Opinion Magazine
Number of visits: 9685301
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ કેટલી હદે સુરક્ષિત રહી શકે?

દીપક સોલિયા|Opinion - Opinion|21 April 2019

ફિલ્મ ગોડફાધરમાં ઘરડો થઈ ચૂકેલો ગોડફાધર વિટો કોર્લિયોની એના દીકરા માઈકલને મરતાં પહેલાં એક અત્યંત મહત્ત્વની સલાહ આપતો જાય છે કે આપણો જે માણસ આપણા સૌથી મોટા દુશ્મન (બાર્ઝિની) તરફ્થી સમાધાનનો સંદેશો લાવે તેને ગદ્દાર જાણજે.

કરો વાત. વિટોની મુખ્ય ટીમમાં બધા સભ્યો વર્ષો જૂના વફાદારો જ હતા. એમાંના કોઈ એક વફાદારને સંદેશવાહક બનાવીને દુશ્મન સુલેહ-સંદેશ પાઠવે તો પેલો વફાદાર ગદ્દાર થઈ જાય?

હા, કારણ કે જમાનાનો ખાધેલ અને અત્યંત વિચક્ષણ એવો વિટો કોર્લિયોની જે દેખાય તેનાથી સાવ ઊંધું વિચારી જોવાની કળાનો માસ્ટર હતો. એ દેખાવ પાછળની સચ્ચાઈ અને રૂપની પાછળનું સ્વરૂપ જોઈ શકતો હતો. આ માસ્ટરી સૌએ કેળવવા જેવી છે. એ કામ અઘરું નથી. કરવાનું આટલું જ છેઃ સાવ જ ઊંધું વિચારી જોવાનું.

જેમ કે, ચારે તરફ જો એવી બૂમરાણ સંભળાય કે ઉજાલા હૈ … ઉજાલા હૈ … તો એક વાર આંખ ખોલીને ચેક કરી લેવાનું કે ક્યાંક અંધારું તો નથી ને … કોઈ ધર્મગુરુ એવી વાત કરે કે હું આપણા ધરમ પરનો ખતરો ઘટાડીશ, ત્યારે વિચારી જોવું કે એ મુલ્લાજી-બાવાજી-પાદરીજી ક્યાંક ધરમ પર ખતરો વધારી તો નથી રહ્યા ને … કોઈ પણ પક્ષના નેતાજી જો એવું કહે કે હું દેશનું ભલું કરીશ ત્યારે બે ઘડી વિચારી જોવું કે નેતાજી દેશને ખાડે નાખે એવા તો નથી ને … કોઈ ગરીબી દૂર કરવાની વાત કરે ત્યારે એ જોઈ લેવું કે એને ગરીબી ટકાવી રાખવામાં તો રસ નથી ને … કોઈ માણસ તમારો ઉદ્ધાર કરવાની વાત કરે ત્યારે એવું વિચારી જોવું કે એ માણસ કોના ઉદ્ધાર માટે વધુ મથી રહ્યો છે, તમારા કે એના પોતાના?

ટૂંકમાં, એક વાર ઊંધેથી વિચારી જોવું.

અત્યારની ચૂંટણીની વાત કરીએ તો એમાં સૌથી વધુ ગાજેલો મુદ્દો સુરક્ષાનો છે. આવામાં, સુરક્ષાના મુદ્દે પણ એક વાર ઊંધું વિચારી જોવા જેવું ખરું કે શું અસલમાં સુરક્ષા જેવું ક્યાં ય કશું હોય છે ખરું?

મોત ગમે ત્યારે, ગમે તેને ઝપટમાં લઈ શકે છે. ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે. એક નહીં તો બીજી નહીં તો ત્રીજી … કોઈ ને કોઈ અસુરક્ષા લગભગ બધા જ લોકોને સતાવતી હોય છે. જેમ કે, આતંકીઓ મન ફવે ત્યારે બોમ્બ ફેડશે તો? બાપાની સંપત્તિ ભાઈ હડપ કરી જશે તો? ઓફ્સિમાં મારી વિરુદ્ધ ષડયંત્ર રચાઈ રહ્યું હશે તો? મારો પતિ સૌતનના પડખામાં ભરાઈ જશે તો? મને બગલમાં થયેલી ગાંઠ કેન્સરની હશે તો? હું વાર કરું તે પહેલાં દુશ્મન મારા પર વાર કરી લેશે તો?

ટૂંકમાં, અસુરક્ષા એટલી અપરંપાર છે કે શાયર ફિરાક ગોરખપુરીએ હાથ ઊંચા કરી દેતાં કહેલું,

મૌત કા ભી ઇલાજ હો શાયદ,
ઝિંદગી કા કોઈ ઇલાજ નહીં.

માધવ ક્યાં ય નથી મધુવનમાં, એમ સુરક્ષા ક્યાં ય નથી જીવનમાં. જે છે તે છે ફ્ક્ત અસુરક્ષા. એ પણ પાછી બે પ્રકારનીઃ વાસ્તવિક અને માનસિક. વાસ્તવિક અસુરક્ષા પૃથ્વી પરની હવા જેવી છે. એ બધે જ હોય. જંગલમાં હરણાં કઈ ઘડીએ વાઘનો કોળિયો બની જાય એ નક્કી ન હોય અને એ હરણને ખાનારો વાઘ પોતે પણ અસુરક્ષિત હોય, કેમ કે વાઘ ફ્લ્ટિર્ડ પાણી પીતો નથી અને જેના પર માખીઓ બણબણતી હોય એવું ઉઘાડું માંસ ખાય છે તથા કોઈ દિવસ બ્રશ કરતો નથી. એટલે એને ગમે ત્યારે કોઈ રોગનો ચેપ લાગી શકે અને એન્ટિબાયોટિક્સની ટ્રીટમેન્ટ ઉપલબ્ધ ન હોવાને કારણે રિબાઈ રિબાઈને મરી શકે છે. છતાં, રોગોની સંભાવના તથા પ્રકૃતિનાં ઠંડી-ગરમી-વરસાદનાં આક્રમણો વચ્ચે એ વાઘ જંગલમાં ચોતરફ ગુંજતા મોતની અસુરક્ષા વચ્ચે પોતાની મસ્તીમાં જીવે છે. તો શું આપણે માણસો અસુરક્ષા વચાળે હરણ-વાઘની જેમ ભાર વિના જીવી ન શકીએ? ના, યે ન થી હમારી કિસ્મત … આપણને વાસ્તવિક ઉપરાંત પેલી બીજા પ્રકારની, માનસિક પ્રકારની અસુરક્ષા કનડતી હોય છે.

આ માનસિક અસુરક્ષા કમાલની હોય છે. એ અસુરક્ષાનો તો જન્મ જ સુરક્ષા માટેની ઇચ્છામાંથી થતો હોય છે. મારો દેશ એકદમ સુરક્ષિત હોવો જોઈએ … મારો પતિ ફ્ક્ત મારામાં જ ડૂબેલો રહેવો જોઈએ … આવી બધી ઇચ્છાઓ પહેલી નજરે એકદમ સ્વાભાવિક અને વાજબી લાગે તો પણ સમજવા જેવું એ છે સુરક્ષાની સ્વાભાવિક ઇચ્છા જ્યારે રઘવાટનું રૂપ ધરે છે ત્યારે તેમાંથી અસુરક્ષા જન્મે છે અને પછી એ જ અસુરક્ષાની લાગણીના પેટમાંથી ભય, ઇર્ષ્યા, હિંસા વગેરે જન્મે છે. એ ભય-ઇર્ષ્યા-હિંસા વકરે ત્યારે સુરક્ષા માટેનો રઘવાટ બળવત્તર બને છે અને સુરક્ષા માટેના રઘવાટમાંથી પા છી અસુરક્ષા જન્મે છે.

આ ચક્ર તૂટે કઈ રીતે? પોતાની પૂંછડી મોઢામાં નાખતા સાપ જેવું આ વર્તુળ છે. જો સાપ પૂંછડી છોડી દે તો વર્તુળ વિખરાઈ જાય, પણ સાપ પૂંછડી છોડે કઈ રીતે?

આ સવાલનો જવાબ ન જડે તો, લેખના આરંભે કહ્યું છે તેમ, ફરી ઊંધું વિચારી જોવું.

જેમ કે, આપણે સાવ જ અસુરક્ષિત છીએ એના સામેના છેડાનો વિચાર કયો હોઈ શકે?

એ જ કે આપણે એકદમ સુરક્ષિત છીએ.

હા, ખરેખર આપણે સુરક્ષિત છીએ. ચારે બાજુએથી સુરક્ષિત છીએ. ઉપર જુઓ તો ઉપરવાળો આપણી રક્ષા કરે છે. સરહદે નજર કરો ત્યાં દેશની મજબૂત સેના બેઠી છે. શરીરની અંદર નજર કરો તો આપણી સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ આપણી સુરક્ષા માટે હંમેશાં તૈયાર હોય છે. જે કુદરત માણસને ગમે ત્યારે ખતમ કરી નાખે છે એ જ કુદરત માણસને ખતમ કરતાં પહેલાં પ્રત્યેક પળે તેની સુરક્ષાની ગજબની કાળજી પણ લે છે. આપણા શરીરમાં ઉપસ્થિત અબજો બેક્ટેરિયા શરીરને ખતમ ન કરી નાખે એટલા માટે કુદરતે ભલભલા શાકાહારીના શરીરમાં પણ બેક્ટેરિયાની મોટા પાયે હત્યા કરવાની જવાબદારી નિભાવતા શ્વેતકણો તથા એન્ટિજન-એન્ટિબોડીનું મિકેનિઝમ ગોઠવ્યું છે. આ ઉપરાંત હવામાંના ઓક્સિજનથી માંડીને બીજી એવી અસંખ્ય બાબતો છે જે આપણને જીવતા રાખે છે, સુરક્ષિત રાખે છે…

એક તરફ, કુદરત પળેપળ આપણને સુરક્ષિત રાખવામાં કોઈ કચાશ નથી છોડતી અને બીજી તરફ, એ જ કુદરત કોઈ પ્રાકૃતિક આફત કે રોગ કે અકસ્માત કે યુદ્ધ વડે માણસને ગમે તે ઘડીએ ઉઠાવી પણ લે છે. યમરાજ ગમે ત્યારે સુરક્ષાનું કવચ ભેદીને આપણને ઉઠાવી શકે છે એ વાત સાચી, પણ યમરાજ આપણને ઉઠાવી જાય તે પહેલાં દાયકાઓ સુધી આપણે સુરક્ષિત કવચમાં જીવતાં રહીએ છીએ તેનું શું?

તો, બે સચ્ચાઈ થઈ …

૧) આપણે સાવ અસુરક્ષિત છીએ.

૨) આપણે એકદમ સુરક્ષિત છીએ.

આવી સામસામેના છેડાની સચ્ચાઈઓ વચ્ચે માનવજાત જીવતી હતી, જીવે છે, જીવતી રહેશે.

માટે, ઝાઝી ચિંતા કરવી નહીં. સુરક્ષાના મામલે બહુ ઊંચાનીચા થવું નહીં.

ડોન્ટ વરી, બી હેપી.

facebook .com / dipaksoliyal

સૌજન્ય : ‘એક વાતની સો વાત’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ’સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 21 ઍપ્રિલ 2019

Loading

પાંચ વરસે એક વાર નાગરિક બનવાનું છે, બની જજો !

રમેશ ઓઝા|Opinion - Opinion|21 April 2019

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ૪૬૪ પક્ષોએ ભાગ લીધો હતો. આમાંથી ચૂંટણી પંચે જેને રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા આપી છે એવા છ પક્ષો છે, ચૂંટણી પંચે જેને પ્રાદેશિક પક્ષ તરીકેની માન્યતા આપી છે એવા ૩૯ પક્ષો છે અને બાકીના નોંધયેલા પક્ષો છે, પણ માન્યતાપ્રાપ્ત પક્ષો નથી. આનો અર્થ એ થયો કે એવા પક્ષો ચૂંટણીની બાબતમાં ગંભીર નથી અને ચૂંટણી પંચની માન્યતા મેળવવા જેટલા મત મેળવી શકતા નથી. આમ છતાં એવા પક્ષો દરેક ચૂંટણીમાં ઝંપલાવતા હોય છે. જે પક્ષો નોંધાયેલા નથી એને ઉમેરો તો ભારતમાં ૨,૨૯૩ પક્ષો છે. આમાંથી ૧૪૯ પક્ષો ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં નોંધાયા છે.

જે દેશમાં ૨,૨૯૩ પક્ષો હોય, ૪૧૯ પક્ષો કોઈ પણ પ્રકારની ગંભીરતા વિના, એટલે કે જીતવાના કોઈ ઈરાદા વિના ચૂંટણી લડતા હોય અને ૧૪૯ પક્ષો ચૂંટણીની પૂર્વસંધ્યાએ માત્ર દોઢ મહિનામાં નવા રચાતા હોય અને રજીસ્ટર્ડ થતા હોય તો અબૂધ માણસ પણ સમજી શકશે કે આમાં કોઈક ગોલમાલ ચાલે છે. ચૂંટણી પંચે છેલ્લા દાયકાઓમાં અનેક વાર કહ્યું છે કે આપણી ચૂંટણી પ્રક્રિયામાં કેટલીક ગંભીર ખામીઓ છે જેને દૂર કરવાની જરૂર છે. પ્લીઝ, કાંઇક કરો, પણ આપણા શાસકો ટાઢા ડીલે બેઠા છે અને કોઈ કહેતા કોઈ કાંઈ કરતું નથી. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી ભારતમાં રામરાજ્ય લઈ આવવાનાં વચનો આપતા હતા ત્યારે તેમને એટલી તો જાણ હશે જ કે રામરાજ્યનો રસ્તો ક્યાંથી પસાર થાય છે.

જગતમાં ગર્વ લઈ શકાય એવા દેશનું નિર્માણ કરવું હોય તો શું શું કરવું જોઈએ અને કેટલી ખામીઓ દૂર કરવી જોઈએ એની જાણ નવનિર્માણના દાવા કરનારા શાસકને હોવી જોઈએ. પાછી આમાં કોઈ વિશેષ મહેનત પણ કરવી પડે એમ નથી. કાયદાપંચે કાયદામાં શું સુધારા કરવાની જરૂર છે અને કયા કાયદા નાબૂદ કરવાની જરૂર છે એ કહ્યું છે. ચૂંટણીપંચે અને બીજા અભ્યાસકોએ ચૂંટણીકીય સુધારાઓની ભલામણો કરી છે. નાણાપંચે નાણાકીય બાબતો વિષે, વહીવટી સુધાર પંચે વહીવટી બાબતો વિષે, સરકારિયા પંચે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો વિષે એમ જુદા જુદા અભ્યાસપંચોએ બીમારીઓનું નિદાન અને ઈલાજો આ પહેલાં જ બતાવી દીધા છે. ભારતમાં એવી એક પણ બીમારી નથી જે અજાણી હોય, જેની પંચો અને સમિતિઓ દ્વારા તપાસ ન થઈ હોય, ઈલાજો બતાવવામાં આવ્યા ન હોય અને રાષ્ટ્રીય સ્તરે તેના વિષે આમુલાગ્ર ચર્ચા ન થઈ હોય. આય રિપીટ એક પણ બીમારી અજાણી નથી.

દાયકાઓથી બીમારીની જાણ છે, તેનાં સ્વરૂપની જાણ છે, તેનાં કારણોની જાણ છે, ઈલાજની જાણ છે; તો કાંઈ કરવામાં કેમ નથી આવતું? મેં ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદી ભારતને અંદરથી કોરી રહેલી અને ચીન અને બીજા પ્રતિસ્પર્ધીઓ સામે ભારતને પાછળ રાખનારી બીમારીઓનો ઈલાજ હાથ ધરે તો સમજવું કે તે પ્રામાણિક માણસ છે, ૫૬ ઈંચની છાતી ધરાવે છે અને સાચો દેશભક્ત છે અને જો એમ ન કરે તો માનવું કે તેમનો ઈરાદો સત્તા ભોગવવાનો અને હિન્દુત્વનો છે.

માત્ર નરેન્દ્ર મોદી શા માટે? તેમના પહેલાના અને તેમની પછીના શાસકોને પણ આ એક માત્ર એરણે ચકાસવા જોઈએ. આવતા મહિને નરેન્દ્ર મોદીની જગ્યાએ જો કોઈ બીજી વ્યક્તિ વડા પ્રધાન બને (અને એવી શક્યતા નજરે પડે છે) તો એ વ્યક્તિને પણ આ જ એરણે ચકાસજો. ‘ભાઈ, વાતો તો મોટી મોટી કરી, હવે વ્યવસ્થામાં ક્યારે સુધારા કરો છો? બીમારીનો ઈલાજ ક્યારથી શરૂ કરો છો? તમને માર્ગદર્શન જોઈતું હોય તો તમારા મંત્રાલયમાંના બાબુને પૂછી જુઓ, તે દરેક બીમારી વિશેના રિપોર્ટ અને ઈલાજના પ્રિસ્ક્રીપ્શનો તમારી સામે ધરી દેશે. તેના વિષે જાણકારોએ કરેલી ચર્ચાના તારણો પણ ઉપલબ્ધ છે. દરેકે દરેક સમસ્યા સમજાઈ ચૂકી છે, એટલે બતાવો સાહેબ, કામે ક્યારે વળગો છો?’ જો એ કાંઈ ન કરે તો અને તેની જગ્યાએ ન કરવાના કામ કરે અથવા ગલ્લાતલ્લા કરે તો એ માણસને દરવાજો બતાવી દેજો.

વૈદકશાસ્ત્રની પરિભાષામાં બીમારીઓ ક્રોનિક છે. આટલા બધા રાજકીય પક્ષો એટલા માટે છે કે તેના સ્થાપકોને ખબર છે કે ચૂંટણીપ્રક્રિયામાં ખામી છે એટલે તેનો દુરુપયોગ કરી શકાય છે અને વળી કોઈ જો અદાલતમાં લઈ જાય તો ક્યાં બે દાયકા સુધી ચુકાદો આવવાનો છે. ત્યાં સુધીમાં તો આપણે બધું ભોગવીને ઉપર જતા રહીશું. આ જે નિર્લજ્જતાજન્ય હિંમત છે એ વ્યવસ્થામાં રહેલી ખામીમાંથી આવે છે. કોઈ વાળ પણ વાંકો કરી શકે એમ ન હોય ત્યારે નીચ માણસોની હિંમત વધી જતી હોય છે અને નિર્લજ્જ બની જતા હોય છે.

આપણને એવા શાસકની જરૂર છે જેનામાં કોઈનો વાળ વાંકો કરવાની ત્રેવડ હોય. નરેન્દ્ર મોદીએ અને તેમની સરકારે જો તેમના કાર્યકાળમાં કોઈનો વાળ વાંકો કર્યો હોય, વ્યવસ્થામાં સુધારા કર્યા હોય, બીમારીઓનો ઈલાજ કર્યો હોય તો તેમને બીજી વાર મત આપીને વડા પ્રધાન બનાવવા જોઈએ. મત ન આપીએ તો આપણે નગુણા કહેવાઈએ. પરંતુ જો એવું કાંઈ ન કર્યું હોય અને ગરીબ-સામાન્ય માણસની હાલાકીમાં વધારો થયો હોય તો તેમને દરવાજો બતાવી દેવો જોઈએ. એક બીજો માપદંડ પણ ઉપયોગમાં લેવો જોઈએ. સત્તાને અને ભયને સંબંધ છે એટલે તો સત્તા સામે શાણપણ ન ચાલે એવી આપણે ત્યાં કહેવત છે. નાગરિકની અંદર ભયમાં વધારો કરનારા શાસકોને પણ જાકારો આપવો જોઈએ.

આ બે માપદંડોના આધારે ભારતના નાગરિકોએ નરેન્દ્ર મોદીના શાસનનું મૂલ્યાંકન કરવું જોઈએ અને આ બે માપદંડોના આધારે જ આવનારા શાસકોનું પણ મૂલ્યાંકન કરવું જોઈએ, પછી એ કોઈ પણ હોય. આપણને કૉન્ગ્રેસ ગમે છે માટે રાહુલ ગાંધીની નિષ્ફળતા માફ, આપણે મરાઠી છીએ એટલે નીતિન ગડકરી કે શરદ પવારની નિષ્ફળતા માફ, આપણે બંગાળી છીએ એટલે મમતા બેનર્જીની નિષ્ફળતા માફ એમ ઓળખના ધોરણે શાસકોનો બચાવ કરશો તો તેઓ તો સત્તા ભોગવીને જતા રહેશે, તમે હતા ત્યાંને ત્યાં જ રહેશો.

આપણે ત્યાં રાજકીય પક્ષો અને નેતાઓ ઓળખનું રાજકારણ કરીને સત્તા સુધી પહોંચે છે અને પછી એ ઓળખના નામે સત્તામાં ટકી રહેવાનો પ્રયાસ કરે છે. હું તો ઝોળી લઈને જતો રહીશ પણ … હિંદુઓનું/મરાઠાઓનું/દ્રવિડોનું/બ્રાહ્મણોનું કે દલિતોનું રાજ જશે એવું જે તે સમાજવિશેષના નેતાએ કહ્યું કે તરત એ સમાજવિશેષના લોકો નિષ્ફળ શાસકને બચાવવા નીકળી પડે છે. આવી માનસિકતામાંથી બહાર નીકળવાની જરૂર છે. તમારે જે ઓળખ સાથે જીવવું હોય એ ઓળખ સાથે જીવો, પણ કમસે કમ શાસકને મૂલવવાનું અને મત આપવાનું કામ ભારતના નાગરિક બનીને કરો.

પાંચ વરસે એક વાર નાગરિક બનવાનું છે, બહુ અઘરું કામ નથી અને જો કાયમ માટે નાગરિક બની શકતા હો તો એના જેવું ઉત્તમ બીજું શું હોય! તમે જે દિવસે નાગરિક બનશો એ દિવસે બીમારીઓનો ઈલાજ થવા લાગશે. કારણ કે તમે તેમને પાંચ પાંચ વરસે તગેડી મૂકશો એટલું જ નહીં, રસ્તા પર ઊતરશો, અદાલતના દરવાજા ખખડાવશો, તેમની સાથે ચર્ચામાં ઊતરશો વગેરે. એક દિવસે તેમને સમજાઈ જશે કે ઝોળો લઈને જતા રહેવાનો ડર હું શું બતાવવાનો હતો, નાગરિકો પોતે જ ઝોળો પકડાવતા થઈ ગયા છે.

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 ઍપ્રિલ 2019

Loading

કેન્દ્રની રાજકીય ચોપાટમાં ગુજરાતના આંકડા કરતાં નેતૃત્વના ચહેરા અગત્યના

ચિરંતના ભટ્ટ|Samantar Gujarat - Samantar|21 April 2019

ગુજરાતનું આંતરિક રાજકારણ ધ્રુવીકરણનું રહ્યું છે પણ કેન્દ્રિય સ્તરે રાજ્યના નેતાએ પોતાનો પ્રભાવ જાળવવામાં પાછી પાની નથી કરી

ચૂંટણીનું રણશિંગું દૂર દૂરથી સંભળાતું હવે કાનની સાવ પાસે આવીને વાગી રહ્યું છે. ૨૩મી તારીખે આપણે ત્યાં, ગુજરાતમાં મતદાન થશે. ૨૦૧૯ની ચૂંટણીનાં પરિણામ દેશની ઓળખ અને તેના તાણાવાણા બંન્નેને ઘડવામાં બહુ મોટો ફાળો ભજવનારી સાબિત થશે. આમ તો ઉત્તર પ્રદેશ અને બિહાર, આ બન્ને રાજ્યને લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવે છે. કહેવાય છે કે દિલ્હીનો રસ્તો ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાંથી પસાર થાય છે. ઉત્તર પ્રદેશે દેશને અત્યાર સુધીમાં આઠ વડાપ્રધાન આપ્યા છે. દરેક પક્ષ માટે ઉત્તર પ્રદેશની વ્યૂહરચના સૌથી મહત્ત્વની રહે છે. કૉન્ગ્રેસનાં ઉદય અને પતન માટે તથા ભા.જ.પા.ને દિલ્હીની સત્તા અપાવવામાં પણ આ રાજ્યોની, તેમાં ય ખાસ કરીને ઉત્તર પ્રદેશની મહત્તા ખૂબ રહી છે. જો કે આપણે ઉત્તર પ્રદેશ કે બિહારની મહત્તાની નહીં પણ આપણા ગુજરાતનાં મહત્ત્વની ચર્ચા કરવી રહી.

આમ જોવા જઇએ તો ગુજરાત રાજ્યની ભૂમિકા કેન્દ્રમાં સરકાર બનાવવા માટે બહુ અગત્યની નથી રહી, છતાં પણ તેનો પાવર નકારી શકાય તેમ નથી. ગુજરાતમાં બેઠકના આંકડા અન્ય રાજ્યોની સરખામણીએ ઓછા છે, એટલે ગુજરાત ‘મેકર સ્ટેટ’ ન ગણાય એ ખરું, પરંતુ છતાં ય આઝાદી પછીનાં સિત્તેર વર્ષનાં શાસનમાં ગુજરાત રાજ્યનું કેન્દ્રનાં રાજકારણ પર વ્યક્તિગત વર્ચસ્વ હંમેશાંથી રહ્યું છે. ગુજરાતનાં રાજકીય ઇતિહાસમાં કેન્દ્ર સુધી અને એ પણ વડાપ્રધાન પદે પહોંચવાને મામલે નરેન્દ્ર મોદી પહેલાં બે જ નામો યાદીમાં છે. ગુલઝારીલાલ નંદા તો એક્ટિંગ વડાપ્રધાન હતા, એટલે ગણતરીનાં દિવસોમાં તે ગાદી પરથી ઊતરી ગયા, પણ ઇંદિરા ગાંધીને હરાવનારા મોરારજી દેસાઇનું નામ ગુજરાતી વડાપ્રધાન તરીકે દરેકની સ્મૃતિમાં અંકિત છે. ગુજરાતનાં ઇતિહાસ પર નજર કરીએ તો ક્રાંતિ કરવી એ ગુજરાતનો સ્વભાવ રહ્યો છે, પછી એ મુઘલકાળની વાત હોય કે બ્રિટિશરો સામેની લડત હોય. ગુજરાતનાં રાજકારણના ઇતિહાસમાં સાંઇઠના દાયકા પછીથી માંડીને સિત્તેરના દાયકાની શરૂઆત વચ્ચેનો સમય ઇંદિરા ગાંધી અને મોરારજી દેસાઇ વચ્ચેની ચડસાચડસીનો રહ્યો.

સિત્તેરના દાયકામાં ક્ષત્રિય, કોળી, વાણિયા અને આદિવાસીનો જાતિવાદ પણ રાજકારણમાં અગત્યનો ફાળો ભજવવા માંડ્યો. આ એ સમય હતો જ્યારે કૉન્ગ્રેસમાં (ઓ) અને (આર) એમ ફાંટા પડી ચૂક્યા હતા, અને આ ફાંટા પડ્યા એ પહેલાં પક્ષને બ્રાહ્મણો અને વાણિયાઓનો બહુ મોટો ટેકો હતો અને પટેલો રાજકારણમાં સક્રિય થયા એટલે આ બંન્ને જ્ઞાતિઓનું તેજ જરા ઝાંખુ પડ્યું. આ બધાં વચ્ચે ચિમન પટેલ મુખ્ય મંત્રી બન્યા અને ગુજરાતનાં રાજકારણ પર પટેલોની પકડ મજબૂત બની. ત્યારે કેન્દ્રમાં સત્તા લાવવામાં ભલે ગુજરાતનું મહત્ત્વ ન હોય પણ દિલ્હીનાં રાજકારણમાં તેમનો પ્રભાવ નોંધપાત્ર હતો. જો કે ગુજરાતમાં જ્ઞાતિ અને જાતિનું રાજકારણ ચિમન પટેલના નેતૃત્વ પછી બદલાયું. વળી કૉન્ગ્રેસની ખામ થિયરી એટલે કે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસલમાન પણ ૧૯૭૫ની સાલમાં ખૂબ ચાલી હતી, પણ તેનો પ્રભાવ ગુજરાતનાં રાજકારણ પણ અમુક સમય સુધી ચોક્કસ રહ્યો, તેને કેન્દ્ર સાથે સ્વાભાવિક રીતે જ કોઇ જોડાણ નહોતું. પણ એંશીના દાયકામાં કૉન્ગ્રેસને ‘ખામ’નો ફાયદો મળ્યો. માધવસિંહ સોલંકી તથા અમરસિંહ ચૌધરી જેવા મુખ્યમંત્રીઓને પગલે પછાત વર્ગ અને આદિવાસીઓના નેતૃત્વને ઓળખ મળી.

ગુજરાત નંબર્સની દ્રષ્ટિએ ક્યારે ય પણ કેન્દ્રનાં રાજકારણ માટે અગત્યનું નહોતું પણ ગુજરાતમાં જે પણ મુખ્યમંત્રી આવતા તેને કારણે ગુજરાતની મહત્તામાં ફેર પડતો. ગુજરાતમાં આંતરિક રાજકારણ હંમેશાં જાતિ-જ્ઞાતિની ચોપાટ પર જ ખેલાતું. સાંઇઠના દાયકા પછીનાં વીસ વર્ષ દરમિયાન કૉન્ગ્રેસનાં રાજમાં બે બાબતો બની. એક તો કૉન્ગ્રેસનો વોટર બેઝ વિસ્તર્યો જેમાં પછાત વર્ગો અને મુસલમાનો ઉમેરાયા, જેને કારણે આ બન્ને રાજકારણમાં પણ મહત્ત્વના બન્યા, અને સાથે કૉન્ગ્રેસ પાર્ટી ઉચ્ચ જ્ઞાતિવાળાને જ મહત્ત્વ આપે છેની માનસિકતા પણ બદલાઇ. જો કે આ વ્યૂહરચનાને પગલે ઉચ્ચ જ્ઞાતિઓને નવા બનેલા પક્ષ ભા.જ.પા.માં મળેલું મહત્ત્વ ‘વ્હાલું’ લાગ્યું.

કૉન્ગ્રેસનાં પતનની ધીમી શરૂઆત થઇ. ભા.જ.પા.એ પહેલાં તો સ્થાનિક તંત્રમાં પગપેસારો કર્યો. ગ્રામીણ સ્તરે સંઘ પરિવારે પોતાની પહોંચ વિસ્તારી. બહુ વ્યૂહાત્મક રીતે શહેર અને ગામડાંમાં ભા.જ.પા.એ પોતાની જમાવટ કરી. ભા.જ.પા.નો ચહેરો ઉભરવા માંડ્યો હતો ખરો, પણ હજી રાષ્ટ્રીય સ્તરે પહોંચવાને વાર હતી. ૧૯૮૪ની લોકસભાની ચૂંટણીમાં ભા.જ.પા.ને માત્ર બે બેઠક મળી હતી. જેમાંની એક ગુજરાતનાં મહેસાણાનાં એ.કે પટેલની જીતથી મળી હતી. આ ભા.જ.પા.નાં ધીમા પણ મક્કમ પગલાંની પહેલી ‘પા પા પગલી’ હતી એમ કહી શકાય. ભા.જ.પા. માટે ગુજરાત એ હિંદુત્વની લેબોટરી સાબિત થયું. પચાસના દાયકામાં શરૂ થયેલી રામજન્મભૂમિની હિલચાલને અડવાણીનુ નેતૃત્વ મળ્યું. ૧૯૮૪માં મંદિર આંદોલને વેગ પકડ્યો અને ૧૯૯૦ના દાયકામાં રામ મંદિરનાં નિર્માણના હેતુ સાથે અડવાણીએ દેશભરમાં રથયાત્રા શરૂ કરી, જેની શરૂઆત ગુજરાતના સોમનાથથી કરવામાં આવી. વિશ્વ હિંદુ પરિષદના આખલાએ માથું ઊંચક્યું અને બાબરી ધ્વંસની ઘટના ૧૯૯૨ની સાલમાં થઇ.

આ બધાંની વચ્ચે વળી જેણે ક્યારે ય રાજકારણમાં સીધેસીધું નથી ઝંપલાવ્યું એવા પ્રવીણ તોગડિયાએ અમદાવાદમાં રહ્યે રહ્યે ‘હિંદુત્વ લેબોરેટરી’ના નાના-માટો-જંગી પ્રયોગો કર્યે રાખ્યા. તેનું યોગદાન ગમે કે ન ગમે એ પછીની વાત છે, પણ તેની ગણતરી તો કરવી જ રહી. ગુજરાતમાં ૧૯૯૫ની સાલમાં ભા.જ.પા.એ પહેલીવાર સરકાર રચી અને ત્યારથી માંડીને આજ સુધી ભા.જ.પા.એ ગુજરાતને હાથમાંથી જવા નથી દીધું. ભા.જ.પા.નાં બીજા તબક્કામાં ગુજરાતની છબી રાષ્ટ્રીય સ્તરે ચર્ચાવા માંડી. ગુજરાતનું જે રાજકારણ પહેલાં સવર્ણો અને અવર્ણોની વચ્ચે ખેલાતું તે હવે સીધેસીધું હિંદુ-મુસ્લિમ સંઘર્ષ પર જ ખેલાવા માંડ્યું. ૨૦૦૧માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને બ્રાહ્મણ-વાણિયાનાં પ્રભુત્વ ધરાવતા પક્ષને ઓ.બી.સી.નો બહુ મોટો ટેકો મળ્યો.

૨૦૦૨નાં રમખાણોનો ફટકાર ભા.જ.પા.એ ભોગવ્યો પણ મોદી ‘ઇમેજ મેનેજમેન્ટ’માં પાવરધા નિકળ્યા અને પક્ષને ધ્રુવીકરણને પગલે મતદારોનો લાભ પણ મળ્યો. ગુજરાતમાં કોમી રમખાણો પહેલાં પણ થયા હતા, અને આ જ ધર્મ વિગ્રહને આધારે થયા હતા પણ આ વખતે સંઘ પરિવારના પૉપ્યુલારિટી મીટરનો પારો ખાસ્સો ઉપર ચઢ્યો હતો, જેની અસર ગુજરાતનાં રાજકારણમાં સ્પષ્ટ વર્તાઇ.

ગુજરાત હજી પણ ભા.જ.પા.નો ગઢ રહ્યો છે અને કેન્દ્ર સુધી પહોંચવા માટે મોદીએ પક્ષમાં ‘લેફ્ટ-રાઇટ-સેન્ટર’ બધે જે પણ નિંદણ લાગ્યું હતું તે હટાવ્યું, પોતાનું મહત્ત્વ સતત ઘુંટ્યું અને માર્કેટિંગ ટેકટિક્સથી માંડીને જરૂર પડ્યે ત્યાં પોતાનું કૌવત દાખવીને માર્ગ બનાવી લીધો. ઉપરોક્ત બાબતો બહુ સ્પષ્ટતાપૂર્વક એ જ સાબિત કરે છે કે કેન્દ્રનાં રાજકારણમાં ગુજરાતનું મહત્ત્વ તેને મળેલા લિડર્સને કારણે જ રહ્યું છે. આમ જોવા જઇએ તો કૉન્ગ્રેસના જાણીતા ચહેરાઓ ગુજરાતમાં ભલે કંઇ બહુ કાઠું નથી કાઢી શકતા અથવા તો બહુ મર્યાદિત પ્રભાવ ધરાવે છે, પણ આખે આખી કૉન્ગ્રેસને ચલાવનાર માણસ ગુજરાતનો છે, એ આક્ષેપથી આપણે અપરિચિત નથી. ભરુચના અહેમદ પટેલે જે રીતે કૉન્ગ્રેસમાં પોતાનું સ્થાન બનાવીને આટલાં વર્ષો સુધી જાળવી રાખ્યું છે તે જ સાબિત કરે છે કે ગુજરાતનું તો ઠીક પણ ગુજરાતીનું મહત્ત્વ કેન્દ્રનાં રાજકારણમાં કેટલી હદ સુધીનું હોઇ શકે છે. આ ઉપરાંત છેલ્લાં દસ વર્ષમાં એલ.કે. અડવાણી, અરુણ જેટલી અને સ્મૃતિ ઇરાની જેવાં કેન્દ્રીય રાજકારણ માટેનાં ઉમેદવારોએ ગુજરાતમાંથી જ દિલ્હી સુધીની દોટ માટે ‘ગેટ સેટ ગો’ કર્યું છે.

પક્ષનાં રાજકારણ ઉપરાંત ગુજરાતમાં આંદોલનનું રાજકારણ પણ રાષ્ટ્રીય સ્તરે એટલે કે કેન્દ્રનાં રાજકારણમાં અસર કરે એવું છે. સાંઇઠના દાયકામાં મહાગુજરાતની ચળવળે ઇંદુલાલ યાજ્ઞિક જેવા નેતા આપ્યા, જે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં અમર થઇ ગયા. વળી વી.પી. સિંઘે મંડલ કમિશનનો જે જીન બહાર કાઢ્યો હતો, તે હજી સુધી ધુણ્યા કરે છે. ત્યારે પણ ગુજરાતમાં સૌથી વધારે આંદોલનો થયાં હતાં. ગુજરાતમાંથી અનામત આંદોલને ત્યારે તો કોઇ મહાન નેતા નહોતા આપ્યા, પણ આ વખતે હાર્દિક પટેલે માથું ઊંચક્યું અને જેને માટે અંગ્રેજીમાં ‘મેન બૉય’ શબ્દ વપરાય છે હાર્દિક હવે કૉન્ગ્રેસમાં જોડાઇ ચુક્યો છે. વળી જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરે પણ આંદોલનનો સહારો લઇને નેતા તરીકેની ઓળખ કેળવી લીધી છે. અલ્પેશ ઠાકોર કૉન્ગ્રેસમાં જોડાઇ ચુક્યા છે તો જિજ્ઞેશ મેવાણીની દલિત નેતા તરીકેની ઓળખ ધારદાર બનાવી છે અને કનૈયા કુમારને માટે પ્રચાર પણ કર્યો છે.

આ આંદોલનમાંથી અથવા તો આંદોલનની આંગળી પકડીને જન્મેલા ‘નેતા’ઓ ખરેખર શું ઉકાળશે એ તો કહેવું મુશ્કેલ છે પણ જોવાનું એ છે કે આ બધાની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવી પડી છે. આમ ફરી એકવાર સાબિત થાય છે કે રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વના ચહેરાઓને કારણે જ રાજકારણમાં ગુજરાતનું મહત્ત્વ રહ્યું છે અને રહેશે. ગુજરાતનું આંતરિક રાજકારણ લાંબા સમયથી ધ્રુવીકરણનું જ રહ્યું છે, એ વાત સ્વીકારતાં આપણે એ પણ નોંધવું રહ્યું કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી જેટલી ધ્રુવીકૃત થશે એટલી પહેલાં ક્યારે ય નથી થઇ. ધ્રુવીકરણ જે એક સમયે જ્ઞાતિ, ધર્મ, જાત, પાત આધારિત હતું એ હવે પહેરવેશ, ખોરાક, વ્યવસાયથી માંડીને શક્ય હોય તે બધા જ પાસામાં ઘુસી ચૂક્યું છે. રાજકારણને નામે હવે દેશમાં આંતરિક વાડાબંધી અને ભાગલા જાણે વધી રહ્યાં છે અને એમાં ય સોશ્યલ મીડિયા અને ચેટ સર્વિસીઝ બળતામાં ઘી હોમવાનું કામ અવિરતપણે કરી રહ્યાં છે.

બાય ધી વેઃ

બહુ જ (ન અને અ) રાજકીય બાબતે અભિવ્યક્તિ કરવી પડશે એવું લાગે છે. માળું ગુજરાત આંકડા નહીં પણ નેતાઓના ચહેરાથી કેન્દ્રીય રાજકારણમાં પોતાનો ડંકો વગાડે છે તો આપણા નેતાઓને થોડા વધારે દેખાવડા થવાનું મન કેમ નહીં થતું હોય?? એટલે જે છે એમાં કંઇ વાંધો નથી (વાંધો હોય તો હું, તમે કે પેલા નેતા પોતે પણ કંઇ નહીં કરી શકે) પણ આ તો એક વાત થાય છે કે ભાષણબાજી અને વ્યૂહરચનાઓનાં પ્લાનિંગની વચ્ચે દેખાવ અંગે પણ કંઇ આમ થોડું મેનેજ થઇ જાય તો જરા સારું લાગે.

જોક્સ અપાર્ટ પણ ગુજરાતની રાજનીતિ કેન્દ્રિય રાજનીતિ પર ધીમી પણ મક્કમ અસર કરનારી સાબિત થઇ છે. એમાં ય વળી મોદી-શાહની દોસ્તી તો જય-વીરૂને શરમાવે એવી રહી છે. હવે અંદર અંદર વિખવાદ હોય તો એ તો વખત આવ્યે ખબર પડશે. એમણે એટલું ધ્યાન રાખવું પડશે કે દિલ્હી સાચવવામાં ‘દિલ’ સમું ગુજરાત વિસરાઇ ન જાય. કારણ કે ગુજરાતમાં આંકડાઓની ખોટ હોઇ શકે છે, નેતાઓની નથી, કોને ખબર ક્યાંક કોઇ મજબૂત નેતા ધીમા અને મક્કમ પગલે પોતાની સફરની તૈયારી કરતો હોય?

સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 ઍપ્રિલ 2019

Loading

...102030...2,8532,8542,8552,856...2,8602,8702,880...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved