Opinion Magazine
Number of visits: 9685946
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હું હરનિશ જાની

રજની પી. શાહ (અાર.પી. ન્યુ યોર્ક)|Diaspora - Literature|18 November 2018

રખે એવું માનતા કે આ એની  આત્મકથાનું વાક્ય છે. આ તો જ્યારે એ આપણને ફોન કરે, ત્યારે એનું પહેલું ઈન્ટ્રો વાક્ય હોય છે. આપણે એનો અવાજ, એનો થથરાટ, એના અર્ધવિરામો, એના પોતાના જોક્સ પર એનું પોતાનું હસવું, એનો ગૂઢ અર્થ જે અાપણે કદાચ ના સમજી શક્યા હોય, એ બધું અાપણે બરાબર સાંભળતા હોઈએ છતાં એ અાપણાં બોલેલા વાક્ય ઉપર વોઈસ ઓવર કરીને બોલે : ‘હું હરનિશ જાની’.

છેલ્લાં ૩૫ વર્ષથી અમારો અા અનિયત ફોન કોલ્સનો નાતો. કુલ ૪૦ મિનિટના ફોનકોલમાં ૩૭ મિનિટ એની. અાપણી ૩ મિનિટ તો પેલા નાટકના પ્રોમ્પટર જેવી. અાપણે એકાદ બે ચાવીરૂપ શબ્દો અાપીએ કે ‘અા અાદિલનો પ્રોબલેમ એ છે.’ કે તરત એ વાક્ય આપણી પાસેથી છીનવી લે ને પછી અાદિલની વાત તો અાડવાતની જેમ હડસેલી દે ને મોટેથી બોલે, ‘હું ને અાદિલ એકવાર શિકાગો ગયેલા ત્યારે ડબાવાલા ..’  કરીને નવી જ વાર્તા માંડે ને અાખી વાત એના કોઈ ચાહકે અેની એકાદુ જૂની વાર્તા ‘સેવાનો મારગ’ કેટલી વખાણી તેની વાત કરે. પછી મને ફોન હેંગપ કરતાં પહેલાં નાંખી દેવા કશું પૂછે, ‘અાર.પી., તમે, યાર, કશું કહેતા હતા.’ આપણને એવા બીઝી રાખે કે આપણે શું બોલવાનું હતું તે વિષય જ ચૂકી જઈએ. મને કોઈવાર તો એવા ભણકારા વાગે કે એના બાયબાય પછી પણ જ્યારે હું ફોન મૂકી દેતો હોઉં ત્યારે હજુ હરનિશ ‘હલો .. હલો! હ .. લો?’ કરીને રિકનેક્ટ કરવા માંગતો હોય.

કોઈ તલાટીનો ચીકણો કારકૂન જેમ સનદી ચોપડામાં તમારી પ્રોપર્ટીના ઘનફૂટની વિગતો ભરે તેટલી જ બારીકાઈથી હરનિશ એની વાર્તાઅોમાં વિગતો અને ચોકસાઈ પૂરે .. એની સાથેના અનેક પ્રસંગોમાંથી શું યાદ કરવું, શું ચૂંટવું અને શું લખવું જે વાચકને પણ અપીલ કરે, એ મારા માટે અઘરું છે માટે મારી એક રમૂજી કેફિયત પછી હું એની બે વાર્તાઓ મારી રીતે પ્રસ્તુત કરીશ.

એ કોઈવાર અધ્ધર જ ટેલિફોન કરે.’ અાર.પી., મેં તમને અા વાત કરેલી? અમે બોસ્ટન ગયેલા તે? પેન્સિલવેનિયાની ગેંગને રાઈડ આપેલી. અા રાઈડો લેનારા માણસો પર તો દોસ્ત,અાખી બુક લખાય. ગાડી હું ચલાવું પણ રાઈડો લેનારા મારી (અશિષ્ટ ક્રિયાપદ છે)  કોઈ કહે, ‘લેફ્ટમાં લો, કોઈ કહે, ‘રાઈટમાં’ તો લેફ્ટવાળો બોલે, ’અાપણે એક્ઝીટ ચૂકી ગયા, હવે બે માઈલ પછી યુ ટર્ન લેવો પડશે’. ખરેખર તેમાં જ એક મોટો એક્સિડેન્ટ થતો થતો રહી ગયો.’હરનિશને પહેલો હાર્ટ એટેક આવ્યો ત્યારે મેં એને મેડિકલ સલાહ અાપેલી,  ‘તું બેડમાં લાંબો ટાઈમ પડી રહે છે, તો એક સલાહ આપું. કશું જ કરતો ના હોય ત્યારે પગના પંજા ઊંચાનીચા કર્યા કરજે. અથવા હંસાને કહેજે કે ઘુંટણ નીચેના તારા પગની માલિશ કરી આપે, જેથી તારા લોહીમાં ક્લોટ ના થાય. પછી એ ઘરે આવ્યો.

તે જમાનામાં એણે પોતાની હાસ્યબેઠકો શરૂ કરેલી. અમેરિકામાં હજુ એવા પ્રોગ્રામ બહુ ચાલુ થયા નહતા. શાહબુદ્દીન રાઠોડનો કદાચ એકાદ પ્રોગ્રામ થયો હશે. એ ખુશ હતો કારણ એવા પ્રોગ્રામમાં એને પુરસ્કાર મળે, પ્લસ આવવા-જવાનું એરફેર, પ્લસ રહેવાની વ્યવસ્થા થાય. લોકો પોતાના જોક્સ ઉપર હસે તે તો નફામાં. અા બેઠકોથી એને લખવાની ચાનક ચઢી. એ જ કળાથી એણે ગુજરાતી લિટરરી એકેડેમી અોફ નોર્થ અમેરિકાનો વાર્ષિક પ્રોગ્રામ ‘સર્જકો સાથે એક સાંજ’ ચાલુ રાખ્યો અને એણે લોકોને હસાવ્યા.

એક વાર એણે મને ફોન કર્યો, ‘હું હરનિશ જાની’. પછી હું કશું બોલું તે પહેલાં એ મને કહે: “તમારા પેલા જોકમાં લોકો, યાર, બહુ હસ્યા.”

“કયો જોક? મારો ?” મેં પૂછ્યું.

“મેં પ્રેક્ષકોને કહ્યું કે મને હાર્ટ એટેક આવી ગયા પછી, મારા મિત્ર ડો. આર.પી. શાહે મને એક સલાહ આપી તે બહુ કામમાં લાગી.” 

“કઈ સલાહ?” મેં પૂછ્યું.

એટલે એ કોઈ જાહેર જનતા માટેનું સત્તાવાર હેલ્થ બુલેટિન વાંચતો હોય તેમ બોલ્યો, “ડોક્ટર અાર.પી.એ સલાહ આપી છે કે હાર્ટ એટેક પછી જલદી રિકવરી કરવી હોય, તો મારે હંસાના પગ દાબવાના. હંસાના પગનું રોજ મસાજ કરવાનું.”

મને હસવું આવી ગયું, હાસ્ય લેખકો એમનાં નજીકનાંને જ વાર્તામાં ઘસડે. યાદ કરો, પહેલાંના જમાનામાં હાસ્યકારો એમની ‘શ્રીમતીઅો’ પર જ જોક્સ મારતા. કાર્ટૂનમાં પણ શ્રીમતીજીનાં મોટા ડોળા અને મોટાં નિતંબ બતાવે ને હાથમાં ઝાડુ કે સાવરણી હવામાં વીંઝતી બતાવે. જ્યારે પતિ ધોતિયામાં અને ખાદી ભંડારની બંડીમાં; અાર.કે. લક્ષ્મણના કાર્ટૂન જેવો નિર્દોષ બતાવે.

મનમાં મેં એમ પણ શંકા ઉઠાવી કે એને કહું કે “હા હા, એમ જ ચાલુ રાખજે કારણ હંસાનો તો હું ફેવરિટ ડોક્ટર ગણાઈશ!” અને કોને ખબર કદાચ આ હાર્ટ એટેક પછીની એક નવી ટ્રીટમેન્ટ મારા હાથે શોધાશે કે વાઈફના પગ દાબવાથી કદાચ દરદીનું એડૃીનાલિન લેવલ ઘટે. અને જો એમ થાય તો હાર્ટના સ્નાયુને વધારે ઓક્સિજન મળે અને માટે જલદી રુઝાય. મારી અા શોધથી કદાચ ટાઈમ મેગેઝિનના કવરપેજ પર મારો ફોટો છપાય. થેંક્સ ટુ હરનિશ જાની.

હાસ્યનિબંધો લખનારા જે નામો ગુજરાતમાં છે, એ બધા પૂરોગામીઓને યાદ કરો. જ્યોતીન્દ્ર દવે, ધનસુખલાલ મહેતા, બકુલ ત્રિપાઠી, વિનોદ ભટ્ટ, વગેરે વગેરે અને હાલના વિદ્યમાન ભાઈ શ્રી રતિલાલ બોરીસાગર. એ બધાની કેટેગરી, કટાક્ષ – નિબંધ એક્સપર્ટ. તારક મહેતાએ હાસ્યની ધારાવાહિક શ્રેણી શરૂ કરી જે ટેલીવિઝન ઉપર સફળ થઈ અને લાખો લોકોએ નિહાળી. પણ હરનિશ એ બધાથી જુદો પડે છે. એણે હાસ્ય વાર્તાઓ લખી. વાર્તા શબ્દ નીચે લાઈન દોરો. એવી વાર્તાઅોમાંથી મેં બે નમૂના પસંદ કર્યા છે. તે જોઈએ. એના વિષયો અને પાત્રો મહદ્દ અંશે રચાયા છે, દરિયાપારના ગુજરાતીઅો ઉપર. કયારેક ડાયાસ્પોરા સાહિત્યની વાત થશે ત્યારે અા વાર્તાઅો વધારે પ્રકાશમાં અાવશે.

હરનિશનો પહેલો વાર્તાસંગ્રહ તે ‘સુધન’. એની પહેલી જ વાર્તા તે ‘સુપર કંડક્ટર’. એક અદ્દભુત નકશીકામ કરેલી વાર્તા. લેખક પોતે પણ એક સાયન્સનો ગ્રેજ્યુએટ છે (મારી એમ.એસ. યુનિવર્સિટી, વડોદરાના ભૂતપૂર્વ વિદ્યાર્થી) એટલે સહજ રીતે એમના પાત્રોમાં ક્યાં, શું કામ? કેવી રીતે? તો પછી અામ કેમ નહીં? એ પ્રશ્નો અચૂક આવે એ પ્રશ્નો જ ઘણીવાર  હાસ્યની કોઠીમાં ફૂલકણીનો ગલ નાંખવાના પ્રોસેસમાં મદદ કરે.

એ વાર્તા કંઈક અાવી છે : દસેક વર્ષ પહેલાં આખી દુનિયામાં દરેક ખૂણે જ્યાં જ્યાં ગણપતિની મૂર્તિઅો હતી, એ બધા ગણપતિઅો દૂધ પીતા હતા. અાપણે ટેલીવિઝન પર જોતા’તા કે હજ્જારો લોકોની લાઈનો પડી અને બધાનાં દૂધના ડોલચાંમાંથી ગણપતિઅોેએ દૂધ પીધાં. એક્ઝિટ પોલમાં સાૈએ કબૂલ્યું કે એ સાચે જ કલિયુગનો એ એક મહા ચમત્કાર હતો. આ વાર્તામાં એક ઉમાબહેન છે, જેમની પોતાની માલિકીની એક ગણેશની મૂર્તિ છે. એમના પતિ છે, જે નરો વા કુંજરોવા જેવા ડબલ ઢોલકી છે. એ દંપતીના એક મિત્ર છે મિસ્ટર પટેલ. જે એક મોટી કંપનીમાં કામ કરે છે એ કંપનીમાં જ એમના વડા છે, ડો. મોર્ગન જે વૈજ્ઞનિક માણસ છે.

ડો. મોર્ગનને અા ગણપતિનો ભેદ ઉકેલવો છે, માટે એ મિસ્ટર પટેલને વચમાં રાખી ઓફર આપે છે કે ‘તમે ગણપતિના માલિકનો સંપર્ક કરો અને દસ હજાર ડોલર અાપીને એ મૂર્તિ ખરીદી લાવો. અાપણે વૈજ્ઞાનિક રીતે અેને તોડીને, એનું પૃથક્કરણ કરીએ અને શોધી કાઢીએ કે અા દૂધનો ભેદ કયા સિદ્ધાંતથી ઊકલે. ઉમાબહેન પૂછે છે કે આ લોકો મૂર્તિને ખરીદ્યા પછી ગણપતિનું શું કરે?

તો પટેલ કહે છે કે મિ. મોર્ગનને એ શોધવું છે કે આ ગણપતિ માત્ર દૂધ જ પીએ છે  કે પછી કેરોસિન કે પાણી પણ પીએ? એવું લાગે છે કે એ બકનળીના સિદ્ધાંતથી ચાલે છે. એ માટે એમને ગણપતિનું પેટ ચીરવું પડશે અને સૂંઢ પણ કાપવી પડશે. ઉમાબહેન ધરાર ના પાડી દે છે. પોતાના ભગવાનની આવી દશા કરવાની? એ સાથે ડો. મોર્ગનની ઈચ્છા પણ વધારે ને વધારે પ્રબળ થતી જાય છે એટલે સુધી કે એ ઓફર અંતે બે લાખ ડોલર સુધી પહોંચે છે, એ સાંભળતાં જ ઉમાબહેનના પતિને વિચાર અાવે છે કે આટલા પૈસાથી તો ઘર આવે, કાર આવે અને ગરીબી મટી જાય. ઉમાબહેન પણ અંતે ફસકી જાય છે અને ઘોષણા કરે છે: ‘મને ગણપતિ સ્વપ્નામાં આવ્યા. અને મને કહે, તમે મને વેચી દો. મારા જેવી તો લાખો મૂર્તિઓ ફરે છે અહીં.’

જ્યારે બધા પાત્રો ડાઉન થઇ ને પડી જાય છે ત્યારે લેખક ચમત્કાર રચે છે. ડો. મોર્ગન પેલી બે લાખ ડોલરની ઓફર પાછી ખેંચી લે છે, કહે છે કે કંપનીને હવે બકનળીના સુપર કંડક્ટરમાં રિસર્ચ કરવી નથી, કારણ એ લોકો હવે ફાઇબર ઓપ્ટિક્સનું કામ હાથમાં લે છે. મારા હિસાબે અા વાર્તા પરથી ક્યાંક મુવી થઈ શકે, સુપર કંડક્ટર, સુપર કોમેડી. ધારોકે એ મુવી બને તો એનું સ્ક્રીન પ્લે હું લખીશ.

એવી જ બીજી વાર્તા મને ગમી છે, તેનું શીર્ષક છે, ‘સિનેમા નાટક અને વાર્તા’. એમાં બે પાત્રોનું અદ્દભુત ચિત્રણ કર્યું છે. પહેલું પાત્ર છે, કનુભાઈ પટ્ટી. લોકો એમને પટ્ટી એટલા માટે કહેતા’તા કે એ સ્થાનિક સિનેમાગૃહના પ્રોજેક્શનિસ્ટ હતા. કનુભાઈ એટલા બધા દિલીપકુમાર થી અંજાઇ ગયેલા હતા કે દિલીપકુમારના ‘અંદાઝ’ પિક્ચર પછી દાઢી વધારી, ‘નયા દાૈર’ પછી પોતે ઘોડાગાડી વસાવેલી. ગામમાં વરસાદ ન પડતો હોય તો પણ એ પોતાનું પેન્ટ ઘૂંટણ સુધી વાળીને પહેરે .. કનુભાઈ દિલીપકુમારની અદ્દલ નકલ કરતા દિલીપકુમાર દુખી હોય તો કનુભાઇ પણ સિરિયસ હોય. છેવટે એ બાજુના ગામના એક સીધાસાદા બહેનને પરણી ગયા.

એવું જ બીજું એક પાવરફુલ પાત્ર તે ગોપાનું. લોકો ગોપાને હૈદરઅલી કહેતા. શું કામ? તો એનો તર્ક હરનિશ અાપણને અાપે છે, તે સાંભળો. કહે છે કે હૈદરઅલી એક સાથે એકવીસને સાંભળી શકતો હતો. પણ ગોપાને એકની એક વાત એકવીસ વખત કહેવી પડતી. ગોપાના બાપાના કોડ હતા કે પોતાની જેમ એમનો દીકરો પૂજારી બને. પણ બધા પ્રયત્નો નિષ્ફળ ગયેલા, કારણ દશ વર્ષે લીધેલા એપ્ટિટ્યુડ ટેસ્ટમાં ગોપો ફેલ થયેલો. અહીં જૂઅો લેખકની અેન.અાર.અાઈ. ભાષા. એકવાર મેટ્રિકની પરીક્ષા આપવા બધા વડોદરા ગયા, ત્યારે પરીક્ષા આપીને ગોપો સીધો વડોદરામાં કલામંદિર ટોકીઝમાં ડોરકીપર તરીકે રહી ગયો. ગોપાના બાપા પાછો એને ઘેર તેડી લાવે છે. કનુભાઈ પટ્ટીની સિફારસથી એને પણ સ્થાનિક રમણભાઈ શેઠની ત્યાં જ ડોરકીપરની નોકરી મળી જાય છે. ગોપો ડોરકીપર તરીકે એક્સપર્ટ હતો. રોજના ૮-૧૦ ટિકિટ વગરનાને પકડી પાડતો. કનુભાઈ પટ્ટી એ ગોપાના મેન્ટોર છે. એ પોતાની ફિલોસોફી એને શીખવાડતા, “ચાર, નાર અને ચાકર એ અાપણાંથી નીચા હોવા જોઈએ’, કહીને પોતે કેવા છે અને ઘરમાં પોતાનો વટ કેટલો છે એ બતાવતા એ ગોપાને કહેતા, “તને હું ગુરુવિદ્યા આપીશ કે ઘરની સ્ત્રીને કેવી રીતે કાબૂમાં રાખવાની”.

પછી લેખક અાપણને એક ફારસ પ્રસંગ રૂપે કહે છે. કનુભાઈ પટ્ટી ગોપાને એક કામ સોંપે છે કે એ પોતાની પત્નીને સંદેશો અાપી અાવે કે એ વડોદરા જશે કારણ ફિલમ માટે કાર્બનના સળિયા વેચાતા લેવાના છે. ગોપો કનુભાઈની અા પરસ્ત્રી સાથેના ચેડાંની વૃત્તિ સમજતો નથી. એટલે એ ભોળપણથી કહે છે, “કાર્બનના સળિયા? અાપણી પાસે સ્ટોર રૂમમાં એક બોક્સ પડ્યું છે”. ત્યારે હરનિશ અાપણને એક ડહાપણનો અર્ક અાપે છે: ‘દુનિયામાં લુચ્ચાઈ અને અસત્યનો સામનો કરવો અઘરો નથી, પણ સત્યને ખોટું પાડવું એ ખૂબ અઘરું છે.’

ગોપાનું સમસ્ત પાત્ર અા વાક્યથી ઉપસી અાવે છે. ગોપાના તો નામમાં જ નિર્દોષતા છપાઈ છે.

ચાલુ પિક્ચરે કનુભાઈ પડદા ઉપર પોતે આંગળીઓના ઈશારાથી થી ગોપાને બોલાવે છે અને પૂછે છે, “પછી તારી ભાભી ને કહી આવ્યો કે નહીં ?’’

ત્યારે ગોપો કહે છે, “તમને કહેવાનું તો ભૂલી ગયો. ભાભી તો નીચે રમણભાઈ (કનુભાઈ પટ્ટીના બોસ) સાથે બોક્સમાં પિક્ચર જોવા આવ્યાં છે, કારણ કે એમને પણ દિલીપકુમાર ગમે છે.”

અહીંયા વર્તુળ પૂરું થાય છે. વાર્તા પતે છે. વાચક પર કોઈ ભાર નથી. માત્ર હળવું નિર્દોષ હાસ્ય. એ જ હરનિશની હથોટી.

આઠમા હાર્ટ એટેક વખતે હોસ્પિટલમાં દાખલ થયો હતો ત્યારે મને કહે, ‘અાર.પી., હવે તો હોસ્પિટલમાં દાખલ થવું એ એટલું રુટિન થઈ ગયું છે કે મારાં ઘરવાળાંમાંથી કોઈ એમની જોબ પર જતું હોય, ત્યારે મને હોસ્પિટલમાં ડૃોપ કરી દે; અને કહી દે કે જોબમાંથી સાંજે છૂટીશું, ત્યારે વિઝીટીંગ અવર્સમાં, સી યુ ..”

Sept. 24, 2018

****

488 Old Courthouse Rd. Manhasset Hills, NY 11040, U.S.A.

e-mail: rpshah37@hotmail.com

(પ્રગટ : ‘હરનિશ જાની સ્મૃિત અંક’, “ગુર્જરી”; અૉક્ટોબર 2018)

Loading

ન્યાયતંત્રમાં સુધારા કરવા વિશે કોઈ કેમ કંઈ બોલતું નથી ? ક્યારે ય વિચાર કર્યો છે?

રમેશ ઓઝા|Opinion - Opinion|18 November 2018

નિવૃત્ત ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુર જ્યારે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ હતા, ત્યારે એક કાર્યક્રમમાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા, એ ઘટના યાદ હશે. તેમના રડવાનું કારણ ન્યાયતંત્રની દુર્દશા હતું. તેમણે કહ્યું હતું એ દેશની ન્યાયવ્યવસ્થા તૂટી પડવાને આરે છે અને તેને માટે અમે એટલે કે જજો જવાબદાર નથી. એમાં સુધારાઓ કરવાની જગ્યાએ, જજોની ભરતી કરવાની જગ્યાએ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાની જગ્યાએ શાસકો અદાલતોની આલોચના કરે છે એ ખોટું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના મુખ્ય ન્યાયમૂર્તિને રડતા જોઇને હેબતાઈ ગયા હતા, પરંતુ તેમનો જ્યારે બોલવાનો વારો આવ્યો ત્યારે તેમણે મોઢામાંથી એમ નહોતું કહ્યું કે હવે પછી કોઈ ન્યાયમૂર્તિએ અને અદાલતનો આશરો લેનાર(વાદી-પ્રતિવાદી)એ રડવું નહીં પડે. હું બેઠો છું અને ન્યાયતંત્રમાં સુધારા કરીને રહીશ, એમ તેમણે નહોતું કહ્યું. તેમણે એવું વલણ દાખવ્યું હતું જાણે કે કોઈ શરમાવા જેવી ઘટના જ ન બની હોય. આને કહેવાય મોઢું ફેરવી લેવું.

ન્યાયતંત્ર સામે દેશમાં રાષ્ટ્રીય કાવતરું રચાયેલું છે અને કાવતરાખોર માત્ર બી.જે.પી. કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નથી. દેશનો સમગ્ર શાસકવર્ગ કાવતરાખોર છે અને તેમાં અમલદારોનો પણ સમાવેશ થાય છે. આ કાવતરું આજકાલનું પણ નથી. મોટા ભાગની બીમારીઓમાં જોવા મળે છે એમ આની શરૂઆત પણ ઇન્દિરા ગાંધીના વખતમાં થઈ હતી. રમત બહુ સ્પષ્ટ છે : ભ્રષ્ટ અને શિથિલ શાસકીય-રાજકીય વ્યવસ્થા જાળવી રાખવી હોય તો જેને જવાબ આપવો પડે એને નિષ્પ્રાણ કરી નાખો.

કોને જવાબ આપવો પડે? સંસદને. તો સંસદમાં તો બધા નાગા છે એટલે કોઈ કોઈની સામે એક હદથી વધારે આંગળી નહીં ચીંધે. આંગળી ચીંધશે તો પણ જેલમાં જવું પડે એવા રાજકીય કે વ્યવસ્થાકીય સુધારાઓ કરવાની કોઈ માગણી નહીં કરે. બીજો જવાબ અખબારો અને મીડિયાને આપવો પડે તો તેનાથી ડરવાની જરૂર નથી, કારણ કે તેને ખરીદી શકાય છે અને જો કોઈને ખરીદી ન શકાય તો પણ શો ફરક પડે છે? તેઓ વધુમાં વધુ ઉઘાડા પાડી શકે અથવા બદનામ કરી શકે, આપણને જેલમાં મોકલવાનો અધિકાર મીડિયાને નથી. જેલમાં મોકલવાનો અને સત્તાની બહાર કાઢવાનો અધિકાર એક આત્ર અદાલત ધરાવે છે એટલે તેને લકવાગ્રસ્ત રાખો. તેની એવી રીતે કમર તોડી નાખો કે આપણી રાજકીય કારકિર્દી પૂરી થાય ત્યાં સુધી અદાલત આપણા સુધી ન પહોંચી શકે.

તમે એક વાત નોંધી? ૨૦૧૪માં નરેન્દ્ર મોદી જ્યારે વડા પ્રધાનપદના ઉમેદવાર હતા, અને ચૂંટણી પ્રચાર કરતા હતા, ત્યારે તેમણે આકાશમાંથી તારા લાવી આપવાના વચનો આપ્યાં હતાં, પરંતુ ન્યાયતંત્રમાં સુધારા કરવાના વચનો નહોતા આપ્યા. યાદ કરો એ દિવસો. ચેક કરો યુ ટ્યુબના વીડિયો ક્યાં ય તમને એક કલીપ પણ નહીં મળે. બી.જે.પી.ના મેનિફેસ્ટોમાં ન્યાયતંત્રમાં સુધારા કરવાની વાત જોવા નહીં મળે. માત્ર બી.જે.પી. શા માટે? કોઈ રાજકીય પક્ષોના મેનિફેસ્ટોમાં આનો ઉલ્લેખ જોવા નહીં મળે. નરેન્દ્ર મોદી પહેલાં વિશ્વનાથ પ્રતાપસિંહ જેવા તારણહારો પ્રગટ થયા હતા, તેમણે પણ ન્યાયતંત્રમાં સુધારા કરવાના વચનો નહોતા આપ્યા. રામરાજ્ય લઈ આવીશું, પરંતુ ન્યાયતંત્રમાં સુધારા વિષે આંખ આડા કાન કરીશું.

છપ્પન ઈંચની છાતી ધરાવવાનો દાવો કરનારાઓ, પારદર્શકતાના બણગાં ફૂંકનારાઓ, સ્વચ્છતા અભિયાન ચલાવનારાઓ, જેના હાથમાં ખરેખર ઝાડુ છે અને સાફસૂફી કરવાની સત્તા ધરાવે છે, તેની તાકાતમાં વધારો થાય એવા કોઈ પ્રયાસ નથી કરતા; બલકે તેની તાકાત ક્ષીણ કરી રહ્યા છે. તેમને ખબર છે કે જો ન્યાયતંત્રને સક્ષમ કરવામાં આવશે તો સત્તા સુધી પહોંચાડનારી ભ્રષ્ટ વ્યવસ્થા ખતમ થઈ જશે અને જો મોટા ગોરખબંધા કરીશું તો જેલમાં જવું પડશે. ન્યાયતંત્રનું ત્રણ સ્તરનું માળખું એવું છે કે તેમાં દરેક સ્તરે છટકી નીકળવું મુશ્કેલ છે. ત્રણ સત્ર પછી પણ રિવ્યુ અને ક્યુરેટિવ પિટિશનની જોગવાઈ છે. મીડિયાને ખરીદી શકાય, જજને દરેક સ્તરે ન ખરીદી શકાય.

આનો ટૂંકો ઉપાય છે ગળું દબાવેલું રાખો. ત્રણ કરોડ કેસોનો ભરાવો થયો છે અને તેમાં વધારો થઈ રહ્યો છે. વકીલો કાયદાઓની આંટીઘૂંટી વાપરીને અને તારીખો માંગતા રહીને ન્યાયતંત્રને પરાસ્ત કરી રહ્યા છે. લેખિત રજૂઆત માટેની જોગવાઈ ન હોવાથી મૌખિક દલીલો દિવસોના દિવસો સુધી કરવામાં આવે છે કે જેથી કેસનો નિકાલ ન ન આવે. સૌથી મોટું શસ્ત્ર છે જજોની નિમણૂક નહીં કરવાનો અને અદાલતો માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું નહીં પાડવાનું. આ બધું જાણીબૂજીને કરવામાં આવી રહ્યું છે અને દાયકાઓથી કરવામાં આવી રહ્યું છે.

હવે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ કહ્યું છે કે ઈનફ ઈઝ ઇનફ. ઘણું થયું. તેમણે સામે ચાલીને અદાલતમાં કેસ હાથ ધર્યો છે અને કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારોને કહ્યું છે કે જજોની ભરતી વિષે અને ઇન્ફ્રાસ્ટ્રકચર વિષે શું કરવાના છે એ કહો. કુલ ૨૨,૦૩૬ જજોની જગ્યા છે એમાંથી ૫,૧૩૩ જગ્યાઓ ખાલી છે. એકલા ઉત્તર પ્રદેશમાં એક હજાર કરતાં વધુ જગ્યાઓ ખાલી છે. ટકાવારીમાં કહીએ તો ઉત્તર પ્રદેશમાં ૪૨.૧૮ ટકા, બિહારમાં ૩૭.૨૩ ટકા અને મેઘાલયમાં સૌથી વધુ ૫૯.૭૯ ટકા જગ્યા ખાલી છે. જજોની નિમણૂકનો અધિકાર સરકારોનો છે અને ઇન્ફ્રાસ્ટ્રકચરની તો પૂરી જવાબદારી સરકારોની છે. બને ત્યાં સુધી નિમણૂકની બાબતમાં વડી અદાલતોની અને કોલેજિયમની ઉપેક્ષા કરવાની અને ઇન્ફ્રાસ્ટ્રકચર તો ક્યારે ય આપવાનું જ નહીં.

જોઈએ મુખ્ય ન્યાયમૂર્તિના પ્રયત્નોનું કેવું પરિણામ આવે છે ! અત્યારના મુખ્ય ન્યાયમૂર્તિ રડનારા નથી અને એટલે તો તેમને સુપરસીડ કરવામાં આવશે એવો ડર હતો.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 18 નવેમ્બર 2018

Loading

KBC-ને મિસ્ટર બચ્ચન ગર્જનાપૂર્વક ‘જ્ઞાન કા દસવા અધ્યાય’ કહે છે, પણ ‘યે રહા આપ કે સામને’ પ્રશ્નોના ‘બિલકુલ સહી’ ઉત્તરો, જ્ઞાન નથી, માત્ર માહિતી છે.

સુમન શાહ|Opinion - Literature|18 November 2018

અલેક્ઝાન્ડર રડેલો ત્યારે વધારે 'ગ્રેટ' લાગેલો. હિટલરને પસ્તાવો થયેલો ત્યારે એ વધારે 'પાવરફુલ' લાગેલો

આતા માઝી સટકલી? ના.

૧ નવેમ્બર મારો ૮૦-મો જન્મદિવસ હતો. આ વાક્ય મેં ૬ નવેમ્બરે લખેલું. આજે ૧૭ નવેમ્બરે આ લેખ પ્રકાશિત કર્યો છે. હું ૮૦+ છું અને ૧૭ નવેમ્બર પણ ૧૭+ છે. હવે હું જો લખવા માગીશ કે ૮૦+ એટલે કેટલા, ૧૭+ એટલે કેટલા, તો મારાથી નહીં લખી શકાય. કેમ કે ગણતરી દરમ્યાન દરેક પ્લસ પર બીજા પ્લસ ઉમેરાતા ચાલશે ને છેવટે મારાથી હારી જવાશે. સમયને લખાણથી અંકિત કરીએ પણ એ તો ત્યારે ય દોડતો હોય છે. લખનારને હંફાવે, થકવી દે. એટલે, કોઇપણ લખાણ તત્ત્વાર્થમાં અધૂરું હોય છે. લાગે કે લખવું મિથ્યા છે. હા, પણ સાંભળો, આ પળ સુધી લખાણને વિશે અહીં જે કંઈક લખી શકાયું, એ તો સાચું છે !

પણ સાચું એટલે શું? જૂઠની સામેનું તે? તો જૂઠ શું? સાચ-જૂઠને હું તો ચેસનાં પ્યાદાં સમજું છે. ચેસ શરૂ થાય એટલે લડાઇ શરૂ થાય પણ પતે પછી એ જ પ્યાદાં એવી જ ઠાવકાઈથી નવેસર લડવાને ગોઠવાઈ જાય. સાચ અને જૂઠ વચ્ચેની લડાઈ એવી છે. સાચ-જૂઠ જેવું બીજું જોડકું છે, વિચાર-પ્રતિવિચાર, વિચારોનાં જૂથ-પ્રતિજૂથ. ક્યારેક પ્રતિ-જૂથો હુતુતુ રમતાં હોય. આ તરફનો બળિયો વિચાર સામા જૂથના કેટલાયને ટચ કરીને આઉટ કરી દે. પણ એનો ઘૂંટણ છોલાઇ ગયો હોય એટલે એના જૂથવાળા રમવાનું માંડી વાળે. પાટાપિંડીમાં લાગી જાય. વિચારોના ખેલને શબ્દના શીશામાં ઉતારવાનું કામ સહેલું નથી. લખનારને વિચારો પણ હંફાવે છે, થકવે છે.

ત્રીજું જોડકું છે, માહિતી અને જ્ઞાન – ઈન્ફર્મેશન ઍન્ડ નૉલેજ. બન્ને આમનેસામને નથી. તેમ છતાં, માહિતી કોઇ મોટું જ્ઞાન નથી. KBC-ને મિસ્ટર બચ્ચન ગર્જનાપૂર્વક 'જ્ઞાન કા દસવા અધ્યાય' કહે છે પણ 'યે રહા આપ કે સામને' પ્રશ્નો અને તેના 'બિલકુલ સહી' ઉત્તરો, જ્ઞાન નથી, માત્ર માહિતી છે. 'માહિતીયુગ'-માં જ્ઞાન સપાટી પર આવી ગયું એટલે 'ઈન્ફર્મેશન ઈઝ નૉલેજ' ભલે બોલીએ; બાકી, સ્વીકારીએ કે માહિતી તો જ્ઞાનની માત્ર શરૂઆત છે.

હકીકત અને સત્ય – ફૅક્ટ ઍન્ડ ટ્રુથ – ચૉથું જોડકું છે. ૧-૧૧-૧૯૩૯ મારા જીવનની પહેલી તારીખ હકીકત છે પણ એ અન્યોની પણ જન્મતારીખ છે. એ સર્વસામાન્ય હકીકત છે. એથી ખાસ કશું અનુભવાતું નથી. પણ ૮૦+ એક સ્પન્દન રૂપે મારાથી હર પળે અનુભવાતું સત્ય છે. હકીકતો સમજાય છે. સત્યો અનુભવાય છે. સત્યો મનુષ્યને સ્વસ્થ બનાવે છે. હકીકતો મનુષ્યને તટસ્થ બનાવે છે.

જો કે આજે મને 'તટસ્થતા', સંસ્કૃતમાં 'તાટસ્થ્ય', અંગ્રેજીમાં 'ઈન્ડિફરન્સ' કે હિન્દીમાં 'ઉદાસીનતા' કહેવાતો આ પદાર્થ બહુ સતાવી રહ્યો છે. વાજબી કારણ વિના સમ્બન્ધને છોડી ગયેલાઓની ઉદાસીનતા; ચૉક્કસ ડિફરન્સ વિના મૂંગા થઇ ગયેલાઓનું ઈન્ડિફરન્સ; તટ પર ઊભા રહીને તમાશો જોનારાઓની તટ-સ્થતા; એનાં દૃષ્ટાન્તો છે. તટસ્થ હોવું આમ સારું છે પણ એમાં ને એમાં વિકસ્યા કરવું સારું નથી. વ્યક્તિ ક્રમે ક્રમે જડ થઈ જાય છે. અરે પણ, આજે હું સમય-લેખન, સાચ-જૂઠ, માહિતી-જ્ઞાન, હકીકત-સત્ય બાબતે શી માથાકૂટો લઈ બેઠો છું? આતા માઝી સટકલી લાગે છે. જો કે, જો એમ જણાવી શકાય છે તો એ 'સટકલી' હોય? ના. વાત એટલી છે કે તાટસ્થ્ય સતાવે છે.

જુઓ, નેચર અથવા પ્રકૃતિ આપણાં સુખ-દુ:ખ પ્રત્યે તટસ્થ છે. આકાશ અતિ વિશાળ, પણ ખાલી ! એની આગળ શી આશા રાખવી? અમેરિકામાં, અહીં, પાનખર ચાલે છે – ફૉલ. શીતળ પવનો માઈલોની ઝડપે દોડતા હોય. દુર્નિવાર ઝંઝા. લીલાશનો નાશ થઇ રહ્યો છે. વૃક્ષોના રંગ બદલાઈ રહ્યા છે. કોઇ યલો કોઇ બ્રાઉન કોઇ લવન્ડર કોઇ હળદરિયું કોઇ કંકુવર્ણું કે કોઇ તપખીરિયું થઇ ગયું છે. એકાદ અઠવાડિયામાં એ રંગરંગીન પરિદૃશ્ય વિલાઈ જશે. દરેકનાં બધાં જ પર્ણ-પુષ્પ ખરી જવાનાં. પંખીઓના માળા ઉઘાડા પડી જવાના. વૃક્ષોનાં એ કાળિયાં કંકાલ, બસ, ઊભાં હશે. માણસોનાં દુ:ખ એ ક્યાંથી ફેડવાનાં? મેઘધનુષ જોઈને વર્ડ્ઝવર્થનું હૃદય પ્રસન્નતાથી કૂદવા લાગેલું. પણ કવિનો આભાર માનવા મેઘધનુષ નીચે ઊતરી આવેલું નહીં. આષાઢી મેઘે વિરહી યક્ષના દૂત થવાનું સ્વીકારેલું પણ એ તો કાલિદાસની સર્જકતાનું માન રાખવા. બાકી, વિરહમાં યક્ષ રડી-કકળીને મરી પણ જાય, તો મેઘને શું ! ધરતીકમ્પ અતિવર્ષા પૂર સુનામી વનદવ ચક્રવાત, પ્રકૃતિનાં એ સૌ સન્તાન, સ્વમાં મસ્ત, પણ પૃથ્વીવાસી જીવો માટે અતિ ક્રૂર. જાનહાનિ અને મકાનો-મિલકતોની બરબાદીની એમને કશી પરવા નહીં. નેચર ઈઝ સો ઈન્ડિફરન્ટ.

ડાહ્યાઓ મને કહેવાના – તાટસ્થ્ય વિશે વિચારવાનું બંધ કર ને ! દાર્શનિકો કહેવાના – ચિત્ત કો નિર્વિચાર કરો. જો કે એ આદેશ પણ એક વિચાર છે ! અને, નિર્વિચાર ચિત્તમાં લાગ જોઇને નવા વિચારો અને તેના પ્રતિ-વિચારો તો ઘૂસી જ જવાના ! ત્યારે શું? ત્યારે પણ એ જ સાંભળવા મળશે – ચિત્ત કો નિર્વિચાર કરો. સત્યમ્ વદ – ધર્મમ્ ચર – લવ ધાય નેબર, જેવાં સુવચનો પણ તટસ્થ છે. માણસ સુવચન પ્રમાણેનું વર્તન ન કરે તો સુવચનોને શું ! એ ગૅરન્ટી નથી આપતાં કે માણસ સત્યવાદી કે ધર્માચારી થઇ જ જશે. સત્ય વદવા જતાં અ-સત્ય જાગી ઊઠે, ધર્મ આચરવા જતાં અધર્મ ડા'વાં ભરે, પાડોશીને પ્રેમ કરવા જાઓ, મૉં ફેરવી લે, તો એ દુષ્પરિણામો અંગે સુવચનો કંઇ કરી શકે નહીં. ચિત્તને સદાકાળ નિર્વિચારી નથી કરાતું. સુવચનો ભાષિક હસ્તીઓ છે, બોલાય તો જ પ્રગટે. કહેવા-સાંભળવા માટે વપરાયા કરે – જસ્ટ ટુ પાસ ઑન, ઍન્ડ ઑન …

ગણિત અતિ તટસ્થ વિદ્યા છે. હકીકત વર્ણવે, ૧+૧ = ૨. કોઈ બે જણાંને લાગ્યા કરતું હોય કે એમની વચ્ચે કોઇ ત્રીજું છે; ગણિત એ સ્થિતિને ય વર્ણવી બતાવે. પણ ત્યારે એ વર્ણન પણ એક હકીકત હશે. હકીકતોનું સત્યમાં રૂપાન્તરણ કરવાનું સામર્થ્ય, માત્ર કલા પાસે છે. કલાઓ માણસને સત્ય લગી દોરી જાય. આયોનેસ્કોના એક નાટકમાં, પતિ-પત્નીના વર્તમાન જીવનમાં કોઇ એક ભૂતકાલીન વ્યક્તિ છે. બીજા બેડરૂમમાં કેટલા ય સમયથી શબરૂપે સૂતેલી છે. નાટકમાં એ હકીકત સત્યરૂપે વિકસે છે – શબનો પગ રંગમંચના એક છેડેથી બીજા છેડે થોડી થોડી વારે વિસ્તરતો બતાવાય છે. એ સત્યને પ્રેક્ષકો ધ્યાનથી નીરખતા રહીને રસપૂર્વક અનુભવતા હોય છે.

આ ત્રીજું ચિત્ર આયોનેસ્કોના એ નાટકનું છે. પતિ એની પત્નીને બેડરૂમમાં સૂતેલી વ્યક્તિ વિશે કંઇક કહે છે …

એટલે, કવિ કહે છે, નરસૈંયો કહે છે, એ સાચું છે કે 'સુખ-દુ:ખ મનમાં ન આણીએ ઘટ સાથે રે ઘડિયાં'. 'ઘટ' એટલે 'શરીર'. ગાઇએ એટલે અનુભવાય કે સુખ-દુ:ખ શરીરની સાથે જ ઘડાયાં છે ને એની સાથે જ રહેવાનાં છે. એ સત્ય ગળે ઊતરે અને એનો સાક્ષાત્કાર થાય. હકીકતો નહીં, સત્યના સાક્ષાત્કારો જ માણસના ભાવજગતને સામર્થ્યવાન બનાવે છે. તાટસ્થ્યને વરેલો બુદ્ધિબળિયો નહીં, હૃદયબળિયો જીવનસમૃદ્ધ છે. અલેક્ઝાન્ડર રડેલો ત્યારે વધારે 'ગ્રેટ' લાગેલો. હિટલરને પસ્તાવા થયેલા ત્યારે એ વધારે 'પાવરફુલ' લાગેલો. એટલે, 'તાટસ્થ્યો બધાં જાવ પીગળી' – એવું કવિત આજે મારી 'સટકલી' કવે છે …

= = =

"સાહિત્ય સાહિત્ય" : લેખ ક્રમાંક : 220 : તારીખ ૧૭/૧૧/૨૦૧૮

https://www.facebook.com/suman.shah.94/posts/2209579732406261

Loading

...102030...2,9742,9752,9762,977...2,9802,9903,000...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved