Opinion Magazine
Number of visits: 9685156
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આત્મરતિ

સુમન શાહ|Opinion - Opinion|21 May 2019

વિચરતા વિચારો …

આ મહિનાની ૯ તારીખે મેં [આ પેજ પર] ‘લૂઝ કનેક્શન’ લેખ મૂકેલો. ૧૨૪થી પણ વધુ મિત્રોનું એ પર ધ્યાન ગયેલું. એક મિત્રે મને ફોનમાં કહ્યું કે ‘લૂઝનેસ’ જેવી માનવ-સમ્બન્ધોમાં બીજી અનેક સટપટર હોય છે, મને એમ છે કે તમે માનવસમ્બન્ધો વિશે આવું બધું વધારે લખો. મેં એમને કહ્યું કે તમારો ‘સટપટર’ શબ્દ મને ગમ્યો છે, કેમ કે સમુચિત છે. હું પ્રયત્ન કરીશ. આભારી છું.

પછી એ ‘સટરપટર’ શબ્દે મારા મગજમાં ચકલીની જેમ કૂદાકૂદ કરવા માંડી. મને થયું, સમ્બન્ધોમાં ઝીણી-મોટી કેટલી બધી સટરપટર હોય છે; મારે એ વાતો કરવી જોઇએ. પણ મને થયું, હું કોઇ મનોવિજ્ઞાની કે સમાજવિજ્ઞાની તો છું નહીં. થયું, નથી કરવી એવી વાતો કે લખવું પણ નથી એવું કશું.

છતાં સટરપટરની સટરપટર ચાલુ રહી. સટરપટર મને કહે, તારી પાસે સાહિત્યસર્જનની સૂઝબૂઝ જે કંઇ છે ને એથી તને માણસની જે અને જેટલી કંઇ ખબર પડી છે એને આધારે મિત્રો આગળ બે વાત કરવામાં તારું શું જાય છે, વાંધો શો છે, વિજ્ઞાનબિજ્ઞાનની ચિન્તા છોડ …

એટલે પછી, ‘લૂઝ કનેક્શન’-ના જેવો જ વિચારણીય મને એક શબ્દ દેખાયો – આત્મરતિ.

આત્મરતિ એટલે પોતાને વિશેની રતિ. સૅલ્ફ-લવ. આત્મરત માણસ એ છે જેને પોતાની જાત વિશે પ્રેમ છે. મને થયું, આ તો એકદમ સારી ચીજ છે. માણસ આત્મને, સ્વને, ચાહતો હોય એ તો બહુ જ સરસ કહેવાય. કેમ કે જે પોતાની જાતને, સ્વને, નથી ચાહતો તે પરને કે સર્વને તો શી રીતે ચાહી શકવાનો’તો? એવો કોઇ એની પત્નીને શું પ્રેમ કરવાનો’તો? એવી કોઇ એના પતિને કેટલું ચાહી શકવાની’તી? સન્તાનોને? પરિવારને? પડોશીઓને? સહકાર્યકરોને?

જેને પોતાનો ચ્હૅરો સુન્દર લાગતો હોય એ બધે સુન્દર ચ્હૅરા શોધતો હોય છે. પોતાની હોય એવી હૅઅર-સ્ટાઈલ, પોતાનું હોય એવું શર્ટ, એવા શૂઝ, એવી કાર, એ બધે શોધતો રહેવાનો. એના જાત-પ્રેમે એને દોરવ્યો હોય. પોતાના જેવું એને જ્યાં જ્યાં જોવા મળે, એને સારો સંતોષ થાય, ન દેખાય તો પણ એને સારું લાગે કે જોયું, મારા જેવું તો આ વિશ્વમાં કોઇ નથી. આમ, આત્મરતને બેયે બાજુથી સુખ જ સુખ હોય છે. બને છે એવું કે એથી એની આત્મરતિ દૃઢ અને સુદૃઢ થતી હોય છે.

મારા એક સાથી અધ્યાપક હતા, જેને જાત પ્રત્યે જરાપણ લગાવ નહીં. સ્લીપર પ્હૅરીને આવતા. લપટા પડી ગયેલા ને મૅલચૉંટેલા સ્લીપર. એમાંથી એમનાં નખવૃદ્ધિ પામેલાં આંગળા દેખાય, બિચારાં આંગળાં ધૂળની પથારીમાં ગોઠવાયાં હોય. ઘણા દિવસ પછી દાઢી કરે એટલે ત્યારે એમની અસલિયતની ખબર પડે. હવેનો અધ્યાપક તો કારમાં આવે છે-જાય છે. બ્રાન્ડેડ શર્ટ નહીં તો શૂઝ તો ઠઠાડે જ છે. અધ્યાપકબાનુ એની હૉન્ડાનું ડોર આસ્તેથી ખોલીને એના હાઈ-હિલ જૂતાંથી જમીન પર ખડાં થાય છે ત્યારે ચોપાસના સૌ એમને જોતા જોતા સ્તબ્ધ, એટલે કે સ્ટૅચ્યુ, થઇ જાય છે. સાક્ષાત્ આત્મરતિ ઊભાં લાગે. હવાને એમનું પરફ્યુમ મઘમઘતી કરી મૂકે.

મને પોતાને ઘણા વખત સુધી પરફ્યુમની ટેવ હતી. હું જ્યાં અધ્યાપક હતો ત્યાં એની જરૂર પણ હતી. સભા વખતે પણ મને એમ સુવાસિત રહેવું જરૂરી લાગતું. એક વાર, ભાવનગરમાં એક કાર્યક્રમ હતો. આયોજકોએ કરેલી જોગવાઈ અનુસાર મારે બે સાહિત્યકારો જોડે સહ-વાસ કરવાનો પ્રસંગ પડેલો. એમાંના એક કહે, પરફ્યુમની શી જરૂર? બૈરાં જેવું …! મેં સૌ પહેલાં એમને એ શબ્દ પાછો ખૅંચવા કહ્યું ને એમ પણ કહ્યું કે ક્યાં ય નારીવાદી ભાષણ કરવા જો ગયા તો તમારી ખૅર નથી. સ્ત્રીદ્વેષી તમારી અસલિયત પરખાઇ ગઇ છે. બીજું એમને મેં એ કહેલું કે દુનિયામાં મેલ અને ફિમેલનાં જુદાં જુદાં પરફ્યુમ આવે છે, જાણી રાખો. તો બન્ને જણા સાથે બોલ્યા, અમારે પશ્ચિમનું એવું બધું નથી જાણવું …આમે ય એમને પશ્ચિમનો ‘પ’ સાંભળતાં ટાઢ ચડતી …

હું અને રશ્મીતા ૧૯૯૨માં અમેરિકા પહેલી વાર ગયેલાં તે પાછા ફરતી વખતે થયેલું કે મિત્રો માટે કંઇક લઇ જઇએ. અમે કેટલાંક સૅન્ટેડ કાર્ડ્ઝ ખરીદેલાં. હાથમાં લેતાંમાં જ અવનવી સુગન્ધ આવે. મારી સહાધ્યાયી બેના ભારતી દલાલને એવું કાર્ડ આપ્યું તો કહે, સરસ, અમેરિકાથી સુગન્ધાતા સુગન્ધાતા પાછા આવ્યા ! સ-હાસ્ય વ્યંજના એ હતી કે ગયા’તા તો ગન્ધાતા’તા ગન્ધાતા’તા …પછી અમે ખૂબ જ હસેલાં, આમે ય, ભારતીના સંગમાં કોઇ હસ્યા વિના ન રહી શકે, ફર્ક એટલો કે એ ખૂબથી ખૂબ હસી શકે …

સાહિત્યસર્જકો કલાસર્જકો અભિનેતાઓ કે કોઇ કોઇ સાધુ મહાત્માઓ બધા વત્તેઓછે અંશે આત્મરતિને વરેલા જીવો હોય છે. બચ્ચન શાહરૂખ દીપિકા ઐશ્વર્યા શિલ્પા ઝાકિર હુસેન શિવકુમાર શર્મા અરિજિત પાપોન કે શ્રેયા, અરે મનીષ પૉલ પણ. સુવર્ણન્દ્રક તો ઘણાને મળ્યા હોય છે પણ આપણા કવિ સુન્દરમ્-ની જેમ રેશમિયા રંગના ઝભ્ભા પર લટકાવીને મ્હાલવાની હિમ્મત મેં આપણા કોઇ સાહિત્યકારમાં હજી જોઇ નથી. સુન્દરમ્-ને તો તૈયાર થતાં પણ બહુ વાર થતી. એક વાર ભાષાભવનના હૉલમાં અમે અને સભા આખી એમની રાહ જોઇને બેઠેલાં, ક્યારે આવશે, ક્યારે આવશે … આવ્યા, તો ક્હૅ, જગતને કારણે મૉડો પડ્યો. મેં પૂછેલું એવું કેવી રીતે? તો કહે, યજમાનપરિવાર હું સમયસર પ્હૉંચું એ કાજે અતિવ્યસ્ત હતો. મને સમજાઇ ગયેલું કે કવિએ પોતાના ઠાઠમાઠ માટે કેટકેટલી માગણીઓ મૂકી હશે. ગળામાં સોનાનાં અનેક ઘરેણાં ઝુલાવીને ફરતા ભપ્પી લ્હૅરીની આત્મરતિ હસી કાઢવાજોગ લાગે, પણ ભૂલ થાય. કોઇ સંગીતકારના જરીથી ફૂલવેલ ગૂંથેલા કીમતી ઝભ્ભાને વિશેની કે એની પશ્મીના શૉલને વિશેની એની રતિ એની કલામાં, એના પરફૉરમન્સમાં, એની ચાલમાં, બલકે એની ટોટલ લાઈફસ્ટાઈલમાં રસાઈ ગઈ હોય છે. એટલું જ નહીં, એક હરતીફરતી પ્રેરણા રૂપે વાતાવરણમાં એનો પ્રાણસભર સંચાર હોય છે.

આવુંતેવું એમને બધાંને પોસાય ને આપણને ક્યારે ય નહીં – એમ વાતનું પિંડલું વાળીને આઘા નહીં જતા રહેવાનું. આત્મરત વ્યક્તિઓના દોષ ને વાંક દર્શાવીને એમને એકાકી અહંકારી અભિમાની ઉધ્ધત તોછડા કહી દેવાનું સરળ છે, એવા કેટલાક આત્મરત હોય છે પણ ખરા. એક તો છે એવા, ઊંચા. સામે ઊભા હોય, તે હું એમને ઉત્કણ્ઠ થઇને જોતો રહું પણ એમને નતમસ્તકે બે શબ્દ બોલતાં પણ જોર પડે. ઊભા છતાં પોતામાં ડૂબેલા. એક બીજા છે, મળે ત્યારે એવી રીતે જુએ જાણે જીવનમાં પહેલી વાર મળતા હોય. પરાયાપણાની – ઍલિયેનેશનની – વાતો સાહિત્યવાચનમાં અનેક વેળા આવેલી પણ તેવે વખતે એનો તરત જલદ અનુભવ થતો. આત્મરતિનો અર્થ તળાવમાં કલાકોથી બેસી રહેલી ભૅંસ નથી થતો. માછલાની ફિરાકમાં ચૂપ બગલાની મીંઢી ને લુચ્ચી હોય એવી નથી આ આત્મરતિ …

પણ એવાઓને આપણે શું કામ તુચ્છકારવા? આપણે એમને હસી કાઢી શકીએ. તમને કહું, આત્મરત વ્યક્તિઓ મસ્તીમાં ને મસ્તીમાં હોય. જાતની કે બીજાની મજાક-મશ્કરી કરીને હસી શકે બહુ. એમની જોડે, આઈ મીન, એમની સર્જકતા જોડે, જો એકવાર આપણે કનેક્ટ થઇ ગયા તો સમજવાનું એ કનેક્શન કદી પણ લૂઝ નથી થવાનું. સદા ચાર્જ થવાશે, ને પ્રસન્ન રહેવાશે.

આત્મરતિ કરોડરજ્જુ છે. એ વિનાનો માણસ બેસી પડે છે. નમાલો નક્કામો ને નિરાશાવાદી થઇ જાય છે. આપણા અસ્તિત્વનું એક મહત્ રસાયણ આત્મરતિ પણ છે. કેમ કે આપણી ચોપાસ એ કોઇકનો રતિવિલાસ જ વિલસ્યો છે…

(૧૮ મે ૨૦૧૯ : યુ.ઍસ.એ.)

https://www.facebook.com/suman.shah.94/posts/2497642803599951   

Loading

નાગરિક નાફરમાની અને ગાંધી

આશા બૂચ|Opinion - Opinion|20 May 2019

સત્યાગ્રહ અને નાગરિક નાફરમાની કે જે સવિનય કાનૂનભંગ તરીકે પણ ઓળખાય છે, તેની વિભાવના કદાચ ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ બાદ, ભારત અને અન્ય દેશોમાં વધુ પ્રચલિત બની હોય તે સંભવ છે. પરંતુ તેનાં મૂળ ઘણાં ઊંડાં અને વ્યાપક છે. આપણે જાણીએ છીએ કે ગાંધીજીના વિચારો ઉપર હેન્રી ડેવિડ થોરોના સવિનય કાનૂનભંગનાં પગલાંની અસર હતી.

એક એવી સર્વસામાન્ય માન્યતા છે કે જેની પાસે શસ્ત્રો ન હોય, ડરપોક હોય, પોતાનો જાન ફના કરવા તૈયાર ન હોય તેવા લોકો અહિંસક માર્ગ અપનાવે. ખરું પૂછો તો સત્યાગ્રહ કરવો એટલે સંઘર્ષ ટાળવો નહીં, પણ તેને સામી છાતીએ ઝીલવો. સત્યાગ્રહ એ ‘પાસિવ રેઝિસ્ટન્સ’ કરતાં વધુ બળૂકો છે. અહિંસા એ પ્રતિકાર ન કરનાર, સત્તાને તાબે થનાર અને ડરપોક લોકોનું હથિયાર છે, તેમ માનવું બિલકુલ ઉચિત નથી. સમાજના મોટા ભાગના લોકોને હિતકારી ન હોય તેવા નિયમો, કાયદા કે રિવાજ પ્રમાણે કોઈ કાર્ય ન કરવું કે તેને તોડીને કંઇ કરવું તેનું નામ સત્યાગ્રહ. એ કર્મનો અભાવ નથી, એ એવું કાર્ય છે જેમાં હિંસાનો અભાવ છે. દેખાવો કરવા, પોતાના વિચારો અને માંગણીઓ સામા પક્ષને ગળે ઉતરાવવી, અને એ તરકીબ નિષ્ફળ જાય ત્યારે અસહકાર કરવો એ નિઃશસ્ત્ર લડાઈનો ઉચિત ક્રમ છે. તેમાં સંઘર્ષ ટાળવાની વાત નથી પણ અન્યાયી કે જુલ્મી પરિસ્થિતિનો અંત ન આવે ત્યાં સુધી તેનો શાંતિમય ઉપાય કરવા સક્રિય બનવાનું હોય. સંઘર્ષમાં સંડોવાયેલ બંને પક્ષના લોકોનું શાબ્દિક કે માનસિક પરિવર્તન કરવા ઉપરાંત સામાજિક, આર્થિક અને રાજકીય દબાણ દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવો એ તેની ફળશ્રુતિ ગણાય. સત્યાગ્રહ અને સવિનય કાનૂનભંગ જેવાં શસ્ત્રોનો ઉપયોગ માત્ર સંત મહાત્મા જ નહીં, સામાન્ય માણસો પણ કરી શકે. સ્વબચાવ અને ન્યાયની માંગણી માટે પૂર્વ અને પશ્ચિમના ઘણા દેશોમાં આ યુક્તિ વપરાયેલ છે. આવી લડતની સહુથી મોટી શરત એ છે કે સામો પક્ષ (જે સામાન્ય રીતે કોઈ સરકાર કે અમર્યાદ સત્તા ધરાવનાર સંગઠન હોય છે) અહિંસક સામનો કરશે એવી શક્યતા ન હોવા છતાં પોતે તો અહિંસક રીત જ અપનાવે. તેમાં વિજય મેળવતા લાંબો સમય લાગે તે શક્ય છે પણ મળે ત્યારે બંને પક્ષને ફાયદો થાય, જેની વિરુદ્ધ લડાઈ આદરી હોય તેના પણ દિલ જીતાય, અને એવી શાંતિ ચિરકાળ ટકે.

એક અંગત ઉદાહરણ આપવું ઉચિત માનું છું. થોડાં વર્ષો પૂર્વે સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં માન્ચેસ્ટરના તત્કાલીન મેયર ટોની લોઇડ હાજર રહેલા અને ટૂંકું વક્તવ્ય આપતાં કહ્યું, “ભારત અને બ્રિટનને સદીઓ જૂનો રાજકીય અને વ્યાપારી સંબંધ છે. મારા પિતા કાપડ પર ‘Made in Britain’ એવાં લેબલ બનાવવાનો વ્યવસાય કરતા. આજે ભારતના પ્રજાજનો બ્રિટન અને ખાસ કરીને માન્ચેસ્ટરમાં સ્થાયી થઈને આ દેશની આર્થિક અને સાંસ્કૃતિક સંપત્તિમાં મોટો ફાળો આપી રહ્યા છે તેનો મને ઘણો આનંદ છે.” આ વક્તવ્ય બાદ મેં મેયરશ્રીને કહ્યું, ‘મારા નાનાજી અને માતા-પિતાની પેઢીના લોકોએ એ લેબલના કાપડનો બહિષ્કાર કર્યો. તો આપણે બંને વિરોધ દળના કહેવાઈએ.’ તેમણે સુંદર જવાબ આપ્યો, “ના, તમે યોગ્ય જ પગલું ભરેલું. તમને સહુને તેનું ગૌરવ હોવું ઘટે.” મારુ દ્રઢ માનવું છે કે આજે બ્રિટનની ધરતી પર ઊભા રહીને બે ભૂતપૂર્વ શાસક અને શાસિત દેશના નાગરિકો (જો કે હવે તો હું પણ બ્રિટિશ નાગરિક ખરી) આ રીતે એકબીજાંના કર્તવ્યને બિરદાવી શકે તેનું કારણ એ છે કે આપણી સ્વતંત્રતાની ચળવળ અહિંસક હતી. અસહકાર આપણું શસ્ત્ર ન હોત અને જો મશીનગનથી વાત કરી હોત તો ખેલ કઇંક જુદો હોત. જો બંને પક્ષે સશસ્ત્ર જાનહાનિ થઇ હોત  તો પરસ્પર માટેનો આ આદરભાવ અને મૈત્રી કદાચ સંભવ ન બન્યા હોત.

દુનિયાના અલગ અલગ દેશોમાં જુદા જુદા સમયે સવિનય કાનૂનભંગ થયાના કેટલાક ઉત્તમ ઉદાહરણો જોઈએ.

પોતાની કે વિદેશી સરકારના કાયદાઓનો અને દમનકારી શાસનનો વિરોધ કરવા સવિનય કાનૂનભંગ અને શાંતિપૂર્ણ દેખાવો યોજવા એ જનસામાન્યની રીત છે, જે સૈકાઓથી ચાલી આવી છે. એક મત મુજબ તેની શરૂઆત ઈંગ્લેન્ડમાં ઈ.સ. 1381માં ખેડૂતોના બળવાથી – Revoltથી  થયેલ. વોટ ટાઇલર અને બીજા કર્મશીલોએ ખેડૂતો પર નખાતા ઊંચા કરવેરા માટે રિચર્ડ બીજા સમક્ષ  વિરોધ નોંધાવેલો. સખેદ નોંધ લેવી ઘટે કે એ ચળવળે હિંસક રૂપ ધારણ કર્યું, પરંતુ તેનાથી જમીનદારી પ્રથાનો અંત જરૂર આવ્યો.

એટલાન્ટિક સમુદ્રની પેલે પારનો દાખલો લઈએ. ઈ.સ.1775–1783 દરમ્યાન અમેરિકન રિવોલ્યુશન થયું. તેનો પ્રારંભ બોસ્ટન ટી પાર્ટી નામે પ્રખ્યાત બનેલ ઘટનાથી થયો. The Sons of Liberty નામે પોતાને ઓળખાવતા એક જૂથે રાજકીય પગલાં સામે સવિનય કાનૂન ભંગ કર્યો અને એ ક્રાંતિ શરૂ થઇ. બ્રિટનના The Tea Act સામે વિરોધ દર્શાવવા એ કર્મશીલોએ ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા લાવવામાં આવેલ ચા ભરેલા બોક્સને બોસ્ટનના બંદર પાસે પાણીમાં પધરાવી દીધા. બંને પક્ષે આ ચળવળ જોર પકડતી ગઈ પરિણામે અમેરિકન રિવોલ્યુશનનું સ્વરૂપ ધર્યું. જો કે ચાની આયાત કરવા પાછળનો હેતુ આવી ક્રાંતિ કરવાનો નહોતો. દેખાવકારોનું માનવું હતું કે અંગ્રેજ સરકારને એટલાન્ટિક સમુદ્ર પારના દેશને પોતાનું સંસ્થાન માનીને તેની પ્રજા અને તેની પાર્લામેન્ટ પર વ્યાપારી કે આર્થિક હુકમો ઠોકી બેસાડવાનો કોઈ અધિકાર નથી. ત્યાર બાદ એ ક્રાંતિનું શું પરિણામ આવ્યું તે સહુ જાણીએ છીએ. જેમ ચપટીભર મીઠું પેદા કરવાથી અને વેંચવા-ખરીદવાથી બ્રિટિશ સરકારને લૂણો લાગી ગયો તેમ ચા ભરેલ બોક્સ પાણીમાં પધરાવી દેવાથી બ્રિટિશ હકૂમતની સાંકળ અમેરિકામાં પણ ઢીલી પડી. લોકશક્તિ સત્ય અને અહિંસાને વળગી રહીને સંગઠિત રૂપે કાર્યરત થાય તો જરૂર પ્રજા કલ્યાણ થાય તેવાં ફળો મેળવી શકે તે નિ:શંક છે.

યુદ્ધ અને લડાઈ શબ્દો સાથે મિસાઈલ્સ, મશીગન અને બૉમ્બ અનિવાર્યપણે જોડાયેલ હોય એ સર્વસાધારણ ધારણા છે. એટલે જ તો નાગરિક નાફરમાનીને કોઈ સધારીની નાગચૂડમાંથી છૂટવા માટેનું ‘શસ્ત્ર’ ગણાવીએ તો એ કોણ સ્વીકારશે? પણ વીસમી-એકવીસમી સદીમાં શાંતિમય દેખાવો અને હડતાળ વગેરેને એક અસરકારક સાધન તરીકે માન્યતા મળવા લાગી છે. પણ કદી કોઈ પ્રજાએ સંગીત દ્વારા પોતાના હક-અધિકારો મેળવ્યા હોય એવું જાણ્યું છે? યુગોસ્લાવિયામાં સામ્યવાદનો અંત લોહિયાળ યુદ્ધથી આવેલ, પણ એસ્ટોનિયા, લાટવિયા અને લીથુએનિયાએ એક અનોખો શાંતિમય ઉપાય અજમાવ્યો. ચાર વર્ષ સુધી કર્ફ્યુ દરમ્યાન ભક્તિ ગીતો અને રાષ્ટ્રીય ભાવનાવાળાં ગીતો ગાઈને સત્તાને વળગી રહેવા માગતા લોકો સામે સતત વિરોધ નોંધાવ્યો. આ ક્રાંતિ Singing Revolution તરીકે ખ્યાતિ પામી. આ ક્રાંતિએ સંગીત મહોત્સવનું રૂપ ધારણ કર્યું. આજ સુધી કોઈ સરકાર સંગીતની શક્તિથી ઉથલાવી પાડવામાં નથી આવી. અહિંસક લડત કયા કયા રૂપ ધારણ કરીને આવે છે!

પ્રાચીન સમયથી ઉપયોગમાં લેવાતી અસહકાર અને સત્યાગ્રહ જેવી લોકશક્તિ પર આધારિત શસ્ત્ર વિહીન લડતો હજુ વીસમી સદીમાં પણ એટલી જ અસરકારક રહી હતી અને એકવીસમી સદીમાં તો જાણે એ યુક્તિઓ પર આમ જનતાનો વિશ્વાસ વધવાની સાથે તેનો પ્રચાર અને પ્રસાર પણ વધવા લાગ્યો છે. વીસમી સદીમાં ઇંગ્લેન્ડને પોતાના જ દેશની પ્રજાની અહિંસક શક્તિનો અનુભવ ક્યાં નથી થયો? માર્ચ 1990માં લંડનમાં થયેલ શાંતિમય કૂચ ઘણાને યાદ હશે. સરકારે લાદેલ પોલ ટેક્સના વિરોધમાં અને કાઉન્સિલ ટેક્સને પાછો લાગુ કરવા માટે પ્રજાએ આ માર્ગ અપનાવેલો. એમ કહી શકાય કે માર્ગારેટ થાચરની કારકિર્દીના અંતની તેનાથી શરૂઆત થઇ. અલબત્ત લંડનમાં પોલીસે દેખાવકારોને કાબૂમાં રાખવા બળપ્રયોગ કરેલો, પણ દેશમાં અન્ય સ્થળોએ શાંતિમય દેખાવો થયા અને અંતે પોલ ટેક્સની અપ્રિયતાનો ખ્યાલ આવતાં સરકારે તેને રદ્દ કરવાનું પગલું ભરવું જ પડ્યું. શ્રીમતી માર્ગારેટ થાચરના વડપણ નીચેના કાળમાં જેમ પોલ ટેક્સ એ સરકાર માટે મોટો પડકાર હતો તેમ ટોની બ્લેરની સરકારને સત્તા પર આવ્યાને ત્રણ વર્ષ થયાં ત્યાં જ એ દાયકાના સહુથી ગંભીર વિરોધનો સામનો કરવાનું ભાગે આવ્યું. વાહનો માટેના બળતણના ભાવ ફુગાવાના દર કરતાં વધુ દરે વધવાની સાથે લોકોએ રિફાઇનરી પર નાકાબંધી કરી, અને વિતરકોને પેટ્રોલ-ડીઝલનો પુરવઠો બંધ કરવાની ફરજ પાડી. એક બાજુ પેટ્રોલની છૂટક કિંમત ખૂબ વધી અને બીજી બાજુ સરકાર તેના પરનો કર ઓછો કરવા માટે તૈયાર નહોતી. ટેન્કર્સ પણ ડેપો છોડીને પોતાનો વ્યવસાય કરવા સામે વિરોધ દર્શાવવા લાગ્યા. આમ ત્યારે પણ લોક શક્તિનો વિજય થયો જ ગણો ને.

યુરોપના દેશોને ભાગે સવિનય કાનૂનભંગનો સામનો કરવાનું સમયાંતરે આવતું રહ્યું છે. બર્લિનની દિવાલનો ધ્વંસ થયો એ ઘટના ઐતિહાસિક અને રાજકીય દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વની છે. જો કે સમાચાર માધ્યમોએ તેને જુદી રીતે વર્ણવેલી. દિવાલનો એક ભાગ તોડી નાખવામાં આવ્યો અને બંને તરફના લોકોએ હાથ મેળવ્યા એ દ્રશ્ય જોઈને દુનિયાભરના લોકોએ ખુશી અનુભવી. પૂર્વ જર્મનીના લોકોએ તો સરકારની સલાહની વિરુદ્ધ જઈને દિવાલ તોડવાનું શરૂ કરી દીધેલું. સરકાર તો પૂર્વ અને પશ્ચિમના લોકો છૂટથી આવ જા કરે તે માટે ચેક પોઇન્ટ બનાવવામાં વ્યસ્ત હતી. નવમી નવેમ્બરની રાત્રીએ બર્લિનની દિવાલ તૂટી એમ મનાય છે. હકીકતે મોટા ભાગની દિવાલ હજુ અકબંધ હતી અને તેનું રક્ષણ ત્યાર બાદ ઘણા સમય સુધી થતું રહ્યું. આમ છતાં એક જ શહેરને વિભાજીત કરતી દિવાલને સમય કરતાં વહેલી તોડી પાડવા માટે સવિનય કાનૂનભંગને જ મુખ્યત્વે યશ અપાય છે.

જો કોઈની એવી માન્યતા હોય કે  ધાર્મિક સંગઠનો સમલૈંગિક સંબંધોનો છડેચોક માત્ર વિરોધ જ કરે છે તો તેમણે આ હકીકત જાણીને તે વિષે ફરી વિચારવું યોગ્ય થશે. સોલફોર્સ – Soulforce એ એક એવું સુવ્યવસ્થિત જૂથ છેકે જે ચર્ચ દ્વારા લેવામાં આવતાં ઘણાં પગલાંઓ અને નિર્ણયોને બદલવા સવિનય પ્રતિકારનો મુખ્ય સાધન તરીકે ઉપયોગ કરે છે. તેમની સહુથી મહત્ત્વની ઝુંબેશ હતી, રાઈટ ટુ સર્વ – સમલૈંગિક અને ઉભયલિંગી લોકોને અમેરિકાના લશ્કરમાં સેવા આપવાના અધિકારોને પ્રકાશમાં લાવવાનો તેમનો હેતુ હતો.

કેટલાક દેશોની શાસન પદ્ધતિ લોકશાહી મૂલ્યો આધારિત ન હોવાને લીધે દુનિયામાં તેમનું સ્થાન અને માન અન્ય ધનાઢ્ય અને ‘સુસંસ્કૃત’ ગણાતા દેશો કરતાં કઇંક અંશે અલગ હોય છે. ક્યુબા તેમાંનો એક દેશ. ક્યુબા એક માત્ર એવો સામ્યવાદી દેશ છે જ્યાં અવારનવાર સરકારી કાયદાઓ વિરુદ્ધ સવિનય કાનૂનભંગના પગલાં ભરવામાં આવે છે. તેમનો હેતુ ફિડલ કાસ્ટ્રોની સરકારની સત્તાને પડકારવાનો અને રાજદ્વારી કેદીઓને મુક્ત કરાવવાનો હતો. બાજુના પોસ્ટરમાં દર્શાવેલ તેમનો મંત્ર હતો, “હું ખંડન નથી કરતો, હું સહાય નથી કરતો, હું ચોરી નથી કરતો, હું અનુસરણ નથી કરતો, હું સહકાર નથી આપતો અને હું કોઈને અંકુશમાં નથી રાખતો.” સરકારે પોતાની સત્તાને કાયમ રાખવા દમન જરૂર કરેલ, પરંતુ પ્રજાએ મહદ અંશે અહિંસક માર્ગે જ પોતાના અધિકારોનું રક્ષણ કરેલું.

તાજેતરની ઘટનાઓની વાત કરીએ તો અમેરિકામાં 2011થી શરૂ થયેલ Keystone XL નામે જાણીતો થયેલ આ વિરોધ હજુ આજ સુધી ચાલે છે. એક તરફ પર્યાવરણની સુરક્ષાની ખાતરી અપાયેલી હતી અને બીજી તરફ અધિકૃત પુરાવાઓ મુજબ ફ્રેકિંગ ખનીજ તેલ મેળવવાની તદ્દન સુરક્ષિત રીત નથી તે જાણતા હોવા છતાં પ્રેસિડન્ટ ઓબામાએ કીસ્ટોન પાઈપને આલ્બર્ટા-કેનેડાથી મેક્સિકોના ગલ્ફ સુધી લાવવાની યોજનાને બહાલી આપી. લોક શક્તિ પર્યાવરણની રક્ષા ખાતર હજુ ઝઝૂમે છે, પરંતુ ખાનગી કંપનીઓને સરકાર તરફથી મળતી મંજૂરીને કારણે તેમના પ્રયાસો વિફળ થયા કરે છે.

એવી જ બીજી એક ચળવળ તે The Orange Revolution. યુક્રેઇનમાં 2014ની સાલથી અશાંતિ પ્રવર્તી રહી છે, જેનાં મંડાણ તેના દસેક વર્ષ પહેલાં થઇ ચૂક્યાં હતાં. યુક્રેઇનના પ્રેસિડેન્ટ યાનુકોવિચ કે જે રશિયા તરફી વિચારધારા ધરાવનાર હતા, તે નીતિભ્રષ્ટ અને લાંચ લેનારા-દેનારાના ટેકાથી ચૂંટાઈને સત્તા પર આવેલા. આથી પશ્ચિમી વિચારધારા ધરાવનારા લોકો ધરણા, સામાન્ય હડતાળ અને સામૂહિક દેખાવો યોજીને પોતાનો વિરોધ પ્રદર્શિત કરતા રહ્યા. પ્રજાના એકહથ્થુ સત્તા ભોગવતા શાસકને દૂર કરવાના અહિંસક પ્રયાસો હોવા છતાં યાનુકોવિચ ફરી પ્રેસિડન્ટ બન્યા, જેને કારણે 2013માં વધુ દેખાવો થયા અને એ પ્રશ્ન 2014માં ઉગ્ર કક્ષાએ પહોંચ્યો. એમ લાગે છે કે ઓરેન્જ રિવોલ્યુશનનો અંત આવવાને હજુ વાર છે.

સદીઓ સુધી વિસ્તરેલા દુનિયાના દેશોના રાજકીય અને સામાજિક ઇતિહાસને તપાસતાં જણાશે કે લોકશક્તિ આધારિત આંદોલનો સમાજમાં હંમેશ સકારાત્મક પરિવર્તનો લાવે એ સંભવ નથી, પરંતુ પોતાને થતા અન્યાય, માનવ અધિકારના ભંગ, પ્રજાના સામૂહિક હિતનું જોખમાવું, પર્યાવરણ પરનો ખતરો જેવા સાર્વજનિક મુદ્દાઓ વિષે જો પ્રજા જાગૃત રહે તો એ પરિસ્થિતિઓમાં પરિવર્તન લાવવા માટે સવિનય અસહકાર એક શક્તિશાળી બળ બની શકે. દરેક સ્વતંત્ર નાગરિકનો એ અધિકાર છે અને હોવો જોઈએ, એટલું જ નહીં તેમની એ ફરજ છે કે એ પોતાના અને સમસ્ત પ્રજાના હિતમાં ન હોય તેવા સરકારના કાયદાઓ અને નિયમોનો બહિષ્કાર કરે. લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાએ સરકારથી ડરવાની જરૂર નથી, સરકારે પ્રજાથી ડરવું જોઈએ. માટે આજે પણ અહિંસક માર્ગે આદરેલ સવિનય કાનૂનભંગની નીતિ એટલી જ પ્રસ્તુત છે એ શ્રદ્ધા જ માનવ જાતને સશસ્ત્ર સંગ્રામથી દૂર રાખનારી નીવડશે.

e.mail : 71abuch@gmail.com

Loading

મોદી વૈતરણી પાર ઉતરશે ? ભારતમાં હિન્દવી શાસન સ્થપાશે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|19 May 2019

આઠસો વરસની ગુલામી પછી ૨૦૧૪માં પહેલી વાર હિદુઓને આઝાદી મળી અને હિન્દવી શાસન આવ્યું જેનો ઉપસંહાર ભારતીય જાગરણના પાયાના પથ્થરોમાંના એક ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગરના પૂતળાને તોડવા સાથે થયો એ યોગાનુયોગ હોવા છતાં સાંકેતિક છે. કઈ રીતે એ સમજીએ.

પહેલી વાત તો એ કે આઠસો વરસની હિંદુઓની ગુલામીની વાત ક્યાંથી આવી? ૧૭૫૭માં પ્લાસીની લડાઈમાં સિરાઝ-ઉદ્દ-દૌલાને અંગ્રેજોએ પરાજીત કર્યો એ સાથે ભારત ગુલામ બનતો ગયો એવું ઇતિહાસમાં ભણાવવામાં આવે છે. આમ ભારતે આઝાદી ૧૭૫૭ પછી ગુમાવી અને ૧૯૪૭માં પાછી મેળવી એમ ઇતિહાસ કહે છે તો પછી આ આઠસો વરસની ગુલામીની વાત ક્યાંથી આવી?

આ તમે જે ઇતિહાસ ભણ્યા છો એ ઉદારમતવાદી સર્વસમાવેશક સેક્યુલર રાષ્ટ્રવાદીઓએ  લખેલો ઇતિહાસ છે જે હિન્દુત્વવાદીઓને કબૂલ નથી. તેમને અંગ્રેજોએ લખેલો ઇતિહાસ ગમે છે. અંગ્રેજો કહી ગયા છે કે ભારતમાં મુસ્લિમ આક્રમકો એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કુરાન લઈને ભારતમાં આવ્યા હતા અને હિંદુઓને પરાજીત કરીને ગુલામ બનાવ્યા હતા. સેંકડો વરસની ગુલામી પછી છેક ૧૭૫૭માં અંગ્રેજોએ મુસલમાનોને પરાજીત કરીને હિંદુઓને મુસલમાનોથી મુક્તિ અપાવી હતી. તમને ખબર છે અંગ્રેજોએ ભારતમાં વિવિધ શાસનકાળની વિભાગણી કઈ રીતે કરી છે? ઈ. સ. ૧૨૦૬થી લઈને ૧૭૫૭ સુધીનો કાલખંડ એ ઇસ્લામિક યુગ કે મુસ્લિમ યુગ અને ૧૭૫૭ પછીનો કાલખંડ એ બ્રિટિશ યુગ. બીજી બાજુ અંગ્રેજોના કાલખંડને ખ્રિસ્તી યુગ તરીકે નથી ઓળખાવવામાં આવતો, પણ બ્રિટિશ યુગ. અંગ્રેજોની બાબતમાં ધર્મને ગાળી નાખવામાં આવ્યો હતો; પણ ઘોરી, લોદી, ખિલજી, ગુલામ, મુઘલ કાલને એક કૌંસમાં મૂકીને ચાહી કરીને તેને મુસ્લિમ યુગ તરીકે ઓળખાવ્યો છે.

અંગ્રેજોની આ ચાલાકી હિન્દુત્વવાદીઓને નહોતી સમજાતી એવું નથી, પણ જો બાધવું જ હોય અને બાધવા માટેની સામગ્રી અંગ્રેજો પૂરી પાડતા હોય તો સત્ય શોધવાની શી જરૂર છે? જો સત્ય શોધવા જાવ તો હિંદુઓ અને મુસલમાનો વચ્ચેના સંપની ઘટનાઓ હાથ લાગે, અકબર જેવા ઉદાર મુસ્લિમ શાસકોનો સેક્યુલર અભિગમ સામે આવે, ધર્મપરિવર્તન કરનારા હિંદુઓ કોણ હતા અને તેમણે શા માટે અને કઈ રીતે ધર્મ પરિવર્તન કર્યું હતું એની હકીકત સામે આવે. સૂફીઓની માનવીય એકત્વની ભાવના નજરે પડે. ટૂંકમાં અંગ્રેજોએ લખેલા ઇતિહાસને સત્યની એરણે ચકાસો તો બાધવાની સમાગ્રી હાથમાંથી જતી રહે. અંગ્રેજોને પણ સમજાઈ ગયું હતું કે ભારતમાં હિંદુઓ અને મુસલમાનો એકબીજા સામે બાધવાની સામગ્રી શોધી રહ્યા છે એટલે તેમણે ચોક્કસ પ્રકારે ઇતિહાસ લખીને સામગ્રી પૂરી પાડવાનું બીડું ઝડપ્યું હતું. તેઓ માત્ર હિંદુઓને જ નહીં, મુસલમાનોને પણ બાધવાની સામગ્રી પૂરી પાડતા હતા. અંગ્રેજોની એ નીતિ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ તરીકે ઓળખાય છે.

ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગરના બીજા છેડાના સમકાલીન બંગાળી વિચારક અને સાહિત્યકાર બંકિમચન્દ્ર ચેટર્જીએ તો હિંદુઓને મુસલમાનોથી મુક્ત કરાવવા માટે અંગ્રેજોનો આભાર પણ માન્યો હતો. આ સત્ય નહોતું, પણ અંગ્રેજોએ દૃઢ કરેલી પણ માફક આવતી માન્યતા હતી એટલે તેને સત્ય તરીકે સ્વીકારી લેવામાં આવ્યું હતું. આમ હિન્દુત્વવાદીઓ માટે અંગ્રેજો મુસલમાનોથી મુક્તિ અપાવનારા મુક્તિદાતા હતા. એટલે તો તેમણે અંગ્રેજોની વિરુદ્ધ ચાલતા આઝાદી માટેના આંદોલનમાં ભાગ નહોતો લીધો. ભારત આઝાદ થાય એમાં તેમને રસ નહોતો, હિંદુ આઝાદ થાય એમાં તેમને રસ હતો અને ગાંધીજી તેમ જ કૉન્ગ્રેસના નેતૃત્વમાં હિંદુ આઝાદ થવાના નહોતા અને હિંદુઓનું રાજ આવવાનું નહોતું. આવા નકલી સ્વરાજ માટે શા માટે કુરબાની વહોરવી! આઝાદી પછીનાં શરૂઆતનાં વર્ષોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારતની આઝાદીને નકારી પણ હતી. આઝાદીના દિવસને મનાવવામાં નહોતો આવતો અને તિરંગાને માન આપવામાં નહોતું આવતું. પાછળથી તેમના ધ્યાનમાં આવ્યું હતું કે આવું વલણ કોળાવામાં બાધારૂપ બની શકે એમ છે, એટલે તેમણે કમને અને ઢોંગ તરીકે; આઝાદી, બંધારણ, બંધારણનિર્મિત આધુનિક રાજ્ય, તિરંગો રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત અપનાવ્યાં હતાં. વાસ્તવમાં તેમને મન હિંદુઓએ આઝાદી હજુ મેળવવાની બાકી હતી.

એ આઝાદી ૨૦૧૪માં હિન્દુત્વવાદીઓને બંધારણીય લોકશાહીના માર્ગે મળી હતી. પહેલી વાર હિંદુ રાષ્ટ્રનાં સપનાં જોનારાઓને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી હતી. અગિયાર સો વરસ પછી પહેલી વાર દેશમાં હિન્દવી શાસન આવ્યું. હવે ગિરનારની એક જ ટુક ચડવાની બાકી રહી હતી અને તે હતી ભારતીય બંધારણ બદલીને હિન્દવી બંધારણ ઘડવાની. એ માટે લોકસભામાં બે તૃતિયાંશ બહુમતી અને ગમે તેવા સંજોગોમાં પણ સાથ ન છોડે એવું હિંદુ માનસ ઘડવાનું હતું. આજકાલ આવા લોકો ભક્તો તરીકે ઓળખાય છે. ભગવાન કાંઈ પણ બોલે કે કરે, આંગળી નહીં છોડવાની. પ્રતિબદ્ધ ભક્તોની મોટી જમાત અને લોકસભામાં પ્રચંડ બહુમતી મળી જાય એ પછી હિન્દવી રાજ્ય માટેનું હિન્દવી બંધારણ ઘડી શકાશે.

એટલે તો અમેરિકાના ‘ટાઈમ’ મેગેઝીને તેની કવર સ્ટોરીમાં નરેન્દ્ર મોદીને ‘ડીવાઈડર ઇન ચીફ’ તરીકે ઓળખાવ્યા છે. ભારતીય સમાજમાં આડી-ઊભી એટલી તિરાડો પાડો કે જેણે આંગળી પકડી છે એ ક્યારે ય છોડે નહીં અને જેણે નથી પકડી એ ડરના માર્યા પકડી લે. એમના મનમાં એવું ઠસાવી દેવું કે ગાંધી-નેહરુનો સેક્યુલર દેશ હવે ઇતિહાસ બની ગયો છે અને સામે જે નજરે પડી રહ્યું છે એ ભારતની નવી વાસ્તવિકતા છે અને આવનારા અનેક દાયકાઓ માટેની વાસ્તવિકતા છે, જેમ અંગ્રેજોએ ભારતનાં હિંદુઓ અને મુસલમાનોના મનમાં ઠસાવી દીધું હતું કે અંગ્રેજ રાજ કમસે કમ સો દોઢસો વરસ માટેની ભારતની વાસ્તવિકતા છે. એક વાર માણસ વાસ્તવિકતા કબૂલી લે પછી તેને સ્વીકારતો થઈ જાય છે. તેનો વિરોધ મંદ પડવા લાગે છે અને પરિસ્થિતિ સાથે સમાધાન કરવા લાગે છે જે રીતે પાકિસ્તાનમાં પ્રગતિશીલ મુસલમાનોએ સમાધાન કરી લીધું છે.  

હિન્દવી શાસનને ધીમે ધીમેં હિન્દવી રાજ્યમાં ફેરવવાની આ યોજના સફળ નીવડી છે કે નિષ્ફળ એની જાણ ૨૩મી તારીખે થઈ જશે. નરેન્દ્ર મોદી સામેની પ્રતિકૂળ પરિસ્થિતિ હોવા છતાં ભક્તોને ઊંડે ઊંડે હજુ પણ ભરોસો છે કે સાહેબ વૈતરણી તરી જશે; કારણ કે એ નરેન્દ્ર મોદી છે અને નરેન્દ્ર મોદીને કોઈ પરાજીત ન કરી શકે. નરેન્દ્ર મોદી સામેની આવી પ્રતિકૂળતા નજરે પડતી હોવા છતાં પણ સેક્યુલર હિંદુઓને ભરોસો બેસતો નથી કે તેઓ સો ટકા પરાજીત થશે,  કારણ એ જ કે; તેઓ નરેન્દ્ર મોદી છે.

આમ હિન્દવી શાસનને ધીમે ધીમે હિન્દવી રાજ્યમાં ફેરવવાની આ યોજનાના પહેલા પર્વના છેલ્લા અઠવાડિયામાં ભારતીય જાગરણના પાયાના પથ્થર ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગરનું પૂતળું હિન્દુત્વવાદીઓએ તોડી નાખ્યું એ યોગાનુયુગ હોવા છતાં સાંકેતિક છે. રાજા રામમોહન રોય, ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર, દેવેન્દ્રનાથ ઠાકુર, કેશબચન્દ્ર સેન, જ્યોતિબા ફૂલે, ગોપાલ ગણેશ આગરકર, મહાદેવ ગોવિંદ રાનડે, નારાયણ ગુરુ, કંઈક અંશે વિવેકાનંદ, ગાંધીજી, રવીન્દ્રનાથ ટાગોર વગેરે સેંકડો લોકોએ અત્યારના ભારતનું જે ભવન તૈયાર કર્યું છે એ ભારતભવન અને લક્ષ્ય હિંદુભવન બાંધવાનું છે.

17 મે 2019

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 મે 2019

Loading

...102030...2,8252,8262,8272,828...2,8402,8502,860...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved