી રસપ્રદ વાતો કરી. નવા ઓપન થયેલા આ મ્યુિઝકલ પ્લેના અત્યાર સુધીમાં છ-સાત સફળ શૉ થયા છે.

નાટક કરતાં પહેલાં આર્જવભાઈએ એક વર્ષ સંશોધન કરીને તાનારીરી વિશેની ઘણી અજાણી વિગતો શોધીને નાટકને ખાસ્સું રિયલિસ્ટિક બનાવ્યું એમ તેઓ જણાવે છે. આ નાટકમાં તાનારીરીની ભૂમિકા અમદાવાદની જ જાણીતી સંગીતબેલડી અને સગી બહેનો મોસમ-મલકા નિભાવી રહ્યાં છે. અલબત્ત, નાટ્યકાર સ્વ. નિમેષ દેસાઈને પોતાના ફ્રેન્ડ-ફિલોસોફર અને ગાઈડ માનતા આર્જવભાઈ નિમેષ દેસાઈને ખૂબ મિસ કરે છે, કારણ કે તેઓ બહુ સારું ગાતા હતા અને આ નાટકના સૂત્રધાર તરીકે એ પોતે ભૂમિકા ભજવવાના હતા! બટ, ધ શૉ મસ્ટ ગો ઓન. નિમેષ દેસાઈની સ્મૃિતઓ સાથે રાખીને આર્જવ ત્રિવેદી તાનારીરીના શૉ હમણા તો ગુજરાતમાં ભજવી રહ્યા છે.

આશા રાખીએ કે ‘તાનારીરી’ મુંબઈગરાને પણ જોવા મળે. નરેશ કનોડિયાના સૌજન્યથી આર્જવ ત્રિવેદીને ફિલ્મનાં ગીતો ઉપયોગમાં લેવાની છૂટ અપાઈ છે, પરંતુ એકાદ ગીતને બાદ કરતાં નવાં ગીતો અને નવી લહર સાથે તાનારીરી ભજવાઈ રહ્યું છે. આ લખાય છે ત્યારે તો મોસમ ભીની ભીની અને માદક છે. ભીની માટીની ખુશ્બો સાથે વરસાદી ગીતોમાં મહાલવાનો યોગ્ય સમય છે. ગરજ ગરજ વરસોનો મેઘ મલ્હાર હજુ મન પર સવાર જ છે એટલે નવા ગીત સાથે ફરી મળીશું આવતા ગુરુવારે, આવી જ ભીનાશ સાથે.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 28 જૂન 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=413209

Loading

શિક્ષણ અને સંસ્કાર

રોહિત શુકલ|Opinion - Opinion|26 June 2018

‘જ્ઞાન’ શબ્દ સાથે આ દેશનો પુરાણો નાતો છે. અખો કહે છે, ‘પણ તો ય ન આવ્યું બ્રહ્મજ્ઞાન’. છતાં સાડા છસો વર્ષ પછી પણ, કથાકારો કથા કરે જ જાય છે અને મોક્ષ, પરમપદ, વૈકુંઠ, કૈવલ્યધામ, બ્રહ્માવસ્થા વગેરે પામવા માટે લાખો અને કરોડો લોકો યાત્રા, પદયાત્રા, મેળા, કથા, પારાયણ વગેરેમાં ઊમટતા જ રહે છે. અખાએ શોધેલા જ્ઞાનનો આ સમાજને કોઈ જ ઉપયોગ નથી.

‘જ્ઞ’માંથી ‘જ’ બને એટલે જ્ઞાનને ‘જાણવા’ અને ‘સમજવા’ સાથે નીકટનો નાતો બંધાય છે. છતાં રસ્તાની દિશા જાણનાર ‘જ્ઞાની’ નથી. મહાભારતના વિદુર જ્ઞાની ઓછા પણ વિવેકી વધુ હતા. મહાભારત રચનારા અને તે પહેલાં વેદનું ચાર ભાગમાં વિભાજન કરનારા વ્યાસ મુનિ જ્ઞાની તો ખરા જ ને ! પણ જીવનના અંતિમ પડાવ વખતે એમને એક પ્રશ્ર્ન ઊભો થયો. વેદ અને ઉપનિષદોના જ્ઞાનના આધારે તેમણે મહાભારત રચ્યું. તે વખતે ઇરાદો હતો કે આવનારા સમયના સમાજને કરવાજોગ અને ન કરવાજોગ વ્યવહારવર્તનનો બોધ કરાવવો. એ સંદર્ભમાં મહાભારત ‘શિક્ષણ’ માટેનો ગ્રંથ ગણાય. પરંતુ પોતાના જીવનભરનાં કાર્યોના વહીવંચા ઊથલાવી ગયા પછી પણ મનમાંથી અજંપો ગયો નહીં. તે સમયે, કથા કહે છે તેમ, નારદ મુનિ બ્રહ્માજીના આપેલા ચાર શ્લોકો લઈને આવ્યા. આ ચાર શ્લોકો એટલે ચતુ:શ્લોકી ભાગવત. તે પછી આવનારા સંસારને સુખમય રીતે ચલાવવાની પોતાની નિસ્બતને કારણે વેદ વ્યાસે ભાગવત પુરાણ રચ્યું. ઘણા તેને ‘સુખ સાગર’ પણ કહે છે. અહીં પણ ઈરાદો શિક્ષણનો જ હતો. મહાભારતની ઘણી મૂલ્ય-પ્રણાલીઓને ભાગવતમાં બદલી ભૂંસવામાં આવી છે. વળી, રાજા-મહારાજાઓ અને પ્રચંડ અને અટંકી પાત્રોને સ્થાને સામાન્ય જનવ્યવહારના પ્રેમ, ત્યાગ અને માનવીયતા સહિતની ભક્તિને આગળ કરવામાં આવ્યાં છે.

વેદ કે ઉપનિષદમાં મુખ્યત્વે બ્રહ્મની ઉપાસના છે. આત્મસાધન, જીવનમુક્ત દશા, સાક્ષાત્કાર વગેરે તેના આવિષ્કારો છે. શિષ્ય સંશયછિન્ન થઈને ‘અહં બ્રહ્માસ્મિ’ કહે અને ગુરુ ‘તત્ત્વમસિ’ની મહોર મારે તેવી અંતિમ પરાકાષ્ઠાની વિભાવના રખાઈ છે. સાથોસાથ તે સ્વકેન્દ્રી પણ છે. અંતરમુખતા, મૌન, એકાંતવાસ, બ્રહ્મચર્ય, સંન્યાસ, હિમાલયે તપ તપવાં, વગેરે માર્ગ પેલા કથાકારો અને સાધુસંતોએ દર્શાવ્યા છે. આવા બહુમતિ વિચારો ધરાવનાર દેશમાં સમાજ, સામાજિક અનુબંધ, બંધુતા, સામાજિક કાર્ય વગેરેમાં ઝાઝી દિલચશ્પી ન હોઈ શકે. વેદઉપનિષદ (સામાન્ય રીતે ઘણા લોકો આ બંને શબ્દોને એક સાથે અને એક શ્વાસે બોલી નાખે છે)માં બ્રહ્મ અને પરમતત્ત્વનું જે વર્ણન છે તે માણસને એકાકી અને સમાજ-વિમુખ બનાવી મૂકે તેવું છે. બે દાખલા લઈએ,

(1) આરુણી-ઉદ્દાલક : પુત્ર ઉદ્દાલક ગુરુને ઘેર બાર વર્ષ રહીને ઘણું જ્ઞાન મેળવીને આવ્યો પણ પિતા આરુણીને પુત્ર ઉદ્દાલકના રોજિંદા વ્યવહાર ઉપરથી જ્ઞાનમાં ઘણી ત્રુટિઓ જણાઈ. વડના ટેટાની અંદર રહેલાં બીજમાં આખો વડ સમાયેલો છે તે તેમણે સમજાવ્યું. જે જાણવાથી અજ્ઞાતને જ્ઞાત બનાવી શકાય અને અશ્રોત(સાંભળ્યું ન હોય)ને શ્રોત (સાંભળ્યું હોય તેવું) બનાવી શકાય છે. બ્રહ્મ છે; તેવો ઉપદેશ ઉદ્દાલક આરુણી પાસેથી પામે છે. પણ આ જ્ઞાન, શિક્ષણ, ઉપદેશ અથવા બોધની કક્ષાનું છે. તેમાં તાલીમ અને કેળવણીના ઘટકો નથી.

(2) સત્યકામ-જાબાલિ : સત્યકામ બાર વર્ષનો થયો એટલે માતા જાબાલિ પાસે જઈને ગુરુગૃહે જવાની આજ્ઞા માગી. ગુરુ ગૌતમ ઋષિ પાસે પહોંચીને તેણે પ્રવેશ માંગ્યો ત્યારે ગુરુએ પૂછ્યું, ‘તારું ગોત્ર કયું ?’ માતા જાબાલિએ શીખવ્યા મુજબ પુત્ર સત્યકામે કહ્યું, ‘મારી માતા આશ્રમોમાં આવતા જતા ઋષિમુનિઓની સેવા કરતી હતી, તે પૈકી કોણ મારા પિતા હતા અને તેમનું ગોત્ર કયું હતું તે ખબર નથી.’ ગુરુએ તેને પ્રવેશ તો આપ્યો પણ એમ કહીને કે, તારી વાણીનું તેજ જોતાં તું ઊંચા કુળનો જણાય છે. પછી તેને આશ્રમમાં રાખીને અભ્યાસ કરાવવાને બદલે ચારસો નબળી ગાયો આપીને વનમાં મોકલ્યો. આ ગાયો તંદુરસ્ત બને અને સંખ્યા વધીને 1,000 ઉપર પહોંચે પછી તેને પાછા આવવાનું હતું. જંગલનું એકાંત અને માત્ર ગાયોની જ સોબત વેઠીને તેણે વર્ષો વીતાવ્યાં. ગાયોની સંખ્યા હજાર ઉપર પહોંચી એટલે ધણ સાથે પાછા ફરતા રસ્તામાં બે વૃષભ, હંસ અને બગલો બ્રહ્મોપદેશ કરીને કહે છે : બ્રહ્મ પ્રકાશમાન છે, બ્રહ્મ અનંત છે, બ્રહ્મ જ્યોતિષમાન છે અને બ્રહ્મ આયતનવાન (આધારરૂપ) છે, આ ચારેયના ભાગે એક એક ચતુર્થાંશ અભિવ્યક્તિ હતી. પણ તે પામ્યા પછી સત્યકામ ગૌતમ ઋષિ પાસેથી વધુ વિસ્તારપૂર્વકની સમજ મેળવે છે.

આ બંને દાખલાને હાલના સમય અને સંજોગોમાં જોવા સમજવા જેવા છે.

(1) જ્ઞાનની આ પરંપરામાં વ્યક્તિલક્ષી, આત્મકેન્દ્રી અને ‘સ્વ’ની ઓળખ જેવા ખ્યાલોનું આધિપત્ય છે.

(2) અતિ ઉચ્ચ વર્ગ, મુખ્યત્વે બ્રાહ્મણોનું જ આ શિક્ષણમાં આધિપત્ય છે. ગોત્રોચ્ચાર, દીક્ષા વગેરે વ્યવસ્થા પણ આ બ્રાહ્મણ પ્રભાવ સૂચવે છે.

(3) શિક્ષણની પદ્ધતિ મુખ્યત્વે ઉપદેશ કે કથાના સ્વરૂપની છે. તેમાં પ્રોજેક્ટ વર્ક, સામાજિક નિસ્બત વગેરે અભિપ્રેત નથી.

આ પ્રકારે ‘જ્ઞાની’ બનેલા માણસની સામાજિક વર્તણૂક કેવી હોય તે સમજવા વાસ્તે રાજા જનકનો દાખલો ખપનો છે. જ્યારે પોતાના પુત્ર શુકદેવ ઘર ત્યજીને ભાગવા લાગ્યા ત્યારે વ્યાસ મુનિએ ઊંચા અવાજે, દૂરથી બૂમ પાડીને કહ્યું, ‘તું રાજા જનક પાસે જરૂરથી જજે.’ પછીથી રાજા પરિક્ષીતને ભાગવતની કથા સંભળાવનાર શુકદેવની જનક રાજાએ કસોટી કરી. હાથમાં ટોચ સુધી ભરેલા તેલના કટોરા સાથે નગરભ્રમણનો આદેશ કર્યો. જો તેલનું ટીપું પણ છલકાય તો શિરચ્છેદ નક્કી હતો. શુકદેવ કદાચ શિરચ્છેદના ભયથી ડર્યા ન પણ હોય પણ જે એકાગ્ર મનથી નગરભ્રમણ કર્યું તેથી તેમની નજરે કાંઈ ન ચઢ્યું. આ જનક ‘વિદેહી’ કહેવાતા. ગીતાના નીરક્ષીર વિવેક કે કાચબો જેમ અંગોને સંકોરતો ચાલે તેમ સ્થિતપ્રજ્ઞાવસ્થાથી સંસારમાં જીવવું તે ઉપદેશ પણ આપણા સમાજમાં ઘણા લાંબા સમયથી ટક્યો છે. જો કે આ જ જનકના દરબારમાં અષ્ટાવક્ર પ્રવેશ્યા ત્યારે સભા હસી પડી હતી. તે જોઈને અષ્ટાવક્રે જનકની સભાને ‘ચામડું જોનારી સભા’ ગણાવી હતી. જનકનો પ્રભાવ તેના સભાજનો ઉપર પણ અલ્પ હતો.

ભારતના વેદ ઉપનિષદ અને પુરાણોમાં જ્ઞાનની આ ઢબ અને પરંપરાને કારણે અનેક કામ થયાં છે. વેદના ઉચ્ચારો કંઠસ્થ કરવા વાસ્તેના ધનપાઠ જેવા વિવિધ પાઠ, જ્ઞાનનાં ઉદાહરણો, રૂપકો, પરંપરાઓ અને વિધિનિષેધનાં કારણે એક પ્રવાહની જાળવણી થઈ.

પરંતુ પ્રથમ સહસ્રાબ્દીનો અંત આવતા સુધીમાં આ જ્ઞાન નિષ્પ્રાણ અને નિસ્તેજ પણ બની ગયું. સમગ્ર સમાજ માટે તે આવશ્યક ન હતું. પ્રવર્તમાન અને બદલાતા પ્રવાહો સાથે તે તાલમેલમાં પણ ન રહ્યું. આડંબર, કૂપમંડુકતા અને ઔપચારિક રીતરિવાજોમાં તે વેડફાઈ ગયું. આટલા જ્ઞાની અને વિવેકના ભંડાર ભરેલા દેશ ઉપર આક્રમણ કરનાર કોઈ પણ ક્યારે ય હાર્યો નહીં. હારેલી પ્રજાના જ્ઞાનની પણ કોઈ કિંમત હોતી નથી. એમ પણ કહેવાયું કે ભારતનું સમગ્ર જ્ઞાન ‘એક છાજલી ઉપર’ સમાઈ જાય, એટલાં પુસ્તકો પૂરતું છે. જ્ઞાન સાચું હતું કે ખોટું અને ભવ્ય હતું કે કેમ તે વાતને બાજુએ રાખીએ પરંતુ એટલું ચોક્કસ કે આ જ્ઞાન વડે ઇહલોકમાં તો ગુલામી સાંપડી, પરલોકમાં બ્રહ્મ કે મુક્તિ મળી કે કેમ તે અલગ વાત !

જ્ઞાનની આ નિસ્સારતા સામે ગાંધીની કર્મશીલતા અને વિનોબાની સમજ, અભ્યાસ અને કર્મશીલતાએ નવી જ ભાત ઊપસાવી. ગાંધીનું અનુસંધાન રસ્કિન, ટાગોર, થોરો અને ખ્રિસ્તી ધર્મનાં પણ ઉમદા તત્ત્વો સાથે હતું. આ અનુસંધાનના કારણે ગાંધીનું વિચારવિશ્વ ઘણું ગહન અને વ્યાપક બન્યું હતું. ગાંધીના વિચારના ઉદયની સાથોસાથ પશ્ચિમી જગતના આધુનિકતાવાદનો વૈચારિક દબદબો હતો. આ વૈચારિક દબદબામાં કોઈક એક ‘સત્ય’ની કલ્પના હતી. આ વિશાળ અનુભવ સૂચવી જાય છે કે શિક્ષણ કાલાતીત અને કાલબાહ્ય રહેવું ન જોઈએ. પછી તે માત્ર વર્તમાન સાથે જ સંલગ્ન રહે તે પણ પૂરતું નથી. શિક્ષણ અને તેના વાહક એવા શિક્ષકને માત્ર સમસંવેદક જ નહીં પણ વૈશ્વિક તથા ભાવિના પદાર્પણની સમજ વિકસાવવાની રહે છે. જૂના સમયમાં પરિવર્તનો ઓછાં હતાં વળી આવાં પરિવર્તનો મુખ્યત્વે સ્થાનીય રૂપનાં હતાં તેથી ‘જૂની વાતો’ બહુ લાંબા સમય સુધી ચાલી અને નભી પણ ખરી. પણ હવે સ્થિતિ ચારે તરફથી અને દસે દિશાએથી બદલાઈ ચૂકી છે. આ પરિવર્તનનો વેગ પણ કલ્પનાતીત છે.

વૈિશ્વકીકરણ, હરીફાઈ અને કાર્યક્ષમતા, માહિતી અને પ્રસારણ, પ્રત્યાયનની પ્રબળતા, વગેરે કારણે હવે શિક્ષણ અને કેળવણી તથા મૂલ્યબોધ જેવી બાબતોના આયામોમાં આમૂલાગ્ર પરિવર્તનો આવ્યાં છે. થોડાક દુ:ખ અને ઘણી બધી નિરાશાની વાત એ છે કે આ સ્થિતિમાંથી બહાર નીકળવાના સરકારી પ્રયાસો ક્યાં તો અસફળ રહ્યા છે અથવા તો અપૂરતા છે. સામે પક્ષે 1991થી ભારતમાં પ્રારંભાયેલી વૈિશ્વકીકરણની ભૂમિકામાં ખાનગી ક્ષેત્ર ક્યારેક માત્ર તો ક્યારેક મુખ્યત્વે નફા ઉપર નભી રહ્યું છે. આ સ્થિતિમાં સાહીર લુધિયાનવીની પંક્તિ, ‘જિન્હે નાઝ હૈ હિંદ પર વો કહાં હૈ’, યાદ તો આવે.

પરંતુ કહ્યું છે ને કે ‘સત્‌ની બાંધી પૃથ્વી’ ! અનુઆધુનિકતાના વિમર્શના એક વ્યાપક આધારે ભલે એમ કહીએ કે એક જ અને શાશ્વત સત્ય ન હોઈ શકે પરંતુ સામે પક્ષે અને આધુનિકતાના વિમર્શ પ્રમાણે કમ સે કમ, બે વાનાં તો કાયમી શાશ્વત ખપનાં જ ગણાય. આ બે વાનાં એટલે માનવતા અને વૈજ્ઞાનિક ઢબનો વિચાર. આધુનિકતાના વિમર્શનો ઉત્સાહ હતો કે વૈજ્ઞાનિક વિચારમાં માનવીય સંવેદના ઉમેરાશે એટલે જગત શાંતિ અને પ્રગતિ તરફ ગતિ કરશે. પરંતુ બીજા વિશ્વયુદ્ધે પુરવાર કર્યું કે અનિયંત્રિત વિજ્ઞાન એક તરફ હિટલરની ગેસ ચેમ્બર અને આઉત્સ્વિત્ઝ તથા હોલોકાસ્ટ સુધી તાણી જાય છે તો બીજી તરફ હિરોશીમા અને નાગાસાકી જેવી ભયાનકતા પણ સર્જી શકે છે. હિટલરશાહીમાં લોકશાહી નહોતી તો લોકશાહી ધરાવનાર અમેરિકાએ માત્ર હિરોશીમા જ નહીં, વિયેતનામ, ઈરાક, અફઘાનિસ્તાન, અને ઈઝરાયેલ દ્વારા પૂર્વ યુરોપમાં અને અનેક આરબ દેશોમાં પણ પ્રચંડ આતંક ફેલાવવાનું ચાલુ જ રાખ્યું છે. હવે વાતને ફરીથી ગોઠવીએ તો એમ જણાય છે કે :

(1) પુરાતન વિચાર ઉચ્ચ વર્ણ/વર્ગના લોકોના સ્વકેન્દ્રી આત્મજ્ઞાનનો હતો. હવે તેને શિક્ષણ અને કેળવણીના મુખ્ય પ્રવાહ સાથે સાંકળવો તે જરૂરી પણ નથી અને શક્ય પણ નથી.

(2) પર્યાવરણ, પરસ્પર આધારિત વૈશ્વિક અર્થવ્યવસ્થા, ટેકનોલોજી અને એકંદરે સામાજિક ન્યાયની વધતી જતી ભૂમિકામાં શિક્ષણ, કેળવણી અને તાલીમને વિશે સાવ નવેસરથી વિચારવું પડશે. જૂનાને છોડીને નવાને અપનાવવા સામેની મમત્વ કે વિલંબની માનસિકતા આવનારી પેઢીઓ માટે અહિતકારી નીવડશે.

આ વ્યાપક અને એકંદર ભૂમિકામાં શિક્ષણ, કેળવણી અને તાલીમને ક્યા પ્રકારે આયોજી શકાય તે વિચારવા જેવું ખરું. અલબત્ત, આવા કોઈક ચોક્કસ નકશા કે સુગ્રથિત સ્વરૂપનો વિચાર થઈ શકે ખરો, તેવો પણ પ્રશ્ન ઉઠાવી શકાય. પરંતુ એક ‘સુખી (ભાવિ) સંસાર’ની રચનામાં રસ ધરાવનાર સૌ કોઈ માટે, આ બાબત જરા ય કવેળાની નથી. જો મહર્ષિ વેદ વ્યાસ ‘યદાયદા’ અને ‘યુગેયુગે’ વિસ્તરે તો તે પણ આ જ દિશા પકડે. એક રીતે હાલની આ મથામણ પણ મહાભારતથી ભાગવત તરફની ગતિનો તકાદો સૂચવે છે. પરાક્રમશીલતા, કાર્યક્ષમતા, સત્તાખોરી અને મમત્વ જેવા મહાભારતીય વૈચારિક પ્લેટફોર્મનાં સ્થાને ગોવર્ધનલીલા, ગોપીજનવલ્લભ, બાંકે બિહારીલાલની મહારાસની લીલાનો વિકલ્પ કદાચ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં નહીં પણ હેપીનેસ ઇન્ડેક્સમાં વધારો કરનારો નીવડી શકે. અલબત્ત, આ દિશામાં ઘણા વિચારો થયા જ છે અને બદલાતા સમય, જનસંખ્યા અને ટેકનોલોજીની ચોથી ક્રાંતિના સંદર્ભે આ વિચારો પણ પરિવર્તનશીલ રહેવાના.

શિક્ષણની કોઈપણ નવી રચનામાં સમાજ સાથેનો અનુબંધ પ્રથમ સ્થાને આવવો જોઈએ. વ્યાખ્યા, લક્ષણ, પ્રકાર, લાભ, ગેરલાભ અને ઉપસંહારની ગોખણપટ્ટીની ટેવવાળા અને માત્ર પુસ્તકિયા શિક્ષણની તો ગાંધીજીને આજથી સો વર્ષ અગાઉ પણ જરૂર જણાઈ ન હતી. વિદ્યાપીઠની સ્થાપનાને તેમણે ‘એક વણિકનું ઋષિકાર્ય’ ગણાવેલું. આ શિક્ષણમાં શ્રમનું ગૌરવ, સંવેદનશીલતા અને માનવમાત્રના ગૌરવનો સમાવેશ થાય છે. આ બાબતો વડે વિદ્યાપીઠના સ્નાતકમાં સંવેદના અને મૂલ્યાગ્રહોના પ્લેટફોર્મની રચના થાય છે.

લગભગ આ જ સમયે જર્મનીમાં આર્ય વિચારે જોર પકડવા માંડેલું. ગઈ સદીની ત્રીસીમાં તો આ આર્ય વિચાર નાઝી વિચાર તરીકે પ્રચંડ રૂપ ધારણ કરતો ગયો. નાઝી વિચારના પાયામાં બે જ ઘટકો હતા. સમાજવાદ અને રાષ્ટ્રવાદ. મારા દેહ સહિતનું જે કાંઈ છે તે સઘળું રાષ્ટ્રને સમર્પિત એવી ભાવનાથી શરૂ થયેલો આ વિચાર માત્ર ‘મારા’ પૂરતો ન રહ્યો. પોતાનું સમગ્ર રાષ્ટ્રને અર્પણ ન કરનારા સૌ રાષ્ટ્રવિરોધી અને રાષ્ટ્રદ્રોહી પણ ગણાવા માંડ્યા. મૂડીવાદ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, લોકશાહી વગેરેના વિચાર વિમર્શોનો ખુરદો બોલાવવામાં આવ્યો. આ ઉન્માદ એટલો વ્યાપક હતો કે તેને ત્રણ નોબલ ઈનામ વિજેતા, નટ હેમસન (સાહિત્ય, 1920), ફિલિપ લેની (ફિઝિક્સ, 1905) અને જોહાનિસ સ્ટાર્ક(ફિઝિક્સ, 1919)નું સમર્થન મળ્યું. નિત્શે તથા હાઈડેગર જેવા ફિલસૂફ પણ તેમાં જોડાયા. એક તબક્કે તો જર્મનીની વિવિધ યુનિવર્સિટીઓનાં પ્રાંગણોમાં પુસ્તકાલયોમાંથી આવા વિચારોને અનુમોદન આપનારાં પુસ્તકોના ઢગલા કરી તેને આગ ચાંપવામાં આવી. આ બધું શિક્ષણ અને સંસ્કૃિતના નામે થયું. એક સનકી શાસકના મનમાં ઉદ્ભવે તે સંસ્કાર ?! અને તેને વજૂદ આપનારા બૌદ્ધિકો પણ આવી મળવાના !

સંસ્કારલક્ષી શિક્ષણ કે કેળવણી આપવાં જોઈએ એવો એક સર્વ સામાન્ય સૂર પ્રવર્તે છે પણ જો સહેજ ઊંડા ઊતરીએ તો વૈચારિક અસ્પષ્ટતાઓ, વિરોધ અને સંઘર્ષ ઊભરી આવે છે. બહુજન અને સવર્ણ હિંદુ સમાજ સામે આ ‘સંસ્કાર’માં મુસ્લિમ, દલિત, આદિવાસી કે નારી જેવા ઘટકો અંગેના સવાલો ઊભા થાય છે. દલિતોને સંદર્ભમાં રાખી શિક્ષણ અને સંસ્કૃિતનો સંબંધ તપાસીએ :

સ્ક્ધદ પુરાણ(18:6)માં એક શ્લોક છે :

જજન્મનાત્ જાયતે શુદ્ર: સંસ્કારાત દ્વિજ ઉચ્ચતે ।
શાપાનુગ્રહે સામર્થમ્ તથા ક્રોધ: પ્રસન્નતા ॥

આ પૈકી આપણે માટે પ્રથમ પંક્તિ ખપની છે. બધી જ વ્યક્તિ શુદ્ર તરીકે જ જન્મે છે પરંતુ સમાજમાંથી મળતા સંસ્કારોને કારણે તે દ્વિજ બને છે, મતલબ કે નવું જીવન હાંસલ કરે છે. ભૂતકાળ અને વર્તમાનમાં પણ આ વિધાન સાથે સંમત ન થવા માટે અપાર ઉદાહરણો છે. દ્રોણના સંસ્કારો વડે સોએ સો કૌરવો દ્વિજ બન્યા ? એકલવ્યને સંસ્કાર કે શિક્ષણ આપવાની જ ના પાડનાર ગુરુ કેવા કહેવાય ? અને આધુનિક સમાજમાં શિક્ષિત વર્ગનો પણ દલિત તરફનો વ્યવહાર ઘણીવાર ક્ષોભ ઉપજાવે તેવો હોય છે. લોકોને સંસ્કારનું શિક્ષણ નથી મળ્યું તેનું આ પરિણામ છે કે શિક્ષણમાં સાચા સંસ્કારોનું સિંચન નથી કરાતું તેનું આ પરિણામ છે ?

સમાજના વિચારશીલોએ ઘણા મત મતાંતરો અને અભિગમો બાબતે સ્પષ્ટ થવાની જરૂર છે. થોડાંક ઉદાહરણો લઈએ :

(1) જો ‘વસુધૈવ કુટુંબકમ્’ કહેવાતું હોય તો દલિત, મુસ્લિમ કે ખ્રિસ્તીઓને કુટુંબ બહારના કેવી રીતે ગણાય ? સમગ્ર વસુધાને કુટુંબ ગણનારા માટે મલ્ટિ એથનિસિટી અનિવાર્ય ગણાય.

(2) જો સમગ્ર વિશ્વ આપણું કુટુંબ હોય તો રાષ્ટ્રવાદ કેવી રીતે નભી શકે ?

(3) જો સંસ્કારો મળવાથી ‘દ્વિજ’ બની શકાતું હોય તો તેનો લાભ સમાજના અમુક વર્ગને જ શા માટે ?

(4) જો સંસ્કાર વડે દ્વિજ બનાતું હોય તો લોકોને દ્વિજ બનાવે તેવા જ સંસ્કારો આપવા જોઈએ. આ શક્ય છે ?

આ પ્રકારના તર્કોનો આમૂલાગ્ર વિચાર કોઈ ખંડનમંડનની પ્રવૃત્તિ માટે નથી. ખરેખર તો તે એ સમજવા માટે છે કે શિક્ષણ અને સંસ્કારના અનુબંધમાં ‘દૃષ્ટિપૂતં નસ્યેત્ પાદમ્’ ફૂંકી ફૂંકીને ડગલું માંડવા જેવું છે. માનવ એક અદ્ભુત સર્જન છે અને તેને સંસ્કારના નામે પરાપૂર્વની બેડીઓમાં જકડી ન શકાય. ટાગોરે આઝાદી પહેલાં કહેલું તે ઘણું ઉપયોગી છે. :

'Where the mind is without fear
and the head is held high’

તર્કની તત્પરતાથી ઉન્નત અને ગૌરવાન્વિત શીર્ષ નવા સંસ્કારની ખોજની પ્રારંભિક આવશ્યકતા છે. શિક્ષણ અને સંસ્કારને એકમાર્ગી ગણવામાં ભૂલ થાય છે. ‘શિક્ષણ દ્વારા સંસ્કાર’ તો ખરા જ પણ આ સંસ્કારી બનેલી વ્યક્તિઓ કાળક્રમે એવા શિક્ષણનું પણ નિર્માણ કરતી થાય કે જે સમાજ માટે ઉત્તમ પરિપાટીઓ ઊભી કરી આપી શકે. લોકશાહી, વ્યક્તિ સ્વાતંત્ર્ય, વ્યક્તિગત અધિકારો, વૈજ્ઞાનિક ઢબનો વિચાર વગેરે આવા નવા વિકસતા સમાજ માટેના આધારસ્તંભો છે. સત્યકામના આયાતમાન બ્રહ્મની જે કલ્પના છે તે આ સર્વને આધાર આપનારું બ્રહ્મ છે. આ જ બ્રહ્મ પ્રકાશમાન, જ્યોતિષમાન અને અનંત છે. સત્યકામને પ્રકૃતિ સાથેના એકાંત સભર વિમર્શમાંથી સાંપડેલો આ સંદેશો છે.

અલબત્ત, આધુનિક શિક્ષણની અપેક્ષા વ્યાવસાયિક સજ્જતા અને સામર્થ્ય કેળવવવાની છે. સંસ્કાર માટેનું શિક્ષણ, આવા વ્યાવસાયિક શિક્ષણને અવરોધક નથી. પરંતુ, વ્યાવસાયિક કે અન્ય શિક્ષણના આયામોમાં સંસ્કાર સાથેનું શિક્ષણ ક્યારેક સ્ફુટ અને ક્યારેક અસ્ફુટ રૂપે રહેતું જ હોય છે. એ વ્યાપક અર્થમાં શિક્ષણ લેનાર દરેક વ્યક્તિનો એક નવો જ આવિષ્કાર સર્જાય છે. ‘દ્વિજ’ શબ્દને જાતિગત લેવાને બદલે પુન:સંસ્કરણની રીતે જોઈ શકાય. આ પુન:સંસ્કરણ નાઝીરૂપે કે કૌરવરૂપે ન થાય તે જોવાની ફરજ સમાજના દ્વિજ બની ચૂકેલાઓની ગણાય.

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 મે 2018; પૃ. 16-18 

Loading

...102030...3,1083,1093,1103,111...3,1203,1303,140...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved