Opinion Magazine
Number of visits: 9764971
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાત માટે ગહન અને મહત્ત્વનો પ્રશ્ન

સલિલ ત્રિપાઠી|Samantar Gujarat - Samantar|11 April 2019

આખરે એવો વખત આવ્યો તો ખરો, કે જ્યારે ગુજરાતી પ્રજા છાતી ફુલાવી ગૌરવ સાથે કહી શકે કે એક ગુજરાતીએ ભારતના વડા પ્રધાન તરીકે સત્તા ગુમાવ્યા વગર પૂરા પાંચ વર્ષ રાજ કર્યું  – એ તો હકીકત છે કે મોરારજી દેસાઈ સૌથી પહેલા ગુજરાતી વડા પ્રધાન હતા, પણ એમની ઇનિંગ્સ અડધેથી જ અટકી ગઈ પાટલીબદલુઓને કારણે, અને 28 મહિનામાં એમની બહુમતી જતી રહી.

પરંતુ ગણતરી અને સમીકરણો પર જ જો નિર્ભર રહીએ, તો સમસ્યા ઊભી થાય, કારણ કે આંકડાઓ કોઈ પણ વખત અતથી ઇતિ કથા કહી નથી શકતા. ગુજરાત સાથે ગાઢ સંબંધ ધરાવતા અન્ય બે રાજકારણીઓ પણ વડા પ્રધાન બની ચૂક્યા છે – તેમાંથી એકે તો બે વખત – અલબત્ત,  થોડા સમય માટે – પ્રધાનમંત્રીપદ ગ્રહણ કર્યું હતું, અને બીજાએ તો પાંચ વર્ષની મુદ્દત પૂરી કરી હતી.

હું ગુલઝારીલાલ નંદા અને રાજીવ ગાંધીની વાત કરી રહ્યો છું. 1964માં જવાહરલાલ નેહરુ અને 1966માં લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ પછી નંદાએ વચગાળાના નેતા તરીકે પદ ગ્રહણ કર્યું હતું. પણ નંદા એક નાઇટવોચમેન નહોતા; એ એક અનુભવી રાજકારણી હતા, જેમણે કામદાર અધિકાર માટે આજીવન મહેનત કરી હતી અને ગુજરાતની શ્રમિક ચળવળમાં તેમનું યોગદાન નોંધપાત્ર હતું. નંદા માટે ગુજરાત તેમની કર્મભૂમિ હતી – ગુજરાતીની વિશિષ્ટ ગાંધીવાદી, બિન-સંઘર્ષકારી શ્રમિક સંઘની ચળવળ મજૂર મહાજનની સ્થાપનામાં એમનું કાર્ય  મહત્ત્વનું હતું.

રાજીવ ગાંધીતો નેહરુના પૌત્ર હતા જ, પરંતુ તેઓ પારસી સંસદીય ફિરોઝ ગાંધીના પુત્ર પણ હતા, જેમણે નેહરુની પુત્રી ઇન્દિરા સાથે લગ્ન કર્યા હતા. કહી તો શકાય કે ઇન્દિરા ગાંધી ગુજરાતના પુત્રવધૂ હતાં : આપણો ઇતિહાસ જોઈએ તો ગુજરાત અતિથિ સત્કારમાં માને છે જ, પણ અતિથિને ઘરનાં ગણીને કુટુંબી તરીકે સ્વીકાર પણ ખુશાલીપૂર્વક કરે છે. કોઈ પણ ગુજરાતીને પૂછી જુઓ તો એમને સંજાણમાં આવેલા પહેલા પારસી નિરાશ્રિતોનાં સ્વાગતની વાર્તા તો યાદ હશે જ – દૂધમાં સાકર ભળે એમ પારસીઓ ગુજરાતમાં ભળી જશે – અને એ વિષે ગુજરાતી પ્રજાને ગૌરવ પણ હશે. આજે કોઈ એવું છે કે જે દલીલ કરી શકે, કે પારસી પ્રજા ગુજરાતીની નથી?

ભારતના રાજકારણમાં નેહરુ-ગાંધી પરિવારનું પ્રભુત્વ વધારે છે એ તો વાત સાચી જ, અને રાજીવને આપણે જો એમના મોસાળથી ઓળખીએ એમાં કોઈ આશ્ચર્ય પામવાની જરૂર નથી – પણ એક પારસી પિતાના પુત્ર તરીકે એ સ્વાભાવિક છે કે નાનપણમાં રાજીવે કુટુંબીજનો પાસે ગુજરાતી સાંભળ્યું હોય – રાજીવની એક ભત્રીજી મારી સાથે કોલેજમાં ભણતી હતી, એ મારી સાથે સ્પષ્ટ ગુજરાતીમાં બોલતી હતી.

ઉપરાંત એવા પણ બે ગુજરાતીઓ છે, જે ભારતના વડા પ્રધાન બન્યા નહોતા (અને બંને સ્વતંત્રતા પછી ટૂંક સમયમાંજ મૃત્યુ પામ્યા હતા), પણ હજી સુધી ભારત પર એમની અસર કાયમી રહી છે. મોહનદાસ ગાંધીએ ક્યારે ય જાહેર ઓફિસ કે પદની લાલસા નહોતી દેખાડી, પણ તેમના વગરનું ભારત કેવું હોત? અને બીજા વલ્લભભાઈ પટેલ, લોહપુરુષ – નેહરુના ગૃહમંત્રી, જેમણે રજવાડાઓની ભ્રમણા અને ‘સ્વાતંત્ર્ય’નાં સ્વપ્નોનો કુશળતાથી નાશ કરી દીધો હતો. અને એ તે ભુલાય કે પાકિસ્તાનના સ્થાપક – મોહમ્મદ અલી જિન્નાહ  – પણ ગુજરાતી હતા? ભારત અને પાકિસ્તાન એમ બંને દેશની ચલણી નોટ પર ગુજરાતી વ્યક્તિની છબી છે – ભારતના ગાંધી, પાકિસ્તાનમાં જિન્નાહ.

ગુલઝારીલાલ નંદા અને રાજીવ ગાંધીને આ સૂચિમાં ઉમેરી હું આજે ગુજરાતનાં ગુણગાન ગાવા નથી માંગતો; માત્ર એ બતાવવા માંગુ છું કે ગુજરાત સમન્વયમાં અને સંયુક્તતામાં માને છે – જેમના પૂર્વજો શરણાર્થી તરીકે આવે અને હળીભળીને સુખેથી રહે; જે લોકો ગુજરાત આવીને ગુજરાતી અપનાવી લે, અને જે લોકો તક અને પડકારનાં બીડાં ઝડપી રાજ્યમાં પોતાનું ઘર બનાવી સમૃદ્ધ થાય અને બીજાને સમૃદ્ધ કરે. એ ખરા ગુજરાતની તાસીર.

ધંધામાં અને રાજ્કારણમાં જ નહિ, પણ કળામાં પણ ગુજરાતીઓએ વર્ચસ્વ દાખવ્યું છે – ગુજરાતની વિવિધતા મનોહારી અને ગજબની છે – તૈયબ મહેતા, જેરામ પટેલ, હકુ શાહ, અકબર પદમસી, અતુલ દોડિયા, ગુલામમહમ્મદ શેખ, માધવી પારેખ, અને અમિત અંબાલાલ જેવા કલાકારો બતાવે છે કે ગુજરાતી ફાળો અપ્રતિમ  છે.

મેં છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રશ્નો પર ઘણો વિચાર કર્યો છે – મેં ગુજરાતમાં પ્રવાસ કર્યો છે, અને દેશવિદેશમાં ગુજરાતીઓ જોડે ચર્ચા કરી છે, કારણ કે મારે સમજવી છે મારી પ્રજા – હું એક પુસ્તક લખી રહ્યો છું – ગુજરાતી એટલે કોણ? આપણે કેવા? આપણી વિશિષ્ટ લાક્ષણિકતાઓ કઈ છે? અને આ ગુજરાતી રાજકારણીઓ – ખાસ કરીને નંદા, દેસાઇ, રાજીવ ગાંધી અને હવે મોદી – એમનાં કાર્ય વિષે વિચાર કરીએ તો કઈ લાક્ષણિકતાઓ દેખાય છે? એમાં ગુજરાતીપણું શું અને ક્યાં?

એનો કોઈ ટૂંકો જવાબ નથી, અને પ્રામાણિક જવાબ તો છે કે ગુજરાતી ઓળખ ઘણી જુદી જુદી રીતે જોવા મળે છે – એમાં આવે છે સમૃદ્ધિ અને પૈસા; ધંધો; અતિથિસત્કાર; મહિલા પ્રત્યે આદર; શાકાહારીપણું; ગાંધીવાદી અહિંસા – આવી ઘણી લાક્ષણિકતાઓ તો મંત્રની જેમ લોકો રટ્યા કરે છે.

પણ દરેક સામાન્યકરણમાં નોંધપાત્ર અપવાદો છે જ! પૈસાદાર સંસ્કૃતિમાં નિઃસ્વાર્થ પરોપકાર પણ જોવા મળે છે. વ્યવસાયિક સમાજ ખરો, પણ તો પછી આટલાં બધાં કોમવાદી રમખાણો ક્યાંથી, જેનાથી વેપાર અને આર્થિક પ્રવૃત્તિમાં ખલેલ પહોંચે? જો ગુજરાતીઓ દૂરથી આવતી પ્રજાને મોકળા મને આવકારતી હોય, તો આટલી બધી હિંસા કેમ સહાય, જેને કારણે સ્થળાંતરિત મજૂરો ગભરાઈને પોતાને દેશ જતા રહે? (અને ધંધો બંધ પડી જાય?) મહિલાઓનો આદર કરનાર સમાજમાં આટલી બધી ઘરેલુ હિંસા અને સ્ત્રી કુપોષણ ક્યાંથી? દહેજને કારણે શંકાસ્પદ મૃત્યુ ક્યાંથી? આટલા વિસ્તૃત સાગરકાંઠાને કારણે જ્યાં લાખો માછીમારો હોય, તે પ્રજા કઈ રીતે ‘શાકાહારી’ રહેવાની? અને જે લોકોને માંસ ખાવું હોય, તો તેમણે આટલું બધું ગભરાવું પડે, કયા કારણસર? અને જો આ સમાજ ગાંધીવાદી અને અહિંસક હોય, તો 1969ના રમખાણો, કે પછી 1980ના દાયકામાં થયેલી ખૂનામરકી, અને 2002માં થયેલ ગણહત્યાકાંડનું કારણ શું? ગુજરાતમાં એ જ બધા વિરોધાભાસી પાસા છે, જે ભારતમાં દેખાય છે.

રાજકારણની દ્રષ્ટિએ જોઈએ તો આ બધા નેતાઓ એકમેકથી ઘણા જુદા છે – એક જ તાકામાંથી એમનું કાપડ નથી કપાયું – ગાંધી ક્રાંતિકારી હતા, ધાર્મિક હતા, પણ બિનસાંપ્રદાયિક પણ હતા. પટેલ રૂઢિચુસ્ત તો ખરા, પણ ધર્મનિરપેક્ષ પણ ખરા. જીન્નાહ રાષ્ટ્રીયવાદી હતા પણ સાંપ્રદાયિક થઇ ગયા. કામદાર વર્ગ માટે નંદાની પ્રતિબદ્ધતા ડાબેરી ગણાય, પણ તે નાસ્તિક નહોતા; મોરારજીભાઈ લોકશાહીના સેવક તો ખરા જ, પણ હઠીલા ય ખૂબ!  રાજીવ ગાંધી આધુનિકતાના પ્રેમી, પણ કટ્ટરવાદીઓ જેમ કહે તેમ કરવા તૈયાર! અને મોદી તો માર્કેટિંગના ઉસ્તાદ – ભૂતકાળના નેતાઓની સિદ્ધિઓને પોતાની કઈ રીતે બનાવવી, એ બાબતમાં એ તો એક્કા!

મુખ્ય મંત્રી, અને હવે વડા પ્રધાન તરીકે મોદીનો પ્રભાવ ગુજરાત અને ભારત પર નોંધપાત્ર રહેવાનો. મોદીનું મહત્ત્વ તો એ કે આઝાદી વખતે જે “ભારતની અસ્મિતા” હતી, એના પર એમણે એક પડકાર ફેંક્યો છે. નેહરુ યુગની ખાસિયતો – સમાજવાદ, ધર્મનિરપેક્ષતા, અલિપ્તતા – એ સર્વનો વિરોધ કર્યો છે. નહેરુની વિચારસરણીના વિવેચકો એમના જમાનામાં પણ હતા જ, અને તેમાંથી કેટલીક ટીકાઓ વ્યાજબી પણ હતી. પરંતુ ભારતે એ વિચારસરણી સર્વસંમતિ સાથે સ્વીકારી હતી.

મોદી તેને તોડી નાખવા માંગે છે – પણ એ સજાગ છે; એ જાણે છે કે ભૂતકાળને ભૂંસી તો ના નખાય, કારણ કે ગાંધીની વિચારસરણી ભારતના લોહીમાં ધબકી રહી છે – માટે આ ગાંધીનો ચરખો ચલાવશે, દક્ષિણ આફ્રિકામાં ટ્રેનમાં બેસી આવશે; આઝાદ હિન્દ ફોજની ટોપી પહેરી ત્રિરંગાને સલામ મારશે – અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મૂકનારા લોહપુરુષની યાદમાં એક પ્રચંડ પૂતળું  બનાવશે. આ સિવાય એમને ગાંધી જોડે કે સ્વતંત્ર સંગ્રામ જોડે, કે એના મૂલ્યો જોડે કશો જ સંબંધ નથી.

1960માં ગુજરાતના સંસ્થાપન વખતે કવિ ઉમાશંકર જોશીએ પૂછ્યું હતું: ગાંધીને પગલે પગલે તું ચાલીશને, ગુજરાત?

એ પ્રશ્ન ગુજરાત માટે ત્યારે અગત્યનો હતો; આજે એ ભારતના અસ્તિત્વ માટે ગહન અને મહત્ત્વનો બની ગયો છે.

e.mail : salil.tripathi@gmail.com

https://mumbaimirror.indiatimes.com/loksabha-elections/news/the-multi-pronged-gujarati-identity/articleshow/68801279.cms?fbclid=IwAR30Kpxdl61lDTYnnYKuj9uOOJGwQ2-u7IzJXv1l7sHxpXcyV2wNk_ooGFA

Loading

સોશ્યલ મીડિયા માટે નક્કર ચૂંટણી આચારસંહિતા કેમ નથી ?

મનીષી જાની|Opinion - Opinion|10 April 2019

ચૂંટણીના આ માહોલમાં કેવું કેવું બની રહ્યું છે, તેનું એક ઉદાહરણ જોઈએ. ગયા અઠવાડિયે આપણાં એક છાપામાં મોટા અક્ષરે મોટા સમાચાર છપાયા કે 'સોશ્યલ મીડિયામાં રેલવે અધિકારીએ મોદીને 'ફેંકુ' કહ્યા તેને લઈ ખાતાકીય પગલાં લેવાયાં !'

આ સમાચાર વાંચતા હસવું તો આવ્યું પણ સાથે સાથે વિચાર પણ આવ્યો કે આ સમાચારનું કેટલું મહત્ત્વ ? શું એને પણ એક પ્રકારની જાહેરખબર કે પેઈડ ન્યૂઝ ગણવાના ? લોકોનાં મનમાં સત્તા સામે નહીં બોલવા માટે, ચૂપ રાખવા માટે અને ખાસ કરીને સરકારી નોકરિયાતોને આડકતરો સંદેશો અપાઈ રહ્યો છે કે જે કોઈ સત્તા પર બેઠા છે તેની ટીકાટિપ્પણ ના કરો !

આ સમાચારમાં વીગતે લખાયું છે કે 'અમદાવાદ સહિત દેશભરમાં નાગરિકો દ્વારા સોશ્યલ મીડિયામાં સરકાર વિરુદ્ધ તેમ જ વડાપ્રધાન વિરુદ્ધ કોઈ પણ જાતની ટીકાટિપ્પણી કરવામાં આવે તો તેની પર પી.એમ.ઓ. દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. જો કોઈ વિવાદાસ્પદ ટિપ્પણી દેખાય તો જે તે એકાઉન્ટ બ્લોક કરવાની સાથે જ જે તે વ્યક્તિ સામે કાર્યવાહી પણ કરવાની સ્થાનિક તંત્રને સૂચના આપવામાં આવી છે.'

ઉપરોક્ત લખાણ વાંચતા ઘણા સવાલો મનમાં ઊભા થાય કે સત્તા પર બેસનારાની ટીકા સામાન્ય નાગરિક કેમ ના કરી શકે ? લોકશાહીમાં ટીકા ટિપ્પણી કરવી એ જ તો લોકોની સત્તામાં આડકતરી ભાગીદારી છે. ટીકા, દલીલ, ચર્ચા, વ્યંગ, વાદવિવાદ કરવાથી જ સત્તા સુપેરે ચાલે તે દિશામાં લઈ જવા માટેની મથામણ હોય છે.

અને એકવાર ચૂંટણી જાહેર થઈ જાય પછી કઈ ટીકા ટિપ્પણી યોગ્ય ગણાય કે ન ગણાય તે નક્કી કરવાનું કામ વડાપ્રધાન કે અન્ય સરકારી તંત્રોના માથે નહીં પરંતુ ચૂંટણી કમિશનના જવાબદાર અધિકારીઓના માથે હોય છે.

વળી, ગયા અઠવાડિયે જ આપણે જોયું કે એક રાજ્યના રાજ્યપાલ ખુદ આ વડાપ્રધાન ફરી સત્તામાં આવવા જોઈએ એવું વિધાન કરે અને છતાં ય તેના પર તાત્કાલિક પગલાં ન લેવાય કે ગુજરાતના મુખ્ય પ્રધાન ઉશ્કેરણીની ભાષામાં એમ કહે કે આ ચૂંટણી ભારત વિરુદ્ધ પાકિસ્તાનની છે કે યુ.પી.ના મુખ્યમંત્રી દેશના સૈન્યને મોદી કી સેના તરીકે ઓળખાવે, ત્યારે પણ ઇલેક્શન કમિશન ચૂપ રહે એ તે કેવો ન્યાય ? ખરેખર નફરત ફેલાવનારી આ ટીકા ટિપ્પણીઓ અયોગ્ય ગણાય કે પછી ચૂંટણી ટાણે મોટાં મોટાં વચનો સતત આપીને એ દિશામાં કંઈ ના કરનાર નેતા વિશે છેતરાયાના ભાવ સાથે કોઈ નાગરિક દેશના વડાપ્રધાનને ફેંકુ કહે તે અયોગ્ય ટિપ્પણી ?

આપણા દેશમાં ચૂંટણીને લઈને દસકાઓથી એક 'નૈતિક ફરજ' ગણી શકાય એવી આચાર સંહિતા-મૉડલ કૉડ ઓફ કન્ડક્ટ અમલમાં છે. વિશેષમાં ઉમેદવારો માટે તો ચૂંટણી ખર્ચની મર્યાદાના નિયમો પણ કડક છે જ, પાર્ટીના ચૂંટણી ખર્ચના હિસાબો અંગે પણ નિયમો છે. છાપાં- ટીવીમાં છપાતી, દેખાતી જાહેરખબરોની મંજૂરી અગાઉથી ચૂંટણી કમિશન પાસેથી લેવાની હોય છે. અને તેના ખર્ચા પણ પાર્ટી ચૂંટણી ખર્ચ માં ગણાય છે.

ઉમેદવારો માટે જે રીતે ખર્ચના નિયમો, આચાર સંહિતા વિગતવાર ઘડાયા છે તેવા નિયમો હજી ખાનગી મીડિયા માટે જોવા મળતા નથી.

અને ખાસ કરીને છેલ્લાં દસ-બાર વર્ષ માં જે રીતે ડીજિટલ ક્રાંતિએ દુનિયામાં સમાચારો, સંદેશાઓ, વીડિયોગ્રાફીની દિશા જ બદલી નાંખી, સરળ, સહજ વિકેન્દ્રિત અને લોકોપયોગી ટેકનોલોજી બની ગઈ, તે સંદર્ભે મીડિયા અંગેના નિયમો ઘડવામાં છેલ્લા પાંચ વર્ષમાં જોઈએ તેટલું સક્રિય બન્યું નથી તે ચિંતાજનક બાબત છે.

ગઈ 2014ની લોકસભાની ચૂંટણીનું એક દૃશ્ય જે સૌ કોઈ માટે તે સમયે યાદગાર બની ગયું હતું. તેમાં અમદાવાદ ખાતે તે સમયના સંભવિત વડાપ્રધાન નરેન્દ્રભાઇએ મતદાન કર્યું અને પોતાની પાર્ટીના પ્રતિક કમળને જે રીતે દર્શાવી ને તેની સાથે સેલ્ફી લઈ તરત ટ્વીટ કરી સોશ્યલ મીડિયામાં, દુનિયાભરમાં એ તસવીર વહેતી કરી દીધી …

હવે તે વખતે આચાર સંહિતા ભંગનો વિવાદ થયો અને કાનૂની કાર્યવાહી પણ ચાલી કે મતદાન મથકના નિશ્ચિત અંતરના વિસ્તારમાં આ પ્રકારની ફોટોગ્રાફી કરવી એ આચાર સંહિતાનો ભંગ કહેવાય કે નહીં ?

પરંતુ તે સમયે સોશ્યલ મીડિયા આપણે ત્યાં નવું નવું હતું, અને તેને લઈ કોઈ નિયમ, કાયદા ન હતા એટલે ચૂંટણી પૂર્વેના અડતાલીસ કલાકથી માંડી મતદાન પૂરું થાય તે સમય સુધી પ્રચાર માટેનો 'શાંત સમય' ગણી તેમાં સોશ્યલ મીડિયામાં પણ આચાર સંહિતા લાગુ પડે એવો કોઈ નિયમ ચૂંટણીપંચે ઘડેલા ન હતા.

એ વિવાદને પાંચ વર્ષ પૂરાં થઈ ગયાં પણ એ ઘટનાને લઈને ઊભા થયેલા સવાલો અને તે અંગેના નિયમો ઘડવાની તસ્દી સવેળા, એ જે આપણા ચૂંટણીપંચે લેવી જોઈતી હતી, તે લીધી હોય એવું હજી સુધી લાગતું નથી. ઉમેદવારો માટે ફોર્મમાં જ સોશ્યલ મીડિયાના તેમના એકાઉન્ટની વિગતો મૂકવી ફરજિયાત બનાવ્યું છે, તેના પર મૂકાતી જાહેરખબરના હિસાબ રાખવાનો પણ સમાવેશ થયો છે, પણ જે રીતે અત્યારે સોશ્યલ મીડિયાનો વ્યાપ છે તેનાં પ્રમાણમાં નિયમો વિચારાયા હોય એવું લાગતું નથી.

2014 કરતાં આજે સોશ્યલ મીડિયાનો ઉપયોગ બે ગણો વધી ગયો છે.

આપણા દેશમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ભણતાં વિદ્યાર્થીઓ છે, તેની સંખ્યા દસ કરોડ જેટલી ગણી શકાય પણ દેશમાં સ્માર્ટફોનની સંખ્યા અત્યારે 37 કરોડ જેટલી અંદાજવામાં આવે છે. અને સોશ્યલ મીડિયામાં મહત્ત્વના જે બે લોકપ્રિય પ્લેટફોર્મ છે, ફેસબુક અને વોટ્સએપ; તે બન્નેમાં લગભગ 30-30 કરોડ જેટલા ઉપયોગકર્તાઓ છે.

અને દુનિયાભરમાં દર મિનિટે આશરે ત્રણ કરોડ જેટલા મેસેજ – સંદેશાઓ, વીડિયો ક્લિપ, કાર્ટૂન, ફોટાની આપલે વોટ્સએપ પર થાય છે …!

અને આપણા દેશની વાત કરીએ તો એક અંદાજ પ્રમાણે વોટ્સએપ પર આશરે 87,000 ગૃપ છે જેમાં ખાસ કરીને રાજકીય સંદેશાઓની આપ-લે થાય છે.

સોશ્યલ મીડિયાનો આ વ્યાપ એવડો મોટો ઝડપભેર થઈ ગયો છે, કે તેની સામે છાપાં-ટીવીની પહોંચ જાણે કે આજે અને તે પણ જ્યારે રાજકીય માહોલ ગરમ હોય ત્યારે ઓછી લાગે છે !

અને ખાસ તો આજકાલ સોશ્યલ મીડિયામાં જ ઓનલાઇન ન્યૂઝ, ટોક શો, ઈન્ટરવ્યુ, વીડિયો ક્લીપીન્ગ અને બ્રેકીન્ગ ન્યૂઝ જોવાની સુવિધાઓ વધી ગઈ છે, તેને લઈ સોશ્યલ મીડિયા જ એક મહત્ત્વનું સાધન સમાચારો મેળવવા અને તેના પ્રસાર માટે બની ચૂક્યું છે.

અને સાથે સાથે નોંધપાત્ર વાત એ છે કે આ સોશ્યલ મીડિયા, ડિજીટલ ટેકનોલોજીના અભૂતપૂર્વ વિકાસને લઈ સૌથી વધુ ફેક ન્યૂઝનો પ્રચાર -પ્રસાર સોશ્યલ મીડિયામાં આપણા દેશમાં જ અત્યારે થઈ રહ્યો છે એવું નિષ્ણાતોનું માનવું છે.

ફેક ન્યૂઝમાં જુઠ્ઠો ઇતિહાસ, ખોટી ગેરરસ્તે દોરતી માહિતી, ફોટાઓમાં કટીંગ – પેસ્ટીન્ગથી નાના મોટા ફેરફાર કરી ઉશ્કેરણી – ધિક્કાર ફેલાવવાની રીતરસમો અજમાવાય છે અને તેનો સ્માર્ટફોન દ્વારા સોશ્યલ મીડિયામાં પ્રચાર-પ્રસાર થાય છે.

ફોટામાં ફેરફારનું હમણાંનું તાજુ ઉદાહરણ લઈએ તો પ્રિયંકા ગાંધીએ ભારતીય પરંપરાગત કંઠી કે માળા ગળામાં પહેરી હોય, ત્યાં એ કંઠી કે માળામાં ક્રોસ ચીટકાડી દઈ તે ઈસાઈ ધર્મમાં માને છે એવો ભ્રમ ઊભો કરવાનું ચાલી રહ્યું છે. એ જ રીતે રાહુલ ગાંધી કે મમતા મુખર્જી ની સભામાં જેટલા લોકો ખરેખર હાજર હોય તેનાં કરતાં પચાસગણા વધારે દેખાય એવી ઈમેજ ચીપકાવી એ સભાને વિશાળકાય બતાવી પ્રચાર કરવો !

સોશ્યલ મીડિયા પરનાં આવાં જુઠ્ઠાણાં માત્ર આપણા દેશમાં જ છે પણ એવું નથી. દુનિયાભરમાં આવા ફેક ન્યૂઝના વંટોળ ચાલ્યા કરતા હોય છે. અને જ્યારે જે તે દેશમાં ચૂંટણી કે એવી કોઈ મહત્ત્વની રાજકીય ઘટના હોય ત્યારે એવા વંટોળ વિકરાળ સૂનામીનું સ્વરૂપ ધારણ કરતાં હોય છે.

2016 માં અમેરિકામાં પ્રેસિડેન્ટની ચૂંટણી થઈ ત્યારે ફેસબુકના ડેટાનો અને ફેક ન્યૂઝનો મોટાપાયે ઉપયોગ થયો અને તેના પ્રચારમાં રશિયાના સત્તાધીશો પણ સંકળાયેલા હતા, એવું ઊંચા અવાજે કહેવાતું રહ્યું હતું. ફેસબુકના સંચાલકોએ પણ તેના વપરાશકર્તાઓના ડેટા વેચાતા-વહેચાતા હતા તેનો સ્વીકાર પણ કર્યો.

પ્રેસિડેન્ટ ટ્રમ્પના ઇલેક્શનમાં સોશ્યલ મીડિયા વિવાદમાં રહ્યું તે તો એક મોટી ઘટના ગણવી જ રહી પણ તેનાથી ય વધારે તાજેતરમાં પાંચ મહિના પહેલાં બ્રાઝિલમાં પ્રમુખની ચૂંટણી થઈ તેમાં ખૂબ મોટાપાયે આ સોશ્યલ મીડિયાએ ભૂમિકા ભજવી એવું હવે દુનિયાભરના પ્રતિષ્ઠિત છાપાં-મેગેઝિનોના અહેવાલો કહે છે.

ગત ઓકટોબરમાં બ્રાઝિલમાં યોજાયેલી પ્રેસિડેન્ટની ચૂંટણીમાં મહત્ત્વના બે નેતાઓ આમને સામને હતા.

ડાબેરી શ્રમજીવીઓની વર્કર્સ પાર્ટીના નેતા ફર્નાન્ડો હડ્ડાડ અને તેમની સામે સરમુખત્યારશાહીની તરફેણ કરનારા ઉગ્ર જમણેરી વિચારધારામાં માનનારા જૅર બોલ્સોનારો ઊભા હતા. ભારે રસાકસીભરી આ ચૂંટણીમાં ઉગ્ર જમણેરી વિચારધારા સમર્થક બોલ્સોનારોનો વિજય થયો અને વર્કર્સ પાર્ટીના નેતાની હાર.

ચૂંટણી બાદ જે અહેવાલો બ્રાઝિલનાં પ્રતિષ્ઠિત છાપાંઓમાં છપાયા તે ચોંકાવનારા રહ્યા. બ્રાઝિલ જેવા નાનકડા દેશમાં લગભગ 60% લોકો સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરનારા છે એટલે કે 12 કરોડ લોકો.

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ચૂંટણી પૂર્વે અને ચૂંટણી દરમિયાન બ્રાઝિલના 156 જેટલા વેપારીઓ ને ઉદ્યોગપતિઓએ ભેગા થઈ ઉગ્ર જમણેરી પ્રેસિડેન્ટના ઉમેદવારની તરફેણમાં સોશ્યલ મીડિયા માટે જુઠ્ઠાણાં પેદા કરવાનાં કારખાનાઓ જ જાણે કે ધૂમ નાણાં ખર્ચીને ઊભાં કરી દીધાં..!

અને ડાબેરી પાર્ટીના નેતાઓ અને ખાસ કરીને પ્રમુખ પદના ઉમેદવાર ફર્નાન્ડોને લઈ એવા ખોટા સમાચારો, માહિતી, જુઠ્ઠી તસવીરો ને વીડિયો ઊભા કરી દીધા અને તેનો મારો ચલાવ્યો કે લોકોમાં ભ્રમ અને ભય બન્ને ઊભા કરી દીધા ! લોકોને ભ્રમિત ને ભયપૂર્ણ કરી દેવા એટલે હતાશ કરી નાખવાં, યોગ્ય નિર્ણય કરવામાંથી ગુમરાહ કરી નાખવાં અને તેમનામાં અસલામતી ને દહેશત ઊભી કરી નાંખવી ..!

સોશ્યલ મીડિયાના આ જુઠ્ઠા પ્રચારના સંગઠિત, અઢળક નાણાં આધારિત કૌભાંડે બ્રાઝિલના આ ઇલેક્શનમાં મોટી ભૂમિકા ભજવી એવી ચર્ચા હજી ય કમ્યુનિકેશન નિષ્ણાતોમાં અગ્રસ્થાને છે.

આપણે ત્યાં ધીરે ધીરે યુદ્ધનો માહોલ, પાકિસ્તાન વિરુદ્ધનો નફરતનો માહોલ ઊભો કરીને જે દિશામાં સોશ્યલ મીડિયામાં જુઠ્ઠાણાં ચાલી રહ્યા છે અને એક જ વીર પુરુષ, હીરોની ભાવનાને ઉશ્કેરવામાં આવી રહી છે, તે આપણને ક્યાં લઇ જશે એ તો હવેના દિવસો જ બતાવશે.

બાકી તેના જુઠ્ઠાણાં ના પ્રચાર-પ્રસાર માં રોક લગાવવા માટે, તેની તપાસ માટે અને તેને અવરોધવા માટે કોઈ નક્કર કાયદાકાનૂન ઘડવામાં અને તે માટેનું જરૂરી તંત્ર ઊભું કરવામાં હજી આપણું ચૂંટણીપંચ ખાસ કંઈ કરી શક્યું નથી એવું લાગી રહ્યું છે ‌.

ચૂંટણી પંચે 'વાંધાજનક રાજકીય સંદેશાઓ' પર બંધી અને તેને ત્રણ કલાકમાં બ્લોક કરી દેવાની વાત કરી છે, પરંતુ આવડા મોટા દેશમાં કોને ઓબ્જેક્શ્નેબલ પોલિટિકલ કન્ટેન્ટ કહેવું તેની વિગતે છણાવટ ચૂંટણીપંચ કરી શક્યું નથી એ ચિંતાનો વિષય છે.

આ ચૂંટણી આખો મહિનો ચાલવાની છે એ દરમિયાન કેવાં કેવાં ભયજનક જુઠ્ઠાણાં – અફવાઓનો સામનો આ દેશનાં નાગરિકોને કરવો પડશે, એ સૌએ સમજવું રહ્યું અને દેશના નાગરિકોએ જ પોતાના શાણપણથી અને સ્વસ્થતાથી પ્રતિકાર કરવો એ એક મોટો પડકાર પણ સૌનો સહિયારો છે.

(સૌજન્ય : “ગુજરાત ગાર્ડિયન”, 10 એપ્રિલ, 2019)

https://www.facebook.com/manishi.jani/posts/2382107315141760

Loading

સ્વરાજ્ય ? ક્યાં છે સ્વરાજ ??

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|9 April 2019

પાંચાભાઈ દાજીભાઈ પટેલ ઊર્ફે પાંચાકાકાનું નામ, ભલા, આજે કેટલાંને સાંભરે ?

અને આ કોઈ લોકવારતાનું પાત્ર લગીર નથી. મારા સાહેબ, પાંચમાં પૂછાય તેવું એમનું કામ અને સ્થાન છે. સને ૧૮૭૬માં જન્મેલા, પાંચાકાકાએ ૧૯૩૭, ૧૯૪૬, ૧૯૪૭માં એમણે જ ખુદ મહાત્મા ગાંધીને પૂછેલું : તમે ઈચ્છ્યું છે તેવી પૂર્ણ સ્વરાજવાળી આઝાદી મળી છે કે ? … માનશો ? તે દહાડે ય ગાંધીજી એમની સાથે જ સહમત હતા.

અમદાવાદથી પ્રકાશિત “ગુજરાત સમાચાર”માંની પોતાની તત્કાલીન કોલમમાં, આપણા એક વરિષ્ટ વિચારશીલ અને કર્મશીલ પત્રકાર દિવંગત નીરુભાઈ દેસાઈએ ‘દેશના અદ્વિતીય સત્યાગ્રહી’ નામે એક લેખ કર્યો હતો. તેમાંનો આ ફકરો આની સાહેદી પૂરશે :

‘પણ પાંચા પટેલના જીવનની સુવાસ એ તેમની ટેકને લીધે છે. ઇ.સ. ૧૯૨૧માં સ્વરાજ માટેની લડત ગાંધીજી બારડોલીથી શરૂ કરવાના હતા. તેમાં જમીન મહેસૂલ ન ભરવાનો પણ એક કાર્યક્રમ હતો. પાંચા પટેલે સ્વરાજ ન મળે ત્યાં સુધી જમીન મહેસૂલ ન ભરવાની તે વેળા પ્રતિજ્ઞા લીધી હતી. ચૌરીચૌરાના હત્યાકાંડથી ગાંધીજીએ એ લડત મોકૂફ રાખી, પણ પાંચા પટેલે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે મહેસૂલ ન ભર્યું. લડત શરૂ થઈ ન હોવાથી કૉંગ્રેસ કાર્યકર્તાઓએ તેમને મહેસૂલ ભરી દેવાની સલાહ આપી. પણ એમની સલાહથી પાંચા પટેલના મનનું સમાધાન ન થયું. તેથી સાબરમતી આશ્રમમાં ગાંધીજીની સલાહ લેવા ગયા. વાતચીત દરમિયાન ગાંધીજીએ તેમને પૂછ્યું, ‘તમે કોની સલાહથી પ્રતિજ્ઞા લીધી ?’

પાંચા પટેલ − ‘તમે જ “નવજીવન”માં લખ્યું હતું કે અન્યાય સામે જે કાયદાનો વ્યક્તિગત સવિનય ભંગ કરે છે, તેને જગતમાં કોઈ દબાવી શકે શકે નહીં. એ વાંચીને મેં મારી જાતે જ નિર્ણય કરી લીધો.’

ગાંધીજી – ‘તમારી સાથે કોઈ ન હોય તોયે તમે લડત ચાલુ રાખશો ?’

પાંચા પટેલ – ‘હા.’

ગાંધીજી – ‘પણ એકલા પડી જશો એવો ડર ન લાગે ?’

ટાગોરના ‘એકલો જાને’ ગીતનો ઉલ્લેખ કરી તે બોલ્યા કે, ‘હું એકલો લડીશ.’

ગાંધીજીએ હસીને તેમને શાબાશી આપી અને બોલ્યા કે, ‘મારા તમને આશીર્વાદ છે; તમે મહેસૂલ નહીં ભરતા.’

ઇ.સ. ૧૯૪૭ના ઑગસ્ટની ૧૫મી તારીખે હિંદને સ્વરાજ મળ્યું પછી પાંચા પટેલને જમીનનો કબજો લેવાની વિનંતી કરવામાં આવી. જેમ હિંદના રાજકારણમાં સ્વરાજનો અર્થ ક્રમે ક્રમે વિકસતો ગયો, તેમ પાંચા પટેલની સ્વરાજની કલ્પના પણ વિકસતી ગઈ. તેમણે જણાવ્યું કે, ‘જ્યાં સુધી દેશમાં લશ્કરની મદદથી રાજ ચાલે છે ત્યાં સુધી તે સાચું સ્વરાજ નથી. મારું સ્વરાજ હજી આવ્યું નથી. માટે હું મહેસૂલ નહીં ભરું અને એ જમીન પણ મારે ન જોઈએ.’ ગાંધીજીએ જ્યારે આ વાત જાણી ત્યારે તેમણે લખ્યું કે, ‘પાંચા પટેલની ટેક અદ્વિતીય જ રહેશે.’

•

આ લેખના પ્રત્યુત્તરમાં, કાંઠા વિસ્તારના એક મુઠ્ઠી ઊંચેરા કર્મશીલ દિવંગત દિલખુશ દિવાનજીએ, વિશેષ વિગત પૂરી, લખેલું :

૧૯૩૭-૩૮માં દેશભરમાં પ્રાંતોમાં કૉંગ્રેસ સરકારો સ્થપાઈ. મુંબઈ સરકારના મહેસૂલ પ્રધાન મોરારજીભાઈ (દેસાઈ) હતા. જે જમીનો જપ્ત થયેલી તે બધી જ સત્યાગ્રહી ખેડૂતોને પાછી આપી. તલાટી અને ગામના અગ્રણી પાંચાકાકાના ઝૂંપડામાં પહોંચ્યા. પાંચાકાકાએ સ્પષ્ટ જણાવી દીધું. મારી પ્રતિજ્ઞાનું પાલન થતું નથી. તલાટી ગામનેતાઓ મૂંઝાયા. છેવટે એમના ભત્રીજા વાલજીભાઈને નામે એ જમીન નોંધાઈ. ભત્રીજાએ પણ એ જમીનનું મહેસૂલ ન ભરવાનો નિર્ણય તલાટીને જણાવી દીધો. મામલો હરિપુરા કૉંગ્રેસમાં આવેલા ગાંધીજી પાસે ગયો. પાંચાકાકા એ અધિવેશનમાં સફાઈ સેવક તરીકે પહોંચી ગયા હતા. બાપુએ એમને સમજ આપી કે કૉંગ્રેસ સરકારને જમીન મહેસૂલ આપવું જોઈએ.

અભણ ગણાતા પાંચાકાકાએ બાપુને સમજ આપી કે એ પ્રાંતીય સ્વરાજ્ય તો રમકડા જેવું સ્વરાજ્ય છે. બાપુએ જણાવ્યું – ‘તમારી વાત સો ટકા સાચી.’

મોરારજીભાઈ તે વખતે હાજર હતા. બધા મૂંઝાયા. બાપુ કંઈ પ્રતિજ્ઞાભંગની સલાહ ન જ આપે. પ્રતિજ્ઞા તો સંપૂર્ણ સ્વરાજ્યની હતી.

બાપુ તો સત્યના શોધક અને ઉપાસક. એમને સૂઝી ગયું. ‘દિલખુશભાઈ તમારે ત્યાં ખાદીનું કામ કરે છે. સંપૂર્ણ સ્વરાજ્ય મળે ત્યાં સુધી મહેસૂલ એ ભરશે. તમારી જમીન એમને ખાદીકાર્ય માટે આપી દો.’

પાંચાકાકાની પણ મૂંઝવણ હતી. ગાંધીકુટિરને તે વાપરવા આપી. અમે ત્યાં બાવળનાં ઝાડ કપાવી દઈ જમીન ચોખ્ખી કરી. પાંચાકાકાને કહ્યું કે લાકડા લઈ જાઓ. એમનો જવાબ હતો કે ‘સત્યાગ્રહીને જમીનનું તણખલું પણ ન ખપે.’

૧૯૪૨ની લડત આવી. એમાં પણ પાંચાકાકાએ શિક્ષાત્મક દંડ ન ભર્યો. કોઈકે ભરી દીધો. સત્યાગ્રહી પાંચાકાકાને સરકારે કશી શિક્ષા કરવી ન હતી એટલે બીજા પાસે દંડ ભરાવી દીધો.

પાંચાકાકા ભલે અભણ ગામડિયા, પણ એમનામાં સ્વતંત્ર ભારતને શોભે એવું ખમીર હતું. જમીન ન જ લીધી.

મેં ફરી સમજ આપી. ‘પાંચાકાકા, મારી કે તમારી હયાતીમાં એવું સ્વરાજ્ય નહીં મળે.’

‘તે હું જાણું છું, તેથી કંઈ મારી હયાતીમાં જમીન ખેડવી નથી.’

બાપુને મેં પત્ર લખી જણાવ્યું કે પાંચાકાકા હજી અણનમ છે. રામરાજ્ય સ્થપાય તો જ જમીન મહેસૂલ ભરે.

બાપુએ “હરિજનબંધુ”માં નોંધ લખી : ‘હિન્દુસ્તાનભરમાં પાંચાકાકાની ટેક અદ્વિતીય જ રહેશે.’

ચાર માસ પછી એમના ભત્રીજા વણાટ શીખવતાં હૃદયરોગથી મૃત્યુ પામ્યા.

બાપુએ “હરિજનબંધુ”માં અંજલિ આપી કે ‘પવિત્ર કામ કરતાં ચાલ્યા ગયા તો ધન્ય મૃત્યુ છે.’

માંડ માંડ સમજાવી શક્યા કે તમારી આવી મુશ્કેલીમાં અમે તમારા મિત્રો અનાજ કપડાંની મદદ કરીએ તો સ્વીકારો.

‘તું શું કામ ચિંતા કરે છે ? વાલજી વર્ષો સુધી કાંતેલા સૂતરની ખાદી વણી ગયા છે તે ચાલશે. અનાજ માટે મારું ફોડી લઈશ.’

પરંતુ આખરે એટલી સંમતિ આપી કે સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ લઈ આવશે. તેનું બિલ ખાદીકેન્દ્રે ચૂકવવું.

થોડાં વર્ષો બાદ (૧૫ ફેબ્રુઆરી ૧૯૫૧ના રોજ) પાંચાકાકા અવસાન પામ્યા.

આવા હતા કરાડીના અણનમ સત્યાગ્રહી પાંચાકાકા.

•

‘કેળવણીનો કીમિયો’, પુસ્તકના ‘વડ તેવા ટેટા’ પ્રકરણમાં (પાનું ૮૫-૮૬), ઉમાશંકર જોશીએ નોંધ્યું છે તે ય રસ પડે તેવું છે :

‘બપોરે અમે કરાડી-મટવાડની શહીદભૂમિ તરફ જવા નીકળ્યા. વચ્ચે પાંચાકાકાનું ઘર આવતું હતું, એમના દર્શને ગયા. સરકાર સામે અણનમ રહી ઝૂઝનાર વૃદ્ધ પાંચાકાકાનું દર્શન પાવનકારી હતું. સરળ ઉમળકાથી એમણે અમને આવકાર્યા. મજામાં તો છો ને ? એ બાજુ વરસાદ બધે કેવોક છે ? − એમ કુશળ સમાચાર પૂછ્યા. વરસાદ બધે જ નથી એ ઉપરથી દેશની સ્થિતિ પર વાત ચાલી : જુઓને, લોક પૈસો પૈસો કરે છે, કાળાંબજાર કરે છે. બાપુજીની વાત આપણે માની નહિ. ગાંધીજી માટેની એમની ભક્તિ શ્વાસે શ્વાસે વરતાતી હતી, ઓશરીને છેડે ગાંધીજીની છબી હતી. ત્યાં ગાંધીજીની ૭૮મી વરસગાંઠ પછી રોજ સવારસાંજ દીવો થાય છે. ધર્મની વાત પાંચાકાકા નરી સ્વાભાવિકતાથી કરતા હતા, વચ્ચે એકબે કડી સંતવાણી ગાઈ સંભળાવે. ‘દીનદયા ઔર આતમપૂજા, એ સિવાય ધરમ નહીં દૂજા’ − એટલું આપણે તો જાણીએ છીએ એમ કહી એમને દેખાતું નથી તે વાતે વળ્યા. એમને બંને આંખે મોતિયા વળ્યા છે. એટલામાં બીજી મંડળી પાંચાકાકાને મળવા આવી પહોંચી. એ વખતે પાંચાકાકાનો સાચો પરિચય તો થયો. એ અકળાઈ ઊઠ્યા. કપાળે બેત્રણ વાર હાથ અડાડી કહે : મને આંધળાપણું શીદ આવ્યું ? હું શાળા ઉપર નહિ જાત ! આ સૌને અહીં શું કરવા આવવાની તસ્દી લેવી પડે ? અંદરના મોટા પડાળિયામાંથી કેડથી વાંકાં વળી ગયેલાં ડોશી બહાર આવ્યાં અને સૌને બેસાડવાની વ્યવસ્થા કરવા લાગ્યાં. નવા આવેલાઓની સાથે પાંચાકાકા વાતે લાગ્યા. અમે વિદાય લીધી. એક વીર પુરુષની સ્વાભાવિક કોમળતાનું દર્શન કરી અમે આગળ ચાલ્યા.’

•

એક વાર સરદાર વલ્લભભાઈ પટેલને પાંચાકાકાએ કહેલું, ‘ગરીબોને રોટલો મળે તેવું સ્વરાજ્ય સ્થાપજો.’ સ્વરાજ્યની તેમની કલ્પના કેટલી ઉદ્દાત ભાવનાથી રંગાયેલી હતી, તેનો ખ્યાલ તેમના આ વાક્ય પરથી આવશે. ૧૯૪૬માં આરઝી હકૂમત સ્થપાઈ. જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ દિલ્હીના પ્રધાનમંડળમાં ગયા. એ પ્રસંગે ય જમીન પાછી લેવાની પાંચાકાકાને વિનંતી થઈ. ૧૯૪૭માં આઝાદી આવી. ફરી તે જ વિનંતી. એમણે ના પાડી અને સામે કહ્યું : ‘જ્યારે પોલીસ – લશ્કરની મદદ વિના પ્રજા રહેતાં શીખશે ત્યારે જ સ્વરાજ્યની મારી ટેક પૂરી થશે. બાપુ ક્યાં સાબરમતી પાછા ગયા છે ? બાપુ સાબરમતી જશે ત્યારે જમીન ખેડીશ અને મહેસૂલ ભરીશ.’

આખરે બાપુ પણ ગયા. પાંચાકાકાએ પોતાની સંપૂર્ણ સ્વરાજ્યની જ્વલંત ટેક છેવટ સુધી – મરણ પર્યન્ત – જાળવી. જમીન ન જ ખેડી અને મહેસૂલ ન જ ભર્યું.

આજે, આટઆટલાં વર્ષે, આ પાંચાકાકાવાળો તે મહાભારત સવાલ તેમનો તેમ ઊભો છે – નિરુત્તર. ક્યાં ય ‘સ્વરાજ્ય’ની ભાળ મળે છે ખરી કે ? − શું ભારતમાં, શું અમેરિકામાં કે શું વિલાયત સમેતના યુરોપમાં. સઘળે આમ આદમીને કેન્દ્રમાં રખાયો હોય તેમ અનુભવવા મળતું નથી. હા, લોકશાહી છે, અને તેની રસમમાં મતવાળી કરવાની છે, માટે ‘લોક’ની વાત કરવી સહજ હોય છે. પરંતુ તે લોક, તે આમ આદમી, તે છેવાડાનો માણસ, તે દરિદ્રનારાયણ, ભલા, છે ક્યાં ? બોલબાલા તો રાજકારણીઓની, વેપારવણજના લોકોની, ધરમકરમના ધણીધોરીઓની અને દાણચોરોની – રુશવતખોરોની – આતંકવાદીઓની જોવા મળે છે ! ક્યાં ય ‘ગરીબોને રોટલો મળે તેવું સ્વરાજય’ દેખવા મળે છે કે ?

માનવ ઇતિહાસ તપાસીએ છીએ ત્યારે સમજાય છે કે સમય સમયે અનેક સ્વપ્નસેવીઓ આવ્યા છે અને તે દરેકે ચેતનાનો સંચાર કર્યો છે. તે દરેકે બોલવાનું રાખ્યું છે, લખવાનું રાખ્યું છે અને કહેવાનું રાખ્યું છે. અને તેમ છતાં, પછી, તેની અસર કેમ ઓસરતી ભાળીએ છીએ ?

સ્વરાજ્યની લડત વેળા, દાદાભાઈ નવરોજીના ગાળાથી, કે પછી તે પહેલાંના વારાથી પણ, એકમેકથી ચડિયાતા સ્વપ્નસેવીઓ હિંદે દીઠા છે. મહાત્મા ગાંધીના સમયગાળામાં, વળી, સમાજને દરેક સ્તરે આવા આગેવાનોની મોટીમસ્સ ફોજ કામ કરતી હતી. ગુજરાતમાં હમણાં હમણાં સુધી આવા અનેક તપેશરીઓનું તપ આપણને ઉજાગર કરતું હતું. અને છતાં આવું કેમ ?

નેવુંના દાયકાથી નવ્ય ધનવાનોનો એક વર્ગ અહીંતહીં ચોમેર ઊભો થયો છે. પશ્ચિમના દેશો સહિતના દુનિયાના સમૂળા પટમાં, તેમના ધંધાધાપાની સ્વાભાવિક બોલબાલા છે. દૂંદાળા કોરપોરેટ સેક્ટરની તાકાત વિસ્તરતી ચાલી જ છે. આપણે અચરજે આ જોયા જ કરીએ છીએ. તેમાં ખેડૂતો, નાના વેપારીઓ, નાના અમથા કલકારખાનેદારો, અનેક પ્રકારના કામદારો ડૂબી રહ્યા છે. ગરીબો વધુ ગરીબ બનતા ચાલ્યા છે, ધનવાનો વિશેષ ધનવાન. અને આ બધું, મારા મહેરબાન, વિકાસને નામે પારાયણ ચાલે છે !

આપણામાંનાં પાંચાકાકાને, હવે, પરિણામે, જગવવાની તાતી જરૂરત છે. આપણે ય ખુદ સવાલ ઊભા કરવા છે અને જવાબ ખોળવા કર્મશીલ બનવાનું હવે ટાણું જગવવા જેવું છે.

પાનબીડું :

वन्दे मातरम् । 

आज लपेट दो सारे झण्डे और रख दो इक कोने में
एक नया झण्डा रँगना है अपने रक्त सलोने में
आज लपेट दो सारे झण्डे और रख दो इक कोने में
 
यह झण्डा न इसका होगा न उसका कहलायेगा
जिसको भी है प्यार वतन से वही इसे उठायेगा
दुश्मन पर टूटेगा तो यह बिजली बनकर कड़केगा
अपनों पर छायेगा तो सुख का बादल बन जायेगा
आओ वक़्त गँवाओ ना आपस के रोने धोने में
 
आज लपेट दो सारे झण्डे और रख दो इक कोने में
एक नया झण्डा रँगना है अपने रक्त सलोने में
आज लपेट दो सारे झण्डे और रख दो इक कोने में
                                                        ~ प्रेम धवन

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

(સંવર્ધિત)

હેરૉ, 07 ઍપ્રિલ 2019

Loading

...102030...2,8932,8942,8952,896...2,9002,9102,920...

Search by

Opinion

  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335
  • પ્રચંડ ધડાકો અને ઉલ્કાપાત

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved