
e.mail : mahendraaruna1@gmail.com
![]()
એક તો અભણ ગરીબ પ્રજા, નાગરિકધર્મનું ભાન નહીં, એમાં પાછી સેંકડો ઓળખોમાં આપસમાં વહેંચાયેલી, આપસમાં ઝઘડનારી અને એકબીજાના ઈરાદા વિષે શંકા કરનારી, એક ભાષા અને એક ધર્મ વિનાની, કહો કે પરચૂરણની થેલી. એક બાધો રૂપિયો ન મળે, પરચૂરણ જ પરચૂરણ. ૧૯૫૨માં પહેલીવાર લોકસભાની અને પ્રાંતોની વિધાનસભાઓની ચૂંટણી યોજાઈ ત્યારે પશ્ચિમના દેશોને એમ લાગતું હતું કે આ ભારતની પહેલી અને છેલ્લી ચૂંટણી હશે.
આપણે જોયું કે આઝાદી પછી કૉન્ગ્રેસને ગાંધીજીએ વિકસાવેલી ઇન્દ્રધનુષી એકતાનો લાભ મળ્યો હતો, અને પાંચ પાંચ દાયકા સુધી એકચક્રી શાસન કર્યું હતું. બીજી બાજુ ગાંધીજીને કારણે જમીનદોસ્ત થઈ ગયેલાઓએ ધીરે-ધીરે પોતાની જગ્યા બનાવવાની હતી. કૉન્ગ્રેસ ગાંધીજીના ખભા પર બેઠી હતી એટલે એની ગુસ્તાખીનો કોઈ પાર નહોતો તો બીજી બાજુ ગાંધીજીના અનાગ્રહી એકત્વનો વિરોધ કરનારા પક્ષો ગાંધીજીના પગ નીચે કચડાયેલા હતા, એટલે તેમની ગાંધીજી પરત્વેની અસૂયાનો પણ પાર નહોતો. આઝાદી પછી બે અંતિમેથી સ્પેસ મેળવવાની બે યાત્રા શરૂ થાય છે.
આઝાદી પછી ત્રીજા પક્ષકાર તરીકે અંગ્રેજોએ વિદાય લીધી અને ત્રીજા પક્ષકારની જગ્યા સંસદભવને (રાજ્યોમાં વિધાનભવનોએ) લીધી. અંગ્રેજોથી ઊલટું આ ત્રીજો પક્ષકાર સ્વયંસંચાલિત છે. એ પોતે કાંઈ જ કરતું નથી. એ માત્ર એટલું કહે છે કે મારી પાસે ૫૪૩ બેઠકો છે અને બહાર ૫૪૩ મતદારક્ષેત્રો છે જે ચૂંટાઈ શકે એ આવે. કોઈ પક્ષપાત નહીં, કોઈ સમજૂતી નહીં, કોઈ કોટા નહીં, કોઈ કરાર નહીં. સંખ્યા બતાવો અને જગ્યા મેળવો. જેને અહીં પ્રવેશ મળશે એને જ સત્તા મળશે એ દેખીતી વાત છે. અંગ્રેજો આપનારા હતા એટલે ભારતીય પ્રજાને આપસમાં લડાવતા હતા અને સંસદભવન માત્ર ૫૪૩ લોકપ્રતિનિધિઓને સમાવે છે એટલે પ્રવેશ મેળવવા ઈચ્છનારાઓ વગર કહ્યે આપસમાં ઝઘડે છે.
આઝાદ ભરતના સ્વરૂપ (આઈડિયા ઓફ ઇન્ડિયા) વિષે જે લોકોએ કલ્પના કરી હતી તેમને જાણ હતી કે આવું બનશે. આમાં ભારતે વળી સંસદીય લોકતંત્રનો ઢાંચો અપનાવ્યો એટલે આવું બનવાની શક્યતા વધી ગઈ હતી. એક તો અભણ ગરીબ પ્રજા, નાગરિકધર્મનું ભાન નહીં, એમાં પાછી સેંકડો ઓળખોમાં આપસમાં વહેંચાયેલી, આપસમાં ઝઘડનારી અને એકબીજાના ઈરાદા વિષે શંકા કરનારી, એક ભાષા અને એક ધર્મ વિનાની, કહો કે પરચૂરણની થેલી. એક બાધો રૂપિયો ન મળે, પરચૂરણ જ પરચૂરણ. ૧૯૫૨માં પહેલીવાર લોકસભાની અને પ્રાંતોની વિધાનસભાઓની ચૂંટણી યોજાઈ ત્યારે પશ્ચિમના દેશોને એમ લાગતું હતું કે આ ભારતની પહેલી અને છેલ્લી ચૂંટણી હશે. કમસેકમ પ્રમુખશાહી અપનાવી હોત તો પણ વાંધો નહોતો, આ તો રગટાંટિયાએ સંસદીય લોકતંત્રની પહેલવાની બતાવવાનો પ્રયાસ કર્યો છે અને તેમાં તે ધૂળ ચાટતો થઈ જશે.
પશ્ચિમના લોકો અને વિદ્વાનો આવું એટલા માટે મનાતા હતા કે તેમની રાષ્ટ્રની કલ્પના અને રાષ્ટ્રનિર્માણનો અનુભવ એમ કહેતો હતો કે સાવ પરચૂરણથી લોકતંત્ર ન ચાલે. કમસેકમ બે-ચાર બાધા રૂપિયા તો જોઈએ જ અને જો એક જ બાધો રૂપિયો હોય તો એના જેવું કાંઈ જ નહીં. પશ્ચિમી રાષ્ટ્રવાદથી પ્રભાવિત કેટલાક લોકો આપણે ત્યાં પણ હતા અને તેમને પણ એમ લાગતું હતું કે સાવ પરચૂરણથી નહીં ચાલે, એક બાધો રૂપિયો તો જોઈએ જ અને એ રૂપિયો ભારતમાં હિન્દુ ધર્મ જ બની શકે. કેટલાક દેશોમાં ભાષાને પણ રાષ્ટ્રવાદના પાયાના પથ્થર તરીકે જોવામાં આવે છે. બંગલાદેશ આનું ઉદાહરણ છે. બંગાળી રાષ્ટ્રવાદના નામે તે પાકિસ્તાનથી અલગ થયું હતું અને અત્યારે ત્યાં બંગાળી રાષ્ટ્રવાદ અને ઇસ્લામિક રાષ્ટ્રવાદ વચ્ચે ઝઘડો ચાલે છે. આને પરિણામે બંગાળી રાષ્ટ્રવાદીઓ બિહારી મુસલમાનોને સતાવે છે, કારણ કે તેઓ બંગાળી નથી અને ઇસ્લામિક રાષ્ટ્રવાદીઓ હિન્દુ અને બૌદ્ધ ચક્માઓને સતાવે છે, કારણ કે તેઓ મુસલમાન નથી.
ટૂંકી ઓળખો બાજુએ મૂકીને માણસ બનવું એ બહુ મોટો તકાદો છે અને આધુનિક સભ્ય ભારતની કલ્પના કરનારાઓએ એ જોખમ ખેડ્યું હતું. એક તો પરચૂરણની થેલી અને એમાં સંસદીય લોકતંત્ર. ક્યાંથી આવ્યો આ આત્મવિશ્વાસ? કોણે આપ્યો આવો આત્મવિશ્વાસ? ઉત્તર માત્ર અને માત્ર એક જ છે : મોહનદાસ કરમચંદ ગાંધી. વિશ્વવંદ્ય મહાત્મા. તેમણે ભારતની પ્રજાને શીખવાડ્યું કે તાકાત બાધા રૂપિયામાં છે એ કલ્પના જ ખોટી છે, પરચૂરણ પોતે એક તાકાત છે જો આત્મવિશ્વાસ અને અનાગ્રહ હોય તો. આપણે પરચૂરણ છીએ એટલે શરમાવાની કોઈ જરૂર નથી અને એમાંથી બાધો રૂપિયો પેદા કરવાની પણ કોઈ જરૂર નથી. દિમાગમાં જે લઘુતાગ્રંથિ છે એને ફગાવી દો.
એટલે તો ભારતનું વિભાજન થયું હતું અને હિંદુઓ અને મુસલમાનો એકબીજાનું લોહી વહાવી રહ્યા હતા ત્યારે ભારતની બંધારણસભાએ જરા પણ વિચલિત થયા વિના માનવસભ્યતાને એક અનોખા ગ્રન્થની નવાજેશ કરી જેનું નામ હતું : ભારતનું બંધારણ. એને બાયબલ અને કુરાનની જેમ ‘ધ બૂક’ કહી શકાય. એ માનવીય સમાજની રચના કરવાનો માનવતાવાદી દસ્તાવેજ છે, જે ભારતે વિશ્વસમાજને ભેટ આપ્યો છે. એ દિવસો અને એ સ્થિતિની કલ્પના કરો તો કબૂલ કરવું પડે કે આવું માત્ર અને માત્ર ભારતમાં જ બની શકે. અસ્મિતાઓના ઉદધિ (સમુદ્ર) સમાન ભારતમાં જ બની શકે. ગાંધીના ભારતમાં આવું બની શકે જેમણે પરચૂરણ હોવાની લઘુતાગ્રંથિ દૂર કરી હતી, બલકે ગૌરવભાન વિકસાવ્યું હતું. ભારતની પ્રજામાં તેમણે ભારતીય હોવાપણાનો ક્યારે ય જોવા નહોતો મળ્યો એટલો આત્મવિશ્વાસ પેદા કરી આપ્યો હતો.
એવું નથી કે ભારત બાધો રૂપિયો હતો અને પરચૂરણમાં ફેરવાઈ ગયો, ભારત પરચૂરણની થેલી જેવો જ દેશ પહેલેથી હતો અને છતાં હજારો વરસથી ટકી રહ્યો છે. જગતની અનેક સભ્યતાઓ આથમી ગઈ છે; પરંતુ ભારતીય સભ્યતા કાયમ છે, પરચૂરણ હોવા છતાં. સ્વાભાવિકપણે હિન્દુ રાષ્ટ્રવાદીઓએ બીજા અંતિમે જઇને ભારતના ઇતિહાસમાં શીર્ષાસન કરવું પડે છે. તેઓ એમ કહે છે કે ભારત બાધો રૂપિયો જ હતો, પરંતુ વિદેશી આક્રમણકારોએ બાધા રૂપિયાને તોડીને પરચૂરણમાં ફેરવી નાખ્યો. તેમણે પશ્ચિમમાંથી રાષ્ટ્રવાદ ઉછીનો લીધો છે એટલે હિન્દુ ધર્મને ભારતીય રાષ્ટ્રવાદના પાયાના પથ્થર તરીકે કે બાધા રૂપિયા તરીકે પ્રતિષ્ઠિત કરવો જરૂરી છે. હવે સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે તેઓ શા માટે ઇતિહાસના વિદ્યાર્થી પર નિર્મમપણે બળાત્કાર કરી રહ્યા છે?
તો ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે બે અંતિમો હતા. ભારત એક પરચૂરણ અસ્મિતાઓનો દેશ છે એ વાસ્તવિકતાનો સ્વીકાર. માત્ર સ્વીકાર નહીં એ વાતનું ગૌરવ. પરચૂરણનો દરેક દોકડો અનાગ્રહી હોય તો ચિંતા કરવાની જરૂર જ નથી. વળી ભારતનું બંધારણ જ એવું ઘડવામાં આવ્યું હતું જેમાં પરચૂરણના દરેક દોકડા સંતુલન જાળવવાનું કામ કરતા હોય. બીજા અંતિમે હિન્દુ રાષ્ટ્રવાદીઓ હતા જેઓ હિન્દુ ધર્મને બાધા રૂપિયા તરીકે સ્થાપિત કરવા માગતા હતા. ગાંધીજીનો રાષ્ટ્રવાદ અનાગ્રહી છે, જ્યારે હિન્દુત્વવાદીઓનો રાષ્ટ્રવાદ આગ્રહી છે. તેમને એક વાત સમજાઈ ગઈ હતી કે જ્યાં સુધી ગાંધી અને ગાંધીવિચારનો કાંટો કાઢવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ભારતમાં ફાવવાના નથી. ભારતમાં હિન્દુઓ સર્વોપરિ હોવા જોઈએ એવી તેમની શીરાની જેમ ગળે ઊતરી જાય એવી દલીલ સરેરાશ હિન્દુને ગળે ઊતરતી નથી અને ગાંધીજીની હિન્દુની જગ્યાએ માનવી બનવાની દલીલ સરેરાશ હિન્દુને ગળે ઊતરે છે.
આ માણસે આઝાદીની લડતને પ્રભાવિત કરી, ભારતીય પ્રજાનું માનસ બદલી નાખ્યું, કૉન્ગ્રેસનું કલેવર બદલી નાખ્યું, ભારતીય રાજકારણનો ચહેરો બદલી નાખ્યો, તેમની કલ્પનાનું ભારત બંધારણમાં દસ્તાવેજ થયું, તેમની કલ્પનાનું ભારત એક રાજ્ય તરીકે આકાર પામ્યું, ભારત કોમી વિભાજનનો આઘાત પચાવી ગયું, કૉન્ગ્રેસને ઇન્દ્રધનુષી એકતા(રેઈનબો કોએલિશન)નો લાભ અપાવ્યો આ બધું માત્ર અને માત્ર એક માણસને કારણે થયું છે, એટલે તેનો કાંટો કાઢવો જરૂરી છે. ૧૯૪૮માં તેમની હત્યા કરવામાં આવી અને ૧૯૨૫થી ચારિત્ર્યહનન કરવામાં આવી રહ્યું છે. તેમના વિષે જેટલા જૂઠાણાંઓ પેદા કરવામાં આવ્યાં છે અને વહેતાં કરવામાં આવ્યાં છે એટલા આ સંસારમાં બીજા કોઈ માણસ વિષે કરવામાં આવ્યાં નથી. ટાર્ગેટ ગાંધી છે. ટાર્ગેટ ગાંધીની કલ્પનાનું ભારત છે. ટાર્ગેટ ગાંધીની કલ્પનાનો દસ્તાવેજ અર્થાત્ બંધારણ છે અને ટાર્ગેટ હિન્દુની જગ્યાએ ભારતીય અસ્મિતાનો સ્વીકાર કરનારી ભારતની પરચૂરણ અસ્મિતાઓ છે. જ્યાં સુધી ગાંધીને મારવામાં નહીં આવે ત્યાં સુધી હિન્દુ રાષ્ટ્ર સાકાર થવાનું નથી એ તેઓ જાણે છે.
પ્રારંભમાં ઉપસ્થિત કરેલો સવાલ હજુ અનુત્તરિત છે. શા માટે ભારતે સંસદીય લોકશાહી અપનાવવાનું જોખમ લીધું? એક પણ બાધો રૂપિયો ન હોય એવું પરચૂરણ લોકશાહી અપનાવે અને એ પણ સંસદીય લોકશાહી? સંસદ કહે છે કે મારી પાસે ૫૪૩ બેઠકો છે, બહાર ૫૪૩ મતદારક્ષેત્રો છે, જાવ ચૂંટાઈ આવો અને સંખ્યા બતાવીને પ્રવેશ મેળવો. સંસદીય લોકશાહીમાં સત્તાનો રસ્તો સંસદથી જાય છે એટલે લોકસભામાં પ્રવેશવા માટે હરીફાઇ થાય એ સ્વાભાવિક છે. હરીફાઈ વિભાજનો પેદા કરે છે અને ભારત જેવા પચરંગી સમાજમાં સામાજિક વિભાજનો પેદા કરવા તો વળી વધુ સહેલું છે. એવું નથી કે બંધારણ ઘડનારાઓને આ બધી વાતની જાણ નહોતી. જોખમોની તેમને કલ્પના હતી અને એ છતાં સંસદીય લોકશાહી પસંદ કરવામાં આવી હતી.
ભારતીય સમાજ અનેક પ્રકારના તાણાવાણાઓનો બનેલો છે. એ સમાજમાંથી જો ભારતીય રાષ્ટ્ર વિકસાવવું હોય તો એ તાણાવાણાઓ એકબીજાના સંપર્કમાં અને એકબીજાની નજીક આવે એ જરૂરી છે. તેમની વચ્ચે ક્વચિત હરીફાઈ થશે, સંઘર્ષ થશે, મારામારી થશે પણ એ છતાં તેઓ જોડાયેલા રહે એ જરૂરી છે. તેઓ પોતે જ લડી આખડીને સહઅસ્તિત્વ માટેની ભૂમિકા રચી કાઢશે. એટલે તો ગાંધીજીએ ૧૯૩૨માં હરિજનો માટેના અલગ મતદારસંઘનો વિરોધ કર્યો હતો. મજિયારા મતદાર ક્ષેત્રમાં હરિજનો અને સવર્ણો નાગરિક તરીકે એક સાથે મતદાન કરશે અને એક જ ઉમેદવારને ચૂંટશે ત્યારે ભારતીય રાષ્ટ્ર આકાર પામશે. જો ડૉ. આંબેડકરની માગણી માન્ય રાખવામાં આવી હોત, તો ભારતના સૌથી મોટા રાજ્યમાં દલિત સ્ત્રી (માયાવતી) મુખ્ય પ્રધાન ન બની શકી હોત. ટૂંકમાં દરેક તાણાવાણાને હરીફાઈ અને સ્વાર્થજન્ય લડાઈ ઝઘડા છતાં નજીક-નજીક રાખવાનો આ રાષ્ટ્રીય યજ્ઞ છે. પ્રમુખશાહી કરતાં સંસદીય લોકશાહીમાં તાણાવાણા નજીક આવે અને પોત રચાય એવી સંભવના વધુ છે. બીજું, પચરંગી સમાજમાં સંસદીય લોકશાહી વધુ સંતુલન પેદા કરે છે.
એ જોખમ હતું અને ગણતરીપૂર્વક ઉઠાવવામાં આવેલું જોખમ હતું. આપણે અત્યારે સંસદીય લોકશાહીની હંગામી કિંમત ચૂકવી રહ્યા છીએ. એ હંગામી હશે એની મને શ્રદ્ધા છે. દરેક પજા ઓળખના આધારે સંગઠિત થઈ રહી છે અને રાજકીય-આર્થિક વર્ચસ સ્થાપિત કરવા આપસમાં ઝઘડી રહી છે. હિન્દુત્વવાદીઓની જેમ તેમને પણ ગાંધીજી નડે છે કારણ કે તેઓ પટેલને પટેલ બનવા નથી દેતા અને મરાઠાને મરાઠા બનવા નથી દેતા. પરચૂરણનો દરેક દોકડો પોતાને બાંધેલા રૂપિયા તરીકે પ્રસ્થાપિત કરવા મથે છે અને ગાંધીજી કહે છે કે પરચૂરણની આખી થેલી સાથે ન હોય તો દોકડાની કિંમત દોકડાની પણ નથી. આમ ગાંધીજીને ગાળો આપવામાં તે પણ અગ્રેસર છે. ગાંધીજીએ અમારા માટે શું કર્યું અથવા તો અમને તો અન્યાય કર્યો વગેરે. આને કારણે તેઓ હિન્દુત્વવાદીઓનું ગાંધીજી સામેનું ઝેર સાચું માનીને અપનાવી લે છે.
આ સંસદીય લોકશાહીની હંગામી કિંમત છે. જો કૉન્ગ્રેસે વિવિધ સમાજની અંદર પેદા થવા લાગેલી અસ્મિતાઓની સભાનતા અને તેમની વચ્ચેની હરીફાઈઓને રાષ્ટ્રીય હિતમાં દૂરંદેશી વાપરીને હાથ ધરી હોત, તો આજે ભારતનો અને કૉન્ગ્રેસનો ઇતિહાસ જુદો હોત. કૉન્ગ્રેસે સત્તાના રાજકારણમાં અસ્મિતાકીય સંઘર્ષોનો ઉપયોગ કર્યો હોત. સંખ્યાની ગણતરીઓ માંડીને કૉન્ગ્રેસે સમાજ વિભાજક રાજકારણ કરવા માંડ્યું હતું. ગાંધીજી જે શીખવાડીને ગયા હતા એનાથી તદ્દન બીજા અંતિમે. પરિણામ એ આવ્યું કે ત્યારે કૉન્ગ્રેસ બધાની હતી અને આજે કૉન્ગ્રેસ કોઈની નથી.
બીજી ભૂલ શિક્ષણના ક્ષેત્રે થઈ છે. શિક્ષણના વિસ્તારની સાથે જે તે સમાજના લોકોમાં પોતાના વિશેની ઓળખ અને અસ્મિતાભાન વિકસ્યું છે. એની સાથે સંસદીય લોકશાહીના કારણે તેમને તેમની સંખ્યાની તાકાત સમજાઈ છે. આ તો થવાનું જ હતું, પરંતુ તેની સાથે નાગરિકભાન પણ વિકસવું જોઈતું હતું. આપણે પહેલાં માણસ છીએ, એ પછી ભારતના નાગરિક છીએ અને એ પછી બીજા જે કોઈ હોઈએ તે છીએ. આપણું શિક્ષણ આ મૂલ્યભાન વિકસાવવામાં નિષ્ફળ નીવડ્યું છે.
છેક ૧૯૫૫માં વોટ બેંક નામનો શબ્દ પ્રયોગ જાણીતા સમાજશાસ્ત્રી એમ.એન. શ્રીનિવાસે ઉપયોગમાં લીધો હતો. વોટ બેંક શબ્દપ્રયોગના જનક એમ.એન. શ્રીનિવાસ છે. માયસોરમાં જન્મેલા શ્રીનિવાસે માયસોર યુનિવર્સિટીની પી.એચડી.ની ડિગ્રી મેળવવા માટે ૧૯૪૦માં કર્ણાટકના કૂર્ગ પ્રદેશના વસતી કોડાવા નામની જાતિ-પ્રજાતિનો અભ્યાસ કર્યો હતો. એ પછી ઓક્સફર્ડ યુનિવર્સિટીની પી.એચડી.ની ડિગ્રી મેળવવા તેમણે એ જ પ્રદેશના કોડાવા પ્રજાનો ફરી એકવાર સમાજશાસ્ત્રીય અભ્યાસ કર્યો હતો. ૧૯૪૦ અને ૧૯૫૫માં પડેલા ફરક વિષે શ્રીનિવાસ લખે છે કે એ ગ્રામીણ પ્રજા વોટ બેંકમાં ફેરવાઈ રહી છે. કોડાવા હોવાપણાનું, સંખ્યાનું અને વટાવી શકાય એવી વોટ બેંકની સભાનતા તેમનામાં વિકસવા લાગી છે. આ ૧૯૫૫નું નિરીક્ષણ છે, પહેલી સામાન્ય ચૂંટણી પછી તરતનું.
બીજો અભ્યાસ ૧૯૬૧માં જાણીતા સમાજશાસ્ત્રી રજની કોઠારીએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સંસદીય લોકશાહી સમાજમાં વિભાજનો પેદા કરી રહી છે અને તેનાથી સાવધાન રહેવાની જરૂર છે. ૧૯૬૪માં તેમણે એક સમાજને બીજા સામે વાપરનારા સંખ્યાના સોગઠા બેસાડવાના કૉન્ગ્રેસના રાજકારણને ‘કૉન્ગ્રેસ સિસ્ટમ’ તરીકે ઓળખાવ્યું હતું. ત્યાં સુધીમાં ત્રણ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ચૂકી હતી અને કૉન્ગ્રેસ સિસ્ટમ રાષ્ટ્રીય સિસ્ટમ બની ગઈ હતી.
ગાંધીજીનું પુણ્ય કૉન્ગ્રેસની સાથે હતું, એટલે પાંચ દાયકા એકચક્રી શાસન કર્યું. પાંચ દાયકામાં એ પુણ્ય ખર્ચાઈ ગયું અને સત્તા ખાતર સમાજવિભાજનોનું પાપ બાંધતી ગઈ એનું પરિણામ આજે કૉન્ગ્રેસ ભોગવી રહી છે. હિન્દુત્વવાદીઓએ આજે જે જગ્યા મેળવી છે એમાં જૂઠાણાંઓ અને કુપ્રચારનો જેટલો ફાળો છે એના કરતાં કૉન્ગ્રેસના પાપનો ફાળો મોટો છે.
એક હકીકત ગાંઠે બાંધી લો: બહુમતી હિન્દુ રાષ્ટ્ર એટલે ફાસીવાદી રાષ્ટ્ર. ભારતની પાંચ કે દસ હજાર વરસની સહઅસ્તિત્વની પરંપરાનો અસ્વીકાર. શુદ્ધ ભારતીયતાનો અસ્વીકાર અને આયાતી રાષ્ટ્રવાદનો સ્વીકાર. જો આજે આ વાત નહીં સમજાય તો આવતીકાલે કિમંત ચૂકવ્યા પછી એ સમજાશે. સમજાશે તો ખરું જ.
(સમાપ્ત)
સૌજન્ય : ‘નો નોનસેન્સ’, નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 09 સપ્ટેમ્બર 2018
![]()
નજરે જોયું
ભાઈ યશ મકવાણા(સહ કન્વીનર, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ) એ બાલીન્ટા દલિત અત્યાચાર મુદ્દે સ્થળ તપાસમાં સાથે જોડાવા કહ્યું, ત્યારે હું બહુ ઉત્સાહિત નહોતો. કેમ કે દલિત અત્યાચારોના સેંકડો બનાવો વિશે જાણવા-લખવા-વાંચવાનું બન્યું છે. એટલે એમાં નવું શું હોય ( સિવાય કે હિંસા, ક્રૂરતાની ઘાતકતાનું પ્રમાણ) કે જવું જોઈએ એમ લાગતું હતું. પણ જ્યારે બાલીન્ટા અત્યાચારનો મુખ્ય આરોપી ‘બ્રાહ્મણ” છે, એમ જાણ્યું ત્યારે આઘાત અને આશ્ચર્ય અનુભવ્યા, અને મેં બાલીન્ટા જવાની હા ભણી.
કોઈ આફ્રિકા ખંડના દેશના નામ જેવું નામ ધરાવતું બાલીન્ટા ગામ, આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાં આવેલું છે. તાલુકા મથક સોજીત્રાથી આશરે બારેક કિલોમીટરના અંતરે આવેલા આ ગામમાં ખેડા – આણંદ જિલ્લાના અનેક ગામોમાં પટેલોએ બંધાવેલા પ્રવેશદ્વારો જેવું પ્રવેશ દ્વાર છે. ગામના ‘મણિબા પટેલ પ્રવેશદ્વાર’માંથી ગામમાં પ્રવેશવું ભારે દુષ્કર હતું. આષાઢી વર્ષાનાં પાણી ગામના પ્રવેશદ્વારની ચોપાસના ખાડાઓમાં ભરાયેલા હતા. તો ગારા અને કીચડમાંથી રસ્તો શોધવો મુશ્કેલ હતો. જેમણે માતૃશ્રીની સ્મૃિતમાં ભવ્ય પ્રવેશદ્વાર બનાવ્યું છે તેમને તેની નીચેની જ આ ગંદકીનો ઉપાય કેમ નહીં જડ્યો હોય, તેવા પ્રશ્ન સાથે માંડ માંડ પ્રવેશદ્વાર વટાવી ગામમાં પ્રવેશ્યા.
યશ મકવાણા, પ્રકાશ મકવાણા, લલિત મહિડા, જયંતી મકવાણા, ચન્દ્રકાંત રોહિત સાથે ૨૪મી જુલાઈની બપોરે બાલીન્ટાની મુલાકાત લીધી. ગુજરાતના જ નહીં દેશના કોઈ પણ ગામમાં દલિતોની વસ્તી ગામના આથમણા ખૂણે, ગામ છેવાડે જ હોય છે. બાલીન્ટા પણ તેમાં અપવાદ નહોતું. દલિત ફળિયામાં પ્રવેશતાં ફળિયાના મુખ્ય રસ્તાની બંને બાજુ બાંકડા મૂકેલા હતા. પહેલા બાંકડે બાબાસાહેબ આંબેડકરનું, તો તે પછીના બાંકડાઓ પર દિવંગત કલ્યાણભાઈ લલ્લુભાઈ મકવાણા, કાશીબહેન ગાંડાભાઈ વણકરનાં નામો કોતરેલાં હતાં. એક બાંકડો છત્રસિંહ ચુનીભાઈ જાદવના નામનો હતો. જુદીજુદી જાતિકોમનાં નામોના બાંકડા જોડાજોડ રહી શકે છે, તેમ જો માણસો રહેતા હોત તો કેવું સારું એવો વિચાર મનમાં આવ્યો ન આવ્યો ત્યાં તો વિનુભાઈ રોહિતનું ઘર આવી ગયું.

આશરે ૩,૮૦૦ થી ૪,૦૦૦ની વસ્તીનું બાલીન્ટા ગામ અઢારે વરણને પોતાનામાં સમાવી વસ્યું છે. ગામમાં બહુમતી વસ્તી ઠાકોરોની છે. તે પછીના ક્રમે પટેલોની વસ્તી છે. દલિતોમાં વણકરોના ૩૦, વાલ્મીકિના ૨૦ અને રોહિતોના ૮ ઘર છે. ગામમાં માત્ર બે જ ઘર અને પંદરેક વોટ ધરાવતા ‘બ્રાહ્મણ’, ગામના સરપંચ છે. તો ૮ ઘર ધરાવતા ‘રોહિત’ ડેપ્યુટી સરપંચ છે ! જ્યારે દેશનું વાતાવરણ જાતિધર્મકોમના નામે વિષાક્ત હોય ત્યારે અહીં જાતિકોમધર્મ સિવાય સરપંચ-ઉપસરપંચ હોય તે જાણીને પહેલી નજરે રાજી થવાયું.
૩૦ વરસના, અપરણિત, ગુજરાતી વિષયમાં ગ્રેજ્યુએટ થયેલા દલિત યુવાન વિનુભાઈ મગનભાઈ રોહિતની ગ્રામ પંચાયતના સભ્ય તરીકે આ બીજી ટર્મ છે. ૨૦૧૨માં એ પ્રથમવાર ચૂંટાયેલા. ૨૦૧૭ની બીજી ટર્મમાં ડેપ્યુટી સરપંચ છે. દલિતોની ત્રણેય પેટાજ્ઞાતિઓમાં રોહિતો સાવ જ લઘુમતીમાં છે તો પંચાયતનો સભ્ય તેમનો કેમ ?એવો સવાલ પૂરો થાય તે પહેલાં તો ફળિયામાં બેઠેલા સૌ એક અવાજે બોલી ઊઠે છે, “અમારા ગામમાં એવું નથી. જે લાયક હોય તે ક પછ તયણેય કોમમાંથી વારાફરતી પંચાયતનો સભ્ય બનં છં. ૧૯૪૭થી આજ સુધી અમારી અનામત બેઠક પર ચૂંટણી થઈ નથ. અમે જ અમારો સભ્ય બિનહરીફ ચૂંટીય છ.” આ અદ્દભુત દલિત એકતા અને સમજ પર ઓવારી જવાનું મન થવું સ્વાભાવિક હતું. જો કે લોકશાહીએ નાગરિક તરીકે, મતદાર તરીકે તેમને જરૂર ભેગા રાખ્યા છે, પણ ધર્મ અને સમાજે તેમને તેમ રહેવા દીધા નથી. ૮ ઘરના રોહિતોના ફળિયામાં એમનું ચામુંડા-બહુચરનું, ૩૦ ઘરના વણકરોનું રામાપીરનું અને ૨૦ ઘરના વાલ્મીકિઓના ફળિયામાં હડકાઈ માતાનું મંદિર છે. વણકરો-રોહિતોનું સ્મશાન ભેગું છે પણ વાલ્મીકિનું નોખું છે !

ગામના સરપંચની સીધી ચૂંટણી થવી જોઈએ એવી ઝીણાભાઈ દરજી સમિતિએ ભલામણ કરેલી. તેનો આશય તો આખું ગામ મળીને તેનો સરપંચ પસંદ કરે તેવો હતો. પરંતુ નાતજાતકોમધર્મમાં વહેંચાયેલા સમાજે કંઈક જુદું જ કર્યું. બાલીન્ટામાં ભટ્ટ અને દવે અટક ધરાવતા માત્ર બે જ બ્રાહ્મણ કુટુંબો છે. તેમના વોટ ગણીને ડઝનેય નહીં હોય પણ ગામના સરપંચ પ્રવીણભાઈ હીરાલાલ ભટ્ટ નામક બ્રાહ્મણ છે. તેના કારણમાં, તેમની લોકપ્રિયતા કરતાં તેમને મળેલી સત્તાધારી બી.જે.પી.ની ઓથ હોવાનું દલિતો કહે છે. આ કુટુંબનો પ્રભાવ એટલો છે કે ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ તે જ ચૂંટાયા છે અને આખા પંથક પર તેમનું વર્ચસ્ છે. તેમની દાદાગીરી અને ગરીબ ગુરબાંને રંજાડવાની વૃત્તિ દલિત ડેપ્યુટી સરપંચ પર હાથ ઉપાડવા સુધી પહોંચી છે. ગામના બહુમતી ઠાકોરો વહેંચાયેલા છે. ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીમાં ૫ ઠાકોરોએ ઉમેદવારી કરી હતી. એમાંનો એકેય ન ચૂંટાયો અને અણુમતિના બ્રાહ્મણ સરપંચ પદ પામ્યા.
ભારતીય લોકશાહી માટે ભારે કલંકરૂપ એવી હિંદુ સમાજની ધાર્મિક -સામાજિક જડતા વિનુભાઈની ડેપ્યુટી સરપંચ તરીકેની પસંદગીમાં જોવા મળી. ૨૦૧૨માં વિનુભાઈ રોહિત પહેલીવાર ગ્રામ પંચાયતના સભ્ય બન્યા અને આ ઉત્સાહી, પ્રતિબદ્ધ, પંચાયતી રાજના નીતિનિયમોના જાણકાર સભ્યે પોતાને ડેપ્યુટી સરપંચ બનાવવાની વાત કરી, ત્યારે ગ્રામપંચાયતની બેઠકમાં પહેલાં તો બેઘડી સોપો પડી ગયો અને પછી તરત ઠઠ્ઠામશ્કરી થયેલી. ૨૦૧૭ની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ ૧૦ સભ્યોમાં ૮ ઠાકોરો, ૧ દલિત અને ૧ દેવીપૂજક ચૂંટાયા હતા. ઠાકોરો બહુમતીમાં હતા પણ વહેંચાયેલા હતા. એટલે દલિત અને દેવીપૂજક જેમના પક્ષે જાય તેને સત્તા મળે તેમ હતું. સમર્થન માટે વિનુભાઈ રોહિતે તેમને ડેપ્યુટી સરપંચ બનાવવાની શરત કરી, જે ઠાકોરોને બહુ આકરી લાગી. તેથી ઠાકોરોએ સત્તા મેળવવા રસ્તો કાઢવા દેવી દેવતાનો આશરો લીધો. આ પંથકના ઠાકોરો માટે કોડવા ગામના હડકાઈ માતા ભારે આસ્થાનું કેન્દ્ર હતા. એટલે હડકાઈ માતાના મંદિરે જઈ ચિઠ્ઠી નાંખવી અને માતાજી જે પસંદ કરે એમ કરવાનું નક્કી થયું. નિર્ધારિત દિવસે આખું રાવણું હડકાઈ માતાએ ગયું ને ચિઠ્ઠી બનાવી. તો માતાની કૃપા વિનુભાઈ રોહિત પર ઊતરી ! માતાનો આદેશ અને આશિષ ઠાકોરો માટે શિરોમાન્ય હતા. છતાં કશું વિઘ્ન ન આવે અને કોઈ સભ્ય તૂટે નહીં એટલે તેમના પક્ષના સભ્યોને જૂનાગઠ લઈ જવાયા ને પંચાયતની બેઠકના કલાક પહેલાં જ ગામમાં લવાયા. આમ દલિતોના બિનહરીફ પ્રતિનિધિ વિનુભાઈ રોહિતને જે લોકશાહી માત ડેપ્યુટી સરપંચ ન બનાવી શક્યાં તે કોડવાના હડકાઈ માતાએ કરી બતાવ્યું !
પંચાયતના સભ્ય બન્યા ત્યારથી જ વિનુભાઈએ ન માત્ર ગામના દલિતોના, સૌ વંચિત-ગરીબોના વિકાસ કામો હાથ ધર્યા હતા. વિનુભાઈ કહે છે, “ગામમાં તળાવડીના કાંઠે અમારું વણકર-રોહિતોનું સ્મશાન છે .. જે ભારે ખરાબ હાલતમાં હતું. ચોમાસામાં તો ભારે મુશ્કેલી પડે. ગામના વાલ્મીકિના સ્મશાનની જમીન પર પટેલોએ એટલું દબાણ કરેલું કે પાંચ-દસ ફૂટ ભોંય માંડ બચેલી. એટલે આ સ્મશાનનું કામ મેં પહેલાં હાથ પર લીધું.” ગામડા ગામનો, લોકશાહી પ્રક્રિયામાં સામેલ થયેલો, એક જન પ્રતિનિધિ, જો એ દલિત હોય તો, વિકાસ કાર્યો માટેની તેની પહેલી પ્રાથમિકતા સ્મશાન બને છે તે ભારે ખિન્ન કરનારી બાબત છે. વિનુભાઈએ સ્મશાનનો પ્રશ્ન તો ઉકેલ્યો, દલિત ફળિયામાં પાણી, વીજળી, ગટર અને પેવર બ્લોક પણ નંખાવ્યા. ગામના દૂરના ફળિયાઓમાં પણ એ વિકાસને લઈ ગયા. દલિત ફળિયાને અડીને જમીનના એક જુદા ટુકડા પર સુંદરભાઈ પૂંજાભાઈ વણકર કુટુંબના ૮ ઘરો ૨૦૦૧માં વસ્યા. એમની વસ્તીમાં કશી સુવિધા નહીં. એમાં ય પાણીની તો ભારે તકલીફ રોજ ઊઠીને પાણી વારંવાર બાજુના વાલ્મીકિના નળેથી લેવા જવું પડતું હતું. પંચાયતમાં રજૂઆતો કરી કરી થાક્યા પણ કશું ન વળ્યું.” ૨૦૧૨માં વિનુભાઈ સભ્ય બન્યા અને અમારા ઘરોમાં પાણી આવ્યું, રસ્તો બન્યો અને હવે સ્ટ્રીટ લાઈટ પણ આવશે.” એવું ભારે ઓશિંગણ ભાવે આ ભાઈઓએ કહ્યું.
પંચાયતના સભ્ય વિનુભાઈ પંચાયતનો વહીવટ પારદર્શક અને ન્યાયી બને તે માટે મથતા હતા. જ્યાં પંચાયતે કામો કરવા જેવા છે તે, જોખમો વહોરીને પણ કરાવે અને એટલે હાલના સરપંચ કુટુંબને એ ખૂંચે છે. ગઈ તારીખ ૨૦ જુલાઈએ સાંજે પાંચેક વાગે વિનુભાઈ ગામના ટાવર પાસે દિનેશભાઈ કનુભાઈ પરમારની દુકાને ઊભા હતા. ત્યારે તેમણે ત્યાં ઊભેલા સરપંચના દોહિત્ર કિસનભાઈ દીપકભાઈ દવેને “કિસનપુરાવાળી પાણીની લાઈનમાં પાણી મળતું ન હોવાની” વાત કરી. તો કિસનભાઈ ઉશ્કેરાઈ ગયા. તેમને જાતિવિષયક ગાળો બોલી અપમાનિત કર્યા અને તેમણે અને તેમની સાથેના બીજા ત્રણ લોકોએ તેમના પર હુમલો કરી માર્યા. આ બનાવની પોલીસ ફરિયાદ બનાવના ૨૦ કલાક બાદ ભારે લોકદબાણ પછી પોલીસે લીધી પણ ઓગસ્ટ મહિનાના આરંભ સુધી હજુ કોઈની ધરપકડ થઈ નથી. કેમ કે બધા હુમલાખોરોને ભારતીય જનતા પક્ષની હૂંફ મળેલી છે અને પોલીસ તેની આગળ બેબસ છે.
ઘટનાના ચોથા દિવસે અમે ગામમાં ગયા ત્યારે વિનુભાઈ બહુ સ્વસ્થ હતા. એમણે ઘટનાની માંડીને વાત કરી. ત્રણેય ફળિયામાં અને ગાઉ છેટેના સ્મશાનમાં પણ લઈ ગયા. અમે વિનુભાઈને વારંવાર અમારી કોઈ મદદની જરૂર હોય તો કહો એમ પૂછતા હતા તો એ બહુ નચિંત થઈને, ‘બીજું તો શું મને બરોબર ન્યાય મલ એવું કરજો” એટલું જ કહ્યે જતા હતા.
ત્રણ ચાર કલાકની આ મુલાકાત પછી અમે ગામમાંથી નીકળતા હતા, ત્યારે ગામના એક પૂર્વ સરપંચ ભેળા હાલના પંચાયતના સભ્ય અને વિનુભાઈના સાથી પ્રહલાદભાઈ ચુનારા મળ્યા. પ્રહ્લાદભાઈ ભારે ચિંતામાં અને ઉશ્કેરાટમાં હતા. વિનુભાઈની ખરી હાલતની વાત કરતાં એમણે કીધું કે, “એમના માટે ગામમાં નીકળવું કાઢું છે. એક પોલીસનું રક્ષણ મળ્યું છે પણ એ ડંડો લઈને આખો દાડો પંચાયતમાં બેસી રહે છે. ગમે ત્યારે કશું થઈ જવાની ચિંતા રહે છે.” પ્રહ્લાદભાઈ ચુનારાની વાત ચૂપચાપ સંભળી રહેલા વિનુભાઈના ચહેરાના ભાવ પરથી લાગ્યું કે અત્યાર સુધી વિનુભાઈ જે અમને નથી કહી રહ્યા તે પ્રહ્લાદભાઈએ કહ્યું છે. યોગ્ય પોલીસ તપાસ, પોલીસ રક્ષણ અને આરોપીઓની ધરપકડના પ્રયાસો કરવાના આશ્વાસન સાથે અમે ગામ છોડ્યું. પણ આ નાનકડા ગામમાં વિનુભાઈના રૂપે જે નવું યુવા દલિત નેતૃત્વ ઉભરી રહ્યું છે તે આજે કેવા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે તેના વિચારોમાં આખા રસ્તે ખોવાયેલો રહ્યો. હડકાઈ માયે તો વિનુભાઈને ડેપ્યુટી સરપંચ બનાવી દીધા છે, પણ હે મારી લોકશાકી મા તું એને હેમખેમ રાખે તો ય ઘણું !
સૌજન્ય : “દલિત અધિકાર (પાક્ષિક)”, 01 અૉગસ્ટ 2018; પૃ. 01-02
![]()

