Opinion Magazine
Number of visits: 9686183
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ન્યાયપ્રક્રિયાના જીવંત પ્રસારણ સામે કોઈ વાંધો ન હોય શકે, પરંતુ એ પહેલાં ન્યાયતંત્રના જીવનની તો બાંયધરી આપવામાં આવે?

રમેશ ઓઝા|Opinion - Opinion|12 July 2018

સર્વોચ્ચ અદાલતે સોમવારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં કહ્યું છે કે જો અદાલતના કામકાજનું લાઈવ ટેલિકાસ્ટિંગ કરવામાં આવે તો અદાલતને તેની સામે વાંધો નથી. સર્વોચ્ચ અદાલતના સિનિયર ધારાશાસ્ત્રી ઇન્દિરા જયસિંહે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરીને માગણી કરી હતી કે નાગરિકો માહિતીનો અધિકાર ધરાવે છે એટલે બંધારણીય અને બીજા રાષ્ટ્રીય હિતના કેસોમાં અદાલતોમાં શું બની રહ્યું છે, એની લોકોને માહિતી મળવી જોઈએ. અરજી કરનારાં ઇન્દિરા જયસિંહે ભારતના સમગ્ર નાગરિકજનોને સ્પર્શે એવા બંધારણીય અને રાષ્ટ્રીય મહત્ત્વના કેસોમાં લાઈવ ટેલિકાસ્ટિંગની માગણી કરી હતી, પરંતુ સર્વોચ્ચ અદાલતે હજુ આગળ વધીને દેશની તમામ અદાલતોમાં તમામ કેસોની સુનાવણીનું જીવંત પ્રસારણ કરવામાં આવે, તો તેની સામે સર્વોચ્ચ અદાલતને વાંધો નથી એમ કહ્યું છે. જગતના અનેક દેશોમાં અદાલતખંડોમાંની કારવાઈનું લાઈવ ટેલિકાસ્ટિંગ કરવામાં આવે છે.

દેશના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ.એમ. ખાનવિલકર અને ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે તો આ બાબતે ખૂબ ઉત્સાહ બતાવ્યો છે અને કેન્દ્ર સરકારે પણ તેમાં સંમતિ આપી છે. કેન્દ્ર સરકારના એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કહ્યું હતું કે લોકસભા અને રાજ્યસભાની માફક અદાલતો માટેની એક અલાયદી ચેનલ હોઈ શકે. મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ કહ્યું હતું કે જો એમ બનશે તો વાદી કે પ્રતિવાદીને પોતાના ખટલામાં શું ચાલી રહ્યું છે, વકીલ કેવી દલીલ કરી રહ્યો છે, સામેના પક્ષે શું દલીલો કરી છે કે વાંધા ઉઠાવ્યા છે એની ઘરે બેઠા જાણ થઈ શકે. કોઈ માણસ કેરળમાં રહેતો હોય અને મહત્ત્વનો કેસ સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહ્યો હોય તો વાદી કે પ્રતિવાદીએ પોતાના ખર્ચે એક દિવસ માટે લાંબો પ્રવાસ કરવો પડે છે. ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડે કહ્યું હતું કે આનાથી ન્યાયતંત્રની પારદર્શકતામાં વધારો થશે અને તેની શ્રદ્ધેયતામાં વધારો થશે.

સર્વોચ્ચ અદાલતે લાઈવ ટેલિકાસ્ટિંગ માટેની તૈયારી બતાવી એ પછીથી ત્રણેય જજો, એટર્ની જનરલ અને અરજદાર વચ્ચે લાઈવ ટેલિકાસ્ટિંગના ફાયદા બતાવવાની હોડ શરૂ થઈ હતી. ન્યાયતંત્ર લોકોના દરવાજે પહોંચશે, કાયદાશાસ્ત્રના વિદ્યાર્થીઓને અને તેમ જ વકીલોને શીખવા મળશે, વકીલોની અદાલતમાં વર્તણૂક સુધરશે, તારીખ માગવાની મનોવૃત્તિ પર અંકુશ આવશે, વગેરે વગેરે. આપણે ત્યાં વાદી-પ્રતિવાદી એક ભૂમિકાએ આવે અને એમાં અદાલત સંમતિ આપે પછી તો પૂછવું જ શું! અદાલત ખંડમાં વાતાવરણ એવું હતું કે સ્વર્ગ બસ બાથમાં લઈ લો એટલું ઢૂંકડુ હોય.

અદાલતોની કારવાઈનું જીવંત પ્રસારણ થવું જ જોઈએ એમાં કોઈ શંકા નથી, પરંતુ યોજના વ્યવહારુ હોવી જોઈએ અને એના પહેલાં અન્ય પ્રાથમિકતાઓ મોઢું ફાડીને ઊભી છે એનું શું? બે વરસ પહેલાં એ સમયના મુખ્ય ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુરે વડા પ્રધાનની હાજરીમાં અક્ષરસઃ રડતાં રડતાં કહ્યું હતું કે અદાલતો પર ખૂબ બોજો છે, હવે દેશનું ન્યાયતંત્ર તૂટી પડવાની સ્થિતિમાં છે, લોકો ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ગુમાવી રહ્યા છે, ત્યારે મહેરબાની કરીને તેને ઉગારો. શા માટે મુખ્ય ન્યાયમૂર્તિએ ડુસકાં ભરતાં ભરતાં વડા પ્રધાનને વિનંતી કરી હતી? કારણ કે વધુ અદાલતો સ્થાપવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની, જજોની સંખ્યા વધારવાની, જજોની નિમણૂક કરવાની જવાબદારી અને અધિકાર બન્ને સરકારના છે. મુખ્ય ન્યાયમૂર્તિ રડવા સિવાય બીજું કાંઈ કરી શકે એમ નથી. બરાબર બે વરસ પહેલાં ૧૧મી જુલાઈએ બનેલી એ ઘટનાનો વીડિયો યુ ટ્યુબ પર જોઈ લો. વડા પ્રધાને ન્યાયતંત્ર પરના સંકટની નોંધ પણ નહોતી લીધી, ઈલાજ તો દૂરની વાત છે. સરકાર(પછી એ કોઈ પણ પક્ષની હોય)ને રસ જ નથી કે ન્યાયતંત્ર મજબૂત બને. જો ન્યાયતંત્ર મજબૂત બને તો જેલના દરવાજા તેમના માટે ખૂલી જાય.

અત્યારે દેશમાં સર્વોચ્ચ અદાલત, વડી અદાલતો અને નીચલી અદાલતો મળીને અદાલતોની કુલ સંખ્યા ૧૬,૪૩૮ છે અને જરૂરિયાત મુખ્ય ન્યાયમૂર્તિ ટી.સેસ. ઠાકુરે રડતાં રડતાં વડા પ્રધાનને કહ્યું હતું એમ ૬૫,૦૦૦થી ૭૦,૦૦૦ જજોની અર્થાત્‌ અદાલતોની છે. એક તો જરૂરિયાત કરતાં ચોથા ભાગની અદાલતો છે અને તેમાં સરેરાશ ત્રીસ ટકા જગ્યાઓ ખાલી છે, જે જાણીબૂજીને ભરવામાં આવતી નથી. મારું એક સૂચન છે: દેશના ન્યાયતંત્રની અવસ્થા વિષે સર્વોચ્ચ અદાલતમાં મુક્ત સુનાવણી કરવામાં આવે અને તેનું લાઈવ ટેલિકાસ્ટિંગ કરવામાં આવે. પછી જો જો કોણ કેટલા પાણીમાં છે. ન્યાયતંત્રને લકવાગ્રસ્ત રાખવામાં એકલા શાસકોને જ રસ છે એવું નથી, નામીચા વકીલોને અને નામીચા વકીલોને વરસે દા’ડે પચાસ લાખ કે કરોડ કરોડ રૂપિયા પહોંચાડી દેતા ઉદ્યોગપતિઓને પણ રસ છે. નામીચા વકીલોને પેનલ પર રાખવાના કે જેથી જાહેરહિતની લડાઈ લડનારાઓની તેઓ બ્રીફ ન લે. વરસે દા’ડે કરોડ રૂપિયા તેમના માટે કૂતરાને રોટલો નીરવા જેવું છે.

સોમવારે સર્વોચ્ચ અદાલતમાં એકબીજાને ટાપશી પૂરતી ધાણી ફૂટતી હતી ત્યારે તેમને આ વરવી વાસ્તવિકતા યાદ નહોતી? દેશનો મુખ્ય ન્યાયમૂર્તિ વડા પ્રધાન સામે હાથ જોડીને રડતો હોય અને વડો પ્રધાન એની નોંધ પણ ન લે એ દ્રશ્ય ભૂલી કેમ શકાય? ઘણીવાર તો એમ થાય કે આ બધું પ્રજાને ગેલમાં રાખવાનાં સહિયારાં કાવતરાં છે જે રીતે બુલેટ ટ્રેન છે. લોકલ ટ્રેન એક વરસાદ ઝીલી નથી શકતી, ત્યાં બુલેટ ટ્રેનનાં સપનાં બતાવવામાં આવે છે.

સોમનાથ ચેટરજી જ્યારે લોકસભાના સ્પીકર હતા, ત્યારે તેમણે સંસદની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવે એવી દરખાસ્ત મૂકી હતી. લોકતંત્ર લોકોને ઓટલે પહોંચે એવું કહેવામાં આવ્યું હતું. પારદર્શકતા એ બીજી દલીલ હતી. લોકો જોતા હશે તો સંસદસભ્યો સખણા રહેશે અને સંસદના કામકાજની ગુણવત્તામાં સુધારો થશે એ ત્રીજી દલીલ હતી. આજે દસ વરસે પરિણામ તમારી સામે છે. સંસદનું લાઈવ ટેલિકાસ્ટિંગ નહોતું થતું ત્યારે સંસદ જેટલી ચાલતી હતી એના કરતાં આજ ઓછી ચાલે છે. બેશરમ લોકો પાસેથી શરમની અપેક્ષા રાખવી એ બેવકૂફી છે. જેટલા બેશરમ રાજકારણીઓ છે એટલા જ બેશરમ વકીલો અને નીચલી અદાલતોમાં જજો છે. રૂપિયા મળતા હોય તો આબરૂ ગઈ ભાડમાં. કેટલીક ટી.વી. ચેનલો પર બેશરમ તમાશા રોજેરોજ લાઇવ ચાલે છે તો એમાં કોઈને શરમાતો જોયો?

મુખ્ય પ્રશ્ન છે ન્યાયતંત્રને ઉગારી લેવાની જે અત્યારે મરણપથારીએ છે. હા, મરણપથારીએ પડેલા મરતા માણસનું જીવંત પ્રસારણ કરવું હોય તો વાત જુદી છે. જીવંત પ્રસારણ સામે કોઈ વાંધો ન હોય શકે, પરંતુ એ પહેલાં ન્યાયતંત્રના જીવનની તો બાંયધરી આપવામાં આવે? અહીં એક દ્રશ્યની કલ્પના કરું છુ જે વાસ્તવ બનવાનું છે. ધારી લો કે તમારો કોઈ કેસ અદાલતમાં પડ્યો છે. સુનાવણીની આજની તારીખ છે અને બોર્ડ પર કેસ ૧૨ વાગે મુકવામાં આવ્યો છે. તમે ટીવી ચેનલ સામે બેઠા છો, પણ તમારા કેસનો વારો આવે એ પહેલા લંચ બ્રેક આવે છે. લંચ પછી તમે પાછા તમારા કેસમાં શું થાય એ જોવા ટી.વી. ચેનલ સામે બેસી જશો. સાંજ સુધી તમે બેસી રહેશો પણ કેસમાં સુનાવણી નહીં થાય અને છેવટે જજ સાંજે પાંચ વાગે નહીં સાંભળી શકાયેલા કેસોને બીજી તારીખ આપશે. તમે સમય વેડફ્યો કે ઘરને આંગણે આવેલા ન્યાયતંત્ર માટે ગર્વ અનુભવ્યો?

રાષ્ટ્રીય હિતની પ્રાથમિકતાઓ લોકોને કેમ નથી સમજાતી એ જ મને નથી સમજાતું!

સૌજન્ય : 'કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 12 જુલાઈ 2018

Loading

દિમાગના અગડમ-બગડમ આદેશને અવગણીને એ પળને વીતી જવા દો

તરુ કજારિયા|Opinion - Opinion|11 July 2018

શક્ય છે કોઈ ભયાનક વાવાઝોડું ઝાઝું નુકસાન કર્યા વગર પસાર થઈ જાય

છેલ્લા થોડા સમયથી આત્મહત્યાના બનાવો જેટલી સંખ્યામાં અને જે ઝડપે બની રહ્યા છે એ ધ્રુજાવી દે એવા છે. લગભગ દરરોજ આવા એક-બે સમાચાર તો વાંચવા-સાંભળવા મળે જ મળે. વૉટ્સઍપ અને ફેસબુક પર આત્મહત્યાના લાઇવ રેકૉર્ડિંગ ફરતાં રહે છે! નવમા ધોરણની છોકરીને બહુમાળી ઇમારતના આઠમા માળેથી પડતું મૂકતાં જોઈને ગમે તેવા પથ્થરદિલ ઇન્સાનનું પણ હૃદય ધબકારો ચૂકી ગયું હશે. આ બધામાં નવી દિલ્હીના એક પરિવારના અગિયાર સભ્યોની આત્મહત્યાના સમાચાર તો સાક્ષાત્‌ કોઈ હૉરર ફિલ્મ! અને હા, આ સંખ્યામાં પેલા દેવાના બોજ હેઠળ દબાઈ ગયેલા ગરીબ ખેડૂતની આત્મહત્યાનો આંકડો સમાવિષ્ટ નથી!

આજકાલ થતી આત્મહત્યાઓ વિશે કોઈ સંશોધન કરે તો એક વાત ચોક્કસ નોંધે કે એમાંના મોટા ભાગના લોકોને નજીકથી જાણનારા પણ તેમની આત્મહત્યાનું કારણ કળી શકતા નથી, કેમ કે તેઓની જિંદગીમાંથી તેમને ક્યારે ય પણ આ વ્યક્તિ આવું પગલું ભરે એવો કોઈ જ અણસાર મળ્યો ન હોય. તાજેતરમાં જે કેટલીક વ્યક્તિઓએ આવાં પગલાં ભર્યાં છે તેમની જિંદગીમાં દેખીતી કોઈ જ કમી નથી લાગતી. ભૌતિક દૃષ્ટિએ ખાસ્સી સુખી એવી પોતાની જિંદગી માણતા હોય અને અચાનક જાન આપી બેસે એ વાત ગળે ઊતરે એવી નથી લાગતી. કાંદિવલીની એ વિદ્યાર્થિની ભણવામાં અને અન્ય પ્રવૃત્તિઓમાં પણ હોશિયાર હતી. તેની સ્કૂલમાં બેસ્ટ સ્ટુડન્ટનું બિરુદ તેણે મેળવ્યું હતું અને તેણે એ ઘાતક પગલું ભર્યું એ દિવસે તે સ્કૂલમાં જે ટીચર્સ કે સ્ટુડન્ટ્સને મળી હતી એ સૌને તે એકદમ મજામાં જ લાગેલી! દિલ્હીના પરિવારની વાત કરીએ તો તેમની સામૂહિક આત્મહત્યાના માત્ર પંદર દિવસ પહેલાં એ પરિવારની એક દીકરીની સગાઈ થઈ હતી. એ સગાઈના ફંક્શનમાં પરિવારજનો, ઘરનાં કિશોર-કિશોરીઓ વગેરે મન ભરીને મહાલ્યાં હતાં! ટૂંકમાં જ તેનાં લગ્ન પણ હતાં. હવે આવા માહોલમાં રહેતા સુખી પરિવારના સભ્યો આમ જાન દઈ દે?

થોડા સમય પહેલાં મુંબઈમાં પોતાનું છ માળનું મકાન ધરાવતા પિસ્તાલીસ વર્ષના એક વેપારીએ બપોરે પોતાને ગોળી મારીને જીવન ટૂંકાવી દીધું. ના, તેને પણ કોઈ આર્થિક ટેન્શન નહોતું. પરંતુ હા, તે ડિપ્રેશનમાં હતો. આ ડિપ્રેશન પણ અનેક વ્યક્તિને છેલ્લે પાટલે પહોંચાડી દે છે અને જીવવા માટે કોઈ જ કારણ નથી બચ્યું એવી ખાતરી કરાવી દે છે. પરંતુ જેની જિંદગીમાં કોઈ જ કમી ન હોય તેને ડિપ્રેશન આવે? આ સવાલ સામાન્યપણે થાય. ઘણાં સંશોધનો અને કેટલીક જાણીતી વ્યક્તિઓનાં આ વિશેનાં મંતવ્યો અનુસાર આ સવાલનો જવાબ છે, હા! દીપિકા પાદુકોણે હમણાં જ એક મુલાકાતમાં આ ખુલાસો કર્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે દીપિકા એક અત્યંત સફળ અને સિદ્ધિવંત અભિનેત્રી છે. તેણે કહ્યું હતું કે ‘૨૦૧૪માં જ્યારે મને ડિપ્રેશન આવ્યું ત્યારે મારી કારર્કિદી અત્યંત સફળ અને સુંદર મુકામ પર હતી. હું કલ્પના કરું એ બધું જ મારી પાસે હતું અને છતાં હું ડિપ્રેસ્ડ હતી! ડિપ્રેશન અચાનક મારી જિંદગીનો ભાગ બની ગયું હતું!’

બહુ કડવી લાગે એવી આ વાત છે પણ એ હકીકત છે. હિન્દી ફિલ્મોના જાણીતા અને પ્રતિભાશાળી અભિનેતા જેમણે હૉલીવુડમાં પણ પોતાની અભિનયકલા અજમાવી છે એ અનુપમ ખેરને હમણાં જ આઇફાનો લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ મળ્યો. તેઓ અભિનેતા ઉપરાંત લેખક અને લાઇફકોચ પણ છે. જિંદગી જીવવાના પાઠ શીખવતી કાર્યશાળાઓ અને સેમિનાર્સ પણ યોજે છે. તેમણે કહ્યું કે બે વર્ષ પહેલાં હું ડિપ્રેશનમાં હતો! એ સાંભળીને તેમની મુલાકાત લેનાર અનુભવી પત્રકાર પણ સ્તબ્ધ થઈ ગયો હતો. તેમની વાતનો સૂર પણ લગભગ દીપિકા જેવો જ છે. હકીકતમાં અનુપમ ખેર જ્યારે સાઇકિયાટ્રિસ્ટને કન્સલ્ટ કરવા ગયા ત્યારે લાઇફકોચ તરીકે પોતે લખેલું મોટિવેશનલ પુસ્તક ‘ધ બેસ્ટ થિંગ અબાઉટ યુ ઇઝ યુ’ લઈને ગયા હતા! આવી વ્યક્તિ પણ ડિપ્રેશનમાં હોઈ શકે એની નવાઈ મારા-તમારા જેવા માણસને થાય, પણ પેલા સાઇકિયાટ્રિસ્ટને અનુપમ ખેરનું નિદાન કરવામાં સમય નહોતો લાગ્યો અને તેમને સારવાર આપવાનું શરૂ કરી દીધું હતું.

આજે દુનિયામાં થતી મોટા ભાગની આત્મહત્યાઓ માટે ડિપ્રેશન જવાબદાર હોવાનું માનવામાં આવે છે. અને ડિપ્રેસ્ડ વ્યક્તિઓમાં સુસાઇડલ ટેન્ડન્સિસ જોવા મળતી હોય છે અને એટલે જ ડિપ્રેશન વિશેની વધતી જાગૃતિ એક વાત પર અચૂક ભાર મૂકે છે કે ડિપ્રેસ્ડ વ્યક્તિઓને શક્ય હોય ત્યાં સુધી એકલી ન મૂકવી. તેમની સાથે સંવાદનો સેતુ અકબંધ રાખવો. તેમની સાથે દલીલ કરવાને બદલે તેમને શાંતિથી અને સહાનુભૂતિથી સાંભળવી. બહુ શક્ય છે કે આવા સંવાદ અને સાથના સહારે તેઓ તેમના પર સવાર થઈ જતા સુસાઇડલ વિચારોના હવાલે થતા બચી જાય. અને એક વાર એ નબળી પળ પાર થઈ જાય તો તેમના અપમૃત્યુની આપત્તિ ટળી જાય.

દિલ્હીના ભાટિયા પરિવારની સામૂહિક આત્મહત્યા પાછળ દેખીતી રીતે આ ડિપ્રેશનનો હાથ નહોતો, પરંતુ કોઈ વિચિત્ર માનસિક પરિસ્થિતિ તો ચોક્કસ હતી એવું તપાસમાં તેમના ઘરના મંદિરમાંથી મળી આવેલી ડાયરીમાં લખેલી વિગતો જોતાં જણાય છે. ઘરની તમામ વ્યક્તિઓ જે હાલતમાં મળી આવી છે એ પેલી ડાયરીમાં લખેલી સૂચના પ્રમાણે જ છે. પરિવારે કોઈ ગૂઢ તંત્ર કે ગુરુની સૂચના અનુસાર આ પગલું ભર્યું હોવાનું લાગે છે. હવે વિચાર કરો કે એક સુખી પરિવાર, જેના ઘરમાં થોડા જ સમયમાં દીકરીનાં લગ્નનો માંડવો નખાવાનો છે એ આ રીતે સાગમટે પોતાની જાતને મોતને હવાલે કરી દેવાનો નિર્ણય લે એ ઘટના શું તેમની માનસિક સ્થિતિ વિશે સવાલો નથી ઊભા કરતી? ચોક્કસ કરે છે. બુદ્ધિપૂર્વક સમજી કે સમજાવી ન શકાય એવું કોઈ તર્કવિહીન અને પોતાની જાતને જોખમમાં મૂકી દેતું એવું વર્તન કોઈ વ્યક્તિ નૉર્મલ માનસિક સ્થિતિમાં તો ન જ લઈ શકે. કોઈ ધર્મગુરુ કે તાંત્રિકના પ્રભાવમાં કે સ્વપ્નમાં આવેલી વ્યક્તિની સૂચનાથી કોઈ પરિવારના તમામ સભ્યો મોતને ગળે વળગાડી દે એ પગલું લેનાર કોઈ પણ હોય, કમ સે કમ એ વખતે તેઓ પોતાની નૉર્મલ માનસિક સ્થિતિમાં હોય એમ લાગતું નથી. આમ આત્મહત્યા તરફ લઈ જતી દરેક શારીરિક ક્રિયા આખરે તો એ પળના ઍબ્નૉર્મલ માનસિક સ્ટેટસનું અને એના આદેશનું પરિણામ છે. એ કટોકટીની પળ વીતી જાય તો કદાચ વ્યક્તિ આવું ભયંકર પગલું લેતાં બચી જાય.

આ લેખનો આશય એ જ છે કે ક્યારે ય લાગે કે આપણું દિમાગ આપણને આ પ્રકારના કોઈ અગડમ-બગડમ આદેશ આપવા માંડ્યું છે તો ચેતી જવું. થોડા ધીમા પડી જવું અને એ પળને વીતી જવા દેવી. શક્ય છે કોઈ ભયાનક વાવાઝોડું ઝાઝું નુકસાન કર્યા વગર પસાર થઈ જાય.

સૌજન્ય : ‘સોશ્યલ સાયન્સ’, “ગુજરાતી મિડ-ડે”, 10 જુલાઈ 2018

Loading

જેમાં દાવ લગાડવામાં આવે અને હાર-જીત થાય એ જુગાર એ વ્યાખ્યા અધૂરી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|11 July 2018

જેમ ભવિષ્યના ભયથી ભાગવું એ માનવસહજ વૃત્તિ છે, તો ભવિષ્ય પર દાવ લગાવવો એ પણ માનવસહજ વૃત્તિ છે. એક માણસ ધાર્મિક અને આધ્યાત્મિક તરીકે સમાજમાં શોભા પામે અને બીજો જુગારી તરીકે ઓળખાય એ અન્યાય નથી?

હવે પછી શું થશે કે શું પરિણામ આવી શકે છે એનું અનુમાન કરવાની કે જાણી લેવાની ઉત્કંઠા માનવસહજ છે. એ એટલી જૂની વૃત્તિ છે જેટલો આદિમ માનવ છે. ખરું પૂછો તો જગતનો વિકાસ જ છણાવટો, અનુમાનો અને પરિણામલક્ષી જોખમો થકી થયો છે. એટલે તો જોખમ ખેડ્યું હતું એમ કહેવા માટે ‘દાવ લગાડ્યો હતો’ કે ‘જુગાર ખેલ્યો હતો’ એમ પણ કહેવામાં  આવે છે. માણસ જ્યારે પ્રાપ્ત હકીકતોની છણાવટ કરીને અને અનુમાનો બાંધીને દાવ લગાડે ત્યારે તેને તેમાં સફળતા મળે જ એવું નથી, પરંતુ એ સિવાય બીજો વિકલ્પ પણ નથી હોતો. સુખનો રસ્તો આ માર્ગે જાય છે. વર્તમાન એક પ્રગટ વાસ્તવિકતા છે, પરંતુ વર્તમાન એક ક્ષણમાં જતો રહેવાનો અને સમયના ગર્ભમાં રહેલા અપ્રગટ ભવિષ્યમાં આપણે જીવવાનું છે, એ બીજી વાસ્તવિકતા છે, સિવાય કે આ ક્ષણે જ મૃત્યુ આવે. હું આવતીકાલે હયાત હોવાનો એ ભરોસે માણસ જિંદગી જીવે છે અને માટે પ્રયત્નો કરે છે.

બીજી વૃત્તિ છે પ્રાપ્ત હકીકતોની કોઇ પણ પ્રકારની છણાવટ કર્યા વિના પરિણામ જાણી લેવાની ઉત્કંઠા. અહીંથી જ્યોતિષનો પ્રદેશ શરૂ થાય છે. શું પરિણામ આવશે એનો આધાર પ્રાપ્ત હકીકતો, તેની છણાવટ અને અનુમાન પર આધારિત નથી; પરંતુ ગ્રહદશા પર આધારિત છે. હકીકતોની છણાવટ કરવામાં તટસ્થવૃત્તિ જોઈએ અને તેનો સામનો કરતા કેટલાક લોકો ગભરાતા હોય છે. બીજી બાજુ આ કે પેલે પાર પરિણામ તો આવવાનું જ છે તો એમાં મારું શું થશે એના ડરથી પ્રેરાઈને માણસ જ્યોતિષના શરણે જાય છે.

ત્રીજી વૃત્તિ છે પરિણામો બદલી શકાય કે કેમ એની મથામણ કરવાની. અહીંથી ગુરુઓ, બાબાઓ, તાંત્રિકોનો પ્રદેશ શરૂ થાય છે. પરિણામ બતાવનારા જ્યોતિષીઓ અને પરિણામ બદલી આપવાનો દાવો કરનારાઓ આમ તો સહોદર હોય છે. પ્રાપ્ત હકીકતો, છણાવટો, અનુમાનો સાથે સ્નાનસૂતકનો સંબંધ નહીં અને છતાં ય કેટલાક લોકો પરિણામો બદલી આપવાનો દાવો કરતા હોય છે. મંત્રકૃપા, ગુરુકૃપા, માદળિયાં, રાખની પોટલી, વીંટી, યજ્ઞો, અનુષ્ઠાનો, માનતાઓ, જાત્રાઓના ભરોસે પરિણામો બદલવા માટે કેટલાક લોકો અથાક પ્રયત્નો કરતા રહે છે.

આપણે તેમને પૂછીએ કે આટલી મહેનત પ્રાપ્ત હકીકતોની ચકાસણી કરવા પાછળ તેમ જ બુદ્ધિપૂર્વક અનુમાનો કરીને જોખમ ઉઠાવવામાં અને જોખમ ઊંધું ન પડે એ માટે શક્ય એટલું બધું જ કરી છુટવા માટે કરી હોત તો? તો તેનો શું જવાબ મળે ખબર છે? તે મર્ત્ય માનવીની અસમર્થતા અને અમર્ત્ય ગ્રહોની સમર્થતાની વાત કરશે અને પ્રશ્ન પૂછનારને અજ્ઞાની અને અભિમાની સમજીને હસી કાઢશે.

તો એક બાજુ વાસ્તવિકતાઓનો સ્વીકાર કરીને, ચકાસીને, અનુમાનો કરીને પોતાના ભરોસે જોખમ ઉઠાવનારાઓ છે અને બીજી બાજુ આવું કાંઈ જ કર્યા વિના પરિણામો જાણી લેવાની ઉત્કંઠા ધરાવનારાઓ અને પરિણામો બદલવા ઈચ્છનારાઓ છે. એક બાજુ પુરુષાર્થીઓ છે અને બીજી બાજુ કૃપાર્થીઓ છે.

આમાં કોઈક જગ્યાએ જુગાર આવે છે. આપણે જેને રૂઢાર્થમાં જુગારી કહીએ છીએ એ કૃપાર્થી કે શરણાર્થી કરતાં વધારે બુદ્ધિમાન કે હિંમતવાન હોય છે એમ મારું માનવું છે. દાવ લગાડ્યા વિના ભવિષ્ય જાણીને શું કરશો? દાવ લગાડ્યા વિના અનુકુળ ભવિષ્યની ઈચ્છા રાખનારાઓ બાબાઓના પગમાં આળોટતા હોય છે અને તેમને તેમાં ક્યારે ય અનુકુળ ભવિષ્ય હાથ લાગતું નથી. એ એવો પોસ્ટ ડેટેડ ચેક છે જે ક્યારે ય વટાવાતો નથી. કોઈ શંકા જ નથી કે તેમના કરતાં જુગારી વધારે બુદ્ધિમાન અને હિંમતવાન હોય છે. 

પણ જુગાર એ અનૈતિકતા છે એનું શું? કેટલાક પ્રકારના જુગાર કાયદાકીય રીતે ગુનો છે એનું શું? પાછા અનૈતિકતાના માપદંડ અને અને કાયદાકીય પ્રતિબંધો આખા જગતમાં એક સરખા નથી. એક જગ્યાએ જે ગુનો છે તે બીજી જગ્યાએ રમત છે. પાછા જુગારના પ્રકાર પણ આખા જગતમાં અનેક પ્રકારના છે. જેમકે ૧૯મી સદીમાં મુંબઈમાં આજે વરસાદ પડશે કે નહીં એ વાતે વરસાદનો જુગાર રમાતો હતો. માનવ સમાજમાં જેટલી ભાષાકીય અને અન્ય વિવિધતાઓ છે એટલી જ જુગારની પણ વિવિધતા છે, કારણ કે જુગાર એ અનુમાન કરીને દાવ લગાડવાની એક માનવસહજ વૃત્તિ છે અને એટલે રમત છે. તો બે વાત છે; એક છે અનુમાન કરવાની માનવસહજ વૃત્તિ અને બીજી દાવ લગાડીને નસીબ અજમાવવાની રમત. જેમ ભવિષ્યના ભયથી ભાગવું એ માનવસહજ વૃત્તિ છે, તો ભવિષ્ય પર દાવ લગાવવો એ પણ માનવસહજ વૃત્તિ છે. એક માણસ ધાર્મિક અને આધ્યાત્મિક તરીકે સમાજમાં શોભા પામે અને બીજો જુગારી તરીકે ઓળખાય એ અન્યાય નથી?

હાર-જીત એ ગુનાનો માપદંડ ન હોય શકે. જો એમ હોય તો શેર બજારમાં કે બીજા બજારોમાં કરવામાં આવતા વાયદાના સોદાઓ પણ જુગાર કહેવાય. જેમ ક્રિકેટમાં કઈ ટીમ મજબૂત છે, કોણ ખેલાડી ફોર્મમાં છે, કોણ કોચ છે, કેવી પીચ છે, ટીમ પર કેટલું પ્રેશર છે વગેરે વાસ્તવિકતાઓની છણાવટ કરીને અનુમાન બાંધવામાં આવે છે અને પૈસા લગાડવામાં આવે છે તો શેર બજારમાં કે અન્ય બજારમાં વાયદાના સોદા કરનારા પણ એ જ કરે છે. ફરક એટલો છે કે વાયદાના સોદા કોઈ જણસને લઈને થાય છે, જ્યારે અહીં જણસ નથી હોતી, માત્ર અનુમાનિત પરિણામના આધારે થાય છે અને માટે સમાજ તેને જુગાર તરીકે ઓળખે છે. વાત એક જ પણ સ્વરૂપ જુદું એટલે એક ધંધો અને બીજો જુગાર.

એટલે તો કાયદા પંચે સલાહ આપી છે કે જુગારને કાયદાકીય માન્યતા આપવામાં આવે. માનવસહજ વૃત્તિ પર પ્રતિબંધ મુકનારા કાયદા સફળ ન થાય. તમે જો કોઈ ચીજને દુર્ગુણ તરીકે ઓળખાવતા હોય અને એ નિર્વિવાદ દુર્ગુણ હોય તો પણ રાજ્ય તેના પર અંકુશ મુકવામાં સફળ ન નીવડી શકે. માણસ ત્યારે જ સુધરે છે જ્યારે તેને પોતાને સુધરવાની પ્રેરણા થાય. જો બીજા થકી માણસ સુધરતો હોત તો આપણા દેશના અસંખ્ય બાબાઓએ અને બાપુઓએ ભારતને સ્વર્ગ બનાવી નાખ્યું હોત. કાયદાઓની જરૂર જ ન પડત. ઊલટું તેમના આશ્રમોમાં તમે જે કલ્પના કરી શકો એવી દરેક પ્રકારની પાપલીલાઓ થતી હોય છે.

કાયદા પંચે બીજી ભલામણ એ કરી છે કે જુગારને કાયદાકીય માન્યતા આપીને તેનું નિયમન કરવામાં આવે. નિયમન માટેની ભલામણ પાછળનું કારણ એ છે કે આજકાલ જુગાર એ અબજો રૂપિયાનો અને પાછો વૈશ્વિક ધંધો થઈ ગયો છે. આ ધંધો છે માનવસહજ વૃત્તિને ધંધામાં રૂપાંતરિત કરવાનો ધંધો. અનુમાન કરીને દાવ લગાડનારા માટે અનુમાન કરવાનો આનંદ છે, દાવ લગાડવાની હિંમત છે, કદાચ લાલચ છે; પણ તેનું બેટિંગ લેનારા બુકીઓ માટે એ ધંધો છે. કાયદા પંચ કહે છે કે બેટિંગના આખા નેટવર્કનું નિયમન થવું જોઈએ. જેમ સેબી શેરબજારનું નિયમન કરે છે અને બીજી એજન્સીઓ વાયદાના સોદાઓનું નિયમન કરે છે એમ કોઈ એજન્સી હોવી જોઈએ જે બેટિંગનું નિયમન કરે. આનું કારણ છેતરપિંડી રોકવાનું છે. બન્ને જુગાર છે અને બન્નેનું સ્વરૂપ લગભગ એક સરખું છે. બન્નેમાં હાર-જીત થાય છે. જેમાં દાવ લગાડવામાં આવે અને હાર-જીત થાય એ જુગાર એ વ્યાખ્યા અધૂરી છે.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 11 જુલાઈ 2018

Loading

...102030...3,1003,1013,1023,103...3,1103,1203,130...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved