Opinion Magazine
Number of visits: 9579134
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રીઅલ ભાગ્યોદય

પન્ના નાયક|Opinion - Short Stories|27 August 2018

આજે અમેરિકામાં થેંક્સગિવિંગનો તહેવાર છે. અમેરિકનો આજે ટર્કી, સ્ટફિંગ, મેશ્ડ પટેટો, ક્રેનબરી સૉસ, અને પમકીન પાયની જ્યાફત ઉડાવશે. દારૂ પીશે. હું, રાજેશકુમાર પંડ્યા, આજે થેંક્સગિવિંગના દિવસે મારા એક બેડરૂમના અપાર્ટમેન્ટમાં એકલો એકલો પથારીમાં આળોટું છું.

મને અમેરિકા આવ્યે ચોવીસ વર્ષ થયાં છે. આ પહેલો જ થેંક્સગિવિંગનો દિવસ છે જ્યારે મારે ઘેર કોઈ આવવાનું નથી. એકલો એકલો પથારીમાં આળોટું છું. સામે ટીવી ચાલુ છે. ન્યૂઝ આવે છે.

મારી ઉંમર પિસ્તાળીસ વર્ષની છે. મારી પાસે અંગ્રેજી સાહિત્યમાં યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાની પીએચ.ડી.ની ડિગ્રી છે. શિકાગો યુનિવર્સિટીમાં ભણાવ્યું છે. કેટલા ય નોબેલ પ્રાઇઝ બુદ્ધિજીવી વિજેતાઓ સાથે કામ કર્યું છે. એમની સાથે હર્યોફર્યો છું. મારા એક બેડરૂમના અપાર્ટમેન્ટમાં સૌથી વધુ જગ્યા રોકે છે વિશ્વસાહિત્યનાં ઉત્તમ પુસ્તકોથી સભર શેલ્વ્સ. મેં વસાવેલું એકેએક પુસ્તક મેં વાંચ્યું છે. અત્યારે એટલે કે, છેલ્લાં ત્રણ વરસથી મારી પાસે કોઈ જૉબ નથી.

મારું લગ્નજીવન સુખી હતું. બાળકો મને ગમતાં પણ અમારે બાળક હોવું જોઈએ એનો આગ્રહ નહોતો. મારી પત્ની બીનાને બાળક જોઈતું હતું. એ એની માને મુંબઈ મળવા ગઈ ત્યારે તેણે ફોન પર એના સગર્ભા થવાના સમાચાર આપ્યા હતા. મેં આનંદ વ્યક્ત કર્યો હતો. અમારું બાળક તે નીના. નીના અત્યારે બાવીસ વર્ષની છે, પેન સ્ટેટમાં જુનિયર વરસમાં કશું ભણી રહી છે. એ કોઈ કાળા છોકરા સાથે ફરે છે. આઈ લીવ હર અલોન.

લગ્નજીવન દરમ્યાન મારે માર્ગરેટ સાથે ઓળખાણ થઈ. એ મારી સાથે જ ભણાવતા ડેવિડ કોહનની બહેનપણી હતી. ડેવિડ સાથેનો એનો સંબંધ તૂટી ગયો પછી અમારો સંબંધ શરૂ થયો. પેગી (માર્ગરેટ) વાર્તા લખતી. મને વંચાવતી. અમે સુધારાવધારા કરતાં. પછી એ છપાવતી. એનો વાર્તાસંગ્રહ થયો. મને અર્પણ કરેલો. થોડા સમય પછી પેગી વાર્તાસંગ્રહના પ્રકાશકને પરણી ગઈ. આ સાત વરસ પહેલાંની વાત છે. મારી પાસે એનો ફોન નંબર છે, પણ કરતાં અચકાઉં છું. પેગી સાથેના સંબંધને કારણે હું અને બીના એકબીજાથી દૂર થતાં જતાં હતાં. એણે છૂટાછેડાનો પ્રસ્તાવ મૂક્યો. ચાર વરસ પહેલાં અમે સમજૂતીથી છૂટાં થયાં. નીના એની સાથે રહેવા ગઈ. મેં ઘર બીનાને લખી આપ્યું. બીના અત્યારે કોઈ એન્જિનિયરને પરણી છે. વેસ્ટ ચેસ્ટરમાં રહે છે. નીનાની ફી ભરવાની હોય ત્યારે મારા પર ફોન આવે છે. મેં નીનાની ફી ભરવા અને મારું ઘર ચલાવવા મારા બિઝનેસમૅન મામા પાસેથી ચાળીસ હજાર ડૉલર્સ લોન પર લીધા છે. એક વાર જૉબ મળશે એટલે બધા ડૉલર્સ ચૂકવી દઈશ.

બે વરસ પહેલાં એક છવ્વીસ વરસની છોકરી — નામે સ્મિતા — સાથે ઓળખાણ થઈ. એનો ભાઈ અહીં ડૉક્ટર છે. એને મળવા અને અમેરિકા ફરવાને બહાને સ્મિતા આવી હતી. સાચું કારણ તો કોઈ છોકરો મળે તો પરણી જવાનું હતું. ભાવનગરની મહિલા કૉલેજમાં એ ગુજરાતી ભણાવીને કંટાળી હતી. અમારું ક્લિક થયું. પણ સ્મિતાનાં પપ્પા-મમ્મી, ભાઈ વગેરે અમારા સંબંધથી નારાજ હતાં, કારણ મારી ઉંમર તેંતાળીસ વરસની હતી. જૉબ પણ નહોતી. અમે ભાગી જઈને પરણ્યાં. અમારાં લગ્નને બે વરસ થયાં છે પણ પહેલાં જેવું નથી.

મારી પાસે જૉબ નથી, કારણ શિકાગો યુનિવર્સિટીએ મારો કોન્ટ્રેક્ટ રિન્યૂ ન કર્યો. મેં નોર્મન મેઇલર પર પુસ્તક શરૂ કરેલું. ચાર ચેપ્ટર લખાયાં. ને પછી પેગી, બીના, નીના વગેરેના ચક્કરમાં અટવાયો. મારી સાથેના ડેવિડે ટોની મૉરિસન પર પુસ્તક લખ્યું. છપાવ્યું. સરસ રિવ્યૂ થયા. એ હવે ડિપાર્ટમેન્ટ ચૅરમૅન થઈ ગયો ને મને પાણીચું.

સ્મિતા કહે છે, ‘ન ભણાવવું હોય તો ગૅસ પંપ કરો, ગ્રોસરી સ્ટોરમાં બાસમતી ચોખા વેચો, કેન્ડી સ્ટોરમાં ક્લર્ક થાવ. આમ ઘેર બેસીને “સોપ”* ના જોયા કરો.’ સ્મિતા મારાથી કંટાળીને આયોવાની રાઇટર્સ વર્કશોપમાં ક્રિએટિવ રાઇટિંગના કોર્સ કરવા ગઈ છે. મને એકલું લાગે છે. હું રોજ ફોન કરું છું એ એને ગમતું નથી. મને ટાળવા આન્સરિંગ મશીન ચાલુ રાખે છે.

મેં જ્યોતિષીઓની સલાહ લીધી છે. હું શનિની મહાદશામાંથી પસાર થઈ રહ્યો છું. બસ, આ ડિસેમ્બર પૂરો થયો ને વરસ બદલાયું એટલે બધું સુધર્યું સમજો. ડિસેમ્બર પૂરો થવાને હવે પાંચ અઠવાડિયાં બાકી છે. પછી ભાગ્યોદય.

લાવ પેગીને ફોન કરું.

‘હાય પેગી. હેપી થેંક્સગિવિંગ. ડુ યુ નો હુ ધીસ ઇઝ?’

‘નો, લેટ મી થિંક.’ પેગી કહે છે.

‘રાજુ. યોર રાજુ પાંડ્યા.’

‘રાજુ, કૉલ મી સમ અધર ટાઇમ.’ આઈ એમ ઇન મિડલ ઑફ સ્ટફિંગ માઈ ટર્કી.’ પેગી ફોન મૂકી દે છે.

પાંચ અઠવાડિયાં પછી જાન્યુઆરીની પહેલીથી ડૉક્ટર રાજેશકુમાર પંડ્યાનો ભાગ્યોદય થાય છે. પંદરમી જાન્યુઆરી સુધીમાં જૉબ હશે, હશે, ને હશે. પછી બા કહેશે. ‘ભઈલા, બહુ દી’થી મોં નથ જોયું.’ સ્મિતા કહેશે ‘ડાર્લિંગ, ચાલને નાયગારા ફૉલ્સ જઈએ.’ પેગી કહેશે ‘લેટ્સ હૅવ અ કેન્ડલલાઇટ ડીનર ફૉર ધ ઑલ્ડ ટાઇમ્સ સેઇક.’ અને હું ડૉક્ટર રાજેશકુમાર પંડ્યા પોઝ લઈને કહીશ ‘લેટ મી થિંક ઇટ ઓવર.’

દર ગુરુવારે બાજુવાળા હરિભાઈ પટેલનાં વહુ ભાનુબહેન તપેલી ભરીને દાળ મોકલાવે છે. હરિભાઈ આવે એટલે એકનો એક સવાલ પૂછે ‘જૉબનું કાંઈ થિયું?’ હું બોલું એ પહેલાં જ જૉબ ચીંધવા માંડે ‘ન થિયું હોય તો આવી જાવ આપણી ‘ઓસનફ્રન્ટ મોટેલ.’ પર. રાતપાળીની ખાલી જગ્યા તમારી. બોલો છે વિચાર?’ હું નકારમાં માથું ધુણાવું એટલે વળી કહે કે ‘તમે તો ભણેસરી. અમારા મોટેલિયાની હોડમાં હાના બેહો!’ આજે હજી દાળ આવી નથી. સારું થયું. આજે સપરમે દિવસે હરિભાઈના સવાલમાંથી બચી ગયો.

બઝર વાગે છે.

‘હુ ઇઝ ઇટ?’ ઇન્ટરકોમ પર પૂછું છું.

‘નીના.’

હું બઝર દબાવું છું. નીચેનું બારણું ખૂલવાનો ને પછી બંધ થવાનો અવાજ આવે છે. હું અપાર્ટમેન્ટનું બારણું ખોલી ઊભો રહું છું. નીના દાદર ચડીને ઉપર આવે છે. સાથે કાળો છોકરો છે.

નીના મને વળગી પડે છે. એના ગાલ ઠંડા છે. એણે વૂલન કોટ પહેર્યો છે. હાથમાં મોજાં છે. ખભે પર્સ છે. કેટલે બધે વખતે મેં જોઈ નીનાને.

‘પપ્પા, આ સ્કોટ ગીબ્સ. એ ટ્રિનિડાડનો છે. વી લિવ ટુગેધર.’ નીના કહે છે.

‘હલો સ્કોટ.’ હું હાથ મિલાવું છું.

‘પપ્પા, મારે બાથરૂમ જવું પડશે.’ નીના દોડીને બાથરૂમમાં જાય છે, બારણું બંધ કરે છે. સિન્કમાં આખો નળ ખોલવાનો અવાજ આવે છે.

હું સ્કોટને બેસવા કહું છું. એ ઊંચો છે. એના વાળ ભૂંગળીવાળા છે. આંખો તેજસ્વી છે. બરછટડા કાળા વાળવાળી દાઢીમાંથી એના જાડા પહોળા હોઠ ડોકાય છે. સ્વચ્છ શર્ટ, જેકેટ, ટાઈ પહેર્યાં છે. સ્કોટ હૅન્ડસમ છે.

‘નીનાએ તમારી ખૂબ વાતો કરી છે. તમને મળીને આનંદ થયો.’ સ્કોટ કહે છે.

‘શું ભણો છો તમે?’ હું પૂછું છું.

‘પેન સ્ટેટમાં એન્જિનિયરિંગમાં અન્ડર ગ્રેજ્યુએટ કરું છું.’ સ્કોટ જવાબ આપે છે.

ટોઇલેટ ફ્લશ થવાનો અવાજ આવે છે. નળ બંધ થાય છે. બારણું ખૂલે છે. નીના બહાર આવીને મારી ને સ્કોટની વચ્ચે ઊભી રહે છે.

‘બેસ, નીના. કોટ કાઢ.’ હું કહું છું.

‘પપ્પા, અમે તમને ડીનર પર લઈ જવા આવ્યાં છીએ.’ નીના કહે છે.

હું તૈયાર થવા જાઉં છું. દાઢી કરી, ક્વીક શાવર લઉં છું. નાહીને ક્લોઝેટમાંથી ઇસ્ત્રી કરેલું શર્ટ, ગ્રે સૂટ, ટાઈ પહેરું છું. ખાનામાંથી મોજાં, રૂમાલ કાઢું છું. ચેસ્ટર ડ્રૉઅર પર પડેલું વોલેટ ખોલું છું. એમાં પચાસેક ડૉલર છે. જતાં જતાં મૅક મશીનમાંથી બીજા લેવા પડશે.

હું બેડરૂમમાંથી બહાર આવું છું. નીના ફરીથી બાથરૂમમાં જાય છે. ફરી ખુલ્લા નળનો અવાજ. સાથે ઊલટીનો અવાજ.

મારા કાન ચોંકે છે. બીનાને આમ જ ઊલટીઓ થતી.

નીના બહાર આવે છે.

‘એવરીથિંગ ઓ.કે.?’ હું પૂછું છું.

‘ફાઇન, ફાઇન, લેટ્સ ગો.’ નીના કહે છે.

અમે સ્કોટની ગાડીમાં જમવા જઈએ છીએ. હું પાછળ બેસું છું. રસ્તામાં મૅક મશીન આવે છે. હું ડૉલર્સ લઈ લઉં છું. સ્કોટ અને નીનાએ રેસ્ટોરંટમાં રિઝર્વેશન કરાવ્યું છે. રેસ્ટોરંટમાં નીના મારી અને સ્કોટની વચ્ચે બેસે છે. એણે કોટ પહેરી રાખ્યો છે. અમે ડ્રિન્ક્સ ઑર્ડર કરીએ છીએ. મેન્યુ જોઈએ છીએ. થેંક્સગિવિંગનું ટ્રેડિશનલ ડીનર ઑર્ડર કરીએ છીએ. ડ્રિન્ક્સ આવે છે. ગ્લાસ હાથમાં લઈ ‘ચીયર્સ’ કહી ટકરાવીએ છીએ.

‘ગુડ લક યુ ઑલ ઑફ અસ.’ — હું કહું છું. ઊલટીના અવાજને મારા કાન ખંખેરી શકતા નથી.

અમે પેન સ્ટેટના એજ્યુકેશનની વાતો કરીએ છીએ. નીના જુનિયરમાં છે. એણે બાયોલૉજી મેજર લીધું છે. મેમાં સિનિયરમાં આવશે. મેડિકલ સ્કૂલનો વિચાર હમણાં માંડી વાળ્યો છે. સ્કોટ મેમાં ગ્રેજ્યુએટ થશે.

‘આઈ લવ નીના વેરી મચ.’ સ્કોટ કહે છે.

બન્ને જણ એકમેકની આંખમાં આંખ પરોવી એમની આંગળીઓ ગૂંથે છે. હું અને પેગી પણ આમ જ કરતાં.

અમારું ડીનર આવે છે. અત્યારે ડીનર કરતાં મને નીનામાં, નીનાના ભવિષ્યમાં વધારે રસ છે.

‘પપ્પા, તમને ગુડ ન્યૂઝ આપવાના છે.’ કહીને નીના સ્કોટ સામે જુએ છે.

‘બોલ બેટા.’ મને ખબર છે પણ મારે એને મોઢે સાંભળવું છે.

‘તમે ગ્રાન્ડફાધર થવાના છો. આઈ એમ સો એક્સાઇટેડ.’ નીના કહે છે.

‘કૉન્ગ્રેચ્યુલેશન્સ. બેબી ક્યારે ડ્યુ છે?’ હું પૂછું છું.

‘મેમાં. ગ્રેજ્યુએશન ગિફ્ટ ફૉર સ્કોટ.’ સ્કોટની સામે જોઈ નીના જવાબ આપે છે.

‘પછી ભણવાનું? બેબીને રેઇઝ કરવાનું?’ હું પૂછું છું.

‘થઈ જશે.’ નીના વિશ્વાસથી બોલે છે.

સ્કોટનું વસ્તારી કુટુંબ ટ્રિનિડાડમાં છે. એ લોકોનાં કેળાંનાં મોટાં પ્લાન્ટેશન છે. બેબીને લઈ સ્કોટ ટ્રિનિડાડ જશે. નીના અહીં રહી સિનિયરનું વરસ પૂરું કરશે. પછી એ પણ ટ્રિનિડાડ જશે.

નીના પરણવાની વાત નથી કરતી. હું અંદરથી સમસમી રહું છું.

નીના અને સ્કોટ મને ઉતારીને સ્કોટના પપ્પાને ત્યાં જાય છે.

હું દાદર ચડી ઉપર આવું છું. અપાર્ટમેન્ટ ખોલી એક પગે ધક્કો મારી બારણું બંધ કરું છું. કપડાં બદલું છું. બ્રશ કરું છું. ટીવી ઑન કરી પથારીમાં પડું છું.

સ્મિતાને ખબર આપવા ફોન જોડું છું. એનું આન્સરિંગ મશીન જવાબ આપે છે.

નીનાને બેબી આવવાનું છે એની બીનાને ખબર હશે? આઈ વંડર. નીના નામ શું પાડશે. દેશી કે અમેરિકન.

રાજેશકુમાર પંડ્યાને હજી પેગીના વિચાર આવે છે, ને છ મહિનામાં તો એ દાદાજી થશે. ગ્રાન્ડપા. જ્યોતિષીઓએ નવા વરસમાં ભાગ્યોદય ભાખ્યો છે. હુ નોઝ? મે બી ધીસ ન્યૂ બેબી વિલ બ્રિંગ મી લક. ઇન ધ કમિંગ યર રાજેશકુમાર પંડ્યા વિલ હેવ અ જૉબ ઍન્ડ ઓલ્સો અ ગ્રાન્ડચાઇલ્ડ ટુ પ્લે વિથ. રીઅલ ભાગ્યોદય.

ઓગસ્ટ 26, 2018

સૌજન્ય : https://davdanuangnu.wordpress.com/category/રવિપૂર્તિ/

Loading

શમા હર રંગ મેં જલતી હૈ સહર હોને તક

કુલદીપ નાયર|Opinion - Opinion|26 August 2018

વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયરનું ૨૩ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ ૯૫ વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયું. કારકિર્દીના શરૂઆતના દિવસોમાં તેઓ એક ઉર્દૂ પ્રેસના રિપોર્ટર હતા, તેઓ દિલ્હીના સમાચાર પત્ર ધ સ્ટેટ્સમેનના સંપાદક હતા અને તેમની ભારતમાં લાદવામાં આવેલ કટોકટી (૧૯૭૫-૭૭)ના અંતમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ એક માનવીય અધિકાર કાર્યકર્તા અને શાંતિ કાર્યકર્તા પણ રહી ચૂક્યા છે. વર્ષ ૧૯૯૦માં તેઓને ગ્રેટ બ્રિટનમાં ઉચ્ચાયુક્ત તરીકે નીમવામાં આવ્યા હતા, તેઓ વર્ષ ૧૯૯૬માં સંયુક્ત રાષ્ટ્ર માટે ભારતના પ્રતિનિધિમંડળના સભ્ય હતા. ઓગસ્ટ ૧૯૯૭માં રાજ્યસભા માટે તેમનું નામાંકન કરવામાં આવ્યું હતું. તેઓ ધ ઇન્ડિયન એક્સપ્રેસ, ડેક્કન હેરાલ્ડ (બેંગલુરુ), ધ ડેઈલી સ્ટાર, ધ સંડે ગાર્જિયન, ધ ન્યૂઝ, ધ સ્ટેટ્સમેન, ધ એક્સપ્રેસ ટ્રીબ્યુન પાકિસ્તાન, ડોન પાકિસ્તાન સહિત ૮૦થી વધુ સમાચારપત્ર માટે કોલમ અને એપ-એડ લખતા રહ્યા. કુલદીપ નાયરે તેમની આત્મકથા ‘Beyond the lines’માં લખ્યું છે કે હું મિર્ઝા ગાલિબની પંક્તિ ‘શમા હર રંગ મેં જલતી હૈ સહર હોને તક’માં વિશ્વાસ ધરાવું છું. પંજાબ કેસરીમાં પ્રકાશિત થયેલ તેમના અંતિમ લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત છે.

ગેરકાયદેસર પરદેસીઓનો મુદ્દો કે પછી વોટબેંક!

(કુલદીપ નાયર, પંજાબ કેસરી, ૨૨ ઓગસ્ટ, ૨૦૧૮)

ભારતીય જનતા પાર્ટી પૂર્વોત્તરના સાત પૈકી છ રાજ્યોમાં પોતાનું સ્થાન જમાવી ચૂકી છે. દેશના વિભાજન સમયે જે ચર્ચાઓ થઇ રહી હતી તે સમયે પણ કોઈએ આ પ્રકારની કલ્પના નહોતી કરી તેવી આ ઘટના છે. તે સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા ફખરુદ્દીન અલી અહમદે એક વખત એ વાતનો સ્વીકાર કર્યો હતો કે ‘વોટ માટે’ પાડોશી, જેમ કે પૂર્વ પાકિસ્તાન, જે હવે બાંગ્લાદેશ છે, ત્યાંથી મુસ્લિમોને આસામ લાવવામાં આવ્યા હતા. તેઓએ વધુમાં કહ્યું હતું કે આ કોંગ્રેસનું જાણીજોઈને લેવામાં આવેલું પગલું હતું કે જે થકી તેઓ આસામને પોતાની સાથે રાખવા માંગતા હતા. રાજ્યનાં લોકો માટે આ નિર્ણયના કારણે ગંભીર સમસ્યા પેદા થઇ હતી. તે સમયે પૂર્વોત્તર અને તેમાં પણ ખાસ કરીને આસામમાં ઘૂસણખોરી બહુ મોટો ચિંતાનો વિષય બની ગયો હતો. ગેરકાયદેસર સ્થળાંતરણને રોકવાની પ્રક્રિયા કે જે બ્રિટિશ શાસનના સમયમાં શરૂ થઇ હતી, રાષ્ટ્રીય અને રાજ્યસ્તરે ઘણાં પ્રયાસો બાદ પણ અધૂરી રહી ગઈ. જેના પરિણામે મોટાપ્રમાણમાં થયેલાં સ્થળાંતરણના કારણે સામાજિક, આર્થિક, રાજનૈતિક અને પર્યાવરણ સંબંધિત અસર પડી અને પૂર્વોત્તરના લોકો ચિંતા વ્યક્ત કરવા લાગ્યા. જ્યારે વર્ષ ૧૯૫૦માં પ્રવાસી (આસામમાંથી દૂર કરવાનો) કાયદો પસાર થયો, જે હેઠળ માત્ર તે લોકોને જ રહેવાની અનુમતિ છે કે જેઓ પૂર્વ પાકિસ્તાનમાં લોકોનાં ઉપદ્રવના કારણે વિસ્થાપિત થયા હતા, ત્યારે લોકોને નીકાળવા બાબતે પશ્ચિમ પાકિસ્તાનમાં ખૂબ વિરોધ થયો. આ બાદ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ અને લિયાકતઅલી ખાન વચ્ચે સમાધાન થયું. તે હેઠળ વર્ષ ૧૯૫૦માં દેશમાંથી નીકાળેલા લોકોને પરત આવવા દીધાં.

વર્ષ ૧૯૬૨માં ભારત-ચીનના યુદ્ધ દરમિયાન સરહદ પર પાકિસ્તાનના ઝંડા લઈને ઊભેલા કેટલાંક ઘૂસણખોરો જોવા મળ્યાં. આ કારણે કેન્દ્ર સરકારે વર્ષ ૧૯૬૪માં આસામ પ્લાન બનાવ્યો પરંતુ, ૧૯૭૦ના દાયકામાં પૂર્વ પાકિસ્તાનમાં ચાલી રહેલાં અત્યાચારના કારણે મોટી સંખ્યામાં શરણાર્થીઓ બેરોકટોક આવી પહોંચ્યાં. ઇન્દિરા ગાંધી અને મુજ્જ્બીર રહમાન વચ્ચે વર્ષ ૧૯૭૨માં થયેલાં સમાધાનના કારણે ગેરકાયદેસર પરદેશીઓને ફરી પરિભાષિત કર્યા. આ હેઠળ વર્ષ ૧૯૭૧ પહેલાં આવેલા લોકોને બિનબાંગ્લાદેશી જાહેર કરવામાં આવ્યા. અસમિયા લોકોએ આ નિર્ણયનો વિરોધ કર્યો અને આંદોલનો કરવા લાગ્યા. આ કારણે વર્ષ ૧૯૮૩માં ગેરકાયદેસર પરદેશી કાયદો લાગૂ થયો. આ કાયદાનો હેતુ ટ્રીબ્યુનલ દ્વારા ગેરકાયદેસર પરદેશીઓની ઓળખ અને તેઓને દેશની બહાર નીકાળવાનો હતો. પરંતુ, આ કાયદા થકી પણ પૂર્વોત્તરમાં વર્ષોથી ચાલી આવી રહેલી આ સમસ્યાનો ઉકેલ આવી શક્યો નહિ. વર્ષ ૧૯૮૫માં આસામ સમાધાન પછી તરત જ ગેરકાયદેસર પરદેશીઓની ઓળખ માટેની અંતિમ તારીખ ૨૫ માર્ચ, ૧૯૭૧ નક્કી કરવામાં આવી, કે જે દિવસે બાંગ્લાદેશનો જન્મ થયો હતો.

આ સમાધાનમાં કહેવામાં આવ્યું હતું કે જે લોકો ૨૫ માર્ચ, ૧૯૭૧ કે તે પહેલાં અહીં આવીને વસ્યાં છે તેઓને નાગરિક માની લેવામાં આવશે અને જે ગેરકાયદેસર પરદેશીઓ આ ચોક્કસ તારીખ બાદ આવ્યા છે તેમને પરત મોકલી દેવામાં આવશે. વિદ્રોહી સમૂહોએ આ નિર્ણયનો વિરોધ કરવા માટે આંદોલનો શરૂ કર્યા અને એ પ્રકારની માંગણી કરી કે આ સમાધાનને રદ કરી દેવામાં આવે અને પરદેશીઓ કોઈ પણ તારીખે કેમ ના આવ્યા હોય પણ તે તમામ પરદેશીઓને પરત મોકલવામાં આવે. પરંતુ, આંદોલનો થકી પણ સ્થાનિક લોકોને કોઈ રાહત મળી નહિ કારણ કે આ પરદેશીઓને છૂપી રીતે રાશન કાર્ડ આપવામાં આવ્યા હતા અને તેમનાં નામની નોંધણી વોટર્સ લિસ્ટમાં કરી દેવામાં આવી હતી. બાંગ્લાદેશી પરદેશીઓના વધતાં પ્રભાવના કારણે આસામની પરિસ્થિતિઓ વધુ વણસી. એક રિપોર્ટ પ્રમાણે આ ક્ષેત્રમાં મુસ્લિમોની આબાદી લગભગ ૪૦ ટકા જેટલી પહોંચી ગઈ છે. અંતમાં, આ મુદ્દે સુપ્રિમ કોર્ટને દખલગીરી કરવી પડી અને આ કાયદાને વર્ષ ૨૦૦૫માં રદ કરવામાં આવ્યો. સુપ્રિમ કોર્ટે કહ્યું કે ‘આ કાયદાએ સૌથી મોટી સમસ્યા ઊભી કરી છે અને ગેરકાયદેસર પરદેશીઓને પરત મોકલવામાં આ એક મોટી સમસ્યા છે’.

પરંતુ, બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરી તો ચાલુ જ રહી અને ગેરકાયદેસર પરદેશીઓની ઘટના એ એક સંવેદનશીલ મુદ્દો સાબિત થયો કે જેનો ઉપયોગ રાજનૈતિક સ્વાર્થી તત્ત્વો કરવા લાગ્યા. પૂર્વોત્તરના વિદ્રોહી સમૂહો, શાંતિપૂર્ણ અને હિંસક એમ બંને પ્રકારે આંદોલનો કરતા રહ્યા, પરંતુ તેઓને કોઈ ચોક્કસ સફળતા પ્રાપ્ત થઇ નહિ. દુર્ભાગ્યે ભા.જ.પા. સરકાર ૧૯૫૫ના કાયદામાં એ પ્રકારનાં બદલાવ લાવવા ઈચ્છે છે કે જે હેઠળ ધાર્મિકતાના આધારે સતાવવામાં આવેલા પરદેશીઓને નાગરિકતા આપવામાં આવે, એટલે કે સાંપ્રદાયિકતાના આધારે તેમનાં વચ્ચે ભેદ ઊભો કરવામાં આવે. આસામના મહત્તમ લોકો આ માંગની વિરુદ્ધ છે કારણ કે સમાધાન અનુસાર ૨૫ માર્ચ, ૧૯૭૧ બાદ બાંગ્લાદેશથી આવેલા તમામ ગેરકાયદેસર પરદેશીઓને પરત મોકલવાનું નક્કી થયું હતું. આ મુદ્દાની જગ્યાએ કેન્દ્રએ પૂર્વોત્તર રાજ્યોના સીમા વિવાદિત લાંબા ચાલતાં આવી રહેલાં વિવાદોનો ઉકેલ લાવવાના પ્રયત્નો કરવા જોઈએ. ત્યાં અરુણાચલ પ્રદેશને બાદ કરતાં બાકીનાં રાજ્યો આસામમાંથી જ અલગ થયેલાં છે. આ હેઠળ, મણિપુરનો નાગાલેન્ડ તથા મિઝોરમની સાથે પણ સીમા વિવાદ છે. પરંતુ, તે આસામની જેમ તરત જ દેખાઈ નથી આવતા. આમ છતાં, ક્ષેત્રના લોકો દેશની રાજધાની દિલ્હી સહિત દેશનાં અન્ય રાજ્યોમાં પૂર્વોત્તરના લોકોને અને તેમાં પણ ખાસ કરીને વિધાર્થીઓને જે રીતે હેરાન કરવામાં આવે છે તે મુદ્દે તો સહુ સાથે જ છે. તેઓને લાગે છે કે કેન્દ્રની ઉપેક્ષા અને તેમની ગંભીરતાનો અભાવ રાજ્યમાં આ સ્થિતિ માટે જવાબદાર છે. તેઓ ક્ષેત્રના વિકાસમાં વધુ ભાગીદારી ઈચ્છી રહ્યાં છે. ભા.જ.પા. પાર્ટીએ ત્યાં વિકાસના ઘણાં કાર્યો કર્યા છે અને ત્યાંના લોકોની સાથે ભાવનાત્મક જોડાણના પ્રયાસો પણ સાધી રહી છે. પરંતુ, આર્મ્ડ ફોર્સીસ સ્પેિશયલ પાવર એક્ટ (આફસ્પા) જ અસુવિધાજનક બિંદુ રહ્યું છે. ઘણાં વિસ્તારોમાંથી તે ઉઠાવી લેવામાં આવ્યો છે, પણ, જમીનીસ્તરે સ્થિતિ સુધરી છે જેના કારણે કેન્દ્ર વધુ પ્રયત્ન કરી શકે તેમ છે. જો ગેરકાયદેસર પરદેશીઓની યોગ્ય ઓળખ નહિ કરવામાં આવે અને તેમને પરત મોકલતા સમયે જરૂરી ઉપાય નહિ વિચારવામાં આવે તો આ મુદ્દો દેશની સુરક્ષા માટે એક પડકાર સાબિત થશે. સત્તાધારી ભા.જ.પા.એ એ વાતનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે હિન્દી પ્રદેશથી વિપરીત પૂર્વોત્તરનો સમાજ વૈવિધ્યસભર છે, જ્યાં સાંપ્રદાયિક હિંસાને કોઈ સ્થાન નથી. માટે કેન્દ્ર સરકારે હિન્દુત્વના દર્શન ફેલાવવાની જગ્યાએ સુશાસન અને વિકાસ પર ધ્યાન આપવું જોઈએ. આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભા.જ.પા. પૂર્વોત્તરની સમસ્યાઓને નકારી શકશે નહિ. આસામમાં પૂર્વોત્તરની સૌથી વધુ 14 સીટો છે. હાલમાં ઉપચૂંટણીમાં ખરાબ પ્રદર્શન અને મહત્તમ ક્ષેત્રિય પાર્ટીઓની અલગ ચૂંટણી લડવાની સંભાવનાને ધ્યાનમાં લેતાં પ્રધાનમંત્રી માટે ત્યાંની દરેક સીટ જીતવી મહત્ત્વપૂર્ણ છે. આખરે, પ્રધાનમંત્રી અને તેમની પાર્ટીને એ વાતનો ખ્યાલ છે કે પૂર્વોત્તરમાં લોકો સરળતાથી પાર્ટી બદલી શકે તેમ છે.

[અનુવાદ – નિલય ભાવસાર]

Loading

વાજપેયી એક ‘મુખોટું’, હંમેશાં સંઘને વફાદાર

નીના વ્યાસ|Opinion - Opinion|26 August 2018

વાજપેયી એક ‘મુખોટું’, તેઓ હંમેશાં સંઘને વફાદાર રહ્યા. અટલ બિહારી વાજપેયી હંમેશાં પાર્ટીનો સુગમ અને વિવેકી મુખવટો રહ્યા હતા. વાજપેયી તે પત્રકારો માટે પણ નમ્ર અને ખુશમિજાજી રહ્યા કે જેમનું લખાણ તેમને ગમ્યું નહોતું અને જેમનો અભિપ્રાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અનુરૂપ નહોતો. વાજપેયી જ્યારે આ પત્રકારોના પ્રશ્નોના ઉત્તર આપવા માંગતા નહોતા, ત્યારે બીજી બાજુ તેઓ રમૂજ તરફ ધસી જતા હતા. તમે જુઓ કે વાજપેયીજી એ એક એવી Ceylonese ઢીંગલી હતા કે જેને તમે જમણી તરફથી મુક્કો મારો તો થોડા અસ્થિરપણે ઝૂલશે અને થોડી જ વારમાં સીધા થઇ જશે અને જો તમે તેને ડાબી બાજુથી મુક્કો મારશો તો થોડી ધ્રુજારી અનુભવશે અને ત્યારબાદ ફરી સીધા થઇ જશે. આ પ્રકારનું વર્ણન એક વખત બી.જે.પી.ના વરિષ્ઠ નેતાએ વાજપેયીજી વિશે કર્યું હતું, તેમણે વધુમાં કહ્યું હતું કે કોઈ પણ મૂંઝવનારી રાજકીય ઘટનાઓમાંથી વાજપેયી સહીસલામતપૂર્વક બહાર નીકળી જવાની ક્ષમતા ધરાવતા હતા કે જેમાં સામાન્યપણે પીઢ રાજકારણીની પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચતી હોય છે. પણ, તે વાતમાં કોઈ ચૂક નથી કે વાજપેયી RSSના પ્રખર સ્વયંસેવક હતા અને સંઘની આજ્ઞાનું પાલન કરવામાં ક્યારે ય સંકોચ રાખતા નહોતા. તારીખ 6 ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ જ્યારે બાબરી મસ્જિદ જમીનદોસ્ત કરવામાં આવી, ત્યારે તેઓ હાજર રહ્યા નહોતા એટલી પૂરતી જ તેમની ચાલાકી નહોતી. બાબરીધ્વંસના એક દિવસ પહેલાં તેમણે લખનૌમાં કહ્યું હતું કે કેટલીક વિવાદાસ્પદ જગ્યાઓ પર સ્તરીકરણ કરવા માટેની સુપ્રિમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. કેટલાંક લોકોનું એવું માનવું છે કે વાજપેયીના કહ્યાના બીજા દિવસે કારસેવકોને વિધ્વંસ માટેનું પ્રોત્સાહન મળ્યું હતું.

સપ્ટેમ્બર ૨૦૦૦માં ન્યૂયોર્કના Staten Islandમાં બી.જે.પી.ના વિદેશી મિત્રોને સંબોધતા વાજપેયીજીએ પોતાના માટે કહ્યું હતું કે એક દિવસ તેઓ વડાપ્રધાન નહિ હોય પણ, એક સ્વયંસેવક હંમેશાં સ્વયંસેવક જ રહે છે, અને તે રીતે તેઓ ઓળખાશે. આ એક વાક્ય સાથે તેમણે સંઘ પરિવારની તમામ વિવેચનાઓ અને પોતાના ઉદારમતવાદી વલણને દબાવી દીધું હતું. આ સાથે એવું જણાઈ આવે છે કે તેઓ સંઘના અન્ય લોકોની જેમ RSSને વફાદાર હતા. RSS અને જનતા પાર્ટીના બેવડા સભ્યપદના મુદ્દે જ્યારે બી.જે.પી.એ કટોકટી બાદ જનતા પાર્ટી સાથેનું જોડાણ તોડ્યું, ત્યારે અગાઉથી જ આ ઠરાવને અમલમાં મૂકવામાં આવ્યો હતો. વાજપેયી દ્વારા દોરવાઈ રહેલા જનસંઘના સભ્યોએ સરકાર છોડી અને તેઓને RSSનું સભ્યપદ છોડવાની જગ્યાએ અધિકારો છોડવા ઉચિત લાગ્યા.

ગુજરાતમાં વર્ષ ૨૦૦૨માં થયેલા કોમી રમખાણો બાદ ગોવા ખાતે બી.જે.પી.ના રાષ્ટ્રીય કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું, અને તે વાતનું યોગ્યરીતે દસ્તાવેજીકરણ થયું છે કે તે કોન્કલેવમાં વાજપેયીએ નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રીપદેથી હટાવવાનું આયોજન કર્યું હતું. પરતું, તેઓ લાલકૃષ્ણ અડવાણી અને અરુણ જેટલીના કુશળ ફૂટવર્કના કારણે નિષ્ફળ નીવડ્યા હતા. એક આગોતરા ઠરાવમાં મોદીએ રાજીનામાની માંગણી કરી હતી અને અડવાણીએ એ વાતની ખાતરી આપી હતી કે લગભગ સમગ્ર રાષ્ટ્રીય કારોબારી આ માંગણી નકારે છે અને પાર્ટીના આ ઠરાવને સમર્થન આપે છે. ત્યારે વાજપેયીને પીછેહઠ કરવી પડી હતી.

આ વચ્ચે તેમણે RSS અને પાર્ટીમાં મુસ્લિમ વિરોધી જે ઉમળકો અને જડતા જોવા મળી રહી હતી તે મુદ્દે અરજી કરી હતી. તે દિવસે સાંજે, ગોવાની જાહેરસભામાં, વાજપેયીએ તેમનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ કોમી ભાષણ આપ્યું હતું. જ્યાં તેમણે કહ્યું હતું કે દરેક જગ્યાએ મુસ્લિમો મુશ્કેલીમાં છે, તેઓ તેમનાં પાડોશીઓ સાથે પણ શાંતિથી રહી નથી શકતા. અને આવું તેમણે ગુજરાતના ભયાનક કોમી રમખાણ બાદ કહ્યું હતું, આ ભાષણ બાદ તેમના પ્રત્યેના લોકોના વિશેષાધિકારમાં ગતિ જોવા મળી હતી. પરંતુ, ત્યારબાદ તેમણે આ પરિસ્થિતિ અંગેનો ખુલાસો આપતા કહ્યું હતું કે ભાષણમાં તેમણે ‘કેટલાંક’ એવાં મુસ્લિમોનો ઉલ્લેખ કર્યો હતો કે જેઓ ‘જેહાદી માનસિકતા’ ધરાવે છે. સમગ્ર રાજકીય વર્ણપટના રાજકારણીઓ એ વાતનું વર્ણન કરતા થાકતા નથી કે વાજપેયી અયોગ્ય પાર્ટીમાં યોગ્ય વ્યક્તિ હતા. તેઓ સ્વભાવગત બિનસાંપ્રદાયિક માનવતાવાદી હતા. અને તેઓ એવા ઉદારવાદી હતા કે જેઓ કોઈક રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ફસાઈ ગયા હતા. સત્યથી આગળ કશું જ નથી, વાજપેયી હિન્દુત્વ પ્રત્યે પ્રતિબદ્ધ હતા અને ગોળવેલકરની તે દૂરદર્શિતાને માનતા હતા કે જેમાં હિંદુ બહુમતીની દયા હેઠળ મુસ્લિમો અને ખ્રિસ્તીઓને બીજા તબક્કાના નાગરિક તરીકે સ્વીકારવામાં આવે કે જેવું આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSSના વડા મોહન ભાગવત વિચારે છે.

વાજપેયીએ ‘હિંદુ તન મન હિંદુ જીવન’ નામની કવિતા લખી હતી કે જેમાં તેમણે પોતે હિંદુ હોવાની વાત મૂકી હતી. આ કવિતા અગાઉ ભા.જ.પા. પાર્ટીની વેબસાઈટ પર મૂકવામાં આવી હતી, પણ તેઓ જેવા વડાપ્રધાન બન્યા કે તરત જ તેમના સૂચનોથી આ કવિતા પાર્ટીની વેબસાઈટ પરથી હટાવી લેવામાં આવી હતી. કારણ કે ત્યારે ગઠબંધનની સરકારમાં તેઓ કોઈ નવો વિવાદ ઊભો કરવા નહોતા માંગતા. વાજપેયી પત્રકારોની સાથે સુગમ અને સુખદ વ્યવહાર રાખતા હતા, એ રીતે જોતા વાજપેયી, નરેન્દ્ર મોદી કરતાં તદ્દન વિપરીત હતા. કારણ કે નરેન્દ્ર મોદી માટે તેમની ટીકાને ભૂલી જવી અથવા માફ કરવી તે સ્વીકારવું અઘરું છે. કટારલેખક અને ટેલિવિઝન એન્કર કરણ થાપરે તેમના હાલમાં જ પ્રકાશિત થયેલા પુસ્તકમાં લખ્યું છે કે તેમણે એક વખત નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યુ કર્યો હતો કે જેમાં મોદીજી ઊભા થઈને જતા રહ્યા હતા, ત્યાર બાદ કરણ થાપરે મોદીજી સાથે વ્યવસાયિક સંબંધો રાખવાના પ્રયત્નો કર્યા હતા પણ તેનો તેમને કોઈ લાભ મળ્યો નહિ. અને હાલમાં જ ABP ન્યુઝ ચેનલના પત્રકારોએ તે ચેનલ છોડી છે, જેમાં એ તથ્ય બહાર આવ્યું છે કે મોદીજી તેમની ટીકાને સ્વીકારતા નથી.

મોદીજી જ્યારે પાર્ટીના જનરલ સેક્રેટરી હતા ત્યારે તેઓ પત્રકારોની સાથે સુગમ વ્યવહાર રાખતા હતા, અને ત્યારબાદ જ્યારે તેઓ વર્ષ ૨૦૦૧માં ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા કે તરત જ મીડિયા અને પત્રકારોથી દૂર થઇ ગયા હતા. વાજપેયી વડાપ્રધાન બન્યા તે પૂર્વે એક પત્રકારે વાજપેયીને બી.જે.પી.ની વિદેશનીતિ વિશે પૂછ્યું હતું ત્યારે તેમણે આ પ્રશ્નનો એક જ વાક્યમાં એવો ઉત્તર આપ્યો હતો કે ‘પાકિસ્તાન પર બોમ્બ નાખો, પાકિસ્તાનનો વિનાશ કરી નાખો’. વાજપેયીએ આ મજાક કરી હતી પણ તેનો અર્થ ગંભીર હતો. પણ, તેના સંકેતો એવા હતા કે પાર્ટી પાકિસ્તાનથી મનોગ્રસ્ત હતી અને તેમની પાસે વિદેશનીતિનો માત્ર એક જ મુદ્દો હતો કે પાકિસ્તાનનો વિનાશ કરો. અને વાજપેયી વડાપ્રધાન બન્યા ત્યાર બાદ તેમણે પાકિસ્તાનની સાથે મિત્રતાનો હાથ લંબાવવાનું કહ્યું હતું, જે હેઠળ તેમણે લાહોર બસ ‘યાત્રા’ શરૂ કરી હતી. સાથે તેમણે જનરલ પરવેઝ મુશર્રફની સાથે આગ્રા સમિટની વ્યવસ્થા પણ કરી હતી કે જેને અડવાણીજીએ અંતે નિષ્ફળ પુરવાર કરી હતી.

વર્ષ ૧૯૯૫માં જ્યારે ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાએ ત્યારના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની સામે બળવો પોકાર્યો હતો અને પાર્ટીમાં કટોકટી જેવી સ્થિતિ ઊભી થઇ હતી ત્યારે મીડિયાએ વાજપેયીને આ મુદ્દે ટિપ્પણી કરવાનું કહ્યું હતું ત્યારે વાજપેયીએ એવી સલાહ આપી હતી કે ‘અડવાણીજી’ને પૂછો, આ રીતે તેમણે અડવાણીની નેતાગીરી હેઠળનો પાર્ટીનો ઉચાટ વ્યક્ત કર્યો હતો. વાજપેયીને જ્યારે પાર્ટીમાં કોઈ રસ્તો દેખાતો નહોતો ત્યારે જે-તે સમયમાં કેવી રીતે ટકી રહેવું તે તેઓ જાણતા હતા. વર્ષ ૧૯૯૯માં તેઓ જશવંત સિંઘની નાણાકીય મંત્રી તરીકે નિમણૂક કરી શક્યા નહોતા કારણ કે RSSના નેતાઓએ તે સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે યશવંત સિંહાને સ્વીકાર્યા હતા, પણ થોડાં વર્ષો બાદ તેમણે જશવંત સિંહની રેખા ખેંચી હતી.

આખરે, તેઓ કદાચ કે.એન. ગોવિંદાચાર્ય હતા કે જેમણે યથાર્થ રીતે વાજપેયીનું વર્ણન કર્યું હતું, જો કે તેઓ સતત ‘મુખોટા’ તરીકેની ઓથરશીપ નકારતા રહ્યા હતા. RSSને સત્તા પ્રાપ્ત કરવાની લાંબી કૂચ માટે આ મુખોટું ખૂબ જ ઉપયોગી રહ્યું, જેથી તેઓ કાયદેસરપૂર્વક સ્થાનિક પાર્ટીઓને એકસાથે લાવી શક્યા, જેમાં સામાજિક માનસ ધરાવતા બીજુ જનતા દળ અને જનતા દળ (યુનાઇટેડ)થી લઈને અન્ય માનસ જેમ કે અકાલી દળ અને  શિવસેના તે સિવાય AIADMK અને તેલુગુ દેશમ જેવી પાર્ટીઓનો સમાવેશ થાય છે. આ પ્રકારની ટીકા માટે વાજપેયીએ ક્યારે ય ગોવિંદાચાર્યને માફ નથી કર્યા, પણ યોગ્ય સમયની ધીરજપૂર્વક રાહ જોઈ ગોવિંદાચાર્યને હાંકી કાઢવામાં આવ્યા હતા, અને તેઓ ક્યારે ય પરત આવ્યા નહિ. અને આ Ceylonese ઢીંગલી ફરી પાછી સીધી ઊભી રહી.

(મૂળ લેખક – નીના વ્યાસ, વર્ષોથી, “ધ હિન્દુ” માટે ભારતીય જનતા પાર્ટીનું રિપોર્ટીંગ કરતાં આવ્યાં છે)

સ્ત્રોત – The WIRE (૧૭ ઓગસ્ટ, ૨૦૧૮)

અહીં સાથે વાજપેયીના લેખની લિંક :

https://thewire.in/politics/reporting-during-the-vajpayee-years

અનુવાદ – નિલય ભાવસાર

Loading

...102030...3,0183,0193,0203,021...3,0303,0403,050...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved