Opinion Magazine
Number of visits: 9579643
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પીળા પ્રદેશમાં

નવ્યાદર્શ|Poetry|23 July 2018

કોઈ આશા ન રાખીશ મારી પાસે

તારું આકાશ, સિતારાઓ અને કલ્પનાઓનાં ઉડ્ડયનો

હવે મને લોભાવી નહીં શકે હો.

તારા શબ્દો અને તારો અવાજ

આજે થાકી ગયા છે,

મારા હૃદય સુધી પહોંચવામાં.

મારી આંખો સામે આજે તું છે,

બહુ જ નજદીક, સાવ મારી પાસે

પણ, તારો એ અહેસાસ આજે બહુ દૂર છે.

આજે મારી નજર તારા પર ટકતી નથી

જો હવે,

આજે તારો પ્રેમ સાવ અજાણ્યો બની ગયો છે

એટલે

તારું પાસે હોવું, ન હોવા બરાબર રહ્યું છે.

કોઈ પીળા પ્રદેશમાં

મારાં સ્વપ્નાંઓ હવે લીલાં થઇ ગયાં છે.

તારા પ્રેમના પ્રદેશથી દૂર

મારા પ્રેમનાં સપનાંઓ હવે મારાં થયાં છે.

તું ભુલાયો નથી ઉરપ્રદેશમાં

બસ લીલાં ઘાસની જેમ સુકાયો છે.

ક્યારે વરસાદ આવશે અને ફરી ક્યારે તું

લીલા ઘાસની જેમ લહેરાતો યાદ આવશે…?

Email : navyadarsh67@outlook.com

Loading

સૈલન મન્ના : બૂટબોલ નહીં, ફૂટબોલના મહારથી

વિશાલ શાહ|Opinion - Opinion|22 July 2018


ફૂટબોલની રમત નિયમિત રીતે પ્લેબોય, સેલિબ્રિટી, રેસિસ્ટ, બિલિયોનેર્સ, ફેશન મોડેલ્સ અને બગડી ગયેલા યુવાનો પેદા કરે છે, પરંતુ આ રમત ક્યારે ય સંતપુરુષનું સર્જન નથી કરતી. જો કે, તેમાં એક અપવાદ છે, શૈલેન્દ્રનાથ મન્ના. તેઓ કોલકાતામાં મૃત્યુ પામ્યા, ત્યારે હુગલી નદીના કિનારે આવેલા કિઓરતાલા સ્મશાન ઘાટ સુધી જઈ રહેલી સ્મશાન યાત્રામાં બે હજાર લોકો ઊમટ્યા હતા. એ લોકોએ એક ઉત્તમ ફૂટબોલરથી ઘણું વધારે ગુમાવ્યું હતું …

૨૭મી ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ ભારતીય ફૂટબોલર શૈલેન્દ્રનાથ મન્નાનું મૃત્યુ થયું, ત્યારે બ્રિટનથી પ્રકાશિત થતાં 'ધ ઇકોનોમિસ્ટ' સામયિકે તેમને શ્રદ્ધાંજલિ આપતા લેખમાં આ શબ્દો લખ્યા હતા. બંગાળી લેખક રોનોજોય સેને 'નેશન એટ પ્લે: એ હિસ્ટરી ઓફ સ્પોર્ટ્સ ઈન ઇન્ડિયા' પુસ્તકમાં એક પ્રકરણ લખ્યું છે, 'ફ્રિડમ ગેમ્સ: ધ ફર્સ્ટ ટુ ડિકેડ્સ ઓફ ઇન્ડિપેન્ડન્સ'. આ પ્રકરણમાં તેઓ નોંધે (પાના નં. ૧૯૧) છે કે, આજ સુધી ભારતના કોઈ ફૂટબોલરને આવું સન્માન મળ્યું નથી.

ગયા અઠવાડિયે આપણે ભારતીય ફૂટબોલના સુવર્ણ દિવસોને યાદ કરવાના બહાને ગોસ્થા પાલની વાત કરી. આજે શૈલેન્દ્રનાથ મન્ના ઉર્ફ સૈલન મન્ના ઉર્ફ મન્ના દાને યાદ કરવાના બહાને બીજી થોડી વાત.

***

ગોસ્થા પાલની જેમ મન્ના દાએ પણ ભારતીય ફૂટબોલ ટીમને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવા લાયક બનાવી હતી. ૧૯૪૮માં લંડન ઓલિમ્પિકમાં ભારતીય ફૂટબોલ ટીમે ભારતની સરખામણીમાં ઘણી મજબૂત ગણાતી ફ્રાંસની ટીમને હંફાવી હતી. એ મેચ ફ્રાંસે ૨-૧થી જીતી હતી, પરંતુ સૈલન મન્નાની કપ્તાની હેઠળ ભારતીય ફૂટબોલ ટીમે ફ્રાંસ સામે કરેલા ડિફેન્સની દુનિયાએ નોંધ લેવી પડી હતી. આ એ દિવસોની વાત છે, જ્યારે યુરોપની ફૂટબોલ ટીમો ફિટનેસ અને ફૂટબોલની વૈજ્ઞાનિક પદ્ધતિથી તાલીમ લઈને મેદાનમાં ઊતરતી અને ભારતને બ્રિટિશરોથી આઝાદી મળ્યાને માંડ એક વર્ષ થયું હતું. દેશ અરાજકતામાંથી પસાર થઈ રહ્યો હતો. બ્રિટિશ રાજની દાયકાઓ સુધી ગુલામી ભોગવનારા ભારતીયો માટે 'ગોરા સાહેબોની રમત'માં ભારતીય ખેલાડીઓ ગોરા ખેલાડીઓને જ હરાવે એ ખૂબ મોટી વાત હતી.

‘નેશન એટ પ્લે’ પુસ્તકની અનુક્રમણિકા

ફ્રાંસ સામેની મેચમાં ઉત્તમ દેખાવ કર્યા પછી લંડન ઓલિમ્પિકનું ઉદ્ઘાટન કરનારા કિંગ જ્યોર્જ ચોથા અને પ્રિન્સેસ માર્ગારેટે ભારતીય ફૂટબોલ ટીમને પણ બકિંગહામ પેલેસની પાર્ટીમાં આમંત્રિત કર્યા હતા. એ વખતે પ્રિન્સેસે મન્ના દાને પૂછ્યું કે, ખુલ્લા પગે ફૂટબોલ રમતા ડર નથી લાગતો? ત્યારે મન્ના દાએ જવાબ આપ્યો હતો કે, 'ખુલ્લા પગે ફૂટબોલને કાબૂમાં રાખવામાં ઘણું સરળ રહે છે.' એ સમયે ભારતના મોટા ભાગના ખેલાડીઓને ખુલ્લા પગે (અથવા ફક્ત મોજાં કે એન્કલેટ) રમતા જોઈને મજાકમાં એવું પણ કહેવાતું કે, 'અસલી ફૂટબોલ તો ભારતમાં રમાય છે, બીજે બધે તો બૂટબોલ રમાય છે.'

અહીં બીજી પણ એક વાત સમજવા જેવી છે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોલકાતામાં થાણું ઊભું કર્યું હોવાથી ઉત્તર-પૂર્વ ભારત (આજના બાંગ્લાદેશ સહિત) ફૂટબોલ અને ક્રિકેટના ગાઢ પરિચયમાં આવ્યું હતું. આ દરમિયાન ભારતીયોએ પણ આ બંને રમત રમવાનું શરૂ કર્યું, પરંતુ ત્યાંના ગરીબ વિસ્તારોમાં ફૂટબોલનો ખાસ્સો વિકાસ થયો કારણ કે, ફૂટબોલમાં કોઈ ખર્ચ ન હતો. ભારતીય યુવકોને શૂઝનો ખર્ચ પોસાતો નહીં હોવાથી તેઓ ખુલ્લા પગે ફૂટબોલ રમતા, જ્યારે ક્રિકેટ રમવા વધુ ખેલાડીઓ અને બીજાં મોંઘાં સાધનોની જરૂર પડતી. આજે ય દુનિયાભરમાં ક્રિકેટ કરતાં ફૂટબોલ અનેકગણી વધુ લોકપ્રિય છે, અને, વિશ્વની અનેક ફૂટબોલ ટીમોમાં ઝૂંપડપટ્ટીમાં ઉછરેલા યુવકોની બોલબાલા છે, એનું એક કારણ આ પણ છે.

સૈલન મન્ના


ફૂટબોલ મનોરંજન અને પ્રેક્ટિસ માટે એકલા રમી શકાય એવી 'સામાન્ય' માણસના ઝનૂનની રમત હતી, બલકે છે, જ્યારે ક્રિકેટ શરૂઆતથી ધનવાનોની રમત હતી. બ્રિટનમાં ક્રિકેટ 'જેન્ટલમેન' રમતા અને જોવા પણ એવા જ લોકો આવતા. એ જ બ્રિટિશ રોયલ માનસિકતા ભારતમાં પણ આવી. અહીં પણ ક્રિકેટને મહારાજાઓ અને ધનવાન પારસીઓનું પ્રોત્સાહન મળ્યું, જેના કારણે પશ્ચિમ ભારતના રાજવી પરિવારોનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ક્રિકેટ ખાસ્સી વિકસી. ટૂંકમાં, ભારતીય ફૂટબોલરોની તાલીમ શરૂઆતથી જ ખુલ્લા પગે થઈ અને આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ કોઈ કડક નિયમો નહીં હોવાથી 'બૂટબોલ'ના બદલે 'ફૂટબોલ' ચાલી ગયું.


ઓલિમ્પિકમાં સૈલન મન્નાની આગેવાનીમાં ઉત્તમ દેખાવ કર્યા પછી ભારતીય ફૂટબોલ ટીમને ૧૯૫૦માં બ્રાઝિલમાં આયોજિત ફૂટબોલ વિશ્વકપમાં પણ આમંત્રણ મળ્યું હતું. જો કે, ભારતીય ટીમ બ્રાઝિલ ના ગઇ. એ પછી એવું તૂત ચાલ્યું કે, ભારતીય ફૂટબોલરો શૂઝ પહેર્યા વિના રમવા માંગતા હોવાથી તેમને મંજૂરી ના અપાઈ. તો કોઈએ ત્યાં સુધી અફવા ફેલાવી કે, ભારતીય ફૂટબોલ ટીમ પાસે શૂઝ ખરીદવાના પૈસા ન હતા તેથી તેઓ બ્રાઝિલ જઇ ના શક્યા. આ બંને વાત ખોટી છે.


હાવડા મ્યુિનસિપલ સ્ટેિડયમ, જે હવે મન્ના દા સ્ટેિડયમ તરીકે ઓળખાય છે

વાત એમ હતી કે, દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી ૧૯૫૦માં બ્રાઝિલમાં પહેલો ફૂટબોલ વિશ્વ કપ યોજાયો ત્યારે વિશ્વના અનેક દેશો આર્થિક સંકડામણ અને અરાજકતાના માહોલમાંથી પસાર થઇ રહ્યા હતા. એ સ્થિતિમાં અનેક ફૂટબોલ ટીમોએ ઉમેદવારી પાછી ખેંચી લીધી, જેથી બ્રાઝિલ ફૂટબોલ વિશ્વ કપમાં કુલ ટીમની સંખ્યા ફક્ત ૧૩ રહી ગઈ. કદાચ એટલે જ ભારતીય ફૂટબોલ ટીમ સહેલાઇથી ક્વૉલફાઈ થઇ હતી, એ વાતને પણ નજરઅંદાજ ના કરી શકાય. આ દરમિયાન બ્રાઝિલ ફૂટબોલ ફેડરેશને ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન સમક્ષ ભારતીય ફૂટબોલ ટીમની મુસાફરીનો ખર્ચ ઉઠાવવાની પણ તૈયારી બતાવી હતી, પરંતુ ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને ભારતીય ટીમને બ્રાઝિલ ના મોકલી અને ઉમેદવારી પણ પાછી ના ખેંચી.

નિયમ પ્રમાણે, ફૂટબોલ રમવા શૂઝ પહેરવાં ફરજિયાત હતા એ વાત ખરી પણ એ મુદ્દો જ ન હતો. ઑલ ઇન્ડિયા ફૂટલોલ ફેડરેશને બ્રાઝિલ વિશ્વકપમાં ફૂટબોલ ટીમ નહીં મોકલવાના અનેક કારણ આપ્યા હતા, જેમાં વિશ્વ કપ માટે બ્રાઝિલ જવાનો જંગી ખર્ચ, પ્રેક્ટિસ ટાઈમનો અભાવ, વિદેશી હુંડિયામણની અછત અને લાંબી દરિયાઈ મુસાફરી માટે ભારતીય ફૂટબોલરો તૈયાર નથી એવું પણ એક કારણ સામેલ હતું. એ પછી કોઈએ પેલું શૂઝવાળું તૂત ચલાવ્યું અને કેટલાક ઇતિહાસકારોએ પણ તેની નોંધ લઈ લીધી. એકવાર સૈલન મન્નાએ જ કહ્યું હતું કે, ભારત સરકાર બ્રાઝિલ ફૂટબોલ વિશ્વ કપ માટે ઓલિમ્પિક જેટલી ગંભીર ન હતી …

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ એમ.કે. નારાયણન અને મુખ્ય મંત્રી મમતા બેનરજીએ મન્ના દાને ‘બંગવિભૂષણ’ પુરસ્કારથી સન્માનિત કર્યા ત્યારે

ભારતીય ફૂટબોલ ટીમ ૧૯૫૧ની એશિયન ગેમ્સમાં પહેલો આંતરરાષ્ટ્રીય સુવર્ણ ચંદ્રક પણ મન્ના દાની કપ્તાની હેઠળ જ જીતી હતી. એક ઉત્તમ કપ્તાન તરીકે મન્ના દાએ અનેક ફૂટબોલર તૈયાર કર્યા અને એક કપ્તાનમાં કેવા ગુણો હોવા જોઈએ તેનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું. ઇંગ્લિશ ફૂટબોલ એસોસિયેશને ૧૯૫૩માં મન્ના દાને વિશ્વના દસ સર્વશ્રેષ્ઠ ફૂટબોલ કપ્તાનોમાં સ્થાન આપ્યું હતું. આ પ્રકારનું સન્માન મેળવનારા તેઓ એકમાત્ર એશિયન ફૂટબોલર હતા. આંતરરાષ્ટ્રીય ફૂટબોલની વીસ વર્ષની કારકિર્દીમાં મન્ના દાએ એક પણ વાર ફાઉલ નહોતું કર્યું અને કોઈ ગોરા રેફરીએ તેમને યલો કાર્ડ પણ નહોતું બતાવ્યું. ફૂટબોલરો અને તેના ચાહકોમાં પણ મન્ના દાને 'સંત' જેવું સન્માન મેળવ્યું હતું.

એકવાર ડુરાન્ડ ફૂટબોલ કપની સેમી ફાઈનલમાં મન્ના દાની મોહન બાગાન અને બોર્ડર સિક્યોરિટી ફોર્સની ટીમ વચ્ચે જોરદાર ટક્કર થઇ. એ મેચ ડ્રો રહી, પરંતુ બંને ટીમના ખેલાડીઓ જબરદસ્ત આક્રમક રીતે રમ્યા હોવાથી મોહન બાગાનના મોટા ભાગના ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા. એ સ્થિતિમાં એવું નક્કી થયું કે, ફાઈનલમાં મોહન બાગાન નહીં પણ બી.એસ.એફ. ટીમ રમશે. એ મેચ જોવા આવેલા મોહન બાગાનના વીસેક હજાર ચાહકોને ખબર પડતાં જ તેમણે જોરદાર હોબાળો કર્યો. ત્યારે પણ મન્ના દાએ જ સમજાવટથી ટોળાંને શાંત પાડ્યું હતું અને બી.એસ.એફ.ની ટીમને ફાઇનલ માટે અભિનંદન આપીને બાજી સંભાળી લીધી હતી. મન્ના દાની આગેવાનીમાં ભારતીય ફૂટબોલ ટીમ થોડા તો થોડા સમય માટે અત્યંત મજબૂત ફૂટબોલ ટીમ તરીકે ઊભરી હતી.

***

મન્ના દાનો જન્મ પહેલી સપ્ટેમ્બર, ૧૯૨૪ના રોજ પશ્ચિમ બંગાળના હાવડામાં થયો હતો. હાવડા યુનિયનથી ફૂટબોલ કારકિર્દી શરૂ કરનારા મન્ના દા ૧૮ વર્ષની ઉંમરે જ મોહન બાગાન ક્લબમાં જોડાયા હતા. ત્યાર પછી તેઓ સળંગ ૧૯ વર્ષ આ ક્લબ વતી રમ્યા. ૧૯૫૦થી ૫૫ દરમિયાન તેમણે મોહન બાગાન ફૂટબોલ ક્લબની કપ્તાની પણ સંભાળી. આ ૧૯ વર્ષના ગાળામાં મન્ના દાએ ફૂટબોલમાંથી ફક્ત રૂ. ૧૯ની કમાણી કરી હતી. આ વાત ખુદ મન્ના દાએ કબૂલી હતી. જો કે, મન્ના દાનું ગુજરાન જિયોગ્રાફિકલ સર્વે ઓફ ઇન્ડિયાની નોકરીમાંથી ચાલતું. કમાણીને લઈને મન્ના દાને જીવનમાં ક્યારે ય ફરિયાદ નહોતી કરી.

એસિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મળ્યા પછી જવાહરલાલ નહેરુએ મન્ના દાનું ગોલ્ડ મેડેલિયન આપીને સન્માન કર્યું હતું. એ પણ તેમણે ભારત સરકારને સ્મૃિત તરીકે ભેટમાં આપી દીધો હતો. મન્ના દાએ પોતાની ફૂટબોલ ટીમના બ્લેઝર-ટાઇની ચેરિટી માટે નિલામી કરી દીધી હતી. બે દાયકા ફૂટબોલ રમ્યા પછી મન્ના દા કોચ અને આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે બીજા ત્રીસેક વર્ષ મોહન બાગાન સાથે સંકળાયેલા રહ્યા.

ભારત સરકારે ૧૯૭૧માં તેમનું પદ્મશ્રી આપીને સન્માન કર્યું, ત્યારે તેઓ ગોસ્થા પાલ પછી પદ્મ પુરસ્કારથી સન્માનિત બીજા ફૂટબોલર બન્યા. કોલકાતામાં ૮૭ વર્ષની વયે મન્ના દાનું અવસાન થયું ત્યારે બંગાળના જ નહીં, દેશના અનેક અખબારોએ તેમના મૃત્યુને 'ફૂટબોલમાં એક યુગનો અંત' કહીને અંજલિ આપી હતી.

સૌજન્યઃ ગુજરાત સમાચાર, શતદલ પૂર્તિ, ફ્રેન્કલી સ્પીકિંગ, વિશાલ શાહ

http://vishnubharatiya.blogspot.com/2018/07/blog-post_13.html

Loading

સહસ્ર પુત્રવતી ભવ

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|22 July 2018

રાનગાંવ – મહારાષ્ટ્રનું નાનું એવું ગામ. ગામ ભલે નાનું; પણ ગામવાસીઓમાં ભારે સંપ. સારે–માઠે પ્રસંગે બધા એક થઈને ઊભા રહે. એમાંયે જ્યારે વિષ્ણુકાકાના એકના એક જુવાન જોધ દીકરા ચેતનના અવસાનના સમાચાર મળ્યા, ત્યારે ગામ આખું સ્તબ્ધ થઈ ગયું. પોતાના નામ પ્રમાણે ચેતનવંતો, હસમુખો, મિલનસાર ચેતન, આમ એકાએક જડ થઈ જાય એવું શી રીતે બને ?

પણ એવું જ બન્યું હતું. પોતાના ખેતરમાં મૂકેલી પાણી માટેની મોટરના વાયરનો કરંટ લાગ્યો ને ચેતન કોઈને આવજો કહેવાય ન રોકાયો. એ તો બાજુના ખેતરવાળો દુષ્યંત એને જમવા બોલાવવા આવ્યો, ત્યારે ખબર પડી. આખા ગામમાં તો હાહાકાર મચી જ ગયો; પણ ઘરે રહેલી ત્રણ વ્યક્તિઓની તો આ સાંભળીને સૂધબૂધ જ જતી રહી.

રેવાકાકી અને ઉષ્મા – સાસુ અને વહુ; બન્ને એવાં ભાંગી પડ્યાં હતાં કે કોણ કોને આશ્વાસન આપે? દીવાલને અઢેલીને પથ્થરની મૂર્તિની જેમ બેઠેલી ઉષ્માનો હાથ, હાથમાં લઈને રેવાકાકી રડ્યે જતાં હતાં. આજુબાજુ બેઠેલી સ્ત્રીઓની દબાતા અવાજે થતી વાતચીત એમને કાને અથડાઈ રહી હતી. ‘હજી તો લગ્નને ચાર જ વરસ થયાં, ત્યાં બીચારીનો વિધવા થવાનો વારો આવ્યો.’ ‘એકાદ છોકરું હોત તો એને સહારે ય જિન્દગી સુખેદુ:ખે વિતાવી દેત; પણ આ તો….’

‘છોકરું’ શબ્દ સાંભળતાં ઉષ્માની સ્મૃિતમાં ભૂતકાળ સળવળી ઊઠ્યો. રાંનગાંવ નજીકના શહેરના કૃષિવિદ્યાલયમાં એ અને ચેતન સાથે અભ્યાસ કરતાં. એ પહેલા વર્ષમાં અને ચેતન ત્રીજા વર્ષમાં. બન્ને ક્યારે અને કેવી રીતે એકબીજાંની નજીક આવતાં ગયાં, ખબરેય ન પડી. એક દિવસ ચેતને સીધે સીધું કહ્યું,

‘જો ઉષ્મા, મને ગોળ ગોળ ફેરવીને વાત કરતાં આવડતું નથી. મને તું ગમે છે અને મને લાગે છે કે તને પણ હું પસંદ છું. વળી આપણે બેઉ કૃષિ કૉલેજમાં ભણીએ છીએ એટલે આપણા રસના વિષયો પણ સરખા જ છે.’

બધું જાણવા–સમજવા છતાં અજાણ બનવાનો ડોળ કરતાં એણે કહેલું, ‘આજે એકાએક તેં આવી વાત કેમ કરવા માંડી, મને સમજાયું નહીં.’ શરમાઈને દુપટ્ટાનો છેડો દાંત વચ્ચે દબાવતાં એ હસી પડી હતી.

પછી તો બન્નેનાં માતાપિતાની સમ્મતિથી બન્નેનાં લગ્ન થયાં. પણ સગાઈ અને લગ્ન વચ્ચેના ગાળામાં જ્યારે પણ તેઓ મળતાં ત્યારે ચેતન કહેતો,

‘ઉષ્મા, હું તો જમીન સાથે જોડાયેલો માણસ છું. અહીં બાપદાદાના સમયની અમારી વીસ એકર જમીન છે. મારે એ જમીનમાં આધુનિક ઢબે ખેતી કરવી છે. હું શહેરમાં વસવા માગતો નથી. તને કંઈ વાંધો તો નથી ને?’

‘વાંધો હોય તોયે હવે શું થાય?’ ચેતનને ચીડવતાં એ કહેતી.

લગ્ન પછી બેઉ ખભેખભા મિલાવીને ખેતીના કામમાં મચી પડ્યાં. નવાં નવાં પુસ્તકો અને સામયિકોમાં નવી શોધખોળો વિશે વાંચવું, નવાં સાધનો વસાવવાં, કૃષિમેળા અને સમ્મેલનોમાં જઈ પોતાની જાણકારીમાં વૃદ્ધિ કરવી; એમાં આ દમ્પતીને જીવનની સાર્થકતા લાગતી.

સંતોષ અને મમતાપૂર્વક ખેતરને જોતાં એક દિવસ ચેતને કહ્યું,

‘મારે આ ખેતર પર એક હજાર આંબા વાવવા છે. કલ્પના કર કે એ હજાર ઝાડ જ્યારે ફળથી લચી પડશે ત્યારે આ વાડી કેવી હરીભરી લાગશે? એક નિસાસો નાંખતાં ઉષ્માએ કહ્યું, ‘હા, આંબા પર તો ફળ આવશે; પણ લગ્નનાં ત્રણ ત્રણ વરસ થયાં છતાં મારા દેહની ડાળી પર હજી ફળ નથી બેઠું, એનું શું?’

સ્નેહથી એને પોતાની નજીક ખેંચતાં ચેતન બોલ્યો હતો, ‘તને શું વધારે ગમે? એક પુત્રની મા થવું કે હજાર પુત્રની? સાચું કહું તો આ બધા સાથે હું એવો તો એકાકાર થઈ જાઉં છું કે મને તો વિચાર જ નથી આવતો કે આપણે ત્યાં સન્તાન નથી!’

‘ખરેખર?’

‘સાવ સાચું. અને હું તો એવું ઈચ્છું કે આપણાં આ સન્તાનોની દેખભાળમાં, એમને ઉછેરવામાં તું પણ ખોવાઈ જા.’

ચેતનની મરણોત્તર ક્રિયાઓ પતી. ઉષ્માનાં માતાપિતા બીજે દિવસે પોતાના ઘરે પાછાં ફરવાનાં હતાં. રાત્રે ચારેયે માબાપ ઉષ્માના ભાવિની ચિન્તા કરતાં બેઠાં હતાં. વિષ્ણુકાકાએ કહ્યું, ‘વેવાઈ, તમારા મનમાં શું ચાલી રહ્યું છે, તે હું સમજી શકું છું. અમે ચેતનનાં માબાપ ભલે હોઈએ; પણ એના ગયા પછી અમે સતત ઉષ્માનો જ વિચાર કર્યા કરીએ છીએ. એના આખા જીવનનો સવાલ છે. થોડા વખત પછી તમે આવીને એને તેડી જજો. અમે હોંશે હોંશે એને વળાવીશું.’

બારણાની આડશે ઊભી રહીને બધી વાતો સાંભળતી રહેલી ઉષ્મા હાથ જોડીને બોલી,

‘માફ કરજો, તમારી વડીલોની વાતમાં વચ્ચે બોલવાનો અવિવેક કરી રહી છું; પણ મને પૂછ્યા વિના મારા ભવિષ્યનો ફેંસલો તમે કેવી રીતે કરી શકો? આ મા–બાપ, આ ઘર અને આ ખેતરને છોડીને હું ક્યાં ય જવાની નથી. ને મા–બાપુ, હું પગફેરો જરૂર કરી જઈશ; પણ અહીં રહીને ચેતનનાં આદરેલાં અધૂરાં કામ પૂરાં કરવાની જવાબદારી મારી છે. આશીર્વાદ આપો કે, મારી જવાબદારી હું સુપેરે નિભાવું.’ સમજદાર દીકરીને આશિષ આપતાં, માતા–પિતાની આંખો નીતરી રહી.

બીજે દિવસે સાસુ–સસરાને લઈને એ ખેતરે પહોંચી. બેઉને સમ્બોધીને એ બોલી : ‘હજાર આંબા રોપવાનો ચેતનનો અધૂરો સંકલ્પ મારે પૂરો કરવાનો છે. કોઈ પુત્રવધૂએ શરમ અને સંકોચને કારણે સાસુ–સસરાને એવું કહ્યું નહીં હોય કે મને ‘પુત્રવતી ભવ’ના આશીર્વાદ આપો; પણ આજે હું તમારી પાસે એક–બે નહીં; પણ ‘હજાર પુત્ર’ની મા બનવાના આશિષ માંગું છું. જ્યારે હું એ હજારનું સારી રીતે લાન–પાલન કરી શકીશ તે દિવસે ચેતનનો આત્મા તૃપ્ત થશે.’

રેવાકાકી અને વિષ્ણુકાકા ગળગળાં થઈ ગયાં; પણ વિષ્ણુકાકાએ તરત પોતાની જાતને સંભાળી લીધી અને બોલ્યા,

‘અમારાં અંતરના તને આશિષ છે, દીકરા, ને હું તો વાડીને દરવાજે બોર્ડ લગાવવાનો છું : ‘હજાર દીકરાની માની વાડી.’

(‘ઐશ્વર્યા પાટેકર’ની ‘મરાઠી’ વાર્તાને આધારે)

તા. 01-01-2018ના ‘ભૂમિપુત્ર’ના છેલ્લા પાન પરથી .. સાભાર ..

સર્જક–સમ્પર્ક : બી–401, ‘દેવદર્શન’, પાણીની ટાંકી પાસે, હાલર , વલસાડ– 396 001

ઈ–મેઈલ : avs_50@yahoo.com

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ ચૌદમું – અંકઃ 405 –July 22, 2018

Loading

...102030...3,0503,0513,0523,053...3,0603,0703,080...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved