Opinion Magazine
Number of visits: 9579145
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જવાહરલાલ નેહરુ ભારતના પનોતા પુત્ર છે, ગાંધીજીના વારસ છે, ગરીબોની આંખનું નૂર છે અને ક્રાંતદ્રષ્ટા છે.

રમેશ ઓઝા|Opinion - Opinion|28 October 2018

કોણ કહે છે? ગોલવલકર ગુરુજી. આજે માન્યામાં આવે?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તાકાત તો ઘણી વધી છે, પરંતુ પ્રતિષ્ઠા નથી એવું સંઘના નેતાઓને લાગે છે. ભીડમાં કોઈ પ્રતિષ્ઠિત માણસ ન હોય તો એ ભીડ શી કામની એવું તેમને લાગે છે. એટલે તો બાવા-બાપુઓ તેમના આશ્રમોમાં ઇવેન્ટ યોજીને કોઈને કોઈ પ્રતિષ્ઠિત માણસોને બોલવતા રહે છે, તેમને સન્માને છે, સાંભળે છે વગેરે. ઉદ્દેશ તો ભીડને એ બતાવવાનો હોય છે કે તમે ગુરુની પસંદગી કરવામાં કોઈ ભૂલ નથી કરી. જુઓ! કેવા કેવા મોટા માણસો તમારા ગુરુની પાસે આવે છે. સામે પક્ષે મોટા માણસો પણ કાંઈક પામીને ભક્તોને કહે છે કે તમારા ગુરુ મહાન છે, એટલે નિશ્ચિંત રહીને ગુરુને ખોળે પડ્યા રહો. મેં એવા મોટા માણસોને પણ જોયા છે જે ભીડની સામે ભીડના દેખતા ગુરુને દંડવત્‌ પ્રણામ કરતા હોય.

ભેડ-બકરી બહુ મોટી તાકાત છે; પરંતુ તેનાથી માત્ર તાકાત વધે છે, પ્રતિષ્ઠા નહીં એ મોટી સમસ્યા છે. ભારતમાં મિશનરીઓ આવ્યા એ પછી તેમણે વટાળ પ્રવૃત્તિ શરૂ કરી હતી. ભારતમાં ધર્માંતરણ કરાવવું બહુ સહેલું હતું. જંગલોમાં એટલે કે એક રીતે દેશને છેવાડે અને ગામને છેવાડે રહેતી ઉપેક્ષિત પ્રજાને તો જાણે તાજો શ્વાસ લેવાની બારી મળી. કોઈ તેમના ઘરે આવે, હૂંફ આપે, હાથ ઝાલે એ આંગળી પકડી લેવા માટે પૂરતું હતું. ધર્માંતરણ તો થવા લાગ્યું, પરંતુ મિશનરીઓને સંતોષ નહોતો. સમાજમાં વગ અને પ્રતિષ્ઠા ધરાવનારા ઉચ્ચ વર્ણીય લોકો જ્યાં સુધી ખ્રિસ્તી ધર્મ ન અપનાવે ત્યાં સુધી સંખ્યા તો વધશે; પણ ખ્રિસ્તી ધર્મની પ્રતિષ્ઠા નહીં વધે.

જો ઉજળિયાતોનું ધર્માંતરણ કરાવવામાં આવે તો એક કાંકરે ઘણાં પક્ષીઓ મરે એમ છે. એક તો ખ્રિસ્તી ધર્મની પ્રતિષ્ઠા વધે. વટલાયેલાઓને પણ લાગે કે તેમણે વટલાઈને કોઈ ભૂલ નથી કરી. ભીડનું પ્રમાણ જળવાઈ રહે એટલું જ નહીં ઉજળિયાતોને જોઇને એમાં વધારો થાય. આ વિશેની રણનીતિ ઘડવા મિશનરીઓની ખાસ બેઠક મળી હતી અને એ પછી હિન્દુ બ્રાહ્મણો અને પારસીઓનું ધર્માંતરણ કરાવડાવવામાં આવ્યું હતું.

ભીડનું એક સમાજશાસ્ત્ર હોય છે અને જેઓ સંખ્યાનો વેપાર કરે છે તેઓ તે જાણે છે. સંખ્યાનો વેપાર એટલે કે સંખ્યામાં જેનો સ્વાર્થ છે એવા લોકો. ધર્મ અને રાજકારણને સંખ્યા સાથે સીધો સંબન્ધ છે. જેટલી મોટી મેદની એટલો નેતા મોટો અને જેટલી મોટી મેદની એટલો ગુરુ મોટો. તાકત તો ભીડ જ છે, પરંતુ ભીડની અંદર પણ ક્યારેક ક્યારેક વ્યક્તિ જાગી જાય છે. કોઈને ય ચોવીસ કલાક સુવડાવી રાખી શકાતો નથી. જ્યારે ક્ષણ-બે ક્ષણ માટે ટોળાંનો સભ્ય જાગી જાય ત્યારે તેને પ્રતીતિ થવી જોઈએ કે ટોળાંમાં પ્રવેશીને તેણે કોઈ ખોટો નિર્ણય લીધો નથી. જુઓ કેવા મોટા મોટા માણસો આપણા નેતાજીના કે ગુરુના વખાણ કરે છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસે પણ ભીડ તો ઘણી મોટી છે, પરંતુ પ્રતિષ્ઠા નથી. ગઈ સદીના અને અત્યારના આદરણીય કહી શકાય એવા માણસોની એક યાદી બનાવો અને પછી તપાસી જુઓ કે એમાંના કેટલા જણ સંઘમાં હતા અથવા સંઘની પ્રવૃત્તિને વખાણીને સક્રિય સહયોગ આપતા હતા અથવા આજે આપે છે. જો નિરાંતે બેસીને યાદી બનાવશો તો દેશભરમાં ઓછામાં ઓછા એક હજાર આદરણીય માણસો મળી આવશે અને એમાંથી કેટલાએ સંઘ સાથે સંબન્ધ રાખ્યો હતો એની તપાસ કરશો તો દસ (આય રીપીટ દસ) જણ પણ એવા નહીં મળે જેમણે સંઘ સાથે સીધો કે આડકતરો સંબન્ધ રાખ્યો હોય. શું તેઓ બેવકૂફ હતા? ભક્તો કહેશે કે તેઓ બેવકૂફ હતા.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હિન્દુ કોમવાદી રાજકારણ પણ કરવું છે અને પચરંગી ભારતમાં સત્તાનું સંસદીય રાજકારણ પણ કરવું છે. આ તંગ દોરડા પરનું નર્તન છે. જે મુસ્લિમ દેશોમાં મૂળભૂતવાદી મુસલમાનો કોમી રાજકારણ કરે છે તેઓ મોટા ભાગે સત્તાનું રાજકારણ નથી કરતા, અને જો કરે છે તો તેઓ લોકતાંત્રિક માર્ગનો ઉપયોગ નથી કરતા. આને કારણે તેમને દરેક પ્રજાના મતની જરૂર નથી પડતી. કોઈને રાજી રાખવાની અને સારા દેખાવાની જરૂર નથી પડતી. તેઓ યુવાનને પકડે છે, તેના ચિત્તમાં ઝેરનું આરોપણ કરે છે, પર્યાપ્ત પ્રમાણમાં તેની અંદર ઝનૂની સવાર થઈ જાય એ પછી તેને ભીડમાં છોડી મૂકે છે. સારા માનવતાવાદી દેખાડવાની જરૂરિયાત ન રહે એ બહુ મોટી મોકળાશ છે અને એવી મોકળાશ મુસ્લિમ મૂળભૂતવાદીઓ કે કોમવાદીઓ ધરાવે છે.

ભીડને સહારે કોમવાદી રાજકારણ તો કરી શકાય, પરંતુ પંચરંગી ભારતમાં અને એ પણ સંસદીય લોકતંત્રમાં સતાનું રાજકારણ સહેલાઈથી ન થઈ શકે. આને માટે પ્રતિષ્ટિત લોકોનો ખપ છે. તેમને આપણી વચ્ચે લઈ આવવા જોઈએ અથવા તેમના સુધી આપણે પહોંચવું જોઈએ. એને માટે ડાહી ડાહી વાતો કરવી જરૂરી છે. એવું પણ બોલો જેનાથી ભીડનો ટેમ્પો જળવાઈ રહે અને એવું પણ બોલો જેને કારણે વિચારનારા લોકો વિચારતા થાય કે ના, આ લોકો એટલા બધા ખરાબ પણ નથી. ઉપરથી પ્રતિષ્ઠિત માણસો જો કેરેક્ટર સર્ટિફિકેટ આપશે તો ભીડ રાજી રાજી થઈ જશે એટલું જ નહીં એમાં વધારો થશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે એક પખવાડિયામાં બે આંચકા આપ્યા. પહેલો આંચકો દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં ત્રણ દિવસ માટે પ્રતિષ્ઠિત સજ્જનોને માનવતાવાદ પર ભાષણ આપીને આપ્યો અને બીજો આંચકો નાગપુરમાં દશેરાની વાર્ષિક પરેડમાં સ્વયંસેવકોને સંબોધીને આપ્યો. બન્ને ભાષા અલગ હતી. દિલ્હીના સંબોધન વખતે મેં લખ્યું હતું કે આમાં બહુ રાજી થવા જેવું નથી. અત્યાર સુધીમાં સંઘ આવા હજાર પ્રયોગ કરી ચૂક્યો છે. જી હાં, હજાર અને કદાચ તેનાથી પણ વધુ. ગામે-ગામે, સમાજે-સમાજે અને સમયે-સમયે ભાષા બદલવી એ સંઘની ફાવટ છે. એટલે મેં ત્યારે કહ્યું હતું કે ઠરાવ કરો. આગળ મેં ખ્રિસ્તી મિશનરીઓની વટાળ પ્રવૃત્તિની રણનીતિ વિષે કહ્યું છે. ક્યાંથી મળી આ જાણકારી? એ જાણકારી તેમના જ દસ્તાવેજોમાંથી મળે છે. તેમણે જે કાંઈ કહ્યું કે કર્યું એના દસ્તાવેજી પુરાવાઓ છે. જે ચર્ચા થાય એની મિનિટ્સ લખાય અને જે નિર્ણય લેવાય એનો ઠરાવ થાય. હજાર મોઢે બોલવાનું અને કોઈ લેખિત સગડ નહીં મૂકી જવાનું તેઓ નથી કરતા. 

તો સમયે સમયે, જરૂરિયાત પ્રમાણે સૂર બદલવાની સંઘની દાયકાઓ જૂની પરંપરા છે. કેટલી હદે, કેટલા અંતિમે તેમણે સૂર બદલ્યો હશે તેની કલ્પના કરો જોઉં? આગળ વાંચતા પહેલાં બસ ગમ્મત ખાતર કલ્પના કરી જુઓ. કેટલે દૂર સુધી તમે જઈ શકો છો, વિચારી જુઓ.

આ રહ્યો એનો નમૂનો: 

ગાંધીજીની હત્યા પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. એ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવે એ માટે સંઘના નેતાઓએ આકાશ-પાતાળ એક કર્યા હતા. સરદાર પટેલે સંઘના નેતાઓને ત્રણ સલાહ આપી હતી. એક તો એ કે ભારતના બંધારણને સંઘ માન્ય રાખે. (ત્યારે સંઘે ભારતના બંધારણનો અને રાષ્ટ્રધ્વજનો અસ્વીકાર કર્યો હતો.) બીજી શરત એ કે સંઘ પોતાનું બંધારણ ઘડે અને સંઘનું સંચાલન પારદર્શક લોકતાંત્રિક ઢબે થાય. સંઘમાં જે ગોપનીયતાના છે તેનો અંત લાવવામાં આવે. ત્રીજી સલાહ એવી હતી કે સંઘના સ્વયંસેવકોએ કૉન્ગ્રેસમાં જોડાઈ જવું જોઈએ. સંઘના નેતાઓ કહે છે એમ સંઘ જો કોમવાદી સંગઠન ન હોય અને સાંસ્કૃિતક સંગઠન હોય તો કૉન્ગ્રેસની અંદર રહીને સ્વયંસેવકો કામ કરી શકે છે.

સંઘ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો એ પછીથી સંઘના નેતાઓ વિચારતા જ હતા કે સત્તાના રાજકારણમાં સંઘની કોઈ હાજરી હોવી જોઈએ, જે ભવિષ્યમાં પ્રતિબંધ જેવા સંકટના સમયે સંઘને મદદ કરે. એમાં સરદાર પટેલનું સૂચન આવ્યું કે સંઘના સ્વયંસેવકો કૉન્ગ્રેસમાં જોડાઈને રાષ્ટ્રનિર્માણના કામમાં લાગી જાય. કૉન્ગ્રેસની અંદર સરદાર પટેલ જેવા મોટી સંખ્યામાં હળવા હિન્દુવાદી નેતાઓ હતા જે એમ ઈચ્છતા હતા કે સંઘના સ્વયંસેવકો કોન્ગ્રેસમાં જોડાય તો સેક્યુલર ડાબેરીઓનો પ્રભાવ ખાળી શકાય. અડચણ હતી જવાહરલાલ નેહરુ, એટલે સંઘના નેતાઓને સલાહ આપવામાં આવી કે નેહરુને રાજી કરવામાં આવે.

એ પછી જવાહરલાલ નેહરુને રાજી કરવાની કસરત શરુ થાય છે. સંઘના સરસંઘચાલક ગોલવલકર ગુરુજી બે વખત જવાહરલાલ નેહરુને મળ્યા હતા. એ મુલાકાતને સંઘે તેના મુખપત્ર ‘ઑર્ગેનાઈઝર’માં મીટિંગ બિટવીન ધ સેજ એન્ડ ધ સ્ટેટ્સમેન (ઋષિ અને રાજપુરુષ વચ્ચેની મુલાકાત) તરીકે ઓળખાવી હતી. શું વખાણ કરવામાં આવ્યા છે નેહરુના. ભારતના પનોતા પુત્ર, ગાંધીજીના વારસ, ગરીબોની આંખનું નૂર, દ્રષ્ટા વગેરે. (જુઓ છઠ્ઠી સપ્ટેમ્બર ૧૯૪૯નો અંક) નેહરુના આટલાં વખાણ તો નેહરુના પ્રસંશકે પણ નહીં કર્યા હોય. એ પછીના અંકમાં કહેવામાં આવ્યું હતું કે સંઘ અને કોન્ગ્રેસની ભારત વિશેની કલ્પનામાં લગભગ સમાનતા છે. ‘ઑર્ગેનાઇઝર’ના પ્રત્યેક અંકમાં નેહરુના ભરપેટ વખાણ કરવામાં આવતા હતા.

૧૬મી નવેમ્બર ૧૯૪૯ના અંકમાં વિદેશયાત્રાએ જઈ આવેલા નેહરુ વિષે શું લખવામાં આવ્યું હતું એ જુઓ: નેહરુ ભારતનું નેતૃત્વ કરે છે અને ભારત નેહરુને પ્રેમ કરે છે. એ પછી આગળનું અવતરણ અંગ્રેજીમાં ટાંકું છું … But Bharat is not its economics and politics alone. Bharat is an integral entity with a rich control of Bharatiyata. … Today Nehru is big because he is trying to stabilise the state and strengthen the economy. But Nehru can be great only by harking back to the voice of Swami Vivekananda and of Gandhiji.’ (બે વાત નોંધી? ભારતીયતા. સંઘ ક્યારે ય ભારતીયતા શબ્દ વાપરતો નથી, હિન્દુત્વ શબ્દ જ વાપરે છે. હિન્દુત્વ એ જ ભારતીયત્વ એવું તેનું સૂત્ર છે. બીજું, નેહરુએ વિવેકાનંદની સાથે ગાંધીજીને અનુસરવા જોઈએ એવી સલાહ આપવામાં આવી હતી. નવેમ્બર ૧૯૪૯માં ૬૦ વરસના થયેલા નેહરુના ફરી એકવાર ભરપેટ વખાણ કરવામાં આવ્યા હતા.

નેહરુ વિદેશથી પાછા ફર્યા ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે કેટલાક કોંગ્રેસીઓ સંઘના સ્વયંસેવકોને કૉન્ગ્રેસમાં પ્રવેશ આપવાની પેરવી કરી રહ્યા છે. નેહરુએ કહ્યું કે જે સંગઠને પુખ્ત મતદાનના અધિકારનો વિરોધ કર્યો હોય, સ્ત્રી અને દલિતોના સમાન દરજ્જાનો વિરોધ કરતો હોય, લઘુમતી કોમને સમાન અધિકાર આપવામાં આવે તેનો વિરોધ કરતો હોય ડૉ. આંબેડકરને કાયદા પ્રધાન બનાવાયા તેનો વિરોધ કર્યો હોય. બંધારણ અને રાષ્ટ્રધ્વજ જેને સ્વીકાર્ય ન હોય, જેને મુક્ત લોકતંત્ર અને બહુવિધતા સામે વાંધો હોય એ કૉન્ગ્રેસમાં કેવી રીતે જોડાઈ શકે?

નેહરુ ખુશામતના પ્રભાવમાં આવ્યા નહીં અને એ રીતે કૉન્ગ્રેસમાં ઘુસીને કૉન્ગ્રેસ કેપ્ચર કરવાનો દાવ નિષ્ફળ નીવડ્યો. એ પછીના અંકમાં નેહરુ મુસ્લિમ તરફી બની ગયા અને અત્યારે તો તેઓ મુસલમાનની ઔલાદ છે. અનેક પ્રકારની ગંદી ઇશારતો કરવામાં આવે છે. સંઘનો સૌથી મોટો કોઈ દુશ્મન હોય તો એ નેહરુ છે. નેહરુના કારણે દેશભરમાં પથરાયેલી લોકલાડીલી કૉન્ગ્રેસ હાથમાં આવી નહીં અને ભારતીય જન સંઘ સ્થાપીને એકડે એકથી સત્તા સુધી પહોંચવાની જહેમત કરવી પડી. જો નેહરુ વચ્ચે ન આવ્યા હોત તો ૧૯૫૦ કે ‘૬૦ના દાયકામાં જ હિન્દુરાષ્ટ્ર માટેની અનુકૂળતા બની ગઈ હોત.

અહીં આવો આ માત્ર એક જ પ્રસંગ નોંધ્યો છે. ગાંધીજી, સરદાર, જયપ્રકાશ નારાયણ, ડૉ. લોહિયા, પી.વી. નરસિંહ રાવ, વી.પી. સિંહ અને ખુદ સાવરકરબંધુઓને સુદ્ધા આવા બે અંતિમોના અનુભવ થયા છે.

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 28 અૉક્ટોબર 2018

Loading

‘ગુજરાતી લિટરરી અકાદમી ઑફ નૉર્થ અમેરિકા’ સ્વસ્થ છે, એની તબિયત એકંદરે ઘણી સારી છે

સુમન શાહ|Opinion - Opinion|28 October 2018

સામ્પ્રતમાં અમર ભટ્ટ એવા ગાયક છે જે સાહિત્યશ્રીને જાળવી જાણે છે, સૂરને આગળ કરવા શબ્દ સાથે ચૅડાં નથી કરતા

વ્હાલી બચીબહેન : ઘણા મહિને તારો પત્ર મળ્યો.

તું લખે છે, તારું પીઍચ.ડી. પતી ગયું ને તું ખુશ છું. મારાં અભિનન્દન. જો કે, 'પતી ગયું'-ને બદલે 'સમ્પન્ન થયું' કહીએ તો કેવું? ભલે. તેં લખ્યું છે કે સ્વીડનની 'ન્યૂ અકાદમી' વિશેની મેં કરેલી વાતો તને ગમી છે. સાથોસાથ, તેં લખ્યું છે, તને ઉત્તર લખું ત્યારે મારે ગુજરાતી લિટરરી અકાદમી ઑફ નૉર્થ અમેરિકાના ન્યૂ જર્સિ ખાતેના સમ્મેલનમાં મેં ભાગ દીધો તો એ સમ્મેલન મને કેવું લાગ્યું તેનો ચિતાર આપવો. તું એ પણ જાણવા માગે છે કે એ અકાદમીના ભાવિ વિશે મારો અભિપ્રાય શો છે. અધૂરામાં પૂરું તેં લખ્યું કે બધું મારે મારી કૉલમમાં જાહેરમાં કહેવું – કેમ કે એ છે જ 'સાહિત્ય સાહિત્ય' વિશે. તેં મને બહુ લેસન આપી દીધું છે.

આવી બાબતો વિશે હું કોઇના કહેવાથી ન લખું પણ તને ના કેમ પડાય? જણાવું કે હું સમ્મેલનનો ચિતાર નહીં આપી શકું. મારા મન પર પડેલી છાપોની વાતો કરીશ. ગઝલ-ગાન અને નાટકની, બે-બે બેઠકોમાં, મારાથી હાજર પણ ન્હૉતું રહેવાયું. તારે ભર્યોભાદર્યો ચિતાર મેળવવો હોય તો ભૂપેન્દ્રસિંહ આર. રાઓલે તેમ જ દેવિકા ધ્રુવે તેમની FB દીવાલો પર વીગતે લખ્યું છે, જઈને વાંચી લેજે.

તો, સાંભળ : સ્વાગત-પ્રવચન પ્રમુખશ્રીએ, રામભાઇ ગઢવીએ, કરેલું. અહીં પણ સાહિત્યપ્રેમી દાતાઓની આર્થિક સહાયથી એમનાં સ્વજનોની યાદમાં પારિતોષિકો અપાય છે. આ વર્ષનું 'ચુનીલાલ મહેતા પારિતોષિક' પ્રમોદ ઠાકર 'કૃષ્ણાદિત્ય'-ને અપાયું અને 'રમેશ પારેખ પારિતોષિક' મનીષા જોશીને. દાતાઓ હાજર હતા. એમણે પ્રાસંગિક વક્તવ્ય કરેલાં. વિજેતાઓએ પણ આભારના બે બોલ કહેલા. મનીષાએ પોતાના 'કંસારાબજાર' કાવ્યનું પઠન કરેલું. બાબુ સુથારે અતિથતિવિશેષ રમણ સોની સહિતના દરેક આમન્ત્રિત વિદ્વાનનો અનિવાર્ય વીગતો સાથેનો સમુપકારક પરિચય કરાવેલો.

બચીબહેન, આ અકાદમીવાળા પણ એમના ઑડિયન્સની નસ જાણે છે. ઓળખે કે ક્યારે શેની રાહ જોતું થઈ જશે. સમજે કે ઔપચારિકતાઓ પછી ગીત-સંગીત રાખવું પડશે. અમર ભટ્ટની ઑડિયો-સીડીના લોકાર્પણ પછી મુકેશ જોશીના સંચાલન સાથે નરસિંહ-મીરાંથી માંડીને ભગવતીકુમાર શર્માની ગીતરચનાઓનું ગાન થયેલું. હિમાલી વ્યાસ અને જાહ્નવી શ્રીમાંકના ગીત-ગાયનમાં ગંગાસતીનું 'વીજના ચમકારે મોતીડાં પરોવો' અને રમેશ પારેખનું 'રહીશું અમે ગુમાનમાં' અદ્ભુત રીતે ગવાયેલાં. અમરભાઇએ, ખાસ તો, અનિલ જોશીની રચના 'ઝીણાં ઝીણાં રે' અને રમેશ પારેખની રચના 'વહાલ કરે તે વહાલું' એવા વ્હાલથી ગાયેલી કે એથી એમને માટેનું આપણું વહાલ દૃઢ થઈ આવેલું.

અતિથિતિવેશેષ તરીકેના વ્યાખ્યાનમાં રમણ સોનીએ ગુજરાતી સાહિત્યના વર્તમાન વિશે કહ્યું કે, ઢગલાબંધ પારિતોષિકો, સામયિકોની નીતિરીતિ, સસ્તું રેકગ્નીશન, વાચકો કરતાં વધેલા લેખકો, મંદ પડેલી વાચનવૃત્તિ, વગેરેને કારણે આજે નિષ્ઠાભરી સાહિત્યસાધના નથી રહી. એ પ્રશ્નને આગળ કરીને એમણે દલપતરામ, નર્મદ અને ઈચ્છારામની વાતો કરેલી. ચિન્ત્ય ગમ્ભીર વિષય, છતાંય સૌને હસાવી શકેલા.

તો પણ, પાછું ગીત-સંગીત હતું. જો કે એ અમરભાઇ માટેની આવકાર્ય બેઠક હતી. એમણે પોતાના પ્રવેશકાળના ઉછેરની વાતમાં, ન્હાનાલાલના 'વિરાટનો હીંડોળો ઝાકમઝોળ'-ના પણ્ડિત ઓમકારનાથના સ્વરનિયોજનના પોતા પર પડેલા પ્રભાવની વાત કરેલી. ક્ષેમુભાઈ, બાલમુકુંદ દવે અને રાજેન્દ્ર શાહને સંભારેલા. એમણે ગાયેલાં ગીતોમાં, 'આભમાં તોરણ બંધાણાં ત્રિલોકના' અને 'હેજી વ્હાલા સાવ રે અધૂરું મારું આયખું' મને ખૂબ ગમેલાં. બચીબહેન, મારો હવાલો આપીને તારે બીજાંઓને કહેવું કે સામ્પ્રતમાં અમર ભટ્ટ એવા ગાયક છે જે ગુજરાતી સાહિત્યની સૂચક વાતો ગૂંથીને પોતાના ગાયનને અદકેરું બનાવેે છે, સૂરને આગળ કરવા શબ્દ સાથે ચૅડાં નથી કરતા બલકે સાહિત્યશ્રીને સમર્પણભાવે જાળવી જાણે છે.

તું જાણે છે એમ હું વાણિયો, પણ વિદ્યા-ઉપાસક બ્રાહ્મણ છું. પણ એટલે કંઇ મને આ અકાદમીના ભાવિની ખબર થોડી પડે? એના ભૂતકાળનીય ખબર નથી. એ દ્વિ-વાર્ષિક ૧૧-મા ત્રિ-દિવસીય સમ્મેલન માટે હું આગલે દિવસે પ્હૉંચી ગયેલો. ૬થી ૯ સપ્ટેમ્બર જેટલા ટૂંકા વર્તમાનમાં કેટલું જાણી શકાય? તેમ છતાં, મને લાગ્યું કે આ અકાદમી સ્વસ્થ છે, એની તબિયત એકંદરે ઘણી સારી છે. માંડીને વાત કરું, સાંભળ :

બન્યું એવું કે એ સાંજે મને, મણિલાલ હ. પટેલને અને બીજાંઓને જમવા માટે રામભાઇ રેસ્ટોરાંમાં લઇ ગયેલા. એમને શુંયે ઉમળકો ઊગેલો તે મણિલાલ અને મારી જોડે જે વાતોએ વળગ્યા, ન પૂછોની વાત. હું પહેલીવાર મળેલો ને એઓ પ્રમુખ એટલે મારી હદમાં રહેલો. પણ એ હદને એમણે ક્યારે ઑગાળી દીધી, ખબર ન પડી. સામે જમણની રસીલી ડિશો બચારી અમને જોયા કરે. બહુ વાતો કરી. તને તો ખબર છે, આપણા પ્રમુખો મને જાણે, હું ય એમને જાણું, પણ આ પ્રમુખ જોડે ઝટ જે ઘરોબો બંધાયો એવો એમાંના એકેય જોડે બંધાયો નથી. તું ક્હૅવાની, એવું કેમ; કહું તને.

રામભાઇ સાથે ઘરોબો બંધાયો તેનું મુખ્ય કારણ એ કે આ માણસ સાહિત્યકાર નથી. સાહિત્યકાર સાહિત્યકારથી ન કળાય એવું જે ડિસ્ટન્સ રાખે, પ્રમુખ થયા પછી તો ખાસ, મને લાગ્યું, તે રામભાઈ નથી રાખતા. કદાચ આવડતું નહીં હોય. એઓ કેટલાં ય વર્ષોથી પ્રમુખપદે છે. એમને ત્યાં ય લોકશાહી છે, ચૂંટણીયે છે, છતાં એમનું સ્થાન લેવા કોઇ તૈયાર નથી. કારણ? અકાદમીને રામભાઈ ચલાવે છે એવી સીધીસાદી પદ્ધતિએ ચલાવવા કોણ આગળ આવે? પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી વગેરેને જોડ્યાં વિનાનાં, સંસ્થાકીય ભભક વિનાનાં સમ્મેલન કરવાં કયા પ્રમુખને પરવડે? એકેય બેઠકમાં વક્તાઓની વચ્ચે ન્હૉતા બેઠા, બોલ ! પ્રમુખ થયા પછીયે શ્રોતાઓમાં બેસવાનું કોઈને ગમે? અને, રોજ સૌ પહેલાં જાગી જનાર કોણ હતું, કહું તને? રામભાઈનાં પત્ની ભાનુબહેન. સવારના નાસ્તાપાણીથી માંડીને લન્ચ ને ડીનરનાં આયોજનોની દેખભાળ માટે દોડાદોડી કરતાં તું એમને જુએ તો તને એમ લાગે કે આ માજીની છોડીનાં લગનબગન છે કે શું. કોઇ પ્રમુખની પત્નીને તેં કદ્દી પણ આવી સંસ્થાપરક મહેનત કરતાં જોઇ છે?

રામભાઇએ કહ્યું, ડોનેશનો આવે છે, માંગવાં નથી પડતાં. રજિસ્ટ્રેશનના ૧૫૦ ડૉલર છે ને સૌ આપે ય છે. મુખ્યત્વે શ્રીમન્ત પણ સાહિત્યકલાપ્રેમી સજ્જનો નવીન શાહ, સુધીર પરીખ, એચ.આર. શાહ, સુનીલ નાયક, પ્રફુલ્લ નાયક આદિએ કહ્યું કે પૈસાની ચિન્તા ન કરશો, અમે બેઠા છીએ. બચીબહેન, રામભાઈ કાઠિયાવાડી જણ છે. અસલી દૂહા ગાઈ જાણે છે. મરમી છે. વાણી એમની હસતી મધુર – પણ એમાં એમનો વ્યંગ કાજુકતળીમાં મરીની કટકી જેવો, સ્હૅજ તીખો. સંવેદનશીલને જ પ્હૉંચે. ટૂંકમાં, મને એમનામાં એક ખુલ્લા-દિલી જોવા મળી. થયું કે મરીની બે કટકી સાથે આપણે પણ સમ્મેલનની ટિપ્પણી કરશું તો આ પ્રમુખ કાયમી અબોલા તો નહીં જ કરી દે, વધુ વિચારાર્થે સ્વીકારી લેશે.

ઉપર જેટલું હસીમજાકમાં કહ્યું છે એને તારે રામભાઈના પ્રતાપે સમજવું. મારાવાળી બેઠક, કાવ્યપઠનની બે બેઠકો; પન્ના નાયક, અપૂર્વ આશર, બાબુ સુથાર, દેવકી દવે, સુભાષ ભટ્ટ, જય વસાવડા, નેહલ ગઢવી, તુષાર શુક્લ, અનિલ ચાવડા, વગેરેને વિશેની વાતો; બધું બાકી છે. આવતા શનિવારે …

= = =

તારીખ ૨૭/૧૦/૨૦૧૮ના રોજ ‘નવગુજરાત સમય'માં પ્રકાશિત થયેલો લેખ અહીં સૌજન્યસહ મૂક્યો છે

Loading

સબરીમાલા ચુકાદાનો વિરોધ : પુરુષપ્રધાન માનસ અને હિન્દુત્વનાં રાજકારણ દ્વારા સ્ત્રીનું અપમાન

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|26 October 2018

સબરીમાલાના ચુકાદા-વિરોધી માનસ ધર્મ અને પરંપરાની દુહાઈ દઈને સતી કે કન્યાભ્રૂણહત્યાને વાજબી ઠરાવવાની હદે જઈ શકે એવી સંભાવના નકારી ન શકાય.

કેરળનાં સબરીમાલા મંદિરમાં દસથી પચાસ વર્ષની રજસ્વલા સ્ત્રીઓ પર મૂકવામાં આવેલો પ્રતિબંધ ગેરકાયદેસર ઠરાવીને સર્વોચ્ચ અદાલતે ફરી એક વાર આધુનિક દુનિયામાં હોવું જ જોઈએ તેવું પ્રગતિશીલ પગલું ભર્યું છે. પણ તેનો રસ્તા પર વિરોધ કરીને સ્ત્રી-પુરુષોનો એક વર્ગ તેમ જ  દેશ પર  શાસન કરનાર ભારતીય જનતા પક્ષ (ભા.જ.પ.) ધર્મ અને પરંપરાનાં નામે પછાત સ્ત્રીવિરોધી પુરુષસત્તાક માનસનું પ્રદર્શન કરી રહ્યાં છે. આ લોકો એ જ ધર્મ અને પરંપરાની દુહાઈ દઈને સતી કે કન્યાભ્રૂણહત્યાને વાજબી ઠરાવવાની હદે જઈ શકે એવી સંભાવના નકારી ન શકાય. ભા.જ.પ. દ્વારા કરવામાં આવેલા વિરોધને ટેકો આપીને કૉન્ગ્રેસ ફરીથી તથાકથિત સૉફ્ટ હિન્દુત્વ અપનાવી રહી છે. ધર્મસત્તાની શેહ સ્વીકારીને તે શાહબાનોના કિસ્સામાં દેશનાં સેક્યુલરિઝમને  કાયમી નુકસાન કરી ચૂકી છે. કેરળની ડાબેરી રાજ્ય સરકાર સક્રિય બનવામાં અક્ષમ્ય વિલંબ કરીને નિષ્ફળ સાબિત થઈ રહી છે. આમ આદમી પાર્ટી, દલિત પક્ષો અને શક્તિશાળી પ્રાદેશિક પક્ષોએ ભાગ્યે જ પ્રતિભાવ આપ્યો છે. રાજકીય પક્ષો સામાજિક સુધારાની પડખે ન રહે તે ચિંતાજનક બાબત છે. નાગરિક સમાજ કહેતાં નારીવાદી કે માનવાઅધિકાર સંગઠનો સબરીમાલાના કિસ્સામાં લગભગ ચૂપ છે. તાજેતરમાં ‘અર્બન નક્સલ’ ગણાતાં કર્મશીલોની ધરપકડ, કથૂઆ કે નિર્ભયા અત્યાચાર, શનિશિંગણાપુર મંદિર કે હાજી અલી દરગાહમાં પ્રવેશ પ્રતિબંધનાં વિરોધમાં દેખાવ કરનારની જાગૃતિ સબરીમાલામાં ગેરહાજર જણાય છે.

આ બધાંની વચ્ચે કેરળની સ્ત્રીઓ સીધી રીતે, અને પરોક્ષ રૂપે એકંદર ભારતીય સ્ત્રી ગૌરવહનન વેઠી રહી છે. સબરીમાલાના ઝાડીવાળા ટેકરિયાળા વિસ્તારમાં વરુઓ સસલાં પર કે સુરક્ષાદળો ખૂંખાર આતંકવાદીઓ પર નજર રાખે તેમ, નરોનાં ટોળાં સ્ત્રીઓ પર જાપ્તો રાખી રહ્યાં છે. મલયાલમ અભિનેતા કોલ્લમ તુલસીએ તો ભા.જ.પે. કોલ્લમ ખાતે યોજેલી એક જાહેર સભામાં એમ કહ્યું કે સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવાની કોશિશ કરતી સ્ત્રીઓના બે ટુકડા કરીને એક ટુકડો કેરળના મુખ્યમંત્રીની કચેરીમાં અને બીજો દિલ્હી મોકલવોજોઈએ. ચૂકાદા-વિરોધીઓનો બદઇરાદો મંદિરમાં જવા ધારતી સ્ત્રીઓને અટકાવવાનો છે. આ નારીવિરોધી નરો, દેશની સર્વોચ્ચ અદાલતે મહિલાઓને આપેલો અધિકાર પ્રત્યક્ષમાં બનાવવાનું વિચારી રહેલી સ્ત્રીઓને પરંપરા અને અવૈજ્ઞાનિકતાના હથિયારોથી અટકાવી રહ્યા છે. વિજ્ઞાને અસાધારણ પ્રગતિ કરી હોય તેવા જમાનામાં પણ, માસિક ધર્મ નામની પ્રજનન સાથે સંકળાયેલી હોવાથી ઉમદા, શારિરીક રીતે પીડાકારક અને માનસિક રીતે બહુ જ સંકુલ એવી કુદરતી દૈહિક પ્રક્રિયાને અપવિત્રતા તેમ જ આભડછેટનો મામલો બનાવીને તેની પર બેહૂદો જાહેર વિવાદ કરવો એ કોઈપણ સભ્ય સમાજ માટે બહુ જ શરમજનક બાબત ગણાય.

ચુકાદાનો વિરોધ કરનાર સંગઠનો કેરળની ડાબેરી સરકારને ગાંઠી રહ્યાં નથી. એક મહિલા પત્રકાર અને એક કર્મશીલને છેક મંદિરના દરવાજે પોલીસ રક્ષણ હેઠળ લઈ જઈને દર્શન વિના પાછી લાવવી પડી છે. ચુકાદા પર રિવ્યૂ પીટિશન નહીં કરવામાં સરકાર મક્કમ રહી છે. પણ મંદિરનો વહીવટ કરનાર  ત્રાવણકોર દેવસ્વમ બોર્ડમાં સરકારે જ ઑર્ડિનન્સથી નિમેલા માર્ક્સિસ્ટ પ્રમુખ એ. પદ્મકુમાર તો એક તબક્કે  રિવ્યૂ  પીટિશન માટે તૈયાર પણ થયા હતા. આ પહેલાં પણ એક વાર સી.પી.આઇ.(એમ.)એ સબરીમાલા પ્રતિબંધ અંગે ઢીલું વલણ અપનાવ્યું હતું, અને વિરોધને પગલે વળી પાછી કડક ભૂમિકા લીધી હતી.

સરકારને ચુકાદાની તારીખ અને મંદિરપ્રવેશના સમયગાળાની ઠીક આગોતરી જાણ હતી,  છતાં કાયદો અને વ્યવસ્થા અંગે ઢીલી રહી છે. સરકાર ધારે તો સખત વિરોધ સામે કડક હાથે પગલાં લઈને કાયદાનું કે બંધારણનું પાલન કરાવી શકે છે. લાલુ પ્રસાદે ઑક્ટોબર 1990માં રામરથયાત્રા કાઢવા માટે અડવાણીની બિહારમાં અને મુલાયમ સિંગ યાદવે ઉત્તર પ્રદેશમાં ભા.જ.પ.ના હજારો કાર્યકર્તાઓની ધરપકડો કરી હતી. ઉત્તર પ્રદેશની સરકારે ઑગસ્ટ 2013 માં સૂચિત ‘ચોર્યાસી કોશી પરકમ્મા યાત્રા’  પહેલાં અયોધ્યામાંથી ધરપકડ કરી હતી. મહુવા આંદોલનના ભાગ રૂપે ડૉ. કનુભાઈ કલસરિયાએ ફેબ્રુઆરી 2013માં અમદાવાદથી ગાંધીનગર તરફ યોજેલી વિરોધ-રેલીને સરકારે સાબરમતી આશ્રમ આગળ જ આગેવાનોને અટકાયતમાં  લઈને રોકી લીધી હતી. આનંદીબહેન પટેલે અનામતને અનુમતિ આપી ન હતી, તાજેતરમાં હાર્દિક પટેલને સરકારે જાહેર જગ્યાએ ઉપવાસ કરવા દીધા ન હતા. ગુજરાતમાં વિરોધ પ્રદર્શન થવા ન દેવું એ તો સરકારની વરસોથી તાસીર રહી છે. લોકોની માગણી સાચી હોય અને ખુદ ખોટી હોય ત્યારે પણ સરકાર તંત્રને કામે લગાડીને વિરોધને ડામી શકતી હોય છે. કેરળમાં તો સરકારે સર્વોચ્ચ અદાલતના મૂળભૂત રીતે માનવતાવાદી ચુકાદાનું પાલન કરાવવાનું છે. આ કામ અત્યાચાર-હિંસાચાર વિના થાય એ રીતે કરવાની કોશિશ એની કસોટી છે. જો આ ધ્યેયની નજીક પણ એ ન પહોંચે તો સ્ટેટ કહેતાં રાજ્યસત્તા શા કામની એવો સવાલ ઊભો થાય છે. અહીં એ પણ નોંધવું જોઈએ કે સબરીમાલા મંદિરમાં રજસ્વલા મહિલાઓ પરનો પ્રતિબંધ ખરેખર પ્રાચીન છે કે કેમ એ અંગે પણ અભ્યાસીઓમાં અલગ અલગ મંતવ્યો પ્રવર્તે છે. વળી, કેરાલાની સ્ત્રીઓ માટે આ પહેલવહેલી લડત નથી. પછાત ગણાતા વર્ગની સ્ત્રીઓ શરીરના ઉપરના હિસ્સામાં વસ્ત્ર પહેરવાની મનાઈના વિરોધમાં 1813થી પચાસેક વર્ષ સંઘર્ષ ચાલ્યો  હતો !

સબરીમાલા ચુકાદાની સામે પડવામાં ભા.જ.પ. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સ્ત્રીવિરોધી પ્રતિગામી શીલ ફરીથી એક વાર ખુલ્લી પડી ગયું છે. ટ્રિપલ તલાકના મુદ્દે આ બંનેએ મુસ્લિમ મહિલાઓના તારણહાર તરીકે પોતાની છાપ ઉપસાવી હતી. તેણે  ટ્રિપલ તલાક વખતે મુસ્લિમ સ્ત્રીઓને બંધારણે બક્ષેલો મૂળભૂત અધિકાર મુસ્લિમ ધર્મની પરંપરાઓ કરતાં સર્વોપરી ગણાવ્યો હતો. એ જ રીતે તેણે સબરીમાલામાં પણ હિંદુ સ્ત્રીઓના મંદિરપ્રવેશના મૂળભૂત અધિકારને ધાર્મિક રૂઢિઓ કરતાં સર્વોપરી ગણવો જોઈએ. જો ભા.જ.પ. આ ન સ્વીકારતો  હોય તો એમ ફલિત થાય છે કે તે જેન્ડરની બાબતમાં મુસ્લિમ અને હિન્દુ સ્ત્રીઓ માટે એક સરખો કાયદો હોવાનું સ્વીકારતો નથી.

આ મુદ્દો કરીને જાણીતા વિશ્લેષક સ્વામિનાથન ઐયર સંઘના વડા મોહન ભાગવતને કહે છે કે આ સંજોગોમાં જાતિય સતામણીમાં કાયદા માત્ર એમ.જે. અકબરને જ લાગુ પડવા જોઈએ અને આર.કે. પચૌરીને નહીં, એ અંગે તેમણે સ્પષ્ટતા કરવી ઘટે. તાજેતરમાં ઉન્નાઓ અને કથૂઆ અત્યાચારના કિસ્સામાં સત્તાધારી ભા.જ.પ. હવસખોરોનો અને તેમના બચાવકારોનો ટેકેદાર રહ્યો છે. ગુજરાતમાં નાલિયાકાંડમાં પણ ભા.જ.પ.ના સભ્યો વિવાદાસ્પદ થઈ ચૂક્યા છે.

અસોસિએશન ઑફ ડેમૉક્રેટિક રિફૉર્મ્સ (એ.ડી.આર.) અને ઇલેક્શન વૉચ અભ્યાસજૂથોએ એપ્રિલમાં બહાર પાડેલાં જાણીતાં સર્વેક્ષણ મુજબ સ્ત્રીઓ સંબંધિત ગુનાઓના આરોપીઓમાં સહુથી વધુ સંખ્યા ભા.જ.પ.ના ધારાસભ્યો અને સાંસદોની છે, તેના પછી અન્ય પક્ષો પણ છે. એમ.જે. અકબરના કેસમાં પક્ષે કોઈ ઠોસ ભૂમિકા લીધી નથી. હવે આ પક્ષ સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશ આપવાના સર્વોચ્ચ અદાલતના ચુકાદાની સામે પડ્યો છે. એને એ પરંપરા અને ધર્મરક્ષાનાં વાઘાં પહેરાવી રહ્યો છે. તામિલનાડુના જલ્લિકુટ્ટુના વિવાદમાં લોકોની જીત થઈ હતી, પણ એમાં વેઠવાનું પ્રાણીઓને હતું.

સબરીમાલાના કિસ્સામાં લોકમત સર્વોચ્ચ અદાલતના ચુકાદા કરતાં વધુ પ્રબળ બને તો આ દેશમાં પુરુષોનો એક વર્ગ મહિલાઓ ફરજિયાત ખૂણો પાળે એવી ફરીથી અપેક્ષા રાખતો થાય તેવા દિવસો દૂર નથી.

******

25 ઑક્ટોબર 2018

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 26 ઑક્ટોબર 2018

Loading

...102030...2,9562,9572,9582,959...2,9702,9802,990...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved