Opinion Magazine
Number of visits: 9578314
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જીવન નિર્વાહની વીરપસલી

રક્ષા ભટ્ટ|Opinion - Opinion|10 November 2018

‘રક્ષા, તું પણ મારી જેમ અંગ્રેજી સાહિત્યમાં અભ્યાસ કર, અને પછી, એમ.એ. કરી બી.એડ. પણ કર.’ એવું કહી જેણે મારા જીવનને જીવનની અને જીવન નિર્વાહની વીરપસલી આપી એ મારો ભાઈ સુભાષ મારી સમૃદ્ધિ.

નાની હતી ત્યારે એક વખત, ગાંધી સ્મૃિત અને બાર્ટન ગ્રંથાલયમાં સભ્ય થવા લઈ ગયેલો ને ગ્રંથપાલ સાથે મારી ઓળખાણ કરાવી કહ્યું કે આ મારી નાનીબહેન રક્ષાને તેને જોવે તે પુસ્તકો શોધી આપવામાં મદદ કરજો. એ પછીનાં આ પચ્ચીસથી વધુ વર્ષોમાં ભાવનગરના ગ્રંથાયલોના ગ્રંથપાલો બદલાયા, પરંતુ મારો પરિચય સુભાષભાઈની નાનીબહેન તરીકેનો કાયમ રહ્યો.

અંગ્રેજી સાહિત્યના પ્રથમ વર્ષે ને સત્તર-અઢારની મારી વયે, સુભાષે જે. કૃષ્ણમૂર્તિનું દળદાર પુસ્તક ‘The Awakening Of The Intelligence’ આપ્યું અને એ પછી પસાર થયેલાં વર્ષો, કેટલાંક વર્ષોની પીડા, દુ:ખ અને પ્રિયજન સાથેનાં કોઈ નમણાં સંબંધની તૂટેલી દોરીના તાણાવાણા સુભાષે સ્થાપેલી મારી જે. કૃષ્ણમૂર્તિ, ઓશો ને રમણ મહર્ષિ સાથેની અતૂટ અને દિવ્ય સંભાળથી સ્વસ્થ થતા રહ્યા.

આજની તારીખે સુભાષ મને મારા જન્મ દિવસ અને વીરપસલીમાં આપતો રહે છે નરસિંહ મહેતાનું ‘શબ્દવેદ’, સુરેશ જોશીનું સાહિત્ય વિશ્વ, ઓશોની અષ્ટાવક્ર મહાગીતા, ઓશપેંશ્કીનું ‘The Forth Way’, ‘Krishnamoorti To Himself, કબીર અને Outlook Travellerના genuine પ્રકાશનો. વર્ષપર્યંત પુસ્તકોની નદી મારા અભ્યાસ ખંડ તરફ વહ્યાં કરે, અને એમાં મોટા ભાઈની સંભાળ અને દરકાર પણ એટલી જ વહે.

હીચકે બેઠા-બેઠા સુભાષે ભણાવેલા હરમન હેશનું ‘સિદ્ધાર્થ’ કે કોલરિજ અને મેથ્યુ આર્નોલ્ડની સાહિત્યની વ્યાખ્યાઓની સમજનાં સ્મરણો આજે પણ ટોળે વળી આંખમાં સજળ થાય છે. રસ્કિન બોન્ડની હિમાલય પ્રેમની વાતો, Seven Years In Tibet કે પોલો કોયેલોના The Alchemistના અર્થઘટનોની અઢળક વાતો અને ચર્ચાઓ મારી આંખોમાં સુભાષે આપેલા ચમકારા છે અને છે આધ્યાત્મના આત્મવાન ઓટલા, જેના પર બેસી હવે અનેક વખત હું મારી નિસ્ફળતાઓ અને સંબંધોના આખાય illusory જગતે મને આપેલી એકાંતની ભેટને, નામ વગરના gift packમાં વિંટાળીને મારી જાત સાથે બેસું છું ને લગભગ રોજ કશુંક લખું છું અને સરાયની અગાસીમાં ચાલું છું.

‘રક્ષા, ક્યાં જવું છે આ ઉનાળાની રજાઓમાં?’-થી પ્રારંભાતો સુભાષનો પ્રશ્ન છેલ્લાં ત્રીસ વર્ષના ઉનાળા અને શિયાળાના લાંબા પ્રવાસો અને નાની-મોટી ઉજાણીઓના આનંદમાં સુભાષનો સાથ લઈને હજી પણ અકબંધ બેઠો છે. કેરલ-કર્ણાટકના ઘટાટોપ જંગલો, ઘૂઘવતા દરિયા અને મને અતિ પ્રિય પુરાતત્વિય પ્રાચીન મંદિરો સુભાષ ન હોત તો મેં આ જન્મે ન જોયાં હોત. બૃહદ્દ હિમાલયના બરફાચ્છાદિત પર્વતો અને અલકનંદા, મંદાકિની, બીયાસ, સતલજ અને સિંધુનાં દર્શન અને હિમાલયન કેડીઓ પરના અગણિત પડાવોની આખી ય મૂડી સુભાષ ન હોત તો આ જન્મે મને ન મળી હોત.

પ્રવાસોમાં સુભાષ પાસે અનેકો દિક્ષિત થયા હશે, થાય છે અને થશે પરંતુ મને મળેલા initiationને પકડ્યો છે કોઈ ઠોસ રંગ જીવનનો અને તે છે મારી છબિકલા જે કોઈ અર્થોપાર્જનની ગુલામ નહીં પરંતુ નિજાનંદનું બીજું નામ અને મારી identity પણ. આ identity કે જાતને ક્યાંક સાબિત કરવાનું બળ અને સંસ્કાર આપતા-આપતા સુભાષે આપ્યું મને એનું મિત્ર વર્તુળ. કેટલાક મિત્રો સાથે અનેક પ્રવાસો, તો કેટલાક મિત્રો સાથે આખી રાત ચાલેલા અમારા ડાયરા, સત્સંગ, ગીતો અને અલગારી રખડપટ્ટીનાં તોફાની સ્મરણો.

જૂના ઘરના હીચકે, દાદરે ને ઓસરીમાં ચાલેલા શિશુવિહારથી શામળદાસ અને શામળદાસથી સરાય સુધીના, ચાલીસથી વધુ વર્ષોમાં એક માત્ર અવિરત અખંડ એવું bond જે ક્યારેક ક્યારેક થપ્પાની રમત માફક સંતાઈને ફરી એ જ સ્થળે થપ્પો કરવા પાછું આવે છે તે છે સુભાષનું, સુભાષ સાથેના genuine પ્રવાસો, વાતો-વિચારોનું, સુભાષની મારા માટેની સંભાળનું, સુભાષે આપેલાં પુસ્તકો, પ્રવાસો અને એક સરખી રીતે ઉછરેલી કોઈ સમજ, હું ક્યારે ય કેળવી શકી ન હોત એવી મૈત્રીનું અને એકાંતને સ્મૃદ્ધ કરવાના સંસ્કારનું.

આ જબરદસ્ત ને જીવન બક્ષતી કેટલીક સમજના ચમકારાને આજે સલામો કરું છું ને સુભાષને પણ ..

સૌજન્ય : https://www.facebook.com/raksha.bhatt/posts/2901859013173006

Loading

કર્ણાટકનાં પરિણામો અને વિરોધ પક્ષોની એકતા

રમેશ ઓઝા|Opinion - Opinion|8 November 2018

ભારતીય રાજકારણના સિનિયર મોસ્ટ નેતા શરદ પવાર, આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન ચન્દ્રબાબુ નાયડુ અને જમ્મુ અને કાશીરના પૂર્વ મુખ્ય પ્રધાન ડૉ. ફારુખ અબ્દુલ્લા ભા.જ.પ.ની સામે રાષ્ટ્રીય મોરચો તૈયાર કરવા મેદાને પડ્યા છે. તેઓ ડૉ. લોહિયાએ ગેર-કૉન્ગ્રેસવાદની થિસીસ વિકસાવી હતી, એમ ગેર-ભા.જ.પ.વાદની થિસીસ વિકસાવવાની ભાંજગડમાં પડવા માંગતા નથી. ગઈકાલના લેખમાં કહ્યું હતું એમ ત્યારે ગેર કૉન્ગ્રેસી પક્ષો અને નેતાઓ અજમાયેલા નહોતા, એટલે પવિત્ર હતા. આજે સ્થિતિ જુદી છે. ફારુક અબ્દુલ્લા અને ચન્દ્રબાબુ નાયડુ ભા.જ.પ. સાથે ભગીદારી કરી ચુક્યા છે. એમ તો શરદ પવાર પણ ગેર કૉન્ગ્રેસવાદના યુગમાં મહારાષ્ટ્રમાં પુરોગામી લોકશાહી દળની રચના કરીને ભા.જ.પ .સાથે ભાગીદારી કરી ચુક્યા છે.

આ બધા પક્ષો અને નેતાઓ આવતીકાલે ભાગીદારી નહીં કરે એની કોઈ ખાતરી નથી. એટલે તેમનો વિરોધ નરેન્દ્ર મોદી-અમિત શાહ પ્રકારના રાજકારણ સામે છે, સીધો બી.જે.પી. સામે નથી. ગેર કૉન્ગ્રેસવાદમાં કૉન્ગ્રેસ ટાર્ગેટ હતી. અટલ બિહારી વાજપેયી કે તેમના જેવો બીજો કોઈ નેતા હોય, તો તેઓ બી.જે.પી. સાથે ભાગીદારી કરી પણ શકે છે, અત્યારે એન.ડી.એ.માં એવા ઘણા પક્ષો છે જેઓ બી.જે.પી.ની વિચારધારા સાથે સંમત નથી.

કેવું છે નરેન્દ્ર મોદી-અમિત શાહ બ્રેન્ડનું રાજકારણ? યેનકેન પ્રકારેણ બીજાની જગ્યા આંચકી જનારું. અરુણાચલ પ્રદેશમાં, ઉત્તરાખંડમાં, ગોવામાં અને કર્ણાટકમાં જે ઘટનાઓ બની એ તેનું પ્રમાણ છે. ગવર્નરોની મદદથી આ રાજ્યોમાં બહુમતી નહીં હોવા છતાં ગેરબંધારણીય રીતે ધરાર સરકારો રચવામાં આવી હતી. બીજું લક્ષણ છે વિશ્વાસઘાત કરવાનું. મહારાષ્ટ્રમાં શિવસેનાને, પંજાબમાં અકાલી દળને, જમ્મુ અને કાશ્મીરમાં પી.ડી.પી.ને અને આંધ્રપ્રદેશમાં ટી.ડી.પી.ને આનો અનુભવ થઈ ચૂક્યો છે. ત્રીજું લક્ષણ છે બોલવામાં કે પ્રહાર કરવામાં કોઈ પણ પ્રકારની મર્યાદા નહીં પાળવાનું. રાજકારણમાં અત્યાર સુધી રાજકીય પક્ષો અમુક રીતની લક્ષ્મણ રેખા પાળતાં આવ્યા છે, પરંતુ બી.જે.પી.નું અત્યારનું નેતૃત્વ આમાં માનતું નથી. ચોથું, બી.જે.પી. પાસે કુલ રાજકીય પક્ષોને મળેલા ડોનેશનનું ૮૦ ટકા ફંડ છે. બી.જે.પી. (મોદી-શાહ) કોઈ પણ માર્ગ અપનાવીને પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષો સામે અસ્તિત્વનું પેદા કરે એ પહેલાં સચેત થઈ જવું જોઈએ એ વિરોધ પક્ષોની તાત્કાલિક રણનીતિ છે.

શું છે રણનીતિ? એવો મોરચો રચવો જેમાં કૉન્ગ્રેસ સાથે હોય, સત્તામાં ભાગીદાર હોય; પણ વડા પ્રધાનપદ કૉન્ગ્રેસનું ન હોય. બીજી બાજુ જે રાજ્યોમાં કૉન્ગ્રેસ અગ્રેસર હોય એ રાજ્યોમાં કૉન્ગ્રેસની આણ માન્ય રાખવી. કૉન્ગ્રેસે પણ આ વખતે પ્રધાનપદનો આગ્રહ રાખ્યા વિના મોરચામાં જોડાવાની સંમતિ આપી દીધી છે. આનો અર્થ એ થયો કે કૉન્ગ્રેસના નેતૃત્વમાં યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સની રચના કરવામાં નહીં આવે, પરંતુ જે કોઈ નામનો મોરચો બનશે એમાં કૉન્ગ્રેસ એક ઘટક પક્ષ તરીકે ભાગીદાર હશે. આનો બીજો અર્થ એ થયો કે ત્રીજો મોરચો રચવામાં નહીં આવે. કૉન્ગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી દીધી છે કે કૉન્ગ્રેસને જો વડા પ્રધાનપદનો દાવો કરી શકાય એવી ગણનાપાત્ર બેઠકો મળશે તો જ કૉન્ગ્રેસ વડા પ્રધાનપદનો દાવો કરશે. કૉન્ગ્રેસ સૌથી મોટો પક્ષ હશે એમાં તો કોઈ શંકા જ નથી, પરંતુ અત્યારે એમ લાગે છે કે કૉન્ગ્રેસની બેઠકો સો-સવાસોની આસપાસ હશે તો કૉન્ગ્રેસ વડા પ્રધાનપદનો દાવો જતો કરશે. અત્યાર સુધી ત્રીજો મોરચો રચાતો હતો જેમાં કૉન્ગ્રેસ કે બી.જે.પી. ત્રીજા મોરચાને બહારથી ટેકો આપતા હતા અને પછી મોકો જોઇને ટેકો પાછો ખેંચીને સરકાર તોડતા હતા. આને કારણે ત્રીજા મોરચાને ખીચડા તરીકે ઓળખવામાં આવે છે. આમ કૉન્ગ્રેસે પોતાનું કદ સામે ચાલીને ઘટાડી દીધું છે.

ગણતરી આગળ કહી એવી જ છે. કોઈ પણ પ્રકારની લાજ-શરમ વિનાના અનૈતિક અને આક્રમક રાજકારણ કરનારાઓથી પોતાને બચાવવાનું. શરદ પવાર, ચન્દ્રબાબુ નાયડુ અને ફારુક અબ્દુલ્લા આ રણનીતિ વિરોધ પક્ષોના નેતાઓને સમજાવી રહ્યા છે. આ રણનીતિ તેમની પોલિટિકલ સ્પેસ બચાવવા માટેની છે, દેશની સેક્યુલર સ્પેસ બચાવવા માટેની નથી એ આ રણનીતિની મર્યાદા છે.

આની વચ્ચે કર્ણાટકમાં ત્રણ લોકસભાની અને બે વિધાનસભાઓની પેટા-ચૂંટણીનાં પરિણામો આવ્યાં છે. બી.જે.પી.નો બેલારીમાં લોકસભાની ચૂંટણીમાં અને જામખંડીમાં વિધાનસભાની ચૂંટણીમાં પરાજય થયો છે. ખાસ નોંધવા લાયક વાત એ છે કે બેલારીમાં કૉન્ગ્રેસે ઊભો રાખેલો ઉમેદવાર બહારનો હોવા છતાં ૨૦૧૪ની તુલનામાં વધારે સરસાઈ સાથે બેલારીની બેઠક જીતી લીધી હતી. બેલારી અને જામખંડી ઉત્તર પૂર્વ કર્ણાટકમાં આવ્યાં છે, જે બી,જે,પી,નો ગઢ ગણાય છે. ૨૦૦૪ પછી પહેલીવાર બી.જે.પી.નો બેલારીમાં પરાજય થયો છે. બી.જે.પી.નો બીજો ગઢ છે ઉત્તર પશ્ચિમ કર્ણાટક જ્યાંથી બી.જે.પી.ના નેતા યેદિયુરપ્પા આવે છે. તેમણે શિમોગાની લોકસભાની બેઠક ખાલી કરતાં પેટા ચૂંટણી યોજવામાં આવી હતી અને તેમણે પોતાના સગા દીકરાને ઉમેદવારી આપી હતી. શિમોગામાં બી.જે.પી.નો અર્થાત્ બી.જે.પી.ના સર્વેસર્વા યેદિયુરપ્પાનો વિજય તો થયો છે, પરંતુ સરસાઈમાં ત્રણ લાખ કરતાં વધુ મતનો ઘટાડો થયો છે. ૨૦૧૪માં યેદિયુરપ્પા ત્રણ લાખ ૬૬ હજાર મતની સરસાઈથી જીત્યા હતા, જે આ વખતે તેમના પુત્રને માત્ર બાવન હજાર મતની સરસાઈ મળી છે. ટૂંકમાં, પાંચ બેઠકોમાંની પેટા ચૂટણીઓ યોજાઈ એમાંથી ચાર બેઠકો પર કૉન્ગ્રેસ-જે.ડી.યુ.નો વિજય થયો છે અને એ પણ ગયા વખતની ચૂંટણી કરતાં વધારે સરસાઈ સાથે અને માત્ર એક બેઠક પર બી.જે.પી.નો વિજય થયો છે પ્રચંડ પ્રમાણમાં ઘટેલી સરસાઈ સાથે.

રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હવે કર્ણાટકની પેટા ચૂંટણીઓનાં પરિણામો પછી મેસેજ બધા માટે છે. વિપક્ષોને સમજાઈ ગયું છે કે જો સમજૂતી કરવામાં આવે તો ગમે એવી નાગાઈનું રાજકારણ કરવામાં આવતું હોય, લોકોની સામે મેદાનમાં બી.જે.પી.ને હરાવી શકાય એમ છે. અમિત શાહને પણ સમજાઈ ગયું છે કે માત્ર નાગાઈ અને ધન દ્વારા ચૂંટણી જીતી શકાય એમ નથી. તેમને એ પણ સમજાઈ ગયું છે કે વિરોધ પક્ષો વચ્ચે સંપૂર્ણ નહીં તો પણ ઠીકઠીક પ્રમાણમાં ચૂંટણી સમજૂતી થવાની છે. તેમણે પટણા જઇને નીતીશકુમાર સાથે સમજૂતી કરી છે જેમાં લોકસભામાં માત્ર બે બેઠકો ધરાવનારા જનતા દળ(યુ)ને અડધોઅડધ બેઠકો આપી છે. એન.ડી.એ.માં બિહારના હજુ બીજા બે પક્ષો છે તેને કોના હિસ્સામાંથી બેઠક આપવામાં આવશે એ પ્રશ્નનો ખુલાસો કરવામાં આવતો નથી. નીતીશકુમાર પણ અમિત શાહની મજબૂરી જાણે છે એટલે આવતા વરસે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી. કરતાં જે.ડી.યુ.નો ભાગ મોટો હશે એમાં કોઈ શંકા નથી.

મહારાષ્ટ્રમાં શિવસેના સાથે પણ આવી જ મનામણાવાળી સમજૂતી થવાની છે. શિવસેનાના નેતાઓએ શસ્ત્રો મ્યાન કરી દીધાં છે એનું આ કારણ છે. મહારાષ્ટ્રમાં ૨૦૧૪ સુધી સેના-બી.જે.પી. વચ્ચેનો વહેવાર એવો હતો કે લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને વધારે બેઠકો ફાળવવામાં આવે અને વિધાનસભામાં શિવસેનાને. ૨૦૧૪માં બી.જે.પી.એ વિધાનસભાની ચૂંટણી વખતે અંચાઈ કરી હતી. શિવસેના આ વખતે લોકસભાની વધારે બેઠકો માગીને અથવા લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી કરાવીને અને તેમાં વધારે બેઠકો મેળવીને બદલો લેશે. ૨૦૧૪ની અનુકૂળતા ઝડપથી પ્રતિકૂળતામાં ફેરવાઈ રહી છે અને તેનો વિરોધ પક્ષો લાભ લઈ રહ્યા છે. આ બાજુ બી.જે.પી.માં નીતિન ગડકરીની રાજકીય સક્રિયતા વધી રહી છે એની પણ નોંધ લેવી જોઈએ. અરુણ જેટલી, રવિશંકર પ્રસાદ અને નિર્મલા સિતારામન સરકારનો બચાવ કરી રહ્યાં છે ત્યારે નીતિન ગડકરી મોકો મળે ત્યારે સરકારને મૂંઝવણમાં મૂકી રહ્યા છે.

રાજકારણ આનું નામ!

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 08 નવેમ્બર 2018

Loading

અજાણ્યા પ્રદેશમાં

નવ્યાદર્શ|Opinion - Short Stories|7 November 2018

અમી, મારી ફ્રેન્ડ, મિત્ર, હમદર્દ, સહેલી, સખી જે કહો તે.

જ્યારે મળે એટલે અમે, રસ્તા વચ્ચે બેસતાં પણ શરમાતાં નહિ અને પાગલની જેમ આળોટતાં. લોકો અમને પાગલ જ સમજતાં, પણ અમે તો અમારી મસ્તીમાં ગળાડૂબ થઈ જતાં.

હોસ્ટેલની એ જિંદગી જ્યારે યાદ આવે છે, ત્યારે અમી આપોઆપ મારા ચહેરા પર સ્મિત બનીને ઝૂલી રહે છે.

એનામાં શું હતું? બસ નિખાલસતા. એ મને માનતી હતી, મારી સાથે હું જેમ કહું એમ કરતી હતી અને મને જાણે સહિયારીથી થોડું ઊંચું સ્થાન આપતી હતી. વાતો તો ખૂટતી જ નહીં અમારી, નહીં મારી. એ તો સાંભળતી જ હતી માત્ર. પણ ઘણીવાર એ બોલવાનું ચાલું કરે અને મને સંભાળવું ન ગમે એટલે હું ‘હમમ હમમમ હમમમ ….’ કર્યે જતી. એ સમજી જતી અને મારી પર ચડી બેસતી.

કહેતી : ‘ક્યારેક અમને પણ સાંભળી લેવાય.’

પણ હું શું કરું? બોલવાની ટેવ તો મને જ ને, એ સંભાળે, ક્યારેક બોલે તો હું સાંભળી સાંભળીને થાકી જાઉં.

જેમ કે, અમે ત્રણ સહેલી, સખી. પણ અત્યારે અમે બે જ છીએ. એક અમારાથી જ નહીં બધાથી દૂર ચાલી ગઈ છે.

અમારી એ મિત્ર એટલે રિદ્ધિ જેને ક્યારે ય સિદ્ધિ મળી જ નહીં. એમને એક મિત્ર અને સમય જતાં એ મિત્રને રિદ્ધિ પાગલની જેમ ચાહવા લાગી. જેમ જેમ તે તેના પ્રેમમાં ડૂબતી ગઈ તેમ તેમ અમારાથી પણ બહુ દૂર ચાલી ગઈ.

પણ તેનો મિત્ર બહુ ચાલાક હતો, તેની નજર રિદ્ધિના દેહ પર હતી, લાગણીઓ તો તેના દેહ સુધી જવાનું માધ્યમ હતી.

એ જ્યારે મળતો ત્યારે તેને પાગલ કરી જતો.

તે અમને કહેતી, ‘વિકાસ તો વિકાસ છે, બસ મારો જ છે તે. જો આજે તે મારા માટે શું લાવ્યો?’

હસતી હસતી તે પોતાની ગિફ્ટ અમને બતાવતી હતી. પર્સ, કપડાં, ચોકલેટ, ચૂડીઓ, ઘડિયાળ, ફૂલો વગરે …. અમે પણ ક્યાં દુનિયા જોઈ હતી જે ખબર પડે કે ગિફ્ટ પણ માધ્યમ હોય દેહ સુધી જવા માટે.

એક દિવસ રિદ્ધિ અમીને અને મને મળીને ઢીંગલી માફક તૈયાર થઈને હસતી હસતી ચાલી ગઈ હતી. વિકાસ અને તે બંને આજે ખાસ મળવાના હતાં. એ કહેતી હતી કે વિકાસનો આજે બર્થડે છે.

બાગ-બગીચા ખૂંદતાં તેઓ જઈ ચડ્યાં દૂર રસ્તાઓ પર. એક વિરાન જગ્યા પર બંને એકબીજાંની બાહોમાં બાહો નાખી બેઠાં હતાં, આંખોનું તારામૈત્રક રચાયું હતું. વિકાસનો હાથ ધીરે ધીરે રિદ્ધિના શરીર પર આગળ વધવા લાગ્યો. રિદ્ધિને થોડું અજીબ અને અજુગતું લાગ્યું. તેણે તેનો હાથ પકડી, તેને ચૂમી અને કહ્યું, ‘બસ આટલું? એથી વધુની જરૂર છે?’

વિકાસ સૂન્ન બની જોઈ જ રહ્યો. એણે આગળ વધવાની ઘણી કોશિશ કરી પણ તે આજે સફળ ન થયો. આખરે તેણે છેલ્લું હથિયાર પણ અજમાવી લીધું.

‘આજે મારો બર્થડે છે તો આજે મારું જ ચાલે ને? બસ હું જે માંગુ તે આપી દે.’

રિદ્ધિ વિચારમાં પડી, તેણે કહ્યું, ‘બધું જ તો તારું છે, આજે નહીં તો કાલે, તો આજ જ શા માટે?’

અને તે ઊભી થઈને ચાલતી થઈ ગઈ. આખરે વિકાસને પણ ઊભું થવું પડ્યું.

આ પછી રિદ્ધિ અને તેમની વચ્ચે ઝગડાઓ ચાલુ થઈ ગયા હતા. રિદ્ધિની આંખો જ્યારે સાંજ ઢળતાં ભીની થઈ જતી. એને ક્યાં ખબર હતી કે પ્રેમ પણ દેહ દ્વારા વેચાય છે.

એક દિવસ તે ખૂબ જ સુંદર રીતે તૈયાર થઈ, સુંદર પણ લાગતી હતી, જાણે પરી ન હોય. પણ તેના ચહેરા પર ચમક ન હતી. તેના ચહેરા પર આજે જે સ્મિત હતું તે જાણે અમને કંઈ કહેવાં પૂરતું જ હતું.

એ દિવસે જ્યારે તે સાંજે આવી ત્યારે તેના પરીઓવાળાં કપડાં વીંખાઈ ગયેલાં હતાં. તેનું તેજ  સાંજ પછીના અંધકાર જેવું હતું.

થોડા દિવસો પછી અમે બહાર ફરવા નીકળ્યાં, એ દિવસે અમે બાગ બગીચાઓમાં ગયાં અને પાર્ટી કરી. તેણે પણ ખૂબ સહકાર આપ્યો. અમને હતું કે અમારી રિદ્ધિ અમારી પાસે પાછી ફરી.

અમીએ પોતાની વાત કરતાં કહ્યું, ‘તને ખબર છે, અમારી ભેંસ ખોવાઈ ગઈ હતી.’

જ્યારે અમીની ભેંસ ખોવાઈ હતી ત્યારે વાટ્સએપ પર સ્ટેટ્સ મૂકીને કહ્યું હતું,  ‘અમારી ભેંસ ખીવાઈ છે, કોઈને મળે તો કહેજો.’

કોઈએ કહ્યું તો નહીં. પણ થોડા સમય પછી ભેંસ પાછી ઘરે આવી ગઈ હતી.

એ ભેંસને એવી ટેવ હતી કે, મન થાય એટલે નીકળી પડે, નદી-નાળામાં નાહીને ખેતરોમાં ફરીને બે-પાંચ દિવસમાં પાછી ઘરે આવી જાય.

અમીની ભેંસ તો અમીની ભેંસ. અમે બધા હસવા લાગ્યાં, રિદ્ધિ પણ.

હું જેમ કે કોઈ કવયિત્રી તો હતી નહીં, પણ જેવું લાગે એવું લખી જાણું. આમ પણ મિત્રોમાં એવું ન હતું કે તેમને ગમે એવું જ લખવું.

મેં કહ્યું, ‘મેં પણ કશુક લખ્યું છે.’ અમી અને રિદ્ધિ તો સાંભળવા તૈયાર જ હોય. એટલે મેં ફરી કહ્યું, ‘સાંભળો ….

સમય સમયની વાત છે
જ્યારે મારો સમય હતો ત્યારે તેનો સમય નહોતો
આમ છતાં મેં તેને મારો સમય આપી દીધો.
દુનિયા સામે લાયક બનાવ્યો
પણ તેને લાયક બનાવતા બનાવતા
ક્યાં ખબર હતી કે,
તે મને જ એક દિવસ લાયક નહીં ગણે!
તેમના પ્રેમનો સ્વીકાર એ જ મારી ભૂલ બની ગયો
એને તો એક પછી એક મળતી રહી
હું બસ તેની પ્રતીક્ષામાં રાધા બનતી રહી.
જ્યારે તપાસ્યો તેને નખશીખ
ત્યારે ખબર પડી તે દુનિયા માટે તો લાયક બની ગયો
મારા માટે પથ્થર બની ગયો.
પથ્થરને હૃદય નથી હોતા એટલે
એમને નહીં સમજાય મારી વેદના
પત્ર લખ્યો એક દિવસે મેં એને
ખબર હતી એ સરનામું ભૂલી જશે.
આ તો સમય સમયની વાત છે.

બધાં થોડીવાર મૌન થઈ ગયાં, રિદ્ધિ પણ. તે મને ભેટી પડી તેની આંખોમાં આંસુ હતાં. અમીએ કહ્યું, ‘ચાલો, હવે અહીંથી નહીં તો મારી ભેંસ પાછી ચાલી જશે.’

અને અમે હસતાં હસતાં એકબીજાંના હાથ થામી ચાલવા લાગ્યાં. રિદ્ધિની આંખોમાં ભાવનાઓનાં વાદળ હજુ ઘેરાયેલાં હતાં, તેમનો હાથ મારા હાથમાં હતો પણ તેનું મન કોઈ અજાણ્યા પ્રદેશમાં એકલું અટૂલું આંટા મારતું હતું. અમી પોતાની મસ્તીમાં ગાતી હતી, હું બંને વચ્ચે મૌન તેમને દોરી જતી હતી.

એક દિવસ અમીનો ફોન આવ્યો.

‘તને ખબર છે?’

‘શું?’

‘સાચે જ તને કંઈ ખબર નથી?’

‘શું છે કે’ને?’

‘રિદ્ધિએ આત્મહત્યા કરી છે. તને ખબર ન પડી?’

મારા શબ્દો મારા ગાળામાં જ અટકી ગયા હતા.

વિકાસનો કોઈ પત્તો નહોતો એવું નહોતું. તે સલામત હતો, તેની સગાઈ થઈ ગઈ હતી. તેણે રિદ્ધિને કહ્યું હતું, ‘તારી જેવી તો કેટલી ય છે, તો શું બધીને ઘરમાં રાખું?’

રિદ્ધિ ભાંગી પડી હતી. તેણે અમીને ફોન કર્યો હતો પણ અંત સમયે તે બધું જ ભૂલી ગઈ હતી. માત્ર તેને વિકાસ જ યાદ હતો. વિકાસને કશું જ યાદ નહોતું. રિદ્ધિ નામનું પાનું એણે પોતાની જિંદગીમાંથી એવી રીતે ફાડ્યું કે, રિદ્ધિનું કોઈ અસ્તિત્વ જ ન રહ્યું.

એમ જરૂર થયું, કદાચ રિદ્ધિએ મારી સાથે વાત કરી લીધી હોત તો કદાચ તે બચી જાત. અમારી નાદાનીમાં અમે શું સમજીએ? આજે પણ અમે સમજી ન શક્યાં. બસ રિદ્ધિ નથી એની ખોટ ચાલે છે.

રિદ્ધિ અમારી વચ્ચે પરીની માફક આવીને ચાલી ગઈ હતી, પોતાને દેશ, પણ અમારે માટે અજાણ્યા પ્રદેશમાં.

Email : navyadarsh67@gmail.com

Loading

...102030...2,9402,9412,9422,943...2,9502,9602,970...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved