Opinion Magazine
Number of visits: 9765881
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

MeToo

નીરવ પટેલ|Poetry|17 October 2018

વહેલી પરોઢે પાયખાનું પખાળવા આવું છું
ને રોજ કોઈ ઓળો
મને ઉપાડી જાય છે અવાવરુ ખૂણે,

મને જકડી લે છે જમીન સટોસટ,
મારા ઉપર સવાર થઈ જાય છે સૂવ્વરની જેમ,
મને કોચ્યા કરે છે,
હું બેશુદ્ધ ના થઈ જાઉં ત્યાં લગી!

મને કંઈ યાદ નથી, સાહેબ …

કદાચ થોડું યાદ છે તો બસ એટલું જ કે
એના શરીરે સૂતરનાં ત્રણ તાંંતણા જેવું હતું,
એના ગળે તુલસીની માળા જેવું હતું,
એના મોઢે વીંછીના આંકડા જેવી વાંકડિયા મૂછો જેવું હતું,
એનો વાન ઉજળિયાત હતો,
એ હરે .. હરે … જેવું કશું બબડતો હતો.

ઊતરીને એણે સીધી ગંગા ભણી દોટ મૂકી હતી …

E-mail : neerav1950@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2018; પૃ. 15

Loading

શોષણ સામેનો સંઘર્ષ : # MeToo અને # YouToo

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|17 October 2018

દિમાગની રચનામાં હોય એનાં કરતાં પણ વધારે ગડીઓ અને આવરણ સ્ત્રી-પુરુષનાં સંબંધોમાં હોય છે. તેમાં કોઈ સામાન્ય સત્ય તારવવું અથવા કોઈ એકને સદા શોષક કે સદા શોષિત ગણી કાઢવાનું શક્ય નથી. તેમ છતાં, સરેરાશ પ્રમાણે અથવા ઘણા સંગીન અપવાદો ધરાવતા નિયમ તરીકે કહી શકાય કે સ્ત્રીઓનું પુરુષો દ્વારા શોષણ થાય અને તેની પર સતત ઢાંકપિછોડો થયા કરે, સ્ત્રીને ખમીખાવાની કે પતાવટ કરી દેવાની સલાહ આપવામાં આવે એવું ઘણું વધારે બને છે.

અમેરિકામાં થોડાં વર્ષ પહેલાં શરૂ થયેલી # MeToo ઝુંબેશનો આશય સ્ત્રીઓને શોષણ સામે અવાજ ઉઠાવવા પ્રેરવાનો હતો. ભારતમાં પણ આવી ઘડીઓ પહેલાં આવેલી છે અને એકાદ પખવાડિયા પહેલાં નવેસરથી સ્ત્રીઓની ફરિયાદોની શરૂઆત થઈ. અગાઉ પર્યાવરણ અંગેના કામ માટે સામૂહિક રીતે નોબેલ પારિતોષિક મેળવી ચૂકેલા આર.કે. પચૌરી કે મૂલ્યનિષ્ઠ પત્રકારત્વની વાત કરતા ’તહલકા’ના તરુણ તેજપાલ જેવાં નામ જાતીય દુર્વ્યવહાર માટે દોષી ઠર્યાં હતાં.

હમણાં ભારતમાં ટિ્‌વટર પર શરૂ થયેલી # MeToo ઝુંબેશમાં ફિલ્મ, પત્રકારત્વ અને લેખનક્ષેત્રનાં ઘણાં મોટાં નામો સામે આંગળી-ચીંધામણું થયું. તેમાંથી મોટા ભાગના લોકોએ નબળી અને માફીના સાચૂકલા રણકાર વગરની ઔપચારિક માફી માગી, કેટલાકે સાથે પોતાના દુર્વ્યવહાર માટે બહાનાં કાઢ્યાં, નાના પાટેકર જેવાએ આરોપોનો સાફ ઇન્કાર કર્યો, વરુણ ગ્રોવરે પોતાની સામે થયેલા આરોપ કેમ ખોટા છે, તેની વિગતો આપી.

ઝુંબેશના નામકરણથી માંડીને અત્યાર સુધીની ગતિવિધિમાં એવી છાપ પડે છે કે જાણે આ બધું સ્ત્રીવિષયક છે અને પુરુષોને તેમાં કંઈ લેવાદેવા નથી. જાણે, સમદુઃખિયણ સ્ત્રીઓ ભેગી થઈને પોતપોતાની હૈયાવરાળો ઠાલવી રહી છે. છો ઠાલવતી. મનમાંથી ઊભરો નીકળી જશે, એટલે બધું રાબેતા મુજબ થઈ જશે. એમાં પુરુષોએ કશું કરવાની જરૂર નથી. લોકો ભલભલું ભૂલી શકતા હોય, તો ‘મી ટુ’ શું ચીજ છે?

કોઈ પણ પ્રકારના અન્યાયનો વિરોધ કરવાનો આવે ત્યારે પાયાનો સવાલ હોય છે : તેમાં બંને પક્ષ સંકળાયેલા છે? ફરિયાદ થાય તે સૌથી પહેલી જરૂરિયાત છે. એટલે જ # MeToo ઝુંબેશ એકદમ આવકાર્ય છે. પરંતુ અન્યાયનિવારણની આખી પ્રક્રિયા સામાન્યતઃ કંઈક આ રીતે ચાલે છે : ફરિયાદ-સ્વીકાર-શરમ-પશ્ચાત્તાપ-સજા-સુધારો. સહેજ શાંતિથી આ પ્રક્રિયા વિશે વિચારતાં સમજાશે કે તેમાંથી ભોગ બનનારે ફરિયાદ કરવાની છે અને ગુનેગારને સજા થાય તેની માગણી કરવાની છે, જ્યારે સ્વીકાર, શરમ, પશ્ચાત્તાપ, સજા અને સુધારા જેવા મહત્ત્વના તબક્કામાંથી ફરિયાદીએ નહીં, ગુનેગારે પસાર થવાનું હોય છે. (દલિતપ્રશ્ન અંગે ગાંધીજીને ગમે તેટલી ગાળો દેવી હોય તો પણ, આ પ્રક્રિયા મનમાં રાખીને તેમના અભિગમ વિશે ફરી વિચાર કરવા જેવો છે.) પરંતુ બને છે સાવ અવળું. # MeToo ઝુંબેશમાં બધું ધ્યાન ભોગ બનનાર પર કેન્દ્રિત છે. ઝુંબેશનું નામ સૂચવે છે તેમ, ‘મારી સાથે પણ આવું થયું હતું … હું પણ આનો ભોગ બની ચૂકેલી છું … મી ટુ.’ આગળ જણાવ્યું તેમ, વર્ષોથી કે ઘણા કિસ્સામાં દાયકાઓથી શોષણના પ્રસંગોનો બોજ વેઠતી સ્ત્રીઓ જાહેરમાં પોતાની વાત મૂકે, તે પહેલું અને બહુ અગત્યનું પગથિયું છે. આખી પ્રક્રિયા શરૂ થવા માટે તે અત્યંત જરૂરી છે, પણ પૂરતું નથી. હા, અમેરિકામાં કૅવિન સ્પેસી જેવા વિખ્યાત અભિનેતાને મોટી ઉંમરે થોડું આર્થિક નુકસાન વેઠવું પડ્યું, ‘નેટફ્લિક્સ’ની સિરીઝ ‘હાઉસ ઑફ કાડ્‌ર્ઝ’ની છ-છ સીઝનમાં હીરો તરીકે કામ કર્યા પછી, આરોપોના પગલે સાતમી સીઝનમાંથી તેમને હાંકી કઢાયા, મૉર્ગન ફ્રીમૅન જેવા વિખ્યાત અભિનેતાના ચાહકો થોડા સમય માટે દુઃખી થઈ ગયા. પણ આ બધું ચાર દિવસનાં ચાંદરણાં જેવું વધારે લાગે છે. તેનાથી એકંદર પરિસ્થિતિમાં ફરક પડતો હોય એવું લાગતું નથી.

ભારતમાં ભૂતકાળમાં ફિલ્મઉદ્યોગમાં ‘કાસ્ટિંગ કાઉચ’ના આરોપો થયા, થોડો વખત ચર્ચાયા અને પછી ભુલાઈ ગયા. આવું થાય ત્યારે ફરિયાદોના પ્રવાહ અને તેની સંખ્યા પરથી તેની ગંભીરતા સમજવાને બદલે, ઉપરથી આ જ હકીકતનો ઉપયોગ તેની ગંભીરતા ઘટાડવા માટે થાય છે. (‘હવે બધા વહેતી ગંગામાં હાથ ધોવા નીકળી પડ્યા છે.’) થોડી જૂઠી ફરિયાદોથી શરમજનક વાસ્તવિકતા સંતાડવાનું ઓર સહેલું થઈ જાય છે. પરિણામે, શિકારીવૃત્તિ ધરાવતા લોકોને એવી કશી સજા થતી નથી કે જેથી બીજા લોકો પર દાખલો બેસે. ઉપરાંત, સમાજમાં સ્ત્રીઓ માટે એકંદર કેવી માનસિકતા પ્રવર્તે છે, તેની પણ ચર્ચા કે સ્વીકાર થતાં નથી. સાચી ફરિયાદોને છૂટાછવાયા કિસ્સા તરીકે ખપાવી દેવાય છે.

સંબંધિત ક્ષેત્રના લોકો અને સમાજ વ્યાપક શોષણની કબૂલાત કરતાં શરમ અનુભવે છે. (શરમ ખરેખર તો શોષણખોરીથી અનુભવવાની હોય.)  ફિલ્મ હોય કે પત્રકારત્વ, જાહેરજીવન હોય કે રાજકારણ, આવી ફરિયાદો થાય, ત્યારે મોટા ભાગના પુરુષો શોષણખોરી કે અન્યાય વિરુદ્ધ પડવાને બદલે પુરુષ તરીકે સંપી જાય એવું વધારે જોવા મળે છે.

બેશક, કોઈ પણ કાયદાની જેમ કે કોઈ પણ ટૅક્‌નોલૉજીની જેમ, # MeToo ઝુંબેશનો દુરુપયોગ થતો જ હશે. ખોટા આરોપનો ભોગ બનનારાની વળી જુદી કરુણકથા હોઈ જ શકે. કોઈ અંગત વ્યક્તિને આવા જૂઠા આરોપનો ભોગ બનવું પડે, ત્યારે તેની પીડા બરાબર સમજાય. પરંતુ એના કારણે આખેઆખી # MeToo જેવી ઝુંબેશને ‘ફૅશનેબલ’ કે દેખાદેખીબાજી તરીકે ધુત્કારી કઢાય નહીં અને તેમાં રહેલી કડવી સચ્ચાઈનો ઇન્કાર પણ કરી શકાય નહીં. એવું કરનારા સરવાળે પોતાની સંકુચિત માનસિકતા અથવા અન્યાય સામે આંખ આડા કાન કરવાની વૃત્તિ જ વ્યક્ત કરે છે.

હજુ તો ફક્ત ફિલ્મ કે લેખન-પત્રકારત્વનાં અને એ પણ થોડાં ઘણાં નામ જ જાહેર થયાં છે. શોષણનો શરમજનક સિલસિલો ક્યાં નથી ? પીએચ.ડી. કરતી વિદ્યાર્થિનીઓ બોલવાનું શરૂ કરે, તો આપણા કેટકેટલા ગાઇડો ખુલ્લાં પડે, સ્થાનિક પત્રકારત્વ, શિક્ષણ અને જાહેરજીવનથી માંડીને કેટકેટલાં ક્ષેત્રોની સ્ત્રીઓ હજુ બોલી નથી. તેમને પોતાના યોગક્ષેમની ચિંતા છે. તેમને સમાજ પર ભરોસો નથી કે તે કાયમ ટેકામાં રહેશે અને શિકારીઓ પર ભરોસો છે કે તે ગમેતેમ કરીને તેમનું ગોઠવી લેશે.

શોષણની ફરિયાદો થતી જ રહેવી જોઈએ, પણ તેનો મુખ્ય સૂર # MeToo નહીં, # YouToo હોવો જોઈએ. કારણ કે શોષણખોરી નાબૂદ કરવાનો મોટા ભાગનો બોજ ફરિયાદીના માથે નહીં, ગુનેગારના અને તેને છાવરનાર સમાજના માથે હોય, તો જ લાંબા ગાળે કંઈક અર્થ સરે.

Email : uakothari@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2018; પૃ. 16 અને 15

Loading

વ્યાકરણાચાર્ય અને અલંકારશાસ્ત્રી ડૉ. ભવગતીપ્રસાદ દેવશંકર પંડ્યા

મુકેશ ર. પંડ્યા|Opinion - Opinion|16 October 2018

ગુજરાત પ્રદેશના સંસ્કૃત સાહિત્યના ‘ભીષ્મપિતામહ’ તરીકે જેમની ગણના થાય, તેવા સંસ્કૃતના પ્રખર વિદ્વાન, પ્રકાંડ પંડિત, કાવ્યતીર્થ, પુરાણતીર્થ કર્મકાંડના જ્ઞાતા, વેદના અધ્યેતા, શ્રેષ્ઠ વક્તા, એક ઉમદા કથાકાર, સંસ્કૃતના મૂર્ધન્ય વ્યાકરણાચાર્ય, મધુરભાષી, શીઘ્રકવિ ડૉ. ભગવતીપ્રસાદ પંડ્યા, ૯૨, જૈફ વયે તા. ૧૧ ઑગસ્ટના રોજ દિવંગત થયા.

ગુજરાતના કાશી ગણાતા સાબરકાંઠાનાં નાનકડા રાયગઢ ગામમાં તા. ૯-૧૧-૧૯૨૬ના રોજ તેમનો જન્મ થયો હતો. રાયગઢના બ્રાહ્મણો શિક્ષણનાં તેમ જ કર્મકાંડના વ્યવસાયમાં અગ્રેસર હતા. ભટ્ટ મેવાડા કુળમાં જન્મેલા ડૉ. ભગવતીપ્રસાદ પંડ્યા નાનપણથી જ સંસ્કૃતમાં વિશેષ રુચિ હોવાથી વધુ અભ્યાસાર્થે કાશી જઈ ૧૨ વર્ષનો અભ્યાસ પરિપૂર્ણ કરી ભારતભરના વ્યાકરણાચાર્યોમાં એક આગવું સ્થાન મેળવી કીર્તિ પ્રાપ્ત કરી ગુજરાતમાં પરત ફર્યા. ત્યાર બાદ તેમણે અલંકારશાસ્ત્રમાં અપ્પયદીક્ષિત ‘કવિ અને આલંકારિક’ પીએચ.ડી.ની પદવી મેળવી.

તેમણે ઈ.સ. ૧૯૫૭થી ઈ.સ. ૧૯૭૭ એમ એકવીસ વર્ષ સુધી સ્વામિનારાયણ આટ્‌ર્સ કૉલેજમાં સંસ્કૃત વિભાગાધ્યક્ષ તરીકે અધ્યાપનકાર્ય કર્યું. અધ્યયન – અધ્યાપનની સાથે સાથે સરસ્વતી પ્રકાશન અને પાર્શ્વ પ્રકાશનમાંથી આલંકારિક ગ્રંથો તથા અભ્યાસકીય પુસ્તકો સંપાદિત કરી પ્રકાશિત કર્યાં છે. અભ્યાસ વધુ જ્ઞાનોમય બને માટે ઈ.સ. ૧૯૭૭થી ઈ.સ. ૧૯૮૭ અગિયાર વર્ષ સુધી તેઓ ગુજરાત યુનિવર્સિટી ભાષાભવન સંસ્કૃત વિભાગમાં પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા તથા રીડર તરીકે સેવાઓ આપી નિવૃત્ત થયા. અમારું અહોભાગ્ય એ હતું કે એમ.એ. પૂર્ણ કર્યું અને ગુરુજીનું નિવૃત્ત થવું એ સ્મરણ આજે પણ યાદ આપે છે.

ભાષાભવનમાં આવ્યા પછી અધ્યયન-અધ્યાપનમાં મગ્ન થઈ જવું, સાંજ ક્યારે ઢળી જતી તેનો અંદાજ પણ ન રહેતો. અમે એમના શિષ્ય તરીકે આ બધું જોયું છે અને તેના સાક્ષી છીએ. અરે! એમના લેક્ચરનો સમય ૧થી ૨નો હોય, બે વાગ્યે રિસેસ પડે, ઘંટારવ સંભળાય પરંતુ અમારા આ ગુરુજી અમને ભણાવવામાં એટલા તલ્લીન હોય રિસેસ પણ ક્યારેક પૂરી થઈ જાય અને ૨.૩૦થી ૩.૩૦નું લેકચર પણ ચાલુ થાય, બીજા સાહેબ આવે. ત્યારે અમને મુક્ત કરતાં પણ એમના લેક્ચરમાં અમને બ્રહ્માનંદની પ્રાપ્તિ થતી, અનહદ આનંદની અનુભૂતિ થતી હતી. એમની ચા પણ ઠરી જાય છતાં અભ્યાસના આવા ઉમદા ઓજસ પાથરી અમને મંત્રમુગ્ધ કરી દેતા.

નિવૃત્ત થઈ ગયા પછી હોલૅન્ડમાં ‘મહર્ષિ યુરોપિયન રિસર્ચ યુનિવર્સિટી’માં એમની જરૂર જણાતાં અધ્યાપનકાર્ય માટે ગુજરાતમાંથી એક માત્ર એમને નિમંત્રણ મળ્યું. ત્યાં તેઓ ઈ.સ. ૧૯૯૧થી ઈ.સ. ૧૯૯૪ સુધી અધ્યયન-અધ્યાપનમાં વ્યસ્ત રહ્યા. અસ્ખલિત વાક્‌પ્રવાહ સંસ્કૃતમાં વહેતો હોય, તેઓ સંસ્કૃતના શીઘ્રકવિ હતા. સંસ્કૃત ગરબાના રચયિતા, ગદ્યને પદ્યમાં આસાનીથી ફેરવી લેવાની કળામાં તેઓ નિપુણ હતા. ભિલોડાની હાઈસ્કૂલના આચાર્ય  લાભુભાઈ પંડ્યાના વિદાય-સમારંભમાં અધ્યક્ષ તરીકે આવેલા અને ત્યાં સંસ્કૃતમાં શ્લોકોની ઝડી વરસાવી એમની વાણીથી ભિલોડા હાઈસ્કૂલને પાવન કરી હતી. વિદ્યાર્થીવત્સલ, વર્ગને સ્વર્ગમાં ફેરવી દેવામાં બેતાજ બાદશાહ, વર્ગમાં સાહજિકતાથી અભિનય રજૂ કરતાં નાટ્યો અને કાવ્યો લગભગ એમને કંઠસ્થ હતાં. આથી તેઓ વર્ગમાં ભરતમુનિ જ બની જતા અને અંગ, ભંગિમાં તેમ જ મુદ્દાઓથી હાવ-ભાવ દ્વારા ભાવવાહી અને બુલંદ ધ્વનિએ પઠનપાઠન કરતાં અને અમને રસતરબોળ કરી નાખતા. આ એમનો નિત્યક્રમ હતો.

સ્વ. ભગવતીપ્રસાદ પંડ્યાએ બૃહદ્દ ગુજરાત સંસ્કૃત પરિષદમાં પણ અનેક વર્ષો સુધી સેવાઓ આપી હતી. ત્યાં નાટકો પણ સંસ્કૃતમાં તેઓ ભાગ લઈ ભજવતા. તથા ઑલ ઇન્ડિયા રેડિયો પર પણ સંસ્કૃત પાઠશાળાના વર્ગોનું સુચારું સંચાલન કરી તેને વધુ ને વધુ લોકભોગ્ય બનાવવાની દિશામાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું હતું. આકાશવાણી તથા દૂરદર્શન પર જન્માષ્ટમીના દિવસે કૃષ્ણના જન્મના પ્રસંગો વર્ણવતા કે પછી આસ્ટોડિયા દરવાજાનું શુભમ્‌ લગ્નસ્થળ હોય, સર્વ જગ્યાએ પંડ્યાસાહેબ કાર્યરત રહ્યા હતા.

અમારા આ ગુરુજીને ‘સંસ્કૃત ચૂડામણિ’, ‘મહામહિમોપાધ્યાય’, ‘વિદ્યાવારિધિ’ તેમ જ ‘વાચસ્પતિ’ પુરસ્કાર પ્રાપ્ત થયા હતા.

એમના ઘરના સમીપમાં રહેતા હોવાથી અવારનવાર ગુરુજીને મળવાનું થતું. શિષ્યની સાથે સ્મરણો પણ પ્રેમથી વાગોળતાં હતા. મારી કૉલેજમાં એમની ઉંમર ૭૬ વર્ષની હોવા છતાં એક કલાક વક્તવ્ય માટે આવેલ, પરંતુ એટલા બધા ભાવ-વિભોર થઈ જઈ કલાકનું વક્તવ્ય આપી સંસ્કૃતમાં શ્લોકોની અનરાધાર હેલી વરસાવી હતી. આવા પ્રેમાળ સ્વભાવના ગુરુજી આજે એટલા જ યાદ આવે છે. આવા અમારા આદર્શ તથા ઋષિતુલ્ય ગુરુજીને અમારી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ તથા શોકાંજલિ અર્પતા દુઃખની લાગણી અમે અનુભવીએ છીએ.                 

‘ઉપાચાર્ય’, સંસ્કૃત વિભાગાધ્યક્ષ, આટ્‌ર્સ કૉલેજ, પિલવાઈ

સૌજન્ય :”અભિદૃષ્ટિ”, અંક – 131, વર્ષ – 12, અૉક્ટોબર 2018; પૃ. 19-20

Loading

...102030...3,0363,0373,0383,039...3,0503,0603,070...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved