Opinion Magazine
Number of visits: 9685150
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ધ એસ્ટ્રોલોજર્સ સ્પેરો’ : પન્ના નાયકનો અંગ્રેજી કાવ્યસંગ્રહ

રંજના હરીશ|Opinion - Literature|18 May 2019

પન્ના નાયક એટલે ગુજરાતી સાહિત્યના નામાંકિત કવયિત્રી. છેલ્લા ચાર દશકથી પન્નાબહેને ગુજરાતી સાહિત્યને દસ જેટલા કાવ્યસંગ્રહો આપ્યાં છે. તદુપરાંત ટૂંકી વાર્તાઓ પણ ખરી. છેલ્લાં ઘણાં વર્ષોથી અમેરિકાના ફિલાડેલ્ફિયામાં વસતાં પન્ના નાયક ફિલાડેલ્ફિયા યુનિવર્સિટીનાં લાઈબ્રેરિયન તેમ જ પેન્સિલવેનિયા યુનિવર્સિટીનાં એડજમ્ટ પ્રોફેસર રહી ચૂક્યાં છે. 2018માં પ્રકાશિત 'ધ એસ્ટ્રોલોજર્સ સ્પેરો' પન્નાબહેનનો પ્રથમ અંગ્રેજી કાવ્યસંગ્રહ છે. જેમાંથી પસાર થતાં એક નિવડેલ કવિનું સાનિધ્ય સતત વરતાય છે.

વર્ષોના વિદેશ વસવાટને કારણે પન્નાબહેનનાં કાવ્યમાં ડાયસ્ફોરિક પ્રજાનો ઘર ઝુરાપો એક મુખ્ય વિષય તરીકે ઊભરી આવે છે. સ્ત્રી જીવનનાં અનુભવો તથા અભિલાષાઓ અને હતાશાઓ પણ આ કાવ્યસંગ્રહનાં કથાવસ્તુ બની રહે છે. મૂળ મુદ્દે કવિ કવિતા લેખનનો બહોળો અનુભવ ધરાવતાં પન્ના નાયકની અંગ્રેજી કાવ્યસૃષ્ટિમાં પણ બિંબ, પ્રતિક તથા રૂપક ભરપૂર પ્રમાણમાં જોઈ શકાય છે. ગુજરાતીની જેમ તેમનું અંગ્રેજી ભાષાકર્મ પણ સબળ તથા પ્રભાવશાળી છે. અમેરિકાનાં કાવ્ય જગતમાં બહોળો આવકાર પામેલ પ્રસ્તુત કાવ્ય સંગ્રહના સ્વાગત સાથે તેમાંથી ચુનંદા કાવ્યોનો મેં કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.

એકાકાર

રોજ સવારે
કૃષ્ણની મૂર્તિ સામે
દીવો કરતાં
ચિતાની ધગધગતી જ્વાળા
મારી આંખને દંશે છે
દીવો કે ચિતા બંને રંગરૂપમાં અગ્નિ,
બંને ઈશ્વરને અર્પાયેલ અંજલિ.
અનન્ય અજવાળું પથરાય છે મારા ચહેરા પર
હું જાણું છું, આ અજવાળું છે તેનો પ્રકાશ
વાતાવરણ રણઝણે છે
સંગીતના સ્વરો વધાવે છે
અમારા મિલનને
વસ્ત્રો સરી પડે છે મારા તનથી
હું જ જાણે પેલી દીપશીખા છું
હું જ છું ચિતાના અગ્નિ સાથે એકાકાર જ્યોત.
મારો આત્મા દેહને છોડી જાય છે
કૃષ્ણે લંબાવેલ હાથ મને વધાવી લે છે
જમીન પર જે પડી છે
તે તો ફકત છે મારી રાખ (ppppP75)

……………

મૃત્યુ પામેલ પ્રેમીના દર્શને આવનાર પ્રેમી માટે…

હું હવે કયા પ્રકારે ફરિયાદ કરું
તારા મોડા પડ્યાની ?
આસપાસ કેટકેટલા લોકો છે !
અને મારા હોઠ સીવાયેલ છે !

……….

બિનકાયદેસર આગંતુક

વર્ષો થયાં મારા એ સતત સાથ આપતા
સ્મરણ નામના મારા દોસ્તને
દેશનિકાલ આપે.
હવે મળસ્કે
મને સંભળાય છે કોઈ ફુસફુસાટ
આ ઘૂસણખોર એ તો નહીં હોય ને ?
રુંધાયેલ શ્વાસ સાથે
વર્ષોથી બંધ બારી ખોલું છું
બારી ખોલવાના અવાજ સાથે
પવનનો સુસવાટ માત્ર છે !
હું મારી જાતને કહું છું
'તરછોડાયેલ સ્મરણ
એટલી સરળતાથી
પાછો ક્યાંથી આવે ?'
પણ શું સાચે જ બારીથી અંદર આવવા મથતો
તે જ ન હતો ?
આ વિચાર માત્ર મને મુંઝવે છે,
શું સ્મરણને ખબર નહીં હોય કે
અમેરિકામાં
બિનકાનૂની આગંતુકને
પોલીસ હાથકડી પહેરાવીને
જેલમાં નાખી દે છે
કોર્ટમાં લઈ જય છે
જો ગુનો સાબિત થાય તો તેને
દેશનિકાલ પણ અપાય છે ?
શા માટે તેને ફરી ફરીને
દેશનિકાલ જોઈએ છે ?

000

ઓરડામાં પાછા ફરતા હું તેને
મારા પલંગ પર આડો પડેલ જોઉં છું
ખુલ્લી બારીમાંથી આવતા
ચંદ્રપ્રકાશમાં તે ચમકે છે

000

ત્યાં તો પોલીસનો સ્વર સંભળાય છે
'બારી ખોલીને તમે પહેલી ભૂલ કરી' (34)

………..

ઘર ઝુરાપો

ફૂલમઢ્યા એ વૃક્ષને મેં
સુદૂર વસેલ ગરમ પ્રદેશ મુંબઈમાંથી મૂળ સોતું ઉખાડીને
ફિલાડેલ્ફિયાના ઠંડા, અજાણ પ્રદેશમાં રોપ્યું
તેને જીવતું રાખવા હું પ્રતિજ્બદ્ધ હતી ….
પરંતુ જ્યારે અહીંનાં વૃક્ષો
માંદલા ગુલાબી રંગના ચેરીબ્લોઝમથી ભરાઈ જાય છે ત્યારે
હું વતનમાં ધીમે ધીમે ઉઘડતા કેસૂડાનાં ફૂલોને સ્મરું છું
આ તે કેવો ઘર ઝુરાપો ?
મન થાય છે કે
બેગ પેક કરીને
અબઘડી વતન પાછી ફરું.
પરંતુ હવે ક્યાં છે મારું વતન ?

તા.ક.

પ્રસ્તુત કાવ્ય સંગ્રહના સંદર્ભે પ્રશ્ન પૂછવાનું મન થાય કે પન્નાબહેન, શીર્ષકની યથાર્થતા સ્થાપિત કરતું કાવ્ય ભૂલમાં ડિલીટ થઈ ગયું કે શું ? શીર્ષકની ચકલી પોપટ તો નથી ને ? ભવિષષ્યવેત્તાનો પોપટ.

પન્ના નાયકને અભિનંદન.

E-mail : ranjanaharish@gmail.com

સૌજન્ય : “નવગુજરાત સમય”, 24 ઍપ્રિલ 2019

Loading

નીરવ પટેલે મોત સામે મલકતાં રહીને સાંપ્રદાયિકતા અને અસમાનતા પર તેજાબી રાજકીય કવિતા રચી

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|17 May 2019

નીરવે ફેસબુક પર 19 ડિસેમ્બર 2018થી  28 ફેબ્રુઆરી 2019 દરમિયાન જે 68 નીડર કવિતાઓ લખી જે તેમાં વાચકો ખંધા રાજકારણીઓ અને ખૂંખાર રાજરમતોને જોઈ શકે છે

કાળઝાળ કવિતાઓ કરનારા નીરવ પટેલ આખરે ગયા, કૅન્સરની સામે લડ્યા પણ કેવી રીતે ? – પ્રગતિશીલ પ્રતિબદ્ધ સર્જક તરીકે ઉદ્દામ કવિતાઓ રચીને ફેસબુક પર મૂકતાં અને ચર્ચા કરતાં, પ્રિયજનોને હળતાં-મળતાં-ફોટા પડાવતાં તે ગયા. આખરી માનવંદના ચોથી તારીખે ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા  સન્માન રૂપે સ્વીકારી. અલબત્ત, તેઓ દેશના અગ્રણી દલિત કવિ તરીકે નામના મેળવી ચૂક્યા જ  હતા. અંગ્રેજી કવિતાઓના તેમના બે સંગ્રહો છે  : ‘બર્નિન્ગ ફ્રૉમ બોથ ધ એન્ડસ’ અને ‘વૉટ ડિડ આઇ ડુ ટુ બી સો બ્લૅક ઍન્ડ બ્લ્યુ’. તેમની ગુજરાતી કવિતાઓના અંગ્રેજી અનુવાદ થયા છે, તેમની મુલાકાતો પ્રસિદ્ધ થઈ ચૂકી છે. અમદાવાદ, હૈદરાબાદ, જયપુર અને ટૉરેન્ટોના લિટરરિ ફેસ્ટિવલ્સમાં તે નિમંત્રિત સર્જક હતા. બહુ મહત્ત્વના કાવ્યસંગ્રહ ‘બહિષ્કૃત ફૂલો’ માટે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનો પુરસ્કાર અને એકંદર સર્જન માટે ગુજરાત સરકારનું કબીર સન્માન અને ભારતીય દલિત સાહિત્ય અકાદમીનું સન્માન મળ્યું હતું.

નીરવ અમદાવાદ પાસેના ભુવાલડી ગામમાં જન્મ્યા હતા. તેમના પિતાએ આપબળે ચર્મકારથી જમીનદાર સુધીની પ્રગતિ સાધી હતી. પણ આખા કુળમાં પહેલા શિક્ષિત એવા નીરવે અંગ્રેજીમાં એમ.એ. અને દલિત સાહિત્ય પર પીએચ. ડી. પ્રાપ્ત કર્યું હતું. પૂર્વ અમદાવાદની મિલકામદારો અને શ્રમજીવીઓની ચાલીઓમાં 1960થી ‘80ના સમયના ધબકતા રાજકીય અને સામાજિક  માહોલે નીરવના દલિત સાહિત્યકાર તરીકેના ઘડતરમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. તેઓ ભાષા, સર્જકતા અને વાચનથી સજ્જતા પ્રાપ્ત કરીને દલિત ચેતનાની કવિતા રચતા જતા હતા. દલિત પૅંથર ચળવળ, મિલ કામદારોનાં સંગઠન, ગુજરાતમાં જેતલપુર તેમ જ ગોલાણામાં દલિતોનાં થયેલાં હત્યાકાંડો અને અનામત આંદોલનો જેવાં અનેક પરિબળોનો ઘેરો પ્રભાવ નીરવના સર્જન-ચિંતન પર છે. દલિત સાહિત્યના પહેલા સામયિક ‘આક્રોશ’થી લઈને કેટલાંક  સામયિકો અને સંચયોનાં સંપાદન નીરવે કરેલાં છે. સંપાદન હોય કે સર્જન, નીરવ મૂળભૂત રીતે સામાજિક વેદના અને વિદ્રોહના કવિ છે. સંસ્થાગત ધર્મવ્યવસ્થાએ ઊભી કરેલી અસમાનતાને કારણે વંચિતોની હિંસાપૂર્વક કરેલી અવદશા જોઈને કવિ અત્યંત વ્યથિત થાય છે. એ વ્યવસ્થા તોડી પાડીને સ્વાતંત્ર્ય-સમતા-બંધુતા આધારિત સુંદર દુનિયાના સ્વપ્ન તે જુએ  છે.

કવિનું આ માનસ જિંદગીના આખરી તબક્કા સુધી ટકી રહ્યું છે. તેમણે 19 ડિસેમ્બર 2018થી  28 ફેબ્રુઆરી 2019 દરમિયાન લખેલી 68 કવિતાઓ ફેસબુક પર છે. આ કવિતાઓમાં દેશમાં પ્રવર્તી રહેલી એકંદર અસમાનતા અને સાંપ્રદાયિકતાની વાત તો છે જ, પણ હમણાંની  સ્પેસિફિક ઘટનાઓ તેમને અત્યંત અસ્વસ્થ કરે છે. પુલવામા પછી તે પૂછે છે :

આ શહીદોના માનમાં યોજાયેલ 
કૅન્ડલ માર્ચ હતી 
કે કોઈ અદ્રશ્ય નેતાનો રોડ શો?

‘આદિવાસી’ કવિતામાં તે લખે છે :

ગઈ કાલે સુપ્રીમ કોર્ટે પેનના એક ગોદે
20 લાખ આદિવાસીઓને ખદેડી મૂક્યા
એમની જંગલઝૂંપડીઓમાંથી.

ગાંધી પુણ્યતિથિએ હિન્દુત્વવાદી જૂથોએ ગાંધીજીની હત્યાની ઘટનાને રિ-એનેક્ટ કરી તે  અંગેના સમાચાર આંબેડકરના અભ્યાસી કવિને અસ્વસ્થ કરે છે :

ગાંધીજીએ આ દેશને સ્વતંત્ર કર્યો : 
હવે સૌ પોતપોતાની રીતે સ્વતંત્ર છે
કંઈ પણ કરવા માટે.
ગાંધીનો વધ કરો,
ગોડસેની પૂજા કરો.

‘વાઇબ્રન્ટ ગ્લોબલ ઇવેન્ટ’ને એક મદારીના નજરબંધીના ત્રણ દિવસના ખેલ તરીકે બતાવતી કવિતા અહીં છે. ઉત્તરાયણને દિવસે લખાયેલી કવિતા છે : ‘2019નું ઇલેક્શન’. તેમાં ‘લોકશાહીના ઉત્સવ’ની સામે ‘હિન્દુ રાષ્ટ્રનું સપનું રોળાઈ જશે’ એવી સંભાવનાનો અલબત્ત વક્રોક્તિપૂર્ણ ઉલ્લેખ છે. ‘ચાણક્ય’ના મુખમાં આ ચૂંટણી અને પાનીપતની સરખામણી છે. જનતા માટે બેફિકર રહી સત્તા અને સંપત્તિ માણતા નેતા એક વખત રિન્ગમાસ્ટર તરીકે અને એક કરતા વધુ વખત રાજા નીરો તરીકે આવે છે. વળી રાજકારણી એક વખત મતપેટીમાંથી નીકળતા, તો બીજી વખત ‘પ્રાણીઓની નહીં, પાર્લામેન્ટની ભાષા’ બોલતા જાનવર તરીકે આવે છે. ‘સૌનો સાથ સૌનો વિકાસ’ કવિતામાં હિંસાચાર, બળાત્કાર અને આત્મહત્યાની વાસ્તવિકતાની સામે કવિ જી.ડી.પી., માથાદીઠ આવક, વિશ્વગુરુની પરિભાષા મૂકે છે. ઝનૂની રાષ્ટ્રવાદના સંદર્ભો  સાથેના કાવ્યોમાં સહુથી સીધું છે તે ‘વન ડે માત્રમ’. અન્યત્ર પણ માર્મિક શબ્દરમત છે :

વંદેમાતમ વંદેમાતમની બૂમો પાડીએ,
પરજાસટાક પરજાસટકના ભેંકડા તાંણીએ?

આ સર્જક પાસેથી ‘ધર્મઆભડેલ જનાવર’, ‘રાજધાર્મિક ક્રિયા’ કે ‘દલિતનારાયણીઓ’ જેવા શબ્દપ્રયોગો પણ મળે છે.

ધર્મસંસ્થા કે પરંપરાઓને પડકારવાની, મૂર્તિભંજક રીતે મૂકવાની દલિત સહિત્યની લાક્ષણિકતા ધરાવતી કવિતાઓ ઘણી છે. ‘હર મંદિરનો જિર્ણોદ્ધાર કરીને વિદ્યાલય બનાવો, વાચનાલય બનાવો’ એવી કવિની અપીલ છે. પુલવામા વિશેના ‘કલિંગબોધ’ કાવ્યમાં

ખંધા રાજકારણીઓ
ભગવાનો અને ધર્મગ્રંથોને ટાંકે છે.

‘વગડાની જેમ દેશમા પણ વસંત ખીલે’ તે માટે બત્રીસ લક્ષણાનો ભોગ લેવાને લગતો ઉલ્લેખ નીરવ જેવા કવિ જીવનના અંતિમ તબક્કે ન કરે તો જ નવાઈ. ‘બ્રાહ્મણ’ એવા જ નામની કવિતા એ તર્ક આપે છે પ્રબુદ્ધ હોવામાં કે બુદ્ધુ હોવામાં બ્રાહ્મણ અને અન્ય જ્ઞાતિમાં કોઈ ફેર હોતો નથી. ‘હિન્દુ’ નામની કવિતાની છેલ્લી પંક્તિઓ છે :

હિંદુઓ મૂળે બે જ પ્રકારના હોય છે : 'વસુધૈવ કુટુંબકમ'માં માનવાવાળા હિંદુઓ’ અને 'શ્રેણીબદ્ધ બહુજાતિ હિન્દુકુટુંબકમ'માં માનવાવાળા હિંદુઓ.’ ધર્મ એ માત્ર એક વિભાવના જ છે એ વાતનું નિરૂપણ કરતી રચનાને અંતે કવિ લખે છે :

કપોળકલ્પિત ઈશ્વર અને એના આઉટડેટેડ ધર્મ કરતાં 
UNOનું એક યુનિવર્સલ ચાર્ટર વધારે ઈફેક્ટિવ છે.

દેશની એકંદર હાલત ‘દશામા’ કવિતામાં છે :  ‘દેશ માથે દશામા બેઠાં છે’ એમ કહીને તે એક વાર વસંતનું વર્ણન કરે છે, અને પછી કહે છે :

દેશમાં ગંગા ગંધાય છે,
પ્રદેશમાં સાબરમતીને લોકો ગટરગંગા કહે છે,
નર્મદાનાં નીર નર્યાં કાદવિયાં થયાં છે.

‘ગાવડી’ નામની વલોવી નાખતી રચના ગાયને ખૂબ હેતથી ઉછેરતા મુસ્લિમ પરિવારના લિન્ચિન્ગ પર છે. ‘માયાનગરી’ અને ‘રિવરફ્રન્ટ’ વિકાસના ફુગ્ગાને ટાંકણી મારે છે. જો કે એનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે ‘રિપ વાન વિન્કલ’ કવિતા. અમદાવાદના ત્રણ બગીચાઓ પરનાં મનોહર કાવ્યો છે. બજેટ, સ્વચ્છતા અભિયાન, ગોલાણાના શહીદો, રેશનાલિઝમ, પુસ્તકો  જેવાં અનેક વિષયો પરની કવિતાઓ મળે છે. સમાજમાં સબૉલ્ટર્ન હોવા પર અને કે કવિતામાં મિથકના હોવા પર પણ નીરવ લખે છે. નીરવની કવિતામાં વિધાનો, વાગ્મિતા અને અલબત્ત, અનેક કાવ્યપ્રયુક્તિઓ છે. કવિતા અને કવિકર્મ પણ વિષયો તરીકે આવે છે. ‘કવિતા દલિતોની મુક્તિદાત્રી છે’, સરસ્વતી દલિત કવિની કમ્પૅનિયન છે. આજુબાજુના હિંસક, ભેદભાવી જગતથી સાબદા રહેવા દરરોજ એક તાજી કવિતા જરૂરી છે. નીરવને મતે ઉત્તમ કવિ ‘કર્મશીલ-કમ- કવિ છે’. 

નીરવે મૃત્યુને ‘માયા’ ગણીને કવિતા કરે છે. ‘દુનિયા’ કવિતામાં તે લખે છે : ‘મને ભોગિયાને તો બિલકુલ નથી ગમતું આ દુનિયા છોડી જવાનું.’ એક કવિતા છે ‘શાંગ્રિલા’ :

તંગ આવી ગયો છું
આ લિંચિસ્તાનથી.
આ રેપિસ્તાનથી.
આ ભદ્રિસ્તાનથી.
મારું શાંગ્રિલા શોધું છું.

એમનું શાંગ્રિલા એટલે એક નોખો દેશ.

એ દેશમાં સૌ માનવી.
સૌ સરખા.
સૌ સરખા સુખી,
સૌ સરખા દુઃખી. 

કવિ ત્યાં પહોંચી ગયા, ગઈ કાલે સવારે , ‘વેજલપૂરના સ્મશાનગૃહના ધૂમાડિયામાંથી છટકીને’ .

+++++++

16 મે 2019

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 17 મે 2019

Loading

હું ગરીબ છું પછાત વર્ગમાંથી આવું છું એવાં રોદણાં શું કામ રડવા ?

રમેશ ઓઝા|Opinion - Opinion|16 May 2019

દેશમાં આત્યાર સુધીમાં ૧૪ વડા પ્રધાન અને વિવિધ રાજ્યોમાં અઢીસો કરતાં વધુ મુખ્ય પ્રધાનો આવ્યા અને ગયા, પરંતુ એમાંથી એક માત્ર નરેન્દ્ર મોદીને છોડીને કોઈએ કહ્યું નથી કે ‘હું ગરીબ છું, પછાત વર્ગમાંથી આવું છું, મેં ભીખ માગી છે, ચા વેચી છે માટે તમારી સહાનુભુતિને પાત્ર છું અર્થાંતરે વડા પ્રધાનના પદને માટે લાયક છું.’ કોઈ કહેતા કોઈએ નહીં. કર્પૂરી ઠાકુર તો ખુદ્દારીની મિસાલ જેવા હતા. તેઓ બિહારના બબ્બે વખત મુખ્ય પ્રધાન બન્યા પછી પણ પહેલા જેટલા જ ગરીબ હતા અને તેમની ગરીબી લોકોની નજર સામે હતી. તેઓ હજામ હતા અને બિહારના મોટા ગજાના નેતા બન્યા પછી પણ હજામત કરતા હતા. તેમણે ક્યારે ય કહ્યું નહોતું કે તેમણે કેવી કેવી યાતના ભોગવી છે અને માટે દયાને પાત્ર છે. કર્પૂરી ઠાકુરને છોડો દલિત અને આદિવાસી નેતાઓએ પણ કહ્યું નથી કે તેઓ શું શું સહન કરીને આવ્યા છે. બાબુ જગજીવન રામ, બાબા સાહેબ આંબેડકર, માયાવતી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે.આર. નારાયણન્‌ વગેરેએ એવી ગરીબી અને પછાતપણું જોયું છે અને તેમણે જીવનમાં જે હાલાકી ભોગવી છે અને અન્યાય સહન કર્યો છે તેની સામે નરેન્દ્ર મોદીની ગરીબાઈ તો કોઈ વિસાતમાં નથી. આદિવાસી સમાજમાંથી આવતા નેતાઓ માટે ક્યાં કોઈએ લાલ જાજમ બિછાવી હતી. તેમણે દરેકે ગરીબી અને પછાતપણાને કારણે કરવામાં આવતી અવહેલના ભોગવી હતી અને પોતાનો રસ્તો કંડાર્યો હતો.

ભારતીય રાજકારણમાં પહેલી પેઢીના નેતાઓમાંથી બહુ ઓછા નેતાઓને જાહેરજીવનમાં રાજમાર્ગ મળ્યો હતો, પછી તેઓ સવર્ણ પરિવારમાંથી આવતા હોય કે અવર્ણ અથવા આદિવાસી. લાલ બહાદુર શાસ્ત્રીનો દાખલો જાણીતો છે. તેઓ બ્રાહ્મણ હતા અને છતાં ગરીબીનો સામનો કરીને પોતા માટે જગ્યા બનાવી હતી. રામનગરથી બનારસ ભણવા જતા કેટલીક વાર ગંગા તરીને જવું પડતું. તેમણે ગરીબાઈનાં રોદણાં ક્યારે ય રડ્યાં નહોતાં. વલ્લભભાઈ પટેલ તેમની આગળની સો પેઢીમાં કોઈ ભણ્યું નહોતું એવા ગ્રામીણ ખેડૂત પરિવારમાંથી આવતા હતા. કામરાજ નાદર ગરીબ અને પછાત પરિવારમાંથી આવતા હતા અને સાવ અશિક્ષિત હતા, પણ તેમણે પાટુ મારીને પોતાના માટે જગ્યા બનાવી હતી. તેઓ કૉન્ગ્રેસના પ્રમુખ હતા અને તામિલનાડુના મુખ્ય પ્રધાન હતા. આપણે એ.પી.જે. અબ્દુલ કલામ માટે શા માટે ગર્વ લઈએ છીએ? સાવ ગરીબ અને સામાજિક રીતે પછાત પરિવારમાંથી આવતા કલામે સંઘર્ષ કરીને સ્વબળે પોતાની જગ્યા બનાવી હતી અને છેક ભારતના રાષ્ટ્રપતિપદે પહોંચ્યા હતા. અહીં જે નામ ગણાવ્યાં છે એ તો માત્ર નમૂનારૂપ છે, બાકી ભારતમાં સેંકડો નેતાઓ ગરીબ અને પછાત પરિવારમાંથી આવ્યા છે અને તેમણે પોતાની જગ્યા બનાવી છે. એમાંના કોઈએ ગરીબી અને પછાતપણાનાં રોદણાં રડ્યાં હોય એવું યાદ નથી. મને તો એવો એક પણ દાખલો નજરે ચડતો નથી. તમે યાદ કરી જુઓ, તમને કોઈ યાદ આવે છે? 

એમાં વળી સ્ત્રીઓને તો પુરુષો કરતાં ઘણો વધુ સંઘર્ષ કરવો પડ્યો છે અને હજુ આજે પણ કરે છે, પછી ભલે તે સવર્ણ પરિવારમાંથી આવતી હોય. ૧૯મી સદીમાં જે સ્ત્રીઓએ સતી, વિધવાવિહાહ અને બીજા કુરિવાજો સામે સંઘર્ષ કર્યો છે એ બધી સવર્ણ પરિવારોની સ્ત્રીઓ હતી. ડૉ. આનંદીબાઈ જોશી, ડો. રખમાબાઈ, હરકોરબે’ન વગેરે સવર્ણ હોવા છતાં પણ સંઘર્ષ કરીને આગળ આવી હતી અથવા બીજી સ્ત્રીઓ માટે દીવાદાંડીરૂપ બની હતી. ભણવાના અધિકાર માટે પણ તેમણે લડત આપવી પડી હતી. કોઈએ તેમના માર્ગમાં લાલ જાજમ નહોતી બિછાવી. તેમના પિતા, ભાઈઓ કે પતિએ પણ નહીં, બલકે તેમના માર્ગમાં અવરોધ પેદા કરવામાં આવ્યા હતા.

આ સિવાય બીજી અનેક મૂંગી પણ વીરતાભરી દાસ્તાનો છે જેના વિષે આપણે કાંઈ જાણતા પણ નથી. સાવિત્રીબાઈ ફૂલેના નામથી તમે પરિચિત હશો, પણ શાંતાબાઈ દાણીનું તમે નામ પણ નહીં સાંભળ્યું હોય. શાંતાબાઈ દાણીએ નાસિકમાં કાલારામ મંદિરમાં દલિતોના પ્રવેશ માટે જે સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો તેનું નેતૃત્વ કર્યું હતું. આવી બીજી અનેક દલિત અને આદિવાસી સ્ત્રીઓ છે જેના સંઘર્ષથી આપણે પરિચિત પણ નથી. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં જે સત્યાગ્રહ કર્યો હતો એમાં ગરીબ અને અભણ ગિરમીટિયા સ્ત્રીઓ મોખરે હતી. ટૂંકમાં પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓએ સંઘર્ષ કરીને પોતાની જગ્યા બનાવવી પડી છે, પછી સમાજ સવર્ણ હોય કે અવર્ણ.

અહીં એક યાદ અપાવવી જરૂરી છે. ભારતના કેટલાક ઇતિહાસકારોના ધ્યાનમાં આવ્યું હતું કે દેશમાં અન્યાય સામેની તેમ જ દરેક પ્રકારની મુક્તિ માટેની લડતનો ઇતિહાસ જે રીતે લખવામાં આવી રહ્યો છે એમાં જે પ્રજા હાંશિયામાં છે તેની લડતની વાત જ આવતી નથી.  કેટલાક લોકોનાં નાનકડાં યોગદાનો અને પ્રમાણમાં મામૂલી સંઘર્ષોની દાસ્તાનો રોચક રીતે કહેવામાં આવી છે. જેમણે આઝાદીની લડતમાં કોઈ ભાગ લીધો નહોતો અને માફી માગીને જેલમાંથી છૂટ્યા હતા એ સ્વાતંત્ર્યવીર તરીખે ઓળખાય છે અને જેમણે મોટા સંઘર્ષ કર્યા અને વિદ્રોહ કર્યા એના વિષે કોઈ બોલતું જ નથી. તેમની સરેઆમ ઉપેક્ષા કરવામાં આવે છે. તેમણે દલિત, આદિવાસી, ભટકતી કોમો, ગુનેગાર જાહેર કરાઈ છે એવી કોમો, દેવાદાસીઓ અને તેમના જેવી બીજી સ્ત્રીઓ વગેરેનાં સંઘર્ષની ઘટનાઓ એકઠી કરી હતી. એવી કેટલી ઘટનાઓ હશે, કલ્પના કરી જુઓ તો? એક બે નહીં, વીસ ખંડમાં નાના લોકોના સંઘર્ષની દાસ્તાનો સંગ્રહાયેલી છે. એ વીસ ખંડ તપાસી જુઓ, એમાં કોઈએ ગરીબી અને પછાતપણાનાં રોદણાં રડ્યાં હોય એવું જોવા નહીં મળે.

તો વાતનો સાર એટલો જ કે ભારતમાં પહેલી પેઢીના નેતાઓમાં મુઠ્ઠીભર નેતાઓ એવા હશે જે મોમાં ચાંદીની ચમચી લઈને જન્મ્યા હતા અને આગળ વધવા માટે રાજમાર્ગ મળ્યો હતો; બાકીના દરેકે સંઘર્ષ કર્યો છે અને પોતાની જગ્યા બનાવી છે. ખાતરી કરવી હોય તો જુદા જુદા વર્ગના નેતાઓએ લખેલી આત્મકથાઓ કે સંસ્મરણો જોઈ જાઓ. તમને પ્રમાણ મળી રહેશે. જે સ્થિતિ રાજકારણની છે એવી જ અન્ય ક્ષેત્રોની છે. અનેક લોકોએ સંઘર્ષ કરીને સાહિત્યમાં, વિજ્ઞાનમાં, કળાજગતમાં અને અન્ય ક્ષેત્રોમાં મોખરાનું સ્થાન બનાવ્યું છે. તેમના માટે પણ કોઈ રાજમાર્ગ નહોતો, બલકે આર્થિક મુશ્કેલીઓ અને સામાજિક પૂર્વગ્રહોના અવરોધો હતા. 

એનો અર્થ એવો નથી કે આંસુ સારનારાઓ અને કાખલી કૂટનારા લોકો જે તે સમાજમાં ત્યારે પેદા નહોતા થયા કે આજે નથી થતા. એવા લોકોને તેમના જ સમાજના લોકોએ હસી કાઢ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હું ગરીબ છું, પછાત વર્ગમાંથી આવું છું, મેં ભીખ માગી છે, ચા વેચી છે’ વગેરે રોદણાં રડવાની જગ્યાએ દલિતો, આદિવાસીઓ, સ્ત્રીઓ અને એમાં પણ પછાત વર્ગની સ્ત્રીઓના સંઘર્ષ તરફ એક નજર કરવી જોઈએ અને તેમની પાસેથી પ્રેરણા લેવી જોઈએ. તેઓ કરે કે ન કરે, આપણે વંચિત લડવૈયાઓને પ્રણામ કરવા જોઈએ.

15 મે 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 16 મે 2019

Loading

...102030...2,8272,8282,8292,830...2,8402,8502,860...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved