Opinion Magazine
Number of visits: 9579383
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બ્રિટન યુરોપિયન સંઘમાંથી માર્ચ 2019માં બહાર નીકળશે : રાષ્ટૃવાદીઓ જટિલ પ્રશ્નોને પહેલાં સરળ કરે છે અને પછી એને વધુ જટિલ બનાવે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|14 July 2018

બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપના દેશોને એમ લાગ્યું હતું કે જો રોટલાનો અથવા પેટનો ખાડો પૂરવાનો સંબંધ એકબીજા સાથે જોડવામાં આવે તો ત્રીજું વિશ્વયુદ્ધ ટાળી શકાય. આર્થિક સંબંધોના તાણાવાણા એવી રીતે ગૂંથવા કે અલગ પડવું જ મુશ્કેલ બને. પરસ્પર નિર્ભરતા એટલી વિકસાવવી કે તેમાં લડીને દૂર જવું કે એકબીજાને તારાજ કરવા એ દૂરની વાત ગણાશે. આમાંથી યુરોપના સંઘની કલ્પના વિકસી હતી. યુરોપની એક મજિયારી બજાર હોય, બધા દેશોમાં ચાલે એવું એકસમાન ચલણ હોય, વેપાર-વાણિજ્યની એકસમાન સંહિતા હોય, નિયમનો કરનારી એજન્સી હોય, લોકો પાસપોર્ટ અને વીઝા વિના એકથી બીજા દેશમાં જઈ શકતા હોય, બધા દેશોની એક સંસદ હોય, વગેરે વગેરે.

યુરોપની મજિયારી બજાર તો બની હતી, પરંતુ પૂર્વ યુરોપ હજુ સામ્યવાદી હોવાથી જે અસ્સલ કલ્પના કરવામાં આવી હતી એ સાકાર નહોતી થઈ. ૧૯૯૦ પછી પૂર્વ યુરોપના દેશોમાં સામ્યવાદનો અંત આવ્યો અને જેવા યુરોપ સંઘની કલ્પના કરવામાં આવી હતી એવું યુરોપ લગભગ સાકાર થયું. એમ તો તુર્કી પણ યુરોપનો દેશ છે, પરંતુ તુર્કી મુસ્લિમ દેશ હોવાથી તેને યુરોપ સંઘમાં સભ્યપદ આપવામાં આવતું નથી.

ભૌગોલિક રાજકીય એકતા માટે યુરોપ એક દીવાદાંડી સમાન હતું, પણ ત્યાં સુધી જ્યાં સુધી આર્થિક વિકાસનું ગાડું અટકી નહોતું પડ્યું. સ્વાભાવિક છે, જ્યાં સુધી રોટલો રળવામાં મુશ્કેલી ન આવતી હોય ત્યાં સુધી. ત્યાં સુધી જો ખાવામાં બે મોઢાનો વધારો થાય તો કોઈને ભારે નથી પડતું, પરંતુ જ્યારે પડતી થાય ત્યારે પ્રેમ અને ઉદારતાનું બાષ્પીભવન થઈ જાય છે. ૨૦૦૮ પછીથી યુરોપ અને અમેરિકાના અર્થતંત્ર પર સાડાસતી બેઠી છે. નેગેટિવથી લઈને માત્ર ૧.૯ (જર્મની) ટકાનો વિકાસદર છે. પ્રજામાં હતાશા વધવા લાગી ત્યારે આપણે અને બહારનાની માનસિકતા વિકસવા લાગી. જમણેરી રૂઢિચુસ્તો કહેવાતા દેશપ્રેમનું રાષ્ટ્રવાદી રાજકારણ તો કરતા જ હતા તેમાં તેમને હતાશાને વાચા આપનારા સોશ્યલ મીડિયાનો સહારો મળ્યો. સોશ્યલ મીડિયા દ્વારા એવો ઉન્માદ પેદા કરવામાં આવ્યો કે બે વરસ પહેલાં ૨૩મી જૂન ૨૦૧૬ના રોજ બ્રિટન યુરોપના સંઘમાંથી બહાર નીકળી ગયું.

આગળ કહ્યું એમ યુરોપનો સંઘ દાયકાઓની મથામણ પછી રચાયો હતો. મજિયારી બજારથી લઈને મજિયારું ચલણ અને મજિયારી સંસદ સુધી વિકાસ કર્યો છે. યુરોપિયન સંઘના બંધારણની ધારા ૫૦ હેઠળ કોઈ પણ દેશ બહાર નીકળી શકે છે, પરંતુ તેની પ્રક્રિયા અટપટી છે. મન ફાવે ત્યારે કોઈ કમંડલ લઈને બહાર ન નીકળી શકે. અનેક બાબતો સ્પષ્ટ કરવાની છે અને એમાં મુશ્કેલીઓ આવી રહી છે. સૌથી મોટી મુશ્કેલી કોર્પોરેટ કંપનીઓએ પેદા કરી છે. કંપનીઓ કહે છે કે બ્રિટન યુરોપમાં રહે કે બહાર; અમને એ જ સરળતા, સ્પષ્ટતા અને કાયદાકીય તેમ જ નાણાકીય એક સરખાપણું અને જોઈએ છે જે યુરોપિયન સંઘમાં છે. જો બ્રિટન અલગ નીતિનિયમો બનાવશે તો એર બસ, લેન્ડ રોવર, બી.એમ.ડબલ્યુ. જેવી કેટલીક કંપનીઓએ બ્રિટન છોડી જવાની ધમકી આપી છે.

જ્યારે બ્રેક્ઝિટનો લોકમત લેવાયો અને બ્રિટન યુરોપમાંથી બહાર નીકળી ગયું ત્યારે બ્રિટનમાં સોપો પડી ગયો હતો. એ સમયના વડા પ્રધાન ડેવિડ કેમેરુન અને બીજા નેતાઓને લાગવા માંડ્યું હતું કે બ્રિટનનું અર્થતંત્ર તૂટી પડશે. પાઉન્ડ માર ખાશે અને વિકાસદર પા-અડધો ટકો કે પછી નેગેટિવ પણ થઈ શકે છે. એ ભય ઘણે અંશે ખોટો સાબિત થયો છે, એટલે દેશપ્રેમી રાષ્ટ્રવાદીઓ ગેલમાં આવી ગયા છે. બ્રિટિશ વડાં પ્રધાન ટેરિસા મે પહેલા બ્રેક્ઝિટના વિરોધી હતાં, પરંતુ હવે પાઉન્ડ અને વિકાસદર (૧.૭ ટકા, જર્મનીથી માત્ર ૦.૨ ટકા પાછળ) જળવાઈ રહ્યો છે, એટલે તેઓ પણ બ્રેક્ઝિટની તરફેણ કરવા લાગ્યાં છે. આમાં એક કારણ એ પણ છે કે તેમના ટોરી પક્ષમાંના જમણેરી રૂઢિચુસ્તો વધુને વધુ દબાણ લાવીને ટેરિસા મેને ભીંત સોંસરવા ધકેલી રહ્યાં છે.

મેના પ્રધાનમંડળમાં બ્રેક્ઝિટનો હવાલો સંભાળનારા ડેવિડ ડેવિસે રાજીનામું આપી દીધું એ પછી તરત જ ટેરિસા મે પર વધુ દબાણ લાવવા વિદેશ પ્રધાન બોરિસ જ્હોનસને રાજીનામું આપ્યું છે. હજુ વધુ પ્રધાનો રાજીનામાં આપવાના છે એમ કહેવામાં આવે છે. હકીકતમાં બોરિસ જ્હોન્સન વડા પ્રધાન બનવા માંગે છે. વરસ પહેલાં કારણ વિના ટેરિસા મેએ વચગાળાની ચૂંટણી યોજીને પોતાની સ્થિતિ નબળી કરી છે, અને અત્યારે હવે વધુ નબળી થઈ રહી છે. તેઓ આત્મવિશ્વાસનો દેખાવ કરી રહ્યાં છે, પરંતુ અંદરથી દિશાહીન છે.

બ્રેક્ઝિટ પછી જે ભય સેવવામાં આવ્યો હતો, એ સાચો ન નીવડ્યો એનો અર્થ શું અનુકૂળતા છે અને અત્યારે અર્થતંત્રમાં જે મામૂલી અનુકૂળતા નજરે પડે છે એ જળવાઈ રહેશે? હજુ તો બ્રિટન યુરોપમાંથી વિધિવત્ બહાર નીકળ્યું નથી. વિભાજનની વિધિ નક્કી થઈ રહી છે અને એ વાટાઘાટો આ વરસના અંત સુધી ચાલવાની છે. બ્રિટન આવતા વરસના માર્ચ મહિનામાં યુરોપિયન સંઘમાંથી બહાર પડશે. અર્થતંત્રમાં જે અનુકૂળતા નજરે પડી રહી છે એ વચગાળાની છે, અને જેવું બ્રિટન બહાર નીકળશે કે તરત અવળી અસર થશે એમ જાણકારો કહે છે. બીજું કોર્પોરેટ કંપનીઓનું દબાણ પુષ્કળ છે અને તેને ખાળવું મુશ્કેલ બની રહ્યું છે. ત્રીજું જો ઉગ્ર રાષ્ટ્રવાદીઓ સત્તા ખાતર રાજકીય અસ્થિરતા પેદા કરશે તો હજુ વધુ નુકસાન થઈ શકે એમ છે. તો પછી શું પૂર્વ યુરોપના ગરીબ દેશોના (મુખ્યત્વે પોલેન્ડના) નાગરિકો બ્રિટનમાં ઘૂસે છે, એટલે યુરોપમાંથી નીકળી જવાનું? આ તો બેવકૂફી કહેવાય અને બ્રિટનમાં એ જ બની રહ્યું છે. આનું નામ રાષ્ટ્રવાદ. જટિલ પ્રશ્નોનું સરલીકરણ કરવાનું અને પછી જટિલ પ્રશ્નને વધારે જટિલ બનાવવાનો.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 14 જુલાઈ 2018

Loading

મહાન છતાં ય છેતરામણો સર્જક !

ભરત દવે|Opinion - Opinion|14 July 2018

નોર્વેના પ્રસિદ્ધ નાટ્યકાર હેનરિક ઇબ્સનની ઓળખાણ આપણા માટે જાણીતાં નાટક “Doll’s House”ના સર્જક તરીકેની છે. નાનપણથી જ ઇબ્સને પોતાના કુટુંબની સુખાકારી જોઈ જ નહોતી કારણ કે તે આઠ વર્ષનો થયો, ત્યાં સુધીમાં પિતાના ધંધામાં મોટી ખોટ જવાથી તેનું કુટુંબ તેના જન્મસ્થળ(Skein)થી દૂર જઈને વસી ગયેલું. ઇબ્સન જ્યારે 15 વર્ષનો થયો ત્યારે તેનું કુટુંબ ફરીથી શહેરમાં આવીને વસ્યું. પરંતુ તેની આર્થિક હાલતમાં ત્યારે પણ હજુ કોઈ ખાસ સુધારો થયો નહોતો. બહુ ગરીબી અને અભાવ વચ્ચે રહીને ઇબ્સન જેવુંતેવું શાળાકીય શિક્ષણ પામ્યો.

નાનપણથી જ તે સ્વભાવે તેમ જ હકીકતે એકલવાયો હતો. ગરીબી અને સંઘર્ષને કારણે તે અંતર્મુખી અને કંઈક અંશે કડવો બની ગયો. આ કડવાશ એટલી હદે તેના હાડમાં ઊતરી ગઈ કે વયસ્ક થયા બાદ, આગળ ઉપર જ્યારે એક વાર તેણે પોતાનો દેશ છોડી દીધો, પછી વર્ષો સુધી ત્યાં પાછો ન ફર્યો. તેના કુટુંબમાં તેની એક બહેન હેડવિગ સિવાય બીજા કોઈ સાથે તેણે સંબંધો રાખ્યા નહોતા. પોતાના કુટુંબ પાસેથી જ તેને પૂરતી સહાનુભૂતિ નહોતી મળી. પિતા હંમેશાં તેમના જ આર્થિક સવાલોથી ઘેરાયેલા રહેતા અને માતાની ધાર્મિક જડતા એવી હતી કે જેનાથી ઊભા થયેલા અંતરને ઓળંગવાની ઇબ્સનને ક્યારે ય એવી તીવ્ર ઇચ્છા કે જરૂર ન લાગી.

અંતે 1844માં 15 વર્ષની વયે ઇબ્સન સ્કીનની પેલે પાર આવેલ ગ્રીમસ્ટૅડમાં એક ફાર્માસિસ્ટને ત્યાં તાલીમ માટે રહી ગયો. સવાર-સાંજ દરિયાના સંગાથમાં, આકાશમાં દેખાતા અવનવા રંગો અને દરિયાનાં પાણીમાં ઝિલાતાં તેનાં મનોહર પ્રતિબિંબને નિહાળતા રહેલા ઇબ્સનની કલ્પનાઓમાંથી એટલા તીવ્ર અભાવ અને સંઘર્ષ વચ્ચે પણ સ્વયંભૂપણે કવિતાઓ સ્ફુરવા લાગી ! સિસેરોનાં વાચનથી પ્રેરાઈને 1850માં તેણે સર્વપ્રથમ નાટક લખ્યું ‘Catiline’. રોમેન્ટિક પરંપરાથી લખાયેલું આ એક ઐતિહાસિક ભૂમિકા પરનું નાટક હતું. તેમાં દેશદ્રોહી રોમન શહેનશાહની કથા આલેખવામાં આવેલી.

આ દરમિયાન ફક્ત 18 વર્ષનો ઇબ્સન તેની એકલતા, હતાશા-નિરાશાથી છૂટવા તેના કરતાં વયમાં દસ વર્ષ મોટી એક નોકરાણીના પ્રેમમાં પડ્યો. તે સ્ત્રીથી તેને વગર લગ્ને એક સંતાન થયું જેને ઇબ્સને 14 વર્ષ સુધી ટેકો આપી ઉછેરવામાં સહાય કરી. આમ છતાં તેનું આ કૃત્ય વર્ષો સુધી તેને માનસિક સંતાપ આપતું રહ્યું. અંતરની આ મનોવ્યથાને તેણે આગળ ઉપર તેના પ્રસિદ્ધ નાટક ‘Peer Gynt’માં વેધક રીતે વ્યક્ત કરી.

બર્ગનના પ્રગતિશીલ થિયેટરના માલિકે ઇબ્સનનાં લખાણોથી પ્રભાવિત થઈ તેને રંગમંચની તાલીમ લેવા ડેન્માર્ક અને જર્મનીનો સાંસ્કૃિતક પ્રવાસ ખેડવાની સગવડ કરી આપી. તાલીમ પૂરી કરી લીધા બાદ ઇબ્સન 1857 સુધી બર્ગન થિયેટર જોડે મેનેજરપદે સંકળાયેલો રહ્યો. એ દરમિયાનમાં તેણે નોર્વેની સંસ્કૃિત, લોકગીતો, દંતકથાઓ વગેરેનો ઊંડો અભ્યાસ કરી નાટકો લખ્યાં, ગીતો લખ્યાં અને આમ નોર્વેનું પોતાનું નેશનલ થિયેટર સર્જવાના ભગીરથ પ્રયાસો કર્યા. ઇબ્સન મધ્યમવર્ગીય કરુણાન્તિકાઓ(bourgeois tragedies)ની પરંપરાનો હતો. પરંતુ કવિતાઓ તેમ જ નાટકોની લોકસ્પર્શી જનસાધારણ અભિવ્યક્તિ તેને રંગદર્શીઓ (Romanticists) પાસેથી શીખવા મળી. ઇબ્સનના મહાન નાટ્યસર્જન પાછળ તે કાળના રંગદર્શી સર્જકોનું મોટું ઋણ રહ્યું છે.

1864થી 1890 સુધી ડેન્માર્ક, રોમ અને જર્મનીમાં રહીને ઇબ્સને તેનાં તમામ જગવિખ્યાત નાટકો લખ્યાં. 1891માં જ્યારે તે સ્વદેશ પાછો ફર્યો ત્યારે એક જગવિખ્યાત નાટ્યકાર તરીકે મશહૂર થઈ ચૂકેલો. પ્રજાએ તેને ખૂબ માનપાન આપીને વધાવ્યો. બાકીનું આયુષ્ય – 1906 સુધી તે નોર્વેમાં જ રહ્યો. ઇબ્સન દેખાવમાં ઠીંગણો પણ ઊર્જાવાન અને પ્રભાવશાળી દેખાતો. તેનું કપાળ વિશાળ હતું. આંખો નાની, વેધક અને આસમાની રંગની હતી. તેના સખત રીતે ભીડેલા હોઠ તેની દૃઢ સંકલ્પશક્તિનો પરિચય આપતા. 1899માં તેની હયાતીમાં જ નૅશનલ થિયેટરના પ્રાંગણમાં તેની કાંસાની પ્રતિમા મૂકવામાં આવી. છેલ્લાં વર્ષોમાં તે માંદો પડ્યો. તેને ચિત્તભ્રમ થઈ ગયું. 1906માં બેશુદ્ધ હાલતમાં જ તે મૃત્યુ પામ્યો.

તમામ નાટ્યકારોમાં નોર્વેનો હેનરિક ઇબ્સન ભારે છેતરામણો છે. તેના સાહિત્યમાં તે જે કોઈ હેતુઓનો પ્રવક્તા હતો એ જ હેતુઓને ક્યારેક સાવ ઊલટાવી નાખીને જોવાની તેનામાં ગજબની હિંમત હતી ! જેમ કે “Doll’s House” નાટકની પ્રસિદ્ધિને કારણે ઇબ્સન સમગ્ર યુરોપનાં નારીમુક્તિ-સંગઠનોનો પ્રવક્તા બની ગયો. તે નાટકની નાયિકા નૉરા જગતની તમામ પીડિત સ્ત્રીઓની જાણીતી રોલમૉડલ બની ગઈ, અને પછીથી ઇબ્સને સાવ અવળું જ વિધાન કર્યું કે ‘મારું આ નાટક માત્ર મહિલાઓના હક્કોનું જ નાટક નથી !’ એક બાજુ તે મધ્યમવર્ગીય રૂઢિપરંપરાની કઠોર આલોચના કરી તેની હાંસી ઉડાવતો અને બીજી બાજુ તે ખુદ એ જ સંકુચિત માનસિકતા ધરાવતા મધ્યમવર્ગીય સમાજની પેદાશ હતો. તેને કાયમ એવી ઝંખના રહેતી કે રાજશાસન તરફથી મળેલાં માનઅકરામોનું કોઈ ને કોઈ રીતે જાહેરમાં પ્રદર્શન થાય. તે હંમેશાં યાદ રાખીને ચીવટપૂર્વક ભપકાદાર કપડાં પહેરતો. તે મૂડીવાદવિરોધી કામદાર લડતોનો સૌથી મોટો સમર્થક હતો અને છતાં ય તેની પોતાની આવકનું એક ગણતરીબાજ શરાફની માફક કોઈ નફાકારક ધંધાવેપારમાં રોકાણ કરવાનું કદી ય ચૂકતો નહીં.

વર્ષો સુધી વિકસિત દેશોનાં મહાનગરોમાં રહ્યો હોવા છતાં ઘણીબધી બાબતોમાં તે સંકુચિત (parochial) માનસ ધરાવતો હતો. રાજકીય પ્રશ્નો પર તે બહુ નિર્ભીકપણે લખતો. પરંતુ શાસન વિરુદ્ધ સામી છાતીએ લડત આપવાની તેનામાં સહેજ પણ હિંમત નહોતી. તેમાં ય વળી જેની જોડે તે ગાઢ રીતે સંકળાયેલો એવા એક રાજકીય સંગઠનના કેટલાક સાથીઓ પકડાઈ ગયા અને એ બધાને લાંબી કેદની સજા થઈ. આ ઘટનાની જાણ થઈ ત્યારે ઇબ્સન ભયથી ધ્રૂજી ઊઠેલો. આગળ જતાં, આ જ ભયને કારણે તેણે રાજકારણમાં સક્રિય ભાગ લેવો જ સમૂળગો છોડી દીધો ! ઇતિહાસમાં મહાન ગણાયેલા સર્જકની આ એક ભીતરની માનવીય નબળાઈ હતી. એક રાજકીય વિચારક તરીકે સમયના જુદા જુદા તબક્કે તેણે પોતાના વતન નોર્વેના રૂઢિચુસ્તો અને ઉદારમતવાદીઓ – બંને ય ખુશ રહે એવું વિચક્ષણ વલણ દર્શાવ્યું, અને છતાં ય સામે આ બંને વર્ગો ઇબ્સનની અવિભક્ત રાજનિષ્ઠા કે દેશપ્રેમ વિશે સદા ય ગેરસમજ સેવતા રહ્યા.

ઇબ્સન પ્રથમ હરોળનો કવિ અને છતાં ય તેણે ઉત્તમ કહી શકાય એવા ગદ્યખંડો લખ્યા. એક નિર્ણાયક ગાળામાં તો એ જ્યારે ગદ્યને આધુનિક નાટ્યલેખનના એક મહત્વપૂર્ણ અંગ તરીકે સ્વીકારવાનું કહી રહ્યો હતો, ત્યારે જ તેણે રસાળ પદ્યમાં લખવાનું ચાલું રાખ્યું. તેના આરંભનાં રોમેન્ટિક નાટકોમાં રિયાલિઝમ દાખલ કર્યું અને પછીના ગાળામાં લખાયેલા રિયાલિસ્ટિક નાટકોમાં સિમ્બોલિઝમનો પ્રયોગ કર્યો. ઇબ્સન એક એવો અનોખો સર્જક હતો કે જે કોકિલની માફક મધુર પણ થઈ શકતો અને કાગડાની માફક કર્કશ  પણ ! ક્યારેક તો બંને એક સાથે ! તેનો સર્વાંગી તલસ્પર્શી અભ્યાસ જ તેના વ્યક્તિ અને કલાકાર વચ્ચેના આ વિરોધાભાસને સ્પષ્ટ કરી શકે.

સૌજન્ય : “વિશ્વવિહાર”, એપ્રિલ 2018; પૃ. 10-12 

Loading

આજે, અર્થાત્ આષાઢસ્ય પ્રથમ દિવસે, વિરહી યક્ષે મેઘને દૂત બનાવીને પ્રિયાને સંદેશો મોકલ્યો હતો

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|13 July 2018

કાલિદાસનું ‘મેઘદૂત’ પ્રણય અને શૃંગાર, કલા અને સૌંદર્ય, પ્રકૃતિ અને પ્રવાસનું રોમહર્ષક કાવ્ય છે. રજનીકુમાર પંડ્યાએ ચિત્રો અને સંગીત સાથે તૈયાર કરેલી તેની લોકભાગ્ય આવૃત્તિ ઘરેણાં જેવું પુસ્તક છે.

ટ્વિટર પળવારમાં વાતને દુનિયાભરમાં પહોંચાડતું હોય તેવા જમાનામાં પણ ધીમા ઢાળનાં શ્લોકોમાં લખાયેલાં કાલિદાસના પ્રણયકાવ્ય ‘મેઘદૂત’ની સાહિત્યપ્રેમીઓ પરની મોહિની ઓસરતી નથી. તે એક વિખૂટા પડી ગયેલાં પ્રેમીનું કાવ્ય છે. પ્રાચીન કાળમાં, એક વર્ષ માટે પ્રેયસીથી વિખૂટો પડેલો અત્યંત વિરહી યક્ષ, આષાઢ માસના પહેલા દિવસે ચોમાસાના વાદળને દૂત બનાવી, બહુ જ દૂર રહેતી  પ્રિયતમાને પ્રેમ-સંદેશો મોકલે છે. વાદળ પ્રેમીનો મેસેન્જર બને એ કલ્પના પોતે જ ઝકઝોળી દેનારી છે. વળી આ કલ્પના અસાધારણ કાવ્યકલા સાથે જોડાય છે. તેમાં ઉમેરાય છે ‘કસક અનજાની’ પેદા કરનાર શૃંગાર અને નારીસૌંદર્યનાં વર્ણન, પ્રદેશો, પ્રકૃતિ અને સંસ્કૃિતનું આહ્લાદક ચિત્રણ.

વૉટ્સઍપના દિવસોમાં ય દેશમાં સેંકડો રસિકો એવા હશે કે જે દોઢ-બે હજાર વર્ષ પહેલાં રચાયેલાં ‘મેઘદૂત’ને આજે, એટલે કે આષાઢસ્ય પ્રથમ દિવસે, કોઈ ને કોઈ રીતે યાદ કરતાં હોય. અનુષ્ટુપ છંદના એકસો અઢાર શ્લોકોના આ રમણીય કાવ્યને દેશ અને દુનિયાના કવિઓ, અનુવાદકો  પોતપોતાની ભાષામાં લઈ ગયા છે. ગુજરાતીમાં જ ગઈ એકાદ સદી દરમિયાન તેના ત્રેવીસ પદ્ય અનુવાદો થયા છે, તેમાંનો સહુથી હમણાંનો 2002ના વર્ષનો છે! જયન્ત પંડ્યાનો આ અનુવાદ, કે ન્હાનાલાલ તેમ જ  કિલાભાઈ ઘનશ્યામે  કરેલા અનુવાદ હોય, એ ત્રણેયના અનુષ્ટુપ વાંચવામાં આનંદ આનંદ પડી જાય છે.

એવો આનંદ સહેજ જુદા માધ્યમે આપણા વરિષ્ઠ નવલકથાકાર અને ફિલ્મ-અભ્યાસી રજનીકુમાર પંડ્યાને પડ્યો હતો. તેમણે 1945માં બનેલી હિન્દી ફિલ્મ ‘મેઘદૂત’માં જગમોહને ગાયેલું ‘ઓ બરસા કે પહેલે બાદલ, મેરા સંદેસા લે જાના …’ સાંભળ્યું, ત્યાર બાદ તેમના સાહિત્યરસિક શ્રેષ્ઠી મિત્ર નવનીતલાલ શાહે ‘કિલાભાઈના મેઘદૂત’ના અનેક શ્લોકો તેમને સંભળાવ્યા. પછી જાણે તેની ભૂરકી હેઠળ રજનીકુમાર પંડ્યાએ ‘મેઘદૂત’ની ચિત્રો અને સંગીતથી સમૃદ્ધ આવૃત્તિ તૈયાર કરી, જે ગુજરાતી પુસ્તકવિશ્વનું એક ઘરેણું છે. વાસુદેવ સ્માર્ત અને કનુ દેસાઈ સહિત અનેક ચિતારાઓનાં ચિત્રો તેમ જ એસ.એમ. ફરીદની તસવીર કળા તેમાં છે, વાચકને ન્યાલ કરી દેનારું બીજું ઘણું ય અહીં છે. પુસ્તકની અંદરની બે કૉમ્પૅક્ટડિસ્ક(સી.ડી.)માં પ્રફુલ્લ દવેએ આશિત દેસાઈના સંગીત નિર્દેશનમાં મેઘદૂતનાં ગુજરાતી પદ્યોનું ગાન કર્યું છે. તેની વચ્ચે આવતાં સરસ વિવરણ(કૉમેન્ટરિ)નું લેખન ખુદ રજનીકુમારે કર્યું છે, અને તેનું ભાવવાહી વાચન (વૉઇસ-ઓવર) વિદ્યુલ્લતા ભટ્ટે કર્યું છે. પુસ્તક નિર્માણની આખી ય ટુકડી મેઘદૂતને ‘પંડિતોની પોથીમાંથી બહાર કાઢીને લોકહૃદય સુધી પહોંચાડવાના એક પ્રયાસ’માં સફળ છે.

‘મેઘદૂત’ના પાંચ ભાષાઓના અનુવાદોની ગૌતમ પટેલે સંપાદિત કરેલી આવૃત્તિ પણ વાસુદેવ સ્માર્તનાં લાઇન ડ્રૉઇન્ગ્સ  અને વિનોદ પટેલનાં  મિનિએચર પેઇન્ટિન્ગ્સથી ઓતપ્રોત છે.વાસુદેવભાઈ લખે છે: ‘મેઘદૂતમાં શ્લોકે શ્લોકે મેઘ, એની ગતિ, રીતિ વગેરેનું સૂક્ષ્મ વર્ણન છે. મેઘ જ આ કાવ્યનો આત્મા છે. આ આવૃત્તિ માટે મેં સેંકડો વાદળોનાં રેખાંકનો કર્યાં. એકસો વીસ શ્લોકોમાં લગભગ સિત્તેર-એંશી પ્રકારનાં વાદળો, પાણીનાં જુદાં વમળો, ગતિ દર્શાવ્યાં છે.’ ચિત્રની જેમ નૃત્યની શૈલીઓમાં મેઘદૂતનું અત્યારના સમયમાં પણ અનેક વાર નિર્માણ કરનાર કલાકારોની યાદી ઘણી લાંબી થઈ શકે. તે જ રીતે જર્મન, અંગ્રેજી અને ભારતીય ભાષાઓમાં ‘મેઘદૂત’ પર ખૂબ લખાયું છે. તે બધામાં કાલિદાસનાં મંત્રમુગ્ધ કરનારાં વર્ણનોની ખાસ વાત છે.

મેઘના પ્રવાસનું વર્ણન એક રીતે આ કાવ્યનું હાર્દ છે એ છે. બાદલ યક્ષનો સંદેશ લઈને પ્રવાસ કરે છે. યક્ષ મહારાષ્ટ્રનાં નાગપુર પાસે આવેલાં રામગિરિનાં આશ્રમોમાં દુ:ખી થઈને સમય વીતાવી રહ્યો છે. કૈલાસ પર્વત પર આવેલી અલકાનગરીના મૂળ નિવાસી યક્ષને તેના સ્વામી કુબેરે ફરજચૂક બદલ એક વર્ષ માટે તેની પત્નીથી દૂર રહેવાનો  શાપ આપ્યો છે. તેનો દૂત એવો મેઘ રામગિરિથી ઊપડે છે. માર્ગમાં એ વરસતો અને ડુંગરો પર પોરો ખાતો રહે છે, નદીઓને પ્રેમ કરતો અને નગરોના વૈભવ-વિલાસ  જોતો  જાય છે. તેની સંગિની છે વીજળી. હમસફર છે ક્યારેક ચાતકો તો ક્યારેક માનસરોવરે જતાં રાજહંસો. માર્ગમાં કેટલાં ય સૌંદર્યસ્થાનો છે : યવતમાળ, વિંધ્યાચળ, રેવા નદી, દશાર્ણ (છત્તીસગઢ) વેત્રવતી નદી અને વિદિશા, કાલિદાસની કર્મભૂમિ ઉજ્જયિની પછી માળવાની અવન્તી નગરી, ક્ષિપ્રા-નિર્વિન્ધ્યા-ગંભીરા નદીઓ, દેવગિરિ પર્વત અને ચર્મણ્વતી (ચંબલ) નદી અને તેના કિનારાનું દશપુર, બ્રહ્માવર્ત (બિઠૂર, ઉત્તર પ્રદેશ), કુરુક્ષેત્ર, કનખલ (હરદ્વાર), મંદાકિની, હિમાલય, કૈલાસ અને જાણે તેના ખોળામાં વિલસતી અલકાનગરી. આ દેશની ભૂગોળની સાથે કાલિદાસ તેના પર્યાવરણનો પણ જાણતલ છે. એટલે તે કુદરતનાં બહુદા તમામ રૂપો અદ્દભુત રીતે ચીતરે છે. આપણે જે મોટાં પાયે ગુમાવતાં જઈએ છીએ તે બધાંનો જાદુ કાલિદાસે બતાવ્યો છે: ડુંગરો, નદીઓ, વૃક્ષો, ફૂલો, પક્ષીઓ, કલરવ, કેકારવ, સૂર્યપ્રકાશ અને ચાંદની, પહેલાં વરસાદે માટીની મહેક. પ્રકૃતિની સાથે કાલિદાસ સંસ્કૃિતને પણ જાણે છે. આખા ય રસ્તે આવતાં નગરોનાં જીવનની ઝલક તે આપે છે. તેમાં મંદિરો અને મહાલયો બંનેમાં લોક રમમાણ છે, ભક્તિ સાથે ભોગને છોછ વિનાનું સ્થાન છે. સૌંદર્ય અને શૃંગારનાં માદક વર્ણનો છે.

શૃંગાર ‘મેઘદૂત’નો મુખ્ય રસ છે. અલબત્ત, કાલિદાસ કામચેષ્ટાઓનાં પૂરાં કદનાં શબ્દચિત્રો નહીં, પણ ઘાટા ઉત્તેજક પટ્ટા જ દોરે છે.બુદ્ધદેવ બસુ એ મતલબનું વિવરણ કરે છે કે ‘ભોગવંચિત યક્ષને આખુંય વિશ્વ કામમય લાગે છે…. સંપૂર્ણપણે અ-યૌન હોય તેવા શ્લોકની સંખ્યા અતિઅલ્પ છે.’ અનેક પ્રકારની નારીઓના દૈહિક પ્રેમનાં સૂચનો સાથેનાં  ઉલ્લેખો છે. પશુ-પંખીની કામભાવનાના નિર્દેશો છે. નદીનાયિકાની મેઘનાયક તૃપ્તિ કરે છે. બસુ કહે છે : ‘…કામનું આવું વિશ્વરૂપ બીજા કોઈ કાવ્યમાં જોવા મળતું નથી.’

કાલિદાસના જીવનની ઘટનાઓની રીતે ‘મેઘદૂત’નું એક રસપ્રદ અર્થઘટન કરીને મોહન રાકેશે શ્રેષ્ઠ હિન્દી નાટક ‘અષાઢ કા એક દિન’ લખ્યું છે. તેમાં કાલિદાસ હિમાલયની તળેટીમાં આવેલાં તેનાં મૂળ ગામને અને પ્રિયતમા મલ્લિકાને છોડીને ઉજ્જયિનીમાં આવીને સાહિત્યકાર તરીકે નામના મેળવે છે, ત્યાંની લાવણ્યવતી પ્રિયંગુમંજિરી સાથે લગ્ન કરે છે. તરછોડાયેલી મલ્લિકા રૂપજિવીની બનવા મજબૂર થાય છે. કાલિદાસને અપરાધબોધ થાય છે. રાકેશ લખે છે : ‘મેઘદૂત પઢતે હુએ મુઝે લગા કરતા થા કિ યહ કહાની નિર્વાસિત યક્ષ કી ઉતની નહી હૈ, જિતની સ્વયમ અપની આત્મા સે નિર્વાસિત ઉસ કવિ કી હૈ કી જિસને અપની હી કે અપરાધ-અનુભૂતિ કો ઇસ પરિકલ્પના મેં ઢાલ દિયા હૈ.’

અલબત્ત, કાલિદાસની બધી કૃતિઓની જેમ મેઘદૂત પણ આ દેશના ઇતિહાસના એક સાપેક્ષ રીતે સમૃદ્ધ તબક્કાનું સર્જન છે. એક સમયના, ખાસ ઇન્ડિયન મૉનસૂનમાં જ સર્જાય એવા આ કાવ્યનું  વિશ્વ રમણિયતાનું જ છે. તેમાં દુરિતને અને દારિદ્ર્યને,અન્યાય અને અસમાનતાને સ્થાન નથી. સાહિત્ય માટેની ઘડાયેલી રુચિ અને સજ્જતા ન હોય તેવા સામાન્ય ભાવક માટે આ કૃતિ વધુ પડતી આલંકારિક અને કૃત્રિમ લાગવાની સંભાવના છે. સહજક્રમે તે નવી પેઢીને ગમે કે કેમ એક તે ધારણાનો વિષય છે. જો કે યુવક-યુવતીઓ વરસાદમાં બગીચા કે રિવરફ્રન્ટ પર પ્રેમ કરતાં હોય, ત્યારે આપણે એમને હડહડ ન કરીએ તો પણ આપણા દેશમાં ‘મેઘદૂત’ લખાયેલું હોવું લેખે લાગશે.

*****

12 જુલાઈ 2018

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 13 જુલાઈ 2018

Loading

...102030...3,0593,0603,0613,062...3,0703,0803,090...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved