Opinion Magazine
Number of visits: 9685946
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનોખી શૈલીના ચિત્રકાર તરીકે તેમ જ આસ્વાદ્ય પદ્ધતિના વાર્તાકાર તરીકે જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ સદા સ્મરણીય રહેશે

સુમન શાહ|Opinion - Opinion|19 October 2018

શબ્દ, સૂર ને રંગ-રેખા સિવાય જીવનનાં દારુણ દુ:ખોમાંથી આપણને કોણ ઉગારી શકે એમ છે…

વ્યથિત છું. જિજ્ઞેશ બ્રહ્મભટ્ટનું અવસાન થયું છે. જન્મ ૫-૫-૧૯૭૨, અવસાન ૧૨-૧૦-૨૦૧૮. ઍમ.એ.માં મારો વિદ્યાર્થી હતો. વાર્તાકાર. ચિત્રકાર. સહજાનન્દ કૉલેજમાં ગુજરાતી સાહિત્યનો અધ્યાપક. એની પત્ની શ્રદ્ધાને, પંખી-પરી દીકરીઓને કે મમ્મી કાન્તાબહેનને એમના આ દોહ્યલા સમયમાં રૂ-બ-રૂ નહીં મળ્યાનો મને વસવસો છે. અમેરિકા જેટલે દૂરનો વિદેશવસવાટ કારમો થઇ પડ્યો છે.

૪૬-૪૭ની ઉમ્મર કંઇ મરવા માટેની ન ગણાય. એને અસાધ્ય રોગ લાગુ પડેલો – જેમાં, ક્રમે ક્રમે બધાં અંગ લકવાગ્રસ્ત થઇ જતાં હોય છે. પાંચેક વર્ષ જિજ્ઞેશ અને સ્વજનો એની સામે ઝઝૂમ્યાં. જમણા હાથની હથેળીથી શરૂઆત થયેલી – જે હાથે એ સુન્દર ચિત્રો કરતો'તો, વાર્તાઓ લખતો'તો. ધીમેધીમે બોલવાનું અશક્યવત્ થઇ ગયેલું – જે મુખેથી એ વાર્તાપઠન કરતો'તો, વાર્તાઓનાં વાચિકમ્ અને વ્યાખ્યાનો કરતો'તો. છેલ્લે તો માત્ર સાંભળી શકતો'તો. એનાથી બોલાય નહીં પણ વાર્તાની બે સારી વાત સાંભળે એટલે મલકી પડે. અનોખી શૈલીના ચિત્રકાર તરીકે તેમ જ આસ્વાદ્ય પદ્ધતિના વાર્તાકાર તરીકે જિજ્ઞેશ સદા સ્મરણીય ગણાશે. એના અવસાનથી એક સાચા સર્જકનો વિલય થયો છે. એના પ્રથમ વાર્તાસંગ્રહ 'મહોરાં-ની વાર્તાકલા વિશે થોડીક વાતો કરીને હું જિજ્ઞેશને શ્રદ્ધાંજલિ અર્પું છું.

'મહોરાં'-માં એણે વાંદરાભાઇનું વિલક્ષણ પાત્ર સરજયું છે. એને કેન્દ્રમાં રાખીને પાંચ વાર્તાઓ લખી છે. આપણને લુચ્ચા શિયાળની કે ફુલણજી કાગડાની બોધકથાઓની ખબર છે. આ વાંદરાભાઇ પણ એવા જ છે. માણસની જેમ જ વર્તે છે. પણ કશો બોધ આપવા નથી આવ્યા. વાર્તા કહેનારા કથકની વાતો કરવા આવ્યા છે. કથકના અન્તરંગ મિત્ર છે. આમ તો, આ કથક તે આપણા દરેકનો 'હું' અને વાંદરાભાઈ તે આપણી અંદર બેઠેલો એક બીજો 'હું' જે આપણને હરદમ જોતો રહેતો હોય છે. પહેલા હું-નો સાક્ષી. ચુકાદા સુણાવ્યા કરતો જજ પણ ખરો. વાર્તાઓ આવું બધું ચિન્તનાત્મક નથી કહેતી. જિજ્ઞેશ આપણને વાર્તાકલાના સૌન્દર્યનો નિર્વ્યાજ આનન્દાનુભવ કરાવે છે.

જરા ડોકિયું કરીએ : મેં કહ્યું કે વાંદરાભાઈ માણસની જેમ જ વર્તે છે. પણ કેવી રીતે? સાંભળો : 'મહોરાં' નામની વાર્તામાં એઓશ્રી એક ચિત્રકાર છે. સ્થિતિસંજોગ પ્રમાણેના કથકને ચહેરા બનાવી આપે છે. બીમાર ચહેરો. ભોળો માસૂમ ચહેરો. કથક ડરતો હોય, કથકને હિમ્મત બતાવવાની કે ખોટો રૉફ છાંટવાની કે હસવાનો ડૉળ કરવાની જરૂરતો પડી હોય – એવા કોઇ પણ પ્રસંગે વાંદરાભાઈ સેવાતત્પર. કથક એ ચહેરાઓને પોતાનાં મહોરાં રૂપે વાપરી શકે. 'ભ્રાન્તિ'-માં વાંદરાભાઈ ખલનાયક છે. મીનાક્ષી અને ઉલ્લાસના પ્રેમ-પરિણયમાં દખલગીરી કરે છે. 'નગરચર્યા'-માં રૂપાળા મહારાજશ્રી છે ને 'રાજા રાજા' રમે છે. 'સુન્દરીલોકમાં !'-માં બ્યૂિટ-કૉન્ટેસ્ટના સૂત્રધાર છે. સુન્દરીઓના ઍન્ટ્રન્સ-ટેસ્ટ લે છે. જ્યૂરર પણ ખરા. એક શીર્ષક વિનાની વાર્તામાં એઓ રંગમંચ – કાર્યોના આસિસ્ટન્ટ છે, પરદા બાંધે છે. એમાં, બધી લીલા પોતે નથી કરતા, કથક પાસે કરાવે છે, નેપથ્યમાં સરકી ગયેલા મુત્સદ્દી લાગે છે. વગેરે.

જુઓ, દરેક મનુષ્યની અંદર એક વાંદરો વસે જ છે. અંદરની કોઇ ડાળે બેઠેલો જ છે. કરો ઈશારો, હૂપ્ કરતોક હાજર થશે. જિજ્ઞેશના વાંદરાભાઈ વાર્તા કહેવાની એક જુક્તિ રૂપે રજૂ થયા છે, કથાજુક્તિ – નૅરેટિવ ડિવાઈસ. હકીકતે, એ આપણા મન-મર્કટના સગાસ્નેહી છે અને આપણી નાનીમોટી બનાવટો માટેનું મહોરું પણ છે. સાહિત્યની કલા આમે ય એક મહોરું જ છે. મહોરું પ્હૅરી લઇએ ને જેમ આનન્દ આવે એમ કલાનો અનુભવ મેળવીએ એટલે પણ આનન્દ આવે. પણ મહોરું હટાવી લઇએ એટલે જી-વ-નની અસલિયતનો પણ એટલો જ તીવ્ર અહેસાસ થાય.

આ વાર્તાસંગ્રહમાં મનુષ્યના વિવિધ ચહેરાઓનાં જિજ્ઞેશે પોતે દોરેલાં ચિત્રોની પ્રિન્ટ્સ મૂકી છે. પાંચ વાર્તાઓની શ્રેણી અને આ ચિત્રશ્રેણી એકબીજાંની પૂરક છે. ચિત્રો કશી રૂપાળી વ્યક્તિઓના સ્કૅચીસ નથી. જીવનસંઘર્ષમાં તરડાઈ-મરડાઈને વિકૃત થઇ ગયેલા મનુષ્ય-ચહેરાઓ છે, જે એમનાં મહોરાં બની ગયાં છે. જોવાથી જ ખ્યાલ આવે. વાચકો કથક અને વાંદરાભાઈનો મેળ પાડવાની મજા લઇ શકે છે એ રીતે ચિત્રો જોનારાઓ આ બન્ને શ્રેણી વિશે મજાની મથામણ કરી શકે છે. મને યાદ છે, એ ચિત્રો જિજ્ઞેશે પૅકિન્ગમાં વપરાતાં રફ ટૅક્ષચરવાળાં પૂંઠાં પર દોરેલાં. મેં પૂછેલું : આ જળવાશે શી રીતે? પૂંઠાં તો બટકાઈ જાય : તો કહે : ભલે ને, સર; આમે ય ચિત્રોને આપણે ત્યાં કોણ સાચવે છે ! : એ ચિત્રોનું એણે ઍક્ઝિબિશન પણ કરેલું .. એક જ શૈલી એક જ પ્રકાર અને એક જ ઉપાદાનથી ઊભી થયેલી એ ચિત્રશ્રેણી જિજ્ઞેશની કારકિર્દી સંદર્ભે ઘણી નોંધપાત્ર હતી. મને કલ્પના આવે છે કે એને સ્વાસ્થ્યભર્યું જીવવા મળ્યું હોત તો સાર્થક પ્રયોગોના ચિત્રકાર રૂપે એ કેટલો બધો વિકસી આવ્યો હોત.

આશ્વાસન એ છે કે બન્ને દીકરીઓ, પંખી ૧૬-ની અને પરી ૧૪-ની, ચિત્રકાર છે, ગાયક છે. પંખીએ Exalted અને પરીએ The War of Darakof નવલકથાઓ અંગ્રેજીમાં લખી છે, પ્રકાશિત છે. વિદેશી ગીતો પણ ગાય છે. લાગે જ નહીં કે કોઇ ભારતીય-ગુજરાતી છોકરી ગાઇ રહી છે. YouTube પર પરીને Free me… ગાતી સાંભળો (Sia – cover by Pari, from Lyrebirds). જિજ્ઞેશની જીવનસંગિની શ્રદ્ધા નૃત્યાંગના પણ છે. એણે અહોરાત એની પારાવારની સેવા કરી છે. જિજ્ઞેશનું ન-જેવું બોલ્યું ય સમજી શકતી. એટલે મેં એને જિજ્ઞેશની આત્મકથા લખવા કહેલું. હવે એમ કહું છું કે શ્રદ્ધા એમના દામ્પત્યજીવનની સ્મૃિતકથા લખે. પત્ની અને પુત્રીઓ વડે જિજ્ઞેશનું કલાસ્વપ્ન સમ્પન્ન થશે. શબ્દ, સૂર ને રંગ-રેખા સિવાય જીવનનાં દારુણ દુ:ખોમાંથી આપણને કોણ ઉગારી શકે એમ છે…

જિજ્ઞેશની અન્ય વાર્તાઓનું કે 'કંઇ પણ બની શકે' સંગ્રહની બદલાયેલી વાર્તાસૃષ્ટિનું તેમ જ એના સમગ્ર વિશ્વનું મૂલ્યાંકન કરી શકાય એવી એમાં ક્ષમતા છે. જિજ્ઞેશે ટ્રૅકિન્ગ કે બર્ડવૉચિન્ગ નિમિત્તે ત્રણ સ્થળોએ ડાયરી લખી છે – ડેલહાઉસી, આબુ અને કુલુમનાલી. એમાં ચિત્રો છે, શબ્દો છે. જિજ્ઞેશનાં ચિત્રો ઘણું 'કહે' છે; શબ્દો ઘણું 'દેખાડે' છે. વાર્તાઓને એની ચિત્રકલાનો લાભ મળ્યો છે, સાથોસાથ, વાર્તાકલાને ભાષાભવનમાં એ ભણતો'તો એ દરમ્યાનના આધુનિક વિશ્વસાહિત્યનો પણ લાભ મળેલો છે. મને એણે એક વાર કહેલું : સર, કંટાળાજનક વર્ગવ્યાખ્યાન વખતે હું સ્કૅચીસ કરતો રહું છું : હું ધારું છું કે મારાં વ્યાખ્યાનોમાં એને એમ કરવાની જરૂર નહીં પડી હોય. એને એટલે સ્તો મારી પાસે સુરેશ જોષીની કલ્પનસૃષ્ટિ વિશે પીએચ.ડી. કરવાનો મનસૂબો જાગેલો. ઘણી બધી નોંધો કરી લાવેલો. પણ શી ખબર, દિશા બદલાઇ હશે કે શું તે દેખાય નહીં એટલે દૂર જતો રહેલો. જો કે વર્ષો પછી પાછો ફરેલો. "સુરેશ જોષી સાહિત્યવિચાર ફૉરમ"-માં જોડાઇને એણે એક સશક્ત વાર્તાસર્જક રૂપે ગજું કાઢેલું. હવે કદ્દીયે પાછા ફરાય નહીં એટલે દૂર ચાલી ગયો છે ત્યારે આપણે તો એની કલાસૃષ્ટિની સન્નિકટ રહી જ શકીએ છીએ…

===

૧૯/૧૦/૨૦૧૮ના રોજ ‘નવગુજરાત સમય' દૈનિકમાં પ્રકાશિત લેખ, પ્રેસના સૌજન્યથી, અહીં મૂક્યો છે.

https://www.facebook.com/suman.shah.94/posts/2164950110202557  

Loading

ડૉ. પ્રકાશ આમટે : એક પરિચય

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|19 October 2018

ગૂજરાત વિદ્યાપીઠનાં 65મા પદવીદાન સમારંભ [18 અૉક્ટોબર 2018] માટે લખાયેલો લેખ. આ અવસરે દીક્ષાન્ત પ્રવચન ડૉ. પ્રકાશ આમટેને આપવાનું હતું, અને એમનો પરિચય લખી આપવાનું ગૂજરાત વિદ્યાપીઠે મને સોંપેલું. − સંજય શ્રીપાદ ભાવે

ડૉ. પ્રકાશ આમટે ગયાં ચૂંવાળીસ વર્ષથી, પૂર્વ મહારાષ્ટ્રના ગડચિરોલી જિલ્લામાં આવેલાં દુર્ગમ એવાં હેમલકસા નામનાં પંથકના, ખૂબ અભાવગ્રસ્ત આદિવાસીઓને વિનામૂલ્યે તબીબી સેવા પૂરી પાડવાનું કામ કરી રહ્યા છે. તેમની સાથે તેમનાં તબીબ પત્ની ડૉ. મંદા આમટે પણ સમાન રીતે કાર્યરત છે. આમટે દંપતીનું કામ ‘લોક બિરાદરી’ નામની સંસ્થાના નેજા હેઠળ ચાલે છે. સમયાંતરે ‘લોક બિરાદરી’એ આદિવાસીઓ માટે સારવાર અને આરોગ્યને લગતી સેવામાંથી વિસ્તરીને શિક્ષણ, જળસંચય, ગ્રામવિકાસ કાર્યક્રમ, આવક-નિર્માણ ઉપક્રમો અને પ્રાણીઓનાં અનાથાલય જેવાં ક્ષેત્રોને પણ આવરી લીધાં છે. ‘લોક બિરાદરી’માં આમટે દંપતીનાં બે સમર્પિત પુત્ર, પુત્રવધૂઓ અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓનો મોટો ફાળો  છે.

આમટે દંપતીનાં કાર્યને બિરદાવવા માટે ફ્રાન્સ પાસે આવેલા મૉનેકો નામના દેશે ‘શ્વાઇટઝર કપલ ઑફ ઇન્ડિયા’ નામની ટપાલ-ટિકિટ 1995માં બહાર પાડી હતી. ડૉ. પ્રકાશ આમટેને  ભારત સરકારે 2002માં પદ્મશ્રી ઇલ્કાબથી નવાજ્યા. તદુપરાંત આ દંપતીને ફિલિપાઇન્સનો વિખ્યાત રૅમન મૅગસેસે અવૉર્ડ (2008) પણ મળ્યો છે. તેમને આ વર્ષે સ્વાતંત્ર્યદિને મધ્યપ્રદેશની સરકારે સમાજસેવા પુરસ્કાર એનાયત કર્યો છે. ડૉ. પ્રકાશ આમટેને સાઠ કરતાં વધુ સન્માન મળ્યાં છે. તેમની પર મરાઠીમાં 2014માં  જીવનચારિત્રાત્મક ફીચર ફિલ્મ બની છે. તાજેતરમાં આમટે દંપતીને આખા દેશે ‘કૌન બનેગા કરોડપતિ’ માં પણ જોયું છે.

આમટે દંપતીને મળેલો મૅગસેસે એવૉર્ડ ડૉ. પ્રકાશના પિતા અને વિશ્વવિખ્યાત કુષ્ટરોગ સેવક બાબા આમટેને 1985માં મળ્યું હતું. બાબા આમટે કુષ્ટરોગીઓ માટે કામ શરૂ કરતાં પહેલાં, ગાંધીજીની પ્રેરણાથી મહારાષ્ટ્રના નાગપુર પાસે આવેલાં વરોડા ગામમાં દલિતો માટે કામ કરતા હતા. એ જ વરોડામાં 26 ડિસેમ્બર 1948ના દિવસે પ્રકાશનો જન્મ થયો. તેમના જન્મ પછી થોડાક સમયમાં બાબા આમટેએ વરોડા પાસે એક ઉજ્જડ જગ્યાએ ‘મહારોગી સેવા સમિતિ’ સંસ્થા સ્થાપીને કુષ્ટરોગીઓ માટેનું કામ શરૂ કર્યું. આ જગ્યા, પછીનાં વર્ષોમાં, ‘આનંદવન’ તરીકે  દેશ અને દુનિયામાં પ્રખ્યાત બની. પણ પ્રકાશનાં બાળપણમાં એ વેરાન વગડો હતો. ત્યાં સાપ-વીંછીં ઉપરાંત ચિત્તા અને રાનડુક્કર જેવાં શ્વાપદ પણ હતાં. ત્યાં પ્રકાશ અને તેમનાથી સવા વર્ષ મોટા ભાઈ વિકાસનો એક કાચા ઝૂંપડામાં ઉછેર થયો. બાબા અને માતા સાધનાતાઈની સેવારત છત્રછાયા હતી, કુષ્ટરોગીઓનો સહવાસ હતો અને તેમને મદદ કરનારનો સાથ હતો. ખોરાક, પૈસા, સગવડો  અને માનવવસ્તી બહુ ઓછાં હતાં.

બંને ભાઈઓને કરકરસર અને મહેનત કરવાની, પડકાર ઝીલીને સાહસ ખેડવાની, વંચિતો વચ્ચે જ રહીને તેમને માટે ઘસાઈ છૂટવાની ગળથૂથી મળી. બંનેને એક સાથે એક જ ધોરણમાં શાળાએ બેસાડી શકાયા. તેઓ ચોથા ધોરણ સુધી વરોડાની મ્યુિનસિપલ સ્કૂલમાં અને અગિયારમા સુધી ત્યાંના નેતાજી વિદ્યાલયમાં ભણ્યા. આનંદવનમાં જ બાબા આમટેએ નવી શરૂ કરેલી કૉલેજમાં ઇન્ટર સાયન્સમાં સારા માર્ક આવતાં બંને ભાઈઓને નાગપુરની સરકારી મેડિકલ કૉલેજમાં પ્રવેશ મળ્યો. વિકાસનો ઝુકાવ એન્જિનિયરિંગ તરફ વધુ હતો, પણ બંને ભાઈઓ એક જ જ્ગ્યાએ ભણે તો ખર્ચ ઓછું આવે અને આનંદવનને ડૉક્ટરોની જરૂર હતી એવી ગણતરીએ બંને મેડિકલના અભ્યાસમાં જોડાયા. એ જ વર્ષોમાં બંનેનાં મનમાં એ વિચાર પાકો થઈ રહ્યો હતો કે ભણતર પૂરું કર્યાં બાદ બાબાને કુષ્ટરોગીઓનાં કામમાં મદદ કરવી. એમાં ય તેમના અભ્યાસના આખરી તબક્કાનાં વેકેશનમાં બાબા આખા પરિવારને આનંદવનથી અઢીસો કિલોમીટર પર આવેલાં ગાઢ જંગલોવાળા ભામરાગઢ વિસ્તારમાં લઈ ગયા અને અહીં ખૂબ ખરાબ હાલતમાં જીવતાં માડિયા ગોંડ આદિવાસીઓ વચ્ચે કામ કરવાનો નિર્ણય જાહેર કર્યો. તરત જ પ્રકાશે  ‘હું તમારી સાથે જોડાઈશ’ એવો નિર્ણય જાહેર કરી દીધો. છપ્પન વર્ષના બાબાએ મહારોગી સેવા સમિતિનું એક એકમ ભામરાગઢમાં ઊભું કરવા માટે સરકારમાં તજવીજ શરૂ કરી. આ બાજુ પ્રકાશ-વિકાસે  એમ.બી.બી.એસ. પૂરું કર્યું.

ડૉક્ટર બન્યા પછી પ્રકાશે નાગપુરની મહાત્મા ગાંધી મેડિકલ કૉલેજમાં સર્જરી વિભાગમાં હાઉસ જૉબ લીધી. ત્યાં જ ઍનેસ્થેિશયાના અભ્યાસક્રમમાં ડૉ. મંદાકિની દેશપાંડે વિદ્યાર્થી હતાં. તેઓ નાગપુરની સરકારી મેડિકલ કૉલેજમાં એમ.બી.બી.એસ. દરમિયાન પ્રકાશ કરતાં બે વર્ષ સિનિયર હતાં. પણ બંનેનો ભાગ્યે જ પરિચય હતો. ગાંધી કૉલેજમાં પરિચય થયો જે પ્રેમમાં ફેરવાયો. પ્રકાશની ભામરાગઢની પસંદગી એ કપરા ભાવિ જીવનની ખાતરી છે એની પૂરેપૂરી જાણ હોવા છતાં પણ, ડૉ. મંદાકિનીએ તેમની સાથે આનંદવનમાં બહુ જ સાદાઈથી લગ્ન કર્યાં. ગાંધી મેડિકલ કૉલેજમાં પ્રકાશનું પોસ્ટ ગ્રૅજ્યુએશન ચાલુ હતું, અને મંદાબહેનને ગવર્નમેન્ટ આયુર્વેદિક કૉલેજમાં નોકરી મળી. એ દરમિયાન મહારોગી સેવા સમિતિને ભામરાગઢનાં હેમલકસા ગામમાં જગ્યા મળી એટલે પ્રકાશ અનુસ્નાતક અભ્યાસ છોડી દઈને માર્ચ 1974માં  હેમલકસા પહોંચ્યા અને વર્ષને આખરે મંદાબહેન પહોંચ્યાં. તેના એક વર્ષ પહેલાં તો બાબાએ હેમલકસામાં ‘આનંદવન’ના કેટલાક કાર્યકર્તાઓ અને સાજા થઈ રહેલા કુષ્ટરોગીઓને લઈને કામ શરૂ કરી દીધું હતું. પણ કામના સ્થળે કશું જ ન હતું. પીવાનું પાણી અને છાપરું પણ નહીં. વીજળીનો તો સવાલ જ નહીં. બે કિલોમીટર દૂરનાં નાળામાંથી પાણી ભરી લાવવું પડતું. પ્રકાશ અને સાથીઓએ જાત મહેનતથી શેડ, પછી ઝૂંપડાં અને કાચા રસ્તા બનાવ્યાં. વરસાદ એટલો બધો કે જૂનથી ડિસેમ્બર દુનિયા સાથેનો સંપર્ક  છૂટી જાય. બારે ય મહિના સીધું-સામાન વિકાસ આમટે આનંદવનથી ટ્રકમાં ખૂબ જોખમી રસ્તો કાપીને લાવતા. હેમલકસામાં દરેક કાર્યકર્તાને દોઢસો રૂપિયા પગાર મળતો. પ્રકલ્પ પર જ જમવાનું, પણ ભાણાંમાં શું હશે તેનાં ઠેકાણાં નહીં. પરિવાર સાથે સંપર્ક લગભગ અશક્ય. મંદાતાઈના પહેલા દીકરા દિગંતના ઑગસ્ટમાં આનંદવનમાં થયેલાં જન્મના સમાચાર હેમલકસા તેના પિતાને મળતાં એક મહિનો લાગ્યો અને પિતાને દીકરા સુધી પહોંચવા માટે ચાર દિવસનો ખતરનાક વરસાદી પ્રવાસ કરવો પડ્યો.

જોખમો અને હાડમારી કરતાં વધુ પીડાકારક બાબત બીજી હતી – આદિવાસીઓ તેમની તરફ ફરકતા પણ નહીં. આમ તો તેઓ હંમેશાં મેલેરિયા અને સેરેબ્રલ મેલેરિઆ, એનિમિયા અને કસુવાવડનો ભોગ બનતાં. ઝાડ પરથી પડી જવાથી ફ્રૅક્ચર થતાં, સાપ-વીંછી કરડતાં, રીંછ અને મધમાખીઓના હુમલા થતા. પણ તેઓ સારવાર માટે ભૂવા પાસે જતા. અંધશ્રદ્ધા ઉપરાંત ભાષા એ મોટો અવરોધ હતો. પણ એક બનાવથી મડાગાંઠ ઉકલી. તાપણાની બાજુમાં સૂતો એક છોકરો ખેંચ આવવાથી ચાળીસ ટકા દાઝી ગયો. ભૂવાની સારવાર છતાં જખમોમાં કીડા પડ્યા. આખરી ઉપાય તરીકે ડૉ. પ્રકાશ પાસે લાવવામાં આવતાં એ છોકરો એકાદ મહિનામાં બિલકુલ સાજો થઈ ગયો. એક વખત ભૂવાની છોકરી દાક્તરી ઇલાજથી બચી. પછી લોકો ધીમે ધીમે આવતા થયા. ઇલાજ માટે થોડીક દવાઓ, થોડાં પુસ્તકો અને તબીબી અભ્યાસ દરમિયાન મેળવેલ જ્ઞાન સિવાય કશું હતું નહીં. ગોળીઓ, ઇન્જેક્શન, બાટલા, પાટા – આ બધું કરકસરથી વાપરવું પડતું. લોહી-પેશાબની ચકસણી કે એક્સ-રે જેવી સગવડો તો છોડો, વીજળી ય ન હતી. તાલીમ પામેલ નર્સો આવે નહીં, અને આવે તો ય તેમનો પગાર પોષાય નહીં. બે ડૉકટરો અને કાર્યકર્તાઓ જ બધું કરે. બધાંએ બહુ ચીવટથી માડિયા ભાષા કામ પૂરતી શીખી લીધી. ધીમે ધીમે હેમલકસાએ એમને સ્વીકાર્યા, દરદીઓ આવતા થયા. સ્વીસ એઇડ સંસ્થાએ સામે ચાલીને કરેલી ઠીક મોટી મદદથી દવાખાનાં અને રહેઠાણ માટે પાકાં મકાન, બોરવેલ જેવી સગવડો ઊભી થવા માંડી.

અલબત્ત, કામનો ફેલાવો વધવાની સાથે કસોટીના પ્રસંગો પણ વધવા લાગ્યા. રીંછે જેનો ચહેરો ફાડી ખાધો હોય એવા દરદીને ફાનસના અજવાળે દોઢસો ટાંકા લઈને સાજો કર્યો. કુપોષિત માનો સુવાવડ દરમિયાન જીવ બચે તે માટે આડું આવેલું બાળક કાપીને બહાર કાઢવું પડ્યું. વાંસની સળેખડી પેટમાં જતાં જેનું આતરડું બહાર નીકળી ગયું હોય તેવી બાળકીની સારવાર કરી. રસ્તામાં જ મળેલાં એક દરદીનું ગુમડું ત્યાં જ ફોડીને તેમાંથી અરધો લીટર પરુ કાઢ્યું. એક વખત કૉલેરાનો રોગ એટલી બધી તીવ્રતાથી ફાટી નીકળ્યો કે થોડાક કલાકોમાં ત્રણસો જેટલા દરદીઓ દવાખાને આવ્યા. દિવસ-રાત મહેનત છતાં કેટલાક દરદીઓ બચી ન શક્યા. હતાશાના આવા પ્રસંગો આવતા રહેતા. ડૉ. પ્રકાશ અને ડૉ. મંદા ધીરજ, સૂઝ, આત્મવિશ્વાસ અને કુશાગ્ર બુદ્ધિથી કામ કરતાં રહ્યાં. એટલે સ્ત્રીરોગ, હાડકાં, દાંત, આંખ એમ અનેક વ્યાધિઓમાં છેક ઑપરેશન સુધીની સારવાર અભાવોની વચ્ચે પણ અસાધારણ સફળતાથી કરી. તેમણે કાર્યકર્તાઓને તાલીમ આપીને મેડિકલ સબ-સેન્ટર્સ ઊભાં કર્યાં.

આર્થિક મદદ વધતી ગઈ એટલે દવાઓનો જથ્થો અને સગવડો પણ વધારી શકાઈ. સમય જતાં નાગપુરના તબીબો હેમલકસામાં ઑપરેશન માટેનાં કૅમ્પ કરવા લાગ્યા. આજે લોકબિરાદરી પચાસ પથારીવાળી અદ્યતન સુવિધાઓવાળી હૉસ્પિટલમાં ધરાવે છે. દર વર્ષે હજારેક ગામડાંનાં પિસ્તાળીસ હજાર જેટલા દરદીઓ સારવાર લે છે. તેમાં મહારાષ્ટ્ર ઉપરાંત છત્તીસગઢ અને આંધ્રપ્રદેશનાં ગામડાંનો પણ સમાવેશ થાય છે. લોકબિરાદરીની તબીબી પાંખનું તમામ કામ અત્યારે આમટે દંપતીનાં પુત્ર ડૉ. દિગંત અને તેમની સાથે સભાનતાપૂર્વક લગ્ન કરીને આવેલાં ડૉ. અનઘા સંભાળે છે. તેમણે શરૂ કરેલાં ‘કમ્યુિનટી હેલ્થ પ્રોગ્રામ’ શરૂ કર્યો છે. તેમાં 26 ગામોમાં છ સ્વાસ્થ્ય કેન્દ્રો બારસો પરિવારોની સાડા છ હજાર વ્યક્તિઓને આવરી લે છે. તાલીમ પામેલા આરોગ્યકર્મીઓ દરદીઓને સાદી બીમારીઓમાં પ્રાથમિક સારવાર પૂરી પાડે છે. તદુપરાંત ગામડાંના લોકો સર્પદંશના કિસ્સામાં ઝેરી-બિનઝેરી સાપ પારખી શકે તે માટે સ્નેક આઇડેન્ટિફિકેશન કિટ પણ પૂરી પાડવામાં આવે છે.

લોકબિરાદરી આદિવાસીઓની બિલકુલ વચ્ચે છે. એટલે શહેરી વેપારીઓ કૉન્ટ્રાક્ટરો થકી જંગલ પેદાશોની ખરીદીમાં અદિવાસીઓને ખૂબ છેતરતા તે દેખાતું હતું. એ અટકાવવા માટે આદિવાસીઓને શિક્ષણ આપવું જરૂરી હતું એટલે ડૉ. પ્રકાશ અને સાથીઓએ શિક્ષણક્ષેત્રે પ્રવેશ કર્યો. માંડ માંડ ચાલતી સરકારી શાળાઓના વિકલ્પે લોક બિરાદરીના ઉપક્રમે શાળાઓ શરૂ કરી. નિષ્ઠાવાન કાર્યકરોએ માડિયા બોલી અને મરાઠી પાઠ્યપુસ્તકો બંનેનો મેળ પડે તેવી શિક્ષણ પદ્ધતિ અભ્યાસપૂર્વક વિકસાવી. સ્થાનિકોની શિક્ષણવિમુખતાને ભણતર માટેના ઉજમમાં પલટાવી. શાળા અને છાત્રાલય માટે પણ સહાય મળી. લોક બિરાદરીની શાળામાં 1976ની પહેલી બૅચમાં ભણેલા વિદ્યાર્થીઓમાંથી પાંચ ડૉક્ટર બન્યા. પછીનાં વર્ષોમાં સફળતાનો  સિલસિલો ચાલુ રહ્યો. વિદ્યાર્થીઓ શિક્ષક, ફૉરેસ્ટ ગાર્ડ, વકીલ બનતા રહ્યા છે. રમતગમતમાં પણ શાળા અનેક સિદ્ધિઓ મેળવતી રહી છે. એક ઝાડ નીચે ચાર વિદ્યાર્થીઓથી શરૂ થયેલી શાળામાં આજે બાર ધોરણ અને 650 વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ છે, જેમાંથી મોટાભાગનાં સંસ્થાના જ છાત્રાલયમાં રહે છે. તદુપરાંત સંસ્થા હેમલકસાથી પચીસ કિલોમીટર દૂર સાધના વિદ્યાલય ચલાવે છે. જ્યાં વાહનવ્યવહારની નહીંવત સગવડ છે તેવાં આઠ ગામડાંના અતિવંચિત આદિવાસીઓનાં બાળકો અહીં સાક્ષરતા મેળવે છે.

લોક બિરાદરીની વિસ્તરણ પ્રવૃત્તિ(એક્સટેન્શન ઍક્ટિવિટીઝ)માં વાંસમાંથી બનાવેલી હસ્તકલાની વસ્તુઓ બનાવવા માટેની તાલીમ, નિર્માણ, વિપણન અને વેચાણ દ્વારા આદિવાસીઓને પગભર કરવાની કોશિશ કરવામાં આવે છે. ડેરી અને મરઘાંઉછેર પણ લોક બિરાદરીને સહાયરૂપ થાય છે. આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ ગણાતાં મહુઆનો દારુના વ્યસનમાં દુરુપયોગ થતો. લોક બિરાદરીએ મહુઆનાં ફૂલોના પાવડરની સાથે અંબાડીની ભાજી, તેલ અને સિંગદાણા ભેળવીને બનાવેલ લાડુ આદિવાસી બાળકો માટે પોષક સામગ્રી બનવા ઉપરાંત લોકોમાં પણ જાણીતા થયા છે. તેનું ઉત્પાદન મહિલા ગૃહઉદ્યોગ તરીકે વિકાસ પામ્યું છે. વિલેજ ડેવલેપમેન્ટ પ્રોગ્રામ હેઠળ બાર ગામમાં લોકભાગીદારીથી તળાવ બનાવીને જળસંચયનું મોટું કામ થયું છે. લોક બિરાદરી તબીબી શાખાઓ સિવાયની મોટા ભાગની પ્રવૃત્તિઓ આમટે દંપતીનાં નાના ચિરંજીવી અનિકેત અને તેનાં પત્ની સમીક્ષા સંભાળે છે. ‘લોક બિરાદરી’ની પડખે સતત અડીખમ ઊભું છે તે આનંદવન. ત્યાં પણ ડૉ. વિકાસ આમટે, બાબા આમટેના કુષ્ટરોગ ઇલાજ, નિવારણ અને પુનર્વસનના કામને અસાધારણ ઊંચાઈએ લઈ ગયા છે. તેમાં તેમનાં પત્ની ડૉ. ભારતી આમટે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પુત્ર કૌસ્તુભ અને પુત્રી ડૉ. શીતલ પણ જોડાયેલાં છે. ડૉ. વિકાસે પણ મરાઠીમાં ‘આનંદવન પ્રયોગવન’ નામે સંસ્થાકથા લખી છે.

ડૉ. પ્રકાશ આમટેના વ્યક્તિત્વનું એક અનોખું પાસું છે તે તેમનો પ્રાણીપ્રેમ. પોતાને ત્યાં તેમણે સંખ્યાબંધ જંગલી પ્રાણીઓને ઉછેર્યાં અને સાચવ્યાં છે. તેમાંથી ઘણાં આદિવાસીઓના હુમલામાં ઘવાયેલા કે આદિવાસીઓએ તેમને ભેટ આપેલાં છે. હેમલકસામાં એક નાનકડો પ્રાણીબાગ પણ છે, જે ‘આમટેઝ ઍનિમલ આર્ક’ તરીકે ઓળખાય છે. પ્રકાશભાઈએ દીપડાની બે પેઢીને પોતાનાં ઘરમાં ઉછેરી ચૂક્યા છે. માદા રીંછ અને વાનરને પોતાનાં સંતાનની જેમ મોટાં કર્યાં છે. તેમણે બચાવેલાં-ઉછેરેલાં ઝેરી સાપ, મગર, શાહુડી, હરણ અને અન્ય પ્રાણીઓની યાદી લાંબી થાય. તેમના પ્રાણીબાગ પર સરકારી તવાઈ આવી ત્યારે તેમણે પદ્મશ્રી સન્માન પાછું આપી દેવાની તૈયારી બતાવી હતી. પ્રાણીઓનાં ઉમદાપણા અને તેમની તરફ જોવાના આપણા નજરિયાને બદલવાની જરૂરિયાત વિશે ડૉ. પ્રકાશે ‘રાનમિત્ર’ (2013) નામનું પુસ્તક પણ લખ્યું છે.

ડૉ.પ્રકાશ આમટેએ મરાઠીમાં લખેલી આત્મકથા ‘પ્રકાશવાટા’(2009)માં ‘લોક બિરાદરી’ના કાર્યને ‘જગન્નાથનો રથ’ ગણાવીને લગભગ તેમાં દરેક જગ્યાએ નાનો-મોટો સહયોગ આપનાર સહુને કૃતજ્ઞતાપૂર્વક યાદ કર્યા છે. ડૉ. મંદા આમટેએ મૅગસેસે સન્માનના સ્વીકાર-વ્યાખ્યાનમાં નોંધ્યું છે કે ‘અસંસ્કારી લગતા ‘માડિયા-ગોંડ આદિવાસીઓએ ‘સંસ્કારી દુનિયાએ શીખવા જેવા ગુણ વિકસાવ્યા છે’. તેઓ ચોરી, લૂંટફાટ, બળાત્કાર અને કન્યાભ્રૂણહત્યા કરતા નથી. તેઓ માને છે કે ‘સમૃદ્ધિથી ઓચાઈ ગયેલી’ નવી પેઢી ‘ગરીબ અને પૈસાદારો વચ્ચે વધતી જતી ખાઈ’ અંગે સભાન છે અને તેના ‘અજંપાને સહેજ સરખા રસ્તે વાળવાની જરૂર છે’. તેમણે એમ પણ કહ્યું કે ‘દૂરના આદિવાસી વિસ્તારોમાં બદલાવની બહુ ધીમી ગતિ જોઈને પીડા થાય છે.’

ડૉ. પ્રકાશે આત્મકથાના સમાપનમાં લખ્યું છે : ‘અમારે હજુ ઘણું કરવાનું બાકી છે.આદિવાસી હવે આઝાદ થઈ રહ્યો છે, પણ એને કોઈ બહારથી આવીને મદદ કરવાની જરૂર ન પડે એટલો તે સ્વાવલંબી અને સ્વતંત્ર થાય એવી અમારી ઇચ્છા છે.’   

*******

30 સપ્ટેમ્બર 2018 

ગૂજરાત વિદ્યાપીઠના 65મા પદવી સમારંભને આવરતો વીડિયો :

https://www.youtube.com/watch?time_continue=51&v=4cNL23luBqY

Loading

તારા વિના શ્યામ મને એકલડું લાગે

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|18 October 2018

હૈયાને દરબાર

તારા વિના શ્યામ મને એકલડું લાગે આ ગરબાની લોકપ્રિયતા દેશદેશાવરમાં કેટલી બધી છે એ કહેવાની જરૂર નથી. પરંતુ આ સુંદર ગરબો જેમણે લખ્યો અને કમ્પોઝ કર્યો છે એનું નામ તો મોટા ભાગના ગુજરાતીઓ માટે સાવ અજાણ્યું જ છે. આ ગરબો એટલી હદે લોકપ્રિય થયો છે કે એના પ્રભાવમાં ગરબાના ગીતકાર – સંગીતકાર કોણ છે એ જાણવાનો ય કદી વિચાર આવ્યો નહીં કોઈને! તમે ગમે તેટલું મગજ કસો તો ય ખ્યાલ નહીં આવે કે આ ગરબાના રચયિતા કોણ છે. એ જીનિયસ કલાકાર છે વડોદરાના વિનોદ આયંગર.

આયંગર અટક વાંચીને તમને નવાઈ લાગશે પણ હા, આ તમિળભાષી એટલે કે એક બિનગુજરાતીએ આ લાજવાબ ગરબાની રચના કરી છે. આમ તો એ પોતે બહુ સારા વાયોલિનવાદક છે પરંતુ, સિત્તેરના દાયકામાં રાગ આહિર ભૈરવમાં એમણે આ ગરબાની ધૂન બેસાડી. આ કલાકારે એવી જાદુઈ ધૂન સર્જી કે પ્રગટ થતાં જ હજારોના દિલમાં દીવો કરી ગઈ.

"આહિર ભૈરવ મારો ખૂબ પ્રિય રાગ છે. ગુજરાતી મારી ભાષા ન હોવા છતાં મને આ ભાષામાં ગરબો લખવાનો વિચાર આવ્યો કારણ કે આમ તો હું વડોદરાનો, ગુજરાતનો જ છું એટલે જન્મભૂમિ-કર્મભૂમિ ગુજરાત જ. એક દિવસ અચાનક ગરબાના શબ્દો ઉતારવા માંડ્યા, જેને મઠારવામાં મારા મિત્ર રાહુલ તિવારીએ મને મદદ કરી.” કહે છે ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતા વિનોદ આયંગર. "રાગ આહિર ભૈરવ પર આધારિત મન્ના ડેએ ગાયેલું પૂછો ના કૈસે મૈંને રૈન બિતાઈ .. ગીતનો મારા પર બહુ પ્રભાવ હતો એટલે એ રાગને લઈને ગરબો કમ્પોઝ કરવો એમ વિચાર્યું. ૧૯૮૦માં પહેલી વાર અતુલ પુરોહિતે આ ગરબો ગાયો અને ઈન્સ્ટન્ટ હિટ થઈ ગયો. તારા વિના શ્યામ ..ને અત્યંત લોકપ્રિય કરવામાં અતુલભાઇનો મોટો ફાળો છે. પછી તો દરેક નવરાત્રિનું એ અવિભાજ્ય અંગ બની ગયો હતો. સાવ સહજ રીતે તેઓ કહે છે.

એમ.એસ. યુનિવર્સિટીના સ્નાતક વિનોદ આયંગરે સંગીત વિશારદ કર્યું છે અને ગરબા સહિત ઘણા કાર્યક્રમોમાં વાયોલિન વગાડે છે. તેઓ કહે છે કે, "મારી મા કર્ણાટક સંગીતનાં કલાકાર છે. એમના આગ્રહથી મેં વાયોલિન શીખવાનું શરૂ કર્યું. મ્યુિઝકમાં ખૂબ મજા આવવા લાગી. જો કે ડી.જે. કલ્ચરને કારણે ગરબો એનું મૂળ સ્વરૂપ ગુમાવી રહ્યો છે એનું મને દુ:ખ છે, કહે છે વિનોદભાઈ. એમની વાત સાથે આપણે સહમત થવું જ પડે. ડી.જે. કલ્ચરને લીધે સોસાયટીઓમાં નાને પાયે થતાં ગરબા અને ગૃહિણીઓનું ઇન્વોલ્વમેન્ટ સાવ ઘટી ગયાં છે. પહેલાં સાચી રે મારી સત રે ભવાનીના ગરબા ગવાતા હતા, હવે સંજય ભણસાલીના ગરબા ગવાય છે. જો કે એમનાં માતા લીલા ભણસાલી ગરબાનાં બહુ જ સારા કોરિયોગ્રાફર છે એટલે સ્વાભાવિક છે કે સંજયના લોહીમાં પણ ગરબા ઘૂમતા હોય. અલબત્ત, પ્રાચીન ગરબાનું માહાત્મ્ય ઘટવું ન જ જોઈએ. એટલે પાંચ દસ હજારના ગ્રાઉન્ડમાં કાલા કૌઆ કાટ ખાયેગા કે પછી નગાડા સંગ ઢોલ બાજે ભલે ગવાતાં હોય પણ નાગર ગૃહિણીઓએ ગરબાની પરંપરા સચવાઇ રહે એ માટે બેઠા ગરબા દ્વારા પ્રાચીન ગરબાઓને જીવંત રાખ્યા છે. ગુજરાત અને મુંબઈમાં તો આ ગરબા થાય જ છે પરંતુ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ નાગરોએ બેઠા ગરબાની પરંપરા સાચવી રાખી છે.

————————————

પ્રજ્ઞાચક્ષુ કન્યાઓ દ્વારા ગરબાની રજૂઆત

ગાય તેનો ગરબો ને ઝીલે તેનો ગરબો
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે
ઘૂમે એનો ગરબો ને ઝૂમે તેનો ગરબો
સૂર્ય ચંદ્ર ગરબો ને ઋતુઓ પણ ગરબો
દિવસ પણ ગરબો અને રાત પણ ગરબો
સંસ્કૃિત ગરબો ને પ્રકૃતિ ગરબો … ગરબો ગુજરાતની

વાંસળી છે ગરબો ને મોરપીંછ ગરબો
ગરબો મતિ છે સહમતિ છે ગરબો
વીરનો ય ગરબો અમીરનો એ ગરબો … ગરબો ગુજરાતની

ગરબો સતી છે ને ગરબો ગતિ છે
ગરબો નારીની ફૂલની બિછાત છે,
ગરબો જીવનની હળવી નિરાંત છે
કાયા પણ ગરબો ને જીવ પણ ગરબો .. ગરબો ગુજરાતની.

• કવિ : નરેન્દ્ર મોદી  • સંગીતકાર : બિંદુ ત્રિવેદી  • ગાયિકા : ઐશ્વર્યા મજમુદાર અને અમી પરીખ

ટૅક્નોલૉજીનો ફાયદો એ છે કે હવે દુનિયાના કોઈ પણ ખૂણે થતી પ્રવૃત્તિની જાણ આપણા સુધી આસાનીથી પહોંચી શકે છે. હમણાં જ એક સરસ વીડિયો જોવા મળ્યો જેમાં આપણા માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલો એક લયકારી ગરબો અમદાવાદની પ્રજ્ઞાચક્ષુ બાળાઓએ રજૂ કર્યો.

દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો પર ક્લાસ વન ઑફિસર રહી ચૂકેલાં આ ગરબાના સ્વરકાર અને કોરિયોગ્રાફર બિંદુ ત્રિવેદી કહે છે, "નરેન્દ્ર મોદીનાં ઊર્મિ કાવ્યોને સ્વરબદ્ધ કરી મેં થોડા સમય પહેલાં ‘ધનભાગ ’ આલબમ બહાર પાડ્યું હતું પરંતુ મને માત્ર એ કવિતાઓ સ્વરબદ્ધ કરવા ઉપરાંત પણ કંઈક વિશેષ કરવાની ઇચ્છા હતી. મેં અમદાવાદના અંધજન મંડળનો સંપર્ક સાધી, અંધ કન્યા વિદ્યાલયની કન્યાઓ પાસે આ ગરબો કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી. અંધ કન્યા પ્રકાશ ગૃહના ટ્રસ્ટીએ તરત પરવાનગી આપી દીધી. દીકરીઓનો ઉત્સાહ પણ સાતમા આસમાને હતો કારણકે એમણે ક્યારે ય ગરબો કે નૃત્ય કર્યાં જ નહોતા. એમની હોંશ કોણ પૂરી કરે? દરરોજ સાંજે સઘન તાલીમ આપી ગરબાનું પ્રોડક્શન કરી વહેતો મૂક્યો કે તરત જ વાયરલ થઇ ગયો હતો.

નરેન્દ્ર મોદી સાહેબે આ સંદર્ભે ખુશી વ્યક્ત કરતું ટ્વિટ પણ કર્યું હતું. દ્રષ્ટિહીન કન્યાઓને સ્ટેપ શીખવાડવા એમની શાળાના સમયને બાદ કરીને તાલીમ આપવી એ અઘરું તો હતું જ પણ મને ખૂબ આનંદ છે કે આ દીકરીઓની હોંશ પૂરી થઈ. એટલું જ નહીં સાતથી બાર વર્ષની નાનકડી અંધ કન્યાઓએ પણ ગરબા શીખવાની ઉત્સુકતા દર્શાવતાં અમે હેમા દેસાઈએ ગાયેલો દીવાનો ગરબો આ નાનકડી દીકરીઓને પણ શીખવાડ્યો હતો. ગુજરાત ગૌરવ પુરસ્કાર મેળવી ચૂકેલાં બિન્દુબહેન હવે કૅન્સર જેવી બીમારીને મ્હાત આપીને હવે સંગીતને સમર્પિત છે. આ ગરબો અગાઉ દેવાંગ પટેલે પણ સ્વરબદ્ધ કર્યો હતો પણ આ વર્ષે નેત્રહીન કન્યાઓની પ્રસ્તુિતથી વધુ પ્રચલિત બન્યો.

ઉલ્લેખનીય છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવ દિવસ નવરાત્રિના ઉપવાસ રાખે છે, ૨૦૧૪માં જ્યારે તેઓ અમેરિકાની મુલાકાતે ગયા ત્યારે તેમણે માત્ર લીબું પાણીનું જ સેવન કરીને સભાઓ સંબોધી હતી, જેનાથી તે સમયના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા પણ ચોંકી ગયા હતા. છેલ્લાં ૪૦ વર્ષથી નવરાત્રિનું વ્રત કરનાર મોદીસાહેબે એમના બ્લોગમાં એકવાર જણાવ્યું હતું કે તેઓ આત્માના શુદ્ધિકરણ માટે ઉપવાસ કરે છે, અને આ વ્રત તેમને અપાર શક્તિ આપે છે. નવરાત્રી દરમ્યાન થતી અનુભૂતિને એમણે ‘સાક્ષીભાવ’ નામના તેમના પુસ્તકમાં ઊતારી છે.

દ્રષ્ટિહીન દીકરીઓએ રજૂ કરેલા આ ગરબાને જીવંત જોવાની અને ઐશ્વર્યાને કંઠે સાંભળવાની મજા અનેરી જ છે. માતાજીના ગોખનું અજવાળું અંધ કન્યાઓના જીવનમાં પથરાયું એનો વિશેષ આનંદ. નવરાત્રીની પૂર્ણાહુતિએ માતાજીની કૃપા સૌ પર સદૈવ વરસતી રહે એ જ શુભકામના.

—————————-

‘મી ટૂ’ મૂવમેન્ટ અને પરંપરાને આગળ ધપાવતા બેઠા ગરબા

શક્તિની ભક્તિના આ પર્વ વખતે શક્તિસ્વરૂપા સ્ત્રીઓની ‘મી ટુ’ મૂવમેન્ટ પણ વેગ પકડી રહી છે. માંધાતાઓના નામ એક પછી એક બહાર આવી રહ્યાં છે. પુરાવાઓ વિના કોઈ પણ સત્ય અર્ધસત્ય જ બની રહે છે, તેમ છતાં સ્ત્રીઓ હવે ખરેખર મા દુર્ગા બનીને પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહી છે એ મુદ્દો અવગણવા જેવો તો નથી જ.

આ વિષય પર ગહન ચર્ચા થઈ શકે પણ આપણો એ વિષય નથી એટલે અહીં આ વર્ષે જોવા મળેલા વૈવિધ્યપૂર્ણ ગરબાઓ વિષે થોડીક વાત કરવી છે. ઘણાં વર્ષે પહેલી વખત કેટલાક કવિઓ, જૂથો અને બહેનોએ ગરબાના અવનવા પ્રયોગો કર્યા એનાં વીડિયો જોઈ, ગરબા સાંભળીને ખરેખર નવાઈ લાગી. આશા પણ બંધાઈ કે આજના મુદ્દાઓને અથવા વિષયને આવરી લઈને ગરબાનું સર્જન નવી પેઢીને આકર્ષવા કરી શકાય છે એટલું જ નહીં, સામાજિક જાગૃતિ અને ગહન સંદેશ પણ બહેનોના મોટા વર્ગ સુધી પહોંચાડી શકાય છે.

ઈલા આરબ મહેતાની નિગરાની હેઠળ ‘લેખિની’ની બહેનોએ આ વર્ષે સ્ત્રીઓની સમસ્યાઓને વાચા આપતા ગરબા લખ્યાં અને એ ગરબે તેઓ ઘૂમ્યાં પણ ખરાં. મમતા પટેલનો આ ગરબો વાંચો : આંસુડા પી પી થાક્યાં મારી મહિયર, આંસુડા પી પી થાક્યાં રે લોલ, હવે રડીને નહીં બેસીએ મારી સહિયર, રડી રડીને નહીં બેસીએ રે લોલ ..! જાણીતાં કવયિત્રી ખેવના દેસાઇએ ‘મી ટુ’ના સમર્થનમાં એક ગરબો લખ્યો : વર્ષોનાં વહાણાં વાયાં પણ ઘાવ હજુ તાજા સાહેલડી, જાણ્યાં તે વખ કેવાં પાયા? કે ઘાવ હજુ તાજા સાહેલડી, સરખી સાહેલડીએ માંડી જ્યાં વાત, ત્યાં તો એક પછી એક જખમ ખૂલ્યા, શેહ ને શરમ કે હતો ભયનો ઓથાર, નહોતાં બોલ્યાં ને તો ય નહોતાં ભૂલ્યાં, માયા કહી ચૂંથી લો કાયા? કે ઘાવ હજુ તાજા સાહેલડી …!

તો બીજી બાજુ આપણા કેટલાક કવિઓ પણ સરસ નવા ગરબા લઈને આવ્યા. અમદાવાદના યુવાન સંગીતકાર નિશીથ મહેતાએ યુવા કલાકારોને સથવારે તુષાર શુક્લનો એક સુંદર ગરબો સ્વરબદ્ધ કર્યો તો અંકિત ત્રિવેદીનો લખેલો, તરવરાટ તરવરાટ નવલી નવરાત, તરવરાટ તરવરાટ ગરબે ઘૂમે છે માત, ખેલૈયા મુને રમવા દે … નામનો ગરબો રાગ મહેતા અને નયના શર્માના અવાજમાં આજકાલ અમદાવાદમાં ધૂમ મચાવી રહ્યો છે. અલબત્ત ૨૦મી શતાબ્દીના મધ્યમાં નારીવાદ જેવી પશ્ચિમી વિચારધારાએ ભારતમાં હજુ તો માંડ ડગ ભર્યાં હતા બરાબર તે જ ગાળામાં આપણા સુપ્રસિદ્ધ ગીતકાર – સંગીતકાર નિનુ મઝુમદાર દ્વારા આ પંક્તિઓમાં ભારતીય નારીનું અથવા શક્તિ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે : હે આવ્યાં આવ્યાં બ્રહ્માંડના ચોકે મહારાણી અંબા, ગરબે રમવાને માડી નિસર્યા, સર્જન બિંદુ માનું પ્રગટી ઘર-ઘરમાં સોહાય, દેવ રમે છે સઘળે, જ્યાં જ્યાં નારીઓ પૂજાય ..! સ્ત્રી સ્વાતંત્ર્ય કે સ્ત્રી સમાનતા જેવી સાંપ્રત નારીવાદી સંજ્ઞાઓ સદાકાળથી નાગર પરિવારોમાં પ્રસ્થાપિત રૂપે જોવા મળે છે. એનું ઉદાહરણ છે નાગર જ્ઞાતિમાં સ્ત્રી શિક્ષણ બાબતે જાગૃતિ અને સક્રિયતા.

મુંબઈમાં બેઠા ગરબા સૌપ્રથમ ૧૯૫૫ની આસપાસ શ્રી વડનગરા નાગર મંડળ, જેણે હમણાં જ ૧૦૮ વર્ષ પૂરાં કર્યાં એના નેજા હેઠળ શરૂ કરવામાં આવ્યા હતા. સુલેખા બક્ષી દ્વારા બેઠા ગરબાની શરૂઆત થઇ હતી અને અત્યારે વિલેપાર્લેના ગરબા છેલ્લા પંદરેક વર્ષથી રાજશ્રી ત્રિવેદી સંભાળે છે. મુંબઈના પરા અંધેરીમાં પણ પાંચ દાયકાથી નવરાત્રિની બપોરે ૩ થી ૫ દરમ્યાન અંધેરીની ‘નાગરાણીઓ’ જેમને અંધેરીની ‘મહારાણીઓ’ના હુલામણા નામથી સંબોધવામાં આવે છે એ નાગર મહિલાઓ માતાજીને ગમતાં સોળ શણગાર ને અવનવી સાડીઓ પહેરીને કર્ણપ્રિય ગરબાઓ સ્વકંઠે એક પછી એક ગાઈને જે ‘રમઝટ ’બોલાવે ત્યારે દૈવી વાતાવરણ સર્જાય છે. માનો સાક્ષાત્કાર થતો હોય એવી અનુભૂતિ થાય છે.

ગરબાઓની વિવિધતા અહીં ઉલ્લેખનીય છે. ગુજરાતી સંગીતજગતની સુપ્રસિદ્ધ સુરીલી, સૂર સાધક જોડી આશિત દેસાઈ-હેમાંગિની દેસાઈ દ્વારા રચિત જાણીતા સુમધુર અને ભાવપૂર્ણ ગરબાઓ અર્ચિતા મહેતા રજૂ કરે જ્યારે પ્રાચીન ગરબાઓ ધારિણી મહેતા, અવનિબહેન, જાગૃતિબહેન, જાહન્વી વૈષ્ણવ, મૈથિલી ઓઝા, પ્રીતિ દિવાનજીના કંઠે ખૂબ જ સરસ ગવાય અને ઝિલાય છે. નાગર સ્ત્રીઓમાં આ બેઠા ગરબાનું મહત્ત્વ એટલું બધું છે કે દરેક સ્ત્રી બપોરે ૩ થી ૫નો સમય માતાજીની આરાધના પાછળ ફાળવે છે. બોરીવલીનાં પૂર્ણાબહેન વૈદ્યને ત્યાં યોજાયેલા બેઠાં ગરબામાં વિલેપાર્લેની નાગર મહિલાઓ ખાસ બસ કરીને પહોંચી હતી.

બેઠા ગરબાની ખાસિયત એ છે કે લગભગ દરેક ગરબા ઉત્તમ સાહિત્ય કૃતિ સમાન હોય છે, શાસ્ત્રીય રીતે સ્વરબદ્ધ કરેલા હોય છે અને ઘણીવાર અઘરા પણ હોય છતાં, નાગર મહિલાઓ સુમધુર કંઠે ક્ષણના ય વિલંબ વિના એક પછી એક ગાતી હોય છે. કાંદિવલીમાં હરિપ્રિયાબહેન યાજ્ઞિકના ઘરે દર આઠમે બેઠા ગરબાનું આયોજન કરવામાં આવે છે. આમ કવિ વલ્લભ ભટ્ટથી આરંભ થયેલો ગરબો કવિ નાનાલાલ, એ પછીના કેટલાક આધુનિક કવિઓ તથા ગરવી ગૃહિણીઓ દ્વારા આજ સુધી પહોંચ્યો છે.

દરેક કોમમાં પણ ગરબા ગાવાની અને રમવાની પદ્ધતિઓ જુદી જુદી હોય છે. વડોદરાના ગરબામાં સુગમ સંગીતની છાંટ જોવા મળે છે અને ત્યાં દોઢિયું ઘણું લોકપ્રિય છે. અમદાવાદમાં પોપટિયુ, પંચિયુ આધુનિક વાદ્યો સાથે ખેલાય છે. કચ્છમાં જુદી જ રીતે રમાતા દાંડિયાનું મહત્ત્વ છે તો ઉત્તર ગુજરાતમાં પુરુષો ગરબી ખૂબ ગાય છે. મુંબઇનાં ગરબા કોરિયોગ્રાફર વંદના દેસાઈએ ગરબામાં વિશિષ્ટ પ્રયોગો કર્યા છે જેમાં, નિનુ મઝુમદારના ગરબા ઋતુરંગ, નવરસ અને રાષ્ટ્રીય એકતાના પ્રતીકનો પ્રયોગ ઉલ્લેખનીય છે. માનો ગરબો રે ઘૂમે રાજને દરબાર એ પરંપરાગત પંક્તિ લઈને બાકીની પંક્તિઓમાં ભારતના જુદા જુદા પ્રદેશો ગુજરાત, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, મણિપુર, બંગાળ ઇત્યાદિ આવરી લઈને એમણે આ ગરબો લખ્યો હતો. દરેક પ્રદેશને અનુરૂપ સંગીત નિયોજન અને સ્વરાંકન એમના પુત્ર ઉદય મઝુમદારે પણ ખૂબ સરસ કર્યું હતું. નિનુભાઈએ પતંગનો ગરબો પણ લખ્યો છે.

કાઠિયાવાડના ગરબા એક સરખી જોરદાર તાળીઓ, ઠેસ ને ચપટી લઈને લેવાય અને ધીમે ધીમે ગતિ વધારવામાં આવે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ત્યાંની ટિપિકલ બોલીમાં હાથમાં છત્રી રૂમાલ કે મોરપીંછ લઈને ગરબા ગવાય. કેટલાકને પ્રશ્ન થાય કે ગરબામાં રાધા-કૃષ્ણ, મીરાં કે અન્ય શબ્દો કેવી રીતે આવે? તો એનો જવાબ આ છે. અવિનાશ વ્યાસે એક ગરબો લખ્યો એમાં ગરબો કહે છે કે આકાશને ખોળે હું જન્મ્યો, જગદંબાએ હાલરડું ગાયું, દૂધગંગાએ દૂધ પીવડાવ્યું અને સ્વર્ગના અધિકારી શ્રી કૃષ્ણએ મને રાસ રમતાં શીખવ્યું. આથી ગરબાનું સ્વરૂપ કોઈ પણ હોઈ શકે. ફક્ત એમાં ગરબાનો ઠેકો, લય અને તાલનું સંયોજન સુંદર રીતે થયું હોવું જોઈએ. એટલે જ આજે ગાયકો ફિલ્મોનાં ગીતો પણ ગરબાના તાલે ગવડાવે છે. જેમ કે ફિલ્મ ‘રઈસ’નું, ઊડી ઊડી જાય કે ‘કાઈપો છે’નું હો શુભારંભ કે પછી સંજય લીલા ભણસાલીનું ઢોલી તારો ઢોલ બાજે જેવાં કોઈ પણ ગીતો ગરબા સ્વરૂપે ગાઈને લોકોને નચાવવામાં આવે છે. અરે, કહે દુ તુમ્હેં, ની સુલતાના રે જેવાં ગીતોના તાલે પણ લોકો ઝૂમે છે.

આમાં માતાજીની સ્તુિત ક્યાં આવી એવો પ્રશ્ન ન પૂછવો.

—————————————

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 18 અૉક્ટોબર 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=441068

Loading

...102030...3,0033,0043,0053,006...3,0103,0203,030...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved