Opinion Magazine
Number of visits: 9579074
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સામાન્ય ચૂંટણી નજીક આવી રહી છે એમ સરકાર રઘવાઈ થઈ ગઈ હોય એમ નજરે પડે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|1 September 2018

તાજેતરમાં બનેલી બે–ચાર ઘટનાઓ સાથે જોવી જોઈએ કે જેથી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે સરકાર શું કરી રહી છે એનો ખ્યાલ આવે. ‘ઇકોનોમિક ટાઈમ્સ’ના અહેવાલ મુજબ, વડા પ્રધાનના કાર્યાલયે બી.જે.પી. શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોને પત્ર લખીને કહ્યું છે કે તમારા રાજ્યમાં જો કોઈ પ્રકલ્પ પૂરો થઈ ગયો હોય કે પૂરો થવામાં હોય તો તેના ઉદ્દઘાટન માટે વડા પ્રધાનને બોલાવવાનું ભૂલશો નહીં. જો કોઈ પ્રકલ્પ પૂરો થવાની નજીક હોય તો ખાસ અગ્રતાક્રમ આપીને તેને પૂરો કરવામાં આવે કે જેથી વડા પ્રધાન તેનું ઉદ્દઘાટન કરી શકે. ગયા મહિનાની ૧૦મી જુલાઈએ વડા પ્રધાને નોએડામાં વિશ્વની સૌથી મોબાઈલ ફેક્ટરીનું ઉદ્દઘાટન કર્યું હતું. ઉદ્દઘાટન સમારંભ રંગેચંગે પતી ગયો, ત્યાં કોઈકે કહ્યું કે ફેક્ટરી તો ૨૦૦૫માં સ્થાપવામાં આવી હતી અને તેનું ત્યારે ઉદ્દઘાટન પણ થયું હતું, અત્યારે તો ફેક્ટરીની ક્ષમતામાં માત્ર વધારો કરવામાં આવ્યો છો. આમ તો મોટા ભાગનાં મીડિયા ખોળામાં બેઠેલાં છે, પણ બે–ચાર મીડિયા એવાં છે જે રંગમાં ભંગ પાડ્યાં કરે છે. તેઓ ભક્તોનો નશો ઉતારવાનું મહાપાતક કરી રહ્યા છે એની તેમને જાણ નથી.

બીજી ઘટના ગયા અઠવાડિયે ‘હિંદુ’ નામના અખબારમાં પ્રકાશિત થઈ છે. અહેવાલ મુજબ દેશભરમાં પેટ્રોલ પંપ પર ‘પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના’નું વિશાળ કદનું હોર્ડિંગ મૂકવું જરૂરી છે. જે પેટ્રોલ પંપવાળાઓ કોઈ કારણથી હોર્ડિંગ નથી મૂકતા તેમને સમયસર પેટ્રોલ આપવામાં આવતું નથી. ભક્તિ કરો, કાં ભૂખ્યા રહો, એમ બે જ વિકલ્પ છે, તેમની પાસે. એ હોર્ડિંગ પણ પાછું આવતા–જતા પ્રવાસીઓને નજરે પડે એમ પેટ્રોલ પંપની બહારની બાજુએ હોવું જોઈએ એવો આગ્રહ રાખવામાં આવે છે. અંદર હોય એ ન ચાલે. બને છે એવું કે કેટલીક વાર પોલીસ વળાંક પર રસ્તાને ઢાંકતા હોર્ડીંગો હટાવવાની કે પાછળ ખસેડવાની પેટ્રોલ પંપવાળાઓને સૂચના આપે છે. સાહેબની આડે બે બદામનો આર.ટી.ઓ.નો હવાલદાર આવે? પેટ્રોલ સપ્લાય કરવાનું બંધ કરો, સાલાઓને એટલે ખ્યાલ આવે કે સાહેબ શું ચીજ છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ જેવા ઝુકરબર્ગને સાહેબે ધકો મારીને બાજુએ હડસેલી દીધો હતો, તો હવાલદાર કઈ ચીજ છે? ઝુકરબર્ગને ધ્યાન નહોતું રહ્યું કે તે વિશ્વના અત્યાર સુધીના સૌથી મોટા નેતા અને કેમેરાની વચ્ચે ઊભો છે.

હવે ત્રીજી ઘટના. બે દિવસ પહેલા ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોની બેઠક બોલાવી હતી. ચૂંટણી નજીક છે ત્યારે સ્વાભાવિક ક્રમે ચૂંટણી પંચ રાજકીય પક્ષોની બેઠક બોલાવીને તેમને સાંભળે છે. એ બેઠકમાં ઈ.વી.એમ. સહિત અનેક બાબતે ચર્ચા થઈ હતી જેમાં એક મુદ્દો ચૂંટણી ખર્ચ ઘટાડવાને લગતો હતો. ચૂંટણીખર્ચ મર્યાદાનું પાલન કરવામાં આવે અને એને લગતા કાયદાઓ અને નિયમો વધારે સખ્ત કરવામાં આવે, એવું પંચનું સૂચન હતું. આની પાછળનો ઈરાદો લોકશાહીની ગુણવત્તા સુધારવાનો હતો. દરેક પક્ષે પંચના સૂચનને આવકાર્યું હતું, માત્ર બી.જે.પી.એ તેનો વિરોધ કર્યો હતો. બીજા પક્ષોની માફક ઢોંગ પણ શા માટે કરવાનો, જ્યારે આપણી પાસે અઢળક પૈસા છે. બીજું સૂચન ગુનેગારી માટે સજા પામેલા ઉમેદવારોને ચૂંટણી લડતા રોકવાનું હતું. બી.જે.પી.એ તેનો પણ વિરોધ કર્યો હતો. હા, ઢોંગ નહીં કરવા, માટે બી.જે.પી.ને માર્ક્સ આપવા હોય તો સોમાંથી સો આપી શકાય. 

ચોથી ઘટના તીન મૂર્તિ હાઉસમાં આવેલા નેહરુ મેમોરિયલ લાયબ્રેરી એન્ડ મ્યુિઝયમને ખેદાન મેદાન કરવાની છે. જવાહરલાલ નેહરુના સગડ ભૂંસી નાખવા માટેની આ ચેષ્ટા છે. ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે વડા પ્રધાનને પત્ર લખીને કહ્યું છે કે સરકાર આ જે કરી રહી છે એ બરોબર નથી. શા માટે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, નેહરુ મેમોરિયલ લાયબ્રેરી, આઈ.આઈ.ટી. જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓને ખતમ કરો છો? જોઈએ તો નવી સ્થાપો તમને કયાં કોઈ રોકે છે. કોઈની રેખા ટૂંકી કરીને પોતાની રેખા મોટી બતાવવી એ માણસાઈ નથી, એમ ભૂતપૂર્વ વડા પ્રધાને લખ્યું છે. તમને તમારી રેખા લાંબી ખેંચતા ક્યાં કોઈ રોકે છે?

મોદી સરકાર નેહરુ મેમોરિયલ લાયબેરી એન્ડ મ્યુિઝયમને ભારતના દરેક વડા પ્રધાન માટેના મ્યુિઝયમમાં ફેરવવા માંગે છે. આનો અર્થ એ થયો કે નરેન્દ્ર મોદીને જવાહરલાલ નેહરુની હરોળમાં બેસવું છે. મનમાં રહેલું ઊંડુ આકર્ષણ ધિક્કારનું છુપું કારણ હોય છે, એમ જે માનસશાસ્ત્રીઓ કહે છે એ ખોટું નથી. નેહરુ કોઈક એવી ચીજ છે જેની હરોળમાં સ્થાન પામવાની દરેકને ઈચ્છા થાય. ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ તો જાહેરમાં કબૂલ્યું હતું કે તેઓ નેહરુના અનુગામી હોવા માટે ગર્વ અનુભવે છે. તેમને તીન મૂર્તિ ભવનમાં સ્થાન પામવાનો અભરખો નહોતો, કારણ કે આકર્ષણ ક્ષૂપું નહોતું, પ્રગટ હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થયે સો વરસ થવા આવ્યા છે, પણ સો વરસમાં સંઘે એવી એક પણ સંસ્થા સ્થાપી નથી, જેનું નામ પડતા મનમાં આદરની લાગણી થાય. સંસ્થાઓ એ જ સ્થાપી શકે જેનું વિઝન મોટું હોય, બાકી તોડવા માટે ક્યાં કોઈ વિઝનની જરૂર પડે છે. જવાહરલાલ નેહરુએ આઝાદી પછીના એક દાયકામાં આઇ.આઇ.ટી., ઈસરો, બી.એ.આર.સી., એન.સી.એલ., આઈ.આઇ.એમ., એઈમ્સ જેવી એક ડઝન માતબર સંસ્થાઓ સ્થાપી હતી. માત્ર એક દાયકામાં એક ડઝન અને એ પણ બધી વિશ્વવિખ્યાત.

પાંચમી ઘટના મુકેશ અંબાણીની જિયો યુનિવર્સિટીને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીનું સ્ટેટસ આપવાની છે. જે યુનિવર્સિટીની હજી સ્થાપના નથી થઈ, એ યુનિવર્સિટી પ્રતિષ્ટિત (યુનિવર્સિટી ઓફ એમિનન્સ) બની ગઈ? કોઈ આવું સાંભળે તો પણ ગાંડા ગણે. પણ એવું બન્યું છે. ‘ઇન્ડિયન એક્સપ્રેસે’ માહિતીના અધિકારના કાયદાનો ઉપયોગ કરીને માહિતી મેળવી છે કે રિલાયન્સ જિયો યુનિવર્સિટીને ગર્ભાધાન પહેલાં વરાવવાની વડા પ્રધાનની દરખાસ્તનો સરકારના દરેક સંબંધિત મંત્રાલયે વિરોધ કર્યો હતો. વિરોધની નોંધ અને તેનાં કારણો ‘ઇન્ડિયન એક્સપ્રેસે’ તેના બુધવાર અને ગુરુવારના અંકમાં આપ્યાં છે. નાણા મંત્રાલયે વિરોધ કરતા કહ્યું હતું કે જેનું અસ્તિત્વ જ ન હોય, તેને પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ગણાવીને કરોડો રૂપિયા આપવા કેવી રીતે? હવામાં જેનું અસ્તિત્વ હોય તેને નાણાકીય ફાળવણી કરવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી. આ નોંધ તમે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં જોઈ શકો છો.

શિક્ષણ મંત્રાલયે (પ્રકાશ જાવડેકરનું, સ્મૃિતબહેનનું નહીં) પ્રસ્તાવનો વિરોધ કરતા લખ્યું હતું કે પહેલાં યુનિવર્સિટી સ્થપાવી જોઈએ, તેની છથી આઠ બેચ બહાર પડવી જોઈએ, તેમની પ્લેસમેન્ટ અને બીજા વૈશ્વિક ધોરણ મુજબ એક્સલન્સની ચકાસણી થવી જોઈએ, એ રીતે યુનિવર્સિટીનું એક્સલન્સ એસ્ટાબ્લિશ થવું જોઈએ એ પછી યુનિવર્સિટી ઓફ એમિનન્સનો દરજ્જો આપી શકાય. શિક્ષણ મંત્રાલયે લખ્યું છે કે આમાં યુનિવર્સિટી સ્થપાયા પછી ઓછામાં ઓછા દસ વરસ લાગે.

આમ છતાં નાભિએ ચાંદલો કરીને જિયો યુનિવર્સિ ટીને વરાવવામાં આવી જે રીતે રાફેલ સોદામાં અનિલ અંબાણીની હજુ અસ્તિત્વ નહીં ધરાવતી કંપનીને નાભિએ ચાંદલો કરીને વરાવવામાં આવી હતી. એક જમાનામાં નાભિએ ચાંદલો કરીને સગપણ થતાં હતાં, ત્યારે કમસેકમ ગર્ભાધાન તો થયેલું રહેતું જયારે અહીં તો બન્ને કિસ્સામાં ગર્ભાધાન પણ થવાનું બાકી છે.

આ બધી ઘટનાઓને સાથે જોશો તો શું ચિત્ર ઉપસે છે? વિચારી જુઓ.

સૌજન્ય : ‘કારણ–તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ–ડે”, 01 સપ્ટેમ્બર 2018

Loading

આ ધરતી પર ઈશ્વરનું રાજ્ય સ્થાપવાનું છે, પણ કયા ઈશ્વરનું? કોના ઈશ્વરનું?

રમેશ ઓઝા|Opinion - Opinion|31 August 2018

પોતાનો ધર્મ દરેકને વહાલો હોય છે અને ધર્મસંસ્કાર ગળથૂથીમાં મળતા હોવાથી ખાસ કોઈ મહેનત વિના એ જિંદગીનો હિસ્સો બની જતા હોય છે. ધર્મમાં નીતિ છે, ન્યાય છે, કરુણા છે એમ દરેક પ્રકારનાં માનવીય મૂલ્યો છે એવી પણ આપણી શ્રદ્ધા છે અને એવી પાછી દ્રઢ શ્રદ્ધા છે. દરેકને એમ લાગે છે કે એક આદર્શ જીવન જીવવા માટે પોતાના ધર્મમાં એ બધું જ છે જે હોવું જોઈએ. આવી શ્રદ્ધા આજકાલની નથી, હજારો કે સેંકડો વરસ જૂની છે.

સવાલ એ છે કે આપણી નજરમાં જે સંપૂર્ણ છે અને સહજસાધ્ય છે એ ધર્મને ઘરની ચાર દીવાલોમાં કે અંગત જીવનમાં મર્યાદિત રાખીને આધુનિક રાજ્ય અપનાવવાની જરૂર શું કામ પડી? ધર્મિક રાજ્યની જગ્યાએ આધુનિક નાગરિક રાજ્ય વિકસાવવા માટે કોઈ ઓછી પળોજણ કરવી પડે? કેટલેક અંશે ધર્મસંસ્કાર ભૂંસવા પડે, નાગરિકસંસ્કાર વિકસાવવા પડે, બંધારણ ઘડવું પડે, આધુનિક સેક્યુલર કાયદાનું રાજ વિકસાવવું પડે કોઈ ઓછી પળોજણ છે? જે સહજસાધ્ય છે, જે ગળથૂથીમાં મળે છે એને છોડીને જગતના કેટલાક દેશોએ કષ્ટસાધ્ય માર્ગ શા માટે અપનાવ્યો?

બે શક્યતાઓ છે. એક શક્યતા એવી છે કે જેને પુનર્જાગરણ (રેનેસાં) તરીકે ઓળખાવવામાં આવે છે એ આંદોલનના વિચારકો હકીકતમાં જાગેલા નહીં, સૂતેલા હોવા જોઈએ. એ બેવકૂફોએ ધર્મ નામની સુંદર, સંપૂર્ણ અને સહજસાધ્ય ચીજને આપણી પાસેથી દૂર ધકેલી દીધી તેમ જ અંગત જીવન પૂરતી મર્યાદિત કરી દીધી અને એની જગ્યાએ એવા રાજ્યની કલ્પના કરી જે કષ્ટસાધ્ય હોય. એ બેવકૂફો સર્વગુણસંપન્ન ધાર્મિક રાજ્ય હડસેલતા ગયા અને તેની જગ્યાએ સેક્યુલર રાજ્યનું ડીંડવાણું પકડાવતા ગયા.

બીજી શક્યતા એવી છે કે એ લોકો બેવકૂફો નહોતા, પણ ખરેખર જાગેલા અને જગાડનારા હતા. તેમણે જગતના ઇતિહાસનો નીરક્ષીર અભ્યાસ કર્યો હતો, ધર્મ નામની સંસ્થાનો નીરક્ષીર અભ્યાસ કર્યો હતો, ભાવિ સમાજ(જેમાં આપણે છીએ)ના સ્વરૂપને સમજી લીધું હતું અને આવી રહેલા યુગની જરૂરિયાતો સમજી લીધી હતી. તેમને એમ લાગ્યું હોવું જોઈએ કે અસ્મિતાઓ સ્વભાવત: પ્રતિદ્વંદ્વી હોવાની. બીજી અસ્મિતા ન હોય તો પહેલી અસ્મિતાનું કોઈ વજૂદ જ નથી રહેતું. આમ જગતમાં અસ્મિતાઓનો સંઘર્ષ થતો આવ્યો છે અને એમાં ધાર્મિક અસ્મિતા તો વધારે બળકટ છે. આ જગતમાં ધર્મના નામે જેટલી હિંસા થઈ છે એટલી સત્તા માટે નથી થઈ. બીજી બાજુ નાગરિકની કોઈ અસ્મિતા જ નથી હોતી. ભારતીય નાગરિક હોવાની ઓળખ જરૂર છે, અસ્મિતા નથી. આમ અસ્મિતારહિત આધુનિક રાજ્ય એ સેક્યુલર રાજ્ય. ધર્મરહિત નહીં, અસ્મિતારહિત એ સેકયુલરિઝમનો સાચો આર્થ છે.

બે વિકલ્પો છે. જો તમે તમારી જાતને રેનેસાં યુગના વિચારકો કરતાં વધારે બુદ્ધિમાન માનતા હો, તો તમારે એ બેવકૂફોને કચરાટોપલીમાં ફગાવી દેવા જોઈએ. તમારે તમારા સ્વયંસપૂર્ણ ધર્મની આરાધના કરવી જોઈએ, એનો પ્રચાર કરવો જોઈએ, એના આધારિત રાજ્ય કેવું રળિયામણું હોવાનું એની સોનેરી કલ્પનાઓ કરવી જોઈએ, સેક્યુલર રાજ્યની મર્યાદા બતાવવી જોઈએ, ધર્મ આધારિત રાજ્યની વિશેષતાઓ બતાવવી જોઈએ, વગેરે. આ બધું જ તમારા માટે શક્ય છે, કારણ કે તમે રેનેસાં યુગના વિચારકો કરતાં વધારે બુદ્ધિમાન છો અને દૂરનું જોઈ શકો છો. આવું માનનારા તમે એકલા નથી એટલે શરમાવાની કે સંકોચ કરવાની પણ જરૂર નથી. મુસ્લિમ દેશોમાં અનેક પાઘડી પહેરેલા કે ટોપી પહેરેલા મૌલાનાઓ તમારી સાથે છે. હાથમાં શસ્ત્રધારી જેહાદી તમારી સાથે છે. ખ્રિસ્તી અને બૌદ્ધ દેશોમાં પણ થોડા આવા મળી રહેશે. હવે સોશ્યલ મીડિયા હાથવગાં થયાં છે એટલે અજાણ્યા વિચારકો પણ ઉમેરાયા છે.

આવો બહાર આવો. તમારી સંખ્યા વધી રહી છે એટલે ડર્યા વિના તમારી બુદ્ધિપ્રતિભાનો અમને લાભ આપો. પ્લીઝ અમારી આંખો ફરતે બાજેલાં પડળો દૂર કરો. આ તમારો યુગધર્મ છે જે તમારે બજાવવો જોઈએ. સોશ્યલ મીડિયા પર બે ગાળો લખીને તમે તમારી દાર્શનિક પ્રતિભાને વેડફો છો એ જોઇને દુ:ખ થાય છે. તમારે તો ફ્રાન્સિસ બેકન, થોમસ હોબ્સ, જે. જે. રૂસો અને વોલ્તેર (જો નામ સાંભળ્યા હોય તો) જેવા આધુનિક યુગના મ્લેચ્છ વિચારકોને તેમની જગ્યા બતાવી દેવી જોઈએ અને પાછું એવું સામર્થ્ય તમે ધરાવો પણ છો. તમારો યુગધર્મ આધુનિક સેક્યુલર રાષ્ટ્રના ભાંગીને ભુક્કા કરીને અરબી સમુદ્રમાં પધરાવી દેવાનો છે અને તેની જગ્યાએ હિંદુરાષ્ટ્રની સ્થાપના કરવાનો છે. આને માટે વૈકલ્પિક વિચારદર્શનની થીસિસ જોઈએ જે તમે વિકસાવી શકો એમ છો.

આ વિરાટ કાર્ય છે, કહો કે યુગકાર્ય છે જે સોશ્યલ મીડિયા પર સેક્યુલરિસ્ટોને બે ગાળો આપીને નહીં થાય. આવો બહાર આવો, દેશ લલકારી રહ્યો છે ત્યારે તમે સોશ્યલ મીડિયા પર અમારા જેવા તુચ્છ લોકોને ગાળો દેવામાં સમય નહીં બગાડો. જો આળસ કરશો તો મુસલમાનો આગળ નીકળી જશે. તેઓ તો ક્યારના હાથમાં સ્ટેનગન લઈને ઇસ્લામિક રાજ્યની સ્થાપના કરવા નીકળી પડ્યા છે. તેમને પણ તમારી જેમ આધુનિક લોકતાંત્રિક સેક્યુલર રાજ્ય સ્વીકાર્ય નથી. તેમને પણ એમ લાગે છે કે તેમનો ધર્મ નિતાંત સંપૂર્ણ અને સુંદર છે. તેમનો નિર્દોષ ધર્મ દરેક યુગ માટે અને દરેક પ્રજા માટે છે. જે તમે તમારા ધર્મ માટે માનો છો એ જ એ લોકો પણ તેમના ધર્મ માટે માને છે. એક અક્ષરનો પણ ફરક નથી.

જે તમે માનો છો એ જ બીજા માને છે, જે સપનાં તમે જુઓ છો એ જ બીજા જુએ છે. જે તમે કરવા માગો છે એ જ બીજા કરવા માંગે છે. તમે બધા એક જ દિશાના પ્રવાસીઓ છો, ધર્મની અસ્મિતા અલગ અલગ છે. આનું શું પરિણામ આવે છે એ જાણો છો? આમ તો તમે રૂસો અને વોલ્તેરને ભૂંસી નાખવા જેટલી દાર્શનિક પ્રતિભા તમે ધરાવો છો એ છતાં આ નાચીજ ધ્યાન દોરવાની ગુસ્તાખી કરે છે. તમે બધા એક જ દિશાના પ્રવાસી છો એટલે કૂચ સમાંતરે ચાલે છે. ભૂમિતિમાં તમે ભણ્યા હશો કે સમાંતરે ચાલતી બે રેખા ક્યારે ય એકબીજાને મળતી નથી. આમ તમે બધા એક જ દિશાના પ્રવાસી છો એટલે એકબીજાનો ભેટો થવાનો નથી અને સાચો ધર્મ કોનો એ નક્કી કરવા માટે ધીંગાણું ક્યારે ય થવાનું નથી.

સમાંતરે ચાલતી હિંસક ધાર્મિક કૂચોમાં જે હિંસા થાય છે ધર્મસહોદરની થાય છે. સ્વતંત્રપણે વિચારનારાઓની, અલગ અવાજો વ્યક્ત કરનારાઓની, ચેતવણીઓ આપનારાઓની, અસ્મિતાઓના બોજાઓથી મુક્ત રહીને સર્જન કરવા ઈચ્છતા સર્જકોની, કાંઈક નવું વિચારનારા અને કરનારાઓની થાય છે. તેમની હત્યાઓ કરવી સહેલી છે, કારણ કે તેમની ભીડ હોતી નથી. છેલ્લા ત્રણ દાયકામાં ઇસ્લામિક રાજ્ય માટેના જેહાદીઓએ એકાદ લાખ મુસલમાનોને રહેંસી નાખ્યા હશે. એમાં તેમના પોતાના સંતાનો પણ ખરા, કારણ કે ધર્મઝનૂન અને ટોળાં એ બે મળે પછી વિવેક માટે કોઈ જગ્યા બચતી જ નથી. આની શરૂઆત આપણે ત્યાં પણ થઈ ગઈ છે.

શું થાય માનવીય મૂલ્યોની પીપૂડી વગાડનારાઓને મૂંગા તો કરવા જ પડશે. આપદ્ધર્મ છે! આગળ વધો તમે એકલા નથી. આ ધરતી પર ઈશ્વરનું રાજ્ય સ્થાપવાનું છે, પણ કયા ઈશ્વરનું? કોના ઈશ્વરનું?

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 31 અૉગસ્ટ 2018

Loading

એક રિક્ષાવાળા, એક મહિલા અને એક કૅબવાળા થકી ગરીબ બાળકો માટે ચાલતી ફૂટપાથ શાળા

સંજય શ્રીપાદ ભાવે|Samantar Gujarat - Samantar|31 August 2018

ગાંધીનગરનાં સેક્ટર 3માં, સવા બે વર્ષથી, સાંજે બે કલાક માટે વેકેશન વિના ચાલતી શાળા એ પ્રભુભાઈ કબીરા, તેમ જ હસુમતી-સંજય દંપતીની સક્રિય સામાજિક નિસબતનું પરિણામ છે

ગાંધીનગરનાં સેક્ટર ત્રણમાં, પૂછપરછની ઑફિસની પાછળની બાજુ ,ગરીબોનાં બાળકો માટેની એક શાળા ગયાં સવા બે વર્ષથી ચાલે છે. આ સાંજ-શાળામાં ભણવા આવતાં બધાં બાળકો પાટનગરનાં સેક્ટર ત્રણ અને ચારમાં આવેલાં છાપરાંના રહીશો છે. તેમનાં અભણ મા-બાપ છૂટક મજૂરી તેમ જ ઘરઘાટીનાં કામ થકી પેટિયું રળે છે. શાળા સાઈબાબા મંદિર પાસેના એક ફૂટપાથ પર ઉપર આભ ને નીચે ધરતીના આશરે છ વાગ્યાથી બે કલાક માટે ભરાય છે. તેમાં આઠમા ધોરણ સુધીનાં પચાસેક બાળકો આવે છે. તે બધાં સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ છે. તેમની એ શાળાની જેમ આ શાળામાં તહેવારોની રજાઓ તેમ જ  દિવાળી અને ઉનાળાનાં વેકેશન હોતાં નથી, ફક્ત રવિવારની જ રજા હોય છે. પાથરણાં પર બેસીને બધાં ધોરણની છોકરીઓ અને છોકરાઓ ભેગાં ભણે છે. શિક્ષકો તેમને ભણાવે છે, તેમની નોટો જુએ છે, તેમને ચિત્રો દોરાવે છે, ઘડિયાંનાં ગીતો ગવડાવે છે. દરરોજ પ્રાર્થના હોય છે. અઠવાડિયામાં એકાદ દિવસ નાસ્તો અને એક સાંજે લૅપટૉપ પર કમ્પ્યુટરનાં ક્લાસ. માંદગીમાં સારવાર. કાંકરિયા અને અડાલજ, વૈષ્ણોદેવી અને સેક્ટર અઠ્ઠ્યાવીસના બગીચામાં ઉજાણીઓ, તહેવારોની ઉજવણીઓ હોય છે. દૂરનાં બાળકોને લેવાં-મૂકવાં એક વાન આવે છે. યુનિફૉર્મ પહેરવાનો નથી, ફી ભરવાની નથી. મકાન નથી, વર્ગો નથી, પાટલીઓ નથી, વીજળી નથી, પાણી નથી. પણ છતાં શાળા ચાલે છે, તેનું કારણ તેને ચલાવનારાંની ધખના છે. 

એ ધખના પાટનગરનાં ત્રણ સાદાં પણ સમર્પિત નાગરિકોની છે. તેમાંથી વાલ્મીકિ સમાજના પ્રભુભાઈ ભીખાભાઈ કબીરા રિક્ષા ચલાવે છે. હસુમતીબહેન ધમેરિયન રાજ્ય સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગમાં કૉન્ટ્રાક્ટ પરના કર્મચારી તરીકે કૉમ્પ્યુટર ઑપરેટર છે, અને તેમના પતિ સંજયભાઈ કૅબ ચલાવે છે. મર્યાદિત આવકવાળાં આ ત્રણેય પોતાના પૈસા, સમય અને શક્તિ ખરચીને શાળા ચલાવે છે. તેમણે ‘શ્રી જયભીમ વિવિધલક્ષી ટ્રસ્ટ’ નામે નોંધણી કરાવેલી છે. પણ છતાં તેઓ રોકડ રકમની મદદ લેવાનું ટાળે છે, કારણ કે તેમને ડર છે કે લોકો એમ આળ લે કે ‘પૈસા કમાવા માટે અમે આ કરીએ છીએ’. કબીરા સાંજના ત્રણેક કલાક રિક્ષાની પોતાની કમાણી જતી કરે છે. ગૃહિણી હસુમતીબહેન ઑફિસ પૂરી કરીને ઘર તરફ દોટ મૂકવાને બદલે, રિક્ષામાં નિશાળે પહોંચે છે. તેમના પતિ સંજયભાઈ સાંજના ત્રણેક કલાક કૅબનું બુકિન્ગ લેતા નથી. તેને બદલે, ભણવા આવનારાં બાળકોમાંથી કેટલાંકને વાનમાં શાળાએ લઈને આવે છે, અને રાત્રે મૂકી જાય છે. તે કહે છે: ‘આ બધાં બે કિલોમીટર દૂરથી આવે છે, રસ્તા ઓળંગવામાં જોખમ રહે છે. રાત્રે અંધારું હોય છે.’ બાળકો ‘મુસ્લિમ, રાવળ, ભરવાડ, મરાઠી, ઠાકોર’ સમાજનાં છે એવી માહિતી હસુમતીબહેન આપે છે. પાકાં પૂંઠાંનાં રજિસ્ટરોમાં નોંધાયેલાં નામો સાથે કાલિયા, ખાવડિયા, પનારા, પવાર, પારધી, પિંજારા, બજાણિયા જેવી અટકો દેખાય છે. દરરોજ બાકાયદા હાજરી લેવાય છે. ગેરહાજર રહેનારને ઘરે પહેલાં સંદેશો જાય છે અને પછી હસુમતીબહેન જાય છે.

ગુજરાતી સાથે બી.એ. થયેલાં હસુમતીબહેન કહે છે : ‘આમાં કન્ટિન્યુઇટી બહુ જરૂરી છે. મારે મા-બાપ સાથે સતત સંપર્ક રાખીને તેમને સમજાવતાં રહેવું પડે છે કે બાળકોને શાળાએ મોકલો, નહીં તો એમની જિંદગી પણ તમારી જેમ મજૂરીમાં જશે. બાળકોને ઘરે ઘરે જઈને બોલાવી લાવવાં પડે.’ આવું કરનારા ગામડાંની સરકારી શાળાઓનાં શિક્ષકો દિલીપ રાણપુરાના ‘શિક્ષકકથાઓ’ પુસ્તકમાં મળે છે. તેમાં તો ભાંગી-તૂટી પણ પણ એક શાળા હોય છે. અહીં તો છાપરું પણ અક્ષરશ: નથી, અને છતાં હસુમતીબહેન બાળકોને ભેગાં કરી-કરીને ભણાવે છે. તેમને આ મિશનમાં કબીરાએ જોડ્યા છે.

કબીરા ધંધુકાની નજીકના સરવાડ ગામમાં સફાઈકામ કરતાં પરિવારના  છે. ત્યાં ત્રણ ચોપડી ભણ્યા, પણ મા-બાપ સાથે મજૂરી મેળવવા ગાંધીનગર આવ્યા. પહેલાં સફાઈ કામ કર્યું, પછી છૂટક મજૂરી કરી, ‘પંદરસો રૂપિયા ભરીને’ ડૃાઇવિન્ગ શીખ્યા, ‘ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં 2010 થી પાંચ વર્ષ દરરોજના એકસો સત્તર રૂપિયા પગારે રોજમદાર  ડૃાઇવર’ રહ્યા. એ નોકરી છૂટી અને કબીરા બેકાર થયા. 2015માં રિક્ષા લાવ્યા અને એ જ વર્ષે એપ્રિલમાં શાળા શરૂ કરી. સુઘડ વ્યક્તિત્વ અને સંસ્કારી વર્તન ધરાવતાં ચોંત્રીસ વર્ષના કબીરા કારણ આપે છે : ‘મારું ભણવાનું છૂટી ગયું હતું. પણ મને થયું કે મારી જેમ બીજાનું ન થવું જોઈએ. મને ખબર છે કે લગભગ બધાં બાળકોને શાળા ઉપરાંત ટ્યૂશન કે કોચિન્ગ ક્લાસની જરૂર પડે છે. પણ ગરીબ મા-બાપ પાસે તેના માટે પૈસા હોતા નથી.’ એટલે તેમણે શાળા શરૂ કરવાનું નક્કી કર્યું.

તેમાં તેમનાં જ ડિપાર્ટમેન્ટમાં કૉમ્પ્યુટર ઑપરેટર તરીકે કામ કરતાં હસુમતીબહેન અને તેમનાં પતિ સંજયભાઈને સામેલ કર્યા. જગ્યા નક્કી થઈ તે કબીરાનાં, પાણી અને લાઇટ વિનાનાં, મકાનની બહાર, એક ઝાડ અને બત્તીના થાંભલાની નીચે. પ્રસન્ન વ્યક્તિત્વનાં હસુમતીબહેન સતત આવે છે. તેમની મોટી દીકરી જાહ્નવી તેની બી.એસ્સી.ની કૉલેજનાં ગ્રુપ સાથે અનુકૂળતા મુજબ અંગ્રેજી ભણાવવા આવે છે. તેની આઠમામાં ભણતી બહેન ઝરણાં ઘણી વાર આવે છે. અહીંની વિદ્યાર્થિનીઓ સાથે તેનાં બહેનપણાં દેખાય છે. ભાવનાબહેન નામનાં એક શિક્ષક ક્યારેક આવે છે. વીરેન્દ્ર મોદી ગયાં એકાદ મહિનાથી નિયમિત આવે છે. તે કાંકરેજ તાલુકાના સિહોરી ગામની સરકારી શાળાના પૂર્વ શિક્ષક છે. દલિત ચળવળ સાથે સંકળાયેલા ઘનશ્યામભાઈ કબીરા, મનોજભાઈ સાકરિયા અને મનોજભાઈ મકવાણા જુદાજુદા પ્રકારે મદદ કરતા રહે છે. તેમાં જમીન, વીજળી અને પાણી માટે સરકારમાં રજૂઆતો આવી જાય છે. મદદ તરીકે એક ટ્રસ્ટ તરફથી કૂલર મળ્યું છે, પણ પાણીનું જોડાણ જ નથી. ગયા શનિવારે ગાંધીનગરના પાર્થભાઈ, પ્રશાન્તભાઈ અને સાથીઓ આ વરસાદમાં આ આકાશી શાળાને ઢાંકવા માટે પ્લાસ્ટિકની તાડપત્રી આપી ગયા. તેમના પછી એક અધિકારી સજોડે આવ્યા. તેમણે પણ લાઇટ માટેની મદદની ખાતરી આપી. પણ એકંદરે સહાય જૂજ છે. લોકોને શાળા વિશેની માહિતી, તેના સમય સાતત્ય અને તેના નિસ્વાર્થ કામનાં પ્રમાણમાં, ઘણી ઓછી છે.

શિક્ષણ ઉપરાંતનાં કેટલાંક કામ પણ નોંધપાત્ર  છે. જેમ કે, મજૂર પગી પુનાભાઈ ભરવાડની દીકરી કિંજલનો એક પગ જન્મથી વાંકો હતો, તે માંડ ચાલી શકતી હતી. શાળાએ પોલિયો ફાઉન્ડેશનની મદદ લઈને તેના પગનું ઑપરેશન કરાવીને તેને સારી રીતે ચાલતી કરી. કિરણ નામનાં એક બાળકની હાલત હાથનાં પરુને કારણે ચિંતાજનક થઈ ગઈ હતી. કબીરા અને સાથીઓએ તેને  સિવિલ હૉસ્પિટલમાં તાત્કાલિક સારવાર અપાવી. ગયા મહિને ડૉક્ટર કલ્પેશ પરીખ અહીં મેડિકલ કૅમ્પ કરી ગયા. દીપક અને મોહમ્મદને હૃદયના વાલ્વની તકલીફ છે, તેમની સારવાર માટેની કોશિશો શરૂ થઈ ચૂકી છે. ખુશીમાં એ કે શાળામાં આવતી વિધિ અને કૃપાલીએ ગરબામાં રાજ્ય કક્ષાનું ઇનામ મેળવ્યું છે. શાળાનાં ઘણાં બાળકો ‘જય ભીમ !’ બોલતાં થયાં છે. ડૉ. ભીમરાવનો વિશ્વવિખ્યાત સંદેશ છે ‘ભણો-સંગઠિત થાઓ-સંઘર્ષ કરો!’ તેમાંથી ભણતરનો સક્રિય ફેલાવો શ્રી જય ભીમ વિવિધલક્ષી ટ્રસ્ટની શાળાના સમાજસુધારકો અસાધારણ નિસબતથી કરી રહ્યાં છે. બુધવારે આવતા શિક્ષક દિને સમાજે તેમની કદર કરવાની છે.

********

29 ઓગસ્ટ 2018

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 31 અૉગસ્ટ 2018

Loading

...102030...3,0113,0123,0133,014...3,0203,0303,040...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved