Opinion Magazine
Number of visits: 9456618
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડૉ. મનમોહન સિંહ : મૌનની મક્કમતા, કૌશ્યલ્યપૂર્ણ મહત્ત્વાકાંક્ષા અને શાલીનતાના રાજકારણનો પર્યાય

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|29 December 2024

રાજકીય અવકાશ જેમાં આકરું રાજકારણ હતું, ટીકાઓ હતી એ બધાંની વચ્ચે તેમણે પોતાનાં કામનો એવો પ્રભાવ ખડો કર્યો, જેનાથી આપણા આખા દેશને એક માર્ગ મળ્યો. તેઓ વિચારક નહોતા પણ કર્મઠ હતા, મોટી વાતો કરવી એક ચીજ છે, પણ નક્કર અમલીકરણ કરી બતાડવું એ જ ખરું કૌશલ્ય છે.

ચિરંતના ભટ્ટ

મૌનની મક્કમતા શું હોય એ સમજવા માટે ભારતના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહની કારકિર્દી, કામગીરીની શૈલી અને વહેવાર જોવા રહ્યાં. ભારતીય અર્થતંત્રના ઘડતરમાં તેમના સિંહફાળાની યાદી અર્થશાસ્ત્રીની ત્રિરાશીને ચકરાવે ચઢાવી દે તેવી હતી તેમ કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી. 92 વર્ષની વયે કથળતાં સ્વાસ્થ્યને કારણે તેમનું 26 ડિસેમ્બરે દિલ્હીમાં સારવાર દરમિયાન નિધન થયું. વડા પ્રધાન પદે હતા અને છેલ્લી પ્રેસ કોન્ફરન્સને સંબોધી રહ્યા હતા ત્યારે 3 જાન્યુઆરી 2014ના રોજ તેમણે કંઇક આવું કહ્યું હતું કે, “હું પ્રામાણિકપણે માનું છું કે અત્યારના મીડિયા અને સંસદભવનના વિરોધપક્ષો કરતાં ઇતિહાસ મારા પ્રત્યે વધુ દયાળુ હશે.” તેમણે આમ કહી ઉમેર્યું હતું કે, “સરકારના કેબિનેટ તંત્રમાં જે પણ થતું હોય તેની વિગતો હું બહાર ન પાડી શકું. અત્યારના સંજોગો અને એક ગઠબંધનના આધારે ઘડાયેલી નીતિને કારણે જે ફરજ પડતી હોય તે તમામને ગણતરીમાં રાખીને મેં મારાથી બનતું શ્રેષ્ઠ કર્યું છે.”

પંજાબના નાનકડા ગામડામાં ધૂળિયા રસ્તા, પાણીની તંગી, અગવડો વચ્ચે પસાર થયેલું બાળપણ અને પછી ત્યાંથી વિશ્વનાં શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાનોના વર્ગ ખંડો, રિસર્ચ, શિક્ષણ, આર્થિક નીતિનું સુકાન અને અંતે વડા પ્રધાન પદ સુધીની સફર – આટલા શબ્દોમાં ડૉ. મનમોહન સિંહનો પ્રોફેશનલ રેઝ્યુમેને વર્ણવવાથી મોટો અન્યાય બીજો કોઇ ન હોઈ શકે. પરંતુ આ તેમની વ્યવસાયિક ઉપલબ્ધિઓ અને ઉપાધિઓની વાત કરવાનો વખત નથી. એક સમયે જેમના વિશે ‘સાઇલન્ટ પી.એમ.’ના ટેગને લઈને બેફામ વાણીવિલાસ કરાયો હતો, આવો વાણી વિલાસ કરનારી એકેએક વ્યક્તિ સારી પેઠે જાણે છે કે તેમણે ભારતના અર્થતંત્રને એવા સમયે બેઠું કર્યું અને વૈશ્વિક ફલક પર પગ માંડતું કર્યું જ્યારે એવી શક્યતાઓની કલ્પના પણ અશક્ય હતી. રાજકીય અવકાશ જેમાં આકરું રાજકારણ હતું, ટીકાઓ હતી એ બધાંની વચ્ચે તેમણે પોતાનાં કામનો એવો પ્રભાવ ખડો કર્યો જેનાથી આપણા આખા દેશને એક માર્ગ મળ્યો. તેઓ વિચારક નહોતા પણ કર્મઠ હતા, મોટી વાતો કરવી એક ચીજ છે પણ નક્કર અમલીકરણ કરી બતાડવું એ જ ખરું કૌશલ્ય છે.

પી.વી. નરસિંહા રાવ જ્યારે વડા પ્રધાન હતા ત્યારે નાણાં મંત્રી ડૉ. મનમોહન સિંહે ભારતમાં આર્થિક ઉદારીકરણનો કાર્યક્રમ અમલમાં મૂકીને ભારતના અર્થતંત્રને ધરમૂળથી બદલ્યું. લાઇસન્સ રાજના રહ્યા સહ્યા કાંગરા આ સાથે ખરી ગયા અને ભારતની સમાજવાદ લક્ષી આર્થિક નીતિઓ ફ્રી માર્કેટમાં વહેતી થઇ. ભારતની એક રાષ્ટ્ર તરીકેની મહત્ત્વાકાંક્ષા વધી. આજે જે વિદેશી નીતિઓ પર અત્યારની સરકાર ડગલાં ભરી રહી છે તેનો પાયો અને શરૂઆત તો ડૉ. મનમોહન સિંહને કારણે જ નંખાયો હતો. ભારતને વિશ્વનું ઝડપથી વધતું અર્થતંત્ર બનાવવાનો શ્રેય ડૉ. મનમોહન સિંહને જ જાય છે. તેઓ પહેલા એવા ભારતીય ટેક્નોક્રેટ હતા જે રાજકીય વિશ્વમાં ટોચે પહોંચ્યા હતા. કાઁગ્રેસ કેન્દ્રમાં હોય ત્યારે ગાંધી-નહેરુ પરિવારના ન હોય પણ વડા પ્રધાન પદ સૌથી લાંબો સમય સફળતાથી જેમણે સંભાળ્યું હોય તે વ્યક્તિ એટલે ડૉ. મનમોહન સિંહ.

ડૉ. મનમોહન સિંહ રાજકારણમાં સૌથી પહેલાં તો નાણાં મંત્રી તરીકે આવ્યા. આર.બી.આઈ.ના પૂર્વ ગવર્નર આઇ.જી. પટેલે જ્યારે એ પદ સ્વીકારવાની ના પાડી તેની પછી ડૉ. મનમોહન સિંહના ભાગે એ દેશનું નાણા મંત્રાલય આવ્યું. 1991માં નેધરલેન્ડ્ઝમાં કોન્ફરન્સ અટેન્ડ કર્યા પછી દિલ્હી પાછા ફરેલા ડૉ. મનમોહન સિંહને પી.વી. નરસિંહા રાવની વિશ્વાસુ વ્યક્તિનો ફોન આવ્યો. એ ફોન કૉલથી ભારતના આર્થિક ભવિષ્યમાં બદલાવ આવવાની શરૂઆત થઇ. કાઁગ્રેસના આંતરીક અને બાહ્ય આકરા પ્રહારોની વચ્ચે કામ શરૂ થયું. અર્થતંત્ર ખાડે ગયું હતું, ફોરેક્સ રિઝર્વ માત્ર 2,500 કરોડ રૂપિયે આવીને અટકેલું જેનાથી માંડ બે અઠવાડિયાની આયાત મેનેજ થાય એવું હતું, વૈશ્વિક બેંકોએ ભારતને લોન આપવાની ના પાડી દીધેલી અને ફુગાવો તો ન પૂછો વાત. આજે પાકિસ્તાનની જે વલે છે આપણે પણ લગભગ એવી હાલત થવાના આરે જ હતા. પણ ડૉ. મનમોહન સિંહને કારણે ભારત લાઇસન્સ રાજને આવજો કહી શક્યો. જે માણસને રાજકારણ સાથે લેવાદેવા જ નહોતાં તેણે નાણાં મંત્રીનં પદ સંભાળ્યું અને મહિનામાં તો પેહલું બજેટ જાહેર કર્યું. નવી ઔદ્યોગિક નીતિ, રૂપિયાનું મૂલ્ય પગલાંવાર ઘટાડવું, ઉદારીકરણ અપનાવવું, સેબીની સ્થાપના કરીને નવા ફેરફારો કરવાની દિશામાં કામ થયું. ડૉ. મનમોહન સિંહનું પહેલું બજેટ નાણાંકીય મજબૂતાઈ ખડી કરવા પર કેન્દ્રિત કરાયું અને નકામા ખર્ચ અટકાવાયા.

2004માં સોનિયા ગાંધીએ યુ.પી.એ.  સરકારમાં વડા પ્રધાન પદ નકાર્યું અને પસંદગીનો કળશ ડૉ. મનમોહન સિંહ પર ઢોળાયો. તેમની સાફ છબી, શાલીનતા અને વહીવટી અનુભવને કારણે તેમને આ પદ માટે પસંદ કરાયા હતા તે સાહજિક હતું. એક અભિપ્રાય અનુસાર સોનિયા ગાંધી પાસે પ્રણબ મુખર્જી કે અર્જુન સિંહ જેવા રાજકારણીઓનો વિકલ્પ પણ હતો, છતાં પણ ડૉ. મનમોહન સિંહ એક એવી પ્રતિભા હતા જે કાઁગ્રેસના અન્ય પ્રમુખ ચહેરાઓને અવગણીને શાસન ન કરત, તેમને સાથે રાખીને કામ કરત. ડૉ. મનમોહન સિંહને રાજકારણનું કે સત્તાનું ઘેલું નહોતું. તેમને માટે સાફ વહીવટ અનિવાર્ય હતો અને માટે જ સોનિયા ગાંધીની સામે નહીં પણ સાથે રહીને રાજકીય સત્તા જરૂર પડે ત્યારે વહેંચીને કામ કરવાની વ્યવહારુતા તેમનામાં હતી.

ડૉ. મનમોહન સિંહને વિરોધ કરવામાં રસ નહોતો, તેમને ખબર હતી કે વડા પ્રધાન પદની ગરિમા જળવાય એ રીતે દેશના હિતમાં કામ કરવું જ તેમનું લક્ષ્ય છે. તે પોતાના લક્ષ્ય પરથી ચળ્યા નહીં. લોકોએ તેમના અને સોનિયા ગાંધી વચ્ચેના સંઘર્ષોને ઉછાળવાનો પ્રયાસ કર્યો, પણ તમામ સંજોગોમાં તેમણે શાલીનતા ન છોડી. આટલા વિરોધ અને ગરમા-ગરમી વચ્ચે તેમણે ઇન્ડિયા-યુ.એસ. સિવિલ ન્યુક્લિયર ડીલ જે રીતે પાર પાડી તેને જેટલી દાદા આપીએ એટલી ઓછી છે. કાઁગ્રેસના અન્ય મોટાં માથાઓને ખાતરી નહોતી કે એ પાર પડશે કે કેમ, વળી ડાબેરીઓ પણ ન્યુક્લિઅર ડીલના વિરોધમાં હતા. આ છતાં પણ વડા પ્રધાન તરીકે તેમને જે રાષ્ટ્રના ફાયદામાં લાગ્યું તે તેમણે કર્યું જ. 2007-8ની વૈશ્વિક મંદીમાં ભારતને ઓછામાં ઓછી અસર થાય તેની તકેદારી રાખવાની જવાબદારી પણ તેમણે ખૂબ સારી પેઠે ઉપાડી. કમનસીબે યુ.પી.એ.-2નું પડી ભાંગવું, સાથે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનની ઝાળ, વળી નરેન્દ્ર મોદી હેઠળ ભા.જ.પા.નું મોટા થવું, એન.ડી.એ.નું ગઠબંધન વગેરે કાઁગ્રેસને નબળું પાડતું ગયું. 2014માં સત્તા પલટો થયો. કાઁગ્રેસ છેલ્લે કેન્દ્રમાં હતી ત્યારે તેનો રાજકીય શાસકીય અધિકૃત ચહેરો એટલે ડૉ. મનમોહન સિંહ.

એ સ્વીકારવું રહ્યું કે ડૉ. મનમોહન સિંહની સિદ્ધિઓ તેમના અનુગામીઓ માટે રસ્તા મોકળા કરતી ગઈ છે. તેમના જેવા કુશાગ્ર બુદ્ધિવાળા રાજકારણીઓ હવે મળવા મુશ્કેલ છે. તેમના જેટલા શૈક્ષણિક લાયકાત ધરાવતા રાજકરાણીઓ પણ આંગળીને વેઢે ગણાય એમ છે. તેમના કામ વિશે ઘણું લખાયું છે, લખાતું રહેશે. સાથે તેમની નમ્રતાઓના કિસ્સા પણ ચર્ચાતા રહેશે. તેઓ સમાનતામાં માનતા. કેટલા ય લોકો એવા છે જેમની જિંદગીમાં તેઓ નોકરીને અલવિદા કહી બિઝનેસ કરવાનું વિચાર્યું તેનો શ્રેય તેઓ ડૉ. મનમોહન સિંહની આર્થિક નીતિઓના સુધારાઓને આપે છે.

એક અત્યંત ધારદાર અર્થશાસ્ત્રી જેમણે આર્થિક રીતે ઉદારમતવાદી ભારત દેશ કેવો હોઈ શકે તેની કલ્પના કરી અને તે મહત્ત્વાકાંક્ષાને સાકાર પણ કરી તેમને ગુમાવવું દેશ માટે એક બહુ મોટી ખોટ છે. તેમને ગઠબંધનની સરકારનું રાજકારણ અને વિરોધ પક્ષોનો અસહકાર નડ્યો પણ છતાં ય તેમણે નેશલન ફૂડ સિક્યોરિટી એક્ટ, નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એક્ટ જેવા કાયદા પસાર કર્યા અને આંતરિયાળ ભારત સુધી પહોંચ્યા. રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ પણ તેમની સરકારમાં અમલમાં આવ્યો, જનતાના હાથમાં સરકારની ચકાસણી કરવાનું આવું શસ્ત્ર આપવાની હિંમત એક સાફ રાજકારણી જ કરી શકે જેને પોતાન કામ પર પૂરેપૂરી આસ્થા હોય. 21મી સદીમાં યુ.એસ.-ભારતના સંબંધો સૌથી ચાવીરૂપ વૈશ્વિક સંબંધ રહ્યા છે અને તેને સ્થિરતા આપવાનું શ્રેય ડૉ. મનમોહન સિંહને જ આપવું રહ્યું.

મૃદુ અવાજમાં વાત કરનાર મનમોહન સિંહ આકરા સવાલોના જવાબ પણ શાલીનતાથી જ આપતા રહ્યા. તેમની સાથે મોન્ટેક સિંહ અહલુવાલિયાથી માંડીને રઘુરામ રાજન જેવા ધારદાર કૌશલ્ય ધરાવનારા લોકો જોડાયા કારણ કે એક બૌદ્ધિક રીતે સબળ વ્યક્તિ જ આ પ્રકારની આવડતને આવકારીને તેનો ખરો ઉપયોગ કરી શકે છે. આટલું બધું કામ કરનારા મનમોહન સિંહને તેમની સરકારી બી.એમ.ડબ્લ્યુ. લક્ઝરી કાર કરતાં પોતના નાનકડી મારુતી 800 વાપરવાનું માફક આવતું – આ સાદગીનું પિષ્ટપેષણ પણ ન હોય કારણ કે એ જ તેમના વ્યક્તિત્વની ઓળખ હતી.

બાય ધી વેઃ 

અસાધારણ વિકાસનાં વર્ષોમાં ભારતનું સુકાન સંભાળનારા ડૉ. મનમોહન સિંહ ગંભીરતાને વરેલા નહોતા. લોકસભામાં ચર્ચાઓ દરમિયાન ગાલિબ, અલ્લામા ઇકબાલના શેર ટાંકીને તંગ સંજોગોમાં માહોલ બદલવાની આવડત પણ ડૉ. મનમોહન સિંહમાં હતી. તેમણે સુષ્મા સ્વરાજ સાથેના સંવાદમાં ટાંક્યું હતું, “માના તેરી દીદ કે કાબિલ નહીં હું હૈં, તૂ મેરા શૌક દેખ, મિરા ઇંતિઝાર દેખ.” તેમના મૌન અંગે સતત ટીકાનો વરસાદ થતો હતો અને કૉલ બ્લોક ફાળવણીના ભ્રષ્ટાચારના આરોપ મુકાયા હતા ત્યરે સંસંદની બહાર મીડિયામાં તેમણે મૌન પર ટોણા મારનારાને જવાબમાં કહ્યું હતું, “હઝારોં જવાબોં સે અચ્છી હૈ મેરી ખામોશી, ન જાને કિતને સવાલોં કી આબરુ રખી.” સુષ્મા સ્વરાજ સાથેની અન્ય એક ચર્ચામાં ગાલિબનો શેર ટાંક્યો હતો, ‘હમ કો ઉનસે હૈ વફા કી ઉમ્મીદ, જો નહીં જાનતે વફા ક્યા હૈ.’  આવી અદાથી રાજકારણ ખેલનારા રાજકારણીઓ હવે ક્યાં? આવી વ્યક્તિના જવાથી એક ઉચ્ચ કક્ષાના દૌર અને માહોલનું બળ ઓછું થતું જાય તેવી લાગણી થતી રહે. “ક્લાસ” અને “માસ”નો તફાવત ઓછા શબ્દોમાં જાણવો હોય તો ડૉ. મનમોહન સિંહ જેવા રાજકારણીની જિંદગીને જાણવાની, તેમને સમજવાની અને શક્ય હોય તો થોડે ઘણે અંશે વહેવારમાં ઉતારવાની કોશિશ કરવી જોઇએ. ધુધવતા જળમાં ખડકનું મૌન ધારણ કરી અચળ રહેવું સરળ નથી જ હોતું પણ રહી શકાય છે તે આપણને ડૉ. મનમોહન સિંહ જેવી વ્યક્તિઓ શીખવી જાય છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 ડિસેમ્બર 2024

Loading

મોંઘવારી, બેરોજગારી, કોમ્યુનલ ધૃણાની સ્થિતિમાં કોઈ દિવસ ગુના ઘટે નહીં, ગુના વધે; એટલી સાદી સમજ એમને નહીં હોય?

રમેશ સવાણી|Opinion - Opinion|29 December 2024

[1]

નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયાએ 25 ડિસેમ્બર 2024ના રોજ, ગુજરાતની કથળેલી કાયદો વ્યવસ્થા / મહિલાઓની અસુરક્ષા અંગે મારો ઈન્ટરવ્યૂ લીધેલો; તેના મહત્ત્વના મુદ્દાઓ: 

સવાલ : ગુજરાતની 10 વર્ષની બાળકી પર રેપ કરી, ગુપ્તાંગમાં સળિયો નાખી તેની હત્યા કરવામાં આવી. અને બીજી ઘટનામાં એક વૃદ્ધા પર બળાત્કાર થાય છે. શાળાનો શિક્ષક બાળા પર રેપ કરી હત્યા કરે છે. આવી બીજી ઘટનાઓ પણ બની છે. કોલકાત્તામાં રેપ-મર્ડર થાય તો ગુજરાતના મુખ્ય મંત્રી ધરણા પ્રદર્શન કરે છે, પણ ગુજરાતમાં જ બનેલી આ બન્ને શરમજનક ઘટના અંગે મુખ્ય મંત્રી ચૂપ છે ! આપ શું કહો છો?

જવાબ : છેલ્લી બે ઘટનાઓ બની તે વધુ ગંભીર છે, કેમ કે નાની બાળા પર આ જ આરોપીએ એક મહિના અગાઉ બળાત્કાર કર્યો હતો. બીજી ઘટનામાં વૃદ્ધા પર યુવાને બળાત્કાર કરી જેલમાં ગયેલ આરોપી જામીન પર છૂટીને ફરી વખત વૃદ્ધા પર બળાત્કાર કર્યો. બન્ને આરોપીઓએ રીપીટ ક્રાઈમ કર્યું છે. સરકાર આ બાબતે ચિંતિત હોવી જોઈએ. પશ્ચિમ બંગાળમાં રેપ-મર્ડરની ઘટના બની ત્યારે ગુજરાતમાં સત્તાપક્ષે ગોકીરો બોલાવ્યો હતો. પરંતુ આ બન્ને ઘટનાઓ બન્યા બાદ નાગરિકોને / વિક્ટિમ પરિવારને સંતોષ થાય તે પ્રકારનું કોઈ નિવેદન સત્તાપક્ષના કોઈ નેતાએ આપ્યું નથી. આ બાબત ગંભીર છે. આનો અર્થ એ છે કે સરકારને નાગરિકો પ્રત્યે નિસબત હોવી જોઈએ તે દેખાતી નથી. એક મહિના પહેલા બાળા પર રેપ થયો તેની ફરિયાદ પોલીસે કેમ લીધી નહીં? અથવા વિક્ટિમ પરિવાર બળાત્કાર જેવી ગંભીર ગુનાની ફરિયાદ આપવા પોલીસ સ્ટેશને જતાં કેમ અચકાય છે? તેની તપાસ કરવી જોઈએ. બીજા કેસમાં કોર્ટે આરોપીને જામીન પર છોડ્યો અને એ આરોપી ફરી વખત વૃદ્ધા પર રેપ કરે છે. આ અત્યંત પાશવી કૃત્ય છે. આવા કૃત્યો બાબતે સરકાર ચિંતિત હોવી જ જોઈએ. સરકાર અને પોલીસ વિભાગે મનોમંથન કરી, ગંભીર ગુનાની ફરિયાદ નોંધાય તેવો માહોલ અને તેવો નાગરિકોને વિશ્વાસ અપાવવો જોઈએ, પણ હાલના તબક્કે આવું જોવા મળતું નથી. 

રમેશ સવાણી અને તુષાર બસિયા

સવાલ : સરકાર કહે છે કે અમે કોઈને છોડીશું નહીં ! અમે તાત્કાલીક ન્યાય અપાવીશું. તમે પોલીસ વિભાગમાં ફરજ બજાવી છે. હજુ કાર્યવાહીમાં શું ઘટે છે?

જવાબ : પ્રથમ તો આજે પોલીસ, પોલીસ નથી રહી; વેઠિયા મજૂર જેવી બનાવી દીધી છે. પોલીસ પોતાનાં મુખ્ય કામો કરી શકતી નથી. એક તરફ જગ્યાઓ ખાલી છે, બીજી તરફ VIP બંદોબસ્તના નામે 4-5 દિવસ તેને રોકી રાખવામાં આવે છે. પોલીસ નેતાઓની સુરક્ષામાં જ રોકાયેલી હોય છે. નાગરિકોની સુરક્ષા એમના માટે મહત્ત્વની રહી નથી. પોલીસ પાસે ગુનાની વિઝિટ કરવાનો સમય નથી. પોલીસ નથી સરખું વિલેજ વિઝિટેશન કરતી. સ્થળ પર લખવાનો ક્રાઈમ મેમો ઓફિસમાં બેસીને રાઈટર લખે છે. એક ઉદાહરણ આપું. એટ્રોસિટી એક્ટમાં બળાત્કાર / હત્યા / મિલકતને આંગ ચાંપવી વગેરે ગુનાઓ બને ત્યારે જિલ્લા SP તથા કલેક્ટરે ગુનાની વિઝિટ કરવાની હોય છે. પરંતુ આવા ગંભીર ગુનાઓમાં SP / કલેક્ટર સ્થળ વિઝિટ કરતા નથી કે સ્થળ વિઝિટ દરમિયાન નિયમ મુજબ જે કાર્યવાહી કરવાની થાય છે તે કરાવતા નથી. વંચિતો / દલિતો / આદિવાસીઓને વિશ્વાસ અપાવવા જે એક્ટ બન્યો છે તેનું પાલન બરાબર થતું નથી. એટલે એમને સંતોષ નથી. કાયદામાં જે જોગવાઈઓ કરી છે તેનો અમલ પણ કરતા નથી. 

સવાલ : તો રાજ્યની કથળેલી હાલત માટે બ્યુરોક્રસી જવાબદાર છે?

જવાબ : તેના માટે બ્યુરોક્રસી તથા રાજકીય નેતાઓ જવાબદાર છે. રાજ્યના વડાએ વિચારવું જોઈએ કે પોલીસ ફોર્સ બંદોબસ્તમાં રોકાઈ રહે છે, તો એ બીજું કામ શું કરે? એ નાગરિકોની સુરક્ષા કરશે? પેટ્રોલીંગ કરશે? નાઈટ કરશે? રેકર્ડ વ્યવસ્થિત રાખશે? એ સરખું ચાર્જશીટ કરશે? વિટનેસના નિવેદનો વ્યવસ્થિત લેશે? આમાંનું કશું થતું નથી ! બધું કામ રાઈટરો કરે છે. રાઈટર લખે તે SP / પોલીસ કમિશનર તથા જજ વાંચે છે. આ હાલત છે.

સવાલ : હમણાં રાજકોટમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ કહ્યું હતું કે રાજ્યના 6,800 ક્રિમિનલ પર ચાંપતી નજર રાખવા 6,800 પોલીસને રોક્યા છે. ગુનાઓ ખૂબ ઘટ્યા છે. પરંતુ પરિસ્થિતિ જુદી છે. તમે શું કહો છો?

જવાબ : પોલીસ વડાની વાત ખોટી છે તેમ બળાત્કારની આ બન્ને ઘટનાઓ કહે છે. એક મહિના પહેલા આરોપી રેપ કરે અને ફરી વખત તે આરોપી રેપ કરે અને બાળાની હત્યા કરે / વૃદ્ધા પર બળાત્કાર સબબ જેલમાં પૂરાયો આરોપીને કોર્ટ જામીન પર છોડે અને ફરી વખત એ જ આરોપી વૃદ્ધા પર બળાત્કાર કરે; એનો અર્થ એ છે કે ક્રિમિનલ પર ચાંપતી નજર રાખવાની વાત ખોટી છે. બીજું, ક્રાઈમ ઘટે છે તે મોટો ભ્રમ છે. જ્યારે બેરોજગારી / મોંઘવારી / નફરત-ધૃણા સતત સમાજને પીડી રહી હોય ત્યારે ક્રાઈમ ઘટે તે વાત કોઈ રીતે ગળે ઊતરી શકે નહીં. ક્રાઇમ હંમેશાં આર્થિક અને સામાજિક સ્થિતિના કારણે બને છે. આર્થિક કારણ વધુ કારણભૂત છે. ઠગાઈ / વિશ્વાસઘાત / ચોરી / ઘરફોડ / લૂંટ વગેરે ગુના પાછળ આર્થિક પરિબળ હોય છે. ક્રાઇમ ઘટ્યું હોય તો કઈ રીતે ઘટ્યું છે તે જોવું જોઈએ. ગુજરાતના પોલીસ સ્ટેશનમાં કોઈ નાગરિક જાય તો તેની FIR નોંધાય છે ખરી? જો FIR નોંધાતી હોય તો નાગરિકો FIR નોંધાવવા હાઈકોર્ટમાં કેમ જાય છે? હાઈકોર્ટના આદેશ બાદ FIR નોંધાય છે તે શું સૂચવે છે? એ સૂચવે છે કે સરકાર અને પોલીસ સાચી દિશામાં કામ કરતી નથી. એટલે હાઈકોર્ટે કામ કરવું પડે છે. હાઈકોર્ટ ફરિયાદ નોંધવાનો હુકમ કરે તેનો અર્થ એ છે કે પોલીસ તંત્ર કામ કરતું નથી. સરકાર કામ કરતી નથી. આ બાબત કોઈ ગંભીરતાથી લેતું નથી. ખરેખર તો આ બાબત મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રીએ ગંભીરતાથી લેવી જોઈએ. હાઈકોર્ટને FIR નોંધવાનો હુકમ કેમ કરવો પડ્યો તે પ્રાથમિક સમજની વાત છે. આટલી પ્રાથમિક સમજ મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રી ધરાવતા નથી, એ અફસોસની વાત છે. 

સવાલ : આ બાબતો મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રીને સમજાતી નથી, એવું કહેવા માંગો છો? શું બ્યુરોક્રસી સરકાર પર હાવી છે?

જવાબ : મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રીને પોતાના નાગરિકોની ચિંતા હોવી જોઈએ. એમને ચિંતા કઈ છે? ગુનાઓ ઘટ્યા છે એ બતાવવું છે. મહિલાઓ સામેના આટલા ગુના ઘટ્યા, SC-ST સામેના આટલા ગુનાઓ ઘટ્યાં છે એવું ખોટું સર્ટિફિકેટ લઈને છાતી ફૂલાવવી છે, એ મૂળ સમસ્યા છે. કોઈ પણ લોકપ્રિય મુખ્ય મંત્રી હોય; લોકોને પ્રતિબદ્ધ મુખ્ય મંત્રી હોય તો તે નીચે સૂચના આપે કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આવે તો નોંધી લેવી. જો ફરિયાદ નોંધવામાં ન આવે તો જે તે પોલીસ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હું જ્યારે પોલીસ વિભાગમાં જોડાયો ત્યારે એ સ્થિતિ હતી કે બોગસ ફરિયાદીઓ મોકલવામાં આવતા હતા. જો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન નોંધાય તો સંબંધિત પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરતા હતા. મને કહો કે 2001થી લઈ 2024 દરમિયાન આખા ગુજરાતમાં એક પણ એવા પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરેલ છે, કે જેણે ફરિયાદ નોંધવાનો ઈન્કાર કર્યો હોય ! એક પણ કિસ્સો જોવા નહીં મળે. એનો અર્થ એ છે કે સરકાર ઈચ્છે છે, રાજ્યના પોલીસ વડા ઇચ્છે છે કે ભલે ગુનાનું બર્કિંગ થાય; ભલે ગુનાનું મિનિમાઈઝેશન થાય; ગુનાઓ પોલીસ ચોપડે ઓછા ચડે; ગુલાબી ગુલાબી ચિત્ર ગુજરાતનું દેખાય તેવું સરકાર ઇચ્છે છે, પોલીસ વડા પણ એવું ઇચ્છે છે.

સવાલ : એમ કહી શકાય કે ગુનાને ઓછા દેખાડવાની પોલીસની ગુના બર્કિંગ કરવાની કાર્યરીતિ સરકારને ગમે છે. વાસ્તવમાં ક્રાઈમ વધ્યું છે, પણ રાજ્યની સ્થિતિ બતાવવા માટે પત્રકારોને NCRBના આંકડાઓ જ ધ્યાને લેવા પડે છે. ગુનાઓ નોંધાય જ નહીં તો તે NCRBના આંકડામાં કઈ રીતે આવે? સાચા આંકડા મળે નહીં.

જવાબ : પોલીસ કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ અરજીમાં લે છે. અરજી રાખી મૂકે છે. આ રીતે ગુનાઓ ઘટે જ ! આ રીતે ઘટેલાં ગુનાની વાહવાહી પણ કરવામાં આવે છે. એના માટે ગર્વ લેવામાં આવે છે. પરંતુ શું મુખ્ય મંત્રી અને રાજ્યના પોલીસ વડા એ જાણતા નથી કે ગુજરાતમાં મોંઘવારી, બેરોજગારી, કોમ્યુનલ ધૃણાનું વાતાવરણ છે, એ સ્થિતિમાં કોઈ દિવસ ગુના ઘટે નહીં, ગુના વધે; એટલી સાદી સમજ એમને નહીં હોય?

સવાલ : એનો મતલબ એ છે કે રાજ્યની હાલની સ્થિતિ માટે પોલિટિકલ અને પોલીસ બન્નેની નિષ્ફળતા છે? 

જવાબ : બન્ને એના માટે જવાબદાર છે. બ્યુરોક્રસી એટલે રાજ્યના પોલીસ વડા સરકારને સાચું કહી શકતા નથી. ફરિયાદ નોંધવાનો ઈન્કાર કરનાર સામે પગલાં લેવાતાં નથી. એનો મતલબ છે કે હળીમળીને, સમજૂતીથી ગુનાનું બર્કિંગ થઈ રહ્યું છે. આ હોમ મિનિસ્ટરને ગમે છે. અમારે ત્યાં ગુનાઓ ઘટ્યા છે, અમારે ત્યાં સુશાસન છે. ગુનાનું પ્રમાણ ઘટવાથી સુશાસન સ્થપાઈ જતું નથી. લોકોને જઈને પૂછો કે પોલીસ તમારી ફરિયાદ લે છે? લગભગ 90% લોકો કહેશે કે પોલીસ ફરિયાદ લેતી નથી ! હમણાં જ થોડા સમય પહેલા વસ્ત્રાપુરમાં ડિઝિટલ મીડિયાના વરિષ્ઠ મહિલા પત્રકારનું લેપટોપ / પાકીટ કારમાંથી ચોરાઈ ગયું. તે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને ગયાં. પોલીસે કહ્યું કે અરજી આપી દો ! અરજી લઈ લીધી અને અરજી એમને એમ રાખી. પછી ઊહાપોહ થયો ત્યારે તેમની FIR નોંધી ! જો વરિષ્ઠ પત્રકાર સાથે આવું થતું હોય તો ગુજરાતના સામાન્ય નાગરિકો સાથે શું થતું હશે? તેનો એક અંદાજ તમે લગાવી શકો છો.

[28 ડિસેમ્બર 2024]

•

[2]

ગેરપ્રચાર, સિંદૂર ચોપડેલા પથ્થર જેવું કામ કરે છે !

સવાલ : સરકારની, પોલીસની જવાબદારીની વાત આપણે કરી પણ નાગરિકોની જવાબદારી હોય કે નહીં? દિલ્હીમાં નિર્ભયાના ઘટના બાદ જબરજસ્ત ઊહાપોહ થયો હતો. નાની બાળા સાથેની ગુજરાતની આ ઘટના માટે નાગરિકોમાં કોઈ અવાજ જોવા મળતો નથી. આવું કેમ? 

જવાબ : કોણ બોલશે? કથાકારો બોલશે, ધર્મગુરુઓ બોલશે, પત્રકારો બોલશે, લેખકો બોલશે, નાગરિક સંગઠનો બોલશે, આ બધા તો સત્તાપક્ષની ચાપલૂસી કરે છે. તો અવાજ કઈ રીતે ઊઠશે? ગુજરાતમાં કોઈ નાગરિક સંગઠન છે, જે સરકાર સામે લડતું હોય? સરકાર સામે અવાજ કરતું હોય. નાગરિકો નેતૃત્વહીન છે. નાગરિકોમાં ઉગ્ર આક્રોશ છે, અમારું કોઈ સાંભળતું નથી. પણ એ કોને કહે? નથી મીડિયા એને હાઈલાઈટ કરતું કે નથી નેતાઓ ધ્યાન આપતા. વિપક્ષની પણ ક્રેડિટ નથી રહી. એ બોલે તો પણ લોકો એમને મહત્ત્વ આપતા નથી. ચારેબાજુ નૈતિક ધોવાણ થઈ ચૂક્યું છે. આ નૈતિક ધોવાણ કરનાર સત્તાપક્ષ છે, એના સંગઠનો છે. જે વારેવારે સંસ્કૃતિની વાત કરે છે. વારેવારે ધર્મની વાત કરે છે. સંસ્કૃતિ માટે ત્રિશૂળ, તલવાર વહેંચે છે. કઈ સંસ્કૃતિ માટે હથિયાર વિતરણ કરે છો? શું 10 વરસની બાળા પર આવું કૃત્ય થાય તો તેમાં સંસ્કૃતિ નષ્ટ થતી દેખાતી નથી? તમે કહો, RSS / VHP / બજરંગ દળ કે કોઈ સંસ્કૃતિ રક્ષક સંગઠનોએ અવાજ ઊઠાવ્યો છે? આવો એક દાખલો ગુજરાતમાંથી બતાવો ! એનો મતલબ એ છે કે સત્તાપક્ષ અને તેમની બધી સંસ્થાઓ પણ જે કંઈ ક્રાઈમ થઈ રહ્યું છે એમાં મૌન છે. એટલે અવાજ ઊઠતો નથી. બીજું શહેરી વર્ગ થોડો જાગૃત છે, દિલ્હીમાં આવી ઘટના બને તો ઊહાપોહ થાય. આ ઘટના ભરુચમાં બની છે. અને તે આદિવાસી બાળા ભોગ બની છે. આપણે ત્યાં ધર્મની / જ્ઞાતિ / જાતિ / વર્ણની રાજનીતિ છે, તે વચ્ચે આવે છે. ભોગ બનનાર આદિવાસી છે એટલે એટલો ઊહાપોહ નહીં થાય. આની જગ્યાએ જો કોઈ ઉચ્ચ વર્ણની દીકરી હોત તો લોકોએ થોડો અવાજ કર્યો હોત. આ રીતે મૂંગા રહેવું અને મૂંગા રાખવા તે સરકારનું / સત્તાપક્ષનું કામ છે. એટલે જ સરકાર આપણને જ્ઞાતિ / જાતિ / વર્ણમાં વહેંચી રહી છે. એટલે જાગવું જરૂરી છે. જો આપણે જ્ઞાતિ / જાતિ / વર્ણમાં રહીશું તો આ પ્રકારના બનાવો બનશે અને આ પ્રકારના બનાવોમાં તમે બોલી પણ નહીં શકો, એ સ્થિતિ આવશે. 

સવાલ : હવે સમય બદલાયો છે. અગાઉ આવી ઘટનાઓ બનતી ત્યારે મુખ્ય મંત્રી પર દોષારોપણ થતું. લોકો રાજીનામું માંગતા. હવે કહેવાતા બુદ્ધિજીવીઓ કહે છે કે આમાં મુખ્ય મંત્રી / ગૃહ મંત્રી શું કરે, આમાં પોલીસે ધ્યાન આપવાનું હતું. આવું પરિવર્તન કેમ?

જવાબ : રાજ્યના કોઈ પણ ખૂણામાં રેપની ઘટના બને તે માટે મુખ્ય મંત્રી / ગૃહ મંત્રી સીધી રીતે જવાબદાર નથી, પરંતુ એકનો એક આરોપી 10 વરસની બાળા પર ફરી રેપ કરે; એકનો એક આરોપી જામીન મુક્ત બની ફરી વૃદ્ધા પર બળાત્કાર કરે, ત્યારે સરકારે જાગવાની જરૂર છે. એક આરોપી ફરી વખત કેમ ગુનો કરે છે? તંત્ર લાચાર કેમ છે? Preventive Actions – અટકાયતી પગલાં કેમ કાચાં પડ્યા? શું કાયદામાં કડક જોગવાઈ નથી? કાયદામાં જોગવાઈ છે જ. પણ આપણે અટકાયતી પગલાં લઈ શકતા નથી. પોલીસ VIP બંદોબસ્તમાં રોકાયેલી રહે છે. પોલીસ કામ કરી શકતી નથી. પોલીસ મુક્ત હોય તો આરોપી સામે બરાબર પગલાં લીધાં હોત, અને તેની પર વોચ રાખી હોત. તો આ બન્ને ઘટનાઓમાં આરોપી ફરી વખત રેપ કરી શક્યો ન હોત ! રેપ થયો તે માટે પોલિસી-મેકરની જવાબદારી નથી; પરંતુ મુખ્ય મંત્રી / ગૃહ મંત્રીની જવાબદારી એટલે ઠરે છે કે આવા ગંભીર ગુનાની ફરિયાદ કેમ ન લેવાઈ? એવું તે કેવું તંત્ર છે કે 10 વર્ષની બાળા પર રેપ થાય અને માતાપિતા ફરિયાદ પણ ન કરે? એવી નિષ્ઠુરતા કેમ છે તંત્રમાં? શા માટે માતાપિતા ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને ન ગયા? આ અંગે મુખ્ય મંત્રી / ગૃહ મંત્રીએ જાગવાની જરૂર છે કે નહીં? એટલાં માટે એમની જવાબદારી થાય. મૃદુ / સંવેદનશીલ જેવા શબ્દો વાપરીને સુશાસન બતાવો તે ન ચાલે. ખરેખર તો લોકો સાથે એમનું એટેચમેન્ટ નથી રહ્યું, લોકોથી કપાઈ ચૂક્યા છે. એવાં ગુલાબી ભ્રમમાં રહે છે કે લોકોની કોઈ ચિંતા જ નથી. એના કારણે પરિસ્થિતિ વણસી ગઈ છે. હવે જો પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર નહીં થાય તો હું માનું છું કે આવી ઘટનાઓ આપણે અટકાવી શકીશું નહીં. 

સવાલ : લોકો દોખજમાં જીવતા હોય તેવી સ્થિતિ રાજનેતાઓએ કરી દીધી છે. છતાં સત્તા પલટો પણ આપણે જોતાં નથી. શું લોકોમાં કોઈ રોષ નથી, એવું માની શકાય?

જવાબ : ઘણાં લોકો આ સ્થિતિ માટે લોકોને જવાબદાર ગણે છે. વોટ તો એને આપે છે ! પરંતુ હું લોકોને જવાબદાર નથી ગણતો. લોકોની લાચારી છે. બે ટકના રોટલાની ચિંતા કરે, પોતાનું પેટ ભરવાની ચિંતા કરે કે આ બધું સમજે? ગોદી મીડિયા જે રીતે એક તરફી પ્રચાર કરી રહ્યું છે અને આપણને ધર્મનો નશો કરાવી રહ્યું છે, એ સામાન્ય લોકો સમજી શકશે? નહીં સમજી શકે. ચૂંટણીમાં ક્રિમિનલને ટિકિટ આપવામાં આવે છે. ચૂંટાય એ જ લક્ષ્ય હોય છે. એવા લોકો ચૂંટાય પણ જાય છે. મોરબીમાં 135 લોકોના મોત થયા છતાં ત્યાં સત્તાપક્ષનો ભવ્ય વિજય થયો ! આ સૂચવે છે કે લોકોને સંદર્ભથી કાપી નાખવામાં આવ્યા છે. એ સંદર્ભ એ છે કે નફરત-ધૃણાની રાજનીતિ અને મતપ્રાપ્તિ માટે ધર્મવાદ અને રાષ્ટ્રવાદનો બેફામ ઉપયોગ. ચૂંટણીપંચ પણ કંઈ કરતું નથી. તો એના કારણે સત્તાપક્ષને મજા આવી ગઈ છે. એટલે કદાચ રોજે આવા કિસ્સાઓ બને તો પણ એ જ ચૂંટાવાના છે. એમણે આખું તંત્ર ગોઠવી રાખ્યું છે. એમના માટે મોટામોટા કોર્પોરેટ કથાકારો પ્રચાર કરવાના છે, સ્વામિનારાયણ સંતો પ્રચાર કરવાના છે. બીજા ધર્મગુરુઓ પ્રચાર કરવાના છે. એમના માટે કોર્પોરેટ લોબી પ્રચાર કરવાની છે. એના માટે નાણાં છે, એના માટે ચૂંટણીપંચ છે, એના માટે પોલીસતંત્ર છે. ગુંડાઓ છે. એટલે સત્તાપક્ષ ચૂંટાય છે. તે લોકપ્રિય છે, તે સારાં કામોના કારણે ચૂંટાય છે તે ભ્રમ છે. એ ચૂંટાય છે આયોજનપૂર્વકના ગેરપ્રચારના કારણે. હવે આમાં લોકો જાગૃત કઈ રીતે બને? લોકો પાસે વિકલ્પ જ નથી. સ્વતંત્ર મીડિયા છે? જે થોડાં સ્વતંત્ર મીડિયા છે એને પણ કચડી નાખવામાં આવે છે. એક પત્રકારને કાઢવા આખી ચેનલ ખરીદી લેવામાં આવતી હોય તો એ શું સૂચવે છે? એ સૂચવે છે કે કોઈ અવાજ જોઈએ નહીં ! સરકાર સામે અવાજ ઈચ્છતા નથી ! અમે જે કામ કરીએ છીએ તે પવિત્ર કામ કરીએ છીએ, અમે માત્ર નેતા નથી પણ દેવદૂત છીએ, નોન બોયોલોજિકલ છીએ; એમ એ પ્રસ્થાપિત કરી દે છે. એટલે લોકોને માનવા સિવાય કોઈ વિકલ્પ નથી. જેમ કોઈ સિંદૂર ચોપડેલા પથ્થરમાં વિશ્વાસ બેસી જાય છે, પગે લાગે છે, તે રીતે ગેરપ્રચારના કારણે લોકો સત્તાપક્ષને માને છે ! લોકોના કામ કર્યા છે એટલે ગુજરાત વિધાનસભામાં 156 બેઠકો આવી છે તે ભ્રમ છે. આ એક પ્રકારની ગોઠવણ છે. 

સવાલ : જો સરકાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારતી નથી તો રાજ્યનું ભવિષ્ય શું લાગે છે?

જવાબ : રાજ્યનું ભવિષ્ય દિવસે ને દિવસે ખરાબ થતું જાય છે. નાગરિકોને વધારેને વધારે સહન કરવાનું આવશે, તે ચોક્કસ છે. પોલિસી લેવલે આખી વ્યવસ્થા ભાંગી પડે ત્યારે આજે આદિવાસી બાળા ભોગ બની છે, વૃદ્ધા ભોગ બની છે, કાલે બીજા ભોગ બનશે. ત્યારે તમે અવાજ કરી શકો તેવી સ્થિતિ નહીં રહે. આમાં કોઈ સારા સંકેતો મળતા નથી. સરકાર ખરેખર જાગે છે કે નહીં? સરકાર ખરેખર લોકો પ્રત્યે પ્રતિબદ્ધ છે કે નહીં? આ સવાલ નાગરિકોના મનમાં ઊઠ્યા છે. સરકારે પણ વિચારવું જોઈએ કે લોકોની સુરક્ષા માટે બેઠાં છીએ, નહીં કે તાલ તાશીરા માટે. સરકાર જો પરિવર્તન નહીં લાવે અને માત્ર જાહેરખબરથી સુશાસન સ્થાપી દેશે તો આગળ જતાં પરિસ્થિતિ વણસશે ! 

સવાલ : આવી જઘન્ય ઘટનાઓ બને ત્યારે મુખ્ય મંત્રી/ ગૃહ મંત્રી બે શબ્દો બોલી શકે, પણ એવું પણ બન્યું નથી !

જવાબ : બિલકુલ, રાજ્યના વડાની ફરજ છે કે આવી ઘટનાઓ બને ત્યારે નાગરિકોમાં વિશ્વાસ પ્રગટે તેવા બે શબ્દો કહે. તો નાગરિકો સુરક્ષાનો અહેસાસ પણ કરી શકે. મુખ્ય મંત્રીએ કહેવું જોઈએ કે અમે વિચારમંથન કરીશું અને અમે એક્શન લઈશું તેની ખાતરી આપું છું. આટલું જો મુખ્ય મંત્રી કહે તો લોકોને તંત્રમાં વિશ્વાસ બેસે. 

સવાલ : આવું મુખ્ય મંત્રી કહેતા નથી તેનું શું કારણ હોઈ શકે?

જવાબ : તેઓ એવું માને છે કે આપણે આવું સ્વીકારીશું તો ખરાબ દેખાશે. પણ એ એમની ખોટી માન્યતા છે. તંત્રની ખામી છે. કોર્ટની પણ ખામી છે. જજે આરોપીને જામીન પર છોડ્યો ન હોત તો તે ફરી વખત બળાત્કાર કરી શક્યો ન હોત ! મુખ્ય મંત્રીએ એ કહેવું જોઈએ કે ‘આવા તંત્રની અમે પુનઃ વિચારણા કરીશું.’ લોકોમાં વિશ્વાસ બેસે તેવાં પગલાં લેવાવાં જોઈએ.

http://xn--ndco.rs/

29 ડિસેમ્બર 2024
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મનમોહનસિંહ બોલતા હતા ત્યારે દુનિયા સાંભળતી હતી

રમેશ ઓઝા|Opinion - Opinion|29 December 2024

રમેશ ઓઝા

અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ ભારતના વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ વિષે કહ્યું હતું કે “તેઓ જ્યારે બોલે છે ત્યારે વિશ્વ તેમને સાંભળે છે અને લાભાન્વિત થાય છે.” તેમની વાત તો સાચી હતી, પરંતુ ત્યારે એમ લાગ્યું હતું કે વિદેશ મુલાકાતો વખતે એક દેશનો શાસક બીજા દેશના શાસકને અને તે શાસકના દેશની પ્રજાને સારું લગાડવા માટે આવું બધું બોલતા હોય છે અને એવી જ કદાચ આ પ્રસંશા હોઈ શકે છે. બદલાયેલા વૈશ્વિક રાજકારણમાં ભારતને નજીક લાવવામાં અમેરિકાનો સ્વાર્થ છે. પણ પછી એનાથી પણ વધારે સુખદ આશ્ચર્ય થયું. બરાક ઓબામાએ પ્રમુખપદ છોડ્યા પછી દસ વરસે લખેલી તેમની આત્મકથામાં આ જ વાત ફરી દોહરાવી અને એ પણ વિસ્તારથી. જે યુગમાં અને જે સંજોગોમાં ડૉ. મનમોહન સિંહે ભારતના નાણાં પ્રધાન તરીકે આર્થિક સુધારાઓ દ્વારા હસ્તક્ષેપ કર્યો એ વિકાસશીલ દેશોના દૃષ્ટાનો હસ્તક્ષેપ હતો. માત્ર ભારતના નહીં, તમામ વિકાસશીલ દેશોના. આને કહેવાય કદર. ૨૦૧૪માં ડૉ. મનમોહન સિંહ વડા પ્રધાન તરીકે નિવૃત્ત થયા ત્યારે તેમણે કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે ઇતિહાસ મને ન્યાય આપશે. તેમને તેમણે ધાર્યું હતું તેના કરતાં પણ વહેલો ન્યાય મળ્યો છે. ઘણીવાર શત્રુઓ જ દુ:શ્મનને ઝડપથી મહાન સિદ્ધ કરી આપતા હોય છે.

ડૉ. મનમોહન સિંહ જ્યારે દેશના નાણાં પ્રધાન બન્યા ત્યારે સામ્યવાદી દેશોનું પતન થયું હતું. વિદ્વાનોએ ‘ધ એન્ડ ઓફ હિસ્ટરી’ એટલે કે પક્ષ પ્રતિપક્ષ(થિસીસ એન્ટી થિસીસ)ની સાઈકલનો અંત આવી ગયો છે અને લોકશાહી મૂડીવાદ માનવ સમાજ માટે કલ્યાણકારી સંજીવની તરીકે અમર રહેશે એવી ઘોષણા કરી દીધી હતી. આ બાજુ શ્રીમંત દેશો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરીને હરખાતા હતા કે તેમણ વિકાસશીલ દેશોની અંદર સત્તાવાર પ્રવેશ મેળવીને તેનાં સાધનો અને બજાર પર કબજો કરી લીધો છે. ચીન વીંગમાં ઊભું હતું જેણે તાનાશાહી મૂડીવાદનો અનોખો, કહો કે વિચિત્ર વર્ણસંકર માર્ગ અપનાવ્યો હતો. ભારત હવે જૂની વ્યવસ્થામાં ટકી શકે એમ નહોતું, કારણ કે જૂની વ્યવસ્થા જ પડી ભાંગી હતી. એક બાજુ ડબલ્યુ.ટી.ઓ. દ્વારા વિશ્વ પર કબજો કરવાની રમત, બીજી બાજુ તાનાશાહી મૂડીવાદનું સ્વરૂપ આગળ જતાં કેવું હશે તે વિશેની આશંકા અને તેની વચ્ચે ભારત જેવો દેશ જે કદમાં વિશાળ છે, વસ્તી મોટી છે, વિપુલ સંસાધનો ધરાવે છે, હજુ પણ અનેક અર્થમાં ગરીબ અને પછાત છે, વિકાસનાં હોવા જોઈતાં લક્ષ્યોથી ઘણો દૂર છે અને પાછો વિકાસશીલ દેશોમાં સફળ લોકશાહીનો એમ કહી શકાય કે એકમેવ ટાપુ છે.

આવી સ્થિતિમાં ડૉ. મનમોહન સિંહનો ઉદય થયો. તેમના ઉદયમાં એ સમયના વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવનો મોટો ફાળો હતો. બદલાયેલા અને બદલાઈ રહેલા જગતનાં સંકેતો તેમણે પામી લીધાં હતા. તેઓ પોતે વિચક્ષણ વિદ્વાન હતા. તેમણે જોયું કે રાજકારણી નાણાં પ્રધાન અત્યારના સંક્રાંતિના સમયમાં દેશની જગ્યા બનાવી નહીં શકે. કોઈ અર્થશાસ્ત્રી હોવો જોઈએ જેને હળવે હલેસે પણ દૃઢતાપૂર્વક કામ લેતા આવડતું હોય. તેમની પહેલી પસંદ રીઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર આઈ.જી. પટેલની હતી. પટેલસાહેબે નાણાં પ્રધાન બનવાની ના પાડી અને તેમણે ડૉ. મનમોહન સિંહનું નામ સૂચવ્યું. અલબત્ત ડૉ. મનમોહન સિંહ દેશ માટે અજાણ્યા નહોતા. તેઓ વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી હતા, રીઝર્વ બેન્કના ગવર્નર હતા, આયોજન પંચના નાયબ અધ્યક્ષ હતા વગેરે. છેક જવાહરલાલ નેહરુએ તેમનું હીર પારખી લીધું હતું અને તેમને વહીવટીતંત્રમાં જોડવા કહ્યું હતું, પરંતુ ત્યારે ડૉ. મનમોહનસિંહે દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમીક્સમાં વિદ્યાર્થીઓને ભણાવવાનું પસંદ કર્યું હતું.

પી.વી. નરસિંહ રાવે ડૉ. મનમોહન સિંહને નાણાં પ્રધાન બનાવ્યા અને પછી જે થયું તે ઇતિહાસ છે. તેઓ માત્ર ભારતના અર્થતંત્રને જ નહીં, ભારતને નવા યુગમાં લઈ આવ્યા. આનો શ્રેય જેટલો મનમોહન સિંહને જાય છે એટલો જ તેમના વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવને જાય છે. એ સમયે આ લખનારે અને બીજા અનેક લોકોએ આર્થિક સુધારાઓની ટીકા કરી હતી. બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા મૂડીવાડી દેશોનો નવસંસ્થાનવાદ ભારતમાં પ્રવેશ કરશે એમ લાગતું હતું. ત્યારે એ વાત નહોતી સમજાઈ કે બચવા માટે પણ સમય અને સંદર્ભોએ પેદા કરેલા અખાડામાં ઉતરવું જરૂરી છે. હવે તમે રિંગની બહાર નહીં રહી શકો. ધીરે ધીરે વાત સમજાતી ગઈ અને વિરોધ ઓછો થવા લાગ્યો. ડૉ. મનમોહન સિંહના એ સમયનાં અનેક વ્યાખ્યાનો મનનીય હતાં. બરાક ઓબામાં જેવો જ અનુભવ આ લખનારને થવા લાગ્યો. આ માણસ કાન દઈને સાંભળવા જેવો છે. ૨૦૦૮ પછી જગતમાં મોટું આર્થિક સંકટ આવ્યું અને ભલભલા દેશો તેની લપેટમાં આવી ગયા ત્યારે ફરી એક વાર દેશના વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે દેશને સંકટમાં ટકાવી રાખ્યો હતો.

પણ એનો અર્થ એવો નથી કે મનમોહન સિંહે નિરાશ નથી કર્યા. તેમની પાસેથી પ્રચંડ આશા હતી એટલે નિરાશા વધારે સાલે છે. તેમણે ખબર હતી અને તેમણે ઘણીવાર કહ્યું પણ હતું કે ધરના બારણાં ખોલો તો સાવચેતી પણ વધારવી જોઈએ. જો સાબદા ન રહો તો લોમડીઓ લાભ લઈ જાય. આશા હતી કે આ વાત સમજનારા ડૉ. મનમોહન સિંહ દરવાજા ઉઘાડ્યા એ પછી માત્ર દાયકાની અંદર વડા પ્રધાન બન્યા છે તો લોમડી લાભ મારી ન જાય એ સારુ દરવાજા બંધ કર્યા વિના સાવચેતીનાં પગલાં લેશે. બીજા શબ્દોમાં કહીએ તો પુખ્ત અર્થતંત્ર માટે જરૂરી વહીવટી, નાણાંકીય, વાણીજ્યકીય અને અદાલતી સુધારાઓ કરશે. સંત્રીઓ વિનાનો મૂડીવાદ આફત નોતરી શકે. તેઓ સુધારા નહીં કરી શક્યા. લાભાર્થીઓની તાકાત એટલી વધી ગઈ હતી કે તેમણે શાસનસંસ્થાઓને કબજે કરવાનું શરૂ કર્યું. મનમોહન સિંહ એક લાચાર મૂક દર્શક બની ગયા. અત્યારે તો તેનાથી પણ બદતર સ્થિતિ છે. ડૉ. મનમોહન સિંહ તો લાચાર હતા જ્યારે અત્યારના શાસકો ભાઈબંધ છે. દેશપ્રેમે લૂટ તરફના આક્રોશને શાંત કરી દીધો છે અને લોકો અમૃતકાલનો અનુભવ કરી રહ્યા છે. ડૉ. મનમોહન સિંહે ઇતિહાસ મને ન્યાય કરશે એમ જે કહ્યું હતું એનો આ સંદર્ભ છે.

ઇતિહાસ બીજા એક કારણે પણ ન્યાય કરવાનો હતો. એ કારણ છે ભારતનાં નાગરીકોનું અને ગરીબ વંચિતોનું સશક્તિકરણ. માહિતીનો અધિકાર શિક્ષણનો અધિકાર, જલ જમીન અને જંગલ પર અધિકાર વગેરે. દેશની અંદર પોતાનાં માટે અલાયદો દેશ ઇચ્છનારા ભદ્ર સમાજને આ જોગવાઈઓ નડતરરૂપ છે. બે બદામનો ખેડૂત અને આદિવાસી વળી આડો ચાલવા જેટલી સુરક્ષા ધરાવે? હટાવો સુરક્ષાકવચ.

મહાત્મા ગાંધીની જેમ મનમોહન સિંહ પણ આડા આવે છે. પણ આવા લોકો મરતા નથી. અત્યારના નાણાં પ્રધાન નિર્મલા સીતારામન્‌ના પતિ પરકાલા પ્રભાકર અર્થશાસ્ત્રી છે. એક વાર પતિ-પત્ની દેશની આર્થિક સ્થિતિ વિષે ચર્ચા કરતાં હતાં, ત્યારે પ્રભાકરે નાણાં પ્રધાન પત્નીને કહ્યું હતું કે રોડની પેલી બાજુ એક કિલોમીટર દૂર ડૉ. મનમોહન સિંહ રહે છે. જ્ઞાન જોઈતું હોય તો ત્યાં જવું પડશે. ઉપાય એ બતાવી શકશે. દૂરનું એને ભળાય છે.

બરાક ઓબામાંથી પરકાલા પ્રભાકર. વર્તુળ પૂરું થાય છે. એ જ્યારે બોલતા હતા ત્યારે દુનિયા સાંભળતી હતી અને ઘરઆંગણે તેમની હલકી ભાષામાં ઠેકડી ઉડાડવામાં આવતી હતી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 ડિસેમ્બર 2024

Loading

...102030...307308309310...320330340...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved