Opinion Magazine
Number of visits: 9578154
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બંધન

નવ્યાદર્શ|Poetry|25 December 2018

બંધન
બંધન
અને બંધન
મને પસંદ નથી
આ બંધન.
અહીં જવું નહીં
ત્યાં જવું નહીં
આ કરવું નહીં
પેલું કરવું નહીં.
હું શું કરવા માંગું છું?
હું શું ઈચ્છું છું?
કોઈ પૂછશે જરા?
પ્રેમનું બંધન
માતા-પિતાના પ્રેમનું
ભાઈ-ભાભી, બહેનના પ્રેમનું
પ્રેમીનું
અરે મિત્રતાનું પણ બંધન.
મારા શ્વાસોને શા માટે કોઈ બંધન નથી?
મારા હૃદયને ધડકવા શા માટે કોઈ બંધન નથી?
મારી આંખોની પલકને શા માટે કોઈ બંધન નથી?
મારાં સ્વપ્નાંઓ પર શા માટે કોઈ બંધન નથી?
તું કહે છે એ બધું જ સાચું
તો પણ મારા આ વિચારોના વમળોને શા માટે કોઈ બંધન નથી?
તું શું ઈચ્છે છે જરા કહે?
મેં તો તારા પ્રેમમાં રહીને પણ તારા બંધનની કદર કરી
તારા બંધનમાં પણ મને ખુદને મુક્ત માની
ક્યારેક તારી પાસે દોડી આવવાનું મન થાય
તો ક્યારેક તારાથી દૂર જવાનું મન
આ પણ પ્રેમના આવેગોનું બંધન જ છે ને?
મારી માની આંખો સામે રહેલા ભગવાનને હું બધું જ કહી શકું છું
કારણ કે તે સંભાળતો નથી
સમાજને કહી શકાતું નથી
કારણ તે બરદાસ્ત કરી શકતો નથી
બધા બંધનો તો તૂટતા નથી
તો પણ હું ભાગું છું
મને ખુદને ચાહું છું, મારી આઝાદીને ચાહું છું
એટલે ગામથી ભાગું છું, સમાજથી ભાગું છું
પરિવારથી ભાગું છું
હું તને ચાહું છું
આમ છતાં હું તારાથી પણ દૂર ભાગું છું
માત્ર એક મારી આઝાદી માટે.
આ પ્રેમ અને આઝાદી વચ્ચે
હું થોડીવાર
તારા પ્રેમમય હૃદયમાં આઝાદી સાથે રહી શકું?

Email : navyadarsh67@gmail.com  

Loading

નહેરુને ભૂલાવી શકાશે નહીં

ચંદુ મહેરિયા|Opinion - Opinion|25 December 2018

‘બાળદિન’ રૂપે જવાહરલાલ નહેરુનો આજે (14 નવેમ્બર) એક ઓર જન્મદિન, થોડો સરકારી અને ઝાઝો પક્ષીય ધોરણે મનાવાશે. એક જમાનાના આ અજોડ લોકનાયકના અવસાન સમયે રાજાજીએ, “મારાથી અગિયાર વરસ નાનો, અગિયારગણો લોકપ્રિય અને અગિયારગણો આવશ્યક”, એમ કહીને ભવ્ય અંજલિ આપી હતી, તે નહેરુ હવે કૉન્ગ્રેસી નેતા બની રહે કે તેમના અવમાન માટે જ શાયદ ગુજરાતમાં સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્થપાય તે સમયની બલિહારી છે.

ગાંધીજી ૧૯૧૫માં ભારતમાં આવ્યા તે પૂર્વેના નહેરુ કૉન્ગ્રેસમાં સક્રિય હતા. પિતા મોતીલાલ નહેરુ સાથે, “એઝ એ વિઝિટર” ૧૯૦૪માં, ચૌદ વરસના જવાહર કૉન્ગ્રેસ મહાસભામાં ગયા હતા. તો ૧૯૧૨માં યુવાન નહેરુ કૉન્ગ્રેસ ડેલિગેટ તરીકે વિધિવત્‌ કૉન્ગ્રેસમાં ગયા અને જીવનના અંત સુધી તેને જ વળગી રહ્યા. ગાંધીજીથી ઉમરમાં ૨૦ વરસ નાના નહેરુ, ૧૯૨૯માં, લાહોર કૉન્ગ્રેસના પ્રમુખ બન્યા, ત્યારે  ગાંધીજીએ, એમના હાથમાં રાષ્ટ્ર સુરક્ષિત હોવાની ઘોષણા કરી દીધી હતી. એ પછીના સવા દાયકે વર્ધા કૉન્ગ્રેસમાં નહેરુને પોતાના રાજકીય વારસ ઘોષિત કરતાં ગાંધીજીએ કહ્યું હતું, “મારા વારસ નથી સરદાર કે નથી રાજાજી. જવાહરલાલ એક વિશુદ્ધ આત્મા છે. તેનું હ્રદય સ્ફટિકમણિ જેવું સ્વચ્છ છે. તે ભૂલ કરે, પણ ભારતના ગરીબોનું હિત તેના હાથમાં હંમેશાં સલામત રહેશે. મારા ગયા પછી પણ તે મારું જ કામ કરવાનો છે અને મારી જ ભાષા બોલશે.”

ભારતમાં લોકશાહી, ખાસ કરીને સંસદીય લોકશાહીનું સ્થાપન અને સંવર્ધન એ નહેરુની દેન છે. તેઓ હાડે જ સ્વતંત્રતાના ચાહક અને પુરસ્કર્તા હતા. લોકશાહી સંસ્કારો તેમની રગેરગમાં વ્યાપી ગયેલા હતા. ૧૯૪૭માં એ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા પછી ૧૯૫૨, ૧૯૫૭ અને ૧૯૬૨ની ત્રણત્રણ સંસદીય ચૂંટણીઓ દ્વારા પૂરો દોઢ દાયકો એ ભારતના રાજકારણ પર છવાયેલા રહ્યા.૧૯૬૨ના ચીની આક્રમણ છતાં એ સત્તા પર ટકી રહ્યા, તેનું કારણ ન માત્ર તેમની લોકપ્રિયતા પણ લોકશાહી માનસ હતું.

નહેરુએ જ ભારતમાં પુખ્તવય મતાધિકારનો આગ્રહ રાખ્યો હતો. બંધારણ મારફતે તેમણે ભારતને પ્રજાસત્તાક બનાવ્યું. આ એ જ નહેરુ છે જેમણે ૧૯૩૫માં ત્રીજી વાર કૉન્ગ્રેસ પ્રમુખ બનવાનું થયું ત્યારે કલકત્તાથી પ્રગટ થતાં સામયિક “મોર્ડન રિવ્યુ”માં “ચાણક્ય”ના ઉપનામે લેખ લખીને, લોકોને નહેરુ બાબતે સાવધ કર્યા હતા. આત્મખોજના અદ્દભુત નમૂનારૂપ એ લેખમાં નહેરુએ લખેલું, “જવાહરલાલ ફાસીવાદી ન બની શકે, અને તેમ છતાં તેમને સરમુખત્યાર બનાવે તેવા ઘણાં લક્ષણો તેમનામાં છે.”

જવાહરલાલ સરમુખત્યાર ન બની બેઠા, પણ તેમનાં પુત્રી ઈન્દિરા ગાંધીએ ૧૯૭૫માં આંતરિક કટોકટી લાદી ભારતની લોકશાહીને ખતરામાં મૂકી, તેમાં નહેરુનો ફાળો પણ વાંચી શકાય તેમ છે. ગાંધીજીએ તેમના ઉત્તરાધિકારી તરીકે નહેરુને સ્થાપ્યા હતા, તેમ નહેરુએ લાલબહાદુર શાસ્ત્રીની પસંદગી જરૂર કરી, પણ એ પુત્રીમોહ ત્યજી શક્યા નહોતા. ૧૯૫૯માં માંડ ૪૨ વરસના ઇન્દિરાજીને કૉન્ગ્રેસ પ્રમુખ બનાવવાની ચર્ચા વખતના પંડિત નહેરુના બોલ તેમની પસંદગી ઇન્દિરાની જ હતી, તે સ્પષ્ટ કરનારા હતા. વડાપ્રધાનની પસંદગીના અને તેમના વળના પક્ષપ્રમુખનો સિલસિલો ત્યાંથી શરૂ થયો હતો. (જેને આજે ભારતીય જનતા પક્ષ પણ અપનાવી રહ્યો છે.) બેટી કૉન્ગ્રેસ પ્રમુખ અને બાપ વડાપ્રધાન હોય એવા એ અદ્દભુત જમાનામાં કૉન્ગ્રેસ પ્રમુખ ઇન્દિરા ગાંધી કેરળની પ્રથમ સામ્યવાદી સરકાર ગબડાવે કે ભ્રષ્ટાચારના આક્ષેપો છતાં રાષ્ટ્રપ્રમુખના હઠાગ્રહ અને બરતરફીની ધમકી પછી જ નહેરુ કૃષ્ણ મેનનને પદ પરથી હઠાવે એ બધી ઘટનાઓ આરંભની ભારતીય લોકશાહીની અને નહેરુના નેતૃત્વની પણ મર્યાદાઓ ચીંધી જાય છે. તેમ છતાં નહેરુએ ભારતમાં સંસદીય લોકશાહીનો ન સિર્ફ પાયો નાંખ્યો તેને દ્રઢીભૂત કરી એટલે જ દેશનો પુખ્ત વય મતદાર ઇંદિરાઈ કટોકટીને પલટી શક્યો હતો. તમામ બંધારણીય સંસ્થાઓનું નહેરુએ સ્વાતંત્ર્ય જાળવ્યું. સંસદના બંને ગૃહોમાં તેજસ્વી વિપક્ષી નેતાઓના વિરોધોનો સામનો કર્યો. વહીવટી તંત્રને અંગ્રેજ રાજની ગુલામીમાંથી જ નહીં તેવા માનસમાંથી પણ મુક્ત કર્યું. ન્યાયતંત્રની તટસ્થતા અને વિશ્વસનીયતા જળવાય તેની કાળજી લીધી. ચૂંટણી પંચ જેવી સંસ્થાઓની સ્વાયત્તાને લીધે મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ શક્ય બની.

આઝાદી આંદેલન વેળાએ જ નહેરુ એ વાતે ચિંતિત હતા કે આઝાદ ભારતની અર્થવ્યવસ્થા કેવી હશે તે વિશે કૉન્ગ્રેસ ગંભીર નથી. ભારતની અર્થનીતિ વિશે ગાંધીજી અને નહેરુ વચ્ચે પાયાના મતભેદો હતા. નહેરુ ઔદ્યોગિકરણ અને શહેરીકરણના હિમાયતી હતા. તો ગાંધીજી નાના પાયાના ઉદ્યોગો અને ગ્રામસ્વરાજના આગ્રહી હતા. મોટા અને ભારે ઉદ્યોગોમાં માનતા નહેરુએ ઔદ્યોગિક ભારતનો પાયો નાંખ્યો. ભાખરાનાંગલ જેવા મોટા બંધો કે જાહેર ક્ષેત્રોના અનેક ઉદ્યોગો નહેરુના શાસનકાળમાં સ્થપાયા. નહેરુ તેને આઝાદ ભારતના નવા તીર્થધામો ગણાવતા હતા.

ભારતનું આર્થિક આયોજન અને પંચવર્ષીય યોજનાઓ સમાજવાદી નહેરુની અર્થદ્રષ્ટિના દ્યોતક છે. નહેરુએ મૂડીવાદ અને સામ્યવાદનો સમન્વય સાધતું મિશ્ર અર્થતંત્ર ભારતમાં લાગું પાડ્યું. જો કે નહેરુને રશિયાતરફી વિશેષ માનવામાં આવતા હતા. ભારતની સ્થિતિ ચીન સાથે વધુ સામ્ય ધરાવતી હોવા છતાં નહેરુ રશિયા તરફ વધુ ઢળ્યા અને તેમણે મોટી મૂડીનું રોકાણ ધરાવતા રશિયા જેવા ઉદ્યોગો વિકસાવ્યા, તેને બદલે જો ચીની કૃષિક્રાંતિનું મોડેલ સ્વીકાર્યું હોત તો ભારત બહુ સારો વિકાસ સાધી શક્યું હોત તેવું ઘણા નિષ્ણાતોનું માનવું છે. નહેરુના આર્થિક આયોજનો છતાં ગરીબી ઘટી નહીં તે તો ખુદ નહેરુએ પણ સ્વીકાર્યું હતું. આયુષ્યના અંતિમ વરસોમાં તેમને તેમની વિકાસનીતિમાં ભૂલ લાગતી હતી. આર્થિક વિકાસ સમાનતા આણી ન શક્યો તે સમજાતાં તેમણે પી.સી. મહાલનોબિસ સમિતિની રચના કરી હતી. જેણે દેશમાં અસમાનતા વધી હોવાનું તારણ કાઢ્યું હતું. નહેરુનો સમાજવાદ ગરીબીની વહેંચણીનો સમાજવાદ નહોતો પણ તે દેશની કુલ રાષ્ટ્રીય આવક વધે અને તેના ફળ સામાન્ય માણસ લઈ શકે તે માટેનો હતો. વિકાસનું આ ઝમણ ન તો નહેરુના જમાનામાં કે ન તો તે પછીના જમાનામાં શક્ય બન્યું. નરસિંહરાવ અને મનમોહન સિંઘની નવી બજારકેન્દ્રી અર્થવ્યસ્થા પછી તો નહેરુના સમાજવાદની પ્રસ્તુતતા જ સવાલ બની રહી છે.

નહેરુ ભારોભાર વૈજ્ઞાનિક વિચારધારામાં માનતા નખશિખ બિનસાંપ્રદાયિક બૌધિક હતા. તેમનો લોકશાહી, સમાજવાદ અને વૈજ્ઞાનિક મિજાજનો આ વારસો સહેલાઈથી ભૂંસી શકાય કે નહેરુને સદંતર ભૂલાવી શકાય તેમ નથી.                                                                       

e.mail : maheriyachandu@gmail.com

Loading

મજબૂત સરકાર, મજબૂર સરકાર

ચંદુ મહેરિયા|Opinion - Opinion|25 December 2018

બી.જે.પી. અધ્યક્ષ અમિત શાહે એક ટી.વી.ચેનલ સાથેની મુલાકાતમાં બ.સ.પા. સુપ્રિમો માયાવતી ૨૦૧૯માં મજબૂર કેન્દ્ર સરકાર ઈચ્છે છે, તે અંગે કૉન્ગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી કેમ મૌન છે તેવો પ્રશ્ન ઉઠાવ્યો છે. તાજેતરમાં નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત ડોવાલે પણ આગામી દસ વરસ સુધી દેશમાં મજબૂત સરકાર જરૂરી છે, તેમ જણાવ્યું તે પછી દેશમાં મજબૂત સરકાર અને મજબૂર સરકાર અંગે ચર્ચા છેડાઈ છે.

અજિત ડોવાલ અને અમિત શાહ સંપૂર્ણ બહુમતીવાળી, એક જ પક્ષની સરકારને સ્થિર અને મજબૂત સરકાર માને છે. જો કોઈ પક્ષને પૂર્ણ બહુમતી ન મળી હોય અને એક કરતાં વધુ પક્ષોની મોરચા સરકાર કે જે સહયોગી પક્ષો પર નિર્ભર હોય તેવી સરકારને મજબૂત ન ગણતાં મજબૂર સરકાર કહેવામાં આવે છે. આવી સરકાર રાષ્ટ્રનો ઝડપી વિકાસ ન કરી શકે તેમ માનવામાં આવે છે.

આઝાદી પછીની પ્રથમ પાંચ ચૂંટણીઓમાં કૉન્ગ્રેસ પક્ષ ભારે બહુમતી મેળવીને સત્તામાં આવ્યો હતો. રાજ્યશાસ્ત્રના પંડિતોની ભાષામાં ૧૯૭૭ સુધી ભારતના રાજકારણમાં  એક પક્ષ પ્રભાવ પ્રથા જોવા મળતી હતી. આજે જેને એક પક્ષી મજબૂત સરકાર કહી તરફેણ થઈ રહી છે તેવી તે સરકારો હતી. આ સમયમાં વિપક્ષમાં અનેક તેજસ્વી નેતાઓ હતા. પણ તેમની પાસે સંખ્યાબળ નહોતું. આ સમયમાં પહેલાં નહેરુનો અને પછી ઇંદિરા ગાંધીનો દબદબો હતો.

ઇંદિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી પછી ૧૯૭૭માં થયેલી ચૂંટણીઓમાં પ્રથમવાર દેશમાં બિનકૉન્ગ્રેસી સરકાર બની હતી. અનેક રાજકીય પક્ષોના શંભુ મેળાથી આ સરકાર રચાઈ હતી. મોરારજી દેસાઈના વડપણ હેઠળની આ સરકાર લાંબુ ન ટકી અને શ્રીમતી ગાંધી ફરી સત્તામાં આવ્યાં.

ભારતીય મતદારે કેન્દ્રમાં અને રાજ્યોમાં મજબૂત અને મજબૂર એમ બેઉ પ્રકારની સરકારોના અનુભવો કર્યા છે. આજે કેન્દ્રમાં એકમાત્ર ભારતીય જનતા પક્ષની સ્પષ્ટ બહુમતી સાથેની  સરકાર સત્તામાં છે. પરંતુ ભૂતકાળમાં આ જ પક્ષની અટલબિહારી વાજપાઈના નેતૃત્વમાં સહયોગી પક્ષોના ટેકે સરકારો રચાઈ હતી અને તે ઠીક ઠીક ચાલી હતી. આવું જ નરસિંહરાવ સરકારની બાબતમાં પણ બન્યું છે. એટલે પાંચ વરસની મુદ્દત એક જ પક્ષની સરકાર પૂર્ણ કરે તેવું બન્યું નથી.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ મજબૂત સરકારના સમર્થનમાં રાષ્ટ્રીય સુરક્ષા અને ઝડપી આર્થિક વિકાસને ગણાવે છે. પરંતુ અહીં એ હકીકતોથી આખંમિચામણાં થઈ શકે તેમ નથી કે ૧૯૬૨નું ચીન સાથેનું યુદ્ધ કે તે પછીના પાકિસ્તાન સાથેના બંને યુદ્ધ સ્પષ્ટ બહુમતીવાળી એક જ પક્ષની મજબૂત સરકારોના વખતમાં થયાં હતાં. એટલે મજબૂત સરકાર હશે તો જ રાષ્ટૃીય સુરક્ષા જળવાય એમ બન્યું નથી. મોરચા સરકારોની કે અલ્પ બહુમતીની કેન્દ્રીય રાજવટમાં પણ રાષ્ટ્રીય સલામતી જળવાઈ રહી હતી. જ્યાં સુધી આર્થિક વિકાસને સંબંધ છે તે પણ મજબૂત સરકારોનો ઈજારો નથી. આરંભની ભારે બહુમતી ધરાવતી કૉન્ગ્રેસી સરકારોના ગાળાનો આર્થિક વિકાસ ધીમો હતો તે હકીકત છે. એટલે આર્થિક વિકાસ, પ્રગતિ અને સલામતી માટે સરકારોનું સ્થિર અને મજબૂત હોવું જરૂરી નથી.

બહુપક્ષીય અને સહયોગી પક્ષોના ટેકે ચાલતી સરકારો તેમની મુદ્દત પૂર્ણ કરી શકતી નથી અને અને સ્થિર નથી હોતી પણ તે આર્થિક વિકાસ, રાષ્ટ્રીય સલામતી અને નીતિ વિષયક બદલાવ સાધી શકતી નથી એ બાબત ખરી નથી. ૧૯૭૭માં રચાયેલી જનતા સરકાર એક અર્થમાં મજબૂત સરકાર નહોતી પણ તેણે ઇંદિરાઈ કટોકટીકાળના અનેક બંધારણીય સુધારા ઊલટાવ્યા હતા. રાજીવ ગાંધીની હત્યા પછી ૧૯૯૬ના ગાળાની દસમી લોકસભામાં નહેરુ ગાંધી ખાનદાન સિવાયના કૉન્ગ્રેસી વડાપ્રધાન નરસિંહરાવ પાસે પૂર્ણ બહુમતી નહોતી. પણ તેમણે ધરખમ આર્થિક સુધારા કર્યા જ હતા ને ? નરસિંહરાવ સરકારે જ  નવી આર્થિક નીતિનો માર્ગ કંડાર્યો હતો, જેને દેશના અર્થતંત્રને નવો વળાંક આપ્યો હતો.

મજબૂત સરકારની વકીલાત કરનારાઓના મનમાં કદાચ એ બાબત પણ હશે જ અટલબિહારી વાજપાઈને માત્ર એક મત ન મળતાં તે સરકાર ટકાવી શક્યા નહોતા. તાજેતરમાં કર્ણાટકની વિધાનસભામાં બી.જે.પી. સૌથી મોટો પક્ષ છે પણ તેને અન્ય પક્ષોનો ટેકો ન મળતાં તેની સરકાર રચી શકાઈ નથી. એટલે પણ એક પક્ષની બહુમતી ધરાવતી મજબૂત સરકારની માંગ ઊઠી છે.

કેન્દ્રમાં જ્યારે જ્યારે સહયોગી પક્ષોનાં સમર્થનથી સરકારો રચાઈ છે ત્યારે તેમાં પૂરતું પ્રાદેશિક અને ભાષાકીય વૈવિધ્ય જોવાં મળ્યું છે. પ્રાદેશિક પક્ષોનાં સમર્થનના બદલામાં પ્રદેશના હિતનું વધુ ધ્યાન રાખવું પડે છે. વર્તમાન લોકસભામાં ભા.જ.પ.ને પૂર્ણ બહુમતી મળી છે. તેણે સાથી પક્ષોને સરકારમાં સામેલ તો કર્યા છે. પરંતુ શિવસેના અને અકાલી દળનું મોદી સરકાર અને વાજપાઈ સરકારમાં શું સ્થાન છે તેના આકલન પરથી જ મજબૂત સરકારની સાથી પક્ષો પ્રત્યેની દાનત જોઈ શકાય છે.

મજબૂત કરતાં મજબૂર સરકારો પાસે ગરીબો તરફી પગલાં વધારે સારી રીતે લેવડાવી શકાય છે એવો પણ અનુભવ છે. વી.પી. સિંઘની સરકાર ડાબેરી પક્ષો અને ભા.જ.પ. એમ પરસ્પર વિરોધી વિચારોના પક્ષોના સમર્થનથી અગિયાર જ મહિના શાસન કરી શકી હતી. પરંતુ આ જ સરકારે દેશમાં મંડલ કમિશન લાગુ પાડી અન્ય પછાત વર્ગોને અનામત આપવાનો અતિ મહત્ત્વનો નિર્ણય લીધો હતો. યુ.પી.એ. સરકાર પાસે પૂર્ણ બહુમતી નહોતી એટલે સાથી પક્ષોના દબાણથી જ તેણે મનરેગા, શિક્ષણ અને માહિતીના અધિકારના કાયદા કર્યા હતા.

કેરળમાં બહુપક્ષીય મોરચા સરકારોનો લાંબો ઇતિહાસ છે. જેણે ઘણાં સારાં કામો કર્યાં છે. ગુજરાતમાં અન્ય પછાતવર્ગોને અનામત આપવાનો નિર્ણય બાબુભાઈ પટેલની અલ્પ બહુમતીની એકપક્ષી નહીં એવી મજબૂર  સરકારે કર્યો હતો. માર્ચ ૧૯૮૫ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માધવસિહ સોલંકીના નેતૃત્વમાં કૉન્ગ્રેસને વિક્રમી એવી ૧૮૨માંથી ૧૪૯ બેઠકો મળી હતી. ગુજરાતના રાજકીય ઇતિહાસની આ સૌથી મજબૂત સરકારના મુખ્યમંત્રીને ઓ.બી.સી. અનામત વધારાના પ્રશ્ને છ જ મહિનામાં સત્તા છોડવી પડી હતી. આ મજબૂત સરકાર પછી જ ગુજરાતમાં કૉન્ગ્રેસનાં વળતાં પાણી થયાં હતાં.

દેશને એકપક્ષની મજબૂત એવી આપખુદ સરકાર જોઈએ છીએ કે લોકો પ્રત્યે વફાદાર અને જવાબદાર એવી લોકતંત્રને મજબૂત કરનારી સરકાર જોઈએ છે, તે ખરો સવાલ છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...2,8972,8982,8992,900...2,9102,9202,930...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved