Opinion Magazine
Number of visits: 9580282
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરકાર અને ન્યાયપાલિકા વચ્ચેનો સંઘર્ષ

અિશ્વનકુમાર ન. કારિયા|Opinion - Opinion|16 May 2018

કૉંગ્રેસ સહિતના વિરોધપક્ષોએ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા સામેનો મહાભિયોગ પ્રસ્તાવ રાજ્યસભા અધ્યક્ષે નકારી કાઢતા, તેની સામે સર્વોચ્ચ અદાલતનો આશ્રય લેવાનું કૉંગ્રેસે જાહેર કરેલ છે. રાજ્યસભા અધ્યક્ષના નિર્ણયના થોડા દિવસો બાદ જ કેન્દ્રિય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે સર્વોચ્ચ અદાલત કૉલેજિયમે સર્વોચ્ચ અદાલતોમાં ન્યાયાધીશપદ માટે સૂચવેલ બે નામોમાંથી સુશ્રી ઇન્દુ મલહોત્રા નામને બહાલી આપી ઉત્તરાખંડ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ જોસફના નામનો અસ્વીકાર કરવાની જાહેરાત કરતાં, સરકાર અને ન્યાયતંત્ર વચ્ચેનો સંઘર્ષ પુનઃ ચકરાવે ચડ્યો છે. અદાલતના ન્યાયાધીશો વચ્ચેનો ડખો હજૂ શમ્યો નથી, ત્યાં કેન્દ્ર સરકારે જસ્ટિસ જૉસેફના નામના કરેલ અસ્વીકારની જાહેરાતથી બળતામાં ઘી હોમાયું છે.

હકીકતે, સરકાર અને ન્યાયતંત્ર વચ્ચેનો સંઘર્ષ આજકાલનો નથી, પરંતુ ૭ દાયકા જૂનો છે.

૧૯૪૭-૧૯૬૪ વચ્ચેનો સમયગાળો :

ભારતમાં કોઈ પણ વડી અદાલતના ન્યાયાધીશને તેમના હોદ્દા પરથી દૂર કરવાનો બનાવ સૌપ્રથમ જુલાઈ ૧૯૪૮માં બન્યો હતો. તે વખતની સરકારની વિનંતીથી અલાહાબાદની વડી અદાલતના જસ્ટિસ શિવપ્રસાદ સિંહાને તેમના હોદ્દા પરથી દૂર કરાયા હતા. તેમની સામે પાંચ આરોપો હતા. તે સમયની સમવાયી અદાલતે આરોપીની તપાસ કરી હતી અને તે પૈકીના એક આરોપ બદલ તેમને તકસીરવાર ઠરાવાયા હતા. તે સમયે બંધારણઘડતરની પ્રક્રિયા ચાલુ હતી. બંધારણનો અમલ શરૂ થયો ન હતો. તેમને ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા ઍક્ટ, ૧૯૩૫ ક. ૨૨૦ (૨) હેઠળ હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા.

બંધારણના અમલ બાદ ૧૯૭૦માં જસ્ટિસ જે.સી. શાહને હોદ્દા પરથી દૂર કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. પરંતુ લોકસભાના અધ્યક્ષે આ પ્રસ્તાવ નકાર્યો હતો. સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે સંઘર્ષનો બીજો એક બનાવ ૧૯૫૦માં બન્યો હતો. સામ્યવાદી નેતા અને સંસદસભ્ય એ.કે. ગોપાલને પ્રિવેન્ટિવ ડિટેન્શન ઍક્ટ ૧૯૫૦ હેઠળ, પોતાની અટકાયતથી અનુચ્છેદ ૨૧નો ભંગ થતો હોવાના કારણસર સર્વોચ્ચ અદાલતમાં પડકારી હતી. સર્વોચ્ચ અદાલતે તે કાયદાની કલમ વિરુદ્ધ ગેરબંધારણીય ઠરાવેલ અને સરકારે પાછળથી તે કલમ તે કાયદામાંથી દૂર કરી હતી.

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સ્વપ્નદૃષ્ટા હતા. સમાજવાદી વિચારધારાને વરેલા જવાહરલાલે અનેક નવા પ્રોજેક્ટ હાથ ધરેલા હતા અને તે માટે જુદાં જુદાં રાજ્યોમાં મોટા પાયે જમીનસંપાદન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે અનુસાર જુદાં જુદાં રાજ્યોમાં જમીન કાયદાઓ અને બંધારણમાં પણ સુધારાઓ દાખલ કરાયા હતા. અનેક રાજ્યોમાં આ સુધારાઓ વડી અદાલતોમાં પડકારાયા. બિહારમાં પટણા વડી અદાલતે માર્ચ ૧૯૫૧માં બિહાર લૅન્ડ રિફૉર્મ્સ ઍક્ટ ગેરબંધારણીય ઠરાવતો ચુકાદો જાહેર કર્યો. પટણા વડી  અદાલતના આ ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ દાખલ કરાઈ હતી. આ અપીલ પર સર્વોચ્ચ અદાલતનો નિર્ણય જાહેર થાય તે અગાઉ ૧૯૫૧માં સરકારે બંધારણમાં પ્રથમ સુધારાનો ખરડો સંસદમાં રજૂ કર્યો. આ ખરડાની જોગવાઈ એવી હતી કે જમીન અંગેની કોઈ જોગવાઈ મૂળભૂત અધિકારનો ભંગ થતો હોવાના કારણસર અદાલતમાં પડકારી શકાશે નહીં. ઉપરાંત આ ખરડાથી બંધારણમાં ૯મું પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યું અને તેમાં મુકાયેલા કાયદાઓને અદાલતી પડકાર સામે રક્ષણ અપાયું. તે સમયે તેમાં ૧૩ કાયદાઓ મૂકવામાં આવ્યા અને તેમાં અગાઉ ગેરબંધારણીય ઠરાવાયેલ બિહાર લૅન્ડ રિફૉર્મ્સ ઍક્ટનો પણ સમાવેશ થતો હતો.  હાલ ૯માં પરિશિષ્ટમાં કુલ ૨૮૪ કાયદાઓ મુકાયા છે. ૧૯૬૪ સુધીમાં ૯મા પરિશિષ્ટમાં ૬૪ કાયદાઓ મૂકાયા હતા.

આ સમયગાળા દરમિયાન મુખ્ય સંઘર્ષ મિલકત અધિકારને લગતો હતો. સર્વોચ્ચ અદાલતે ગેરબંધારણીય ઠરાવેલ કાયદાઓ સામે સરકારે ૯મા પરિશિષ્ટનું છત્ર ઊભું કર્યું અને આમ સંઘર્ષના પ્રથમ તબક્કાનો પાયો અહીં નંખાયો હતો.

૧૯૬૫થી ૧૯૯૩ સુધીનો સમયગાળો :

૯મા પરિશિષ્ટમાં પંજાબ સિક્યૉરિટી ઍન્ડ લૅન્ડ ટેન્યોર ઍક્ટ પણ મુકાયો હતો. બંધારણમાં ૧૯૬૪માં ૭મો સુધારો દાખલ કરાયો હતો. ૧૯૬૭માં સર્વોચ્ચ અદાલતે ગોલકનાથ કેસ તરીકે જાણીતા ચકચારી કેસનો ચુકાદો જાહેર કર્યો અને આ ચુકાદાએ સરકારને ઝાટકો આપ્યો. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ કે. સુબ્બારાવની અધ્યક્ષતા હેઠળની બંધારણીય ખંડપીઠે ૬.૫ની બહુમતીથી એવો ચુકાદો જાહેર કર્યો કે સંસદને મૂળભૂત અધિકારોમાં કાપ મૂકવાની સત્તા નથી. ૧૯૬૭માં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ. ઇન્દિરા ગાંધીએ ૨૮૪ બેઠકો સાથે પુનઃ સત્તા ગ્રહણ કરી. ઇન્દિરા ગાંધી સરકારે રાજવીઓનાં સાલિયાણાં નાબૂદ કર્યાં અને બૅંકોમાં રાષ્ટ્રીયકરણનાં પગલાં ભર્યાં. સર્વોચ્ચ અદાલતે આ પગલાંઓને ગેરકાનૂની ઠરાવતાં, સરકારને બીજા ઝાટકા લાગ્યા. સરકાર વિસામણમાં મુકાઈ. ગોલકનાથ કેસના ચુકાદાની અસર નાબૂદ કરવા સરકારે બંધારણમાં ૨૪મો સુધારો દાખલ કર્યો. આ સુધારાથી સરકારને બંધારણની કોઈ પણ જોગવાઈમાં સુધારો કરવાની સત્તા આપવામાં આવી. કેશવાનંદ ભારતીના કેસમાં આ સુધારો પડકારાયો. સર્વોચ્ચ અદાલતે આ કેસમાં એવો ચુકાદો જાહેર કર્યો કે સંસદ બંધારણની કોઈ પણ જોગવાઈ સુધારી શકે, પરંતુ બંધારણના ‘મૂળભૂત માળખા’માં ફેરફાર કરી શકે નહીં. સર્વોચ્ચ અદાલતે એક તરફ સરકારને બંધારણની કોઈ પણ જોગવાઈમાં ફેરફાર કરવાની છૂટ આપી, તો ‘મૂળભૂત માળખા’નો સિદ્ધાંત રજૂ કરી સરકારના હાથ બાંધી પણ લીધા. કેશવાનંદ ભારતી કેસનો ચુકાદો ૭.૬ બહુમતીથી એપ્રિલ, ૧૯૭૩માં જાહેર કરાયો હતો. તે સમયે જસ્ટિસ સિક્રી મુખ્ય ન્યાયમૂર્તિ હતા. સરકારને ફરી એક વાર જોરદાર ઝાટકો લાગ્યો. જસ્ટિસ સિક્રીની નિવૃત્તિ બાદ સરકારે જસ્ટિસ શેલત, જસ્ટિસ હેગડે અને જસ્ટિસ ગ્રોવરની સિનિયોરિટી અવગણીને જસ્ટિસ એ.એન. રેની મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક કરી, ન્યાયતંત્રને આંચકો આપ્યો. ૧૨ જૂન, ૧૯૭૫ના રોજ રાજનારાયણની અરજી પર અલ્હાબાદ વડી અદાલતના જસ્ટિસ જગમોહનલાલ સિંહાએ ઇન્દિરા ગાંધીની રાયબરેલી લોકસભામાં ચૂંટણીમાં થયેલ જીતને ગેરકાનૂની ઠરાવી સરકારને આંચકો આપ્યો. અને ઇન્દિરા ગાંધી સરકારે બદલામાં ૨૫ જૂન મધરાતે દેશભરમાં કટોકટી લાદી દીધી.

કટોકટીગાળા દરમિયાન એડીએમ જબલપુર તરીકે જાણીતા કેસમાં સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો. આ કેસમાં જસ્ટિસ રે, જસ્ટિસ ભગવતી, જસ્ટિસ ચંદ્રચુડ અને જસ્ટિસ બેગની ૪.૧ બહુમતીએ સરકારને કટોકટી દરમિયાન અનિયંત્રિત સત્તા હોવાનો ચુકાદો આપ્યો. જસ્ટિસ એચ.આર. ખન્ના આ ચુકાદા સાથે અસંમત હતા. સરકારે તેમની સિનિયોરિટી ઓળંગી તેમના બદલે જસ્ટિસ બેગને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક આપી શિરપાવ આપ્યો. ૧૯૯૭માં થયેલ ચૂંટણીઓમાં કૉંગ્રેસની હાર થઈ. ખુદ ઇન્દિરા ગાંધી હારી ગયાં. જનતાપક્ષની સરકાર સત્તામાં આવી. આ ગાળા દરમિયાન મેનકા ગાંધીનો પાસપોર્ટ અવિચારી રીતે જપ્ત કરાયો. સર્વોચ્ચ અદાલતે મેનકા ગાંધીની તરફેણમાં ચુકાદો જાહેર કર્યો અને કોઈ પણ જાતના વાજબી કારણ વિના અને કાર્યવાહી વિના પાસપોર્ટ જપ્ત કરવાના સરકારના પગલાની ટીકા કરી. તત્કાલીન કાયદાપ્રધાન પી. શિવશંકરે વડી અદાલતોના ન્યાયાધીશોની બદલી કરવા સરકારને સત્તા હોવાનો પરિપત્ર ૧૯૮૧માં પ્રગટ કર્યો હતો. જસ્ટિસ ભગવતીએ આ કેસમાં ઠરાવ્યું કે મુખ્ય ન્યાયમૂર્તિની ભલામણનો મજબૂત કારણોસર સરકાર ઇન્કાર કરી શકે છે. આ ચુકાદાથી સરકારના હાથ મજબૂત થયા.

૧૯૯૩થી ૨૦૧૮નો સમયગાળો, હવે વારો ન્યાયતંત્રનો :

વી.પી. સિંહ સરકારે ૧૯૯૦માં બંધારણમાં ૬૭મા સુધારાનો ખરડો રજૂ કર્યો. તેમાં ઉચ્ચ ન્યાયતંત્રમાં ન્યાયાધીશોની નિમણૂક માટે નૅશનલ જ્યુડિશિયલ કમિશન રચવા માટેની જોગવાઈ હતી, પરંતુ ૧૯૯૧માં લોકસભાનું વિસર્જન થતાં આ ખરડો રદ થયો હતો. સર્વોચ્ચ અદાલતે ૧૯૯૩માં એક કેસમાં ચુકાદો જાહેર કરી ઉચ્ચ ન્યાયતંત્રમાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે વિમર્શ કરવાનું સરકાર માટે ફરજિયાત બનાવી, મુખ્ય ન્યાયમૂર્તિની ભલામણને બંધનકર્તા ઠરાવી. પરંતુ આ ચુકાદામાં મુખ્ય ન્યાયમૂર્તિ સાથે વિચારવિમર્શની કોઈ રીત નિયત કરાઈ ન હતી. આથી રાષ્ટ્રપતિ કે.આર. નારાયણે સર્વોચ્ચ અદાલતને રેફરન્સ કર્યો. ૧૯૯૮માં સર્વોચ્ચ અદાલતે પોતાની સલાહ હકૂમતમાં અભિપ્રાય આપતાં કૉલેજિયમ પ્રથાને પુનઃ બહાલી આપી અને વિચારવિમર્શની ચોક્કસ પદ્ધતિ ઘડી કાઢી હતી. કૉલેજિયમપ્રથાથી હવે ન્યાયતંત્ર સરકારી દખલગીરીથી મુક્ત થયું. એસ.આર. બોમ્માઈ(૧૯૯૩)થી લઈ ટુ.જી. કેસો સુધીના સમયગાળામાં સર્વોચ્ચ અદાલતે અનેક ચુકાદાઓ સરકાર વિરુદ્ધ જાહેર કર્યા.

અગાઉ એન.ડી.એ. સરકારે ૨૦૦૩માં બંધારણમાં ૯૮મા સુધારા માટે અને યુ.પી.એ. સરકારે ફરી નૅશનલ જ્યુડિશ્યલ કમિશનની રચના માટે બંધારણમાં ૧૨૦મા સુધારાનો ખરડો રજૂ કરેલ, પરંતુ પસાર થઈ શકેલ નહીં. ૨૦૧૪માં મોદી સરકારે એન.જે.સી.ની રચનાનો કાનૂન બહુમતીથી પસાર કર્યો. તેનાથી સર્વોચ્ચ અલાલતની કૉલેજિયમ પ્રથાનો અંત લાવવામાં આવ્યો, પરંતુ સર્વોચ્ચ અદાલતે ૨૦૧૫માં આ અંગે જાહેર કરેલ ચુકાદાથી તે કાનૂન ગેરબંધારણીય જાહેર ઠરતાં સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે ફરી સંઘર્ષનો નવો માર્ગ ખૂલ્યો.

આ વર્ષના અંત સુધીમાં સર્વોચ્ચ અદાલતના પાંચ સિનિયર ન્યાયાધીશોમાંથી ૪ ન્યાયાધીશો નિવૃત્ત થનાર છે. સરકાર પણ હવે ચૂંટણી- ઝુંબેશ શરૂ કરવાના મૂડમાં છે. હવે ૨૦૧૯માં નવી નેતાગીરી કયો રાહ  અપનાવે છે, તે જોઈએ.

(માહિતીસ્રોત : ઇન્ડિયન ઍક્સપ્રેસ, તા. ૨૧ એપ્રિલ, ૨૦૧૮)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2018; પૃ. 05-06 

Loading

સ્ત્રીઓ પર જાતીય હિંસા : કથુઆ અને ઉન્નાવ

સ્વાતિ જોશી|Opinion - Opinion|16 May 2018

છેલ્લા થોડા સમયથી દેશમાં સ્ત્રીઓ પર થતી જાતીય હિંસાની ઘટનાઓ અતિશય પ્રમાણમાં વધી છે એ ચિંતાનો વિષય છે. આજે દેશમાં સ્ત્રીઓ પર થતાં હિંસા, બળાત્કાર અને ક્રૂરતાને નવી ઊભરતી પિતૃસત્તા, આર.એસ.એસ. અને ભા.જ.પ.શાસનની સ્ત્રીઓ પ્રત્યેની સામંતવાદી દ્રષ્ટિ અને ઝડપથી વધતા કોમવાદના બહોળા સંદર્ભમાં જોવાની જરૂર છે. આ હિંસા આજે દેશમાં નફરત અને હિંસાનું જે વાતાવરણ ફેલાયું છે એનાથી અલગ કરીને જોઈ શકાય નહીં. છેલ્લા કેટલાક સમયથી જમણેરી હિંદુત્વ વિચારધારાના પ્રવક્તાઓએ સ્ત્રીઓ વિશે ઉગ્ર અને હિંસક વિચારો પ્રગટ કર્યા છે. આ મનુવાદી વિચારધારા સ્પષ્ટ રીતે સ્ત્રીઓને પુરુષોથી ઊતરતી કક્ષાની અને પુરુષોના નિયંત્રણ નીચે રહેવા સર્જાયેલી માને છે.

આર.એસ.એસ.ના પ્રમુખ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને બીજા ભા.જ.પ. નેતાઓએ આ વિશે જાહેરમાં અનેક વિધાનો કરેલાં છે. સ્ત્રીનું સ્થાન ઘરમાં છે અને એને પુરુષ-પિતા, પતિ કે પુત્ર-ને આધીન થઈને જીવવાનું છે. સ્ત્રીની સ્વતંત્રતાનો તો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. આ સામંતવાદી પિતૃસત્તા છે. આ ફાસીવાદી પિતૃસત્તા પણ છે, જે સ્ત્રીઓ પ્રત્યે તિરસ્કારની દ્રષ્ટિથી જુએ છે. ફાસીવાદ માને છે કે સ્ત્રીનું સ્થાન ઘરમાં છે અને એનું મુખ્ય કામ ભવિષ્ય માટે ‘શુદ્ધ’ અને ચડિયાતા’ વંશની પ્રજા પેદા કરવાનું અને વધારવાનું તેમ જ પોતાના કુટુંબને ઉછેરવાનું છે.

આજે દેશમાં સ્ત્રીઓ પ્રત્યે એક નકારાત્મક અને પ્રત્યાઘાતી વલણ ઊભું થયું છે. સ્ત્રીઓને નિયંત્રણમાં રાખવા ‘લવ જેહાદ’ અને ‘ઍન્ટિ-રોમિયો સ્ક્‌વૉડ’ જેવી ઘોષણાઓ થઈ રહી છે; ખાસ કરીને ‘હિન્દુ’ સ્ત્રીઓના બીજા સમુદાયોના પુરુષો સાથેના સંબંધોને રોકવા, એ સમુદાયના પુરુષો પર અત્યાચાર કરવા, એમની સામે નફરત અને ભય ફેલાવવા અને સમાજને વિભાજિત કરવા. હમણાં જ ભા.જ.પ.ના મધ્યપ્રદેશના ધારાસભ્યે ‘લવ જેહાદ’થી સ્ત્રીઓને બચાવવા બાળવિવાહની ભલામણ કરી છે. હિન્દુ સ્ત્રીઓને નિયંત્રણમાં રાખવા માટેનું આ કેવું પ્રત્યાઘાતી સૂચન છે!

સંવિધાને અને કાનૂને સ્ત્રીઓને આપેલા અધિકારો અને નારીઆંદોલને સદીઓ જૂના સ્ત્રીઓને લગતા રૂઢિગત રિવાજો સામે સંઘર્ષ કરીને સ્ત્રીઓની સ્વતંત્રતા અને સમાનતા માટે જે સફળતા મેળવી છે, એની આવા વિચારો અને એની પાછળની વિચારધારા દ્વારા અવગણના થઈ રહી છે. સ્ત્રીઓને લગતા કાયદાઓને પણ ઢીલા કરવાના અને બદલવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પોલીસતંત્ર અને ન્યાયતંત્ર, જેના તરફથી સ્ત્રીને રક્ષણ મળવું જોઈએ, એમાં પણ સ્ત્રીઓ પ્રત્યે આ વલણ જોવા મળે છે અને એમને રાજ્યનો ટેકો મળે છે. સ્ત્રીઓ પર હિંસા વધતી જાય છે, કેમ કે આરોપીઓને સજા મળતી નથી; એમને સજાનો કોઈ ડર નથી અને એથી બીજા પુરુષોને હિંસા માટે પ્રોત્સાહન અને હિંમત મળે છે. છેલ્લાં ચાર વર્ષમાં દેશમાં સ્ત્રીઓની સ્થિતિ ઘણી બગડી છે. હિન્દુ રાષ્ટ્રવાદી પિતૃસત્તા સ્ત્રીવિરોધી છે. એ સ્ત્રીને નિયંત્રણમાં રાખવાનો આગ્રહ સેવે છે. એ સાથે જ બીજા સમુદાયોનાં સ્ત્રીઓ અને પુરુષો પ્રત્યે એ નફરત અને હિંસા ફેલાવે છે. આજે નફરત અને હિંસા ફેલાવનાર તત્ત્વોને સમાજમાં છૂટો દોર મળ્યો છે.

કથુઆ અને ઉન્નાવમાં બનેલી બળાત્કારની ઘટનાઓ આ નફરત અને હિંસાના વાતાવરણમાં બનેલી ઘટનાઓ છે. કથુઆમાં ઘોડા ચરાવવા નીકળેલી આઠ વર્ષની એક મુસ્લિમ બાળકીને બેભાન કરી, દિવસો સુધી એના પર સામૂહિક બળાત્કાર કરી એની ક્રૂર હત્યા કરવામાં આવી. આ બાળકી કથુઆનાં જંગલોમાં રહેતી વિચરતી, આદિવાસી મુસ્લિમ બકરવાલ જાતિની હતી. છેલ્લા થોડા સમયથી આ લોકો પર અનેક પ્રાયોજિત હુમલાઓ થયા છે, જેથી તેમને જમ્મુ, કથુઆ જેવા હિન્દુઓની બહુમતી ધરાવતા પ્રદેશોમાંથી કાઢી મુકાય. ૨૦૧૫માં ભા.જ.પ. અને પી.ડી.પી.ની સરકાર આવ્યા પછી આવા પ્રયાસો વધ્યા છે. આ પ્રદેશની જમીન પર બકરવાલ લોકોનો કોઈ હક નથી, કેમ કે અહીં ફૉરેસ્ટ રાઇટ્‌સ ઍક્ટ (૨૦૦૬) લાગુ કરવામાં આવ્યો નથી. આ ઍક્ટ લાગુ ન થાય એ માટે ભા.જ.પ. આર્ટિકલ ૩૭૦નો ઉપયોગ કરે છે. કથુઆમાં આદિવાસીઓના હક માટે લડતા તાલિબ હુસેન જેવા કર્મશીલોનું માનવું છે કે આર્ટિકલ ૩૭૦ પરનાં નિયંત્રણો અને રાજ્યનો વિશિષ્ટ દરજ્જો એ કેવળ આદિવાસી મુસ્લિમ જાતિઓને જમ્મુ વિસ્તારમાથી હાંકી મૂકવાના ભા.જ.પ.ના ‘કોમવાદી એજન્ડા’ની ઢાલ છે. કેસની ચાર્જશીટમાં પણ નોંધવામાં આવ્યું છે કે આ બળાત્કાર અને હત્યાની પાછળ બકરવાલ સમુદાયને પ્રદેશમાંથી કાઢી મૂકવાનો આશય હતો.

કથુઆની ઘટના ચોંકાવનારી એટલા માટે પણ છે કે એને સ્થાનિક હિન્દુઓનો અને ભા.જ.પ.ના ધારાસભ્યોનો અને મંત્રીઓનો ટેકો મળ્યો. આરોપીઓની ધરપકડ થઈ પછી જે બન્યું એ હિન્દુ રાષ્ટ્રવાદીઓને સ્ત્રીઓના, ખાસ કરીને અમુક સમુદાયની સ્ત્રીઓનાં શરીર પર હિંસા કરવામાં શા માટે રસ છે, એ ઉઘાડું પાડે છે. હિન્દુ એકતા મંચ જેવું સંગઠન જે સમાજના વિભાજન માટે કામ કરે છે, એણે તરત જ હિન્દુઓને એકઠા કર્યા અને આરોપીઓને છોડવાની માંગ કરતું જાહેર પ્રદર્શન યોજ્યું જેમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો અને ‘ભારતમાતા કી જય’ના નારા લગાવવામાં આવ્યા. આ પ્રસંગે ભા.જ.પ.ના મંત્રી લાલસિંહ અને અન્ય નેતાઓ હાજર રહ્યા. લાલસિંહે થોડા સમય પહેલાં જ ગુજ્જર-બકરવાલ મુસ્લિમોને ધમકી આપી હતી અને ૧૯૪૭માં જમ્મુમાં થયેલા મુસ્લિમોના ભીષણ જનસંહારની યાદ અપાવી હતી. કથુઆ અને જમ્મુના બાર એસોસિયેશને પણ પોલીસને કેસની ફાઇલ લઈ કોર્ટમાં જતાં રોક્યા હતા. બળાત્કાર અને હત્યાનો ભોગ બનેલી બાળકીની વકીલ દીપિકા રાજાવતને આ તત્ત્વો તરફથી મળેલી મોતની ધમકીઓ સામે લડાઈ આપવી પડી છે.

કથુઆ ઘટનાના આરોપીઓ હિન્દુ છે જેમને ગુજ્જર-બકરવાલ મુસ્લિમ જાતિને પ્રદેશમાંથી હાંકી મૂકવામાં લાંબા સમયથી રસ હતો અને એમાં એ સફળ થયા છે. આ ઘટના બતાવે છે કે સ્ત્રીના શરીર પર થતી જાતીય હિંસા દ્વારા ધર્મ અને જાતિ પર આધારિત સામાજિક, આર્થિક, અને રાજકીય હિતોની લડાઈ લડાતી હોય છે. ઇતિહાસમાં આ પહેલાં પણ આવી અનેક ઘટનાઓ બની છે. બે પક્ષ કે સમુદાય વચ્ચેના સંઘર્ષની પરિસ્થિતિમાં બળાત્કાર એ સૌથી અસરકારક શસ્ત્ર છે. સ્ત્રીનું શરીર એ એક રણભૂમિ મનાય છે, જેના પર આવી લડાઈઓ લડાય છે. બીજા સમુદાયોની સ્ત્રીઓ પર થતી જાતીય હિંસાનું ધ્યેય દુશ્મનનું અપમાન કરવાનું, એને  ભયભીત કરવાનું, વિસ્થાપિત કરવાનું અને છેવટે નાશ કરવાનું હોય છે.

૨૦૦૨માં ગુજરાતના જનસંહાર દરમિયાન હિંદુત્વ તત્ત્વો દ્વારા અનેક મુસ્લિમ બાળકીઓનાં અને સ્ત્રીઓનાં બળાત્કાર અને હત્યા થયાં હતાં. સગર્ભા કૌસરબાનોના પેટને ચીરીને ગર્ભ કાઢીને હવામાં ફંગોળીને બળતા અગ્નિમાં હોમવામાં આવ્યો હતો. નરોડા પાટિયામાં ૯૭ લોકોની હત્યા થઈ, એમાં ૩૬ સ્ત્રીઓ અને ૩૫ બાળકો હતાં. સ્ત્રીઓને મારતાં, કાપતાં અને બાળતાં પહેલાં એમના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ બધા પાછળ પ્રયોજન મુસ્લિમોને ડરાવવાનું અને વિસ્થાપિત કરવાનું અને છેવટે હિંદુત્વના એજન્ડાને સ્થાપિત કરવાનું હતું જે સફળ થયું. ૨૦૧૩માં મુઝફ્ફરનગરમાં થયેલાં કોમી રમખાણો દરમિયાન પણ ઘણી મુસ્લિમ સ્ત્રીઓ પર બળાત્કારની ઘટનાઓ બની હતી. આવા કિસ્સાઓમાં બળાત્કારને સ્ત્રીના શરીરના જાતીય આકર્ષણ સાથે સંબંધ નથી હોતો, પરંતુ એ અસહાય શરીર સત્તા સાબિત કરવાનું એક સાધન બને છે. સંઘર્ષનાં ક્ષેત્રોમાં સ્ત્રીઓનાં બળાત્કાર અને હત્યાને બળાત્કારીઓ પોતાના ઉદ્દેશ માટે જરૂરી હિંસા માને છે. આ કેવળ જાતીય હિંસાનો ગુનો [sexual crime] જ નથી પરંતુ નફરતનો ગુનો [hate crime] પણ છે.

દલિત અને આદિવાસી સ્ત્રીઓ પર પણ આ જાતના અનેક બળાત્કાર થયા છે. મહાશ્વેતાદેવીની વાર્તા ‘દૌપડી’ એ બંગાળમાં પોતાના જમીન પરના હક માટે લડતી આદિવાસી યુવતી પર સલામતી બળો દ્વારા થયેલા સામૂહિક બળાત્કારની વાત છે. બસ્તરની આદિવાસી સ્ત્રીઓ, સોની સોરી સહિત, પર પણ જાતીય હિંસાના બનાવો આવાં બળો દ્વારા થયા છે. ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં દલિત સ્ત્રીઓ પર અસંખ્ય બળાત્કારો એ સ્થાનિક સમુદાયનું અપમાન કરવા, એમને ડરાવવા કે જમીન અને ગામ છોડીને ભગાડવા માટે થયા છે. ભારતીય સૈન્યનાં બળો  દ્વારા  પણ ‘રાષ્ટ્રવાદ’ને નામે સ્ત્રીઓ પર બળાત્કાર થયા છે. AFSPA જેવા કાયદા દ્વારા ભારે સલામતી હેઠળના વિસ્તારોમાં આ બળોને હંમેશાં સજામાંથી મુક્તિ મળે છે અને આમ દેશના કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને કાશ્મીરમાં, કોઈ પણ સજા વગર સ્ત્રીઓ પર થતી હિંસાનો લાંબો ઇતિહાસ રહ્યો છે.

થંગમ મનોરમા પર મણિપુરમાં લશ્કરના સૈનિકોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો અને એની હત્યા કરી હતી. કાશ્મીરમાં કથુઆની ઘટના પહેલાં આવી પ્રાયોજિત બળાત્કારની અસંખ્ય ઘટનાઓ બની છે. જ્યારથી ત્યાં સંઘર્ષની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારથી ભારતીય લશ્કરી દળોએ બળાત્કારનો ઉપયોગ યુદ્ધના શસ્ત્રની જેમ કર્યો છે. એનો મુખ્ય આશય સ્થાનિક પ્રજાનું અપમાન કરવાનો અને એમને ડરાવવાનો છે. કુનાન પોષપોરા ગામોમાં ૧૯૯૧માં લશ્કરનાં દળો દ્વારા એક જ રાતમાં એક સાથે ૧૦૦થી પણ વધુ સ્ત્રીઓ પર બળાત્કાર થયા હતા એ કથુઆની ઘટનાથી ઓછો આક્રોશ ઉપજાવનારી ઘટના નથી. આવી અસંખ્ય ઘટનાઓ કાશ્મીરમાં બનતી રહી છે.

આ બધી હકીકતો જાણવી જરૂરી છે, કેમ કે કથુઆમાં જે બન્યું એની પાછળ આ આખો ઇતિહાસ રહેલો છે અને આ ઘટનાને એના સંદર્ભમાં જોવી જરૂરી છે. બંગાળ અને બસ્તરથી કાશ્મીર સુધીના સંઘર્ષના વિસ્તારોમાં રાજ્ય તરફથી થતી હિંસા એ એની પશ્ચાદ્‌ ભૂમિ છે. આગળ બનેલા ગુજરાત અને મુઝફ્ફરનગરના બળાત્કારોમાંથી કથુઆના આરોપીઓ ગુનાને કોમવાદી અંચળો ઓઢાડવાનો આત્મવિશ્વાસ મેળવે છે. અને મનોરમા અને કુનાન પોષપોરા જેવા બળાત્કારોમાંથી ગુનાને રાષ્ટ્રવાદમાં લપેટવાની હિંમત મેળવે છે. બીજે આવા ગુનાઓ સફળ થયા છે, એટલે તપાસ પણ ટાળી શકાય છે તેમ જ રાજકીય રીતે શક્તિશાળી અને વિભાજનની નીતિમાં માનનારા એમની વર્તણૂકને મંજૂર કરશે, એની ખાતરી પણ એમને મળે છે.

જાન્યુઆરીમાં બનેલી કથુઆની ઘટનાના સમાચાર બહાર આવ્યા પછી થોડા જ દિવસોમાં ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં એક વર્ષ પહેલાં બનેલી બળાત્કારની ઘટનાના સમાચાર પણ બહાર આવ્યા. લગભગ એક વર્ષ પહેલાં ભા.જ.પ.ના વગ ધરાવતા ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરે એક સગીર યુવતી પર બળાત્કાર કર્યો હતો. યુવતીના અનેક પ્રયત્નો બાદ પણ પોલીસે આ કેસમાં કોઈ કારવાઈ ન કરી, છેવટે આ યુવતીએ મુખ્યમંત્રીનું ધ્યાન દોરવા એમના ઘર આગળ આત્મદહનનો પ્રયત્ન કર્યો. સેંગરના સમર્થકોએ યુવતીના પિતાને ખૂબ માર માર્યો; પોલીસે પિતાની ધરપકડ કરી અને છેવટે ન્યાયિક હિરાસતમાં એમનું મૃત્યુ થયું. આ બધા સમય દરમિયાન સેંગર ગુનાના ડર વગર જાહેરમાં પૂરા આત્મવિશ્વાસ સાથે ફરતા હતા, કેમ કે એમને રાજ્યતંત્રનો ટેકો હતો.  છેવટે અલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયના આદેશને કારણે એમની ધરપકડ થઈ. એ પછી પણ એમના સમર્થકો તરફથી સ્થાનિક લોકોને ધમકીઓ મળતી રહી છે કે એમની વિરુદ્ધ બોલવાની સજા ભોગવવી પડશે. બળાત્કારની ભોગ બનેલી યુવતી દલિત કુટુંબની છે, એમ મનાય છે. એના કુટુંબ વિશે સેંગરે જાહેરમાં ‘નિમ્ન કક્ષા કે લોગ’ એમ ઉલ્લેખ કર્યો હતો. જે ક્રૂરતાથી યુવતીના પિતાને મારવામાં આવ્યા એ સ્પષ્ટ બતાવે છે કે આ કુટુંબ સમાજના નબળા અને અસહાય સમૂહનું છે. ઉન્નાવની બળાત્કારની ઘટના એ સામંતવાદી પિતૃસત્તામાં ધન અને સત્તાનું બળ પુરુષને સ્ત્રી પર જાતીય હિંસા કરવા છૂટો દોર આપે છે એનું ઉદાહરણ છે. સામંતવાદી પિતૃસત્તામાં આની સામે વિરોધ અશક્ય છે. ઉન્નાવની યુવતીએ વિરોધ કરવાની હિંમત કરી તો પિતાની જિંદગીની કિમત ચૂકવવી પડી.

રાષ્ટ્રીય ગુના નોંધણી કચેરી(નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરો)ના રિપોર્ટ મુજબ ૨૦૧૬માં ઉત્તર પ્રદેશમાં હત્યાના અને સ્ત્રીઓ સામેના ગુનાઓ સૌથી વધુ નોંધાયા હતા. ઉત્તર પ્રદેશમાં બીજા અનેક પ્રકારની હિંસા પણ થતી આવી છે. ૧૯૯૨માં બાબરી મસ્જિદનો ધ્વંસ થયો એ પહેલાના સમયથી રાજ્યમાં હિન્દુ કટ્ટરવાદી નેતાઓ મુસ્લિમવિરોધી ઉશ્કેરણીજનક નિવેદનો અને ભાષણો જાહેરમાં કરતા આવ્યા છે. આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સાક્ષી મહારાજ – જે ઉન્નાવ ક્ષેત્રમાંથી લોકસભાના સભ્ય છે – જેવી જવાબદાર વ્યક્તિઓ મુસ્લિમ, દલિત અને સ્ત્રીવિરોધી ભડકાઉ નિવેદનો ખુલ્લેઆમ કરે છે. રાજ્યમાં નફરત અને હિંસાનું વાતાવરણ વધતું જાય છે. આ સાથે સ્ત્રી-વિરોધી સામંતવાદી પિતૃસત્તાને સત્તાધારી પક્ષ તરફથી પૂરું સમર્થન જાહેરમાં મળ્યું છે. મુખ્યમંત્રી પોતે જ સ્ત્રીસ્વાતંત્ર્યની વિરુદ્ધ જાહેર નિવેદનો કરે છે. ‘લવ જેહાદ’ કે ‘ઍન્ટિ-રોમિયો સ્ક્‌વૉડ’ જેવી ઘોષણાઓ હિન્દુ સ્ત્રીઓ પર નિયંત્રણ મૂકવા અને જુવાન પ્રેમીઓને હેરાન કરવા થાય છે. જે મંચ પર મુખ્યમંત્રી બેઠા હોય એ જ મંચ પરથી મુસ્લિમ સ્ત્રીઓનાં શબોને કબરમાંથી બહાર કાઢી એમના પર બળાત્કાર કરવો એવું બયાન થાય એ હિન્દુ કોમવાદી પિતૃસત્તાક તત્ત્વોને કેટલો છૂટોદોર મળ્યો છે તે બતાવે છે. રાજ્યમાં પિતૃસત્તાક સામંતવાદી સંગઠિત ગુનેગારોની સત્તા છે જે પોતાની સત્તા જમાવવા બીજાને બળાત્કારો અને હિંસા કરવાની સ્વતંત્રતા આપે છે અને આરોપીઓનું રક્ષણ કરે છે. ઉન્નાવના કિસ્સામાં રાજ્ય સરકારનો પ્રતિભાવ – જે કહેવાતા આરોપીઓનો નહીં, પરંતુ બળાત્કારની ભોગ  બનેલી યુવતી અને એના કુટુંબનો પીછો કરે છે – બતાવે છે કે સરકાર સત્તાનો કેવો વિકૃત દુરુપયોગ કરે છે. જ્યારે ઉચ્ચ ન્યાયાલયે આદેશ આપ્યો, ત્યારે જ સરકારે પગલાં લીધાં એ એનો દંભ અને ગંભીરતાનો અભાવ દર્શાવે છે.

૨૦૧૭માં ભા.જ.પ. સત્તા પર આવ્યા પછી ઉત્તરપ્રદેશમાં રાજ્ય તરફથી થતી હિંસા વધી છે. સત્તા પર આવતાં જ મુખ્યમંત્રી કતલખાનાંઓ પર ત્રાટક્યા અને મોટા પાયા પર નિર્દોષ લોકો પર અત્યાચાર આચર્યો. પોલીસને પણ નિર્દોષ લોકોને હેરાન કરવાનો છૂટો દોર મળ્યો. રાજ્યને ‘ગુનેગારો’થી મુક્ત કરવાને બહાને અનેક કહેવાતાં ‘ઍન્કાઉન્ટર’ કરાવ્યાં અને નિર્દોષ મુસ્લિમોની બંધારણની ઉપરવટ જઈને હત્યાઓ (એકસ્ટ્રા-કૉન્સ્ટિટ્યૂશનલ કિલિંગ્સ) કરાવી. આજે રાજ્યમાં નિર્દોષ દલિતો અને મુસ્લિમો પર ગૌરક્ષા અને બીજાં બહાને સતત હિંસા થાય છે. બીજી બાજુ જે ખરેખર ગુનેગાર છે, એમને છાવરવામાં જ નહીં, પરંતુ જાહેરમાં, સત્તાના બળે, બચાવવામાં આવે છે. મુખ્યમંત્રીએ પોતે જ પોતાની સામેના તેમ જ અન્ય ભા.જ.પ.ના નેતાઓ સામેના, ફોજદારી કેસો પાછા ખેંચી લીધા છે. મુઝફફરનગર રમખાણોના કેસો પણ પાછા ખેંચાઇ રહ્યા છે. હમણાં થોડા દિવસ પહેલાં જ સાધ્વી પ્રાચી સામેનો કેસ પાછો ખેંચવામાં આવ્યો છે. પૂર્વકેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદ સામેનો બળાત્કારનો કેસ પણ પાછો ખેંચી લીધો છે. કુલદીપસિંહને સરકાર તરફથી મળતા રક્ષણની આ પશ્ચાદ્‌ ભૂમિ છે. જે સરકાર બળાત્કારીને પક્ષે ઊભી હોય, અને જે રાજ્ય ગુના અને ગુનેગારોનો બચાવ કરે એ રાજ્ય શાસનવિહોણું જંગલરાજ જ હોઈ શકે.

કથુઆ અને ઉન્નાવની ઘટનાઓમાં જે ખાસ સામ્ય છે, તે આરોપીઓનો બચાવ અને રક્ષણ છે. બંને રાજ્યોમાં ભા.જ.પ.ની સરકાર છે. આજે દેશભરમાં કથુઆ, ઉન્નાવ તેમ જ બીજા બળાત્કારો સામે વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે. તેમ છતાં, કથુઆમાં પૂરા આત્મવિશ્વાસ સાથે લાલસિંહે આરોપીઓના બચાવમાં બીજું પ્રદર્શન યોજ્યું. જે ધારાસભ્ય પહેલા નિદર્શનમાં હાજર હતા, એમને રાજ્યના મંત્રીપદનું સન્માન મળ્યું!

એ જ રીતે ઉન્નાવમાં પણ આરોપીના સમર્થનમાં રેલી યોજાઈ. આરોપીઓને સમર્થન અને સન્માન આપવાં એ એકદમ નવી ઘટના નથી. ૨૦૧૫માં દાદરીમાં મહમ્મદ અખલકની હત્યાના એક આરોપીનું જેલમાં મૃત્યુ થયું, ત્યારે એના મૃતદેહ પર રાષ્ટ્રધ્વજ મૂકી શહીદનું સન્માન આપવામાં આવ્યું હતું; એની વિશાળ અંતિમયાત્રા ગામમાંથી નીકળી હતી અને ભા.જ.પ.ના નેતાઓએ ભડકાઉ ભાષણો કર્યાં હતાં. ૨૦૧૭ના ડિસેમ્બરમાં રાજસ્થાનમાં રાજસમન્દ ગામમાં શંભુલાલ રેગરે અફરાઝૂલ નામના એક મુસ્લિમ મજૂરની હત્યા મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવવાના આશયથી કરી હતી. રેગરના પોશાકમાં એના જેવી દેખાતી એક વ્યક્તિની આ વર્ષે રામનવમીને દિવસે જોધપુરમાં શોભાયાત્રા નીકળી હતી. હમણાં ૧૦મી એપ્રિલે ઝારખંડના રામગઢ ગામમાં જે ૧૧ ગૌરક્ષકોને માંસ વેચનાર મુસ્લિમ વેપારીની હત્યાના આરોપસર મોતની સજા થઈ એમના સમર્થનમાં ભા.જ.પ.ના કાર્યકર્તાઓએ કથુઆની જેમ જ સી.બી.આઈ. કે એન.આઈ.એ.ની તપાસની માંગ કરતી યાત્રા ગામમાં કાઢી જેમાં રાષ્ટ્રધ્વજ અને ભગવા ઝંડા લહેરાવવામાં આવ્યા હતા. આ ઘટનાઓમાં આરોપીઓના સમર્થનમાં નીકળેલાં પ્રદર્શનોમાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ એ આ બધી ઘટનાઓમાં રાષ્ટ્રવાદનો દાવો કરવાની વિલક્ષણ સમાનતા રહેલી છે એ દર્શાવે છે.

સ્ત્રીઓ પર થતી જાતીય હિંસાને દેશમાં વધી રહેલી કોમવાદી હિંસાના ભાગ રૂપે જોવાનો અહીં આશય નથી. પરંતુ કથુઆ અને ઉન્નાવની ઘટનાઓને આ બધાથી અલગ કરીને પણ જોઈ શકાય નહીં. આ બધી ઘટનાઓનું સામ્ય એ જરૂર દર્શાવે છે કે હિન્દુ રાષ્ટ્રવાદ જેટલો દલિત અને મુસ્લિમ-ખ્રિસ્તીવિરોધી છે, એટલો જ સ્ત્રીવિરોધી છે. સ્ત્રી પર થતી જાતીય હિંસાનું ચોક્કસ સ્વરૂપ સ્ત્રી અને પુરુષ વચ્ચેની અસમાન પરિસ્થિતિમાં રહેલું છે. એ પિતૃસત્તાના માળખામાં વણાયેલું છે અને તેથી હંમેશાં સ્ત્રીઓ પર અત્યાચાર થતો આવ્યો છે. એટલે જ આજના સમયના ઉગ્ર અને હિંસક રાષ્ટ્રવાદી પિતૃસત્તાના ચોક્કસ સ્વરૂપને આપણે સમજવું પડશે જેથી એની સામે ચોક્કસ સંઘર્ષ કરી શકાય. અને એટલે સાથે સાથે વર્તમાન રાજકીય વાતાવરણ સામે લડવું જરૂરી છે, જે રાજ્યના ટેકા સાથે વધુ અને વધુ વિભાજિત થતું જાય છે અને આ પિતૃસત્તાને પોષે છે. આપણી લડાઈ આથી ફાસીવાદી રાજ્ય સામે પણ એટલી જ અગત્યની છે.

આજે કથુઆ, ઉન્નાવ અને બીજાં સ્થળોએ થયેલી બળાત્કારની ઘટનાઓ સામે જનતાનો આક્રોશ દેશભરમાં ફાટી નીકળ્યો છે, જે સહેલાઇથી બધા સમુદાય, જાતિ અને પ્રદેશમાં થતી જાતીય હિંસાને એકસરખી દૃષ્ટિએ જુએ છે. બળાત્કાર એ બળાત્કાર છે અને એને રાજકારણ કે ધર્મકારણ સાથે જોડવો ન જોઈએ એમ પણ ઘણાં માને છે. આ સંદર્ભમાં પીડિતાને માટે ‘ભારતની બેટી’નો ઉલ્લેખ એ એક જાતના પિતૃભાવ(પૅટર્નલિઝમ)નું ચિહ્‌ન છે જે ‘પૌરુષિય હિંસા’ને પણ આ જ સંદર્ભમાં જુએ છે જેમાં બળાત્કારી હિંસક પુરુષો એ ‘પાશવી અપવાદ’ તરીકે ઓળખાય છે જેને ‘સારા હિન્દુઓ’ વખોડે છે. ઉદારમતવાદી, મધ્યમવર્ગી, શિક્ષિતો જે પ્રકારની હિંસા ફેલાવવામાં આવી રહી છે એના પર પ્રશ્ન ઉઠાવ્યા વગર ભારતની બેટીઓને બચાવવા લાગી જાય છે. પરંતુ કુટુંબ અને ઘર પણ પિતૃસત્તાક સંસ્થાઓ છે, જેમાં પિતૃભાવની ફરજ સંભાળવાનો દાવો કરનારા પુરુષો સ્ત્રીઓના સ્વતંત્ર અવાજને ચૂપ કરવા માટે પણ જવાબદાર છે. આથી એ અગત્યનું છે કે આપણે સ્ત્રીને માટે થતા ‘બેટી’, ‘દેવી’ કે ‘માતા’ના ઉપયોગ સામે ચેતીએ. કથુઆ અને ઉન્નાવની પીડિતાઓ પર થયેલી જાતીય હિંસા સામેનો આક્રોશ કોઈ ચોક્કસ સંઘર્ષનું સ્વરૂપ લેવા માંગતો હોય તો એ પિતૃસત્તાએ જે વ્યાખ્યાઓ નિશ્ચિત કરી છે એ દ્વારા તો ન જ હોઈ શકે. જાતિ, સમુદાય અને પ્રદેશ એ બધા ચોક્કસ સંદર્ભો છે, જેમાં જાતીય હિંસા ખાસ સ્વરૂપ ધારણ કરે છે. કથુઆની બાળકીની ઓળખ એ બકરવાલ આદિવાસી મુસ્લિમ જાતિની છે. એનો અર્થ એ કે એના પર થયેલી હિંસા એક ચોક્કસ પ્રકારની હતી, જે એને બીજી સ્ત્રીઓ પર થયેલી હિંસાથી જુદી પાડે છે. સ્ત્રીઓનાં શરીરને સામાજિક, આર્થિક અને ઐતિહાસિક સંદર્ભમાં જોવા એ જરૂરી છે. શરીર એ બિન-રાજકારણનું ક્ષેત્ર નથી, એ વાત પણ આપણે સમજવી પડશે. કથુઆની બાળકીને બીજી બાળકીઓ પર થતા અત્યાચારો સાથે જેટલો સંબંધ છે, એટલો જ સંબંધ એની પોતાની સમાજને છેવાડે રહેવાની હકીકત સાથે પણ છે. આ જ રીતે આરોપીઓને સામાન્ય વર્તનના કેવળ રાક્ષસી અપવાદ તરીકે જોવા એ પિતૃસત્તાક વ્યવસ્થાઓ અને ઐતિહાસિક પ્રવાહો જે આવી હિંસા માટે સ્થિતિ ઊભી કરે છે એની સામેના સંઘર્ષની શક્યતાઓ ટાળે છે.

સ્ત્રી પર થતી જાતીય હિંસા સામેની લડાઈ આપણે અનેક સ્તરે લડવી પડશે. સૌ પહેલાં તો કાનૂની લડાઈ, જેમાં દરેક આરોપીને સજા થાય એનો આગ્રહ રાખવો પડશે. ઘણા લોકોનું માનવું છે કે આરોપીને મોતની સજા થવી જોઈએ. સરકારે પણ ઉતાવળમાં ૧૨ વર્ષની નીચેની ઉંમરની બાળકીઓ પર થતા બળાત્કારના આરોપીને મોતની સજા મળે એવો કાયદો હમણાં કર્યો. પરંતુ મોતની સજા બળાત્કારમાં કે બીજા ગુનાઓમાં પણ ઇચ્છનીય નથી. નારીવાદી વકીલો અને કર્મશીલોએ ૨૦૧૨માં નિર્ભયાના કેસ વખતે અને હમણાં પણ, મોતની સજાના વિરોધમાં નિવેદન કર્યું છે. પહેલું તો, એક જીવની હત્યા સામે બીજા જીવની હત્યાની માંગણી એ ક્યારે ય ગુનેગારની સજા ન હોઈ શકે, કેમ કે દરેક વ્યક્તિને જીવવાનો અધિકાર છે. આપણે રાજ્યને આપણા નામે કોઈનો જીવ લેવાનો અધિકાર આપી એ હિંસાને ન્યાયી ઠરાવી શકીએ નહીં. બીજું, મોતની સજા એ બળાત્કારના કિસ્સા અટકાવવા માટે ઉપયોગી બને છે એ સાબિત કરવાના કોઈ પુરાવા નથી. બળાત્કારના કિસ્સાઓમાં સજાનું પ્રમાણ ઘણું જ ઓછું છે અને મોતની સજાથી એ કદાચ વધુ ઘટશે. સજાનું પ્રમાણ ઓછું હોવાને લીધે જાતીય હિંસાના આરોપીઓ સજાની ભીતિ વગર ગુના આચરે છે. આથી સજાના વધુ કઠોર સ્વરૂપની માંગણીને બદલે સજા ચોક્કસ મળે એનો આગ્રહ રાખવો જરૂરી છે. ત્રીજું, બળાત્કારીને મોતની સજા ફરમાવીને રાજ્ય સ્ત્રીઓ પર થતી હિંસા સાથે જોડાયેલા સંકુલ સામાજિક અને રાજકીય પ્રશ્નો પરથી ધ્યાન હટાવી શકે નહીં. આજના વિભાજિત અને કોમવાદી સંદર્ભમાં બળાત્કાર સહિતની જાતીય હિંસાને નફરત અને સામાજિક પૂર્વગ્રહો પોષે છે એ વાસ્તવિકતાનો આપણે સ્વીકાર કરવો પડશે અને આ સંજોગોમાં આપણે એ પણ ખાતરી કરવી પડશે કે કેવળ ગુનો સાબિત થાય એટલું જ નહીં, પરંતુ જે નફરત અને પૂર્વગ્રહો આ ગુના પાછળ કામ કરે છે, એ પણ સાબિત થાય. અને ખાસ તો જે સંસ્થાઓ – પોલીસતંત્ર અને ફોજદારી ન્યાયતંત્ર -ની હિંસા રોકવાની જવાબદારી છે, તે તંત્રમાં સુધારા થાય.

સ્ત્રીઓ પર થતી જાતીય હિંસા સામેની ન્યાયની લડાઈ એ સામાજિક પ્રશ્નો જે આવી હિંસાને વેગ આપે છે એની સામે પણ હોવી જોઈએ. સ્ત્રી-પુરુષ વચ્ચેની અસમાનતા એ વર્ગ, જાતિ કે સમુદાયો વચ્ચેની અસમાનતા સાથે સંકળાયેલી છે અને એને એનાથી અલગ કરીને ન જોઈ શકાય. બળાત્કારની પાછળ સામાજિક અને આર્થિક કારણો પણ હોય છે. જેમ કે જમીન પરના હકની લડાઈમાં અને તે પણ ખાસ તો આદિવાસી અને દલિતો સામે, બળાત્કારનો શસ્ત્ર તરીકે ઉપયોગ થાય છે, જે કથુઆની ઘટનામાં બન્યું છે. આ વિસ્તારમાં જો ફૉરેસ્ટ રાઇટ્‌સ ઍક્ટ લાગુ થયો હોત, તો કદાચ એ નિર્દોષ બાળકીની હત્યા ન થઈ હોત. આ બાળકીને ખરા અર્થમાં ન્યાય ત્યારે મળે જ્યારે બકરવાલ લોકોને જંગલની જમીન પર હક મળે. નહીં તો સમાજને છેવાડે રહેતા ગરીબ અને અસહાય આદિવાસીઓ વારંવાર જુદી-જુદી રીતે હિંસાનો શિકાર બનતા રહેશે. આ ઉપરાંત, આજે સમાજમાં નફરત અને હિંસા ફેલાવનાર કોમવાદી તત્ત્વો જે સ્ત્રીઓ પરની હિંસાને વેગ અને સમર્થન આપે છે, એમને પણ આપણે ઉઘાડાં પાડવા પડશે. છેવટે તો હિંદુત્વ અને એની પિત્તૃસત્તાના પાયામાં જ આપણે પ્રહાર કરવો પડશે. જે પૂરેપુરી સ્ત્રીવિરોધી છે. અને સૌથી જરૂરી તો આ પિતૃસત્તાના સમર્થકોને રાજકીય સત્તા પર આવતાં આપણે, ખાસ તો સ્ત્રીઓએ, રોકવાના છે. મહાશ્વેતાદેવીની વાર્તાની નાયિકા દૌપડી જાતિ, વર્ગ અને સ્ત્રીના શોષણ સામેના પ્રતિકારનું પ્રતીક છે. એ રાજ્યની હિંસા સામે ઝૂકતી નથી, પરંતુ પોતાના બળાત્કારીઓને, અને એમની પાછળ રહેલી સામાજિક અને રાજકીય સત્તાને પડકારે છે અને પછાડે છે.

દૌપડીની લડાઈ એ આજે આપણી લડાઈ છે.  

E-mail : svati.joshi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2018; પૃ. 06-09

Loading

ભદ્રંભદ્રના વર્તમાન વારસદારો

હરેશ ધોળકિયા|Opinion - Opinion|16 May 2018

લ્યો! ફરી એક મંત્રી – અને આ વખતે તો મુખ્યમંત્રી – બોલ્યા કે ભારતમાં તો ઇન્ટરનેટ મહાભારતકાળમાં પણ હતું. સંજયે ધૃતરાષ્ટ્રને જે યુદ્ધવર્ણન કર્યું, તે પોતે ઇન્ટરનેટની મદદથી જોઈને કરેલું.

ફરી એક વાર આપણું મિથ્યાભિમાન પ્રદર્શિત થયું. સામાન્ય માણસ તો ઠીક છે, પણ આ તો કહેવાતા નેતા – મુખ્યમંત્રી દ્વારા પ્રગટ થયું.

ફરી એક વાર આપણે શા માટે પછાત છીએ અને શા માટે પછાત રહેતા આવ્યા છીએ, તેનું કારણ પ્રગટ થયું.

ભારતનો ઇતિહાસ ભવ્ય છે એમ કહવાય છે, પણ હકીકતે ભારતનો ઇતિહાસ મિથ્યાભિમાનથી છલકાય છે. હા, ઇતિહાસમાં કેટલાક ભવ્ય અને ઉત્તમ બનાવો બન્યા છે, પણ મહદ્‌ અંશે જોશું તો મિથ્યાભિમાનના બનાવો વધારે બન્યા દેખાય છે. સમગ્ર ઇતિહાસ બણગાં ફૂંકવાનો ઇતિહાસ છે.

ભારતે ઇન્ટરનેટની તો નહીં, એક પ્રાઇમસની પિન પણ શોધી નથી. આજે આપણે જે વસ્તુઓનો કે સગવડોનો ઉપયોગ કરીએ છીએ, તે બધી વસ્તુઓ આપણે જેને ધિક્કારીએ છીએ તે દુષ્ટ ભોગવાદી પશ્ચિમે શોધી છે. આપણે તો કેવળ દંભ અને મિથ્યાભિમાનની જ શોધ કરી છે.

દુઃખ લાગે છે ને વાંચવાનું ? પણ સત્ય છે. તપાસીએ.

આપણે અભિમાનથી કહીએ છીએ પહેલું વિમાન ભારતમાં શોધાયું છે – પુષ્પક વિમાન, રામાયણમાં. રામ તેમાં બેસી લંકાથી અયોધ્યા પાછા આવ્યા હતા. રામાયણમાં તેનો ઉલ્લેખ છે તે સાચું, પણ તે વાલ્મીકિની કલ્પના છે – સાહિત્યિક કલ્પના! હકીકતે કશું નથી શોધાયું. કદાચ સવાલ પૂછાય કે કેમ? તે તેનો જવાબ છે જો રામાયણ સમયમાં પુષ્પક વિમાન હતું, તો પછીના કોઈ જ સાહિત્યમાં પણ તેનો ઉલ્લેખ કેમ નથી? પછીના રાજાઓ પણ એવા જ જબરા હતા. મહાભારતનું રાજ્ય એટલું સમૃદ્ધ હતું કે તે પુષ્પક વિમાન રાખી શકતું હતું. કેમ નથી તેમાં ? કારણ કે તે કલ્પનામાં જ ન હતું. વાસ્તવમાં ન હતું. વાસ્તવમાં એક વાર જે વસ્તુ તૈયાર થાય, તેની નકલ પછી સતત થાય. તેમાં પણ સગવડની નકલ તો થાય જ. જો રામ કે રાવણ જેવા રાજા પુષ્પક વિમાન રાખી શકતા હતા, તો પછીના રાજા કાં ન રાખી શકે? રામાયણને બાદ કરતાં કોઈ જ સંસ્કૃત – સાહિત્યમાં ક્યાં ય વિમાનનો ઉલ્લેખ નથી. તે હોવાનો કોઈ જ નક્કર પુરાવો નથી. અરે, વાલ્મીકિએ કલ્પના કરી તો પણ પછી કોઈએ તેને બનાવવાનો પુરુષાર્થ કર્યો હોય તેવું નથી દેખાતું. આ કહેવાતું ગૌરવ પણ મિથ્યાભિમાન જ છે!

તો બ્રહ્માસ્ત્ર કે વાયવાસ્ત્ર કે અન્ય બાણો? એ પણ કેવળ કલ્પના છે. જો એ હતાં તો પછીના કાળમાં તેનો ઉપયોગ કેમ નથી દેખાતો? રામાયણ કે મહાભારત તો માની લઈએ કે કાલ્પનિક છે, પણ જ્યારથી ઇતિહાસ લખાવો શરૂ થયો ત્યાર પછી ક્યાં ય આ બધાંનો ઉલ્લેખ કેમ નથી? એક શોધ થાય તે પછી સતત ઉપયોગમાં લેવાતી હોય છે. રથ શોધાયો તો પછી હજારો વર્ષો સુધી રથ રહ્યો છે – આજ સુધી. તો પુષ્પક વિમાન કે આ બાણો કેમ ન રહ્યાં ? કારણ કે તે હતાં જ નહીં!

ભારત શોધ બાબતમાં તદ્‌ન પછાત હતું અને આજે પણ છે.

ભારતમાં જો આવાં અદ્‌ભુત શસ્ત્રો હતાં, તો ભારત સદીઓ સુધી કેમ વિદેશી આક્રમણોમાં સતત હારતું રહ્યું? હકીકતે તે શસ્ત્રો બાબતમાં તદ્દન પછાત હતું – છેક ૧૯૬૨ સુધી. જેને આપણે ગાળો આપીએ છીએ તે બાબર કેમ જીત્યો? અને બહાદુર રાણા વિક્રમ સંગ કેમ હાર્યો? કારણ માત્ર શસ્ત્રો! રાણા સંગ હાથી પર બેસી તલવારથી લડતો હતો અને બાબર ઘોડા પર બેસી તોપથી લડતો હતો. બોલો, કોણ જીતે? મહાન રાણા સંગ! નાનો, લબરમૂછિયો બાબર જ. અને મિથ્યાભિમાન પણ કેવું કે બાબરની તોપની મદદથી જીત જોયા પછી પણ પછીના કોઈ રાજાએ તોપનો ઉપયોગ ન કર્યો. હાથી પર જ અને તલવારથી જ લડતા રહ્યા. છેક શિવાજીને તોપનો ઉપયોગ કરવાનો પહેલો વિચાર આવ્યો અને તાનાજી આંગ્રેની સરદારી હેઠળ એક તેની ટુકડી બનાવી. પણ તેમના પછી પાછા બધા હાથી પર જ આવી ગયા, અને તલવાર પર! ખુદ ૧૮૫૭માં પણ ઝાંસી રાણી લક્ષ્મીબાઈ પણ તલવારથી જ લડી. તોપ સામે જીતે?

માત્ર શસ્ત્રોમાં જ નહીં, બીજી પણ કોઈ બાબતોમાં શોધો નથી થઈ ભારતમાં. જે જે સગવડો આવતી હતી, તે બધી કોઈ વિદેશી આક્રમણ પછી ભારતમાં વસી ગયેલ વિદેશીઓ દ્વારા આવી હતી. આધુનિક શોધો બધી બ્રિટિશરોએ આપી છે. અત્યારની બધી શોધો અમેરિકા કે યુરોપના વિજ્ઞાનીઓની શોધો છે. ભારતની તો એક શોધ છે – મિથ્યાભિમાન!

સમગ્ર ઇતિહાસ વાંચી જાવ, મેં વાંચ્યો છે, તો કોઈ જ શોધ નથી. હા, પ્રાચીન જમાનામાં શૂન્યની શોધ કે આઠમી સદીમાં થોડી ગણિતની કે ખગોળની શોધો કે આધુનિક સમયમાં કોઈ સી.વી. રામન કે રામાનુજમ્‌ કે ચંદ્રશેખર જેવા ભૂલા પડ્યા છે. પણ આ બધાએ પણ પશ્ચિમમાં જઈ શોધો કરી છે. પશ્ચિમે તેમને ઉતેજન આપ્યું છે. વિક્રમ સારાભાઈ કે ભાભા પણ પશ્ચિમમાં ભણ્યા, માટે જિજ્ઞાસુ થયા. અને તેમને જવાહરલાલ નેહરુએ પ્રોત્સાહન આપ્યું. કારણ કે તે પણ પશ્ચિમમાં ભણ્યા હતા. આધુનિક ભારતમાં જે પણ વિજ્ઞાનની સંસ્થાઓ છે, તે બધી નેહરુએ શરૂ કરેલ છે. ત્યાર પછી કોઈ બની દેખાય છે ? આજે જે પણ શોધો થાય છે, સિદ્ધિઓ દેખાય છે, ઇસરો વગેરે દ્વારા, તે બધી નેહરુની ભેટ છે – જેમને આજે મિથ્યાભિમાનીઓ દ્વારા ગાળો આપવામાં આવે છે. આજે પણ જેમને સંશોધન કરવું છે, તે બધાને અમેરિકા જવું પડે છે કે જર્મની જવું પડે છે. ભારતમાં તો જે આગળ વધે તેને ઉતારી પાડવાનો મોટો રાષ્ટ્રીય ધંધો ચાલે છે. આવા વાતાવરણમાં સંશોધન કેમ થાય? કોઈ રડ્યાખડ્યા કરી જાય છે તે જાદુ માની શકાય.

ભૂતકાળમાં કોઈ રાજા જયસિંહ જેવાને બાદ કરતાં કોઈ જ રાજાએ સંશોધનને પ્રોત્સાહન નથી આપ્યું. રાજાઓનો લગભગ સમય વિલાસમાં કે લડવામાં જતો હતો. અને કેમ આટલા બધા વિદેશીઓ જીતી શકતા હતા? કહેવાતા મહાન રાજપૂત યુગમાં એક પણ રાજા સંગઠિત ન હતા. બધા અંદરોઅંદર ઝઘડતા હતા. તેનો જ લાભ વિદેશી રાજાઓ લેતા હતા. ચાણક્યને કોણે મદદ કરી? તે એકલા જ લડ્યા – ચંદ્રગુપ્તની મદદથી. સિકંદર સામે પોરસને કોણે મદદ કરી? કોઈએ નહીં. કદાચ તેની મશ્કરી કરી હશે. બાબર તો લડીને ચાલ્યો જતો હતો, પણ તેને કોણે દિલ્હીની ગાદી પર બેસી જવા કહ્યું? ભારતીય હિંદુ રાજાઓએ! તેમને બીક હતી કે બાબર જશે પછી ફરી ઇબ્રાહીમ લોદી ગાદીએ બેસી જશે. તેમનામાં આંતરિક તાકાત ન હતી કે તેને અટકાવી શકે અને પોતે બેસી જાય. સંગઠિત તો હતા જ નહીં, માટે બાબરને જ કહી દીધું. અને પાછો બાબર ખરાબ!

અરે! સ્વાતંત્ર્યસંગ્રામ પણ કોણે શરૂ કર્યો? કૉંગ્રેસ કોણે સ્થાપી? અંગ્રેજે! અને કૉંગ્રેસ ટિળક કે ગાંધી દ્વારા બરાબર લડતી હતી, ત્યારે કોણ તેને નડતું હતું? આપણા જ લોકો! ધાર્મિકો, ઝીણા, સામ્યવાદીઓ, આ બધા આપણા જ હતા. તે સંગ્રામમાં રોડાં નાખતા હતા. અને આજે તેઓ જાણે પોતે લડ્યા હોય તેમ બણગાં ફૂંકે છે. ત્યારે લડેલા આજે દેશદ્રોહીઓ કહેવાય છે!

આજે પણ સંશોધન બાબતે આપણે કંઈ બહુ આગળ નથી. યુનિવર્સિટીઓમાં કામ કરનારા લાખો રૂપિયા પગાર લે છે, જે તેમને સંશોધન કરવા માટે મળે છે. પણ કરે છે? ભારતની કોઈ જ યુનિવર્સિટી વિશ્વમાં બસોમા નંબરે પણ નથી આવતી. કેમ? મિથ્યાભિમાન! સંશોધનોના લાભ લેવામાં પહેલા નંબરે, પણ કરવામાં છેલ્લા નંબરે! અને કેવું અદ્‌ભુત મિથ્યાભિમાન!

પશ્ચિમમાં જે પણ શોધ થાય કે તરત આપણે શોધી કાઢીએ કે આ શોધ તો વેદમાં થઈ ગઈ છે. પુરાણોમાં થઈ ગઈ છે. અને ઉતારી પાડીએ તેમને. આ જ આપણો મુખ્ય ધંધો છે. ‘હું કરું નહીં અને તને યશ આપું નહીં’ – આ આપણો રાષ્ટ્રીય શોખ! આપણા રાજાઓએ વિરાટ મંદિરો બંધાવ્યાં છે, પણ એકાદ પણ પ્રયોગશાળા બનાવી હતી? આપણા જૂના રાજાઓ લડવા જતા હતા, ત્યારે લૂંટો કરી આવતા, પણ સૈન્યમાં કોઈ સંશોધક રાખતા હતા? નેપોલિયને ઇજિપ્તમાં ચડાઈ કરી, ત્યારે તેના સૈન્યમાં દોઢસો સંશોધકો હતા. જ્યારે નેપોલિયન લડતો હતો, ત્યારે આ સંશોધકો ઇજિપ્ત બાબતે સંશોધન કરતા હતા, જે પાછળથી ‘ઇજિપ્તોલૉજી’ નામે શાસ્ત્ર બની ગયું. સમગ્ર ભારતનો પ્રમાણભૂત નકશો કે ભારતની જમીનની ઇંચેઇંચની માપણી અંગ્રેજોએ કરી. આપણા કોઈ રાજાએ કરી? પુરાતત્ત્વ શાસ્ત્રનું સંશોધન અંગ્રેજોએ કર્યું – મોહન જો ડેરો સહિત – કોઈ ભારતીયે કર્યું? આજે પણ ભારત વિશે ગાઢ સંશોધનો પશ્ચિમમાં થાય છે. આયુર્વેદનું સંશોધન જર્મનીનું શ્રેષ્ઠ ગણાય છે.

પરિણામે આપણે હજારો વર્ષ સુધી પછાત રહ્યા. આજે પણ આપણાં શહેરો કે ગામડાં જુઓ. છે આધુનિક? રસ્તા પણ બરાબર નથી. લોકો પાસે કામ નથી. હજારો યોજનાઓ અને બણગાં પછી પણ બધો જ વહીવટ પછાત છે. કેમ ?

આપણે તો આજે પણ ભદ્રંભદ્ર જ છીએ, જે કૂવામાંનાં દેડકાં જેમ ભૂતકાળનું પૂંછડું પકડીને બેઠા છીએ અને વારંવાર મિથ્યાભિમાનની બિલાડી જેવી ગર્જનાઓ કરીએ છીએ. આપણા ગુજરાતી સાહિત્યમાં ભદ્રંભદ્ર, મિયાં ફૂસકી અને જીવરામ ભટ્ટ આ ત્રણ પાત્રો મિથ્યાભિમાનનાં પ્રતીકો ગણાય છે.

આજે એ ત્રણે ચારે બાજુ દેખાય છે.

નવી પેઢી આ નેતાઓ કે મિથ્યાભિમાનીઓનાં ભ્રમણાત્મક વિધાનોને વખોડી સંશોધન કરવા તરફ જવાનું છે. નહીં તો આપણો દેશ હંમેશ બસોમો, ત્રણસોમો કે ચારસોમો જ રહેશે. કદાચ પાછળ જતો જશે.

હાથ મૂછ પર ફેરવવાને બદલે તેની મદદથી પ્રયોગશાળામાં કામ કરવાનું છે!

ભૂજ-કચ્છ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2018; પૃ. 13-14

Loading

...102030...3,1003,1013,1023,103...3,1103,1203,130...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved