Opinion Magazine
Number of visits: 9577805
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુનિવર્સલ બેઝિક ઈન્કમ, નેગેટિવ ટેક્સ અને જીવનયોગ્ય દરમાયો

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 January 2019

૨૦૧૯ની સામાન્ય ચૂંટણી માટે સત્તાપક્ષ અને વિપક્ષ બરાબર તૈયાર થઈ ગયાં છે.  કિસાન ઋણ માફીને વિપક્ષ ૨૦૧૯નો ચૂંટણી એજન્ડા બનાવવા માંગતો હોય ત્યારે એને ખાળવા કેન્દ્ર સરકાર યુનિવર્સલ બેઝિક ઈન્કમ(UBI)નો આશરો લઈ શકે છે. દેશના સાવ જ ગરીબ કે રોજીરોટીવિહોણાં લોકોને માસિક કોઈ ચોક્કસ રકમ સરકાર તરફથી આપવાની યોજના એટલે યુનિવર્સલ બેઝિક ઈન્કમ. આ કોઈ નવો ખ્યાલ નથી. નોટબંધી પછીના ૨૦૧૭ના કેન્દ્રીય બજેટ પૂર્વેની આર્થિક સમીક્ષામાં યુનિવર્સલ બેઝિક ઈન્કમની જિકર હાલની સરકાર દ્વારા કરવામાં આવી હતી. ૨૦૧૩ની રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના ઢંઢેરામાં બી.જે.પી.એ મતદારોને ન્યૂનતમ આવકનું વચન આપ્યું હતું. આ હકીકતોથી એ વાતને બળ મળે છે કે લોકસભા ચૂંટણી પહેલાંના અઢીત્રણ મહિનામાં સરકાર યુનિવર્સલ બેઝિક ઈન્કમ અંગે  વિચારી શકે છે.

ગરીબો કે બેરોજગારોના બેન્ક ખાતામાં સરકાર કોઈ રકમ જમા કરાવશે તેવું બે ત્રણ વરસથી સંભળાઈ રહ્યું છે. જો કે આ પ્રકારની યોજનાના માપદંડો અને અમલીકરણ આડેની આડશો સૌથી મોટી સમસ્યા છે. આપણાં દેશમાં ગરીબોનું પ્રમાણ ગરીબીની વ્યાખ્યા સાથે બદલાતું રહે છે. ખરા ગરીબોને બદલે ભળતા જ લોકો બી.પી.એલ. કાર્ડધારકો છે એવું ગ્રામીણ ભારતમાં ઠેરઠેર બન્યું છે. એટલે ખરા લાભાર્થીને ખોળવા અને વગર ઘાલમેલે એના સુધી લાભ પહોંચાડવો તે સૌથી અગત્યની બાબત છે. એક ખ્યાલ એવો છે કે સરકાર હાલમાં જે સાવ બેરોજગાર છે તેને આ યોજના હેઠળ મદદ કરશે. આ સહાયની રકમ માસિક રૂ.૨૫૦૦/- થી ૧૫૦૦૦/- સુધીની હોઈ શકે છે. અસંગઠિત કામદારોનો મોટો વર્ગ સામાજિક-આર્થિક અસલામતી ભોગવી રહ્યો છે તેને સહાયની જરૂર છે. દેશમાં એક જાડી ગણતરીએ પણ જેઓ આવકના હિસાબે સાવ તળિયે છે તેવા લોકો ૨૦ થી ૨૭ કરોડની આસપાસ છે. સરકાર આવા બેરોજગારો, ગરીબો કે ભૂખમરાની સ્થિતિમાં જીવતા નાગરિકોને દર મહિને નિશ્ચિત રકમ આપી શકે છે.

આટલા મોટા પ્રમાણમાં આર્થિક મદદ માટે બહુ મોટા બજેટ અને નાણાંની જરૂર રહેવાની. કેન્દ્ર સરકારની લગભગ ૯૫૦ જેટલી લોકકલ્યાણની યોજનાઓ અમલમાં છે. વળી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના અનાજ, ખાતર, રાંધણગેસ વગેરેને સરકાર મોટી સબસિડી આપે છે. આ તમામ યોજનાઓ અને સબસિડી ચાલુ રાખીને સરકાર યુનિવર્સલ બેઝિક ઈન્કમની યોજના લાગુ પાડી શકે કે બંધ કરીને તે પણ વિચારવાનું છે. ન્યૂનતમ આવકની આ આકર્ષક યોજનામાં જેમને આવરી લેવામાં આવશે તે ગરીબોને કોઈ જાતિનો માપદંડ લાગુ પડવાનો નથી તેથી ‘જાતિ”ની હાયવોય કરનારાને રાહત રહેશે. પરંતુ ગરીબોમાં મોટું પ્રમાણ દલિત–આદિવાસી-પછાતનું છે તે પણ સ્વીકારવું પડશે.

યુનિવર્સલ બેઝિક ઈન્કમ અનેક સરકારી યોજનાઓ જેવી કોઈ યોજના હશે કે તેને કોઈ કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે ? દેશમાં જેમ શિક્ષણનો અધિકાર, માહિતીનો અધિકાર અને અન્ન સુરક્ષા કાનૂનથી મળેલો અન્નનો અધિકાર છે તેમ સરકારી કાયદાની બાધ્યતા ઉમેરીને પ્રત્યેક ભારતવાસીને ન્યૂનતમ આવકનો અધિકાર અપાશે ? જો તેને કાનૂની આવો હક હશે તો જ આવો લાભ મળશે ? સરકાર જેમ ગરીબીની રેખા નક્કી કરે છે તે ધોરણે કે અન્ય ધોરણે મિનિમમ આવક નક્કી કરે અને જો તેના કરતાં ઓછી આવક હોય તો તે નાગરિકને કમસેકમ નક્કી કરેલી આવક જેટલી રકમ સરકાર આપશે એવું થઈ શકશે ? ન્યૂનતમ આવકના આ વિચારનો અમલ થતાં જો તેનાથી ગરીબી અને બેરોજગારી નાબૂદ ન થાય તો પણ તાત્કાલિક રાહત થઈ શકે છે. આ સંદર્ભમાં મહાત્મા ગાંધી રુરલ એમ્પલોયમેન્ટ ગેરંટી સ્કીમનું ભાવિ શું હશે? જો મનરેગા દ્વારા રોજીવિહોણાને નિશ્ચિત દિવસોની રોજી પૂરી પડાતી હોય તો પછી કોઈ નાગરિક સંપૂર્ણ આવક કે રોજીવિહોણો કઈ રીતે હોઈ શકે ? મનરેગામાં તો માત્ર ૧૨૦ દિવસની જ રોજીનો સવાલ છે જ્યારે યુનિવર્સલ બેઝિક ઈન્કમ હેઠળ તો વરસોવરસ કાયમી મદદ કરવાની છે. વળી આ યોજનામાંથી કોણ ક્યારે બાકાત થઈ શકશે તે પણ જોવાનું રહે.

વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્યપદેથી તાજેતરમાં છૂટા થયેલા અર્થશાસ્ત્રી સુરજિત ભલ્લાએ  અગાઉના વરસોમાં “નેગેટિવ ઈન્કમ ટેક્સ”નો વિચાર રજૂ કર્યો હતો. તે મુજબ હાલમાં જે ઈન્કમ ટેકસના સ્લેબ છે તેની સરેરાશ ૧૨ ટકા છે. એટલે તેમનું સૂચન હતું કે હાલમાં જે આવકવેરાની મુક્તિમર્યાદા છે તેને યથાવત રાખી તે ઉપરની આવક પર ૧૨ ટકાના દરે  આવકવેરો લેવામાં આવે. આ આવકવેરાની રકમમાંથી જેઓ આવકવેરામુક્ત આવક ધરાવે છે તેવા તમામને તેમની ન્યૂનતમ આવક કરતાં ઓછી હોય તેટલી રકમ સરકાર ચૂકવશે. આ ‘નકારાત્મક વેરો’ એક રીતે ગરીબી વેરો કે આર્થિક અસમાનતા આબૂદી વેરો પણ બની શકે. નેગેટિવ ટેક્સનો ખ્યાલ રજૂ કરનાર તેને આવકવેરામાં ક્રાંતિ અને આર્થિક અસમાનતા નાબૂદીની દિશામાં મહત્ત્વનું કદમ ગણાવે છે. યુનિવર્સલ બેઝિક ઈન્કમની જેમ નેગેટિવ ઈન્કમ ટેક્સનો અમલ પણ અઘરો છે.

હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડ રમૂજમાં કહેતા હોય છે કે સિત્તેર વરસમાં ગ્રામ પંચાયતથી સંસદ સુધી ચૂંટાયેલા જે રીતે સમૃધ્ધ થયા છે તે રીતે જો દેશના તમામ નાગરિકને વારાફરતી સરપંચથી સાંસદ થવાની તક આપીએ તો દેશમાં કોઈ ગરીબ ન રહે ! 

આ વાતમાં રહેલી રમૂજને બાદ કરીએ તો સંશાધનોથી ઉભરાતો આપણો દેશ ગરીબ છે તે સ્વીકારવું પડે. નવી આર્થિક નીતિમાંથી પાછા વળવાનું હવે મુશ્કેલ છે અને દેશના બંને મુખ્ય રાજકીય પક્ષો આર્થિક નીતિમાં એકસરખા જ છે ત્યારે ચૂંટણીઓમાં ગાંધીજીના છેવાડાના માણસની અને અંત્યોદયની દુહાઈ દેવાશે. ‘તારી રોટી તારો પસીનો રેડીને કમાજે” એ બાઈબલ વાણી કે જાતમહેનત અંગ્રેજી શબ્દ “બ્રેડબટર”નો અનુવાદ હોય તે સંદર્ભમાં ગાંધીજીની “જીવનયોગ્ય દરમાયો”ની વાત વિસરાવી ન જોઈએ. જ્યારે ગાંધી જીવનયોગ્ય દરમાયાની વાત કરે છે ત્યારે તેમના મનમાં વ્યક્તિને તેના શ્રમનું વળતર, તેના કુંટુંબનું પોષણ, શિક્ષણ અને આરોગ્યની સવલતો મળે રહે તેટલું તો હોવું જ જોઈએ તે છે. અમાપ આર્થિક વિષમતાનો ઉપાય કર્યા વિનાના અને જીવન યોગ્ય દરમાયાનો વિચાર કર્યા વિનાના સઘળા પગલાં માત્ર થીગડાં જ હશે.

e.mail : maheriyachandu@gmail.com  

Loading

નવી અનામત : જુમલે સે આગે જહાઁ ઑર ભી હૈ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|12 January 2019

શું કહીશું, આને : ઘડિયાં લગન, કે એક ઓર જુમલો – બલકે, સામી ચૂંટણીએ તો કદાચ ધ જુમલો. વર્ણસગાઈની વહેવારુ સગવડને ધોરણે તમે એને મોદીનો માસ્ટર સ્ટ્રોક પણ ચાહો તો કહી શકો. અહીં ઇશારો અલબત્ત નવા આરક્ષણને અંગે છે. એક રીતે, જે સંચિત મિજાજ પાટીદાર અનામતની હાર્દિક જેહાદ વાટે પ્રગટ થયો છે, એને વિશે મુજરાનો નહીં તોપણ દાણા નાખવાનો મનોવૈજ્ઞાનિક ઉપચાર આ ખસૂસ છે.

સદીઓનાં સંચિત અન્યાય અને શોષણની નાબૂદી તો શું પણ યથાસંભવ દોષદુરસ્તી માટે ય અનુસૂચિત જાતિ-જનજાતિ સારુ અનામતની જોગવાઈનું એક લૉજિક હતું અને છે. ગાંધીનાં અનશન અને પુણે કરાર સહિતના સ્વરાજસંગ્રામના ઘટનાક્રમમાં આગળના પડાવ રૂપે આ દિશામાં કદમ ભરવાનું થયું એ વીતેલી સદીના છેલ્લા દાયકાઓની તવારીખ છે. વિશ્વનાથ પ્રતાપસિંહના મંડલશાસ્ત્રનો પણ હવે એક ગાળો પસાર થયો છે. મુદ્દો એ છે કે આ બધાને છેડે આર્થિક-સામાજિક વિકાસ અને સમતાની કસોટીએ આપણે ક્યાં ઊભા છીએ. વિકાસનો ઢોળ ચડાવેલું હિંદુત્વ ૨૦૧૪માં દિલ્હી દરબારમાં બેઠું ન બેઠું અને પરવાનો તાજો કરવાનું ટાણું આવતે આવતે અપેક્ષિત દુબારા-દુબારાના ફુગ્ગામાં, કેમ કે ‘વિકાસ ગાંડો થયો છે’, એકદમ જ કાણું પડતું લાગ્યું એના વારણની લાયમાં આ નવા આરક્ષણની આર્થિક રીતે નબળા હોવાને ધોરણે આરક્ષણની વાત આવી પડી છે.

પોતપોતાને છેડેથી ઊભરેલાં યુવા વ્યક્તિત્વ, હાર્દિક અને જિજ્ઞેશ, હમણેના ગાળામાં ચાલુ સત્તા-પ્રતિષ્ઠાન સામે પડકારનાં પ્રતીક તરીકે ઊભર્યાં એનો આ ફૉલ આઉટ છે. તમે દેખીતી રીતે જ એની એક સંમિશ્ર પ્રતિક્રિયા કે પ્રતિભાવ રૂપે ભા.જ.પ.ના શીર્ષ નેતૃત્વની આ નવ્ય અનામત ચેષ્ટાને ઘટાવી શકો. સંમિશ્ર એટલા માટે કે અનામત જોગવાઈના મૂળ લૉજિકને પડકારનારા અને સ્વીકારનારા એમ બેઉ છેડા અહીં જોડાઈ જતા માલૂમ પડે છે.

ભા.જ.પ.ના આ છેવટ ઘડીના ગુગલી જુમલા અને હુમલા સામે વિપક્ષ કને પણ પ્રોસીજરલ આડીતેડી જેવા નકો નકો વિરોધવ્યૂહ સાથે સરવાળે સંમત થઈ જવા સિવાયનો વિકલ્પ નથી એ સમજી શકાય એવું છે. આપણાં પ્રતિનિધિગૃહો માટે અનામત બેઠકોની જોગવાઈ દર નિયત મુદતે વધારવામાં એ સૌ સાથે જ હોય છે ને. જેમ કિસાનોની દેવાનાબૂદી, લોનમાફી વગેરેમાં પણ તમે જોશો કે ઘટતા વિરોધ અવાજો પછી અને છતાં દરેક સત્તાપક્ષ એ પંથના પથિક છેવટે તો બની રહે છે.

તો, વાત તો જાણે કે સાફ છે કે આપણા સામાજિક હાડમાં પચી ગયેલ ગેરબરાબરી અને નાતજાતગત અન્યાય બાબતે નિવારણ વિના સ્વરાજ બેમતલબ છે. આ દૃષ્ટિએ અનામતથી માંડી દેવામાફી સહિતની જોગવાઈઓની એક ભૂમિકા ખસૂસ છે.

પણ, કાશ, આટલેથી જ વાર્તા પૂરી થઈ શકતી હોત! જ્યાં સુધી ખેડૂતોને ઋણરાહત પ્રકારના પ્રશ્નો છે, મૂળમાં જઈ નીતિ વિષયક પરિવર્તન વિનાની થાગડથીગડ કારાવાઈઓથી તત્કાળ રાહત મળતી હશે, નિયતિ તો એ જરીપુરાણી અને જરીપુરાણી જ રહે છે. પણ હમણાં આપણે એ ચર્ચામાં નહીં જતા અનામત જોગવાઈ પર લક્ષ કેન્દ્રિત કરીએ તો આ જોગવાઈ છતાં જાહેર નોકરીઓ ને કામગીરીઓમાં ફાળવાયેલા ટકાવારી વણભરાયેલી રહે છે એ એક દુર્દૈવ વાસ્તવ છે. ખાનગી ક્ષેત્રે સવાલ ઊભો રહે એ તો જાણે કે સમજ્યા, પણ જાહેર ક્ષેત્રમાં જો આ સ્થિતિ હોય તો એમાં જે પણ કારણો હોય એક અર્થ નક્કી છે કે તંત્રોમાં  જે માનસિકતા કામ કરે છે તેમાં એમની બાદબાકીનું ધોરણ સ્થપાયેલું છે. જાહેર ક્ષેત્રમાં આ સ્થિતિ હોય તો ખાનગી ક્ષેત્રમાં શું હશે અને કેમ હશે એ ચર્ચા જ અસ્થાને છે. આખી બાબત નકરી ચર્ચાના દાયરામાંથી નીકળી જઈ એક પ્રજા તરીકે આપણને ચિંતા અને સક્રિય નિસબતના ઇલાકામાં લઈ જાય છે.

હવે સૂચિત નવી અનામતની વાત. સવાલ આ છે : બીજાઓને આપી દીધું, અને અમે રહી ગયા એવી ખરીખોટી ફરિયાદના જવાબ તરીકે એક મનોવૈજ્ઞાનિક પાસાથી વધુ એનો કોઈ માયનો છે ખરો? આપણે જેને નવી આર્થિક નીતિ તરીકે ઓળખીએ છીએ એનું વલણ જાહેર ને સરકારી ક્ષેત્રના ઉત્તરોત્તર સંકોચનનું છે. તેથી જે ઘટતી નોકરીઓ છે એની સામે વધુ ઉમેદવારોને સમાવવાનો તકાજો છે. બીજું, ખાનગી ક્ષેત્ર તો હાલની અનામતની જોગવાઈઓ બાબતે અમથું પણ બંધ છે.

જે યુવા નેતૃત્વે (અને વાસ્તવિક લોક અંજપાએ) સત્તાપક્ષને આ નવા જુમલા વાસ્તે પ્રેર્યો તેણે હવે હરખની હેડકીએ કે ઊલટ પક્ષે આ ચેષ્ટાની લોલીપોપ તાસીર બોલી બતાવવાએ અટકવાપણું નથી. છૂટાછવાયા ઉદ્‌ગારો કે તત્કાળ ટિપ્પણીઓ અને બાઈટની બડઘટાડી કે તેજતર્રાર ટિ્‌વટમારીથી હટીને અને ઊંચે ઊઠીને આમૂલ નીતિપરિવર્તનનો આગલો મોરચો ખોલવો ઘટે છે. અનામત વિચારની ચોક્કસ ભૂમિકા સ્વીકાર્યા પછી અને છતાં સમજવું રહે છે કે (૧) સમાજસુધારાની સઘન ચળવળ અને માનસિકતા પરિવર્તન વિના મજલ કપાવાની નથી; (૨) આખો સમાજ કંઈ નોકરિયાતોનો સમાજ હોઈ શકવાનો નથી. નાનીમોટી સ્વયં રોજગાર સંભાવનાઓનું વિતરણ જરૂરી હોવાનું છે. ચંદ્રભાણ પ્રસાદ દલિત કૅપિટલિઝમમાં જે ઉગાર શોધે છે તે આજની વ્યવસ્થા એટલે કે અનવસ્થામાં સમજી શકાય એવો છે. માત્ર, કોર્પોરેટવાદમાં નહીં સરી પડતાં આ દિશામાં વિચારવું રહે છે.

આજના કોર્પોરેટવાદમાં અંતર્નિહિત નવ્ય સવર્ણવાદ સામે વ્યાપક લડાઈની તાકીદ સામી ભીંતે બેનર હેડલાઈન પેઠે લખાયેલી છે; એ ન વાંચવી હોય તો જ ન વંચાય એટલી દૈત્યકાળ છે. ૧૯૯૧ની નરસિંહરાવ મનમોહનસિંહની નવી આર્થિક નીતના વડા લાભાર્થીઓ અને અણ્ણા આંદોલનના વડા લાભાર્થીઓના બરની વાત આ નથી. જરી વધુ સમજપૂર્વક આર્થિક-સામાજિક નીતિનિર્ધારણ અને કાર્યાન્વયનો પ્રશ્ન આ છે. સંસદની મેરેથોન ટોકેથોનમાં એનાં ઈંગિતો છેક જ નથી ને નહોતાં એવું કહેવાનો આશય નથી. પરંતુ ઘડિયાં લગન અને જુમલાશાઇ અફરાતફરીમાં આવાં ઇંગતો હોય તો પણ નથી પકડાતાં તે નથી પકડાતાં.

દરમ્યાન, પાપપુણ્યની બારીમાંથી પસાર થવા જેવા આ પ્રજાસૂય પડકારની પળે સમજી લઈએ કે હિંદુત્વ વત્તા વિકાસના ચૂંટણીવ્યૂહ અને  કૉંગ્રેસ વત્તા ગાયની શાસનશૈલી, હવે રોકડો જવાબ અને સીધો પડકાર માગે છે. ધારો કે ભા.જ.પ.નો પરાજય થયો તો પણ સામે પક્ષે એના જેવી જુમલે સે જુમલે શૈલીએ અગર તો જવાબી જુમલા માત્રથી જનસાધારણનો જયવારો થવાનો નથી. કબૂલ કે મે ૨૦૧૯ આડે થોડા મહિના (અને ચૂંટણી જાહેરાત આડે થોડાં અઠવાડિયાં) માંડ રહ્યા હોય ત્યારે વ્યૂહાત્મક અભિગમ અગ્રતા માગે છે, તેમ છતાં –

જાન્યુઆરી ૧૦, ૨૦૧૯

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 03

Loading

લોકલાડીલા મરાઠી લેખક-પરફૉર્મર-સંસ્કૃતિપુરુષ ‘પુ.લ.’ નું જન્મશતાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|11 January 2019

હાસ્યલેખક, નાટ્યકાર, સંગીતજ્ઞ, વક્તા, દાતા જેવા બહુમુખી મરાઠી પ્રતિભાવાન ‘આનંદયાત્રી’  પુ.લ. દેશપાંડેનું શતાબ્દી વર્ષ બાયોપિક, કાર્યક્રમો, પ્રકાશનો જેવી વિવિધ રીતે ઉજવાઈ રહ્યું છે 

પુ.લ. એવા લોકલાડીલા નામે દેશ અને દુનિયાના મરાઠી લોકોના ઘરઘરમાં જાણીતા મરાઠી હાસ્યલેખક અને સંસ્કૃતિપુરુષ પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે(1919-2000)ના શતાબ્દીવર્ષ નિમિત્તે તેમનાં જીવનપરની ફીચર ફિલ્મનો પહેલો ભાગ ગયા શુક્રવારે રિલીઝ થયો અને બીજો આઠમી ફેબ્રુઆરીએ થશે. સઆદત હસન મન્ટો ઉપરાંત પુ.લ. સંભવત: એકમાત્ર ભારતીય સાહિત્યકાર છે, કે જેમની પર બાયોપિક બની હોય. વળી, સંભવત: એ એકમાત્ર ભારતીય લેખક છે કે જેમનું ગૌરવ કરવા માટે તેમના ચાહકોએ તેમનાં જીવનકાર્ય વિશેનું એક સંગ્રહસ્થાન (મ્યુઝિયમ) તેમની હયાતીમાં જ બનાવ્યું હોય. બાળપણમાં પુ.લ.નું સંસ્કારઘડતર જ્યાં થયું તે મુંબઈનાં વિલેપાર્લેમાં આ પ્રદર્શન છે. પુ.લ. એ કદાચ એકમાત્ર ભાષિક લેખક છે કે જેમણે વીસ વર્ષ પહેલાં પોતાની લેખક-કલાકાર તરીકેની આવકમાંથી સામાજિક કાર્ય માટે સવા કરોડ રૂપિયા જેટલું દાન કર્યું હોય. તેમણે ઉપેક્ષિતો માટે કાર્ય કરતી અને જ્ઞાનવિજ્ઞાનનો પ્રસાર કરતી સંસ્થાઓને સહાય કરી છે. બાબા આમટેની કુષ્ટરોગી પુનર્વસન સંસ્થા ‘આનંદવન’ને તો તેમણે તન-મન-ધનથી ટેકો કર્યો હતો. પુ.લ. વર્ષો લગી કુષ્ટરોગીઓએ બનાવેલાં કપડાં પહેરતાં.

એક પ્લમ્બર નામે કિસન બનકર દર વર્ષે પુ.લ.ના જન્મદિને રક્તદાન કરતા એમ નોંધાયું છે. પુ.લ.નાં અંતિમ દર્શને જવા માગતા લોકો પાસેથી પૂનાના કેટલાક રિક્ષાવાળાઓએ પૈસા લીધા ન હતા એવા સમાચાર હતા. એક વિશ્વાસપાત્ર અભ્યાસ મુજબ પુ.લ.ને દરરોજ સરેરાશ વીસ એટલે કે વર્ષના લગભગ આઠ હજાર પત્રો મળતા. તેમની લોકપ્રિયતાનો ટોચનો ગાળો ખૂબ કંજૂસાઈથી ગણતાં ય વીસ વર્ષનો થાય એટલે પત્રોની સંખ્યા દોઢ-પોણાબે લાખ જેટલી થઈ. ‘ઉત્તમ વર્ષોમાં તેમાંથી નેવું ટકા પત્રોના જવાબ’ આપ્યો હોવાનું પુ.લ.એ કહ્યું છે. સતીશ મનોહર સોહોની નામના સૈનિકનો 1962ના વર્ષનો પત્ર અદ્દભુત છે. ભારત-ચીન યુદ્ધ દરમિયાન તે સાથીદારો સાથે કપરી હાલતમાં હતો. ખોરાક અને દારૂગોળો ખલાસ થવા આવ્યા હતા. ભયંકર ઠંડી હતી. તાપણામાં નાખવા માટે સતીશે કાગળ ભેગા કર્યા હતા. તેમાં ‘દીપાવલી’ નામના સામયિકનો અંક પણ હતો. તેની પર સૈનિક અમસ્તી નજર ફેરવવા લાગ્યો. તેમાં તેને પુ.લ.નો ‘મારું ખાદ્ય જીવન’ નામનો લેખ દેખાયો. એ તેણે ઓછામાં ઓછો સો વાર વાંચ્યો. તે લખે છે ‘…17 થી 24 નવેમ્બર દરમિયાન હું જીવ્યો હોઉં તો શબ્દશ: તમારા ‘ખાદ્ય જીવન’ લેખના વાચન પર…’  કોલ્હાપુરના કર્નલ જાધવે હિમાલયમાં ચૌદ હજાર ફૂટ ઊંચાઈ પરના તેમના વસવાટ દરમિયાન પુ.લ.નાં પુસ્તકોએ સાથ આપ્યો હોવાનું લખ્યું છે. એક વાચકે અંતિમ ક્ષણોમાં પુ.લ.નાં લખાણોનાં અંશો સાંભળતા આંખ મીંચી હતી એવું એક પત્રમાં છે. શ્રીકૃષ્ણ વાલાવલકર નામના એક પાયલટે જિંદગીના છેલ્લા તબક્કામાં હોસ્પિટલના તેમના ઓરડામાં એક બાજુ જ્ઞાનેશ્વર, તુકારામ અને ખંડોબાની, તેમ જ બીજી બાજુ રામ ગણેશ ગડકરી, આચાર્ય અત્રે અને પુ.લ.ની તસવીરો મૂકાવી હતી એવું એક પત્રમાં છે. આવા દાખલા ઘણા પત્રોમાં છે

પત્રો લખાતા તે જમાનામાં, સોશ્યલ મીડિયાના ફેલાવાના ત્રીસેક વર્ષ પહેલાંથી મરાઠીમાં  હાઉસહોલ્ડ નેઇમ બની ગયા હોય એવા પુ.લ.ના જન્મશતાબ્દી વર્ષની ઉજવણી આઠમી નવેમ્બરથી ચાલુ થઈ છે. મહારાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક દર અઠવાડિયે ઓછામાં ઓછો એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જયંત નારળીકર, હૃદયનાથ મંગેશકર, વિક્ર્મ ગોખલે, સચિન તેંડુલકર જેવાએ પુ.લ.ને જાહેરમાં પણ ભાવુક થઈને યાદ કર્યા છે. ફિલ્મના શો હાઉસફૂલ જઈ રહ્યા છે. ‘ગ્લોબલ પુલોત્સવ’ હેઠળ વર્ષ દરમિયાન ભારતનાં વીસ અને દુનિયાનાં ત્રીસ શહેરોમાં અનેક ઇવેન્ટસ થવાની છે. બે મહત્ત્વની ઇવેન્ટ પૂનાની નૅશનલ ફિલ્મ આર્કાઈવ ઑફ ઇન્ડિયાએ કરી. પુ.લ. 1947થી પંદરેક વર્ષ જેની સાથે જુદી જુદી કામગીરીમાં સંકળાયેલા તેવી છવ્વીસ મરાઠી અને હિન્દી ફિલ્મોનાં પોસ્ટર્સનું પ્રદર્શન ફિલ્મ આર્કાઇવે ગોઠવ્યું. એટલું જ નહીં પણ પુ.લ.ની  ફિલ્મોનો ઉત્સવ કર્યો.

વીતેલા સાતેક દાયકાના મોટા ભાગના મરાઠી લોકો જિંદગીના કોઈ ને કોઈ તબક્કે જાણતા અજાણતા પુ.લ.ની સર્જનની છોળથી પુલકિત થયેલા હોય છે. બાળપણમાં તેમણે સૂરમાં ઢાળેલા મયૂરગીત સાથે ડોલી ઊઠેલા હોય છે. હજારો શોઝ થઈ ચૂક્યા હોય, થતા રહ્યા હોય તેવાં તેમનાં નાટકોના પ્રેક્ષકો બન્યા હોય છે. તેમની ફિલ્મો જોઈ હોય છે. લાજવાબ પરફૉર્મર પુ.લ.એ ભજવેલા અઢી કલાકના એકપાત્રી નાટ્ય પ્રયોગ ‘બટાટ્યાચી ચાળ’ સાઠ-સિત્તેરના દાયકાનું મહારાષ્ટ્ર ઘેલું હતું. આજથી પચાસ વર્ષ પહેલાં પુ.લ. દેશના એક બેતાજ સ્ટૅન્ડ-અપ કૉમેડિયન હતા. ‘મ્હૈસ’ (ભેંસ) નામના વાચિકમ્‌ના એક પ્રયોગમાં માત્ર અવાજથી પુ.લ.એ પચાસથી વધુ પાત્રો ધરાવતી હાસ્યકથામાં શ્રોતાઓને તરબોળ કરી દે છે. વ્યક્તિચિત્રો અને લલિત ગદ્યનું તેમનું વાચન સાંભળવું એ મજાનો અનુભવ બને છે. પુ.લ. અને તેમનાં વિચક્ષણ પત્ની સુનીતાબહેને કાવ્યપઠનના ટિકિટ સાથેના હાઉસફૂલ શો કર્યા હતા. સાહિત્ય-સંગીત-વિદ્યાકાર્ય-સમાજકાર્ય કરતી સંસ્થાઓના તેમનાં ભાષણો શ્રવણીય છે. આમાંથી ઘણી શ્રાવ્ય સામગ્રી હવે યુટ્યુબ પર પણ છે. ભાષાના આ જાદુગરના પંચાવન જેટલાં પુસ્તકોમાં છે : વ્યક્તિચિત્રો, પ્રવાસવર્ણનો, હાસ્યલેખો, નિબંધો, નાટકો, આસ્વાદો, ભાષણો, રૂપાંતરો અને અનુવાદ. તે બધાંની થઈને અઢીસોથી વધુ આવૃત્તિઓ છે. શતાબ્દી વર્ષમાં એક અપ્રકાશિત લેખસંગ્રહ અને ત્રણેક સ્મરણપુસ્તકો આવ્યાં છે. આનંદયાત્રી પુ.લ.એ મરાઠી રસિકોની જિંદગીને ખોબે ખોબે ન્યાલ કરી છે. રસિકોને માત્ર હસાવ્યા છે એમ નહીં. તેમને દુનિયામાં જે સુંદર છે તે જોતાં-માણતાં કર્યા ,વિસંગતિઓને પકડતા કર્યા. માણસને તેના અસંખ્ય રૂપોમાં જોવા-સમજવાની નજર આપી. ખુદ પર હસતાં અને ખુદની બહાર નજર કરતાં શીખવ્યું. કરુણા, કદર અને કૃતજ્ઞતા કેટલી મોટી બાબતો છે તે સમજાવ્યું.

પુ.લ.ના મોટા ભાગના લેખનમાં પ્રગતિશીલ મૂલ્યોની વાત સહજ રીતે વણાઈ છે. એ તેમનાં ઘણાં લખાણોનો વિષય બનેછે. મહાત્મા ફુલે, ગાંધીજી, સાવરકર, એસ.એમ.જોશી, ઇરાવતી કર્વે, આવાબહેન દેશપાંડે, રામમનોહર લોહિયા, હમીદ દલવાઈ, વિનોબા, દાદા ધર્માધિકારી, સાને ગુરુજી, બાબા આમટે, દયા પવાર, આનંદ યાદવ જેવાં વ્યક્તિઓ વિશેનાં પુ.લ.નાં લખાણો પર ઓછું ધ્યાન જાય છે. લોકશાહીના પુરસ્કર્તા સાહિત્યકાર તરીકે પુ.લ.એ વિદુષી લેખક દુર્ગા ભાગવતની જેમ કટોકટી સામે અવાજ ઊઠાવ્યો હતો. કટોકટી પછી જનતા પક્ષની ચૂંટણી પ્રચાર ઝુંબેશમાં ચમકદાર અને વિચારોત્તેજક ભાષણોથી મહારાષ્ટ્ર ગજવીને લોકમત પર મોટો પ્રભાવ પાડ્યો હતો. 1996માં તેમને શિવસેના-ભા.જ.પ. યુતિની રાજ્ય સરકારે ‘મહારાષ્ટ્ર ભૂષણ’ પુરસ્કાર આપ્યો. તેના સ્વીકાર કરતી વખતે પુ.લ.એ એ દિવસોમાં સરકારે લીધેલી ‘લોકશાહીને બદલે ઠોકશાહી જ અમે પસંદ કરીએ છીએ’ એવી ભૂમિકા સામે તીવ્ર નાપસંદગી નોંધાવી હતી. તેની સામે બાળ ઠાકરેએ આ મતલબનું કહ્યું : ‘અમારી પાસેથી અવૉર્ડ લેવાનો અને અમારી જ ટીકા કરવાની …’ પુ.લ.ના કરેલા આવા અપમાનને કેટલાક મરાઠી બૌદ્ધિકો અને સાહિત્યકારોએ ઘણું વખોડ્યું હતું.

આગામી મરાઠી સાહિત્ય સંમેલનના અધ્યક્ષપદ માટે વરિષ્ટ ભારતીય અંગ્રેજી લેખક નયનતારા સહગલને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પણ હમણાં આયોજકોએ તે પાછું ખેંચ્યું. સહગલે સંમેલન માટે અગાઉથી મોકલેલા અધ્યક્ષીય ભાષણમાં, અત્યારની કેન્દ્ર સરકારના શાસનમાં વ્યાપેલી અસહિષ્ણુતા સામે સાફ વિરોધ નોંધાયેલો છે. વિચારસ્વાતંત્ર્ય પરના આ વધુ એક હુમલા સામે મહારાષ્ટ્રના બૌદ્ધિકોનો અવાજ ક્ષીણ છે. ત્યારે જે તે તબક્કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના દમનનો વિરોધ કરનાર દુર્ગા ભાગવત અને વસંત બાપટ જેવાં નામો સાથે પુ.લ. ખાસ યાદ આવે છે.

*******

10 જાન્યુઆરી 2019

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 11 જાન્યુઆરી 2019

Loading

...102030...2,8782,8792,8802,881...2,8902,9002,910...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved