Opinion Magazine
Number of visits: 9579376
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાનુઆતુ નામના ખોબા જેવડા દેશના શાસકોએ નીરવ મોદી વિષે ભારતમાં તપાસ કરાવી તો ધ્યાનમાં આવ્યું કે આ ભાઈની ચાલચલગત બરોબર નથી અને મોટો કૌભાંડી છે, માત્ર આપણને તેની જાણ નહોતી. આવું બને?

રમેશ ઓઝા|Opinion - Opinion|15 September 2018

પ્રશાંત મહાસાગરમાં વાનુઆતુ નામનો એક દેશ છે એનું નામ સાંભળ્યું છે? નહીં સાંભળ્યું હોય, મેં પણ પહેલીવાર સાંભળ્યું. એ નાનાં-નાનાં ૮૦ ટાપુઓનો દેશ છે અને તેની કુલ વસ્તી બે લાખ ૭૦ હજાર છે. પંજાબ નેશનલ બેન્કને ૧૩ હજાર કરોડ રૂપિયામાં નવડાવીને નાસી ગયેલો નીરવ મોદી તો હીરાપારખુ છે, તેણે પ્રશાંત મહાસાગરમાં પડેલા આ હીરાને પારખી લીધો હતો. પંજાબ નેશનલ બેન્કનું કૌભાંડ જાહેર (પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે એમ) કરવામાં આવ્યું એના ત્રણ મહિના પહેલાં નીરવ મોદીએ વાનુઆતુનું નાગરિકત્વ ખરીદવાની તજવીજ કરી હતી.

આ જગતમાં એવા ઘણા દેશો છે જે ગુનેગારોનું આશ્રયસ્થાન છે. થોડી આડવાત કરી લઈએ. ભારત આઝાદ નહોતું થયું અને અંગ્રેજોનું રાજ્ય હતું ત્યારે આપણું કાઠિયાવાડ આવી ખ્યાતિ ધરાવતું હતું. બાપુઓનું રાજ હતું અને કુલ ૨૨૨ બાપુઓ પોતપોતાની રિયાસતોમાં કાઠિયાવાડમાં રાજ કરતા હતા. કાયદો અને વ્યવસ્થાનું નામ નહીં અને જેની લાઠી એની ભેંસ. બાપુઓ વહીવટી આવડત પણ ખાસ ધરાવતા નહોતા એટલે મહેસૂલી આવક થતી નહોતી. અમલદારો અને ભાયાતો વચ્ચેથી આવક ચાંવ કરી જતા હતા. આ સ્થિતિમાં દરબાર ગઢના ખર્ચા પણ નીકળતા નહોતા ત્યાં રૈયતનું કલ્યાણ તો બહુ દૂરની વાત છે.

આવી સ્થિતિમાં હિન્દુસ્તાનભરના ગુનેગારો કાઠિયાવાડમાં આવીને છુપાતા હતા. કોઈ બાપુઓને કે ભાયાતોને પૈસા આપતા હતા, કોઈ ગામ ભાંગીને ભાગ આપતા હતા અને કોઈ વેશપલટો કરીને બાવા બનીને જિંદગી વિતાવતા હતા. કાઠિયાવાડમાં સૌથી વધુ ધાર્મિક સ્થાનો (કાઠિયાવાડી ભાષામાં જગ્યાઓ) અને સદાવ્રતો છે એનું કારણ આ છે. દયાનંદ સરસ્વતીએ તો અત્યારે ભગવાન તરીકે પૂજાતા એક સાધુને ઉત્તર પ્રદેશમાં ગુનો કરીને કાઠિયાવાડમાં છુપાયેલા ગુનેગાર તરીકે ઓળખાવ્યા હતા. આજે પણ હિન્દુસ્તાનમાં જેટલા સાધુઓ છે તેના ૮૦ ટકા એકલા કાઠિયાવાડમાં નજરે પડશે.

વિરમગામ લાઈનદોરી જેવો શબ્દપ્રયોગ પણ તમારે કાને પડ્યો હશે. એ જમાનામાં વિરમગામથી મુંબઈ રાજ્ય શરૂ થતું હતું. બાપુઓની રેલવે વિરમગામ આવે ત્યારે મુંબઈ રાજ્યની પોલીસ રેલવે પ્લેટફોર્મ પર આડાં દોરડાં બાંધીને ઊભી રહી જાય અને કાઠિયાવાડમાંથી બ્રિટિશ ભારતમાં પ્રવેશવા માંગતા એકેએક જણની તપાસ કરવામાં આવે. ગાંજો, અફીણ, જમૈયો, તમંચો તો સાથે નથીને તેની તપાસ કરવામાં આવે. આ અપમાનજનક તપાસ ગાંધીજીના આવ્યા પછી તેમના પ્રયાસના કારણે બંધ થઈ હતી. જો કોઈ કાઠિયાવાડીનું જાડું વર્તણૂંક નજરે પડે તો તેને વાયા વિરમગામ તરીકે ઓળખાવવામાં આવતો.

ઓગણીસમી સદીમાં ભારતમાં જે સ્થાન કાઠિયાવાડનું હતું એ અત્યારે પ્રશાંત મહાસાગરના અને કેરેબિયન સાગરના ટાપુઓના બનેલા દેશો ધરાવે છે. પૈસા આપો અને નાગરિકત્વ મેળવો. તમને એ દેશનો પાસપોર્ટ આપવામાં આવશે જેના આધારે તમે આખા જગતમાં ફરી શકશો અને ધંધો કરી શકશો. હા, વિરમગામ રેલવે સ્ટેશને જે રીતે તપાસ કરવામાં આવતી હતી એ રીતે જગતભરના એરપોર્ટ પર તમારી આકરી તપાસ કરવામાં આવશે. કોઈ મોટા દેશનો વતની બચુકલા દેશનો નાગરિક શા માટે બન્યો એ એક પ્રશ્ન પાસપોર્ટ ધારક સામે શંકા કરવા માટે પૂરતો છે, જે રીતે હિન્દુસ્તાની બોલનારો કાઠિયાવાડમાં શા માટે આવ્યો એ શંકા કરવા માટેનું દેખીતું કારણ હતું. 

તો નીરવ મોદીએ તેર હજાર કરોડ રૂપિયામાં પંજાબ નેશનલ બેન્કને ઉઠાડી મૂકી એ પછી તે નાસી જવાની તૈયારી કરતો હતો. આ બાજુ કૃપાળુ શાસકો અને બેન્કના અધિકારીઓ અધીરા હતા કે ક્યારે નીરવભાઈ કોઈ દેશમાં ઠરીઠામ થઈ જાય અને ક્યારે અમે ખોટાખોટા ફરિયાદી તરીકે પોલીસ સ્ટેશન જઈએ; હાય રે, અમે તો લૂંટાઈ ગયા. આગળ કહ્યું એમ નીરવ મોદી નાસી ગયો એના કેટલાક મહિના પહેલાં વાનુઆતુ નામના દેશની સરકારનો સંપર્ક કર્યો હતો અને ૨૦૧૭ના નવેમ્બર મહિનામાં નાગરિકત્વ માટેના પૈસા પણ ચૂકવી દીધા હતા. આશ્ચર્ય હવે આવે છે. પરમ આશ્ચર્ય. ભારત સરકારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એવું આશ્ચર્ય.

વાનુઆતુ નામના પોણા ત્રણ લાખની વસ્તી ધરાવતા દેશના શાસકોએ નીરવ મોદી વિષે ભારતમાં અને અન્યત્ર તપાસ કરાવી તો ધ્યાનમાં આવ્યું કે આ ભાઈની ચાલચલગત બરોબર નથી અને મોટો કૌભાંડી છે. વાનુઆતુના શાસકોએ નીરવ મોદીની નાગરિકત્વની અરજી ફગાવી દીધી હતી. હાય રે, અમે તો લૂંટાઈ ગયાની ભારત સરકારે અને બેન્કના અધિકારીઓએ પોક મૂકી એના ત્રણ મહિના પહેલાં બચુકલા દેશના શાસકોને ખબર પડી ગઈ હતી કે આ માણસ ઠગ છે.

કાંઈ સમજ પડી? ભારતથી હજારો કિલોમીટર દૂર આવેલા સાવ નિર્ધન વાનુઆતુના શાસકોને જેની ખબર પડી એ પંજાબ નેશનલ બેન્કના સંચાલકોને અને ભારત સરકારને ખબર નહોતી. એવું બને? બીજું વાનુઆતુના શાસકોને કોઈ ગેબી અવાજ નહોતો સંભળાયો કે આ માણસથી સાવધાન રહેજો. વાનુઆતુના અધિકારીઓ ભારત આવ્યા હતા અને સત્ય જાણી ગયા હતા, માત્ર આપણને સત્યની જાણ નહોતી. આપણને તો ત્યારે ખબર પડે છે જ્યારે નીરવ મોદી પરિવાર સાથે વિદેશમાં ઠરીઠામ થઈ જાય છે. નાસી ગયા પછી ભારતીય પાસપોર્ટનો ઉપયોગ કરીને નીરવ મોદી લંડન ગયો હતો. ભારતે જ્યારે ખોટો ખોટો દેખાવ પૂરતો વાંધો લીધો ત્યારે બ્રિટિશ સરકારે કહ્યું હતું કે પાસપોર્ટ તમારો છે, વેલિડ છે, તેને રદ્દ કરાયો હોવાની અમને કોઈ જાણકારી આપવામાં નથી આવી, ભાળો તો પકડોની લૂકઆઉટ નોટિસ નથી બહાર પાડવામાં આવી, ત્યાં અમે શું કરીએ?

છે ને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી ઘટના? કહો જોઈએ, કોણ ૫૬ ઈંચની છાતી કોણ ધરાવે છે, વાનુઆતુના શાસક કે આપણા શાસક? હવે કિંગફિશર એર લાઈન્સના સ્થાપક વિજય માલ્યાએ કરેલા ગૌપ્યસ્ફોટ વિષે વિચારો. તેમણે લંડનની અદાલતની બહાર પત્રકારોને કહ્યું હતું કે ભારતમાંથી નાસી જતા પહેલાં તે નાણા પ્રધાન અરુણ જેટલીને મળ્યો હતો અને કોઈ એક રકમ ચૂકવીને મેટર ખતમ કરવાની ઓફર કરી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે હું આવતીકાલે જીનીવા જઈ રહ્યો છું. હવે કોઈ એમ તો ન જ કહે કે હું પાછો ફરવાનો નથી. અરુણ જેટલી કહે છે કે માલ્યા જૂઠું બોલે છે. વિજય માલ્યા લંડન પહોંચી ગયો એ પછી ભારત સરકારે અદાલતમાં પોક મૂકી હતી કે અરે રે આપણે લૂંટાઈ ગયા, વિજય માલ્યા નાસી ગયો છે. 

એક સરખી ઘટના. પહેલાં વિજય માલ્યા અને પછી નીરવ મોદી-મેહુલ ચોકસી. ‘અરે રે આપણે લૂંટાઈ ગયા, આરોપી નાસી ગયા અને ખબર પણ ન પડી’. વાનુઆતુની ઘટના પછી તમે કોના પર ભરોસો મૂકશો? વિજય માલ્યા પર કે આપણા નાણા પ્રધાન અરુણ જેટલી પર?

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 15 સપ્ટેમ્બર 2018

વાનાઆતુના નકશા સૌજન્ય : "વિકિપીડિયા" 

Loading

ટૂંકીવાર્તા કેમ લખાય એની કોઇ ફૉર્મ્યુલાબૉર્મ્યુલા છે નહીં, કોઇ બતાવે ને માની લઇએ તો રવાડે ચડી જવાય

સુમન શાહ|Opinion - Literature|15 September 2018

આપણે માણસો દિવસરાત વાતો કરીએ છીએ. આપણે વાતોની વારતાઓ બનાવીએ છીએ, મીન્સ, વાર્તાઓ ક્રીએટ પણ કરીએ છીએ

મને હમણાં પાર્કમાં, અમેરિકામાં, એક ગુજરાતી જુવાન મળી ગયો. કહે : અન્કલ, મારે શૉર્ટસ્ટોરી લખવી છે. ફૉર ધૅટ, મેં રીડ બહુ કર્યું છે, પણ સ્ટીલ કુડન્ટ રાઇટ ઍનિ. કોઇ ફૉર્મ્યુલા, ઇઝિ ફૉર્મ્યુલા, છે? : એને મેં કહ્યું : ફૉર્મ્યુલાબૉર્મ્યુલા છે નહીં અને કોઇ તને બતાવે તો માનીશ નહીં, રવાડે ચડી જઇશ : મને અટકાવીને ક્હૅ – કોઇ કોઇ વર્ડ અંગ્રેજી વાપરોને, અન્કલ. મેં કહ્યું – ઓકે. આપણે પેલા શેલ્ટરમાં બૅન્ચ પર બેસીએ : યસ્સ : જઇને અમે બેઠા.

લિસન : આપણે માણસો વાતોડિયાં પ્રાણી છીએ. કાગડો કાગડી વાતો કરતાં હશે; પણ શી, કેમ ખબર પડે? કીડી પોતાની સાથે ચાલતી બીજી કીડીને કંઇ-ને-કંઇ કહેતી હશે; પણ શું, આપણે નથી જાણતા. વડ નીચે ગોઠવાઇને બેઠેલો ઘરડો હાથી પોતાનાં પોતરા-પોતરીઓને – ગ્રાન્ડ ચિલ્ડ્રનને – વાર્તા કહેતો હોય; પણ શી વાર્તા, કોણ જાણે. આપણે માણસો દિવસરાત વાતો કરીએ છીએ. જો, આપણી તો દરેક વાતની ખબર પડે છે. એકબીજાંને સાંભળીએ છીએ ને સાંભળેલી વાત ત્રીજા-ચૉથાને સંભળાવીએ છીએ. આગળ વધીને આપણે વાતોની વારતાઓ બનાવીએ છીએ, મીન્સ, વાર્તાઓ ક્રીએટ પણ કરીએ છીએ. માણસ, વાર્તાકાર પ્રાણી છે : પણ અન્કલ – : મેં એને રોક્યો : મને કમ્પલિટલિ સાંભળી લે, પછી બોલજે.

લિસન : ગૉડે દરેક જીવને સર્જકતા આપી છે, ક્રીએટિવિટી. સુઘરી – : વીવરબર્ડ? : હા; પોતાનો નેસ્ટ એની મૅળે જ ગૂંથે છે. એ કોઇ કલાભવનમાં શીખવા નથી ગઇ. વગડામાં – આઉટસ્કર્ટસમાં – છોકરી બકરાં ચરાવે છે. બકરાં ચરતાં રહે છે ને છોકરી કશુંક ગણગણ્યા કરે છે. રોજ એ-નું-એ જ ગણગણે છે. અને એક દિવસ એ એનું ગીત બની જાય છે. માણસ આંગળીથી અમસ્તો અમસ્તો ધૂળમાં લીટા કરે છે ને એમાંથી કશુંક ચિત્ર બની આવે છે. તેં નાનપણમાં રેતીનાં દેરાં બનાવેલાં? તો ક્હૅ – વ્હૉટિઝ ધૅટ? મેં કહ્યું – લૅટિટ ગો; ચાલશે.

પછી મેં એને સરવાળો કરીને સમજાવ્યું : એક તો, આપણે વાર્તાકાર પ્રાણી છીએ. સૅકન્ડ, આપણને સર્જકતા મળી છે. આ બન્ને વસ્તુઓ જો આપણામાં છે જ છે, તો વાર્તા તો આમ જ લખી નંખાય. નંખાય કે નહીં? કશી પણ વાત જોડી કાઢવાની. સંગાથીને કહેવાનું કે સાંભળ, એમ પણ કહેવાનું કે વચ્ચે હૉંકારો પૂરજે. થઇ જાય કે નહીં? : એ કશું બોલ્યો નહીં : કેમ શું થયું? : થોડી વારે ક્હૅ : મેં વાંચ્યું છે કે ટૂંકીવાર્તામાં 'સિન્ગલ ઇફૅક્ટ' હોવી જોઇએ, એ 'ટેલિગ્રામ જેવી બ્રીફ' હોવી જોઇએ : સ્માર્ટ ફોનના જમાનામાં ટેલિગ્રામને ભૂલી જા. એમ સમજ કે ટૂંકીવાર્તા ઍસ.ઍમ.ઍસ. જેવી શૉર્ટ હોવી જોઇએ – થોડા જ શબ્દો, પણ ઘણું કહી દે એવા. સિન્ગલ ઇફૅક્ટ સમજાવું છું તને : તો ક્હૅ : મેં એમ પણ વાંચ્યું છે કે એમાં 'ઍપિક ટેનર' હોવી જોઇએ. એટલે મેં એને પૂછ્યું : તારું નામ શું છે? : જૅકિ, જૅકિસન : તને જૅકિસન કહું કે જૅકિ? : જૅકિ ક્હૉને, અન્કલ : જો જૅકિ, ઍપિક ટેનરનો મતલબ છે, મહાકાવ્યમાં હોય એવો ભાવાર્થ ટૂંકીવાર્તામાં, પણ યાદ રાખ કે તું નવો નિશાળિયો છું, એ તારા ગજા બહારની વાત છે, હાલ ભૂલી જા : તો ક્હૅ : પણ તો શું કરું?

જૅકિ, તને સાત પૂંછડિયા ઉંદરની વાત ખબર છે? : ઑલ્મોસ્ટ : ઉંદર એટલે? : રૅટ : તો સાંભળ : એક જમુ નામનો ઉંદર હતો. દુર્ભાગ્યે એને સાત પૂંછડીઓ હતી : દુર્ભાગ્યે? : અન્ફૉર્ચ્યુનેટલિ : ક્લાસમેટ્સ એને, જમુ સાત પૂંછડિયો, જમુ સાત પૂંછડિયો, જમુ અગ્લિ, કહીને ટીઝ કરતા'તા. એટલે જમુએ ડિસાઇડ કર્યું કે – આ હૅરેસમૅન્ટનો એન્ડ લાવવો જોઇશે. એ તો પ્હૉંચ્યો એમના ફૅમિલિ બાર્બર પાસે : ફૅમિલિ બાર્બર? : હા, ઇન્ડિયામાં હોય. જમુએ કહ્યું – મારી વૅરી ફર્સ્ટ ટેઇલ કાપી નાખો. પેલાએ કાપી નાખી. પણ અગેઇન ક્લાસમેટ્સ કહેવા લાગ્યા – જમુ છ પૂંછડિયો. જમુ છ પૂંછડિયો, જમુ અગ્લિ. જમુએ સૅકન્ડ કપાવી તો પેલા ક્હૅ – જમુ પાંચ પૂંછડિયો, જમુ પાંચ પૂંછડિયો. થર્ડ કપાવી તો : યા યા, આઇ ગૉટિટ. ધૅટ વે, એની બધી પૂંછડીઓ જતી રહેલી : હા પણ, ત્યારે ક્લાસમેટ્સ એને શું કહેતા હશે, ક્હૅ તો? : ખબર છે, પણ વર્ડ યાદ નથી : મને જોઇ રહેલો. મેં કહ્યું : બાંડો ! જમુ બાંડો, જમુ બાંડો, જમુ બાંડો. મીન્સ, જમુ ટેઇલલેસ. જો જૅકિ, આપણે એના ટેઇલની જે વાતો કરી એથી જે ઇફૅક્ટ ઊભી થઇ એ જમુના પેઇનની જ હતી, ખરું ને? : યસ્સ : વાર્તાને એના ટ્રૅકની બ્હાર જર્રા પણ જવા જ ન દઇએ ને જે ઇફૅક્ટ આવે એને સિન્ગલ ઈફૅક્ટ કહેવાય. ક્યારનો હું ટૂંકીવાર્તા લખવા વિશે જ બોલ્યા કરું છું એની તને જે ઇફૅક્ટ આવે છે એ સિન્ગલ છે ! : ઓકે …

મને એ કંટાળેલો લાગ્યો. છતાં મેં એને કહ્યું : હવે યાદ કર, માણસ વાર્તાકાર પ્રાણી છે એટલે તું પણ છું અને વાર્તા લખી શકું છું. માણસને તેમ તને ય સર્જકતા મળી છે. કલ્પના ચલાવ : સર્જકતા નહીં? : એ હોય એની પાસે એ પણ હોય : ઓકે : કલ્પના કર કે જમુનું શરીર કેવું હતું, યાદ રાખજે કે નામ એનું માણસનું છે – જમુ – એટલે એનું શરીર પણ માણસનું છે. એની હૅઅરસ્ટાઇલ, એનાં કપડાંલત્તાં, બધું ડીસ્ક્રાઇબ કર : જૅકિ વિચારવા લાગ્યો, એટલે મેં કહ્યું : હમણાં ને હમણાં રહેવા દે. ઘેર જઇને કરજે. તું વર્ણવી શકે કે જમુ હમેશાં ટીશર્ટ-જીન્સમાં જ હોય છે : ટી-કલર? : આ તારા ટી-નો છે એ જ, ઑરેન્જ. હવે જો, એ એક વાત પૂરી થઇ. હવે આવે છે, જમુ પૂંછડિયો હતો એ વર્ણન. આ એક જન્કચર છે : એટલે શું? : એવી જગ્યા, જ્યાં જમુ અંગેની એક વીગત પૂરી થતી હોય ને બીજી શરૂ થતી હોય. ત્યાં વાર્તાકારે પોતાની સર્જકતાને પૂછીને કામ કરવાનું હોય છે. જેમ કે, તારે સરજી બતાવવાનું કે ભગવાને જમુને સાત પૂંછડીઓ કેમ આપેલી. કશો શાપ હતો? કશું વરદાન હતું? પછીના જન્કચરમાં લખી શકાય કે ક્લાસમેટ્સ એવા કેમ હતા. જમુ રડવા-જેવો થઇ ગયેલો ને પેલા ખડખડાટ હસતા’તા … એમ બધું ડેવલપ કરવાનું. બાર્બર પાસે જતાં પહેલાં જમુની મનોદશા કેવી હતી અને બાંડો થતો ગયો ને થઇ ગયો એ દરમ્યાનની કેવી હતી … : અન્કલ, યુ મીન, જમુનું સાયકોઍનાલિસિસ? : ના ભૈ ના ! મનોદશા એટલે ત્રણેય વખતે જમુના મગજમાં ચાલેલી ટૂંકા ટૂંકા દુ:ખાવા ! : ઓય્યા. નાઇસ, પછીનાં જન્કચરમાં જમુનાં મમા-ડૅડિ એને કૉન્સોલ કરી બુસ્ટ-અપ કરતાં હોય, એમ કરું તો? : બિલકુલ બરાબર : મને ટોટલિ સમજાઇ ગયું, આવડી જશે : તો લખજે હવે : હા અન્કલ, પણ હું જઉં, આઇ ગૉટા ગો …

મેં એને લાંબું 'બાઆઆય' કીધેલું પણ ટૂંકીવાર્તાના લેખન વિશે ઉપર જે બધું કહ્યું છે એ તો સાવ ટૂંકમાં કહ્યું છે. ઉમેરું કે પહેલીવાર વાર્તા લખવા તત્પર થયેલા કોઇને પણ માર્ગદર્શક નીવડે એવું કહ્યું છે. બાઆય …

= = =

https://www.facebook.com/suman.shah.94/posts/2113372498693652?__tn__=K-R

[શનિવાર, ૧૫/૯/૨૦૧૮ના રોજ ‘નવગુજરાત સમય' દૈનિકમાં પ્રકાશિત આ લેખ પ્રેસના સૌજન્યથી અહીં મૂક્યો છે]

Loading

મગન લુહાર

દીપક બારડોલીકર|Profile|14 September 2018

‘ના, હું એવો પરાણો નહીં બનાવું. બળદો ય પ્રાણી છે, પથ્થર નથી ! −− મારે ય ઈશ્વરને જવાબ આપવાનો છે. …’

આ શબ્દો હતા, મગન લુહારના. એનો વાસ અમારા ઘર નજીક હતો. કોઢ, ધમણ, એરણ વગેરે પણ ત્યાં જ. સવાર પડે અને ધમણની ધમધમાટી શરૂ થાય. મગન પોતે જ ધમણ ધમે. તણખા ઊડે, જ્વાળા ફૂંફવે અને ત્યાર પછી, ધમણચૂલામાં મૂકાયેલું લોઢું રાતું ચોળ થાય એટલે, તેને એરણ પર ગોઠવી, હથોડા વડે ટીપટીપ શરૂ કરવામાં આવે. આ ટીપટીપ અમે દરરોજ સવારસાંજ સાંભળીએ. ઘડાતા ઘાટ જોઈએ. મજા આવે. ક્યારેક આશ્ચર્ય પણ થતું કે બળબળતા લોઢાના ઘાટ ઘડનારો મગન લુહાર જરાયે ઉગ્ર ન હતો. બલકે શાંત, વિનમ્ર ! તેને કોઈની સાથે લડતાં-ઝગડતાં અમે જોયો ન હતો.

પણ આજે તેનો ચીસ જેવો ઊંચો અવાજ સાંભળ્યો તો અમે ચોંક્યા. જોયું તો એક મૂછાળો રજપૂત, સામાન્ય કરતાં મોટી આરવાળા પરાણા માટે આગ્રહ કરી રહ્યો હતો. અને મગનનો જવાબ હતો, ‘ના, એ નહીં બને ! બિલકુલ નહીં બને ! … મૂંગા પ્રાણીઓ પરના જુલમમાં હું સામિલ નહીં થાઉં … … !’

એ દરમિયાન આવી પહોંચેલા મારા કાકા અહમદે, હકીકત જાણી, તો ગુસ્સો આવ્યો. અને રાતાપીળા થઈ રહેલા રજપૂતને ઠપકો આપતાં કહ્યું, ‘શરમ કર, શરમ ! … જંગલી લાગે છે. જે બળદો તારી ખાતર જાત તોડે છે, તારી જમીનો આબાદ કરે છે, તેમના પર જુલમ કરવો છે ? −− જરાયે દયા નથી આવતી ? −− અરે, મૂરખ, આપણી ખાતર જાત તોડે તેને તો સારું સારું ખવડાવવાનું હોય ! −- ઘોંચવાના નહિ, પોષવાના હોય !’

કાકાના ઠપકાથી એ રજપૂત એવો ભોંઠો પડ્યો કે થોડી વાર પહેલાંનો તેનો રાતો ચહેરો ફીક્કો થઈ ગયો. અને કંઈક બબડતો ને પગ પછાડતો ચાલ્યો ગયો.

કાકા, ભગત જેવા આદમી હતા. મગન લુહાર પણ એ જ દિશાનો રાહગીર. એ બન્નેને સારું બનતું. નવરાશના સમયે તેઓ અલકમલકની, ઇન્સાનિયતની, લોકકલ્યાણની વાતો કર્યા કરતા અને લોકોના એલફેલ દેખીસાંભળી અફસોસ કરતા. કાકાએ મગનને કહ્યું હતું, ‘તારે કોઈથી બીવાની જરૂરત નથી. અમે છીએ. − તું તારો ધંધો બેધડક કર્યા કર.’

મગનને, કાકાની એ હૈયાધારણ ઘણી હતી. અને તેની ધમણ ધમાતી રહેતી હતી.

દિવસભર એરણ ઉપર તેની ટીપટીપ ચાલતી રહેતી. કોઢની બહાર તે ગાડાના પૈડે વાટ પણ ચડાવતો અને તેનું આ કામ અમને અદ્દભુત લાગતું ! ધગધગતી આગમાં વાટને લાલચોળ કર્યા પછી, ચીપિયા વડે ઉપાડીને તેને, તે અને તેનો જોડીદાર પૈડા ઉપર ચડાવતા ! અને ત્યારે પૈડામાંથી નીકળતા ધુમાડા વચ્ચે જે ટીપટીપ થતી અને બૂમો પડતી ત્યારે તો મગન લુહાર કોઈ મોટા કાબેલ ઈજનેર જેવો લાગતો ! … અમે શું જે જોતા તે પોકારી ઊઠતા, ‘વાહ, મગનકાકા, વાહ !’

આ કસબી કામ દરમિયાન, પૈડે ચઢાવાઈ રહેલી વાટ, ક્યારેક તેના સાંધામાંથી એકાએક ઉખડી જતી ! છનન કરતીકને છટકતી ત્યારે તો ભારે ભાંજગડ થઈ જતી ! − અગર પૂરતી સાવધાની ન રાખી હોય કે ચપળતા ન વાપરી હોય તો તો એ છટકેલી વાટ કારીગરના જિસમને જલાવી નાખે !

એવી વાટને પુન: સાંધવી પડતી. ટાંકા લગાવવા પડતા. પૈડા સાથે બંધબેસતી છે કે નહીં તે ચકાસવું પડતું. અને ત્યારે પછી વાટ પૈડે ચઢાવાતી. આ ધકમકમાં ત્રણેક દિવસ લાગી જતા.

હું ઘણું કરીને પાંચમા – છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી હતો ને મગનની કોઢમાં મારી આવજા હતી ત્યારે તેણે, બળબળતી વાટની હડફેટે ચઢેલા, એક કણબીનો કિસ્સો કહેલો. કહેલું : એ કણબી બહુ ચાંપલો ને મોંફાટ હતો. વાટ ગરમ થઈ રહી હતી ને પૈડાને ઠીકઠાક કરવામાં આવી રહ્યું હતું ત્યારે ય તેની બકબક ચાલુ હતી. વગર વિચાર્યું બોલ્યે ચાલ્યો જતો હતો.

અને પછી વાટ તપીને લાલચોળ થઈ ગઈ તો મેં અને મારા કારીગરે ચીપિયા વડે વાટ ઉપાડી. અને પૈડા તરફ પગ ઉપાડ્યા તો ન જાણે શું થયું કે એ કણબી ‘અરે − અરે’ કરતો દોડ્યો. લપસ્યો ને મારા પગ સાથે અથડાયો ! એ સાથે વાટ ચીપિયમાંથી છટકી ને ‘છનન’ કરતીકને કણબીના માથા પાસે પડી !

મગન ‘હાય-હાય’ કરી ઊઠ્યો ! બોલ્યો, ‘એ કદાચ એની માની દુઆ હશે, નહિતર એ કણબીના બચવાની કોઈ તક ન હતી. શેકાઈ જ ગયો હોત … … !’ ને માથું ઝટકવા લાગ્યો.

‘પછી શું થયું ?’ મેં પૂછ્યું.

‘થવાનું શું હતું ?’ મગને કહ્યું, ‘લોકોએ એવા ડામ આપ્યા કે એ કણબી તેની બધી ચાંપલાઈ ભૂલી ગયો. − હવે જ્યારે મને જૂએ છે કે કાન પકડે છે !’

મગનની કોઢમાં ધારિયાં બનતાં. કુહાડા, કુહાડી, કોદાળી, દાતરડાં, ખુરપી, ચાંચવા તથા ખેડૂતોના ઉપયોગની, નાનીમોટી બીજી ઘણી વસ્તુઓ બનતી. તે એક કુશળ – અનુભવી કારીગર હતો. ઈચ્છ્યું હોત તો મોટું વર્કશોપ લઈને બેસી ગયો હોત. શ્રીમંત થઈ ગયો હોત ! પણ નહીં, તે પૈસાવાદી નહીં, એક ભક્તજીવ હતો. તે અકસર કહેતો ય હતો કે આ પેસા તો કંઈ પણ નથી. −− અસલ કમાણી છે ઈશ્વરની યાદ. −− ઈશ્વરનો પ્યાર, કરે બેડો પાર !

પરંતુ એનો અર્થ એ નથી કે તેને ધંધામાં રસ ન હતો. તે આશ્રયી – પરિશ્રમી આદમી હતો. સવારે સમયસર તેની કોઢ ખૂલી જતી. હથોડાની, ઠોકઠાક શરૂ થઈ જતી. ધમણ ધમાતી અને ધમણ જોડેનો ચૂલો ભભૂકતો. અને કમાણી તેની પાસે દોડતી આવતી ! વળી તે હતો એટલો ઉદાર ને એવી માન્યતા ધરાવતો હતો કે, આપણી કમાણીમાં લાચારો − ગરીબોનો ય હિસ્સો હોય છે. કદાચ આ કારણ હતું કે તેને ત્યાં લાચારો, ફકીરો, જોગીઓની અવરજવર ચાલુ રહેતી. તે સૌને કંઈ ને કંઈ આપતો. તે કશા ભેદભાવમાં માનતો ન હતો. માણસાઈમાં શ્રદ્ધા હતી. કહેતો ય હતો :

જૂઠ્ઠી છે સૌ જાતજમાત
સૌથી ઉત્તમ માનવવાદ !

મગન લુહાર આજે નથી. અલબત્ત, તેની કોઢ છે. કામકાજની ભરમાર છે. પરંતુ મગનના સમયમાં, આ કોઢમાં, જે મીઠી સુવાસ હતી, તે આજે નથી.
મગનના અવસાનને વર્ષો થયાં, તેનો દેહ ખાક થઈ ગયો છે. પણ કોઈકે કહ્યું છે એમ દેહ માટીમાં ભળી જાય છે, પણ માણસનું સદાચરણ સદ્દચારિત્ર્ય અને માણસાઈ મરતાં નથી.

માણસ નથી હોતો, પણ તેની સારાઈ, સત્કાર્યોની હળવી – હળવી સુવાસ આપણી આસપાસ વ્યાપતી રહે છે !

“પુષ્પ કરમાઈ શકે છે
ખુશબૂ કરમાતી નથી !”

11, Croston Terrace, Ayres Road, Old Trafford MANCHESTER M16 7FD [U.K.]

Loading

...102030...2,9972,9982,9993,000...3,0103,0203,030...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved