Opinion Magazine
Number of visits: 9456545
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પરિવર્તનની એક ક્ષણ

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|1 January 2025

“દાદાજી, તમે ક્યાં જાવ છો?”

બીટુએ ફરી પૂછ્યું, “દાદાજી, તમે ક્યાં જાવ છો?”

મનુભાઈએ એક ચંપલ પગમાં પહેર્યું હતું ત્યાં બીટુ, મનુભાઈનાં 4 વર્ષનાં પૌત્રનો અવાજ સાંભળી બીજું ચંપલ પહેરતા અટકી ગયા. એમ જ ઊભા રહ્યા. ફરી અવાજ સાંભળી એમણે બીટુ સામે જોયું, બીટુની આંખમાં પ્રશ્ન હતો કે દાદાજી આપણે તો સાંજે બગીચામાં ફરવા જઈએ છીએ અને મને લીધા વગર તમે ક્યારે ય બહાર જતા નથી, તો અત્યારે સવારમાં ક્યાં જાવ છો? પ્રશ્ન વાંચી મનુભાઈ વિસામણમાં પડી ગયા. એક બે ક્ષણ રોકાઈ મહામહેનતે બીટુ સામે જોયા વગર કહ્યું “બેટા, મારે થોડું કામ છે એટલે બહાર જાવ છું”, પછી ગળામાંથી માંડ માંડ આટલા શબ્દો નીકળ્યા, “હમણાં પાછો આવું છું.”

“તો મને પણ સાથે લેતા જાવને?”

“બેટા, ત્યાં તારે સાથે ન અવાય?”

“શું કામ ન અવાય? હું તમને હેરાન નહીં કરું.” મનુભાઈની આંખમાં ઝળઝળિયાં આવ્યા. મહા પ્રયત્ને આંસુને રોકવામાં થોડું કષ્ટ પણ થયું.

“દાદાજી, તમે મને લીધા વિના ક્યારે ય બહાર જતા નથી તો આજે કેમ જીદ્દ કરો છો.” અને ‘જીદ કરો છો’ શબ્દ સાંભળી મનુભાઈની આંખમાં ઝળઝળિયાં બનીને રોકાયેલા આસું આંખમાંથી દડ દડ વહેવા લાગ્યા. બીટુ વિચારમાં પડી ગયો તેણે કદી મનુભાઈને રડતા જોયા નહોતા.

“દાદાજી, તમે રડોમાં, હું સાથે આવવાની જીદ નહીં કરું.” મનુભાઈએ મનમાં કરેલો નિર્ણય, બીટુનાં શબ્દો અને આંખમાંથી વહેતાં આસુંમાં ઓગળી વહી ગયો. તેણે બીટુને તેડી લીધો અને સોફામાં બેઠા, “હા બેટા, આપણે સાંજે બગીચામાં ફરવા જઈશું, તે મને મહાસંકટમાંથી ઉગારી લીધો.”

મનુભાઈના બાપા નાના ગામડામાં રહેતા હતા. ગામ લગભગ 4,000ની વસ્તીવાળુ હતું અને બે ત્રણ કરિયાણાંની દુકાન હતી. મનુભાઈના બાપાને કરિયાણાંની દુકાન હતી. નાનું ગામ હતું અને ફક્ત બે ત્રણ દુકાન હોવાથી તેમનું ગુજરાન સરળતાથી ચાલતું હતું. મનુભાઈ અભ્યાસ પૂરો કરીને પોતાના બાપાની દુકાને કામકાજમાં લાગી ગયા પણ ગામમાં બીજી પણ ત્રણ ચાર નવી કરિયાણાંની દુકાન થઈ હતી. ગામની વસ્તીમાં કંઈ ઝાઝો વધારો થયો નહોતો.

એક દિવસ મનુભાઈએ એના બાપા ને કહ્યું, “બાપા, નાના ગામમાં વસ્તીનાં પ્રમાણમાં દુકાન વધારે છે. હું શહેરમાં જઈ આગળ વધવા માગું છું. ત્યાં હું વ્યવસ્થિત થઈ જાવ પછી તમને અને મારી બાને તેડી જઈશ.”

મનુભાઈએ શહેરમાં નાની દુકાનથી શરૂઆત કરી. ખંત, મહેનત, ઇમાનદારીનાં પુરસ્કાર રૂપે થોડા સમયમાં નાની કરિયાણાંની દુકાનમાંથી નાનો પ્રોવિઝન સ્ટોર થઈ ગયો. બા, બાપાને પણ ગામડેથી બોલાવી લીધાં. મનુભાઈનો નાનો પ્રોવિઝન સ્ટોર અને મનુભાઈનું ગૃહસ્થ જીવન પૂરપાટ દોડવા લાગ્યું. મનુભાઈનો દીકરો અજય પણ અભ્યાસ પૂરો કરી મનુભાઈની જેમ પ્રોવિઝન સ્ટોરમાંથી બનેલ પોતાના મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં મનુભાઈ સાથે કામે લાગી ગયો. અવસ્થાએ પહોંચેલ મનુભાઈનાં બા, બાપા પ્રભુના ધામમાં પહોંચી ગયાં. મનુભાઈનાં પત્ની પણ કોઈક અસાધ્ય રોગમાં સપડાતાં તે ઈચ્છે તે પ્રમાણે અજયના લગ્ન પણ જ્ઞાતિની સારી કન્યા અને સારા કુટુંબમાં સંપન્ન કરી નાખ્યા. એ પછી થોડા સમયમાં તેણે પણ મનુભાઈનો સાથ છોડી દીધો.

એક દિવસ અજયે કહ્યું, “બાપા તમે સખ્ખત પરિશ્રમ કર્યો, એનું આ પરિણામ છે. એક નાની દુકાનમાંથી આજે આપણી પાસે મલ્ટી સ્ટોરીડ ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે. હું પૂરેપૂરો ધંધામાં પારંગત થઈ ગયો છું અને હવે આરામ ઉપર તમારો અધિકાર છે. તમે પૂજા પાઠ અને બીટુ સાથે સમય પસાર કરો તેવી મારી પ્રાર્થના છે. મનુભાઈ શરૂઆતમાં ક્યારેક ક્યારેક સ્ટોર ઉપર જતા પણ પછી તે પણ બંધ કરી દીધું હતું. પણ, આ વાત અજયની પત્ની વિભાને નહોતી ગમી. વિભાએ અજયની સાથે વાત પણ કરી હતી અને અજયે કહ્યું હતું, “બાપાએ ખૂબ પરિશ્રમ કર્યો છે, હવે તેમનો આરામનો સમય છે. બાપાને કોઈ તકલીફ ન પડે તેની જવાબદારી તારી છે.” વિભા થોડીક સ્વતંત્ર રીતે જીવન જીવવાની શૈલીવાળી હતી. મનુભાઈ કંઈ દખલગીરી નહોતા કરતા, પણ વિભાને મનુભાઈની ઘરમાં સતત હાજરી ગમતી નહોતી, એને સ્વતંત્ર વાતાવરણ જોઈતું હતું.

વિભા, મનુભાઈને અવગણતી, ધ્યાન ન આપતી, બીટુને બોલાવી લેતી, સવારે જમવામાં પણ ધ્યાન ન આપતી. અજયે નક્કી કર્યું હતું કે રાત્રે તે બાપા સાથે જ જમશે અને તે મોડામાં મોડો આઠ વાગે ઘરે આવી જતો. મનુભાઈ બધું સમજતા હતા. પણ તેને અજયને વાત કરવાની ઇચ્છા નહોતી, કારણ કે તે સમજતા હતા કે અજય, વિભાનું આ પ્રકારનું વલણ નિભાવી નહીં લે અને તેના દામ્પત્ય જીવનમાં ખટરાગ ઊભો થશે અને ઘરમાં કંકાસ ઊભો થશે. આવું બને એવું એ જરા પણ નહોતા ઇચ્છતા. આમાં અજયનો શું દોષ છે એમ વિચારી મનને સમજાવી લેતા. પણ થોડા સમય પછી એવી સ્થિતિ ઊભી થઈ કે મનુભાઈને અણગમતો નિર્ણય લેવાની ફરજ પડી અને એ નિર્ણયને અમલમાં મૂકવા જ મનુભાઈ સવારે બહાર જવા નીકળતા હતા. મનુભાઈ જ્યારે પ્રોવિઝન સ્ટોર સાંભળતા હતા ત્યારે તેમની મુલાકાત રસિકભાઈ સાથે થઈ હતી. રસિકભાઈ માતૃ વૃદ્ધાશ્રમનાં સંચાલક હતા અને તે વૃદ્ધાશ્રમ માટેની વસ્તુઓ મનુભાઈ પાસેથી ખરીદતા હતા. મનુભાઈ પણ વૃદ્ધાશ્રમ માટેની ચીજ વસ્તુમાં ઓછામાં ઓછો નફો લઈને આપતા હતા. આથી બંને વચ્ચે પાકી ભાઈબંધી થઈ ગઈ હતી. અને રસિકભાઈએ કોઈ પણ કામ હોય તો તેને અચૂક યાદ કરે એવી તાકીદ કરી હતી. આજે મનુભાઈ, રસિકભાઈ પાસે વૃદ્ધાશ્રમમાં જ રહેવા જવા નીકળતા હતા. ત્યાં જ બીટુની કાલીઘેલી ભાષાએ વૃધ્ધાશ્રમાં રહેવા જવાના નિર્ણયને પરિવર્તિત કરી દેવાની ફરજ પાડી અને મનથી નક્કી કરી નાખ્યું કે બસ મારે હવે બીટુ સાથે, બીટુ માટે અહીજ રહેવું છે, ક્યાં ય જવું નથી. થયું હતું એમ કે વિભા તેની સહેલી સાથે વાત કરતી હતી. આમ તો મનુભાઈને કોઇની વાત સાંભળવાની આદત નહોતી પણ તેના કાને વાત દરમ્યાન તેનું નામ બે ત્રણ વખત વિભાએ લીધું એટલે તે સાંભળવા ઊભા રહ્યા.

વિભા તેની સહેલીને કહેતી હતી કે “હું ક્યાં તારી જેમ સ્વતંત્ર છું. મારે તો આ માથે પડેલી જવાબદારી છે. બીટ્ટુ દાદાજી, દાદાજી કરતો મટતો નથી. મારા અજયને તો બાપાનું ભૂત માથે સવાર થઈ બેઠું છે. મારી વાત કે પરિસ્થિતિ કોઈને સમજવી કે સાંભળવી નથી. મને ખબર નથી કે આમાંથી ક્યારે છુટકારો મળશે.” આ વાત મનુભાઈના દિલને ઠેશ પહોંચાડી ગઈ. પોતાનું જીવન ભારે લાગવા માંડ્યું પણ આ વાત અજયને નહોતી કરવી. વાત કરવાથી ઘરના સુખદ વાતાવરણ માટેનો અજયનો ભ્રમ ભાંગી જાય અને ઘરમાં ક્લેશ ઊભો થાય. તેમ જ વૃદ્ધાશ્રમમાં રહેવા જવા માટે ક્યારે ય તૈયાર ન થાય. વૃદ્ધાશ્રમમાં રહેવા ગયા પછી આ વાત રસિકભાઈની મદદથી સંભાળી લઈશ એટલે કોઈ મુશ્કેલી ઊભી નહીં થાય એમ વિચારીને નિર્ણય કરેલો. મનથી વિચારી રાખેલું કે સવારનાં અજય ગયા પછી નીકળી જઈશ.

બીટ્ટુ દાદાજી માટે પાણી લઈ આવ્યો. દાદાજીને પાણી પાયું પણ એને એ ના સમજાયું કે મેં દાદાજીને કેમ બહાર જાવ છો એ પૂછ્યું એટલે દાદાજી રડવા લાગ્યા ને પછી મારી વાત માની સાંજે બગીચામાં ફરવા જવાનું કહ્યું. મનુભાઈ પણ મનોમન ખુશ થયા કે સારું થયું બીટ્ટુએ પ્રશ્ન કરી મારા નિર્ણયને પરિવર્તિત કરી નાખ્યો. મારી પાસે મુદ્દલ – અજય અને મુદલનું રોકડું વ્યાજ બીટ્ટુ છે પછી મારે શું ચિંતા છે? હવે ક્યાં કાઢ્યા એટલા વરસ કાઢવાના છે. માણસે દરેક પરિસ્થિતિનું સમાધાન શોધી લેવું જોઈએ, હું પણ એમ જ કરીશ. બધી બાબત ભૂલી જઈને મનુભાઈએ બીટ્ટુને ઝૂલા ઉપર ઝૂલતા ઝૂલતા વાર્તા કહેવાની શરૂઆત કરી, એક હતો રાજા ..

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

અન્યાય સામે લડવું એ જ ધર્મ છે : કાકાસાહેબ કાલેલકર

સોનલ પરીખ|Opinion - Opinion|1 January 2025

મારા વિદ્યાર્થીઓને કહું છું કે ખૂબ તોફાન કરો, પ્રાણનો વિકાસ કરો, ખૂબ અખતરા કરો; ટાઢતડકામાં ફરો, જંગલ અને પાણી સાથે દોસ્તી બાંધો, અખાડામાં જઈને શરીર કસો. ખૂબ મહેનત કરતાં શીખજો. નવરાશ એ શરીરનો કાટ છે. શરીર અને બુદ્ધિને કસરત આપતા રહેજો. ઉપરાંત ખૂબ મુસાફરી કરજો ને કોઈ જબરો ઊઠીને જ્યારે નબળાને કનડે ત્યારે નબળાનું ઉપરાણું લેવા જજો.

—  કાકા કાલેલકર

(જન્મદિન : 1 ડિસેમ્બર 1885)

કાકા કાલેલકર

‘મારા વિદ્યાર્થી મિત્રોને કહું છું કે – ધ્યાનમાં રાખજો કે તમે ગરીબોને માટે છો, ગરીબોની સેવા એ જ તમારું વ્રત છે. બીજી વાત, અધ્યયન પ્રત્યેનો પ્રેમ જીવનભર જાળવી રાખજો. તેનાથી વિષાદ અને થાકના સમયે પ્રસન્ન રહેવામાં મદદ મળશે. અને ત્રીજી વાત, માનવીનો ધર્મ એક જ છે – અજ્ઞાન, અસહિષ્ણુતા, શોષણ અને અન્યાય સામે નિરંતર લડતા રહેવું.’

આટલું કહી એ તેજસ્વી જૈફ પુરુષે આગળ કહ્યું, ‘ગરીબોનો બેલી આજે કોઈ નથી. એવી દશામાં વિદ્યાર્થીઓ આગળ હું કઈ ‘કેરિયર’ મૂકું ? જેમને ગરીબોની દાઝ છે, એવાઓને માટે એક જ કેરિયર છે – ગરીબ થઈને ગરીબોની સેવા કરીએ. પેલા બિચારા લાચારીથી ગરીબ થાય છે, આપણે સ્વેચ્છાપૂર્વક ગરીબાઈ સ્વીકારીએ. આપણી તાકાત છતાં આપણે પૈસા મેળવવાની શરતમાં ન દોડીએ. શહેરમાં ગામડાંની સાદાઈ ને તેજસ્વિતા લઈ જઈએ. આ નવી કેરિયરમાં વિદ્યાર્થીઓ આગળ રહે, તો આ દેશનો ઉદ્ધાર થવાનો છે. સ્વરાજ્યનો અર્થ ગોરા અમલદારોને બદલે દેશી અમલદારો નિમાય એ નથી, પણ ભણેલા લોકો ગરીબોની સેવા કરતા થાય એ છે.’

આ પુરુષ તે કાકાસાહેબ કાલેલકર. એમણે આ શબ્દો કહ્યાને લગભગ સો વર્ષ થઈ ગયાં છે, છતાં આ શબ્દો આજે પણ એટલા જ સાચા અને પ્રેરણાદાયક છે. આ તો હતી તરુણ વિદ્યાર્થીઓ માટેની વાત. તેમણે નાના વિદ્યાર્થીઓને શું કહ્યું છે? ‘નાના વિદ્યાર્થીઓને કહું છું કે ખૂબ તોફાન કરો, પ્રાણનો વિકાસ કરો, ખૂબ અખતરા કરો; ટાઢતડકામાં ફરો, જંગલ અને પાણી સાથે દોસ્તી બાંધો, અખાડામાં જઈને શરીર કસો. ખૂબ મહેનત કરતાં શીખજો. નવરાશ એ શરીરનો કાટ છે. શરીર અને બુદ્ધિને કસરત આપતા રહેજો. ઉપરાંત ખૂબ મુસાફરી કરજો ને કોઈ જબરો ઊઠીને જ્યારે નબળાને કનડે ત્યારે નબળાનું ઉપરાણું લેવા જજો.’

ભારતના સુપ્રસિદ્ધ રાષ્ટ્રસેવક, ચિન્તક અને સમર્થ ગુજરાતી લેખક કાકા કાલેલકરનું પૂરું નામ દત્તાત્રય બાળકૃષ્ણ કાલેલકર. સરકારી નોકરી અંગે વારંવાર બહારગામ જતા પિતા બાળ દત્તાત્રયને સાથે લઈ જતા. એને લીધે પ્રવાસ અને પ્રકૃતિપ્રેમનાં બીજ રોપાયાં. ભાઈઓ જોડે ચર્ચા કરતાં દેશમુક્તિનાં સ્વપ્નાં સેવ્યાં. પૂનાની ફરગ્યુસન કૉલેજમાં આચાર્ય પરાંજપેના પ્રભાવથી બુદ્ધિવાદ વિકસ્યો. બી.એ.માં ફિલસૂફી ભણ્યા અને ધર્મચિંતન માટેની ભૂમિકા તૈયાર થઈ. કૉલેજમાં ખૂબ વાંચ્યું. જીવનદૃષ્ટિ ઘડાતી ગઈ. રાજકીય ક્રાન્તિ જોડે સામાજિક ક્રાન્તિનો આગ્રહ સેવ્યો.

રાષ્ટ્રસેવાની ધૂન લાગવાથી અને શિક્ષણ દ્વારા જ રાષ્ટ્રને જાગ્રત કરી શકાય એમ લાગવાથી તેમણે બેલગામના ગણેશ વિદ્યાલયના આચાર્ય, તે પછી લોકમાન્યના દૈનિક રાષ્ટ્રમતના સંપાદક, તે પછી વડોદરાના ગંગનાથ વિદ્યાલયના આચાર્ય તરીકે સેવા આપી. સરકારની કરડી નજર પડતાં શાળા બંધ થઈ અને એમણે હિમાલયમાં જઈ આધ્યાત્મિક સાધના કરવાનો નિર્ણય લીધો. સ્વામી આનંદ તથા ગંગનાથ વિદ્યાલયના સાથી અનંતબુવા મર્ઢેકર સાથે હિમાલયની યાત્રાએ ગયા ને પગપાળા સાડાત્રણ હજાર કિ.મી.ની મુસાફરી કરી. પછીથી સ્વામી આનંદ અને કાકા કાલેલકરે અલગ-અલગ સમયે પોતાના પ્રવાસ અનુભવ લખ્યાં. અપૂર્વ આશર સંપાદિત અને નવજીવન પ્રકાશિત પુસ્તક ‘એક યાત્રા બે વૃત્તાંત’માં કાકાસાહેબ અને સ્વામીનો હિમાલય પ્રવાસ એક સાથે વાંચવા મળે છે. એક જ સ્થળને બે વિચક્ષણ વિભૂતિઓ પોતપોતાની દૃષ્ટિએ કેવી રીતે નીરખે અને અનુભવે એ જાણવાની એક મઝા છે.

1924માં પ્રગટ થયેલા ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તકનું આ શતાબ્દીવર્ષ છે. ગુજરાતી પ્રવાસસાહિત્યના આ અજોડ અને અદ્વિતીય પુસ્તકનું સાહિત્યમૂલ્ય ઊંચું  છે.

હિમાલયયાત્રા પૂરી થતાં હરિદ્વાર પાસેના ઋષિકૂળ, કાંગડી ગુરુકૂળ, સિન્ધુ બ્રહ્મચર્યાશ્રમ વગેરે સંસ્થાઓમાં રાષ્ટ્રીય શિક્ષણના પ્રયોગો કરીને શાંતિનિકેતનનું આમંત્રણ આવતાં કાકાસાહેબ ત્યાં ગયા. ત્યાં બંગાળી ભાષા પર પ્રભુત્વ મેળવ્યું. ગુરુદેવની ‘લિપિકા’માં એમણે ગુરુદેવનાં કાવ્યોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. શાન્તિનિકેતનમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા ગાંધીજી સાથે એમનો પ્રત્યક્ષ પરિચય થયો. ગાંધીજીએ સાબરમતીમાં સત્યાગ્રહ આશ્રમ શરૂ કરતાં તેમણે આશ્રમશાળામાં અને પછી ગૂજરાત વિદ્યાપીઠ સ્થપાતા ત્યાં અધ્યાપનકાર્ય કર્યું. બીજા વિષયોની સાથે બંગાળી પણ શીખવતા. જેવી ઊલટથી હિમાલયનો પ્રવાસ કર્યો એવી જ ઊલટથી જેલની ચાર દીવાલો વચ્ચે પણ મહાલ્યા અને ‘ઓતરાતી દીવાલો’ જેવું સુંદર પુસ્તક આપ્યું. સત્યાગ્રહ દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠ બંધ થતાં એમણે ગાંધીજીના કહેવાથી રાષ્ટ્રભાષાપ્રચાર માટે દેશ ભરમાં ફર્યા. જીવનના છેલ્લા તબક્કામાં તેઓ રાજઘાટ પાસે રહેતા હતા.

કાકાસાહેબે ગુજરાતીમાં 36, હિન્દીમાં 27 અને મરાઠીમાં 15 પુસ્તકો લખ્યાં છે. એમનાં પુસ્તકોના વિષયોમાં પ્રવાસ, પ્રકૃતિ સાથે આત્મીયતા, આત્મકથન, સમાજ-સંસ્કૃતિ ચિંતન, શિક્ષણ, કલા, તહેવારો, મૃત્યુ જેવા વિષયો પર રસ અને બુદ્ધિ બંનેને અપીલ કરે એવું ચિંતન છે. ઉપરાંત એમણે રસળતી શૈલી અને વિવિધ વિષયોની છણાવટ કરતાં પુષ્કળ પત્રો લખ્યાં છે જેનાં ચાર પુસ્તકો થયાં છે. કાકાસાહેબની શૈલી એવી સરળ, મધુર, વિશદ, જીવંત, હળવાશવાળી અને આલંકારિક છતાં સાદગીભરી છે કે ઉમાશંકર જોશીએ કાકાસાહેબના ગદ્યને કવિતા કહ્યું હતું.

કાકાસાહેબના સમગ્ર લખાણોને સમાવતી કાલેલકર ગ્રંથાવલિ પ્રગટ થઈ છે જેના 15 ગ્રંથોમાં 60 જેટલાં પુસ્તકો સમાવાયાં છે. એમનાં લેખનનો વ્યાપ પ્રવાસવર્ણનોથી લઈને ધર્મ, શિક્ષણ, પ્રવાસ, ચિંતન અને લલિત નિબંધો સુધી વિસ્તરેલો છે, પરંતુ ગ્રંથાવલિની પ્રસ્તાવનામાં ઉમાશંકર જોશી નોંધે છે તેમ, ‘કાકાસાહેબનું ગદ્ય પ્રકૃતિચિત્રણમાં અને પ્રવાસવર્ણનમાં ખીલી ઊઠે છે. ભૂગોળના રસિયા તેવા જ ખગોળની સૌંદર્યસમૃદ્ધિના પણ તરસ્યા. ભારતયાત્રી કાલિદાસ પછી સ્વદેશની પ્રકૃતિશ્રીનું આકંઠ પાન કરનાર અને એને શબ્દબદ્ધ કરનાર કાકાસાહેબ જેવા ઓછા જ પાક્યા હશે. એમનું ગદ્ય અનેકવાર કાવ્યની કોટિએ પહોંચે છે. કાકાસાહેબને બીજી એક મોટી અને વિરલ એવી બક્ષિસ છે વિનોદવૃત્તિની…’

ઓછા શબ્દોમાં ‘મોટી’ વાત સરળતાથી અને વિનોદવૃત્તિથી કહેવાની કાકા પાસે જબરદસ્ત હથોટી હતી. આપણો કુદરત સાથેનો નાતો દિવસે ને દિવસે ઘટી રહ્યો છે ત્યારે કાકાસાહેબનાં ‘ક્લાસિક’ લખાણો આજની પેઢી સમક્ષ મૂકાવા જોઈએ. શહેરમાં રહેતા હોઈએ એટલે કુદરતની નજીક ન રહી શકાય એ માન્યતા ખોટી છે. એની પાછળ આપણી સામુદાયિક આળસ છે. પ્રકૃતિનો આનંદ લેવા માટે ફક્ત દૃષ્ટિ અને રસ હોવો જરૂરી છે. નદી-ઝરણાંમાં નહાતાં, પર્વતો પર ચડતાં, જંગલમાં રાત વીતાવતાં, અંધારામાં બિહામણા અવાજ સાંભળતાં અને વડની વડવાઈઓ પર લટકીને હાથ છોલતાં બાળકો આજે તો શોધ્યા મળે તેમ નથી. વરસાદ પડે ત્યારે વનસ્પતિસૃષ્ટિ ખીલી ઊઠે અને નવાં નવાં જીવજંતુના મેળા ભરાય એમાં બાળકો રસ લે એ માટે જાતે જ નાની નાની સફારી આયોજન કરી શકાય. ગામડાંમાં કે નાના નગરમાં રહેતા હોઈએ તો વાંધો નથી, પરંતુ શહેરમાં હોઇએ તો આસપાસના બગીચા, નાનકડાં વન-વગડાં જેવા વિસ્તારો, મેદાનો અને ખાડામાં ભરાયેલા પાણી તેમ જ ખેતરોમાં જઈને વનસ્પતિઓ અને જીવજંતુઓને નજીકથી નિહાળવાનું આયોજન કરી શકાય.

હિમાલયનું વર્ણન કરતાં એક જગ્યાએ કાકાસાહેબે લખ્યું છે, ‘હિમાલય આર્યોનું આદ્યસ્થાન, તપસ્વીઓની તપોભૂમિ, પુરુષાર્થી લોકોને માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન, થાક્યાંપાક્યાંનો વિસામો, નિરાશ થયેલાઓનું સાંત્વન, ધર્મનું પિયર, મુમૂર્ષુઓની અંતિમ દિશા, સાધકોનું મોસાળ, મહાદેવનું ધામ અને અવધૂતની પથારી છે. માણસોને તો શું, પશુપક્ષીઓને પણ હિમાલયનો આધાર અપૂર્વ છે. સાગરને મળનારી અનેક નદીઓનો એ પિતા છે. એ જ સાગરમાંથી ઉદ્ભવેલાં વાદળોનું એ તીર્થસ્થાન છે. એ ભૂલોકનું સ્વર્ગ, યક્ષકિન્નરનું વસતિસ્થાન છે. જગતનાં સર્વે દુઃખોને સમાવી લે એવડો તે વિશાળ છે, સર્વ ચિંતાગ્નિને શમાવી દે એટલો એ ઠંડો છે, કુબેરને પણ આશ્રય આપી શકે એવડો એ ધનાઢ્ય છે અને મોક્ષની સીડી બની શકે એવડો એ ઊંચો છે.’

એક વાર એક યુગ હતો, એમાં હિમાલય જેવા ઊંચા લોકો પાકતા …

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 01 ડિસેમ્બર  2024

Loading

બ્રિસ્ટોલ : રાજા રામમોહન રાયના અંતિમ દિવસોનું સંભારણું

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|1 January 2025

ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ શહેરમાં રાજા રામમોહન રાયની પ્રતિમા

રોહિત બારોટ

સુદૂર બ્રિસ્ટોલમાં અધ્યાપક મિત્ર રોહિત બારોટના નિધનના સમાચાર બે’ક અઠવાડિયાં પર જાણ્યા ત્યારે દિલમાં એક અપરિભાષિત ખટાકો બોલી ગયો. અમારે સારુ લંડનની ગુજરાતી લિટરરી એકેડેમીના વર્તમાન પ્રમુખ વિપુલ કલ્યાણી થકી એ ડાયસ્પોરા છેડે એક સાંસ્કૃતિક એલચી સરખા હતા; કેમ કે બ્રિસ્ટોલના રાજા રામમોહન રાયના સ્થાનકની અમારી યાત્રા અને કંઈક સમજ એમના સથવારાને આભારી હતી.

પ્રકાશ ન. શાહ

હમણાં મેં સુદૂર બ્રિસ્ટોલ એમ કહ્યું, પણ નૈઋત્ય ઇંગ્લેન્ડનું આ નગરવિશેષ મને કંઈ નહીં તો પણ ત્રણેક દાયકાથી ઢૂંકડું જ વરતાતું રહ્યું છે. 1983માં આપણા એકના એક કમળાશંકર પંડ્યાની સરક્યુલરી સ્ફૂર્તિથી ગુજરાતમાં રાજા રામમોહન રાયના મૃત્યુની સાર્ધ શતાબ્દી સાથે જોડાવાનું બન્યું તે વારાથી જ્યાં રાજા રામમોહન રાયની આખર પથારી થઈ હતી તે બ્રિસ્ટોલ હૃદયસરસું બની ગયું. એમાં વળી એમના સહવાસથી યજમાનપુત્રી મેરી કાર્પેન્ટરને મળેલી સેવાદીક્ષા વિશે જાણ્યું એથી તો બધું નજીક નજીક આવી લાગ્યું; કેમ કે ગુજરાતની ઓગણીસમી સદીની વિકાસવાર્તામાં ઑક્ટોબર 1866ના અરસામાં સુરત-અમદાવાદની, આ કાર્પેન્ટરબાઈની કેમિયો તો કેમિયો મુલાકાતનોયે કંઈક હિસ્સો છે જે એમણે પોતે, ‘સિક્સ મન્થ્સ ઈન ઇન્ડિયા’(1868)માં આલેખેલ છે.

બ્રિસ્ટોલના મુલાકાતીઓએ (અને અલબત્ત આ લખનાર જેવા યાત્રીઓએ) નોંધ્યું જ હોય કે સિટી કાઉન્સિલ અને કોલેજ ગ્રીન પરિસરમાં રાણી વિક્ટોરિયા અને રાજા રામમોહન રાયની પ્રતિમાઓ કંઈક સામસામે ખડી છે. રોહિત બારોટની ઇતિહાસ અને સમાજશાસ્ત્રીય દૃષ્ટિએ વર્ણવું તો આ વિલક્ષણ તારામૈત્રકમાં હિંદમાં બ્રિટિશ રાજવટ અને નવજાગ્રત હિંદવી મૉડર્નિટીની એકમેક સાથેની દોસ્તી-દિલ્લગી તો કંઈક પડકાર લાગણી વરતાય છે. સાંસ્થાનિક કાળની ને અનુસાંસ્થાનિક કાળની, ઠીક ઠીક નજીક એટલી જ અઠીક આકુળવ્યાકુળ સંબંધનીયે જાણે કે આ સામસામી સૂરતમૂરત છે.

ઘરઆંગણે અંગ્રેજ નવશિક્ષણથી માંડી સતીપ્રથાના વિરોધ સમેતની કારકિર્દી(અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનીયે ઊંચી કામગીરી)ના પૂર્વરંગ સાથે 1831માં રાજા રામમોહન રાય ઇંગ્લેન્ડ પહોંચ્યા હતા. એમની ‘રાજા’ એ માનવાચક (ખરું જોતાં દરજ્જાવાચક) સંજ્ઞા તત્કાલીન દિલ્હીના નામકે વાસ્તે બાદશાહ અબુ-નાસર મુઈનુદ્દીન અકબરને આભારી હતી. બાદશાહના દૂત તરીકે એ ઇંગ્લેન્ડના રાજદરબાર સમક્ષ વર્ષાસન વૃદ્ધિની માંગણી સારુ રજૂઆત કરવા પહોંચ્યા હતા. સતીપ્રથાની નાબૂદી માટેની એમની હિલચાલ સામે પ્રિવી કાઉન્સિલમાં રજૂઆત થવાની હતી એના પ્રતિવાદનો પણ ખયાલ હતો. વળી, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ચાર્ટરનીયે ચર્ચાનો અવસર હતો. ત્રણે મુદ્દે-મોરચે રાજા રાય યશસ્વી રહ્યા અને 1833માં બ્રિસ્ટોલ પહોંચ્યા તે યુનિટેરિયન ચર્ચના મિત્રને મળવા જ્યાં તેમની પુત્રી મેરીને રાયના જીવનકાર્યમાં રસ જાગ્યો અને એક અંતરાલ પછી તે સંદર્ભે એ હિંદ પણ આવી.

બ્રિસ્ટોલમાં આવી રાજા રામમોહન રાયની છત્તર મુકામે રોહિત બારોટ, પ્રકાશ ન. શાહ, વિપુલ કલ્યાણીની ત્રિપુટી

આપણે બ્રિસ્ટોલ ઓથે વ્યાપક અર્થમાં ઇંગ્લેન્ડની અને હિંદની છેલ્લાં બસો વરસની સંબંધગાથાનાંયે પડ ઉકેલીએ છીએ. રાજાના મૃત્યુ પછી ખાસાં સાડત્રીસ વરસે કેશવચંદ્ર સેન બ્રિસ્ટોલ પહોંચ્યા હતા અને એમના સહયોગમાં એક ઇન્ડિયન એસોસિયેશનનીયે સ્થાપના મેરી કાર્પેન્ટરે કરી હતી. સેનથી ઘણા પહેલાં બ્રિસ્ટોલ જતીઆવતી પ્રતિભાઓ પૈકી ખાસ તો દ્વારકાનાથ ટાગોર હતા, રવીન્દ્રનાથના દાદા. એમણે સ્તો બ્રિસ્ટોલમાં રાજા રામમોહન રાયની સુંદર છત્રી (ભુજ જાવ તો જેને છતરડી કહે છે, તેવું કાંક) નિર્માણ કરી હતી.

એક તબક્કે ખાસો મજૂરકાફલો ઇંગ્લેન્ડ હિંદથી પહોંચ્યો હશે તે પછીનો દોર બંગાળના અભિજાત ભદ્રલોકનો હતો. કલકત્તા (કોલકાતા) ત્યારે અંગ્રેજ રાજધાની હતું અને બંગાળ-ઇંગ્લેન્ડનો દેશના બીજા ભાગો કરતાં કંઈક વિશેષ સંપર્ક હોય એ સહજ હતું. બ્રિસ્ટોલ યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના અધ્યાપનની લાંબી કામગીરી અને વિધિવત નિવૃત્તિ પછી પણ વિઝિટિંગ ફેલો રહેલા રોહિતભાઈએ અઠ્ઠાવીસેક પાનાંની પુસ્તિકામાં હિંદ-બ્રિસ્ટોલ સંબંધગાંઠની ઠીક વિગતો આપી છે.

કેશવચંદ્ર સેનના સહયોગથી અસ્તિત્વમાં આવેલ ઈન્ડિયન એસોસિયેશન પછી લાંબે ગાળે બીજું એક ઇન્ડિયન એસોસિયેશન અસ્તિત્વમાં આવ્યું, જેનો આગલી સમાજસુધારાની ને મવાળ રાજકારણની ધારા કરતાં સ્વાતંત્ર્યચળવળ જોડે વધુ સક્રિય સંબંધ રહ્યો. એનું નેતૃત્વ કરનાર બ્રિસ્ટોલવાસી ડો. સુખસાગર દત્તા હતા. આ દત્તાની પૃષ્ઠભૂ રોહિત બારોટે વર્ણવી છે તે ભારતછેડેથી પણ રોમાંચક પરિવર્તનકથા તરીકે જોવા-સમજવા જેવી છે. દત્તા બંગાળના ભદ્રલોકનું સંતાન. એક ભાઈએ બારીન્દ્રનાથ ઘોષના યુગાન્તર જૂથ સાથે રહી આંદામાનવાસ પણ વેઠેલો. સુખસાગર દત્તા લંડન પહોંચ્યા ત્યારે શ્યામજી કૃષ્ણવર્મા અને ‘ઇન્ડિયા હાઉસ’ના સંપર્કમાં મૂકાવું સહજ હતું.  એક તબક્કે એ અને સાવરકર એક જ ખોલીમાં સહભાડુઆત પણ હશે. ધીમે ધીમે એમનું દિલ ખુલ્લા રાજકારણ ભણી વળ્યું ને લેબર પાર્ટીમાં ગોઠવાયું. આ પાર્ટી હિંદની આઝાદી પરત્વે અભિમુખ હતી અને એમાં જહાલ કાર્યક્રમ સાથે લોકશાહીની અજબ મિલાવટ હતી – છેવટે તો, એના આરંભકારોની એક પ્રેરણા તો રસ્કિન અને ‘અન ટુ ધી લાસ્ટ’ હતી, જે ગાંધીની પણ હતી.

જોગાનુજોગ, નવ ઈસવી સંવંતના પ્રથમ દિવસ સારુ લખી રહ્યો છું અને રાજા રામ મોહન રાય વિશે વાત કરવાનો મોકો આવી મળ્યો ! આપણા આ રેનેસાંપુરુષે ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીંથી કેટલું ઉશેટી જાય છે એનો આરંભિક અંદાજ પણ આપેલો છે જે એમને દાદાભાઈના શકવર્તી ક્લાસિક ‘પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રુલ ઇન ઇન્ડિયા’ના નાંદીકાર ઠરાવવા પૂરતો છે. રેનેસાંની પહેલી છાલક કોલકતા પછી સુરત વાગી છે. 1844માં દુર્ગારામ મહેતાજીની ‘મનવધર્મ સભા’ આવી છે. (જો કે દૂરાકૃષ્ટ પણ એક યાદ ટાંકી જ દઉં − આ સ્તો માર્ક્સની અર્લી મેન્યુસ્ક્રિપ્ટસનો ગાળો છે, માર્ક્સ બીફોર માર્કિસઝમ !) હજુ ‘મહારાજ’ ફિલ્મ આડે અવરોધ આવે છે, આ આપણે ?!

ગમે તેમ પણ, નવું વરસ, બ્રિસ્ટોલની સામસામી તારામૈત્રક સ્મૃતિએ ઠીક બેઠું, એટલું તો ખરું જ.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સંવર્ધિત સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 01 જાન્યુઆરી 2025

Loading

...102030...303304305306...310320330...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved