Opinion Magazine
Number of visits: 9456617
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પોલીસ આરોપીનો વરઘોડો કાઢી શકે?

રમેશ સવાણી|Opinion - Opinion|10 January 2025

BBC ગુજરાતીના પત્રકાર રોક્સી ગાગડેકર છારા / સાગર પટેલે 9 જાન્યુઆરી 2025ના રોજ, આરોપીના વરઘોડા બાબતે મારો ઈન્ટરવ્યૂ લીધો હતો, તેના મુખ્ય મુદ્દાઓ –

સવાલ : પોલીસ આરોપીનું સરઘસ કાઢે છે, તે કેટલું કાયદેસર છે?

જવાબ : પોલીસ આરોપીઓનો વરઘોડો કે સરઘસ કાઢે છે, તે બિલકુલ ગેરકાયદેસર છે. તે માનવ અધિકારનો ભંગ છે. આપણે જેને આરોપીનો વરઘોડો કહીએ છીએ તેને પોલીસ અધિકારી ‘ગુનાનું રિકન્સ્ટ્રક્શન’ કહે છે. પરંતુ ગુનાનું રિકન્સ્ટ્રક્શન અને આરોપીનો વરઘોડો બન્ને અલગ અલગ વસ્તુ છે. વરઘોડો / સરઘસ ગુનાવાળી જગ્યાએ ન હોય, પણ રસ્તા પર હોય છે. જ્યારે ગુનાનું રિકન્સ્ટ્રક્શન ગુનાવાળી જગ્યાએ હોય છે. સરઘસ / વરઘોડાનો હેતુ લોકોને દેખાડવાનો હોય છે, આરોપીનું માનભંગ કરવાનો હોય છે. અથવા તો કોઈને ખુશ કરવાનો હેતુ હોય છે. વરઘોડો / સરઘસ ત્યારે કહેવાય જ્યારે આરોપીને ગુનાવાળી જગ્યાથી દૂર રોડ પર ઉતારવામાં આવે / તેને ચાલતા ચાલતા લઈ જવામાં આવે ! ગુનાનું રિકન્સ્ટ્રક્શન ત્યારે કહેવાય જ્યાં ગુનો બન્યો હોય ત્યાં આરોપીને ઉતારવામાં આવે. રિકન્સ્ટ્રક્શનમાં આરોપીનું માનભંગ કરવાનો ઈરાદો નથી હોતો. 

સવાલ : અમરેલીની ઘટનામાં પાયલને ચાલતા ચાલતા ગુનાવાળી જગ્યાએ પોલીસ લઈ ગઈ હતી, શું તેને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કહી શકાય?

જવાબ : બિલકુલ ન કહી શકાય. અમરેલીની ઘટનામાં જે ખોટો પત્ર ઊભો કર્યો છે તે ગુનાવાળી જગ્યા ઓફિસ છે, રસ્તા પર ખોટો પત્ર ઊભો કર્યો નથી. ગુનાવાળી જગ્યા ઓફિસની અંદર છે. ત્યાં આરોપીને લઈ જાય અને તપાસ અધિકારી ગુનો કઈ રીતે બન્યો તે સમજે / તે અંગે વધારાના સાંયોગિક પુરાવાઓ એકત્ર કરે તેને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કહી શકાય. ખોટો પત્ર રસ્તા પર ટાઈપ થયો ન હતો. રસ્તા પર આરોપીને ફેરવે તે આરોપીનું સરઘસ છે.

સવાલ : શું ગુનાના રિકન્સ્ટ્રક્શનને પોલીસ કોર્ટ સમક્ષ પુરાવા તરીકે મૂકી શકે છે?

જવાબ : કોઈ પણ ક્રિમિનલ કેસમાં પોલીસ રિકન્સ્ટ્રક્શન કરે છે તેને કોર્ટ પુરાવા તરીકે ગ્રાહ્ય રાખતી નથી. આ માત્ર વધારાના સાંયોગિક પુરાવા એકત્ર કરવા માટેની કાર્યરીતિ છે. 

સવાલ : અમરેલીની ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શું પોલીસની કોઈ ભૂલ થઈ છે? 

જવાબ : બિલકુલ, પોલીસે ઉતાવળ કરી છે. એક તો કોઈ પણ મહિલાને સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચે અટક કરી શકાય નહીં. હા, આતંકવાદી જેવા ગંભીર ગુનામાં અટક કરી શકાય. પાયલને રાત્રે એરેસ્ટ કરેલ છે, તેથી માનવ અધિકારનો ભંગ થાય છે. બીજું, પાયલને એરેસ્ટ કર્યા બાદ તેની સાથે જે વ્યવહાર થયો તે પણ માનવ અધિકારનો ભંગ છે. પોલીસે કાચું કાપ્યું છે. પોલીસે કોઈને / સત્તાપક્ષના ધારાસભ્યને ખુશ કરવા / રાજીરાજી કરવા અને પોતાની ચેર પર વધારે સમય સુધી રહી શકાય, એવો હેતુ હોય એવું મને લાગે છે. 

સવાલ : IO-ઇન્વેસ્ટિગેશન ઓફિસરે શું કરવું જોઈતું હતું?

જવાબ : IOએ એ કરવાની જરૂર હતી કે બોગસ પત્રમાં સહી કરનારને પ્રથમ એરેસ્ટ કરવો જોઈએ. પાયલ તો કર્મચારી છે. તેને પત્ર ટાઈપ કરવા તેના માલિકે કહ્યું એટલે તેણે પત્ર ટાઈપ કરી આપ્યો. પાયલનો કોઈ Mens rea ન હતો, ગુનાહિત ઈરાદો ન હતો. જેનો ગુનાહિત ઈરાદો નથી તેને એરેસ્ટ કરવાનો કોઈ અર્થ નથી. પાયલ સાક્ષી બની શકે. પાયલ સ્વતંત્ર પુરાવો આપી શકે, પોલીસે તેને અટક કરીને સ્વતંત્ર પુરાવો ગુમાવ્યો ! પોલીસની આ ભૂલ છે.

સવાલ : હમણાં ભાવનગર / સુરત / અમદાવાદ વગેરે જગ્યાએ પોલીસે જાહેરમાં આરોપીઓના વરઘોડા કાઢેલ છે. આ પ્રકારની ઘટનાઓ કેમ બની રહી છે?

જવાબ : આ બધાં સરઘસમાં એક કોમન એલિમેન્ટ જોઈ શકશો. જે આરોપીઓ છે કાં તો તે ગરીબ છે / કાં તો દલિત વર્ગનાં છે / કાં તો લઘુમતી વર્ગના છે / કાં તો આદિવાસી છે / કાં તો પછાત વર્ગના છે. એટલા માટે એમના સરઘસ કાઢવામાં આવ્યાં છે. આવી ઘટનાઓ એટલે બને છે કે લોકોને રાજી કરવા છે. પોલીસ આમાં પોતાની નિષ્ફળતાઓ / નિષ્ક્રિયતા છૂપાવે છે. લોકો તાળીઓ પાડે છે, લોકો ઉત્સાહથી વરઘોડો જૂએ છે. લોકોને એમ લાગે છે કે ‘આરોપી સાથે પોલીસે બરાબર કર્યું ! આવા વરઘોડાથી ગુનાઓ અટકે !’ પણ આ એક ભ્રમ છે. આવી રીતે ગુના અટકે નહીં. આટલાં વરઘોડા કાઢ્યાં છતાં ગુનાઓ તો બને જ છે. ક્રાઈમ વધતું જાય છે. ગુનાઓ ત્યારે જ અટકે જ્યારે કાયદાનો બરાબર અમલ થાય. કાયદાનું શાસન હોય. પરંતુ કોનું શાસન છે? સત્તાપક્ષના નેતાઓ કહે તે રીતે શાસન ચાલે છે. આજે પોલીસ પોલીસ રહી નથી, તે સત્તાપક્ષની ગુલામ બની ગઈ હોય તે રીતે કામ કરે છે. પરિણામે કાયદો-વ્યવસ્થાનું આખું તંત્ર ભાંગી પડ્યું છે. આમાં આરોપીના વરઘોડા માત્ર નાટક છે. આમાં માનવ અધિકારનો ભંગ થાય છે.

સવાલ : આપણા ગૃહરાજ્ય મંત્રીએ થોડાં સમય પહેલાં કહેલ કે ‘પોલીસે ડંડાનો છૂટથી વાપરવો જોઈએ. અસામાજિક તત્ત્વોના વરઘોડા નીકળવા જ જોઈએ અને તેમને ચાલવામાં તકલીફ પડવી જોઈએ.’ શું આ કારણે પોલીસને મોટિવેશન મળે છે?

જવાબ : બિલકુલ મળે છે. જ્યારે રાજ્યના ગૃહ મંત્રી આરોપીઓને ધોકાવાની વાત કરે, તો સ્વાભાવિક છે કે પોલીસ તે કરશે. પોલીસ એટલા માટે કરશે કે ગૃહ મંત્રી રાજી થાય. ગૃહ મંત્રી એ જાણતા નથી કે વરઘોડાની કોઈ કાર્યવાહી કરી શકાય નહીં. પોલીસ મેન્યુઅલ ના પાડે છે, કાયદો ના પાડે છે. કાયદાથી વિશેષ ગૃહ મંત્રી નથી. પોલીસને સત્તા છે. જો કોઈ તોફાનીઓ-ક્રિમિનલ આગ લગાડે / દંગા કરે તો કાયદો-વ્યવસ્થા જાળવવા લાઠીચાર્જ કરી શકાય છે, ફેક્ચર કરી શકાય છે, ગોળીબાર કરી મૃત્ય નીપજાવી શકાય છે. પરંતુ તે બનાવવાળી જગ્યાએ. આરોપીઓને પોલીસ સ્ટેશને લાવી ટપલી મારી શકાય નહીં. કાયદો ના પાડે છે. આ કાયદાની સૂઝ છે, કાયદો ઘડનાર સંસદની સૂઝ છે. આરોપીના વરઘોડા કાઢવા / પોલીસ આરોપીઓને પોલીસ સ્ટેશનમાં મારઝૂડ કરે / તેનું માનભંગ કરે, અપમાન કરે તે કાયદો વ્યવસ્થામાં આવતું નથી. આરોપીનો વરઘોડો એ બંધારણનું સરઘસ છે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સત્તાનાં સગાં-સ્વાર્થ ને સંપત્તિ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 January 2025

રવીન્દ્ર પારેખ

કોઈ પણ રીતે સત્તામાં આવવું અને કોઈ પણ ભોગે એમાં ટકી જવું એ રાજકીય પક્ષો અને રાજકારણીઓનું એક માત્ર લક્ષ્ય હોય છે. સેવા હવે થતી નથી ને કદાચને થાય તો એમાં કશુંક મળવાની અપેક્ષા સતત હોય છે. દામ નહીં, તો કામ નહીં – એ લગભગ સર્વ સ્વીકૃત સૂત્ર છે. એ ખરું કે સત્તા માટે પ્રજા જરૂરી છે ને એક વખત પ્રજાને ખભે ચડીને સત્તામાં આવ્યા પછી તેને કાંચળીની જેમ ત્યજી દેવાતી હોય છે. પ્રજા ધારે તો સત્તા પરિવર્તન કરી શકે, પણ હાલત બકરું કાઢતાં ઊંટ પેઠું – જેવી વધારે થાય છે, એટલે સત્તા હવે બહુ બદલાતી નથી, બદલાય તો લાકડે માંકડું વળગાવવા જેવું જ થાય છે. આમ દરેક પક્ષને પોતાની નીતિ-રીતિ હોય છે, પણ સત્તા મળતી હોય તો જેનો વિરોધ કર્યો હોય એને ખોળે બેસવાનો કોઈને જ વાંધો હોતો નથી. એ પણ છે કે સત્તા મળે છે, પછી સૌથી પહેલી શરમ છૂટે છે. શરમની સાથે વિવેક પણ વિદાય લે છે ને તેનું સ્થાન વાણી વિલાસ લે છે. નેતાઓના વાણી વિલાસની નવાઈ નથી ને તે છાશવારે લોકોને અનુભવવા મળે છે. 

એન.સી.પી.ના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અજિત પવાર બારામતીમાં એક જનસભાને સંબોધી રહ્યા હતા, ત્યારે મંચની નીચે બેઠેલા કાર્યકરો, પત્ર આપીને પોતાનું કામ કઢાવવા ભલામણો કરી રહ્યા હતા. પહેલાં તો પવારે કાર્યકરોને ટાળ્યા, પરંતુ ભલામણો વધતી જતાં તેઓ ભડક્યા અને ગુસ્સામાં બોલ્યા કે મને મત આપ્યો એનો અર્થ એવો નથી કે તમે મારા માલિક બની ગયા છો. આવાં વિવાદાસ્પદ વિધાનનો જવાબ ન આપવો પડે એટલે ભા.જ.પે. સિફતથી પોતાને અલગ કરી લીધો છે. એક શક્યતા અજિત પવારના એન.સી.પી. અને શરદ પવાર જૂથના પુન: જોડાણની હતી, પણ અજિત પવારે તેને નકારતા રોકડું પરખાવ્યું કે તે કેન્દ્રમાં ભા.જ.પ.નાં નેતૃત્વ હેઠળની એન.ડી.એ. સાથે અને મહારાષ્ટ્રમાં મહાયુતિ સાથે જોડાણ જાળવી રાખશે. અજિત પવારે આમ પણ શરદ પવાર સાથેનું સગપણ ભૂલીને છેડો ફાડ્યો હતો, એટલું જ નહીં, એન.સી.પી. પર અધિકાર પણ સ્થાપ્યો હતો, એટલે કાકા સાથે એ ફરી બેસે એવું શક્ય જ નથી, તેમાં ય મહારાષ્ટ્ર સરકારમાં નાયબ મંત્રી જેવું પદ મળ્યું હોય ત્યારે જૂનો સંબંધ તાજો કરવાની મુર્ખાઈ અજિત પવાર કરે એ વાતમાં માલ નથી, પણ કાર્યકરોને ખખડાવીને તમે મારા માલિક બની ગયા-ની જે વાત તેમણે કરી તે કોઈ રીતે યોગ્ય ન હતી. અજિત પવાર આમ પણ તેમની ઉદ્ધતાઈ માટે જાણીતા છે, પણ જનસભામાં જ જનતાનું જાહેર અપમાન અસહ્ય છે. ચૂંટણી વખતે જનતાને મત માટે અછોવાના કરતાં રાજકીય નેતાઓ સત્તા હાંસલ થતાં કેટલા નગુણા થઈ શકે છે તેનો આ નાદાર નમૂનો છે. 

એમાં પણ નારીનું ગૌરવ ચુકાય ત્યારે તો બેશરમીની હદ આવી જાય છે. દિલ્હીમાં ચૂંટણી નજીક છે ત્યારે ભા.જ.પ.ના નેતા અને દિલ્હી વિધાનસભાના ભા.જ.પ.ના ઉમેદવાર રમેશ બિધુરીએ 5 જાન્યુઆરી ને રવિવારે કાઁગ્રેસી સાંસદ પ્રિયંકા ગાંધી માટે એવી ટિપ્પણી કરી કે લાલુ યાદવે બિહારના રસ્તા હેમા માલિનીના ગાલ જેવા કરવાનું કહ્યું હતું, પણ તેઓ ન કરી શક્યા, પણ હું તમને ખાતરી આપું છું કે કાલકાજીના રસ્તા પ્રિયંકા ગાંધીના ગાલ જેવા જરૂર થશે. કાઁગ્રેસે આ મામલે વાંધો ઉઠાવતા બિધુરીને માફી માંગવાનું કહ્યું તો તેમણે કોઈ વિવાદાસ્પદ વિધાન કર્યું નથી તેવું કહીને છટકવાની કોશિશ કરી. કાઁગ્રેસને વાંધો હોય તો તેણે માફી લાલુ પાસે મંગાવવી જોઈએ, કારણ હેમા માલિનીના ગાલ જેવા રસ્તા બનાવવાનો વાયદો તેમણે અગાઉ કર્યો હતો. બિધુરીમાં શરમ તો નથી જ, વધારામાં રીઢાપણું પણ ભારોભાર છે. એક તરફ તેઓ કહે છે કે પોતે વિવાદાસ્પદ વિધાન કર્યું નથી ને બીજી તરફ લાલુનું વિધાન તેમને વિવાદાસ્પદ લાગે છે. એ સાથે જ લાલુ યાદવે હેમા માલિની વિષે કોઈ ટિપ્પણી કરી તો તેવી ટિપ્પણી કરવાનું બિધુરીને લાઇસન્સ મળી ગયું છે એવું માનીને તેઓ પ્રિયંકા ગાંધી વિષે ટિપ્પણી કરવામાં સંકોચ નથી અનુભવતા. 

વાત આટલેથી જ નથી અટકતી. તેમણે દિલ્હીના મુખ્ય મંત્રી આતિશી વિષે પણ એવી ટિપ્પણી કરી કે તેમણે બાપ બદલી કાઢ્યો છે. તે માર્લેનાથી સિંહ બની ગયાં છે. આ તેમનું ચરિત્ર છે. ભા.જ.પે. બિધુરીને કાલકાજીમાંથી આતિશી સામે ટિકિટ આપી છે, એટલે પ્રતિસ્પર્ધી અંગે ટિપ્પણી તો થાય, પણ આવી અભદ્ર ટિપ્પણી ને તે એક મહિલા મુખ્ય મંત્રી માટે થાય, એ બિધુરીની હીન માનસિક્તાનો જ પડઘો છે. એક જ દિવસમાં એક મહિલા કાઁગ્રેસી સાંસદ અને બીજા મહિલા મુખ્ય મંત્રી માટે અણછાજતી ટિપ્પણી ભા.જ.પી. નેતા બિધુરીએ કરીને બહાદુરી બતાવી છે ને તેનો જવાબ પ્રેસ કોન્ફરન્સમાં આપતાં, ભાવુક થઈ જતાં આતિશીએ કહ્યું કે રમેશ બિધુરી 80 વર્ષના મારા શિક્ષક પિતા સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. તેમણે હજારો ગરીબ બાળકોને ભણાવ્યા છે. આજે તેમની સ્થિતિ એવી છે કે કોઈના ટેકા વગર ચાલી પણ શકતા નથી. આવા પિતા માટે આવી રાજનીતિ ન હોય. વધુમાં ઉમેર્યું પણ કે દેશની રાજનીતિ આ હદે ઊતરી શકે છે એવું મેં ક્યારે ય વિચાર્યું ન હતું. રાજકારણીઓ ગરિમાપૂર્ણ રીતે તો હવે અપવાદ રૂપે ય વર્તતા નથી તે દુ:ખદ છે. 

રાજકારણ હવે સ્વાર્થકારણ થઈ ગયું છે. સત્તા, સંપત્તિ જમા કરવાનું અને સહયોગ ઉધાર કરવાનું સાધન છે. અવિવેકી ને ઉદ્ધત હોવું એ રાજનેતાનું જ લક્ષણ છે જાણે ! બહાદુરી હવે મહિલા નેતાઓનું અપમાન કરવામાં દાખવાય છે. મહિલાનું માન-સન્માન જળવાય કે તેની ગરિમા જળવાય એ એટલીસ્ટ પ્રતિસ્પર્ધી મહિલા રાજકારણીઓ માટે દુર્લભ બાબત છે. રાજકારણીઓ તો રાજકીય મહિલાઓનું માન નથી જ જાળવતા, પણ સામાન્ય મહિલાને પણ અપમાનિત કરાય છે ને તે પણ રાજકીય પક્ષો ને તંત્રો દ્વારા, તે વધારે શરમજનક છે. વાત ગુજરાતનાં અમરેલીની છે. ‘લેટરકાંડ’ તરીકે બહુ ચર્ચિત એક ઘટનામાં ભા.જ.પ.ના એક ધારાસભ્યને બદનામ કરવા એક પત્ર નિર્દોષ દીકરી પાયલ ગોટી પાસે તૈયાર કરાવાયો. પાયલને ખબર જ ન હતી કે તે શું કરી રહી છે. તેને તો તેના શેઠે કહ્યું ને તેણે પત્ર તૈયાર કર્યો. તેનો વાંક હોય તો એટલો જ કે તેણે કોઈના પણ ઇરાદાથી અજાણ એ રીતે, આદેશનું પાલન કરીને પત્ર ટાઈપ કર્યો ને તે આરોપી બની ગઈ. કૈં સમજે તે પહેલાં પોલીસ તેને અડધી રાત્રે ઘરેથી ઉપાડી ગઈ. આ રીતે પોલીસ ઊંચકી જઈ શકે નહીં, પણ તેને ઉપાડી જવાઈ. રાતભર તેને જેલમાં રખાઈ, એટલું જ નહીં, માર પણ મારવામાં આવ્યો. એટલું ઓછું હોય તેમ પોલીસે તેને પત્રકાર પરિષદમાં આરોપી તરીકે જાહેરમાં ઊભી રાખી. અન્ય આરોપીઓ સાથે એ કુંવારી છોકરીને સરઘસ આકારે સડક પર ફેરવવામાં આવી. અમરેલીમાં આ રીતે કન્યાનો વરઘોડો નીકળે ને તેની કોઈને જ નાનમ ન લાગે તો માનવાનું રહે કે માનવીય સંવેદના, વેદના થવાની પાત્રતા પણ ગુમાવી ચૂકી છે. રાજકીય પ્રશ્ન જે હોય તે કે રાજકીય પક્ષો પણ જે હોય તે કે તંત્રો સક્રિય હોય કે ન હોય, બધું બાજુ પર, પણ નકરી ને નકટી હકીકત એ છે કે એક કુંવારી કન્યા પોલીસનો અને રાજરમતનો શિકાર થઈ. તેના કોઈ વાંક વગર તેને લોકો સમક્ષ શરમજનક સ્થિતિમાં મુકાવાનું આવ્યું. 

આ હાલત છે મહિલાઓની આજના રાજકીય અખાડાઓમાં. કોઈ નેતા નિર્લજ્જ થઈને કહી શકે છે કે મતદાતાઓ તેના માઈબાપ નથી. એ જ નેતા મતદાતાઓને મત માટે ભાઈબાપા કરતા થાકતા નથી. સત્તાના મદમાં છકેલા રાજકારણીઓને બોલવાનું પણ ભાન નથી. એ હોત તો કમ સે કમ મહિલાઓનું માન જાળવવાની થોડી શરમ તો બચી હોત ! લોકશાહીમાં વાણી સ્વાતંત્ર્યનો અધિકાર તો હોય, પણ અભદ્ર વાણી વિલાસનો તો ન હોયને ! હજી સુધી તો ભારત લોકશાહી દેશ છે, તે હવે નામનો જ લોકશાહી દેશ ન રહી ગયો હોય તો સારું …   

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 જાન્યુઆરી 2025

Loading

આવારા : આઝાદ ભારતની ગરીબીમાં લપેટાયેલી પ્રેમ કહાની

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 January 2025

રાજ ગોસ્વામી

રાજ કપૂરે તેમની 40 વર્ષની સિનેમાઈ કારકિર્દીમાં ઘણી નોંધપાત્ર ફિલ્મો બનાવી હતી, પરંતુ એમાં જો કોઈ એક વિશેષ અને સીમાચિહ્નરૂપ ફિલ્મ હોય, તો તે છે 1951માં આવેલી ‘આવારા.’ એક્ટર, પ્રોડ્યુસર અને ડિરેક્ટર તરીકે ‘આવારા’ તેમની ત્રીજી ફિલ્મ (તે પહેલાં, 48માં ‘આગ’ અને 49માં ‘બરસાત’ બનાવી હતી). આ ફિલ્મથી રાજ કપૂરને આંતરરાષ્ટ્રીય નામ મળ્યું. 

‘આવારા’ ભારતમાં તો લોકપ્રિય થઇ જ, વિશેષ તો દક્ષિણ એશિયામાં પણ હલચલ મચાવી હતી અને સોવિયત સંઘ, પૂર્વ એશિયા, આફ્રિકા, કેરેબિયન, મધ્ય પૂર્વ અને પૂર્વ યુરોપમાં તેને ચાહકો મળ્યા. તેનું એક હિટ ગીત, ‘આવારા હૂં, યા ગર્દિશ મેં હૂં આસમાન કા તારા હૂં’ (ગાયક મુકેશ, બોલ શૈલેન્દ્ર) સોવિયત સંઘ, ચીન, બલ્ગેરિયા, તુર્કી, અફઘાનિસ્તાન અને રોમાનિયામાં પણ એટલું ગણગણાવામાં આવતું હતું. પંડિત નહેરુ જ્યારે પહેલીવાર સોવિયેતની મુલાકાત પર ગયા હતા, ત્યારે તેમને જોઇને ભીડ ‘આવારા હૂં’-ના નારા લગાવતી હતી.

આ ફિલ્મે વિદેશમાં 20 કરોડથી વધુ ટિકિટનું વેચાણ કર્યું હોવાનો અંદાજ છે. તે ઉપરાંત, ચીનમાં 10 કરોડથી વધુ અને સોવિયત સંઘમાં લગભગ 10 કરોડ ટિકિટો વેચાઈ હતી. ‘આવારા’ સર્વકાલિન હિટ ફિલ્મ છે. 2012માં, ટાઇમ મેગેઝિન દ્વારા ઓલ-ટાઇમ 100 શ્રેષ્ઠ ફિલ્મોની 20 નવી એન્ટ્રીઓમાં ‘આવારા’નો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ફિલ્મની સફળતાનું એક કારણ તેની વિષયવસ્તુ હતી. તે વખતે દુનિયામાં સમાજવાદ અને સામ્યવાદની બોલબાલા હતી. ભારતની આઝાદીને હજુ માત્ર ચાર વર્ષ થયાં હતાં અને રાજ કપૂરે સામાજિક વિસંગતાઓનો વિષય લઈને ‘આવારા’ બનાવી હતી. પોતાની ફિલ્મોમાં સામાજિક સંદેશાઓ આપવાની શરૂઆત આ ફિલ્મની સફળતાથી થઇ હતી.

તે સમયે, હિન્દી સિનેમામાં સંગીતને ફિલ્મની સફળતાનું મુખ્ય કારણ માનવામાં આવતું હતું, પરંતુ રાજ કપૂર તેમાં સંગીત ઉપરાંત સશક્ત વાર્તા પણ લઇ આવ્યા હતા.

રાજ કપૂરની પુત્રી રિતુ નંદાએ તેમના પુસ્તક ‘રાજ કપૂર : ધ વન એન્ડ ઓનલી શોમેન’માં લખ્યું છે, “આવારાની વાર્તાનો વિષય વર્ગ ભેદ હતો, જેમાં આઝાદી પછી ભારતને મળેલી ગરીબીમાં લપેટીને એક રોમેન્ટિક વાર્તા રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મ કાદવમાં કમળના ફૂલની જેમ ખીલી હતી. ત્યાં સુધી આવી કોઈ ફિલ્મ બની નહોતી. આ ફિલ્મ, એક રીતે, આઝાદ દેશનો જશ્ન મનાવતી હતી અને તેને એ પણ શીખવતી હતી કે મુશ્કેલ સમયનો સામનો કેવી રીતે કરાય.”

ખ્વાજા અહમદ અબ્બાસ દ્વારા લખાયેલી આ ફિલ્મ રાજ (રાજ કપૂર) નામના એક યુવાનની આસપાસ ફરે છે જે એક જજ રઘુનાથ(પૃથ્વીરાજ કપૂર)નું અન્નૌરસ સંતાન છે. તેનો જન્મ થતાં જ તેને ત્યજી દેવામાં આવે છે. આ આવારા છોકરો જગ્ગા (કે.એન. સિંહ) નામના એક અપરાધીની છત્રછાયામાં ઉછરે છે, અને આગળ જતાં તેનું જીવન એવો વળાંક લે છે કે તેણે તેના પિતાની અદાલતમાં ખૂની તરીકે ઊભા રહેવું પડે છે, અને વકીલ તરીકે રીટા તેના બચાવમાં આવે છે.

‘આવારા’ની વાર્તા દ્વારા રાજ કપૂર એક એવો ઉદારવાદી વિચાર આપવા માંગતા હતા કે કોઈ વ્યક્તિ જન્મથી ગુનેગાર નથી, પરંતુ સંજોગો કે સમાજ તેને ગુનો કરવા માટે મજબૂર કરે છે. ફિલ્મની એક ડ્રીમ સિક્વન્સ નવા સ્વતંત્ર ભારતના સામાન્ય માણસ માટે આશાનું પ્રતીક બની ગઈ હતી. તે દૃશ્ય પહેલાં, રાજ તેની અમીર પ્રેમિકા રીટા (નરગીસ) સાથે દિવસ પસાર કરીને આવતો હોય છે, ત્યારે રસ્તામાં જગ્ગા ચાકૂ બતાવીને તેને યાદ અપાવે છે કે તેનું કામ પ્રેમ કરવાનું નહીં, અમીરોને લૂંટવાનું છે.

તે રાતે રાજને એક સપનું આવે છે. રાજ રીટા માટેના પ્રેમ અને જગ્ગા તરફની વફાદારી વચ્ચે ફસાઈ ગયેલો છે. સપનામાં, કશ્મ-કશનાં ઉમડતાં વાદળો વચ્ચે, રીટા પ્રગટ થાય છે અને ગાય છે; તેરે બિના આગ યે ચાંદની, તૂ આજા, આજા, તેરે બિના બેસૂરી યે બાંસુરી.

આ ફિલ્મે સમગ્ર વિશ્વમાં વંચિત લોકો સાથે એક વિશેષ સંવાદ સ્થાપિત કર્યો હતો.’આવારા’ એ તે સમયના ભારતના મુખ્ય મુદ્દાઓ બેરોજગારી અને ન્યાય વ્યવસ્થામાં ભ્રષ્ટાચારને સામાન્ય લોકોના ધ્યાન પર લાવવામાં સફળ રહી હતી. 

એકવાર ખ્વાજા અહમદ અબ્બાસે સોવિયેત નેતા નિકિતા ખ્રુશ્ચેવને તેમના દેશમાં આ ફિલ્મની લોકપ્રિયતાનું રહસ્ય પૂછ્યું હતું, ત્યારે તેમણે કહ્યું હતું, 

“બીજા વિશ્વ યુદ્ધની ભયાનકતાનો સૌથી વધુ સામનો રશિયન લોકોએ કર્યો હતો. ઘણા રશિયન ફિલ્મ નિર્માતાઓએ આ વિષય પર ફિલ્મો બનાવીને તેમને યાતનાની યાદ અપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ‘આવારા’માં રાજ કપૂરે ‘જખ્મો સે ભરા સીના હૈ મેરા, હસ્તી હૈ મગર યે મસ્ત નજર’ ગાઈને લોકોમાં આશા જગાવી હતી અને તેમને પીડા ભૂલવામાં મદદ કરી હતી.”

‘આવારા’ની વાર્તા પત્રકાર-લેખક ખ્વાજા અહમદ અબ્બાસે લખી હતી. તેમની ઈચ્છા હતી કે મહેબૂબ ખાન તેનું નિર્દેશન કરે. તેમને વાર્તા ગમી હતી અને તેઓ રાજની ભૂમિકામાં દિલીપ કુમાર અને જજની ભૂમિકામાં પૃથ્વીરાજ કપૂરને લેવા માંગતા હતા.

ખ્વાજા અહમદ અબ્બાસ તેમની આત્મકથા ‘આઈ એમ નોટ એન આઇલેન્ડ’માં લખે છે, “હું મહેબૂબના વિચાર સાથે સહમત ન હતો કારણ કે તેનાથી વાર્તામાં અસલી પિતા-પુત્રના સંબંધની ચમક ઓછી થઈ જતી હતી. એ સંબંધ જ ફિલ્મનો આત્મા હતો. રાજ કપૂરને આ વાર્તાની ખબર પડી એટલે તે મને મળવા આવ્યો હતો અને કહ્યું કે અબ્બાસ સાહેબ આ વાર્તા હવે મારી છે. હવે તે કોઈને ન આપતા. તેણે પિતા પૃથ્વીરાજ કપૂરને આ ફિલ્મ કરવા માટે મનાવવાની નવી જવાબદારી મારા પર મૂકી હતી.”

એ આસાન નહોતું. પૃથ્વીરાજ કપૂર એક હેન્ડસમ એકટર હતા અને હિરોના વુદ્ધ પિતાની ભૂમિકા કરવા તૈયાર નહોતા. રાજ કપૂરને પણ વિશ્વાસ નહોતો કે તેઓ હા પાડશે. અબ્બાસ ત્યારે પત્તું ખોલ્યું કે હિરો બીજો કોઈ નહીં પણ તમારો દીકરો રાજ છે. 

ભારતીય સિનેમાના ઇતિહાસમાં, કોઈ ફિલ્મ નિર્માતાએ પોતાની ત્રણ પેઢીઓને એક જ ફિલ્મમાં નિર્દેશિત કરવાનો રેકોર્ડ બનાવ્યો હોય તો તે કપૂર ખાનદાન છે. ‘આવારા’માં પૃથ્વીરાજ ઉપરાંત, તેમના પિતા (અને રાજ કપૂરના દાદા) બશેશ્વર નાથ કપૂરની પણ એક નાનકડી ભૂમિકા હતી. વીસ વર્ષ પછી, 1971માં, રાજ કપૂરના મોટા પુત્ર રણધીર કપૂરે ‘કલ આજ ઔર કલ’ નામની ફિલ્મ બનાવી જ એટલા માટે હતી કે તે પૃથ્વીરાજ, રાજ અને પોતાને એક સાથે ફિલ્મમાં નિર્દેશિત કરી શકે.

આવારાની રજૂઆતના માત્ર 20 વર્ષ પછી, 1971માં, તેમના મોટા પુત્ર રણધીર કપૂરે રાજ કપૂરની જેમ જ પરાક્રમ કર્યું હતું, જ્યારે રણધીરે કલ આજ ઔર કલ સાથે હિન્દી ફિલ્મોમાં અભિનેતા અને દિગ્દર્શક તરીકે પદાર્પણ કર્યું હતું. આ ફિલ્મમાં પૃથ્વીરાજ કપૂરે રાજ કપૂરના પિતાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં બબીતાએ રણધીરના પ્રેમીની ભૂમિકા ભજવી હતી, જે પાછળથી વાસ્તવિક જીવનમાં તેની પત્ની બની હતી.

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 08 જાન્યુઆરી 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...295296297298...310320330...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved