Opinion Magazine
Number of visits: 9969269
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘યૂ આર માય ન્યૂ ફૅમિલી’

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|4 November 2018

મહમ્મદ ગઝનવી સત્તર વાર ગુજરાત પર ચડી આવ્યો. જો એ હકીકત હોય તો આ યુગમાં સત્તર વર્ષમાં એક દિવસની મુસાફરીનો મામલો હોવા છતાં આપણે અમેરિકાથી ભારત સત્તર વાર નથી જઈ શક્યા તો તે જમાનામાં લાખનું સૈન્ય લઈ પગપાળા હજાર માઈલ આવતાંજતાં મહિનાઓ લાગે તેમ સત્તર વાર કરવું. મન ગણગણે છે, ‘ઇઝ ઇટ સો ? ઇઝ ઇટ પોસિબલ ? ઇઝ નોટ સમથિંગ રોંગ ?’ મન માનતું નથી, પરંતુ ઇતિહાસ ખોટો ન હોઈ શકે.

મહમ્મદે સેનાપતિને બોલાવ્યો. કહ્યું, ‘ચડાઈ કરવાની તૈયારી કરો.’

સેનાપતિ કહે, ‘આ વરસે ક્યાં જઈએ છીએ ?’

મહમ્મદ કહે, ‘સોમનાથ લૂંટવા.’

સેનાપતિ કહે, ‘અગેઈન ? આપણા સૈનિકો ગુજરાતથી હવે કંટાળ્યા હશે. આ વખતે મથુરા જઈએ તો કેવું ?’

મહમ્મદ કહે, ‘જે લોકો ગુજરાતથી થાક્યા હોય તેમને મથુરા મોકલો અને બાકીનાને સાથે ગુજરાત આવવા દો.’

સેનાપતિ થોડી વારમાં પાછો આવે છે. ‘જહાંપનાહ, સૈનિકો બધા ગુજરાત જવા રાજી છે, કારણ કે ત્યાં મોટી લડાઈ નહીં થાય તેની ગેરંટી છે. ઘણાને પોતાની પત્નીઓ માટે, માશૂકાઓ માટે પાટણનાં પટોળાં અને વાસણોની ખરીદી કરવી છે.’

મહમ્મદનું લાખ માણસનું લશ્કર રાજસ્થાનમાંથી પસાર થાય. રાજસ્થાનના લોકોએ નોંધ્યું કે મુલતાનના દરેક સૈનિકે લાંબા લાંબા બ્લૅન્કેટ ઓઢ્યાં છે.

‘ઓ અફઘાનભાઈ, તમારે બ્લૅન્કેટ વેચવાં છે ?’

અફઘાન સૈનિકોને લાગ્યું કે વેપારની સારી શક્યતા છે. હવે તો રાજસ્થાનના લોકો પણ મહમ્મદભાઈનું લશ્કર પોતાના ઘર પાસેથી કૂચ કરે તો સારું એવું ઇચ્છતા હતા.

(‘ફ્રીક્વન્ટ રાઈડર’)

••••••

‘સુશીલા’નો સર્વોત્તમ નિબંધ ‘ફ્રીક્વન્ટ રાઈડર’ છે, તેમ પ્રાદ્યાપક મધુસૂદન કાપડિયા માને છે, તેમાં ભારોભાર સત્ય છે. હરનિશ જાનીના નિબંધોમાં તેનું પહેલી હરોળે સ્થાન છે, તેમ સતતપણે લાગ્યા કર્યું છે.

દલીલ પુરવાર કરવા મધુસૂદનભાઈનું નિરીક્ષણ’ ટાંક્યા વિના ચાલે એમ નથી. એમણે લખ્યું છે :

‘આનું શીર્ષક જ લાજવાબ છે. મહમ્મદ ગિઝનીએ પ્રભાસપાટણના સોમનાથમંદિર પર 17 વાર ચઢાઈ કરી હતી, તેથી લેખક ભીમદેવ બાણાવળી અને મહમ્મદ ગિઝનીની મુલાકાત પણ ગોઠવે છે. આ મુલાકાત હાસ્યરસથી છલોછલ છે. ભીમદેવ મહમ્મદ ગિઝનીને કહે છે, ‘આ મારો ભાઈ ભરુચ રહે છે, પણ આ આઠ વરસમાં એક જ વાર મળ્યો; જ્યારે તમે સેંકડો જોજન દૂર રહેવા છતાં દર વર્ષે મળવા આવો છો. યૂ આર માય ન્યૂ ફૅમિલી.’ ભીમદેવ એમ પણ કહે છે, ‘મહમ્મદભાઈ, ભારતમાં ઘણાંબધાં મંદિરો છે. ત્યાં પણ જવાનું રાખો અને એકાદ વાર અમને બ્રેક આપો. પોરો ખાવા દ્યો. દ્વારકા જવાનું રાખો. તે પણ સોનાની નગરી છે.’ મહમ્મદે નવમી વાર નહીં આવવાનું વચન આપવા છતાં તે તો પ્રભાસપાટણના પાદરે આવીને ઊભો રહે છે અને લેખક મહમ્મદ ગિઝનીના મુખમાં ભીમદેવને ઉદ્દેશીને આ શબ્દો મૂકે છે, ‘માફ કરજો, વચનભંગ કરવા બદલ. જવું હતું તો દ્વારકા, પણ જૂનાગઢથી બંને મંદિર જતાં રસ્તા ફંટાણા હતા. પણ ઘોડા એટલા તો ટેવાઈ ગયેલા.’ [‘સુશીલા’, પૃ. 69]

હરનિશ જાનીએ 20 અૉગસ્ટ 2018ની સાંજે વિદાય લીધી. આ સમાચારે જબ્બર આઘાત પહોંચાડ્યો છે. ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્ય જગતને, હકીકતે, પહેલી હરોળે ગૌરવભેર સોહે તેવા સાહિત્યકારની ખોટ હવે પછી વેઠવાની રહી. એમણે નવલિકાઓ આપી, નિબંધો આપ્યા, ચરિત્રચિત્રણો આપ્યા અને લેખો પણ કર્યા. એમના નામે ચારેક પુસ્તકો બોલે છે : હાસ્યવાર્તાઓનું પુસ્તક “સુધન”, હાસ્યનિબંધોનું સંકલન “સુશીલા”, લેખોનું પુસ્તક “તીરછી નજરે અમેરિકા” તેમ જ બળવંત જાની સંકલિત “હરનિશ જાનીનું હાસ્યરચના વિશ્વ”.

ઇન્ટરનેટ પર હરતીફરતી માહિતી મુજબ, અંદાજે, 1992માં તેમણે અમેરિકામાં પહેલો ગુજરાતી ટી.વી. કાર્યક્રમ ચાલુ કર્યો હતો અને 1994 સુધી ડાયરેક્ટર, રાઈટર અને પ્રેઝન્ટર તરીકે કામ કર્યું હતું. 1961માં તેમની પ્રથમ વાર્તા 'ચાંદની' સામયિકમાં પ્રગટ થઈ હતી. તેમની વાર્તાને ચિત્રલેખાનો વાર્તા પુરસ્કાર પણ મળ્યો હતો. ઉપરાંત તેમના લેખો 'કુમાર', 'નવનીત સમર્પણ', ‘ઓપિનિયન’ 'ગુર્જરી', 'ગુજરાત દર્પણ' અને 'ગુજરાત મિત્ર' જેવાં સમસામયિકોમાં પ્રસિદ્ધ થયા છે.

એમના પુસ્તક "સુધન"ને ‘ગુજરાત સાહિત્ય અકાદમી' દ્વારા હાસ્ય વિભાગમાં (ઇ.સ. 2007નો) દ્વિતીય પુરસ્કાર, “સુશીલા” પુસ્તકને ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ દ્વારા હાસ્ય વિભાગમાં (ઇ.સ. 2009નો) પ્રથમ પુરસ્કાર અને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ દ્વારા (ઇ.સ. 2009નું) શ્રી જ્યોતિન્દ્ર દવે પારિતોષિક પ્રાપ્ત થયાં છે. આ ઉપરાંત તેમને ગુજરાતી લિટરરી અકાદમી ઑફ નોર્થ અમેરિકા તરફથી (ઇ.સ. 2013નો) વેલજી મહેતા પુરસ્કાર પણ એનાયત થયો છે.

હરનિશભાઈનો જન્મ ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં રાજપીપળામાં 05 એપ્રિલ 1941ના થયો હતો. 1962માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની ડિગ્રી અને ટેક્સટાઈલનો ડિપ્લોમા મેળવીને, 1969માં વધુ અભ્યાસ માટે હરનિશભાઈ અમેરિકા ગયા. ત્યાં પ્લાસ્ટિક ટેકનોલોજીનો અભ્યાસ કરી, ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક કલર કંપનીઓમાં ત્રીસ વરસ રિસર્ચ સાયન્ટિસ્ટ અને ટેકનિકલ ડાયરેકટર તરીકે કામ કરીને નિવૃત્ત થયા પછી લેખન કાર્ય ચાલુ કર્યું. આમ એ 1969થી અમેરિકા ખાતે વસવાટ કરતા હતા, અને હળુહળુ અમેરિકાના સાહિત્ય આકાશના એ અગત્યના તારક બનીને રહ્યા. કેટલાય અવસરોનું સુપેરે સંચાલન કરતા રહ્યા અને સભાખંડે સભાખંડે શ્રોતાઓને જકડી રાખતા રહ્યા. આનો જોટો હવે જડવો સહેલો નથી.

મધુ રાયને સન્માનવાના 1996ના એક અવસરે એક મહેમાનરૂપે જવાની તક સાંપડી ત્યારે હંસાબહેન – હરનિશભાઈ જાની મારા યજમાન હતાં. આ દંપતીને મળવાનો, જાણવાનો અને ચાહવાનો આમ એક ધોરી માર્ગ કંડારાયો.

મધુ રાયે “સુધન”માં લખ્યું છે, ‘બાય ગૉડ, જાનીની બાનીને માણવાની સાચી રીત છે એમની સાથે બાય રોડ ફરવા જવામાં. રસ્તાનો વળાંક, રેડિયોનું ગીત, રાહદારીનો ડગલો, કોફીનો સ્વાદ કંઈ પણ એમને કશાકની યાદ દેવડાવે અને અધધધધ વરસતા એમના કથાપ્રપાતમાં હક્કાબક્કા આપણે નહાઈ ઊઠીએ. એમની વાતો સાંભળતાં સાંભળતાં હસ્યા જ કરીએ.’ (પૃ. 12) આવા અનેક અનુભવો એમની જોડે માણવાનો મોકો મને ય મળ્યો છે. અમેરિકાની મારી એ ત્રણ મુલાકાતો વેળા એ જ મારા મેજબાન. એમની સંગાથે અમેરિકાના ઊગમણા કાંઠા વિસ્તારે પથરાયા ન્યૂ યોર્ક, ન્યુ જર્‌સી અને પેન્સિલવેનિયા રાજ્યોના અનેક પ્રવાસો માણ્યા છે. પ્રિન્સટન યુનિવર્સિટીનાં પ્રાંગણનો જેમ ચક્ષુભોગ કર્યો તેમ જ્યોર્જ વૉશિંગ્ટને જે નદી કિનારે બ્રિટિશ હકુમત સામે જુદ્ધ આદરેલું તે વિસ્તારે લટાર મારેલી તે ય સાંભરે છે. એમની આંગળીએ મહાલતા મહાલતા અમેિરકા વસ્યા ગુજરાતી સાહિત્ય જગતના અનેક તારલાઓની મૈત્રી બંધાઈ.

હરનિશ જાની હંસાબહેન જોડે વળતાં વિલાયતના ત્રણેક વખત પ્રવાસે આવી ગયા. પહેલી કહેતી અનુસાર, હરનિશભાઈ માટે કહી શકાય : ‘he came, he saw, he conquered’. જ્યાં જ્યાં એમના કાર્યક્રમો થયા ત્યાં ત્યાં એમણે મિત્રોનું, ચાહકોનું એક વર્તુળ મજબૂતાઈથી જમાવ્યું જાણ્યું. “ઓપિનિયન”ના દશવાર્ષિક અવસરે પધારેલાં મહેમાનોમાં એ અગ્રેસર હતા, તો વળી, અમારી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની સાતમી ભાષા-સાહિત્ય પરિષદમાં ય એમણે ગૌરવભેર જમાવટ કરી હતી. બૃહદ્દ લંડનમાં વિવિધ સ્થળોએ એમની નિજી બેઠકો જેમ થઈ, તેમ પાટનગરની બહાર પણ કાર્યક્રમો પાર પડ્યા.

અમે સાથે રહ્યાં, આનંદ પણ કર્યો. ‘ગુર્જરી’માં હરનિશ જાનીનું લખાણ પ્રગટ થતું. જોતો. માણતો. એમની કલમે આકર્ષણ ઊભું કર્યું. અમેિરકાના વસવાટ દરમિયાન, એમનાં અપ્રગટ લખાણો જોયાં. એની પકડ જાણી અને ‘ઓપિનિયન’ માટે શ્રેણીબદ્ધ આપતા રહેવાનું બીડું ઝડપ્યું. “સુધન” માંહેના થોડાક લેખો, “સુશીલા”માંના મહદ્દ લેખોનું વાયા ‘ઓપિનિયન’ અવતરણ થયું તેનું સુખદ ગૌરવ પણ છે. આ સામિયકના હરનિશ જાની પહેલી હરોળે અગત્યના કલમકશ બનીને રહ્યા.

વારુ, ’ગુર્જરી’ ડાયજેસ્ટના તંત્રી કિશોરભાઈ દેસાઈ લખે છે તેમ, ‘હરનિશ જાની આપણી અંદર વસી ગયેલું એક યાદગાર પાત્ર છે. તેમની સાથે આપણો કેટલાં ય વર્ષોનો સહવાસ છે.’ તો બીજી પાસ, ’સૂરસાધના’ નામક બ્લૉગ પર ડૉ. કનક રાવળ લખે છે, ‘પ્યારો હરનિશ જાની તાળી દઈને રવાના થઈ ગયો પણ તેનો હસતો ચહેરો, નામ, વાક્પટ્ટુતા અને અજોડ વિનોદ વાતો અને લખાણો કાયમ આપણી પાસે જમા રાખી ગયો. નામ જાની પણ રહ્યો દિલોજાન જાની. ઉપરવાળાને પણ હસાવીને પેટ દુખાડતો હશે. પણ તે સારી કંપનીમાં હશે જેવા કે બકુલ ત્રિપાઠી, કિશોર રાવળ, વિનોદ ભટ્ટ વગેરે, આપણને યાદ કરતો હશે. આ વાંચતા હેડકી આવે તો માનજો કે, તે આપણને અને કુટુંબીજનોને યાદ કરતો હશે. વર્ષો પહેલાં પહેલી મુલાકાતમાં પાંચ જ મિનિટમાં  લાગ્યું કે આ તો જૂનો ગોઠિયો મળ્યો.’

પાનબીડું :

“હાસ્યની ઝીણી સૂઝ, સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ અને વક્ર દૃષ્ટિ, પ્રથમ પેઢીના ‘અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ’ ગુજરાતી વસાહતીઓનું વિનોદી આલેખન, કોઈ પણ જાતના અભિનિવેશ વિના દંભી ધર્માચરણીઓ અને તેનાથી વધારે દંભી ધર્મગુરુઓનું નિર્મમ છતાં માર્મિક નિરૂપણ હરનિશ જાનીની હાસ્યરસની કૃતિઓની ગુણસંપત્તિ છે.”

− મધુસૂદન કાપડિયા

(‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’, પૃ. 53)

હૅરો, 17- 21 સપ્ટેમ્બર 2018

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

[1,178]

(પ્રગટ : "ગુર્જરી" ડાયજેસ્ટ; અૉક્ટોબર 2018)

Loading

અમેરિકાની અકાદમીના સમ્મેલનમાં ‘ડિજિટલ ટૅક્નોલૉજી અને પુસ્તકોનું ભવિષ્ય’ વિષય ટૅક્નિકલ હોઇને ખાસ સમજવાલાયક હતો

સુમન શાહ|Opinion - Opinion|3 November 2018

ઊગતા કવિઓને, પહેલાં બોલાવી લેવાનો મેઇનસ્ટ્રીમવાળાઓનો ભેદકારી ચાલ અહીં પણ જોવા મળ્યો

અકાદમીનું ૧૧મું સમ્મેલન – ૨

વ્હાલી બચીબહેન : સમ્મેલનમાં એક ખૂબ આસ્વાદ્ય વસ્તુ હતી, પન્ના નાયકનું એક જૂનું પણ ભાવવાહી ગીત – 'લ્યો, નાવ કિનારે આવી / મઝદારે મ્હાલી એ મસ્તી એક ઈશારે આવી'. અમર ભટ્ટના સ્વરનિયોજનમાં હિમાલી વ્યાસે ગાયેલું. મને થાય, પન્નાબહેનની એ ગીતસર્જકતા વિકસી હોત તો એમની કાવ્યસૃષ્ટિનું કલામૂલ્ય ઑર અદકેરું થઇ ગયું હોત.

હવે સાંભળ, અમારી બેઠકની વીતકકથા. વિષય હતો, 'નવલકથા અને નવલકથાકાર'. બે કલાકની બેઠક. ચાર વક્તા. દરેકને ૨૫ મિનિટ. ૨૦ મિનિટ મુક્તચર્ચા માટે. ગમ્ભીર વક્તાઓ વ્યાખ્યાનની પૂર્વતૈયારીમાં કલાકો ખરચતા હોય છે. તેમછતાં આવા વ્યાપક વિષયને ૨૫ મિનિટમાં ન્યાય આપવા જાય તો એઓ પણ હાંફી જાય. આ લોકોને એમ હશે કે નવલકથા જેવા સમયખાઉ સાહિત્ય વિશે બહુ બધું જાણી લઇએ તો બીજા સમ્મેલન લગીની નિરાંત થાય ! સદર્થે સેવાયેલો એ લોભ વાસ્તવિક હતો, પણ વક્તાઓને ભારે પડેલો.

મણિલાલ હ. પટેલ વિષયને વફાદાર રહેવા ઇતિહાસમાં ગયેલા. એ પછી રાવજી પટેલની નવલ 'અશ્રુઘર' વિશે કહેતા'તા. દરમ્યાન એમને સૂચના મળી કે 'તમારી પાસે પાંચ મિનિટ' છે. છતાં એમણે વાતને પૂરી તો કરેલી. મેં પહેલેથી જણાવેલું કે 'છિન્નપત્ર' અને સુરેશ જોષીના પ્રદાન વિશે બોલવાનું ઑડિયન્સને અને મને બન્નેને અઘરું પડશે. પણ સુરેશ જોષી વિશેની એમની હૉંશ પ્રશસ્ય લાગેલી એટલે સહર્ષ સ્વીકારેલું. સમય સાચવવા વ્યાખ્યાનને કાંટાકસ તોળ્યું અને ઉમેર્યું કે બાકીની વાત મેં રૅકર્ડ કરી છે, લિન્ક આપીશ. પણ હરખથી ઓળઘોળ સમ્મેલનમાં એવી લિન્કો લેવા કોણ આવે?

ઈલા આરબ મહેતાનો વિષય હતો, ગુણવંતરાય આચાર્યની નવલકથા. ગુણવંતરાય એમના પિતા, તે સ્વાભાવિકપણે જ એમનાથી વિષયની મર્યાદામાં ન રહેવાયું. હકારાત્મક દૃષ્ટિકોણ, દરિયાઇ કથાઓ, સાહસકથાઓ, કલા સાથે કલ્યાણ – એવા અનેક મુદ્દા સાથે પિતાજીનાં સંસ્મરણો, એમ લગભગ જીવનકથા જેવું જ કહેતાં'તાં. સંચાલક નટવર ગાંધીએ 'પાંચ મિનિટ બાકી' કહેલું છતાં એ કારણે ઈલાબહેનથી પછીના વક્તા રમણ સોનીનો લગભગ બધો સમય વપરાઇ ગયેલો. છૂટાં પડતી વખતે ઈલાબહેને 'સૉરિ' કહેલું. દૂધ ઢોળાઈ ગયા પછી શું કરી શકે? સંચાલકને તો એટલું હોય કે પછીના વક્તાનો સમય ઝૂંટવાઈ ન જાય. અને, માનમર્યાદામાં સમજતા અકાદમીવાળા ય શું કરે? પણ બચીબહેન, સભાનો વિવેક જો, ઈલાબહેનને સ્ટૅન્ડિન્ગ ઓવેશન આપેલું ! એવા ઓચ્છવ પછી, મુનશી અને 'પૃથ્વીવલ્લભ' વિશે રમણ સોની બોલવા તો ગયા, પણ શું બોલે? તારાવાળું ક્રિયાપદ વાપરીને કહું તો, એમને 'પતાવવું' પડેલું.

'ડિજિટલ ટૅક્નોલૉજી અને પુસ્તકોનું ભવિષ્ય' વિષય ટૅક્નિકલ હોઇને ખાસ સમજવાલાયક હતો. અપૂર્વ આશરે યુનિકોડનું સ્ટાન્ડર્ડાઈઝેશન, ટૅક્સ્ટ ટુ સ્પીચ, ફ્યુચર-પ્રૂફ પબ્લિકેશન, વગેરે મુદ્દા સમજાવેલા. વક્તવ્ય અને વીડિયો પ્રેઝન્ટેશનનું સંમિશ્રણ સાર્થક નીવડેલું. બાબુ સુથારનો મુખ્ય મુદ્દો એ હતો કે ઇ-બુક્સ સાથે આપણે કેવી કેવી રીતે ઍડજસ્ટ થવું પડશે. કેમ કે પરમ્પરાગત લેખન ને હસ્તપ્રત જતાં રહે, એટલે લર્નિન્ગ પ્રોસેસ બદલાઈ જાય. પરિણામે, આપણું સમગ્ર વર્તન બદલાઈ જવાનું. એમણે ભેટ-પુસ્તક કે પુસ્તક માત્રના ભાવિ વિશે રમૂજી શૈલીમાં સૂચક વાતો કરેલી. મને લાગેલું, બાબુભાઈ વધારે બોલ્યા હોત તો વધારે સારું થાત.

​'કવિતાવિશ્વની અમેરિકાની તારિકાઓ' : કાવ્યપઠન

'કવિતાવિશ્વની અમેરિકાની તારિકાઓ' જેવા લલચામણા શીર્ષક હેઠળ અહીં પણ સ્ત્રીકવિઓનું અલાયદું કાવ્યપઠન હતું. મુકેશ જોશી સભા-સંચાલનોનો બહુ-અનુભવી જુવાન છે. સંચાલનની એની રીત નિજી અને અસરકારક હતી – એકપણ સમસામયિક સંચાલકની યાદ આવતી જ ન્હૉતી. મને આ સ્ત્રીકવિઓની કોઇ કોઇ કાવ્યાત્મક પંક્તિઓ યાદ છે : પૂર્ણિમાબહેનની પંક્તિ -તને મળ્યા પછીના સમયને હું નવ જન્મ આપીશ : રેખાબહેનની પંક્તિ – બરફમાં પડતાં પગલાં હજી ભીનાં છે : દેવિકાબહેન ધ્રુવે ગીત ગઝલ ને અછાન્દસ સંભળાવેલાં. એમની – લો અમે તો ચાલ્યાં પાછાં કલમને કરતાલે, રચના મને વધારે સારી લાગેલી. જયશ્રીબહેનની પંક્તિ – મને દઇ દો આ ટહૂકાનું આયખું, સુન્દર હતી. તને મારા અચરજની વાત કરું. મને આપણા વિનોદ અધ્વર્યુની દીકરી, ભાષાભવનની મારી વિદ્યાર્થિની, નંદિતા – નંદિતા ઠાકોર – મળેલી. કાવ્યો લખે છે ને ગાઈ જાણે છે – તારી આંખોમાં શમણાંની જેમ અમે રહીશું, એણે સરસ ગાયેલું. એની – અટૂલા માળામાં એકલવાયું પંખી એકલતાને ટીપે ટીપે ચણ્યા કરે, એ રચના મને બહુ ગમેલી. ઊગતા કવિઓને, પહેલાં બોલાવી લેવાનો મેઇનસ્ટ્રીમવાળાઓનો ભેદકારી ચાલ અહીં પણ જોવા મળ્યો. પણ આ સ્ત્રીકવિઓ સ્વાયત્તપણે જેવું લખાય એવું લખી રહી છે એ મોટી વાત છે. એમને ક્રીએટિવ સૅલ્ફ -ઍડિટિન્ગની તાલીમ મળે તો વધારે સારું લખી શકે.

સ્થાનિક લેખકો માટેની બેઠકમાં, વળીને, મોટી સંખ્યામાં કાવ્યો હતાં. અશોક વિદ્વાંસના સંચાલન હેઠળ ભૂપેન્દ્રસિંહ રાઉલ, ચન્દ્રકાન્ત દેસાઈ, હિમાદ્રીબહેન, કિશોરભાઈ, આશાબહેન, રણધીર નાયક, દિનેશભાઈ, હંસાબહેન, રમેશભાઈ, તુષારભાઈ, એમ ઘણાંએ પોતાની રચનાઓ રજૂ કરેલી. આ લોકોનો ખાદ્ય ગદ્યની તુલનામાં પેય પદાર્થ કાવ્યને વિશેનો મોહ તો તું જો – વળી, કાવ્યપઠન હતું ! આમન્ત્રિત કવિઓ માટેનું. એમાંના, ચિન્તન નાયકે ગઝલો અને અછાન્દસ રચના રજૂ કરેલી. એમની – ખુદથી વધુ ખુદાને શોધું, એવા ભાવની રચના વધારે સારી હતી. મુકેશે પોતે માત્ર સંચાલક નથી, કવિ છે, એવા ઠસ્સાથી રજૂ કરેલી રચનાઓમાં – આ માણસ બરાબર નથી, મને વધારે ગમેલી કેમ કે એ ભાવ એમાં તાદૃશ થયેલો. લાગ્યું કે એ બન્ને કવિઓ જુદા સ્વાદની રચનાઓની દિશામાં છે. (મને ઘણાની સરનેમ યાદ નથી રહી, ક્ષમા.)

અનિલ ચાવડાએ – સણસણતી ગોફણ છે, ગોફણ છે, એ પ્રલંબ લયની રચનાથી સભાને સ્તબ્ધ કરી દીધેલી. – એક નાના કાંકરે આખી નદી ડ્હૉળાય નહીં કહીને; અમદાવાદને ૨૦૮ની ઝડપે દોડતું ૧૦૮નું શહેર કહીને; એણે પોતાની હાસ્યવ્યંગશક્તિનો અચ્છો પરચો આપેલો. 'નયનસંગ બાપુ'-નો અંશ તો મને એ શક્તિનો અનેરો ઉલ્લાસ લાગેલો. તુષાર શુક્લની 'ફુગ્ગાવાળો', 'વાળવગી ઓળખ', પિતાજી અને દીકરી વિશેની રચનાઓ, સાંભળતાં લાગ્યું કે કિલકારી જેવી હળવીમધુર રીતેભાતે પણ કાવ્યપદાર્થ ઘણું કહી શકે છે. જેમ અનિલે તેમ તુષારે સૂચવી દીધેલું કે સભામાં કાવ્યપઠનના તરીકા નૉખા જ હોય પણ એ એટલા જ સાર્થક નીવડવા જોઇએ. 'ચલો ગુજરાત'-ના જાણે બોનસ રૂપે સમ્મેલનને દેવકી દવે, જય વસાવડા, સુભાષ ભટ્ટ અને નેહલ ગઢવી મળેલાં. દેવકીનું પ્રસંગોચિત વક્તવ્ય, પ્રેરક હતું. સુભાષ ભટ્ટને કારકિર્દીપરક અને જીવનવિષયક સૂચક પ્રશ્નો પૂછીને જય વસાવડાએ એ બેઠકને ઘણી ધ્યાનાકર્ષક બનાવેલી. લાગ્યું કે જય પ્રભાવક વક્તા ઉપરાન્ત નિપુણ સંચાલક પણ છે. સુભાષની ફિલસૂફી તરફી અંગત વાતો સાથે/સામે નેહલની વાસ્તવતરફી સંગત આસ્વાદ્ય હતી.

સમ્મેલન જેવા મોટા ફલકના કાર્યક્રમોમાં ત્રણ વર્ગના કાર્યકરો હોય છે – સાથ આપનારા – સહકાર આપનારા – સેવા આપનારા. રથિને એવા વર્ગ પાડીને સૌ કાર્યકરોનો નિરાંતે આભાર માનેલો. સૌએ એમનું એ આભાર-વક્તવ્ય માણેલું. બાકી, બધાં રાહ જોતાં હોય છે કે ક્યારે 'પતે' ! રથિનને મેં કહેલું – આભાર માનવાની તમારી આ વિલક્ષણ રીત હું મારા અધ્યાપકમિત્રોને જરૂર જણાવીશ. પણ બચીબહેન, આ લોકો બે વરસે સમ્મેલન કરે એ તો ન ચાલે. ભૂલી જવાય; ને ભુલાવી દે એવું છે આ અમેરિકા. આવીશ ત્યારે તું પણ અનુભવીશ.

===

https://www.facebook.com/suman.shah.94/posts/2190248351006066

શનિવાર, તારીખ ૩/૧૧/૨૦૧૮ના “નવગુજરાત સમય” દૈનિકમાં પ્રકાશિત આ લેખ સૌજન્યસહ મૂક્યો છે.

Loading

લ્યો, નાવ કિનારે આવી !

પન્ના નાયક|Poetry|3 November 2018

લ્યો, નાવ કિનારે આવી!
મઝધારે મ્હાલી એ મસ્તી એક ઈશારે લાવી.
 
          ક્યાંક સાંજનો પવન
             ને જળની માયા મમતા
         સૂર્ય-ચંદ્રનાં કિરણ
             હજી તો હૈયે રમતાં
જનમજનમની વાતો સઘળી સઢમાં દઈ સમાવી..
         લ્યો, નાવ કિનારે આવી!
 
         એક કિનારો મળ્યો
            હવે તો સાવ નિરાંતે
        રાત પછીના કોઈ
           ઊઘડતા એક પ્રભાતે
નાવ ઊડશે નકી હવે તો સઢને પાંખ લગાવી 
         લ્યો, નાવ કિનારે આવી!

• સંગીત : અમર ભટ્ટ • ગાયક : હિમાલી વ્યાસ-નાયક • તબલાસંગત : દીપક ગુંદાણી • કીબૉર્ડસંગત : બ્રિજ જોશી

https://drive.google.com/file/d/1DtFkwiFjoh8BYb4IIUid4XCGKSGHTmWC/view?ts=5b999867

Loading

...102030...3,0603,0613,0623,063...3,0703,0803,090...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved