Opinion Magazine
Number of visits: 9685821
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાશ્મીરનો પ્રશ્ન ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં એક માત્ર અડચણ છે, એ વાત ભારતમાં ધાવણું બાળક પણ જાણે છે. એમાં અકળાઈ જવાની શી જરૂર છે?

રમેશ ઓઝા|Opinion - Opinion|30 November 2018

પાકિસ્તાન પંજાબમાં કરતારપુર ખાતે કૉરિડોરનું ઉદ્દઘાટન કરતાં પાકિસ્તાનના વડા પ્રધાને કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં એક જ અડચણ છે, અને એ છે કાશ્મીરની. તેમણે કહ્યું હતું કે ‘હું જ્યારે પણ ભારત જઉં છું ત્યારે ત્યાંના લોકો મને સવાલ કરે છે કે પાકિસ્તાની લશ્કર ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાંતિમાં રોડા નાખે છે. આજે અંગત રીતે હું, પાકિસ્તાનનો વડો પ્રધાન, અમારો પક્ષ અને પાકિસ્તાની લશ્કર એક ભૂમિકાએ રહીને કહીએ છીએ કે એ ભારત સાથે સભ્ય સંબંધ (સિવિલાઈઝ્ડ રિલેશનશિપ)  માટે આતુર છીએ.

હવે ઇમરાન ખાનના આ કથન સામે ભારતને વાંધો છે. શા માટે? કારણ કે તેમણે કાશ્મીરનો ઉલ્લેખ કર્યો. એક સત્તાવાર નિવેદનમાં ભારત સરકારે કહ્યું છે કે કરતારપુર કૉરિડોરના ઉદ્દઘાટન જેવા પવિત્ર પ્રસંગે પાકિસ્તાનના વડા પ્રધાને કાશ્મીરનો ઉલ્લેખ નહોતો કરવો જોઈતો. ભારતનાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે કહ્યું છે કે ભારત પાકિસ્તાનમાં યોજાનારી સાર્ક દેશોની પરિષદમાં ભાગ નહીં લે.

સાર્ક દેશોના ચાર્ટર મુજબ સાર્કની શિખર પરિષદ જે દેશ સાર્કનું નેતૃત્વ કરતો હોય એ દેશમાં યોજાય છે અને નેતૃત્વ વારાફરતી દરેક સભ્ય દેશને મળે છે. અત્યારે પાકિસ્તાન સાર્કનું નેતૃત્વ કરી રહ્યું છે. સાર્કની સ્થાપના થઈ ત્યારથી એવું બનતું આવ્યું છે કે જ્યારે પણ પાકિસ્તાન સાર્કનું નેતૃત્વ કરતું હોય, ત્યારે ભારત ત્રાસવાદના વાંધાવચકા કાઢીને શિખર પરિષદનો બહિષ્કાર કરે છે, જેને પરિણામે સાર્કનો રથ આગળ જ નથી વધી શકતો. જગતનાં ઘણાં બ્લોકસ (સમહિતાર્થી દેશોના જૂથ) પરિણામ આપતાં થયાં છે, માત્ર સાર્ક જ તેમાં વાંઝિયું છે અને તેને માટે ભારત અને પાકિસ્તાન જવાબદાર છે.

અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે પાડોશી પૂછીને નથી મળતાં અને તેની સાથેના પ્રશ્નોમાં કોઈ પસંદગી નથી હોતી. તેમણે એ પછી આગળ વધીને કહ્યું હતું કે પસંદગી ઉકેલની હોય છે. ત્યાં નિયતિ કામ નથી કરતી, વિવેક કામ કરે છે. વાજપેયીને કેટલીકવાર નેહરુ સાથે સરખાવવામાં આવે છે, એ આ કારણે. જે પાડોશી મળ્યો એ મળ્યો અને એની સાથેના જે પ્રશ્નો આવ્યા એ આવ્યા. ઉકેલ આપણા હાથમાં છે જો વિવેક હોય તો. બને છે એવું કે ભારત અને પાકિસ્તાન ઘરઆંગણેની રાજકીય જરૂરિયાતને કેન્દ્રમાં રાખીને સાર્કને બાન પકડે છે. જમ્મુ અને કાશ્મીરનો પણ રાજકીય ઉપયોગ કરવામાં આવે છે.

આપણા વડા પ્રધાને ભારત અને પાકિસ્તાન વચ્ચેની બર્લિનની દીવાલ તોડી નાખવાની વાત કરી હતી. બોલવા મળે ત્યારે કાં તો ગાંધી થઈ જવાનું અને અને કાં સીધા લડવૈયા સૈનિક બની લલકારવાનું. વચ્ચેની ભૂમિ શોધવાની જ નહીં. આમ ઇમરાન ખાનનું નિવેદન બર્લિનની દીવાલ જેવું હોઈ શકે છે. ઇમરાન ખાન તોળીને બોલવા માટે અને વિવેક જાળવી રાખવા માટેની કોઈ ખ્યાતિ નથી ધરાવતા. હા, ત્યારે તેઓ વિરોધ પક્ષમાં હતા અને અને અત્યારે તેઓ શાસક છે એટલે ભાષા બદલાઈ હોય એ શક્ય છે. તેઓ કેટલા પોતાના શબ્દોની બાબતે ઈમાનદાર છે એની હવે ખબર પડશે.

સવાલ એ છે કે પ્રશ્નોને હાથ નહીં ધરો તો પ્રશ્ન ઉકેલાશે કઈ રીતે? આપણે જ પ્રશ્ન હાથ ધરવા પડતા હોય છે અને આપણે જ ઉકેલવા પડતા હોય છે. બાકી અત્યારે રાજકીય સ્વાર્થ સાધીને સળગતો પ્રશ્ન સંતાનોને આપી જવા જેટલા સ્વાર્થી બાપ હો તો જુદી વાત છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે દાયકાઓથી આવું જ થઈ રહ્યું છે. બીજું, કોઈ એમ તો કહેતું નથી કે આંખ બંધ કરીને ઇમરાન ખાનના ખોળામાં માથું મૂકી દો. વિદેશ વ્યવહાર સાવધાની સાથેના ભરોસા પર ચાલતો હોય છે. વિદેશ વહેવાર શા માટે, જગતનો દરેક વહેવાર આ રીતે જ ચાલતો હોય છે. પાકિસ્તાનમાં સત્તાપરિવર્તન થયું છે તો ભારતે એક અજમાયશ કરી લેવી જોઈએ.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં એક માત્ર અડચણ કાશ્મીર છે એવું ઇમરાન ખાને કહ્યું છે તો એમાં ખોટું શું કહ્યું છે? ભારતમાં ધાવણું બાળક પણ આ વાત જાણે છે. છાશ લેવા જવું અને દોણી સંતાડવાનો કોઈ અર્થ છે? કાશ્મીરની પ્રજા સાથે વાત કરવાની આવે ત્યારે કહેવામાં આવે કે જમ્મુ અને કાશ્મીર ભારતની અંગત બાબત છે. વિદેશોના મંચ પર કહેવામાં આવે કે જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય પ્રશ્ન છે એટલે ત્રીજા પક્ષકારને એમાં દરમ્યાનગીરી કરવા દેવામાં નહીં આવે. આવું ભારતે એક વાર નહીં સાત દાયકામાં સાતસો વાર કહ્યું હશે.આવાં બે છેડાનાં વલણ ભારત સરકાર સાત દાયકાથી અપનાવતી આવી છે. જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન કાશ્મીરની પ્રજા સાથેનો અંગત પ્રશ્ન છે તો મોટાભાઈ તરીકે કે બાપ તરીકે કાશ્મીરની પ્રજાને હૂંફ આપો ને! આપણા ઘરમાં આપણે આવું વલણ નથી અપનાવતા? હૂંફ આપશો અને કાશ્મીરીઓનાં દિલ જીતી લેશો એટલે આપોઆપ પાકિસ્તાન એક પક્ષકાર તરીકેની અને વિશ્વદેશો મધ્યસ્થ તરીકેની ભૂમિ ગુમાવી દેશે. પણ કાશ્મીરની સળગતી સમસ્યાનો બાકીના ભારતમાં રાજકીય ખપ છે તેનું શું? જો જમ્મુ અને કાશ્મીર એ પાકિસ્તાન સાથેનો દ્વિપક્ષીય પ્રશ્ન છે તો પાકિસ્તાન પક્ષકાર બન્યું કે નહીં? અને જો એમ હોય તો ઇમરાન ખાને શું ખોટું કહ્યું છે? સ્વાભાવિકપણે પાકિસ્તાન સાથે જમ્મુ અને કાશ્મીર અંગે વાત કરવી રહી અને ભારતે ભૂતકાળમાં અનેકવાર કરી પણ છે.

૨૦૧૪માં એક મજેદાર પ્રસંગ બન્યો હતો. ૨૦૧૪ના ઑગસ્ટ મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સચિવ સ્તરે ઇસ્લામાબાદમાં વાતચીત થવાની હતી. બેઠકના બે દિવસ પહેલાં ભારત ખાતેના પાકિસ્તાનના એલચીએ કાશ્મીરના હુર્રિયતના નેતાઓને મળવા બોલાવ્યા. એલચી કહે છે કે હુર્રિયતના નેતાઓ બેઠક પહેલાં તેમનો પક્ષ રાખવા માટે મળ્યા હતા, એટલે એ મિટિંગ હુર્રિયતના નેતાઓના કહેવાથી યોજાઈ હતી. ભારતે આનો વિરોધ કરીને સચિવના સ્તરની મંત્રણા રદ કરી નાખી હતી. શા માટે? કારણ કે જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન ભારત અને પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય બાબત છે અને તેમાં કાશ્મીરની પ્રજા સુદ્ધાં પક્ષકાર ન હોઈ શકે. એક બાજુ કહો છો કાશ્મીરનો પ્રશ્ન અમારો અંગત પ્રશ્ન છે અને બીજી બાજુ પોતાની જ પ્રજા ત્રીજો પક્ષકાર બની ગઈ? અને પાકિસ્તાન બીજો પક્ષકાર બની ગયું? ત્યારે ભારતના નિર્ણયની ઘણી ટીકા થઈ હતી, કારણ કે વિસંગતિમાં કોઈએ વિચાર્યું નહોતું એવું નવું પરિમાણ ઉમેરાયું હતું. એ પછી ઇન્ડોનેશિયાની મદદ સાથે ત્રીજા દેશમાં છૂપી મંત્રણા કરવી પડી હતી એ જૂદી વાત છે.

રોકડી હકીકત એ છે કે જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન ભારત માટે આંતરિક પ્રશ્ન પણ છે અને પાકિસ્તાન સાથેનો દ્વિપક્ષીય પ્રશ્ન પણ છે. બંન્ને પ્રશ્નો એક સાથે અસ્તિત્વ ધરાવે છે એટલે તેનો એ રીતે સ્વીકાર કરવો રહ્યો. ક્યારેક બર્લિનની દીવાલ જેવો સહેજે તોડી શકાય એવો માખણ જેવો બની જાય અને ક્યારેક માથું અફળાવો તો લોહી નીકળે એવો બની જાય એનો શો અર્થ છે? તેને તેના સાચા સ્વરૂપમાં સ્વીકારોને! અને સાવધાન રહેતા ક્યાં કોઈ રોકે છે? પણ આપણું ઘર બળતું રાખીને રાજકીય લાભ લેવો હોય તો? કાશ્મીર સાથે સાત દાયકાથી આમ કરવામાં આવી રહ્યું છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 30 નવેમ્બર 2018

Loading

આપણી ભાવભૂમિને સમૃદ્ધ કરે એવાં નવાં, અવનવાં, તાજગીસભર પુસ્તકોનો મજેદાર ફાલ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|30 November 2018

નવું તાજગીસભર વાચન  : સૉક્રેટિસ, ગાંધી, રવીન્દ્રનાથ, સહિત્યકારોનાં શબ્દચિત્રો, સામયિકોનાં અંકો 

બળાત્કારના ગુનેગાર આસારામની સંસ્થાનો સ્ટૉલ અમદાવાદ મહાનગરપાલિકાએ યોજેલા પુસ્તક મેળામાં હોવાની ધિક્કારાસ્પદ ઘટનાને માધ્યમોએ બરાબર ખુલ્લી પાડી. સોમવારે સાંજે પહેલીવાર પુસ્તક મેળામાં ગયાં પછી એ સ્ટૉલ પર નજર પડી એટલે મેળાનો વ્યક્તિગત ધોરણે બહિષ્કાર કરવાનો થયો. પણ તે પહેલાં ગાંધી દોઢસો નિમિત્તે જ થયેલાં નવાં પુસ્તકો હાથ લાગ્યાં.

નવજીવન પ્રકાશને ‘સત્યના પ્રયોગો’ની સમીક્ષિત આવૃત્તિ બહાર પાડી છે. ગાંધી વિચારના આપણા સમયના ગુજરાતના બહુ જાણીતા અભ્યાસી અને અનુવાદક ત્રિદીપ સુહૃદે તૈયાર કરેલી 685પાનાંની આ આવૃત્તિની એક વિશેષતા હાંસિયા નોંધો છે. અડતાળીસ પાનાંના પુરોવચનને અંતે સમીક્ષક ત્રિદીપ જણાવે છે : ‘એક પ્રકારની નોંધ, અંગ્રેજી અને ગુજરાતી ભાષાની આત્મકથા વચ્ચે પારસ્પર્ય ઊભું કરે છે. બીજા પ્રકારની નોંધ વ્યક્તિ, તારીખ, પ્રસંગ, પુસ્તક, સંસ્થા વિશે છે.’ ‘હિન્દ સ્વરાજ’ અને અંગ્રેજી આત્મકથાની સટીક આવૃત્તિઓ તૈયાર કરનાર ત્રિદીપ એમ પણ જણાવે છે કે ‘આવા ગ્રંથની સમીક્ષિત આવૃત્તિ આપણી ભાષા અને બૌદ્ધિક પરંપરામાં હોવી જોઈએ તેવી માન્યતાથી આ પ્રયાસ પ્રેરાયો છે.’ આવી આવૃત્તિ અત્યાર સુધી કેમ નહોતી એવો અચંબો  પણ – જેની મહત્તાનો જોવાથી જ ખ્યાલ આવી શકે તેવું – આ પુસ્તક જોતાં થાય છે.

મેળામાંથી યજ્ઞ પ્રકાશનનાં પુસ્તકો ભેટ મળ્યાં. ‘ગાંધી ઍન્ડ ધ અનસ્પીકેબલ : હિઝ ફાઇનલ એક્સપરિમેન્ટસ વિથ ટ્રુથ’  ગાંધી હત્યાને કેન્દ્રમાં રાખીને મહાત્માનાં જીવનકાર્ય વિશે વાત કરે છે. તેને મુંબઈનાં પત્રકાર, લેખક અને અનુવાદક સોનલ પરીખ ગુજરાતીમાં લાવ્યાં છે. પુસ્તકનું સહુથી લાંબુ પંચોતેર જેટલાં પાનાંનું પ્રકરણ ‘ગાંધી અને તેમના હત્યારા’ પ્રકાશન સંસ્થાનાં સેક્યુલર કૉઝ માટેનાં સરોકાર અને  હિમ્મત બતાવે છે. ‘એક અનન્ય મૈત્રી : મહાત્મા અને મીરાં’ સોનલબહેનનું જ મૌલિક હૃદયસ્પર્શી પુસ્તક વિષય માટેના ઊંડા લગાવ, તેના ઘણા અભ્યાસ અને ઉત્કટ અભિવ્યક્તિથી લખાયું છે. મીરાંબહેન તે મેડેલિન સ્લેડ (1892-1982) કહેવાની ભાગ્યે જ જરૂર હોય.

ગાંધી પરનાં હમણાંનાં પુસ્તકોની વાત છે ત્યારે રામચન્દ્ર ગુહા લિખિત ગાંધી ચરિત્રના બીજા ભાગ ‘ગાંધી: ધ યર્સ ધૅટ ચેન્જ્ડ ધ વર્લ્ડ 1914-1948’(પેન્વિન રૅન્ડમ હાઉસ)નો ઉલ્લેખ થવો જોઈએ. મોટાં કદનાં 1150 પાનાંનો આ ગ્રંથ ‘ગાંધી બિફોર ઇન્ડિયા’(2013)નું અનુસંધાન છે. જંગમ સંશોધન, આધાર સાથેની વૈચારિક ભૂમિકા અને વાચનીય રજૂઆત એ ગુહાનાં લખાણોની લાક્ષણિકતા ગાંધી-ગ્રંથોનાં જૂજ પાનાંમાંથી પસાર થતાં ય જણાઈ આવે છે.

ગાંધીજીએ સૉક્રટિસ પર ‘એક સત્યવીરની કથા’ નામની નોંધપાત્ર પુસ્તિકા લખી છે તે પ્રસિદ્ધ કરનાર નવજીવન પાસેથી તાજેતરમાં ‘સૉક્રેટિક ડાયલૉગ્ઝ’ પુસ્તક મળે છે. ગ્રીસના તત્વચિંતક પ્લેટો(ઇ.પૂ. 427-347)એ માર્ગદર્શક સૉક્રટિસ (ઇ.પૂ. 477-399) સાથે કરેલા સંવાદોનું અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ચિત્તરંજન વોરાએ ભાષાંતર કર્યું છે. પ્રાચીન ગ્રીક સાહિત્યમાંથી પ્લેટોનાં ‘રિપબ્લિક’, એરિસ્ટોટલનાં ‘પોએટિક્સ’ પુસ્તકો અને ઇસ્કીલસ-સોફોક્લિઝ-યુરિપિડિઝનાં શોકનાટ્યોના અનુવાદ પછી બહુ લાંબા ગાળે આ વર્ગનું મહત્ત્વનું પુસ્તક આપણી ભાષામાં આવ્યું છે. અંગ્રેજી પાઠ પર સહેજ નજર કરતાં સમજાય છે કે તેને બીજી ભાષામાં લઈ જવામાં ક્લિષ્ટતા કે વિષયને ન  છાજે તેવી અણઘડ સાદાઈ પ્રવેશવાની સંભાવના છે. ચિત્તરંજનભાઈએ આમ થવા દીધું નથી. એટલે અનુવાદ સાફસૂથરો બન્યો છે. બધાં પ્રકારનાં વિશેષનામો ગુજરાતીમાં લખવામાં ખાસ કાળજી દેખાય છે. મૂંગા રહીને કામ કરતાં રહેનારા ગાંધીવાદી અર્થશાસ્ત્રના પૂર્વ અધ્યાપક ચિત્તરંજને જૉન રસ્કિનનાં ‘અન ટુ ધિસ લાસ્ટ’ અને લિઓ ટૉલ્સ્ટૉયનાં ‘ધ કિન્ગડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યુ’ (વૈકુઠ તારા હૃદયમાં છે)  એવાં ખૂબ પ્રભાવક પુસ્તકોનો અનુવાદ કર્યો છે.

સંપાદક, અનુવાદક, પ્રકાશક અને ગ્રંથજ્ઞ જયન્ત મેઘાણી પાસેથી ગૂર્જર પ્રકાશને બહાર પાડેલાં રવીન્દ્ર સાહિત્યનાં ચાર રળિયામણા સંચયો મળે છે. ‘રવીન્દ્ર-પત્રમધુ’ કવિવરના અઢળક પત્રોમાંથી વીણેલા પોણાત્રણસોએક એમનાં સ્નેહ, સંતાપ, ઉલ્લાસ, વિચારજગત અને નર્મ-મર્મમાં ડોકિયું કરાવે છે. ‘રવીન્દ્રસાન્નિધ્યે’ ગદ્યસંચય છે. તેમાં બુદ્ધદેવ બસુના સંસ્મરણ-પુસ્તક ઉપરાંત ક્ષિતિમોહન સેન, રવીન્દ્રનાથના આર્જેન્ટિનાવાસી પૂજક વિક્તોરીઆ ઓકામ્પો અને પુત્ર રથીન્દ્રનાથના સંસ્મરણ-લેખો છે. વળી, કવિવરનાં ચાર આત્મકથનો અને અરુણા ચક્રવર્તીની અંગ્રેજી નવલકથા ‘જોરાસાંકો’નું એક પ્રકરણ પણ વાંચવા મળે છે. રવીન્દ્રનાથ સાહિત્યમાં ‘કબિતિકા’ તરીકે ઓળખાતાં લઘુકાવ્યોનાં રૂપકડો સંચય ‘સપ્તપર્ણી’ પહેલી વાર અને ‘તણખલાં’ ચોથાં પુનર્મુદ્રણમાં પ્રકટ્યો છે. રમણીય ભાષા, વિગતોમાં ચોકસાઈ, નિર્માણમાં સૌંદર્ય અને વાચકને અત્યુત્તમ આપવાનો પ્રયત્ન એ ભાવનગરના જયંતભાઈનાં કામની વિશેષતા અહીં પણ જળવાઈ છે. પિતાની જેમ જ રવીન્દ્રસાહિત્યના પ્રેમી એવા આ મેઘાણી-પુત્રે કવિવરનો અનુવાદ અંગ્રેજીમાંથી કર્યો છે. ગુજરાતી સાહિત્યમાં રવીન્દ્ર-અનુવાદની લગભગ પોણી સદીની પરંપરામાં જયન્તભાઈનું કામ નવોન્મેષ સમું છે.

રવીંદ્રનાથના આ અનુવાદોમાંથી થોડી સામગ્રીનું વાચિકમ્‌ મહેંદ્રસિંહ પરમારે તૈયાર કર્યું છે એ સાંભળવામાં તમને રસ પડશે :

https://www.youtube.com/watch?v=nhySToQGVQE

https://www.youtube.com/watch?v=U7DXwxQo0kQ&t=4s

https://www.youtube.com/watch?v=1p2Tl715LmU

ગુજરાત સાહિત્ય અકાદમીનાં મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’ના યાદગાર પૂર્વ સંપાદક અને કવિ હર્ષદ ત્રિવેદીનું ‘સરોવરના સગડ’ (ડિવાઇન પબ્લિકેશન્સ) એ દિવંગત સાહિત્યકારોનાં શબ્દચિત્રોનો એવો સંગ્રહ છે કે જે પૂરો વાંચ્યા વિના અળગો ન થઈ શકે. અહીં છે : એક પેઢીના ઉમાશંકર, દર્શક, યશવંત શુક્લ, રમણલાલ જોશી અને જયંત કોઠારી; ત્યાર પછીના ભોળાભાઈ, ઉશનસ, રાજેન્દ્ર- નિરંજન; પછીના કવિઓ લાભશંકર, ચીનુ મોદી, જગદીશ વ્યાસ; એકંદરે તળપદના હજારો વાચકો સુધી પહોંચેલા લોકધર્મી સાહિત્યકારો દિલીપ રાણપુરા, મીનપિયાસી અને બાપુભાઈ ગઢવી; પુસ્તકનિર્માણના કસબી રોહિત કોઠારી. લોકસંગ્રહી પ્રેમાળ સર્જક હર્ષદભાઈને ઘડતર અને કારકિર્દીના જુદા જુદા તબક્કે આ સાહિત્યકારોનો સહવાસ થયો છે. તેમને લેખકે ‘અંગત નિસબત, પંચેન્દ્રીયથી જેવા અનુભવ્યા એવા જ આળેખ્યા છે’. વ્યક્તિત્વનાં અનેક પાસાં સિફતથી પકડ્યાં છે, મહત્તા બરાબર ઉપસાવી છે, મર્યાદા ક્યારેક વ્યંજના તો મરમાળા મલકાટથી બતાવી છે. ભાષાની મિરાતથી વાચક ન્યાલ થઈ જાય છે. જૂની મૂડી જેવા શબ્દપ્રયોગોને લેખક માંજીને ચમકાવે છે. આપણાં સમયમાં વાડીલાલ ડગલી, જયંત પંડ્યા, રઘુવીર ચૌધરી અને મનસુખ સલ્લામાંથી દરેક પાસેથી મળેલાં વ્યક્તિચિત્રોનાં એક એક શ્રેષ્ઠ  પુસ્તકની સાથે હર્ષદભાઈનું  પુસ્તક પણ શોભશે.

હર્ષદભાઈના સુરેન્દ્રનગરના મિત્ર બકુલ દવેએ ‘જીવણ જગમાં જાગિયા’ (પ્રવીણ પ્રકાશન) ભજનિક સંતકવિ દાસી જીવણ (1750-1825) પરની ચરિત્રાત્મક નવલકથા છે. તેમાં લેખકનાં મહેનત, શ્રદ્ધા અને લેખનકૌશલ દેખાય છે. અહીં લેખકે તેમના વતનની નજીક, આ જન્મ અને આ જીવનમાં પ્રજ્ઞાચક્ષુ તેમ જ  અન્ય સ્પેશ્યલિ-એબલ્ડ કન્યાઓ માટે મોટું સેવાકાર્ય કરી રહેલાં પ્રજ્ઞાચક્ષુ દંપતી મુક્તાબહેન અને પંકજ ડગલી વિશે લખેલી ‘નેણમાં નવલ નૂર’ (ડિવાઇન, 2009) નવલકથા ખાસ યાદ આવે છે.

ત્રણ સામયિકોનાં હમણાંના અંકો તાજગીસભર ભરપૂર વાચનસામગ્રી પૂરી પાડે છે. ‘સાર્થક જલસો’ (સાર્થક પ્રકાશન) તેના અગિયારમા અંકમાં પણ જુદી ભાત પાડતા, સંશોધનપૂર્ણ, ઉત્તમ રીતે માવજત પામેલા વૈવિધ્યપૂર્ણ લેખોની પરિપાટી જાળવી રાખી છે. અજયસિંહ ચૌહાણે સંપાદિત કરેલો ‘શબ્દસૃષ્ટિ’નો પત્રવિશેષાંક સંપાદકની સૂઝ અને પ્રિન્ટિન્ગ ટેકનોલોજિના સમન્વયથી કેવું નોંધપાત્ર કામ થઈ શકે તે બતાવે છે. ઠઠ્ઠાચિત્રકાર અશોક અદેપાલના ‘કાર્ટૂન સેલ્ફી’ માસિકના ‘ઈકોફ્રેન્ડલી દિવાળી અંક’ના મુખપૃષ્ઠ પરનું વ્યંગચિત્ર બતાવે છે ‘યુ.પી. પોલીસથી બંદૂક ન ફૂટતાં ‘ઠાંય ઠાંય અવાજ કર્યો’. અનેક અનેક ખાસિયતોથી ભરેલાં ‘કાર્ટૂન સેલ્ફી’ના અત્યાર સુધીના પાંચ અંકો કાર્ટૂન-સાક્ષરતા લાવવાની ક્ષમતા ધરાવે છે. આ માસિકની  કદર ઓછી થાય એમાં આપણા સમાજની ફિલ્મ ઊતરે છે.

*******

29 નવેમ્બર 2018

‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 30 નવેમ્બર 2018

Loading

મુઠ્ઠી

પન્ના નાયક|Poetry|30 November 2018

મુઠ્ઠી
હાથ તો હું લંબાવી શકું
પણ
તમે તો મુઠ્ઠી વાળીને બેઠા છો !
તમારી બંધ મુઠ્ઠીમાં શું છે
એ હું નથી જાણતી;
પણ
મારી ખુલ્લી હથેળીમાં
હજીયે પંખીઓના
તાજા ટહુકાઓ છે
ખીલેલાં ગુલાબ જેવા.
તમે ઝીણવટથી જોશો તો
મારી હથેળીમાં
તમારે માટે
જતનપૂર્વક સાચવી રાખેલી
ચંદ્રલેખાય
એવી ને એવી મોજુદ છે.
તમારી મુઠ્ઠીમાં
જે હોય તે
મને એની કોઈ તમા નથી.
હું તો હાથ લંબાવી શકું
પણ શું કરું ?
તમે જ મુઠ્ઠી વાળીને બેઠા છો !
તમે જ…!

Loading

...102030...2,9642,9652,9662,967...2,9702,9802,990...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved