Opinion Magazine
Number of visits: 9579842
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હું હિન્દુ છું

રમેશ ઓઝા|Opinion - Opinion|16 September 2018

મારું ઘર (હિન્દુ ધર્મ) ખળખળ વહેતા પાણી જેવું છે, જેમાં અવરોધો નથી અને ચાર દીવાલોની ચોકરબંધી પણ નથી. અત્યારે મારી પ્રાથમિકતા મારા ઘરને બચાવવાની છે.

જે ઝાડ સૌથી પ્રાચીન છે, જેનાં મૂળ સૌથી ઊંડાં છે, જેનો ચોતરફ વિસ્તાર થયો છે, જેની શાખાઓમાંથી પ્રશાખાઓ વિકસી છે, જે દરેક વાવાઝોડાને ખમી ચૂક્યું છે એને એના જ અનુયાયીઓ આજે કાપી રહ્યા છે તો એ કોણ છે? આ ફેલાયેલાં ઝાડની ડાળો કાપીને કોણ તેને ઊભા ખાંભા જેવું નિસ્તેજ બનાવી રહ્યું છે? ભારતની વનરાઈ ૮૦ ટકા હિન્દુ વૃક્ષોથી શોભી રહી છે, પરંતુ આજે તેના માલિકો જ તેને બોન્સાઇ બનાવી રહ્યા છે. કોણ છે એ લોકો?

અંદાજે આઠસો વરસ દરમ્યાન ધીરે-ધીરે વિકસેલા ભારતીય ઇસ્લામ(ભારતના વિભાજન પછી ભારતીય ઈસ્લામને દક્ષિણ એશિયાઈ ઇસ્લામ તરીકે ઓળખાવવામાં આવે છે, પરંતુ હું તેને ભારતીય ઇસ્લામ તરીકે જ ઓળખાવું છું. વિભાજન ગઈકાલની ઘટના છે, જ્યારે ભારતીયતા હજારો વરસ જૂની પ્રક્રિયા છે અને તેમાં ઇસ્લામ અપવાદ નથી.)ના સુંદર બગીચાને કેટલાક મુસલમાનોએ રગદોળી નાખ્યો અને એનું આજે જે પરિણામ જોવા મળી રહ્યું છે એના વિષે આ કોલમમાં હું અનેકવાર લખી ચૂક્યો છું, પરંતુ એ હિન્દુઉન્માદ શરૂ થયો એ પહેલાંની વાત છે.

કોઈ દેશમાં બહુમતી પ્રજામાં જ્યારે કોમીજ્વર પેદા થાય, ત્યારે એ ખતરનાક નીવડતો હોય છે, એમ ઇતિહાસ કહે છે અને વર્તમાન તેની સાહેદી પૂરે છે. એ માત્ર કોમીજ્વર નથી હોતો, પણ એ ફાસીવાદ તરફ દોરી જાય છે અને તેનાં પરિણામની કલ્પના કરતાં લખલખું પસાર થઈ જાય છે. હવે જ્યારે ભારતમાં હિન્દુઉન્માદ પેદા થયો છે, ત્યારે છેલ્લાં બસો વરસ દરમ્યાન કેટલાક મુસલમાનોએ કરેલી ભૂલ અને તેના પરિણામોની ચર્ચા કરતાં પહેલાં એક કવિતા અને એક લેખ તરફ ધ્યાન ખેંચવા માગું છું. કવિતા પાકિસ્તાનની કવયિત્રીની છે જે બહુમતી મુસલમાનો વચ્ચે રહે છે અને લેખ મરાઠી અભિનેતાનો છે જે બહુમતી હિંદુઓની વચ્ચે રહે છે. બન્નેનું પોતપોતાનું અનુભવવિશ્વ છે જે પોતાનું હોવા છતાં એકસમાન છે. એકે અનુભવ કરી લીધો છે અને અનુભવજન્ય પરિણામ તરફ આપણું ધ્યાન દોરે છે અને બીજો તાજોતાજો અનુભવ કરી રહ્યો છે અને ભવિષ્ય વિષે ભયભીત કરનારી લાગણીઓ તરફ ધ્યાન દોરે છે.

પાકિસ્તાની કવયિત્રી છે ફહમિદા રિયાઝ. ૧૯૪૫માં ભારતમાં મેરઠમાં જન્મેલાં ફહમિદા રિયાઝ ડર્યા વિના માનવતાના પક્ષે ઊભા રહેવાની હિંમત ધરાવે છે. આની તેમણે કિંમત પણ ચૂકવી છે અને આજે પણ ચૂકવી રહ્યાં છે. ૧૯૭૮માં પાકિસ્તાનમાં ઝીયા ઉલ હક્કની સરમુખત્યારશાહી આવી એ પછીથી પાકિસ્તાનમાં ઇસ્લામીકરણની શરૂઆત થઈ હતી. ભારતીય ઉપખંડમાં ભારતીય ઇસ્લામની જગ્યાએ ઇસ્લામનો એક ખાસ પ્રકારનો ચહેરો કંડારવાનું તો આગળ કહ્યું એમ બસો વરસ પહેલાં શરૂ થઈ ગયું હતું, હવે તેને માત્ર એક શાસકની જરૂર હતી જે તેને ૧૯૭૮માં મળી ગયો હતો. ફહમિદા રિયાઝે પાકિસ્તાનમાં પેદા કરવામાં આવી રહેલા ઇસ્લામિકજ્વરનો વિરોધ કર્યો હતો.

એ પછી તેમની સાથે એ જ થયું જે ભારતમાં થઈ રહ્યું છે. તેમને દેશદ્રોહી અને રાષ્ટ્રવિરોધી જાહેર કરવામાં આવ્યાં. તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો અને ધરપકડ કરવામાં આવી. એ તો સારું થયું કે પોલીસસ્ટેશનનો થાણેદાર રિયાઝનો ફેન હતો એટલે તેણે હાથ મુચરકા પર પાકિસ્તાની શાયરનાને છોડી મુક્યાં અને દેશ છોડીને જતા રહેવાની સલાહ આપી. એ પછી ભારતથી મેહફિલનું નિમંત્રણ આવે છે અને તેઓ ભારત આવી જાય છે. જાણીતાં પંજાબી લેખિકા અમૃતા પ્રીતમ ફહમિદા રિયાઝનાં મિત્ર હતાં અને તેમણે ઇન્દિરા ગાંધીને કહીને ફહમિદાને ભારતમાં આશરો આપ્યો હતો. ફહમિદા રિયાઝ જતાં રહ્યાં એટલે તેમના પતિની ધરપકડ કરવામાં આવી હતી. ફહમિદાએ સાત વરસ ભારતમાં દેશવટો ભોગવ્યો હતો અને તેમના પતિને જેલમાં રહેવું પડ્યું હતું. જનરલ ઝીયાના મૃત્યુ પછી તેઓ પાકિસ્તાન પાછાં ફર્યાં હતાં.

ઇસ્લામનો વિકૃત શાસકીય ચહેરો નજરે જોનારાં અને તેની કિમંત ચૂકવનારાં ફહમિદા રિયાઝ ભારતમાં હિન્દુજ્વર જોઇને ઊંડી વ્યથા સાથે ચેતવણી આપે છે. પહેલી નજરે એમાં વ્યંગ લાગશે; પણ એમાં વ્યથા છે અને એનાથી વધુ ચેતવણી છે. કવયિત્રી કહે છે :

तुम बिल्‍कुल हम जैसे निकले

अब तक कहाँ छिपे थे भाई
वो मूरखता, वो घामड़पन
जिसमें हमने सदी गंवाई
आखिर पहुँची द्वार तुम्‍हारे
अरे बधाई, बहुत बधाई।

प्रेत धर्म का नाच रहा है
कायम हिंदू राज करोगे ?
सारे उल्‍टे काज करोगे !
अपना चमन ताराज़ करोगे !

तुम भी बैठे करोगे सोचा
पूरी है वैसी तैयारी
कौन है हिंदू, कौन नहीं है
तुम भी करोगे फ़तवे जारी
होगा कठिन वहाँ भी जीना
दाँतों आ जाएगा पसीना
जैसी तैसी कटा करेगी
वहाँ भी सब की साँस घुटेगी
माथे पर सिंदूर की रेखा
कुछ भी नहीं पड़ोस से सीखा!

क्‍या हमने दुर्दशा बनाई
कुछ भी तुमको नजर न आयी?
कल दुख से सोचा करती थी
सोच के बहुत हँसी आज आयी
तुम बिल्‍कुल हम जैसे निकले
हम दो कौम नहीं थे भाई।
मश्‍क करो तुम, आ जाएगा
उल्‍टे पाँव चलते जाना
ध्‍यान न मन में दूजा आए
बस पीछे ही नजर जमाना
भाड़ में जाए शिक्षा–विक्षा
अब जाहिलपन के गुन गाना।

आगे गड्ढा है यह मत देखो
लाओ वापस, गया ज़माना
एक जाप सा करते जाओ
बारम्बार यही दोहराओ
कैसा वीर महान था भारत
कैसा आलीशान था–भारत
फिर तुम लोग पहुँच जाओगे
बस परलोक पहुँच जाओगे
हम तो हैं पहले से वहाँ पर
तुम भी समय निकालते रहना
अब जिस नरक में जाओ वहाँ से
चिट्ठी–विठ्ठी डालते रहना।

 

અને હવે મરાઠી કલાકાર અતુલ પેઠે શું કહે છે એ જોઈએ. અતુલ પેઠે ૩૫ વરસથી મરાઠી નાટકોમાં કામ કરે છે અને કેટલાંક નાટકો તેમણે દિગ્દર્શિત પણ કર્યા છે. જાણીતા મરાઠી સમાજશાસ્ત્રી ડૉ. રઘુનાથ ધોન્ડો કર્વેના જીવન પર આધારિત ‘સમાજસ્વાસ્થ્ય’ નામના તેમના અત્યારે ચાલી રહેલા નાટકે મહારાષ્ટ્રમાં સારી ચર્ચા જગાવી છે. ડૉ. કર્વે લૈંગિક શિક્ષણ અને સંતતિ નિયમનના હિમાયતી હતા અને એ જમાનામાં એના વિષે વાત કરવી એ પણ પાપ ગણાતું હતું.

 

અતુલ પેઠેએ ગયા રવિવારે મરાઠી અખબાર ‘લોકસત્તા’માં ‘મી હિંદુ આહે’ એવા શીર્ષક સાથે એક લેખ લખ્યો હતો તેમાં તેઓ કહે છે:

 

“હું હિંદુ છું. જન્મે અને વૃત્તિએ એમ બન્ને રીતે. આમ છતાં કેટલાક સમયથી આજુબાજુમાં જે ઝેરીલું વાતાવરણ નજરે પડી રહ્યું છે એ જોઇને હું બહુમતી કોમનો સભ્ય ડર અનુભવું છું. કોઈ પણ ટીવી ચેનલ શરૂ કરો કે તેમાં પોતાને હિન્દુ ધર્મરક્ષક તરીકે ઓળખાવનારાઓ જે ઝનૂની ભાષામાં ઉગ્ર ચહેરો ધારણ કરીને બોલતા જોવા મળશે. તેમની ભાષા કમાલની હિંસક હોય છે અને ચહેરાના હાવભાવ એવા હોય છે કે હમણાં જ પ્રતિવાદીને ચીરી નાખશે. મારાથી આ જોઈ શકાતું નથી. તેઓ મારા પરિચિત અને પ્રિય હિન્દુ ધર્મ વિષે બોલી રહ્યા હોય એવું મને લાગતું નથી. તેઓ હિન્દુ ધર્મના નામે અખબારોમાં, ટીવી ચેનલોમાં અને સોશ્યલ મીડિયા પર જે ઝેર ઓકે છે. તેમને જોઈ જોઇને અને સાંભળી સાંભળીને તેઓ જ જાણે કે હિન્દુ ધર્મના સાચા પ્રતિનિધિ હોય એવું આમજનતાને લાગવા માંડ્યું છે. હવે તો તેમને પણ એમ લાગવા માંડ્યું છે કે તેઓ જ હિન્દુ ધર્મના રક્ષક અને પાલક છે.

નમ્રતાપૂર્વક કહું છું તેઓ મારા વતી બોલી રહ્યા હોય એવું મને લાગતું જ નથી. ઊલટું તેમની ભાષા અને તર્ક જોઇને મારી અંદરનો હિન્દુ અસ્વસ્થ થઈ જાય છે. તેમને જેવો હિન્દુ અપેક્ષિત છે એવો હું ક્યારે ય થઈ શકું એમ નથી એટલે મને શંકા થાય છે કે કદાચ તેઓ મને એકલો પાડી દેશે. તેમને સ્વીકાર્ય ન હોય એવી ભાષામાં હું બોલીશ કે લખીશ તો કદાચ તેઓ મને ઘરમાંથી ખેંચીને મારી નાખશે એવાં ભયજનક સ્વપ્ન પડે છે. આને કારણે મારા મનમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને હું વિચારવા લાગુ છું. સાચું કહું તો મનમાં આવા પ્રશ્નો ઉપસ્થિત થવા અને વિચારમાં પડી જવું એ હિન્દુ ધર્મએ જ મને આપેલું શિક્ષણ છે. હું તો એમ કહીશ કે હું હિન્દુ ધર્મનો અનુયાયી છું એટલે વિચારું છું અને પ્રશ્નો કરું છું.

મને મારા મા-બાપે, દાદા-દાદીએ, પાડોશીઓએ, શિક્ષકોએ એમ બધાએ એકબીજા પ્રત્યે સહભાવ સાથે જીવતા શીખવ્યું છે. તેમણે આ શિક્ષણ મને ‘સહિષ્ણુતા’ના નામે નહોતું આપ્યું, ‘વર્તન’ના નામે આપ્યું હતું. કોઈના પર હાથ ઉગામવો નહીં, કોઈને ગાળ આપવી નહીં, કોઈનું મન દુભાવવું નહીં, ઉચ્ચ-નીચનો ભેદ કરવો નહીં, કોઈને નીચા ગણવા નહીં, પોતાને મોટા ચીતરવા નહીં, કોઈ વાતનું અભિમાન કરવું નહીં, કોઈનું બૂરું ઇચ્છવું નહીં વગેરે સંસ્કાર બાળપણમાં મને મળ્યા હતા. આને સભ્ય વર્તણૂંક કહેવામાં આવતી હતી, સહિષ્ણુતા શું કહેવાય એ તો પછી ખબર પડી.

અમારા ઘરમાં રેડિયો હતો. એનો અવાજ ઘરની બહાર ન જાય એનું ધ્યાન મારાં મા-બાપ રાખતાં હતાં. મને સાયકલ લઈ આપી ત્યારે ઘંટડી જરૂર હોય તો જ વગાડવી એમ મને કહેવામાં આવ્યું હતું. આપણે રેડિયો કે સાયકલ ધરાવીએ છીએ એનો દેખાડો કરવાનો ન હોય. સાંજે મારી મા ઘીનો દીવો કરતી અને મને કહેતી કે તે સાત્ત્વિક શાંતિ આપે છે. પ્રસાદ કે મીઠાઈ વહેંચીને ખાવાના સંસ્કાર પણ ઘરમાંથી અને પાડોશમાંથી મને મળ્યા હતા. આ મૂલ્યો મનમાં નહીં, પણ બુદ્ધિમાં ઊતારવામાં આવ્યાં હતાં.

અમારા ઘરમાં મંદિર હતું અને તેમાં ઘણાં દેવ-દેવી હતાં. મારાં મા-બાપે એ દેવોનો પરિચય મૂલ્યરક્ષક તરીકે આપ્યો હતો, કોઈ ક્રોધી વેર લેનારા દેવ તરીકે નહીં. ભાઈ ખાતર ગાદી ત્યજનારા રામ વગેરે. મારા પિતા વિઠ્ઠલમાર્ગી હતા એટલે અમારા ઘરે ભજન થતાં. આડોશી-પાડોશી સગાસંબંધીઓ આવીને અભંગ ગાય પણ એમ કરવામાં ક્યારે ય તેમને ભગવા ઝંડાની જરૂર નહોતી પડી. આના પરથી હું એવું સમજ્યો હતો કે હિન્દુ હોવા માટે કંઈ બતાવવાની જરૂર નથી.

એ જમાનામાં ધુળેટીમાં રમવા માટે પિસ્તોલના આકારની રંગની પિચકારી બજારમાં આવી હતી. હું અને મારો મિત્ર પિસ્તોલની પિચકારી લઈ આવ્યા. ઘરે આવ્યા તો મારી માએ કહ્યું કે આ નહીં ચાલે, પછી આપી આવ. તારે ગોળીથી રમવાનું નથી રંગથી રમવાનું છે. એ દિવસે મને લાગ્યું કે મારી દ્રષ્ટિ વિશાળ થઈ ગઈ. મારા મિત્રને પણ તેના ઘરે આવી જ સલાહ આપવામાં આવી અને અમે બન્ને પિસ્તોલની પિચકારી પાછી આપી આવ્યા. અમને ત્યારે એવું નહોતું લાગ્યું કે અમે પિસ્તોલથી દૂર ભાગનારા બુઝદિલ છીએ અને હિન્દુ ધર્મ માટે લાંછનરૂપ છીએ. અમને આવું ત્યારે કોઈએ કહ્યું પણ નહોતું. ઊલટું પિસ્તોલ હોવા કરતાં ન હોવામાં વધારે હિન્દુપણું છે એમ અમને લાગતું હતું.

અમે તરુણાવસ્થામાં ખૂબ ફરતા. મહારાષ્ટ્રના બધા જ કિલ્લાઓ અને મંદિરો જોયાં છે. ત્યાં સફાઈ કરી છે, દીવાલો પર લખવામાં આવેલાં નામો ભૂંસ્યા છે, ગરીબ લોકોને અનાજ વહેંચ્યું છે વગેરે. એમ કરવામાં અમને હિન્દુ ધર્મ રક્ષક સેનાનું બેનર, ભગવો ઝંડો, જય શ્રી રામ લખેલી ભગવી ટોપી કે ટી શર્ટ અને વિધર્મીઓ વિરુદ્ધ નારાબાજીની કયારે ય જરૂર નહોતી પડી.

મને ખાતરી છે કે હિન્દુ હોવાનો જે અનુભવ મને થયો છે એવો જ અનુભવ મોટાભાગના હિન્દુઓને થયો હશે. તો પછી છેલ્લાં કેટલાંક વર્ષોથી પરિવેશમાં ભય પેદા કરનારું અને મનને વ્યથિત કરનારું પરિવર્તન કેમ થવા લાગ્યું છે? આ હિન્દુના મનમાં પેદા થયેલી લઘુતાગ્રંથિ છે કે ગુરુતાગ્રંથિ? કે પછી આ મારા હિન્દુ ધર્મને ખતમ કરવાનું કાવતરું છે? જે ઝાડ સૌથી પ્રાચીન છે, જેના મૂળ સૌથી ઊંડા છે, જેનો ચોતરફ વિસ્તાર થયો છે, જેની શાખાઓમાંથી પ્રશાખાઓ વિકસી છે, જે દરેક વાવાઝોડાને ખમી ચૂક્યું છે એને એના જ અનુયાયીઓ આજે કાપી રહ્યાં છે તો એ કોણ છે? આ ફેલાયેલાં ઝાડની ડાળો કાપીને કોણ તેને ઊભા ખાંભા જેવું નિસ્તેજ બનાવી રહ્યું છે? ભારતની વનરાઈ ૮૦ ટકા હિન્દુ વૃક્ષોથી શોભી રહી છે, પરંતુ આજે તેના માલિકો જ તેને બોન્સાઇ બનાવી રહ્યા છે. કોણ છે એ લોકો?

આ પ્રશ્નો કેટલાક સમયથી મારા મનમાં પેદા થઈ રહ્યા છે અને હું એના વિષે વિચારું છું કારણ કે હું હિન્દુ છું અથવા એમ કહીશ કે હિન્દુ છું એટલે જ વિચારી શકું છું અને પ્રશ્ન પૂછી શકું છું. હવે મહેરબાની કરીને મને એમ નહીં કહેતા કે આવા પ્રશ્નો તમે બીજા ધર્મના અનુયાયીને કેમ નથી પૂછતા? મારું ઘર (હિન્દુ ધર્મ) ખળખળ વહેતાં પાણી જેવું છે, જેમાં અવરોધો નથી અને ચાર દીવાલોની ચોકરબંધી પણ નથી. અત્યારે મારી પ્રાથમિકતા મારા ઘરને બચાવવાની છે. હું એ મોકળાશને બચાવી શકીશ તો બીજા પણ એ મોકળાશ તરફ આકર્ષવાના છે.”

અહીં બે કૃતિઓ ટાંકી છે. આગળ કહ્યું એમ બન્નેનું પોતપોતાનું અનુભવવિશ્વ છે જે પોતાનું હોવા છતાં એકસમાન છે. એકે અનુભવ કરી લીધો છે અને અનુભવજન્ય પરિણામ તરફ આપણું ધ્યાન દોરે છે અને બીજો તાજોતાજો અનુભવ કરી રહ્યો છે અને ભવિષ્ય વિષે ભયભીત કરનારી લાગણીઓ તરફ ધ્યાન દોરે છે. આપણે જ્યારે અવળી દિશામાં યાત્રા શરૂ કરી જ દીધી છે ત્યારે આપણી પહેલાં એ જ માર્ગે ચાલેલા વટેમાર્ગુઓનો અનુભવ સમજી લેવો જોઈએ. આજે જ્યારે હિન્દુ કોમીજ્વર દેશમાં પેદા થયો છે ત્યારે ભારતીય ઇસ્લામના સુંદર બગીચાને કેટલાક મુસલમાનોએ રગદોળી નાખ્યો અને એનું આજે જે પરિણામ જોવા મળી રહ્યું છે એના વિષે આ કોલમમાં લખવામાં આવશે.

સૌજન્ય : ‘નો નોનસેન્સ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 16 સપ્ટેમ્બર 2018

Loading

ક્રોસ રોડ : લેખિકા – વર્ષા અડાલજા : ૧૯૩૦- ૧૯૪૦ : બદલાતા સમાજનું પ્રતિબિંબ

બકુલા ઘાસવાલા|Opinion - Literature|16 September 2018


                                    'કોઈ તો સૂદ ચૂકાયે
                                                   કોઈ તો જીમ્મા લે,
                                     ઉસ ઈન્કિલાબ કા
                                             જો આજ તક ઉધાર હૈ.

                                                                                   — કૈફી આઝમી

વર્ષા અડાલજા લિખિત પ્રલંબ મહાગાથા ૧ સપ્ટેમ્બર ૧૯૨૩ થી (સ્વતંત્ર ભારતના પ્રથમ પારડી અન્ન ખેડ સત્યાગ્રહના ૩૦ વર્ષ પહેલાં) એક ઐતહાસિક સમયખંડનાં પડ ઉકેલવાનું શરૂ કરે છે, જે આઝાદી આંદોલનના સશસ્ત્ર ક્રાંતિકારી માનસથી લઈ ગાંધીમૂલ્યોમાં પરિવર્તિત એક બ્રાહ્મણ પરિવારની સ્ત્રી કેન્દ્રિત કથાઓને ઉજાગર કરે છે. તે સમયનો રૂઢિચુસ્ત સમાજ, યુવાન માનસની ઘટમાં ઘોડા થનગને, અદીઠી ભોંય પર યૌવન માંડે આંખની (મેઘાણી પરિકલ્પના)  માનસિકતા, લખતર, નવસારી વાયા કલકત્તા, મુંબઈ, અમદાવાદ, અમેરિકા ને લખતરનું વર્તુળ પૂરું કરી એ પલટાતાં યુગકર્મ ને ક્રમની ઝાંખી કરાવે છે.

આ નવલકથા વાંચવાં દરમ્યાન વાચક, ભાવક, કર્મશીલ તરીકે મેં તો મારી જાતનું પ્રતિબિંબ નાનાવિધ રૂપે એમાં જોયું છે, એટલે એ વધારે પોતીકી વાત લાગી છે. આ કથામાં અનેક પાત્રો છે અને સમાંતર પારિવારિક ઘટનાઓ ગૂંથાયેલી છે. છતાં ક્યાંક ને ક્યાંક એનું ઘટ્ટ પોત એક પરિવારની ફરતે મજબૂત રીતે વણાયેલું છે. ગોરબાપા ને જયાબાનો વિષ્ણુ-લક્ષ્મી-કુમુદ-ઉષા સાથે ત્રણ પેઢીમાં વિસ્તરેલો પરિવાર, સમુબા ને વાસંતીનું એ પરિવાર સાથેનું સાયુજ્ય, વેવાઈ ભવાનીપ્રસાદ – ફૂલકુંવર, દરબારગઢના બાપુનો પરિવાર, રણછોડ – ગોદાવરી પરિવાર, કલકત્તામાં ક્રાન્તિકારીઓના અલપઝલપ સંબધ ને કુટુંબ ભાવના પર હાવી રાષ્ટ્રભાવ, મહમ્મદ – રામચન્દ્ર ને વિષ્ણુના ઠાકુરમા, શાન્તાબહેન, પ્રીતિલતા, નરેન જેવાં સહ્યદયો સાથેના ભાવનાત્મક સંબંધો, પરાશર – કુમુદનું લગ્નજીવન ને ક્રાંતિકારી સામાજિક વલણ ઉષાની સમાજસેવી  એકત્વની આરાધના, વાસંતી – વિષ્ણુની અધૂરી પ્રેમકથાઓને આવરી લઈ એવો કથા પ્રવાહ વર્ષાબહેન વહેતો કરે છે, કે મેં પુસ્તક હાથમાં લઈને એકી બેઠકે સતત વાંચન દ્વારા પૂરું ન કર્યું  ત્યાં સુધી મને ચેન ન પડ્યું.

એ કાળખંડ એવો જ હતો કે બ્રિટિશરાજના પાયા હચમચાવી દેવા હોય તો સશસ્ત્ર ક્રાન્તિ જ ચાલે એવી વિચારલહેર હતી. ત્યારે ગાંધીજીએ સમાંતર અસહકાર ને અહિંસા દ્વારા માનસ પરિવર્તનનો મંત્ર ફૂંક્યો ને  ચૌરીચોરાથી દાંડી – ધરાસણા આંદોલનનું વાતાવરણ ગૂંથી લઈ કરેંગે યા મરેંગેની હાકલ કરી ને પૂરો દેશ એક થયો. આઝાદી મળી. એક તરફ આ ગતિવિધિ ને બીજી તરફ સામાજિક રૂઢિચુસ્તતાના કાંગરા ખરવાની પ્રક્રિયાનું ગુંફન સહજ – સરળ રસાળ ને રોચક આકૃતિનું સર્જન કરે છે. કારાગારના અત્યાચાર જો વખોડવા જેવા હતા તો જ્ઞાતિ ને સમાજના રીતરિવાજોની જડબેસલાક શૃંખલા પણ તોડી નાખવી મુક્તિ માટે જરૂરી જ હતી ને મારા મતે તો તે હજી પણ છે જ. બાળલગ્ન, પણતર-જણતર-ચણતર વચ્ચે રહેંસાતી જિંદગીઓ, વિધવાજીવન, પુન:લગ્ન, શહેરીકરણ પ્રભાવ ને ફાયદા – ગેરફાયદા, મુંબઈના માળા ને લખતરનાં ફળિયાં, કલકત્તાની ગીચ મજૂર બસ્તી ને વિકટતાઓ વચ્ચે નિકટતાઓને દ્રશ્યાંકિત કરી વર્ષાબહેને એક યુગદર્શન કરાવ્યું  છે.

હૃદયપરિવર્તન એ ધીમી પ્રક્રિયા હોય તો પણ આવકાર્ય છે, એ વાત અહીં સારી રીતે ઉજાગર થઈ છે. એક જ પરિવારના ચાર પેઢીના પ્રવર્તનમાં જે માનસિક બદલાવ છે, તે છેવટે તો દેશદુનિયાના પ્રવર્તનને જ ઝીલે છે. હજારો જિંદગીનાં બલિદાન પછીની મુક્તિ હજી પણ સ્વરાજની સાચી  વિભાવનામાં હાથવેંત નથી તેની હતાશા વચ્ચે અગનપંખીની જીવવાની પિપાસાની આબેહૂબ ઝલક આપવામાં લેખિકા સફળ થયાં છે. શાસકોની માનસિકતા, પોલીસરાજ ,સમાજ- સંપ્રદાય ને ધર્મની સકારાત્મકતા સાથે સમાંતર વિરોધી નાગચૂડમાંથી મુક્તિની તો આજે પણ એટલી જ જરૂર છે તે પણ ખાસ કરીને બહોળા સ્ત્રી સમુદાયને : આ સંદેશો મેં તો ઝીલ્યો. સ્ત્રીમુક્તિ કોનાથી? એ પ્રશ્ન વારંવાર પૂછાતો નથી છતાં એ દ્વંદ્વ બોડી બામણીની લાચારીમાંથી (આ રૂઢિપ્રયોગનો મને સખત વાંધો છે, અહીં મેં એ પ્રયોગ સમાજની માનસિકતા બતાવવા જ કર્યો છે.) શહીદી ને શક્તિસામર્થ્ય સુધી ઉજાગર થઈ, અંતે સ્ત્રી સંઘર્ષની સફળ ગાથા તો બને  જ છે સાથે પલટાતા યુગના સામાજિક, રાજકીય કાવાદાવાની સ્ત્રીસમુદાય પરની અસરને પણ બહાર લાવે છે. પૂરી દુનિયા એક સાથે ચારપાંચ સદીમાં જીવે છે જે પરંપરાગત ને આધુનિક તો છે, ક્યાંક સમય ને જિંદગી સ્થગિત છે, ક્યાંક પ્રવાહિત છે તો પણ સ્ત્રીઓ માટે તો એક પગલું આગળ કે બે પાછળ, અલકચલાણી પેલે ઘેર ધાણી, સાત છોકરાંની મા રાખનું વડું ખા, જૈસૈ થેની સાથે આશાન્વિત  પણ છે જ. વર્ષાબહેને આ નવલકથામાં 'જય અંબે' કેટલીવાર લખ્યું તે વિચાર મને સતત આવ્યો છે. હું એને માટે એમ સમજી છું કે સ્ત્રીઓનું જે ઘડતર છે તેમાં કદાચ આસ્થા એટલી In built છે કે  એને જાણે અત્યારે Criticise કરવાની જરૂર નથી! 'યથા પિંડે તથા બ્રહ્માંડે' તેમ જે 'બ્રહ્માંડમાં છે તે જ પિંડમાં છે ' એ વાત પણ અહીં અવારનવાર કહેવાતી રહી છે.

સરસ્વતીચન્દ્ર પછી ગ્રામલક્ષ્મી, ઝેર તો પીધા જાણી જાણી, શ્વેત રાત્રિ શ્યામ સિતારા, બત્રીસ પૂતળીની વેદના, સાત પગલા આકાશમાં, અપરિચિતા જેવી અનેક નવલકથાઓથી હું પ્રભાવિત થઈ છું. તો પણ મારે કહેવું જોઈએ કે 'ક્રોસ રોડ' મને સાંપ્રત સમયમાં અસરકારક લાગે છે. પાંચસો ને સાઠ પાનાંમાં વિસ્તરેલી આ કથા હજી ઘણી વાત કરવાની બાકી રાખે છે એવી છાપ પણ પડે. રોજબરોજની જિંદગી કાંઈ વર્ણવવાની ન હોય છતાં રોજિંદી જિંદગી જ ઝીણી ઝીણી વાતને વણીને એક કથાનું સર્જન કરે છે. પુનરાવર્તનના જોખમ સાથે લખું છું કે મને તો મારા કાર્યક્ષેત્ર ને રસક્ષેત્રનાં  કારણે સતત લાગ્યું કે આ કથાના પાત્રોમાં હું જ ક્યાંક છું. આવો અનુભવ કે અનુભૂતિ વાચક કરે એટલે સર્જક તો સફળ જ.

Loading

વાનુઆતુ નામના ખોબા જેવડા દેશના શાસકોએ નીરવ મોદી વિષે ભારતમાં તપાસ કરાવી તો ધ્યાનમાં આવ્યું કે આ ભાઈની ચાલચલગત બરોબર નથી અને મોટો કૌભાંડી છે, માત્ર આપણને તેની જાણ નહોતી. આવું બને?

રમેશ ઓઝા|Opinion - Opinion|15 September 2018

પ્રશાંત મહાસાગરમાં વાનુઆતુ નામનો એક દેશ છે એનું નામ સાંભળ્યું છે? નહીં સાંભળ્યું હોય, મેં પણ પહેલીવાર સાંભળ્યું. એ નાનાં-નાનાં ૮૦ ટાપુઓનો દેશ છે અને તેની કુલ વસ્તી બે લાખ ૭૦ હજાર છે. પંજાબ નેશનલ બેન્કને ૧૩ હજાર કરોડ રૂપિયામાં નવડાવીને નાસી ગયેલો નીરવ મોદી તો હીરાપારખુ છે, તેણે પ્રશાંત મહાસાગરમાં પડેલા આ હીરાને પારખી લીધો હતો. પંજાબ નેશનલ બેન્કનું કૌભાંડ જાહેર (પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે એમ) કરવામાં આવ્યું એના ત્રણ મહિના પહેલાં નીરવ મોદીએ વાનુઆતુનું નાગરિકત્વ ખરીદવાની તજવીજ કરી હતી.

આ જગતમાં એવા ઘણા દેશો છે જે ગુનેગારોનું આશ્રયસ્થાન છે. થોડી આડવાત કરી લઈએ. ભારત આઝાદ નહોતું થયું અને અંગ્રેજોનું રાજ્ય હતું ત્યારે આપણું કાઠિયાવાડ આવી ખ્યાતિ ધરાવતું હતું. બાપુઓનું રાજ હતું અને કુલ ૨૨૨ બાપુઓ પોતપોતાની રિયાસતોમાં કાઠિયાવાડમાં રાજ કરતા હતા. કાયદો અને વ્યવસ્થાનું નામ નહીં અને જેની લાઠી એની ભેંસ. બાપુઓ વહીવટી આવડત પણ ખાસ ધરાવતા નહોતા એટલે મહેસૂલી આવક થતી નહોતી. અમલદારો અને ભાયાતો વચ્ચેથી આવક ચાંવ કરી જતા હતા. આ સ્થિતિમાં દરબાર ગઢના ખર્ચા પણ નીકળતા નહોતા ત્યાં રૈયતનું કલ્યાણ તો બહુ દૂરની વાત છે.

આવી સ્થિતિમાં હિન્દુસ્તાનભરના ગુનેગારો કાઠિયાવાડમાં આવીને છુપાતા હતા. કોઈ બાપુઓને કે ભાયાતોને પૈસા આપતા હતા, કોઈ ગામ ભાંગીને ભાગ આપતા હતા અને કોઈ વેશપલટો કરીને બાવા બનીને જિંદગી વિતાવતા હતા. કાઠિયાવાડમાં સૌથી વધુ ધાર્મિક સ્થાનો (કાઠિયાવાડી ભાષામાં જગ્યાઓ) અને સદાવ્રતો છે એનું કારણ આ છે. દયાનંદ સરસ્વતીએ તો અત્યારે ભગવાન તરીકે પૂજાતા એક સાધુને ઉત્તર પ્રદેશમાં ગુનો કરીને કાઠિયાવાડમાં છુપાયેલા ગુનેગાર તરીકે ઓળખાવ્યા હતા. આજે પણ હિન્દુસ્તાનમાં જેટલા સાધુઓ છે તેના ૮૦ ટકા એકલા કાઠિયાવાડમાં નજરે પડશે.

વિરમગામ લાઈનદોરી જેવો શબ્દપ્રયોગ પણ તમારે કાને પડ્યો હશે. એ જમાનામાં વિરમગામથી મુંબઈ રાજ્ય શરૂ થતું હતું. બાપુઓની રેલવે વિરમગામ આવે ત્યારે મુંબઈ રાજ્યની પોલીસ રેલવે પ્લેટફોર્મ પર આડાં દોરડાં બાંધીને ઊભી રહી જાય અને કાઠિયાવાડમાંથી બ્રિટિશ ભારતમાં પ્રવેશવા માંગતા એકેએક જણની તપાસ કરવામાં આવે. ગાંજો, અફીણ, જમૈયો, તમંચો તો સાથે નથીને તેની તપાસ કરવામાં આવે. આ અપમાનજનક તપાસ ગાંધીજીના આવ્યા પછી તેમના પ્રયાસના કારણે બંધ થઈ હતી. જો કોઈ કાઠિયાવાડીનું જાડું વર્તણૂંક નજરે પડે તો તેને વાયા વિરમગામ તરીકે ઓળખાવવામાં આવતો.

ઓગણીસમી સદીમાં ભારતમાં જે સ્થાન કાઠિયાવાડનું હતું એ અત્યારે પ્રશાંત મહાસાગરના અને કેરેબિયન સાગરના ટાપુઓના બનેલા દેશો ધરાવે છે. પૈસા આપો અને નાગરિકત્વ મેળવો. તમને એ દેશનો પાસપોર્ટ આપવામાં આવશે જેના આધારે તમે આખા જગતમાં ફરી શકશો અને ધંધો કરી શકશો. હા, વિરમગામ રેલવે સ્ટેશને જે રીતે તપાસ કરવામાં આવતી હતી એ રીતે જગતભરના એરપોર્ટ પર તમારી આકરી તપાસ કરવામાં આવશે. કોઈ મોટા દેશનો વતની બચુકલા દેશનો નાગરિક શા માટે બન્યો એ એક પ્રશ્ન પાસપોર્ટ ધારક સામે શંકા કરવા માટે પૂરતો છે, જે રીતે હિન્દુસ્તાની બોલનારો કાઠિયાવાડમાં શા માટે આવ્યો એ શંકા કરવા માટેનું દેખીતું કારણ હતું. 

તો નીરવ મોદીએ તેર હજાર કરોડ રૂપિયામાં પંજાબ નેશનલ બેન્કને ઉઠાડી મૂકી એ પછી તે નાસી જવાની તૈયારી કરતો હતો. આ બાજુ કૃપાળુ શાસકો અને બેન્કના અધિકારીઓ અધીરા હતા કે ક્યારે નીરવભાઈ કોઈ દેશમાં ઠરીઠામ થઈ જાય અને ક્યારે અમે ખોટાખોટા ફરિયાદી તરીકે પોલીસ સ્ટેશન જઈએ; હાય રે, અમે તો લૂંટાઈ ગયા. આગળ કહ્યું એમ નીરવ મોદી નાસી ગયો એના કેટલાક મહિના પહેલાં વાનુઆતુ નામના દેશની સરકારનો સંપર્ક કર્યો હતો અને ૨૦૧૭ના નવેમ્બર મહિનામાં નાગરિકત્વ માટેના પૈસા પણ ચૂકવી દીધા હતા. આશ્ચર્ય હવે આવે છે. પરમ આશ્ચર્ય. ભારત સરકારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એવું આશ્ચર્ય.

વાનુઆતુ નામના પોણા ત્રણ લાખની વસ્તી ધરાવતા દેશના શાસકોએ નીરવ મોદી વિષે ભારતમાં અને અન્યત્ર તપાસ કરાવી તો ધ્યાનમાં આવ્યું કે આ ભાઈની ચાલચલગત બરોબર નથી અને મોટો કૌભાંડી છે. વાનુઆતુના શાસકોએ નીરવ મોદીની નાગરિકત્વની અરજી ફગાવી દીધી હતી. હાય રે, અમે તો લૂંટાઈ ગયાની ભારત સરકારે અને બેન્કના અધિકારીઓએ પોક મૂકી એના ત્રણ મહિના પહેલાં બચુકલા દેશના શાસકોને ખબર પડી ગઈ હતી કે આ માણસ ઠગ છે.

કાંઈ સમજ પડી? ભારતથી હજારો કિલોમીટર દૂર આવેલા સાવ નિર્ધન વાનુઆતુના શાસકોને જેની ખબર પડી એ પંજાબ નેશનલ બેન્કના સંચાલકોને અને ભારત સરકારને ખબર નહોતી. એવું બને? બીજું વાનુઆતુના શાસકોને કોઈ ગેબી અવાજ નહોતો સંભળાયો કે આ માણસથી સાવધાન રહેજો. વાનુઆતુના અધિકારીઓ ભારત આવ્યા હતા અને સત્ય જાણી ગયા હતા, માત્ર આપણને સત્યની જાણ નહોતી. આપણને તો ત્યારે ખબર પડે છે જ્યારે નીરવ મોદી પરિવાર સાથે વિદેશમાં ઠરીઠામ થઈ જાય છે. નાસી ગયા પછી ભારતીય પાસપોર્ટનો ઉપયોગ કરીને નીરવ મોદી લંડન ગયો હતો. ભારતે જ્યારે ખોટો ખોટો દેખાવ પૂરતો વાંધો લીધો ત્યારે બ્રિટિશ સરકારે કહ્યું હતું કે પાસપોર્ટ તમારો છે, વેલિડ છે, તેને રદ્દ કરાયો હોવાની અમને કોઈ જાણકારી આપવામાં નથી આવી, ભાળો તો પકડોની લૂકઆઉટ નોટિસ નથી બહાર પાડવામાં આવી, ત્યાં અમે શું કરીએ?

છે ને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી ઘટના? કહો જોઈએ, કોણ ૫૬ ઈંચની છાતી કોણ ધરાવે છે, વાનુઆતુના શાસક કે આપણા શાસક? હવે કિંગફિશર એર લાઈન્સના સ્થાપક વિજય માલ્યાએ કરેલા ગૌપ્યસ્ફોટ વિષે વિચારો. તેમણે લંડનની અદાલતની બહાર પત્રકારોને કહ્યું હતું કે ભારતમાંથી નાસી જતા પહેલાં તે નાણા પ્રધાન અરુણ જેટલીને મળ્યો હતો અને કોઈ એક રકમ ચૂકવીને મેટર ખતમ કરવાની ઓફર કરી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે હું આવતીકાલે જીનીવા જઈ રહ્યો છું. હવે કોઈ એમ તો ન જ કહે કે હું પાછો ફરવાનો નથી. અરુણ જેટલી કહે છે કે માલ્યા જૂઠું બોલે છે. વિજય માલ્યા લંડન પહોંચી ગયો એ પછી ભારત સરકારે અદાલતમાં પોક મૂકી હતી કે અરે રે આપણે લૂંટાઈ ગયા, વિજય માલ્યા નાસી ગયો છે. 

એક સરખી ઘટના. પહેલાં વિજય માલ્યા અને પછી નીરવ મોદી-મેહુલ ચોકસી. ‘અરે રે આપણે લૂંટાઈ ગયા, આરોપી નાસી ગયા અને ખબર પણ ન પડી’. વાનુઆતુની ઘટના પછી તમે કોના પર ભરોસો મૂકશો? વિજય માલ્યા પર કે આપણા નાણા પ્રધાન અરુણ જેટલી પર?

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 15 સપ્ટેમ્બર 2018

વાનાઆતુના નકશા સૌજન્ય : "વિકિપીડિયા" 

Loading

...102030...2,9962,9972,9982,999...3,0103,0203,030...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved