Opinion Magazine
Number of visits: 9578336
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આલૂપૂરી અને બીજાં ચટાકેદાર કાવ્યો

દીપક બારડોલીકર|Poetry|2 January 2019

લો જી, આવ્યાં આલૂપૂરી
અસુખની કરશે એ નાબૂદી

ખાયે બુઢ્ઢા, થાય ટટ્ટાર
જાણે ઘોડા પાણીદાર
દમિયલજી તો પાડે ત્રાડ
ઉખડી જાયે જંગી ઝાડ

ફડફડતો પૂરીનો ઘાણ
પથ્થરમાં પૂરી દે પ્રાણ
ને આલૂનું ચટક શાક
બેસાડે દુશ્મન પર ધાક

આલૂપૂરી શક્તિસાર
જગાડે રુચિનો રણકાર
ચાખે છે સૌ ભાયગશાળી
ખાવે તેનો બેડો પાર

લો જી, આવ્યાં આલૂપૂરી
અસુખની કરશે એ નાબૂદી
ખાઓ, કરશો ના કંજૂસી !

•

વાલવલોળ

તાજાં વાલવલોળ
જાણે તારા બોલ

હરા મિરચમસાલે આથ્યાં
લીલ્લા લશુન સંગે પાક્યાં
ચટાકેદાર
લિજ્જતદાર
ખાઓ, વાલવલોળ
ખાયે તેનાં વાગે ઢોલ !

સ્વાદ એનો ભૂલાય નહીં
ચટાકા મોંથી જાય નહીં
લિજ્જત એવી, જાણે તારા
લટકાની રસછોળ !
તાજાં વાલવલોળ
ખાયે તેનાં વાગે ઢોલ !

•

વઘાર

એ હતો
ઘીમાં કડકડાવેલાં
રાઈ-મરચાંનો વઘાર;

કે મસૂરની દાળ
બની ગઈ શાહી પકવાન !

•

શાકાહારી

હું છું શાકાહારી
છે સૌથી દિલદારી

મારી સૃષ્ટિ છે લીલીછમ
ને નસ નસમાં છે ઉચ્છલતાં
ધરતીમાનાં રસકસ – દમખમ
ના છે આ પતરાજી
હું છું શાકાહારી

ખેતર – વાડી મારી અંદર
દાણોદૂણી મારી અંદર
ફળરસકૂંડી મારી અંદર
આ છે હકીકત સાચી
હું છું શાકાહારી

દૂધમલાઈનો હું ભેરું
સ્નેહસગાઈનો હું ભેરુ
સર્વ ખુદાઈનો હું ભેરું
ના છે આ લફ્ફાઝી
હું છું શાકાહારી

•

તુવેરપુલાવ

અમસ્તા આપ
ખાઓ ના ભાવ

આવો, હ્યાં બેસો પાટલે
કંબલ આ ફેંકો ખાટલે

છે તૈયાર
સુગંધીદાર
લહેજતદાર તુવેરપુલાવ !

ઓ રે સાહબ
થોડુંક ચાખો
ચિંતા બધીયે થાશે ગાયબ
વ્યાપશે ભીતર આનંદલ્હાળ
ખાઓ તુવેરપુલાવ

માણો ભેગી મઠાની મોજ
રહે ન પાપડ, અચારની ખોટ
ઉચ્છલશે લહેજતરસછોળ

હો જાણે ગેબી સરપાવ
ખાઓ તુવેરપુલાવ !
•

રતાળુ તાજાં

આવો ને ઓ મોટમજી
કરો ન નખરા ફોગટજી

છે રતાળુ તાજમતાજાં
ચટાકેદાર ને ફડફડતાં
લિજ્જત એની છે રુચિકર
ગુણકારી ને સુગંધસભર

ચાખો રતાળુ મસાલેદાર
વિસરાશે લાડુ-કંસાર

ઉભરાશે તાકતનો તોર
ઉખડી જાશે કીકર, કોટ
ખાયે નવાબ – રાજા
રતાળુ તાજમતાજાં

•

ગરમમસાલો

ગરમમસાલો ચતડ, તીખો
છે તમતમતો ખુશ્બૂદાર
ગરમમસાલો નાખો ત્યારે
રસોઈ થાયે લિજ્જતદાર
ગરમમસાલો આ ઠાઠ
મરીઝ ત્યજી દે છે ખાટ

•

Loading

આવી મુલાકાતો ઉઘાડી પત્રકાર પરિષદની જગ્યા ન લઈ શકે સાહેબ! પત્રકાર પ્રજા વતી સવાલ કરે છે. તેના જવાબ આપવાની હિંમત પણ હોવી જોઈએ અને ફરજપરસ્તી પણ હોવી જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|1 January 2019

વડા પ્રધાન પાસેથી પત્રકાર પરિષદની અપેક્ષા છે. પત્રકાર પરિષદમાં અને એક પત્રકારને આપવામાં આવતી મુલાકાતમાં જમીન-આસમાનનો ફેર છે. મુલાકાત પઢાવેલી હોઈ શકે છે અને આવી એક મુલાકાત તેમણે અર્નબ ગોસ્વામીને આપી પણ હતી. એ મુલાકાત અર્નબ ગોસ્વામીએ નરેન્દ્ર મોદીના ખોળામાં બેસીને દૂધ પીતાં પીતાં લીધી હોય, એવી હતી એટલે આ વખતે મુલાકાતી પત્રકારને થોડે છેટેથી અઘરાં પ્રશ્નો પૂછવાની છૂટ આપવામાં આવી હતી. આમાં પાછી ધારદાર પેટા પ્રશ્નો પૂછવાની છૂટ નહોતી. પ્રશ્ન પૂછવાનો અને જે જવાબ મળે એ સ્વીકારી લેવાનો. આનો અર્થ એ થયો કે જવાબના સ્વરૂપમાં નિવેદનો કરવામાં આવ્યાં હતાં, જે રીતે ‘મન કી બાત’માં કરવામાં આવે છે. ‘મન કી બાત'માં સામે અરીસો હશે અહીં પત્રકાર હતો, એટલો ફરક.

પત્રકાર પરિષદમાં આવી મોકળાશ હોતી નથી. ત્યાં કોઈ પણ પત્રકાર કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે અને પેટા પ્રશ્ન પણ પૂછે છે. એક પત્રકાર કોઈ કારણસર પ્રશ્નની પૂંઠ પકડવાનું છોડી દે તો બીજો પત્રકાર એને પકડી લે. શાસકોને મૂંઝવણમાં મૂકવા, તેમને ઘેરવા, માહિતી કઢાવવી, વિરોધાભાસો અને વિસંગતિઓ ઉઘાડાં પાડવાં એ પત્રકારનો ધર્મ છે. બાહોશ પત્રકાર એને કહેવાય જે આ કરી શકે.

મારા પત્રકારત્વકીય અનુભવ મુજબ પત્રકાર પરિષદના ચાર પ્રકાર છે. સર્વોચ્ચ સ્થાનેથી એટલે કે મુખ્યત્વે વડા પ્રધાન અને રાજ્યના મુખ્ય પ્રધાનો સમયાંતરે ખાસ પત્રકાર પરિષદનું આયોજન કરે છે. દેશમાં કે રાજ્યમાં શું ચાલી રહ્યું છે અને શું યોજનાઓ કે અવરોધો છે તેનાથી પ્રજાને માહિતગાર કરવા માટે આવી પત્રકાર પરિષદ યોજવામાં આવે છે. આમ તો પ્રશ્નોની અને મુદ્દાઓની લોકોને જાણ હોય જ છે, પરંતુ સર્વોચ્ચ સ્થાનેથી તેનો ખુલાસો કરવામાં આવે તેનું મહત્ત્વ વિશેષ હોય છે. લોકશાહી દેશમાં દેશનો ચૂંટાયેલો શાસક પત્રકાર પરિષદ દ્વારા પ્રજા સાથે સંવાદ કરે છે. આ વડા પ્રધાનનો અને રાજ્યોનાં મુખ્ય પ્રધાનોનો રાજધર્મ છે.

બીજો પ્રકાર કોઈ મોટો નિર્ણય લેવાયો હોય અથવા કોઈ મોટી ઘટના બની હોય ત્યારે બોલાવવામાં આવતી પત્રકાર પરિષદ. પ્રજાના મનમાં સ્વાભાવિકપણે અનેક પ્રશ્નો હોય, કદાચ ભય પણ હોય, ખોટી ભ્રમણા હોય કે જોખમનું ભાન ન હોય ત્યારે શાસકો શંકાઓનું સમાધાન કરવા, ભય દૂર કરવા કે પછી સંભવિત જોખમો સામે સાવધ કરવા ખાસ પત્રકાર પરિષદ બોલાવે છે.

ત્રીજો પ્રકાર જાહેર સ્થળે પત્રકારો સાથે કરવામાં આવતી વાત. શાસક કોઈ સ્થળે કોઈ કાર્યક્રમ માટે આવ્યો હોય કે કોઈને મળવા ગયો હોય, અથવા વિદેશ મુલાકાતેથી પાછો ફર્યો હોય ત્યારે જે તે સ્થળે પત્રકારો તેમને આંતરે છે અને સવાલો પૂછે છે. એ સવાલો મુખ્યત્વે એ ઘટના અંગેના જ હોય છે, પણ આયોજિત નથી હોતા. જેમ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને મળવા જાય કે આર.એસ.એસ.ના સરસંઘચાલક મોહન ભાગવતને મળવા જાય તો સ્વાભાવિકપણે લોકોના મનમાં ઉદ્દેશ વિષે પ્રશ્નો થશે. નરેન્દ્ર મોદી મળીને જ્યારે બહાર આવે ત્યારે પત્રકારો પ્રશ્ન પૂછતા હોય છે. જો કોઈ કારણસર જવાબ ન આપવો હોય તો ‘નો કમેન્ટ્સ’ કહીને હાથ જોડીને જતા રહે, પણ પત્રકારોનો સામનો કર્યા વિના બારોબાર જતા ન રહે. તમે આવાં ઘણાં દૃશ્યો જોયાં હશે.

ચોથો પ્રકાર પત્રકાર સંઘ દ્વારા બોલાવવામાં આવતી પત્રકાર પરિષદ. દરેક શહેરમાં પત્રકાર સંઘો વરસમાં એકકાદ બે વાર રાજકારણીઓને બોલાવતા હોય છે. આવી પત્રકાર પરિષદ સાધારણ રીતે શરદ પવાર જેવા પીઢ નેતાઓ સાથે યોજાતી હોય અને તેઓ પણ વિશાળ કેનવાસ પર વાત કરતા હોય છે. એમાં તાત્કાલિક પ્રશ્નો પણ હોય છે અને અતીત તેમ જ ભવિષ્યની પણ વાત થતી હોય છે.

નેતાઓ સાથેના વાર્તાલાપનો એક પાંચમો પ્રકાર પણ છે. એમાં જાહેર જનતાની હાજરીમાં વિશાળ હોલ કે મેદાનમાં પ્રશ્નકર્તાઓની પેનલ શાસકને સવાલ પૂછતી હોય છે. કેટલાક પ્રશ્નો જાહેર જનતા પાસેથી પણ લેવામાં આવે છે. પ્રશ્નકર્તાઓની પેનલમાં પ્રતિસ્પર્ધી પક્ષના નેતાઓને પણ લેવામાં આવ્યા હોય એવું પણ બને છે. આ છેલ્લો પ્રકાર બહુ સમાન્ય નથી, પણ મહારાષ્ટ્રમાં એ વધારે પ્રચલિત છે.

અહીં પત્રકારો સાથેની વાતચીતના જે ચાર પ્રકાર ગણાવ્યા છે એ અત્યંત રાબેતાના છે. ઘરે જેમ દૂધવાળો આવે એમ નેતાને પત્રકાર મળે, કારણ કે એ નેતા છે. જેને કાંઈક કહેવાનું હોય એને જ પૂછવાનું હોય! પ્રણવ મુખર્જી બહુ મોટા નેતા છે, પરંતુ પત્રકારો તેમને મળવા ટળવળતા નથી કારણ કે એક નિવૃત્ત શાસક તરીકે અત્યારે તેમણે કાંઈ જ કહેવાનું જ નથી. બહુ બહુ તો તેઓ અતીત વાગોળશે. આમ નેતાનો અને પત્રકારનો સંબંધ આર્ટિસ્ટ અને મેકઅપ મેન જેવો છે. પત્રકાર મોટાભાગે મેકઅપ ઉતારતો હોય છે. નેતાનો મેકઅપ ઉતારવો એ પત્રકારનો ધર્મ છે તો બીજી બાજુ પ્રજાનો, પ્રશ્નોનો અને લોકપ્રતિનિધિગૃહનો સામનો કરવો એમાં શાસકની ખરી મર્દાનગી છે.

મને યાદ નથી કે જગતના કોઈ નેતાએ પત્રકારને પીઠ બતાવી હોય. મને તો એક પણ નામ યાદ નથી આવતું. સામાન્ય કદ ધરાવનારા, કોઈ વાતે કુખ્યાતિ ધરાવનારા, હાસ્યાસ્પદ મેનરીઝમ ધરાવનારા શાસકો પણ પત્રકારોને મળતા રહ્યા છે. નરેન્દ્ર મોદી આધુનિક વિશ્વના કદાચ પહેલા શાસક છે જેઓ પત્રકારોના ઉપર વર્ણવ્યા એવા ચારે ય પ્રકારથી દૂર ભાગે છે. છેલ્લા કેટલાક સમયથી માગણી થઈ રહી છે કે નરેન્દ્ર મોદીએ પત્રકાર પરિષદ બોલાવવી જોઈએ. જેમને પપ્પુ તરીકે ઠેકડી ઉડાડવામાં આવતી હતી, એ રાહુલ ગાંધી ઉપર ગણાવ્યા એવા ચારે ય પ્રકારે પત્રકારોને મળે છે. તેમણે પોતાની પત્રકાર પરિષદનો ફોટો લઈને વડા પ્રધાનને ટ્વીટ કર્યો હતો અને વડા પ્રધાનને પત્રકારોને મળવાનો પડકાર ફેંક્યો હતો. એ પછી ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે વડા પ્રધાનને પત્રકારોથી દૂર ભાગવાના વલણ વિષે ટોણો મારતા કહ્યું હતું કે તેઓ ઓછું બોલતા હતા એ ખરું, પણ પત્રકારોના સવાલોથી ડરતા નહોતા કે ભાગતા નહોતા. હવે જ્યારે મુદ્દત પૂરી થવામાં છે, ત્યારે કમસેકમ એક વાર પત્રકારોનો સામનો કરવાની માગણી મોટેથી થવા લાગી છે.

ન્યુઝ એજન્સીને આપવામાં આવતી મુલાકાત ઉઘાડી પત્રકાર પરિષદની જગ્યા ન લઈ શકે! પત્રકાર પ્રજા વતી સવાલ કરે છે. તેના જબાવ આપવાની હિંમત પણ હોવી જોઈએ અને ફરજપરસ્તી પણ હોવી જોઈએ. બાકી દૂર ઊભા રહીને કોઈ પડકારે નહીં એમ હાકલા પડકારા તો બધા જ કરી શકે છે. જે દેવગૌડા કરી શકે, એ નેહરુ કરતાં પણ પોતાને મોટા માનનારા વિરાટપુરુષ ન કરી શકે?

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 04 જાન્યુઆરી 2019

કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય

Loading

લોકશાહી ધોરણે ચૂંટણી લડવામાં આવતી હોવા છતાં બંગલાદેશમાં સેક્યુલર બંગાળી અસ્મિતાવાદી ડિક્ટેટરશિપ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|1 January 2019

બંગલાદેશમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામ અપેક્ષા મુજબનાં છે. મેં બે મહિના પહેલાં બંગલાદેશનો પ્રવાસ કર્યો ત્યારે જ સર્વત્ર નજરે પડતું હતું કે બંગલાદેશમાં શાસક પક્ષ અવામી લીગ સામે વિપક્ષ કોઈ અસ્તિત્વ જ નથી ધરાવતો. અસ્તિત્વ નથી ધરાવતો એનો અર્થ એ નથી કે બંગલાદેશમાં વડાં પ્રધાન શેખ હસીના લોકપ્રિયતાની ટોચે છે અને ભૂતપૂર્વ વડાં પ્રધાન અને બંગલાદેશ નેશનાલિસ્ટ પાર્ટીનાં નેતા બેગમ ખાલેદા ઝિયાનો પક્ષ લોકોની નજરમાં સાવ ઊતરી ગયો છે. આનું કારણ એ છે કે શાસક પક્ષે બંગલાદેશમાં વિરોધ પક્ષોને અને મુખ્યત્વે ખાલેદા ઝિયાને તેમ જ તેમનાં પક્ષને કચડી નાખ્યો છે. આને કારણે બંગલાદેશનું રાજકારણ એકપક્ષીય બની ગયું છે. શાસક મોરચો કહેવા પૂરતો છે, રાજ હસીના વાજેદ એકહથ્થુપણે ભોગવી રહ્યાં છે. લગભગ આવી જ સ્થિતિ બે દાયકા પહેલાં પણ હતી જ્યારે બેગમ ખાલેદા ઝિયા વડાં પ્રધાન હતાં.

બંગલાદેશમાં દરેક કિશોરે તરુણાવસ્થામાં પહોંચતાં પહેલાં એક નિર્ણય લેવો પડતો હોય છે; મુસ્લિમ ફર્સ્ટ કે બંગાળી ફર્સ્ટ. જ્યાં મુસ્લિમ હોવાની ઓળખ અને બંગાળી હોવાની ઓળખ વચ્ચે સમાન સ્તરે સહઅસ્તિત્વ શક્ય નથી, ત્યાં પૂરક હોવાનો તો સવાલ જ નથી. ઇસ્લામિસ્ટો મુસ્લિમપણા સિવાયની બીજી ઓળખો ભૂંસી નાખવાનો આગ્રહ રાખે છે, એટલે તેમને મન હિંદુ-મુસ્લિમ-પહાડી બૌદ્ધોની સંયુક્ત બંગાળી અસ્મિતા ઇસ્લામિક અસ્મિતાને વિકસાવવામાં તેમ જ ઘનીભૂત કરવામાં અવરોધરૂપ લાગે છે. બીજી બાજુ બંગલાદેશીઓનો ભાષાપ્રેમ પણ એટલો જ તીવ્ર છે. રવીન્દ્રનાથના ભોગે તેઓ મૌલવીની આંગળી પકડવા તૈયાર નથી, પછી રવીન્દ્રનાથ ભલે ભારતીય હિંદુ રહ્યા. આમ પરસ્પર બે દિશાના વિરોધભાસી ખેંચાણને કારણે બંગલાદેશી કિશોરે નિર્ણય લેવો પડે છે કે તે પહેલાં ઇસ્લામપરસ્ત મુસલમાન છે કે બંગાળીપરસ્ત બંગાળી છે.

બહુ ઓછા બંગલાદેશી સ્પષ્ટ નિર્ણય લઈ શકે છે. સરેરાશ બંગલદેશી બે અંતિમો વચ્ચે ફંગોળાય છે. જેનો જુવાળ તીવ્ર હોય તેની પાછળ સામાન્ય લોકો જાય એને કારણે ઘડિયાળના લોલકની માફક બંગલાદેશનું રાજકારણ એક અંતિમેથી બીજા અંતિમે જાય છે. છેલ્લાં કેટલાક સમયથી જુવાળ બંગાળી અસ્મિતાની તરફેણમાં છે. પરંતુ એનો અર્થ એવો નથી કે વિરુદ્ધ દિશાનો પ્રવાહ સાવ થંભી ગયો છે. સપાટીની નીચે ઇસ્લામિક અસ્મિતાનો પ્રવાહ મજબૂત છે અને તે વધુને વધુ મજબૂત થતો જાય છે. જાણકારો કહે છે કે બંગલાદેશ આઝાદ થયો ત્યારે જેટલો ઇસ્લામિક મુસ્લિમ હતો એનાં કરતાં આજ વધુ છે. મૂળભૂતવાદી આક્રમક ઇસ્લામીકરણના પ્રભાવથી બંગલાદેશ પણ મુક્ત નથી. બંગાળી અસ્મિતા જમીન ગુમાવી રહી છે એનો સ્વીકાર બંગાળી અસ્મિતાપરસ્ત લોકો પણ કરે છે.

વિડંબના એવી છે કે સેક્યુલર લિબરલ બંગલાદેશીઓએ સેક્યુલર લિબરલ બંગાળી બંગલાદેશને બચાવવા માટે શેખ હસીના વાજેદની નખશીખ સરમુખત્યારશાહી, એક પક્ષીય શાસન અને ખાનદાની શાસનવ્યવસ્થાને ટેકો આપવો પડે છે. તેઓ એ હોંશેહોંશે કરે છે, કારણ કે તેમને તેમના દેશને ઇસ્લામિક મૂળભૂતવાદીઓના જડબામાં જતો બચાવવો છે. એકવાર તાનાશાહી પરવડશે, પણ ઇસ્લામિક રાજ્ય નહીં પરવડે. બીજું ઇસ્લામિક રાજ્યમાં પણ ક્યાં લોકતંત્ર હોવાનું. તેઓ આટલેથી અટકતા નથી, શેખ હસીનાની એકાધિકારશાહીને તેઓ અનિવાર્ય અનિષ્ટ તરીકે જુએ છે, તેનો બચાવ કરે છે અને શેખ મુજીબુર રહેમાનને આધુનિક બંગલાદેશના જનક અને પોષક તેમ જ શેખ હસીનાને આધુનિક બંગલાદેશના રક્ષક તરીકે જુએ છે. શેખ મુજીબુર રહેમાનને ગાંધીજીની સાથે સરખાવવામાં આવે છે.

આવું થોડું ક એક સમયે પાકિસ્તાનમાં પણ બનતું હતું. પાકિસ્તાનના સેક્યુલર લિબરલ મુસલમાનો લશ્કરી સરમુખત્યારોને ટેકો આપતા હતા અને લોકતંત્રનો આગ્રહ જતો કરતા હતા. એક ઝિયા-ઉલ-હક્કનો અપવાદ બાદ કરતાં પાકિસ્તાનના તમામ લશ્કરી સરમુખત્યારો પ્રમાણમાં સેક્યુલર-લિબરલ હતા. આને કારણે અમેરિકા અને પાશ્ચાત્ય દેશો પણ સરમુખત્યારોને ટેકો આપતા હતા. લોકતંત્ર ઇસ્લામનું રાજકારણ કરનારા ધર્મઝનૂની શાસકો માટે રસ્તો કંડારી આપે એનાં કરતાં સરમુખત્યારી સારી. ૧૯૭૯માં સોવિયેત રશિયાએ અફઘાનિસ્તાનનો કબજો કર્યા પછી અમેરિકાએ પાકિસ્તાનના પહેલા ધર્મઝનૂની સરમુખત્યાર ઝિયા-ઉલ-હક્ક સાથે મળીને ઇસ્લામિક મૂળભૂતવાદને ખાતર-પાણી આપ્યાં અને ત્રાસવાદીઓ પેદા કર્યા એ જુદી વાત છે. વાતનો સાર એટલો કે ઇસ્લામનો સીધો કે આડકતરો સહારો લેનારા રાજકીય પક્ષોને કોઈ પણ ભોગે, બિનલોકશાહી ધોરણે સુધ્ધાં, કચડી નાખવામાં આવે તેને ઉદારમતવાદી બંગાળીઓ ટેકો આપી રહ્યા છે. ડેમોક્રસી કેન વેઇટ.

એક સમયની પાકિસ્તાનની અને અત્યારની બંગલાદેશની સ્થિતિ ભારતનાં સંદર્ભમાં પણ સમજવા જેવી છે. ૧૯૪૭માં દેશને આઝાદી મળી એ પછી પહેલીવાર ભારતમાં હિન્દુત્વવાદી જુવાળ પ્રગટપણે તીવ્ર બન્યો છે. આને કારણે જે સેક્યુલર લિબરલો એક સમયે કોંગ્રેસની એકાધિકારશાહી સામે લડતા હતા તે  અત્યારે ફાસીવાદીઓ સામે લડી રહ્યા છે. જો બંગલાદેશ જેવી પરસ્પર વિરોધી બે અંતિમોની સ્થિતિ પેદા થાય અને તેમાં જો હિન્દુત્વવાદીઓ સરસાઈ મેળવે તો ભારતમાં પણ સેક્યુલર-લિબરલ સેક્યુલર ડીકટેટરશીપને સમર્થન આપવા સુધી જાય એવી પૂરી શક્યતા છે. ધર્મઝનૂની રાજકારણ કેટલું ખતરનાક છે એની તો એને જ ખબર હોય જેણે તે ભોગવ્યું હોય.

આમ બંગલાદેશના ભણેલા-ગણેલા, પ્રગતિશીલ, સેક્યુલર લિબરલોની સમંતિ સાથે તેમ જ બંગાળી હોવાનો ગર્વ ધરાવનારા બંગાળી અસ્મિતાવાદીઓના ટેકા સાથે શેખ હસીનાની એકાધિકારશાહીને વિજયની મહોર મારવામાં આવે છે. કચડી નાખો ઇસ્લામિસ્ટોને, પછી એક પક્ષનું શાસન હશે તો પણ ચાલશે. આનો અર્થ એ થયો કે બંગલાદેશમાં લોકશાહી ધોરણે ચૂંટણી લડવામાં આવતી હોવા છતાં સેક્યુલર બંગાળી અસ્મિતાવાદી ડિક્ટેટરશિપ છે. બંગલાદેશને ઇસ્લામિસ્ટોના જડબામાં જતું રોકવાનું છે.

બંગલાદેશની લોકસભાની ચૂંટણીમાં શાસક પક્ષને ૮૦ ટકા મત મળ્યા છે અને કુલ ૨૯૮ બેઠકોમાંથી ૨૮૭ બેઠકો મળી છે. કોઈ ત્રીજી મુદ્દત માટે ચૂંટણી લડતું હોય એને આટલાં મત અને આટલી બેઠકો મળે? આ બંગાળી સેક્યુલર ડિક્ટેટરશિપનું પરિણામ છે. સામે બંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીનાં નેતા બેગમ ખાલેદા ઝિયાએ પણ કુકર્મો ઓછાં નથી કર્યાં. તેઓ ભ્રષ્ટ છે. તેમનો પુત્ર પણ ભ્રષ્ટાચારના આરોપમાં સજા પામેલો છે. તેમણે ૧૯૭૧ની બંગલાદેશની મુક્તિ માટેની લડાઈ વખતે પાકિસ્તાનને ટેકો આપનારા બંગલાદેશ જમાત એ ઇસ્લામીનો ટેકો લીધો હતો અને તેમને મદદ કરી હતી. બંગલાદેશનું ઇસ્લામીકરણ કરવામાં ખાલેદા ઝિયાનો હાથ હતો અને અત્યારે લોલક જ્યારે બીજા અંતિમે છે ત્યારે ખાલેદા ઝિયાને તેની કિંમત ચૂકવવી પડે છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 01 જાન્યુઆરી 2019

Loading

...102030...2,8862,8872,8882,889...2,9002,9102,920...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved