ગૂજરાત વિદ્યાપીઠનાં 65મા પદવીદાન સમારંભ [18 અૉક્ટોબર 2018] માટે લખાયેલો લેખ. આ અવસરે દીક્ષાન્ત પ્રવચન ડૉ. પ્રકાશ આમટેને આપવાનું હતું, અને એમનો પરિચય લખી આપવાનું ગૂજરાત વિદ્યાપીઠે મને સોંપેલું. − સંજય શ્રીપાદ ભાવે
ડૉ. પ્રકાશ આમટે ગયાં ચૂંવાળીસ વર્ષથી, પૂર્વ મહારાષ્ટ્રના ગડચિરોલી જિલ્લામાં આવેલાં દુર્ગમ એવાં હેમલકસા નામનાં પંથકના, ખૂબ અભાવગ્રસ્ત આદિવાસીઓને વિનામૂલ્યે તબીબી સેવા પૂરી પાડવાનું કામ કરી રહ્યા છે. તેમની સાથે તેમનાં તબીબ પત્ની ડૉ. મંદા આમટે પણ સમાન રીતે કાર્યરત છે. આમટે દંપતીનું કામ ‘લોક બિરાદરી’ નામની સંસ્થાના નેજા હેઠળ ચાલે છે. સમયાંતરે ‘લોક બિરાદરી’એ આદિવાસીઓ માટે સારવાર અને આરોગ્યને લગતી સેવામાંથી વિસ્તરીને શિક્ષણ, જળસંચય, ગ્રામવિકાસ કાર્યક્રમ, આવક-નિર્માણ ઉપક્રમો અને પ્રાણીઓનાં અનાથાલય જેવાં ક્ષેત્રોને પણ આવરી લીધાં છે. ‘લોક બિરાદરી’માં આમટે દંપતીનાં બે સમર્પિત પુત્ર, પુત્રવધૂઓ અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓનો મોટો ફાળો છે.
આમટે દંપતીનાં કાર્યને બિરદાવવા માટે ફ્રાન્સ પાસે આવેલા મૉનેકો નામના દેશે ‘શ્વાઇટઝર કપલ ઑફ ઇન્ડિયા’ નામની ટપાલ-ટિકિટ 1995માં બહાર પાડી હતી. ડૉ. પ્રકાશ આમટેને ભારત સરકારે 2002માં પદ્મશ્રી ઇલ્કાબથી નવાજ્યા. તદુપરાંત આ દંપતીને ફિલિપાઇન્સનો વિખ્યાત રૅમન મૅગસેસે અવૉર્ડ (2008) પણ મળ્યો છે. તેમને આ વર્ષે સ્વાતંત્ર્યદિને મધ્યપ્રદેશની સરકારે સમાજસેવા પુરસ્કાર એનાયત કર્યો છે. ડૉ. પ્રકાશ આમટેને સાઠ કરતાં વધુ સન્માન મળ્યાં છે. તેમની પર મરાઠીમાં 2014માં જીવનચારિત્રાત્મક ફીચર ફિલ્મ બની છે. તાજેતરમાં આમટે દંપતીને આખા દેશે ‘કૌન બનેગા કરોડપતિ’ માં પણ જોયું છે.
આમટે દંપતીને મળેલો મૅગસેસે એવૉર્ડ ડૉ. પ્રકાશના પિતા અને વિશ્વવિખ્યાત કુષ્ટરોગ સેવક બાબા આમટેને 1985માં મળ્યું હતું. બાબા આમટે કુષ્ટરોગીઓ માટે કામ શરૂ કરતાં પહેલાં, ગાંધીજીની પ્રેરણાથી મહારાષ્ટ્રના નાગપુર પાસે આવેલાં વરોડા ગામમાં દલિતો માટે કામ કરતા હતા. એ જ વરોડામાં 26 ડિસેમ્બર 1948ના દિવસે પ્રકાશનો જન્મ થયો. તેમના જન્મ પછી થોડાક સમયમાં બાબા આમટેએ વરોડા પાસે એક ઉજ્જડ જગ્યાએ ‘મહારોગી સેવા સમિતિ’ સંસ્થા સ્થાપીને કુષ્ટરોગીઓ માટેનું કામ શરૂ કર્યું. આ જગ્યા, પછીનાં વર્ષોમાં, ‘આનંદવન’ તરીકે દેશ અને દુનિયામાં પ્રખ્યાત બની. પણ પ્રકાશનાં બાળપણમાં એ વેરાન વગડો હતો. ત્યાં સાપ-વીંછીં ઉપરાંત ચિત્તા અને રાનડુક્કર જેવાં શ્વાપદ પણ હતાં. ત્યાં પ્રકાશ અને તેમનાથી સવા વર્ષ મોટા ભાઈ વિકાસનો એક કાચા ઝૂંપડામાં ઉછેર થયો. બાબા અને માતા સાધનાતાઈની સેવારત છત્રછાયા હતી, કુષ્ટરોગીઓનો સહવાસ હતો અને તેમને મદદ કરનારનો સાથ હતો. ખોરાક, પૈસા, સગવડો અને માનવવસ્તી બહુ ઓછાં હતાં.
બંને ભાઈઓને કરકરસર અને મહેનત કરવાની, પડકાર ઝીલીને સાહસ ખેડવાની, વંચિતો વચ્ચે જ રહીને તેમને માટે ઘસાઈ છૂટવાની ગળથૂથી મળી. બંનેને એક સાથે એક જ ધોરણમાં શાળાએ બેસાડી શકાયા. તેઓ ચોથા ધોરણ સુધી વરોડાની મ્યુિનસિપલ સ્કૂલમાં અને અગિયારમા સુધી ત્યાંના નેતાજી વિદ્યાલયમાં ભણ્યા. આનંદવનમાં જ બાબા આમટેએ નવી શરૂ કરેલી કૉલેજમાં ઇન્ટર સાયન્સમાં સારા માર્ક આવતાં બંને ભાઈઓને નાગપુરની સરકારી મેડિકલ કૉલેજમાં પ્રવેશ મળ્યો. વિકાસનો ઝુકાવ એન્જિનિયરિંગ તરફ વધુ હતો, પણ બંને ભાઈઓ એક જ જ્ગ્યાએ ભણે તો ખર્ચ ઓછું આવે અને આનંદવનને ડૉક્ટરોની જરૂર હતી એવી ગણતરીએ બંને મેડિકલના અભ્યાસમાં જોડાયા. એ જ વર્ષોમાં બંનેનાં મનમાં એ વિચાર પાકો થઈ રહ્યો હતો કે ભણતર પૂરું કર્યાં બાદ બાબાને કુષ્ટરોગીઓનાં કામમાં મદદ કરવી. એમાં ય તેમના અભ્યાસના આખરી તબક્કાનાં વેકેશનમાં બાબા આખા પરિવારને આનંદવનથી અઢીસો કિલોમીટર પર આવેલાં ગાઢ જંગલોવાળા ભામરાગઢ વિસ્તારમાં લઈ ગયા અને અહીં ખૂબ ખરાબ હાલતમાં જીવતાં માડિયા ગોંડ આદિવાસીઓ વચ્ચે કામ કરવાનો નિર્ણય જાહેર કર્યો. તરત જ પ્રકાશે ‘હું તમારી સાથે જોડાઈશ’ એવો નિર્ણય જાહેર કરી દીધો. છપ્પન વર્ષના બાબાએ મહારોગી સેવા સમિતિનું એક એકમ ભામરાગઢમાં ઊભું કરવા માટે સરકારમાં તજવીજ શરૂ કરી. આ બાજુ પ્રકાશ-વિકાસે એમ.બી.બી.એસ. પૂરું કર્યું.
ડૉક્ટર બન્યા પછી પ્રકાશે નાગપુરની મહાત્મા ગાંધી મેડિકલ કૉલેજમાં સર્જરી વિભાગમાં હાઉસ જૉબ લીધી. ત્યાં જ ઍનેસ્થેિશયાના અભ્યાસક્રમમાં ડૉ. મંદાકિની દેશપાંડે વિદ્યાર્થી હતાં. તેઓ નાગપુરની સરકારી મેડિકલ કૉલેજમાં એમ.બી.બી.એસ. દરમિયાન પ્રકાશ કરતાં બે વર્ષ સિનિયર હતાં. પણ બંનેનો ભાગ્યે જ પરિચય હતો. ગાંધી કૉલેજમાં પરિચય થયો જે પ્રેમમાં ફેરવાયો. પ્રકાશની ભામરાગઢની પસંદગી એ કપરા ભાવિ જીવનની ખાતરી છે એની પૂરેપૂરી જાણ હોવા છતાં પણ, ડૉ. મંદાકિનીએ તેમની સાથે આનંદવનમાં બહુ જ સાદાઈથી લગ્ન કર્યાં. ગાંધી મેડિકલ કૉલેજમાં પ્રકાશનું પોસ્ટ ગ્રૅજ્યુએશન ચાલુ હતું, અને મંદાબહેનને ગવર્નમેન્ટ આયુર્વેદિક કૉલેજમાં નોકરી મળી. એ દરમિયાન મહારોગી સેવા સમિતિને ભામરાગઢનાં હેમલકસા ગામમાં જગ્યા મળી એટલે પ્રકાશ અનુસ્નાતક અભ્યાસ છોડી દઈને માર્ચ 1974માં હેમલકસા પહોંચ્યા અને વર્ષને આખરે મંદાબહેન પહોંચ્યાં. તેના એક વર્ષ પહેલાં તો બાબાએ હેમલકસામાં ‘આનંદવન’ના કેટલાક કાર્યકર્તાઓ અને સાજા થઈ રહેલા કુષ્ટરોગીઓને લઈને કામ શરૂ કરી દીધું હતું. પણ કામના સ્થળે કશું જ ન હતું. પીવાનું પાણી અને છાપરું પણ નહીં. વીજળીનો તો સવાલ જ નહીં. બે કિલોમીટર દૂરનાં નાળામાંથી પાણી ભરી લાવવું પડતું. પ્રકાશ અને સાથીઓએ જાત મહેનતથી શેડ, પછી ઝૂંપડાં અને કાચા રસ્તા બનાવ્યાં. વરસાદ એટલો બધો કે જૂનથી ડિસેમ્બર દુનિયા સાથેનો સંપર્ક છૂટી જાય. બારે ય મહિના સીધું-સામાન વિકાસ આમટે આનંદવનથી ટ્રકમાં ખૂબ જોખમી રસ્તો કાપીને લાવતા. હેમલકસામાં દરેક કાર્યકર્તાને દોઢસો રૂપિયા પગાર મળતો. પ્રકલ્પ પર જ જમવાનું, પણ ભાણાંમાં શું હશે તેનાં ઠેકાણાં નહીં. પરિવાર સાથે સંપર્ક લગભગ અશક્ય. મંદાતાઈના પહેલા દીકરા દિગંતના ઑગસ્ટમાં આનંદવનમાં થયેલાં જન્મના સમાચાર હેમલકસા તેના પિતાને મળતાં એક મહિનો લાગ્યો અને પિતાને દીકરા સુધી પહોંચવા માટે ચાર દિવસનો ખતરનાક વરસાદી પ્રવાસ કરવો પડ્યો.
જોખમો અને હાડમારી કરતાં વધુ પીડાકારક બાબત બીજી હતી – આદિવાસીઓ તેમની તરફ ફરકતા પણ નહીં. આમ તો તેઓ હંમેશાં મેલેરિયા અને સેરેબ્રલ મેલેરિઆ, એનિમિયા અને કસુવાવડનો ભોગ બનતાં. ઝાડ પરથી પડી જવાથી ફ્રૅક્ચર થતાં, સાપ-વીંછી કરડતાં, રીંછ અને મધમાખીઓના હુમલા થતા. પણ તેઓ સારવાર માટે ભૂવા પાસે જતા. અંધશ્રદ્ધા ઉપરાંત ભાષા એ મોટો અવરોધ હતો. પણ એક બનાવથી મડાગાંઠ ઉકલી. તાપણાની બાજુમાં સૂતો એક છોકરો ખેંચ આવવાથી ચાળીસ ટકા દાઝી ગયો. ભૂવાની સારવાર છતાં જખમોમાં કીડા પડ્યા. આખરી ઉપાય તરીકે ડૉ. પ્રકાશ પાસે લાવવામાં આવતાં એ છોકરો એકાદ મહિનામાં બિલકુલ સાજો થઈ ગયો. એક વખત ભૂવાની છોકરી દાક્તરી ઇલાજથી બચી. પછી લોકો ધીમે ધીમે આવતા થયા. ઇલાજ માટે થોડીક દવાઓ, થોડાં પુસ્તકો અને તબીબી અભ્યાસ દરમિયાન મેળવેલ જ્ઞાન સિવાય કશું હતું નહીં. ગોળીઓ, ઇન્જેક્શન, બાટલા, પાટા – આ બધું કરકસરથી વાપરવું પડતું. લોહી-પેશાબની ચકસણી કે એક્સ-રે જેવી સગવડો તો છોડો, વીજળી ય ન હતી. તાલીમ પામેલ નર્સો આવે નહીં, અને આવે તો ય તેમનો પગાર પોષાય નહીં. બે ડૉકટરો અને કાર્યકર્તાઓ જ બધું કરે. બધાંએ બહુ ચીવટથી માડિયા ભાષા કામ પૂરતી શીખી લીધી. ધીમે ધીમે હેમલકસાએ એમને સ્વીકાર્યા, દરદીઓ આવતા થયા. સ્વીસ એઇડ સંસ્થાએ સામે ચાલીને કરેલી ઠીક મોટી મદદથી દવાખાનાં અને રહેઠાણ માટે પાકાં મકાન, બોરવેલ જેવી સગવડો ઊભી થવા માંડી.
અલબત્ત, કામનો ફેલાવો વધવાની સાથે કસોટીના પ્રસંગો પણ વધવા લાગ્યા. રીંછે જેનો ચહેરો ફાડી ખાધો હોય એવા દરદીને ફાનસના અજવાળે દોઢસો ટાંકા લઈને સાજો કર્યો. કુપોષિત માનો સુવાવડ દરમિયાન જીવ બચે તે માટે આડું આવેલું બાળક કાપીને બહાર કાઢવું પડ્યું. વાંસની સળેખડી પેટમાં જતાં જેનું આતરડું બહાર નીકળી ગયું હોય તેવી બાળકીની સારવાર કરી. રસ્તામાં જ મળેલાં એક દરદીનું ગુમડું ત્યાં જ ફોડીને તેમાંથી અરધો લીટર પરુ કાઢ્યું. એક વખત કૉલેરાનો રોગ એટલી બધી તીવ્રતાથી ફાટી નીકળ્યો કે થોડાક કલાકોમાં ત્રણસો જેટલા દરદીઓ દવાખાને આવ્યા. દિવસ-રાત મહેનત છતાં કેટલાક દરદીઓ બચી ન શક્યા. હતાશાના આવા પ્રસંગો આવતા રહેતા. ડૉ. પ્રકાશ અને ડૉ. મંદા ધીરજ, સૂઝ, આત્મવિશ્વાસ અને કુશાગ્ર બુદ્ધિથી કામ કરતાં રહ્યાં. એટલે સ્ત્રીરોગ, હાડકાં, દાંત, આંખ એમ અનેક વ્યાધિઓમાં છેક ઑપરેશન સુધીની સારવાર અભાવોની વચ્ચે પણ અસાધારણ સફળતાથી કરી. તેમણે કાર્યકર્તાઓને તાલીમ આપીને મેડિકલ સબ-સેન્ટર્સ ઊભાં કર્યાં.
આર્થિક મદદ વધતી ગઈ એટલે દવાઓનો જથ્થો અને સગવડો પણ વધારી શકાઈ. સમય જતાં નાગપુરના તબીબો હેમલકસામાં ઑપરેશન માટેનાં કૅમ્પ કરવા લાગ્યા. આજે લોકબિરાદરી પચાસ પથારીવાળી અદ્યતન સુવિધાઓવાળી હૉસ્પિટલમાં ધરાવે છે. દર વર્ષે હજારેક ગામડાંનાં પિસ્તાળીસ હજાર જેટલા દરદીઓ સારવાર લે છે. તેમાં મહારાષ્ટ્ર ઉપરાંત છત્તીસગઢ અને આંધ્રપ્રદેશનાં ગામડાંનો પણ સમાવેશ થાય છે. લોકબિરાદરીની તબીબી પાંખનું તમામ કામ અત્યારે આમટે દંપતીનાં પુત્ર ડૉ. દિગંત અને તેમની સાથે સભાનતાપૂર્વક લગ્ન કરીને આવેલાં ડૉ. અનઘા સંભાળે છે. તેમણે શરૂ કરેલાં ‘કમ્યુિનટી હેલ્થ પ્રોગ્રામ’ શરૂ કર્યો છે. તેમાં 26 ગામોમાં છ સ્વાસ્થ્ય કેન્દ્રો બારસો પરિવારોની સાડા છ હજાર વ્યક્તિઓને આવરી લે છે. તાલીમ પામેલા આરોગ્યકર્મીઓ દરદીઓને સાદી બીમારીઓમાં પ્રાથમિક સારવાર પૂરી પાડે છે. તદુપરાંત ગામડાંના લોકો સર્પદંશના કિસ્સામાં ઝેરી-બિનઝેરી સાપ પારખી શકે તે માટે સ્નેક આઇડેન્ટિફિકેશન કિટ પણ પૂરી પાડવામાં આવે છે.
લોકબિરાદરી આદિવાસીઓની બિલકુલ વચ્ચે છે. એટલે શહેરી વેપારીઓ કૉન્ટ્રાક્ટરો થકી જંગલ પેદાશોની ખરીદીમાં અદિવાસીઓને ખૂબ છેતરતા તે દેખાતું હતું. એ અટકાવવા માટે આદિવાસીઓને શિક્ષણ આપવું જરૂરી હતું એટલે ડૉ. પ્રકાશ અને સાથીઓએ શિક્ષણક્ષેત્રે પ્રવેશ કર્યો. માંડ માંડ ચાલતી સરકારી શાળાઓના વિકલ્પે લોક બિરાદરીના ઉપક્રમે શાળાઓ શરૂ કરી. નિષ્ઠાવાન કાર્યકરોએ માડિયા બોલી અને મરાઠી પાઠ્યપુસ્તકો બંનેનો મેળ પડે તેવી શિક્ષણ પદ્ધતિ અભ્યાસપૂર્વક વિકસાવી. સ્થાનિકોની શિક્ષણવિમુખતાને ભણતર માટેના ઉજમમાં પલટાવી. શાળા અને છાત્રાલય માટે પણ સહાય મળી. લોક બિરાદરીની શાળામાં 1976ની પહેલી બૅચમાં ભણેલા વિદ્યાર્થીઓમાંથી પાંચ ડૉક્ટર બન્યા. પછીનાં વર્ષોમાં સફળતાનો સિલસિલો ચાલુ રહ્યો. વિદ્યાર્થીઓ શિક્ષક, ફૉરેસ્ટ ગાર્ડ, વકીલ બનતા રહ્યા છે. રમતગમતમાં પણ શાળા અનેક સિદ્ધિઓ મેળવતી રહી છે. એક ઝાડ નીચે ચાર વિદ્યાર્થીઓથી શરૂ થયેલી શાળામાં આજે બાર ધોરણ અને 650 વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ છે, જેમાંથી મોટાભાગનાં સંસ્થાના જ છાત્રાલયમાં રહે છે. તદુપરાંત સંસ્થા હેમલકસાથી પચીસ કિલોમીટર દૂર સાધના વિદ્યાલય ચલાવે છે. જ્યાં વાહનવ્યવહારની નહીંવત સગવડ છે તેવાં આઠ ગામડાંના અતિવંચિત આદિવાસીઓનાં બાળકો અહીં સાક્ષરતા મેળવે છે.
લોક બિરાદરીની વિસ્તરણ પ્રવૃત્તિ(એક્સટેન્શન ઍક્ટિવિટીઝ)માં વાંસમાંથી બનાવેલી હસ્તકલાની વસ્તુઓ બનાવવા માટેની તાલીમ, નિર્માણ, વિપણન અને વેચાણ દ્વારા આદિવાસીઓને પગભર કરવાની કોશિશ કરવામાં આવે છે. ડેરી અને મરઘાંઉછેર પણ લોક બિરાદરીને સહાયરૂપ થાય છે. આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ ગણાતાં મહુઆનો દારુના વ્યસનમાં દુરુપયોગ થતો. લોક બિરાદરીએ મહુઆનાં ફૂલોના પાવડરની સાથે અંબાડીની ભાજી, તેલ અને સિંગદાણા ભેળવીને બનાવેલ લાડુ આદિવાસી બાળકો માટે પોષક સામગ્રી બનવા ઉપરાંત લોકોમાં પણ જાણીતા થયા છે. તેનું ઉત્પાદન મહિલા ગૃહઉદ્યોગ તરીકે વિકાસ પામ્યું છે. વિલેજ ડેવલેપમેન્ટ પ્રોગ્રામ હેઠળ બાર ગામમાં લોકભાગીદારીથી તળાવ બનાવીને જળસંચયનું મોટું કામ થયું છે. લોક બિરાદરી તબીબી શાખાઓ સિવાયની મોટા ભાગની પ્રવૃત્તિઓ આમટે દંપતીનાં નાના ચિરંજીવી અનિકેત અને તેનાં પત્ની સમીક્ષા સંભાળે છે. ‘લોક બિરાદરી’ની પડખે સતત અડીખમ ઊભું છે તે આનંદવન. ત્યાં પણ ડૉ. વિકાસ આમટે, બાબા આમટેના કુષ્ટરોગ ઇલાજ, નિવારણ અને પુનર્વસનના કામને અસાધારણ ઊંચાઈએ લઈ ગયા છે. તેમાં તેમનાં પત્ની ડૉ. ભારતી આમટે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પુત્ર કૌસ્તુભ અને પુત્રી ડૉ. શીતલ પણ જોડાયેલાં છે. ડૉ. વિકાસે પણ મરાઠીમાં ‘આનંદવન પ્રયોગવન’ નામે સંસ્થાકથા લખી છે.
ડૉ. પ્રકાશ આમટેના વ્યક્તિત્વનું એક અનોખું પાસું છે તે તેમનો પ્રાણીપ્રેમ. પોતાને ત્યાં તેમણે સંખ્યાબંધ જંગલી પ્રાણીઓને ઉછેર્યાં અને સાચવ્યાં છે. તેમાંથી ઘણાં આદિવાસીઓના હુમલામાં ઘવાયેલા કે આદિવાસીઓએ તેમને ભેટ આપેલાં છે. હેમલકસામાં એક નાનકડો પ્રાણીબાગ પણ છે, જે ‘આમટેઝ ઍનિમલ આર્ક’ તરીકે ઓળખાય છે. પ્રકાશભાઈએ દીપડાની બે પેઢીને પોતાનાં ઘરમાં ઉછેરી ચૂક્યા છે. માદા રીંછ અને વાનરને પોતાનાં સંતાનની જેમ મોટાં કર્યાં છે. તેમણે બચાવેલાં-ઉછેરેલાં ઝેરી સાપ, મગર, શાહુડી, હરણ અને અન્ય પ્રાણીઓની યાદી લાંબી થાય. તેમના પ્રાણીબાગ પર સરકારી તવાઈ આવી ત્યારે તેમણે પદ્મશ્રી સન્માન પાછું આપી દેવાની તૈયારી બતાવી હતી. પ્રાણીઓનાં ઉમદાપણા અને તેમની તરફ જોવાના આપણા નજરિયાને બદલવાની જરૂરિયાત વિશે ડૉ. પ્રકાશે ‘રાનમિત્ર’ (2013) નામનું પુસ્તક પણ લખ્યું છે.
ડૉ.પ્રકાશ આમટેએ મરાઠીમાં લખેલી આત્મકથા ‘પ્રકાશવાટા’(2009)માં ‘લોક બિરાદરી’ના કાર્યને ‘જગન્નાથનો રથ’ ગણાવીને લગભગ તેમાં દરેક જગ્યાએ નાનો-મોટો સહયોગ આપનાર સહુને કૃતજ્ઞતાપૂર્વક યાદ કર્યા છે. ડૉ. મંદા આમટેએ મૅગસેસે સન્માનના સ્વીકાર-વ્યાખ્યાનમાં નોંધ્યું છે કે ‘અસંસ્કારી લગતા ‘માડિયા-ગોંડ આદિવાસીઓએ ‘સંસ્કારી દુનિયાએ શીખવા જેવા ગુણ વિકસાવ્યા છે’. તેઓ ચોરી, લૂંટફાટ, બળાત્કાર અને કન્યાભ્રૂણહત્યા કરતા નથી. તેઓ માને છે કે ‘સમૃદ્ધિથી ઓચાઈ ગયેલી’ નવી પેઢી ‘ગરીબ અને પૈસાદારો વચ્ચે વધતી જતી ખાઈ’ અંગે સભાન છે અને તેના ‘અજંપાને સહેજ સરખા રસ્તે વાળવાની જરૂર છે’. તેમણે એમ પણ કહ્યું કે ‘દૂરના આદિવાસી વિસ્તારોમાં બદલાવની બહુ ધીમી ગતિ જોઈને પીડા થાય છે.’
ડૉ. પ્રકાશે આત્મકથાના સમાપનમાં લખ્યું છે : ‘અમારે હજુ ઘણું કરવાનું બાકી છે.આદિવાસી હવે આઝાદ થઈ રહ્યો છે, પણ એને કોઈ બહારથી આવીને મદદ કરવાની જરૂર ન પડે એટલો તે સ્વાવલંબી અને સ્વતંત્ર થાય એવી અમારી ઇચ્છા છે.’
*******
30 સપ્ટેમ્બર 2018
ગૂજરાત વિદ્યાપીઠના 65મા પદવી સમારંભને આવરતો વીડિયો :
https://www.youtube.com/watch?time_continue=51&v=4cNL23luBqY