Opinion Magazine
Number of visits: 9664048
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતનું બુલડોઝર જસ્ટીસ 

નેહા શાહ|Opinion - Opinion|9 May 2025

નેહા શાહ

ગરીબ શ્રમજીવીને અવૈધ સાબિત કરવાનું કેટલું સહેલું છે. પોલીસ એમની સામે કોઈ પુરાવા વગર કાર્યવાહી કરે તો પણ બાકીનો સમાજ તો એને યોગ્ય જ માનવાનો, કારણ કે એમને શંકાથી જોવા માટે એમનું ગરીબ હોવું, પરપ્રાંતીય હોવું, પરધર્મી હોવું પૂરતું છે. એવું જ અત્યારના ઐતિહાસિક ગણાતા ચંડોળા તળાવ કિનારે વસેલી વસ્તીને તોડી પાડવાના અભિયાનમાં દેખાય છે. 

૨૨મી એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી ગેરકાનૂની રીતે રહેતા બાંગ્લાદેશીઓને તગેડી મુકવા માટે ૨૬મી એપ્રિલથી રાજ્યના ઘણા શહેરોમાં અભિયાન શરૂ થયું. અમદાવાદ, સુરત, વડોદરા, જૂનાગઢ, અને આણંદ જેવાં શહેરોમાં પોલીસે જેમની અટકાયત કરી હોય એવા લોકોની જાહેરમાં પરેડ થતી હોય એવા વીડિયો વાયરલ થયા. કહેવામાં આવ્યું કે આ કહેવાતા બાંગ્લાદેશીઓની આતંકવાદી સાથેની સાઠગાંઠ છે જેનાથી દેશની સુરક્ષાને ખતરો થઇ છે. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આરંભાયેલું અભિયાન ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું અભિયાન ગણાય છે. ૧,૫૦૦થી વધુ લોકોની અટકાયત થઇ, તેમને ભર રસ્તે ચલાવી પોલીસ થાણે લઇ જવામાં આવ્યા, જેથી આખું ગામ એમને શંકાભરી નજરે જુએ, જેમાંથી નેવું ટકાથી પણ વધારે લોકો ભારતીય નાગરિક હોવાનું પુરવાર થતાં ત્રણ દિવસે છોડી મુકવામાં આવ્યા. તેમની પાસે જરૂરી બધાં દસ્તાવેજ હતા. બિહાર, યુ.પી, ઝારખંડ કે ઓરિસ્સામાં ઘર-કુટુંબનાં ઠામ ઠેકાણાં હતાં. કેટલાક તો ગુજરાતી જ નીકળ્યા. અહીં ત્રણ દાયકાથી પણ લાંબુ રહેતા હોવાના પુરાવા નીકળ્યા. ત્યાર બાદ ૨૯ એપ્રિલથી શરૂ થયું ગેરકાયદે દબાણને હટાવવાનું અભિયાન. આ લખાય છે ત્યાં સુધી ૨,૦૦૦થી વધુ ઘરો તોડી પડાયા છે અને ટૂંકમાં જ બીજા તબક્કાનું અભિયાન શરૂ થવાની વાત છે. દેશની સુરક્ષા માટે શરૂ થયેલું અભિયાન જમીન પરના દબાણ દૂર કરવામાં બદલાઈ ગયું! 

આટલા દિવસોમાં અમદાવાદ શહેરે ૪૪.૮ ડિગ્રી ગરમી પણ જોઈ અને કમોસમી તોફાની વરસાદ પણ જોયો. બેઘર બનેલા ઘણા પરિવાર માથા પર માત્ર ચાદરની છત બનાવી એ જ જગ્યાએ રહ્યા છે, કારણ કે એમની પાસે જવા માટે બીજી કોઈ જગ્યા જ નથી. જેમની પાસે થોડી ઘણી સગવડ હશે તેઓ કશેક ગોઠવાયા હશે પણ રાતોરાત બેઘર બનેલા પરિવારો પાસે રાતોરાત ઉંચકાયેલા ઘરના ભાડાના દર અને ડિપોઝીટની રકમના પૈસા ક્યાંથી આવવાના? જો એવી સગવડ હોત તો લાલા બિહારી જેવા ગુંડાની જાળમાં ફસાયેલા શું કામ રહ્યા હોત? ચંડોળા તળાવ એ જગ્યા છે જ્યાં ચોમાસા પછી જીવન નિર્વાહ માટે નાની નાની ખેતી થતી. રહેવાની સગવડનાં અભાવે ગરીબ લોકો ત્યાં જ રહેવા લાગ્યા. તળાવનો કાંઠો એટલે વરસાદી પાણી ભરાય, કીચડ થાય છતાં લોકો રહે કારણ કે ગજવાને પોસાય એવી બીજી કોઈ જગ્યા મળે નહીં. સમય જતા અહીં વસ્તી વધી. અહીં મજૂરી કરનારા, નાનો-મોટો ધંધો કરનારા, નાની-મોટી ચીજ વસ્તુની લારી ચલાવનારા, કે અન્ય બિનઔપચારિક કામ કરનારા લોકોનો વર્ગ ઘણો મોટો છે. આ એ જ લોકો છે જેઓ કાચા મકાનમાં રહી શહેરના મકાન – રસ્તા બનાવે છે. પોતે ગંદકીમાં રહી શહેરનાં રસ્તાની સફાઈ કરી ચોખ્ખા રાખે છે. ઘણી વસ્તુઓ અને સેવાના ભાવ એમની સંખ્યાને લીધે સસ્તા છે. શહેરના વિકાસમાં આવા શ્રમજીવીઓના સસ્તા દરે મળી રહેતા શ્રમનો ખૂબ મોટો ફાળો છે. 

જ્યાં ગરીબી અને  લાચારી છે ત્યાં ‘લાલા બિહારી’ ઊભા થતાં વાર થોડી લાગવાની છે? જુગાર, દારુ, ડ્રગ્સ, દેહવેપાર જેવી અનૈતિક અને ગેરકાનૂની પ્રવૃત્તિ પણ અહીં ચાલતી હતી જેની વાતો શહેરમાં બે-ત્રણ દાયકાથી અવારનવાર સંભળાતી હતી. જો શહેરીજનોને ખબર હોય તો પ્રશાસનને ખબર હોય જ પણ, આટલાં વર્ષોમાં એને અટકાવાના જરૂરી મોટાં પગલાં ભરાયાનું યાદ નથી. અહીંના બંગાળ વાસમાં બાંગ્લાદેશી રહે છે એ વાત પણ સૌ કોઈ જાણે છે. રાજકીય ચર્ચાબાજીમાં આ હકીકતનો ઉલ્લેખ અવારનવાર થયા કરતો હોય છે. પણ, એ સિવાય પરદેશી નાગરિકોને એમના દેશ પાછા મોકલવા માટેની જરૂરી કાર્યવાહી કરવાની કોઈ નક્કર પ્રક્રિયા જાણમાં નથી. આજે, પહલગામમાં થયેલા આતંકી હુમલા પછી અચાનક સરકાર અને પ્રશાસન જાગ્યા છે, ત્યારે પોલીસ પાસે કોણ અને કેટલા બાંગ્લાદેશી છે એટલી પ્રાથમિક માહિતી પણ ન હોવાના કારણે ૧,૫૦૦થી પણ વધુ ભારતીય નાગરિકોની અપમાનજનક રીતે અટકાયત કરવી પડી. ગુજરાત રાજ્યમાં ૨૦૧૦થી  ઝૂંપડાવાસીના પુનર્વસનની નીતિ છે. સુપ્રીમ કોર્ટ પણ બુલડોઝર ચલાવતા પહેલાં પંદર દિવસની નોટિસ આપવાનું સૂચવે છે. ૨૦૨૨માં સ્થાનિક કોર્પોરેટરે ચંડોળાની આજુબાજુ રહેતા લોકોના આ યોજના હેઠળ પુનર્વસનની દરખાસ્ત કોર્પોરેશન સમક્ષ કરી હતી. પણ, મન હોય તો માળવે જવાય ને? આ તો ગામડાંની ગરીબીથી બચવા સ્થળાંતર કરીને આવેલા પછાત વર્ગના લોકો, તેમાં ય મોટાભાગના મુસલમાન એટલે એમના નામે તો રાજકીય રોટલા શેકાય. ચૂંટણી ટાણે દરેક પક્ષ એમના મતદાતા કાર્ડ કઢાવી કે વીજળીના જોડાણ અપાવી એમને રાજી કરે, સામાન્ય સમયમાં સંપૂર્ણ નજરઅંદાજ કરે અને પહલગામ એટેક જેવી કટોકટીના સમયે આતંકી કહીને રંજાડે. 

ગેરકાયદે દબાણોને દૂર કરવાની કોઈ ના નથી. પણ, ત્યાં વસતા લોકો આ દેશના જ નાગરિકો છે એટલે આ કાર્યવાહી કાયદાની જોગવાઈ આધારે થાય તો સૌનો સમાન નાગરિકત્વનો અધિકાર જળવાય.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘ભારતમાતા કી જય’ બોલનારા ભારતમાતાને સૌથી વધુ નુકસાન કરે છે !

રમેશ સવાણી|Opinion - Opinion|9 May 2025

છેલ્લાં બે વર્ષમાં સાત વાર બરોડા જવાનું થયું. બરોડામાં તાંદળજા વિસ્તારમાં રહેતા મુસ્લિમો પ્રત્યે હિન્દુઓને કારણ વગરની સૂગ. એક દિવસ વડોદરામાં અમારી સોસાયટીમાં કેસરી ખેસ પહેરેલા ચાર પાંચ આગેવાનોની આગેવાની હેઠળ પચાસેક લોકોનું એક ટોળું આવ્યું અને કહેવા લાગ્યા કે ‘આ તાંદળજા વાળાને સીધા કરવાના છે. મેં કહ્યું કે એ તો સીધા જ છે. અમને કોઈ પ્રોબ્લેમ નથી.’ તો કહે કે ‘એ લોકો ખૂબ આગળ વધી ગયા છે. એની દુકાનોએ માલ લેવાનો નહીં. એમના રેસ્ટોરન્ટમાં જમવા જવાનું નહીં. એની દુકાનેથી કારીગરને કોઈ વસ્તુ સર્વીસ કરવા કે રીપેર કરવા બોલાવવો નહીં.’ પછી ટોળું એક સાથે બોલ્યું ભારતમાતા કી જય !

હું સમજી ગયો કે આ મગજ વગરના લોકો છે. એ સાચી વાત સમજી શકશે નહીં. એમના બ્રેઈન વૉશ થઈ ગયા છે અથવા એમના મગજ કોઈએ કાઢી લીધા છે. પણ મને મનમાં પ્રશ્ન થયો કે શું તાંદળજા વિસ્તારના મુસ્લિમો ભારતમાતાના સંતાનો નથી? ભારતમાં રહેતા નથી? એમનો બહિષ્કાર શા માટે? પણ જ્યારથી આ કેસરી ખેસવાળા જોરમાં આવ્યા છે ત્યારથી આખા દેશમાં ચારે બાજુ મુસ્લિમોના બહિષ્કારની વાતો કરે છે.

7 મે 2025ના રોજ, તમે ટી.વી.માં જોયું હશે કે ભારતીય આર્મીની કર્નલ રેન્કની સોફિયા કુરેશી અને એરફોર્સની વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પ્રેસ બ્રીફિંગ માટે ટી.વી. પર આવી હતી. ભારતે કઈ રીતે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરી એની ડિટેલ વિગતો આપી. આ સોફિયા કુરેશી 44 વરસની છે. વડોદરાના તાંદળજા વિસ્તારમાં જ રહે છે.

સોફિયાએ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી M.Sc. કરેલું છે. 1999થી આર્મીમાં જોડાઈને દેશની સેવા કરે છે. સોફિયાના દાદા પણ આર્મીમાં હતા. એના પિતા પણ આર્મીમાં હતા. સોફિયાનો પતિ આર્મીમાં મેજર છે. એનો પુત્ર પણ એરફોર્સમાં જોડાઈ દેશની સેવા કરવા માંગે છે. આવા તો અનેક મુસ્લિમો છે જે દેશની સેવા કરી રહ્યા છે.

અને આ કેસરી ખેસવાળા મુસ્લિમોને આતંકવાદી ચીતરી રહ્યા છે. તેને પંક્ચરવાળા કહીને ઉપહાસ કરે છે. કારણ કે મુસ્લિમ સમાજ પ્રત્યે નફરત પેદા કરવાથી એમને જનતાના મત મળે છે. કેવી રીતે? કહે છે કે આ લોકોની વસ્તી આપણા કરતાં વધી જશે. આપણે ગુલામ બની જઈશું. આ લોકોથી તમને અમે જ બચાવીશું. અમારા સાહેબ જ તમને બચાવશે. કેવી વાહિયાત વાત છે આ કેસરી ખેસવાળાની ! 80% હિન્દુઓને 17% મુસ્લિમથી ડર લાગે છે ! કેવી મૂર્ખામીભરી વાત ! અરે ભાઈ, 600 વરસના મુસ્લિમ શાસન પછી પણ આ દેશમાં આજે 80% વસ્તી હિન્દુઓની છે. મુસ્લિમોની વસતિ વધી રહી છે એ વાત પણ બિલકુલ બોગસ છે. મેં આજે જ 70 વરસના વસતીના આંકડા જોયા.

નફરત ત્યજી દો, ભાઈ. બધા મુસ્લિમો આતંકવાદી હોતા નથી. 99.99% મુસ્લિમો તમારા મારા જેવા સામાન્ય માણસો હોય છે. બહુ જૂજ સંખ્યામાં અવડે રસ્તે ચડેલા હોય છે. આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો. બધા જ ધર્મોમાં આતંકવાદી હોય છે. સારા માણસો પણ દરેક ધર્મમાં હોય છે. હિન્દુ આતંકવાદીઓના નામ જોઈએ તો હું લિસ્ટ આપીશ. બે ચાર નામ નોંધી લો. પ્રજ્ઞા ઠાકુર અને કર્નલ પુરોહિત માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા હતા. ગાંધીજી જેવા પવિત્ર માણસને મારનાર ગોડસે આતંકવાદી ન કહેવાય? ગર્ભવતી બિલ્કિસ બાનુના પરિવારના સાત સભ્યોને તલવારથી માર્યા પછી એના ત્રણ વર્ષના બાળકને માથું પછાડીને મારી નાખનાર હિન્દુઓ આતંકવાદી ન કહેવાય? આટલું કર્યા પછી આ નરાધમોએ બિલ્કિસ બાનુ પર એક પછી એકે બળાત્કાર કર્યો હતો. એટલે નોંધી લો કે સારા ખરાબ માણસો દરેક ધર્મમાં હોય છે. દરેક જાતિમાં હોય છે. ધર્મ જાતિ કે પ્રદેશ જોઈને ક્યારે ય કોઈ વિશે અભિપ્રાય ન બંધાય.

નફરત ફેલાવવી એ કેસરી ખેસવાળાનો ધંધો છે. એમ કરીને એ લોકો એમના રોટલા શેકે છે. માટે આજથી કેસરી ખેસવાળાઓથી સાવધાન ! એ બોલે છે ભારતમાતા કી જય પણ ભારત માતાને સૌથી વધુ નુકસાન એ લોકો જ કરે છે, દેશની એકતા તોડીને !

[સૌજન્ય : અનિલ સિનેજિયા, પૂર્વ એડિશનલ કલેક્ટર, 8 મે 2025]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘ઓપરેશન સિંદૂર’થી દવ : સાફ આતંકી થાણાં નવ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|9 May 2025

રવીન્દ્ર પારેખ

પહેલગામમાં આતંકીઓએ ધર્મ પૂછીને 26 નિર્દોષ પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા, એથી આખો દેશ રોષે ભરાયો હતો ને બદલો લેવામાં મોદી સરકાર મોડી ન પડે એવી અપેક્ષા રાખતો હતો. વડા પ્રધાન મીટિંગો કરી કરીને વખત કાઢી રહ્યા છે, એવું પણ ઘણાંને લાગતું હતું. વચ્ચે જાતિ આધારિત વસ્તી ગણતરીનું ભૂંગળ વાગ્યું ત્યારે પણ એમ લાગ્યું કે પહેલગામની ઘટનાને પાછળ ઠેલાઈ રહી છે, પણ 7 મે, 2025ની મંગળવારની મોડી રાતે ને બુધવારની વહેલી સવારે દોઢેકને સુમારે પાકનાં નવ આતંકી થાણાંઓ પર ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ ભારતીય સશસ્ત્ર દળોની મિસાઇલ ત્રાટકી અને વિનાશક સોનેરી અજવાળું ફેલાયું. ઘડીભર તો એમ લાગ્યું કે સૂર્ય જરા વહેલો ઊગ્યો. આખો દેશ ને મીડિયા પણ બીજે દિવસે થનાર મોકડ્રિલની ચિંતામાં પોઢી ગયાં હતાં, ત્યારે ભારતમાં વાગનારી સાઇરન પાકિસ્તાનમાં વાગી ને નવ નવ આતંકી મથકોને 25 મિનિટમાં જ ખંડેરોમાં ફેરવતી ગઈ.

ભારતીય લશ્કરી દળોએ પાકિસ્તાની પંજાબના છેક બહાવલપુરના અહમદપુર અને મુરીદકે, પી.ઓ.કે.ના બાગ, મુઝફ્ફરાબાદ અને કોટલીમાં નવ આતંકી અડ્ડાઓનો ભડકો કરી દીધો. આ એવા અડ્ડા હતા જ્યાંથી ભારત વિરોધી આતંકી હુમલાઓનું કાવતરું ઘડાતું ને સંચાલન પણ થતું. આ અડ્ડાઓમાં એનો સમાવેશ થાય છે, જેમાં પહેલગામના આતંકીઓને ટ્રેનિંગ અપાઈ હતી કે 26/11નાં હુમલાના અજમલ કસાબને તૈયાર કરાયો હતો. 1971 પછી પહેલીવાર એવું બન્યું કે પાકિસ્તાની પંજાબનાં કેટલાંક ઠેકાણાં પણ ભોગ બન્યાં. ટૂંકમાં, રાફેલ, ડ્રોન, હવિત્ઝર જેવાં હથિયારોથી જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિજબુલ મુજાહિદ્દીન જેવા આતંકી અડ્ડાઓનો ભુક્કો બોલી ગયો છે. અંદાજે 80થી 90 આતંકીઓ માર્યા ગયા હોવાનું ને ઘણા ઘાયલ થયાનું મનાય છે. ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ અને જૈશ-એ-મોહંમદના ફાઉન્ડર આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો પણ માર્યા ગયાં છે. સભ્યોનાં મોતથી મસૂદ અઝહર દુ:ખી થઇને એવું બોલ્યો કે પરિવારને બદલે પોતે મરાયો હોત તો સારું થાત !

એર સ્ટ્રાઈક એટલી અચૂક અને આક્રમક હતી કે પાકિસ્તાનને બચાવની કે હુમલો રોકવાની કોઈ તક જ ન રહી. આમ તો પાકિસ્તાનને પાઠ ભણાવવા સિંધુ જળ સમજૂતી જ પૂરતી હતી, પણ તેને તેનાં ઘરમાં ઘૂસીને ઠમઠોરવાની જરૂર હતી ને તે ભારતે પૂરી ક્ષમતાથી કરી બતાવ્યું તે માટે વડા પ્રધાન, સંરક્ષણ મંત્રી અને તેમની આખી ટીમ અભિનંદનને પાત્ર છે. એ એટલે પણ શક્ય બન્યું કે ‘ઓપરેશન સિંદૂર’ અગાઉની એર સ્ટ્રાઈક કે સર્જિકલ સ્ટ્રાઈક કરતાં અનેક રીતે મારક અને ઘાતક હતું. આ ઓપરેશને એ પણ સિદ્ધ કરી બતાવ્યું કે ભારત, પાકિસ્તાનની અણુ ધમકીઓથી ડરતું નથી, એટલું જ નહીં, તે યુદ્ધ નથી ઇચ્છતું એનો અર્થ એવો નથી કે પાકની આતંકી છેડછાડને જીવ પર આવીને વેઠી લે. તે છેડે તો ભારત છંછેડે એ નક્કી છે, તે આગલા અનુભવો પરથી પણ સમજવાનું રહે. એ સાથે જ દુનિયાના કાજીઓએ પણ એ સમજી લેવાનું રહે કે શાંતિપાઠ કરવાનું કોઈને કહેવાનું હોય તો તે પાકિસ્તાનને, નહીં કે ભારતને ! કારણ, શાંતિભંગની શરૂઆત ક્યારે ય અપવાદરૂપે પણ ભારતે નથી કરી. હવે તો પાકિસ્તાની આકાઓએ પણ કબૂલ્યું છે કે તેણે આતંકવાદને પોષ્યો છે ને તેનો વિશેષ ને તાજો પુરાવો એ છે કે તેના સેનાધિકારીઓ સગાં થતાં હોય તેમ મૃત આતંકીઓના જનાજામાં પણ જોડાય છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અને સંરક્ષ ણમંત્રી રાજનાથ સિંહે આખી રાત સમગ્ર કાર્યવાહીનું બારીક નિરીક્ષણ કર્યું હતું. ભારતીય સંરક્ષણ મંત્રાલયે એ સ્પષ્ટતા પણ કરી કે આ હુમલો પાક સૈન્ય કે પાક નાગરિકો પર નથી. સમગ્ર કાર્યવાહી આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કરવા જ કરવામાં આવી છે. પહેલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની હત્યા ન કરી હોત તો ‘ઓપરેશન સિંદૂર’ની જરૂર જ ઊભી ન થઈ હોત. ‘ઓપરેશન સિંદૂર’, પહેલગામમાં જે મહિલાઓનું સિંદૂર ભૂંસાયું એની જવાબી કાર્યવાહી માત્ર છે. બીજા શબ્દોમાં, ભારતે આ કાર્યવાહી કરીને હુમલાખોરોને સજા મળે એ કમિટમેન્ટ જ પૂરું કર્યું છે. ભારતીય નાગરિકોની સુરક્ષાનો મામલો હોય તો ભારત પીછેહઠ નથી કરતું તે ફરી એક વાર તેણે સિદ્ધ કરી દીધું છે.

એકતરફ પાકિસ્તાની વડાઓ, ભારત હવે કોઈ કાર્યવાહી ન કરે તો જવાબી કાર્યવાહી કરવાના મૂડમાં નથી, તો બીજી તરફ પાક મીડિયાએ ભારતની કાર્યવાહી થયાના થોડા જ કલાકોમાં, પાકિસ્તાની આર્મીએ ભારતીય સૈન્યને ટાર્ગેટ કરીને જવાબી કાર્યવાહી કર્યાનો દાવો કર્યો છે. અવિશ્વાસનું બીજું નામ જ પાકિસ્તાન છે. પાકિસ્તાની સૈન્યે જમ્મુ કાશ્મીરની નિયંત્રણ રેખા નજીકના બારેક સરહદી ગામો પર સશસ્ત્ર હુમલો કરીને એક મહિલા અને ચાર બાળકો સહિત 15 લોકોનાં મોત નિપજાવ્યાં છે, તથા ડઝનેક આવાસોને નુકસાન પહોંચતાં લોકોએ બંકરોમાં વસવા જવું પડ્યું છે. આ ઉપરાંત પાક સૈન્યે પૂંછ ફોર્ટ અને મંદિરોને પણ નુકસાન પહોંચાડ્યું છે. કહેવાનું એ છે કે પાકિસ્તાન જન્મ્યું ત્યારથી ભારત માટે ઉપદ્રવી જ રહ્યું છે. 1965 અને 1971નાં યુદ્ધ ઉપરાંત અનેક ઉપદ્રવો કરીને શાંતિવાર્તાની વાત પણ પાકિસ્તાને જ કરી છે. તાજો જ દાખલો હુમલો ન કરવાનું કહીને પૂંછ પર હુમલો કર્યાનો છે. ભારતે જવાબી કાર્યવાહી કરીને ફતેહ મેળવી છે, પણ આમ વગર યુદ્ધે જવાનો શહીદ થતા રહે કે આતંકીઓ છાશવારે ત્રાટકતા જ રહે, એના કાયમી ઉકેલ અંગે ભારતે વિચારવું જોઈએ.

એ ખરું કે ભારત યુદ્ધ નથી ઇચ્છતું, પણ પાકિસ્તાન વગર યુદ્ધે પણ યુદ્ધ જેટલું જ નુકસાન ભારતને પહોંચાડી ચૂક્યું હોય, ત્યારે ભારતે લાંબા ગાળાનો કોઈ સ્વસ્થ નિર્ણય લેવો જોઈએ. આતંકીઓને ઉછેરનાર પાકિસ્તાન પોતે તેમને જેર કરે એ શક્ય જ નથી. બીજી તરફ નામચીન ચીન પણ તેની જાત બતાવતું જ રહે છે. તે પાકિસ્તાન તરફી હોવાનો દેખાવ તો કરે છે, પણ હકીકતે તે કોઈનું થયું નથી ને થવાનું નથી. બબ્બે દુ:શ્મનો માથે રાખીને ભારત ઉજાગરા કરતું રહે, તેને બદલે પાકિસ્તાનને કાયમી ધોરણે ધૂળમાં મેળવી શકાય કે કેમ એ અંગે ભારતે વિચારવું જોઈએ.

લાગે છે એવું કે આ વખતે ભારત એરસ્ટ્રાઈક કરીને જ અટકી જાય તેમ લાગતું નથી. ગુરુવારે સવારે ભારતે પાકિસ્તાનનાં લાહોર, કરાચી અને રાવલપિંડીમાં સ્થાપિત HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ ખતમ કરી છે. ભારતે આ હુમલા માટે ઇઝરાયલી હેરોપ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. આ લખાય છે તે દરમિયાન ભારતે પાકિસ્તાનના રાવલપિંડી સ્ટેડિયમ પર ડ્રોન હુમલો કર્યાના સમાચાર છે. સામે છેડે પાકિસ્તાન પણ દાવો કરી રહ્યું છે કે પાક સેનાએ જમ્મુ અને કાશ્મીરના બટ્ટલ સેક્ટરમાં ચોકીઓ પર હુમલો કરીને 12 ભારતીય સૈનિકોને મારી નાખ્યા છે. જો કે, આ દાવાને ફેક બતાવાઈ રહ્યો છે. ભારતીય કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યા મુજબ પાકિસ્તાને ભુજ સહિત 15 શહેરોમાં હુમલા કર્યા છે, જેને ભારતે નિષ્ફળ બનાવ્યા છે. વાત તો રાજસ્થાનનાં ત્રણ લશ્કરી ઠેકાણાં પર પાકિસ્તાને હુમલો કર્યાની પણ છે. બીજી તરફ, પાકિસ્તાનના પંજાબમાં કટોકટી જાહેર કરાઇ છે ને રવિવાર સુધી શાળા, કોલેજો ને યુનિવર્સિટીઓને બંધ રાખવાનો આદેશ અપાયો છે.

એટલું છે કે નવ દેશોએ તેમના નાગરિકોને ભારત-પાક ન જવાની સલાહ આપી છે, તો અમેરિકાએ તેના નાગરિકોને લાહોર છોડવાની તાકીદ કરી છે. આ બધાં પરથી એંધાણ સારાં લાગતાં નથી. પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફે ટી.વી. પર જનતાને સંબોધતાં કહ્યું છે કે ભારતે આ હુમલાની કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાનની રક્ષા માટે અમે છેલ્લા શ્વાસ સુધી લડીશું. પાક રક્ષા મંત્રી ખ્વાજા આસિફે બે દિવસ પર જ કહી દીધું છે કે ભારત આ મામલાને આગળ વધારશે ને ન્યુક્લિયર વોર તરફ જવાનું થશે તો તેની જવાબદારી ભારતની હશે.

ન્યુક્લિયર વોરની તો ખબર નહીં, પણ બંને દેશો યુદ્ધ તરફ ધકેલાઈ રહ્યા હોય તેમ લાગે છે. હવે યુદ્ધ જ્યારે તોળાઈ જ રહ્યું છે, ત્યારે ભારતે બે લક્ષ્ય સિદ્ધ કરવાનાં રહે. એક, આતંકીઓનો પૂરો સફાયો ને બે, પી.ઓ.કે.નો સંપૂર્ણ કબજો. આ લક્ષ્યો સિદ્ધ ન થાય ત્યાં સુધી આરપાર લડી લેવાનું. વર્ષોથી થતી આ પજવણી હવે તો બંધ થવી જ જોઈએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 મે 2025

Loading

...102030...291292293294...300310320...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved