Opinion Magazine
Number of visits: 9577095
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“અલવિદા, એ જિંદગી!”

નવ્યાદર્શ|Poetry|25 April 2019

હવે એનું નામ
મારી જિંદગીની કિતાબનાં પાનાંઓમાં નથી
હું જીવું છું
મારી જિંદગી, સતત વ્યસ્તતામાં
જ્યાં મને મારા માટે જ કોઈ સમય નથી
આઝાદી?
એ કઈ બલાનું નામ છે?
મનને ગમતાં કપડાં પહેરવાનું?
કોઈએ કહ્યું આ દુનિયાની નજર બહુ બૂરી છે
જીન્સ, શર્ટ, શોર્ટ, ટોપ
અને પેલું મારું વહાલું બ્લેક ટીશર્ટ પણ
પહેર્યાં વગરનું પડ્યું છે સાવ ઉદાસ
પણ મારી નજર હવે એ તરફ નથી જતી
હું ભૂલી ગઈ છું એ ખુશીને
જે એ કપડાં પહેરતાં મારી આંખોમાં આવી જતી હતી
અને અરીસો હસી ઊઠતો હતો
આજે એ જ અરીસો જોતાં ઢળી પડે છે મારી આંખો
આમ તો હું કોઈનું સાંભળતી નહોતી
આજે હું મારી પ્યારી દીદાનું પણ સાંભળતી નથી
અને એના પત્રો એમ જ પડ્યા રહ્યાં છે
જાણે એના શબ્દો વર્ષોથી રાહ જુએ છે મારી
મને મારો જ સમય આજે નથી મળતો મારા માટે
મારી આંખોમાં ઘણીવાર આંસુ આવીને ચાલ્યાં જાય છે
કંઇક તૂટી ગયું છે અંદરથી
અને દુનિયા મને બહારથી સજાવે છે પોતાની રીતે
હું જેમ બદલું છું એમના કહેવાથી
ત્યારે એમની લાડલી બનતી જાઉં છું
પણ હકીકતમાં હું એક ઢીંગલી બનતી જાઉં છું
એક ખૂબસૂરત અને કહ્યાગરી ઢીંગલી
હવે આ ઢીંગલીને જોઇને દુનિયા ખુશ થાય છે
ઢીંગલી તો સદાય હસતી જ હોય છે ને?
એને ક્યાં ખબર હોય કે ખુશી શું અને દુઃખ શું
આઝાદી શું અને જિંદગી એ વળી શું?
આજે મારા કોઈ વિચાર નથી
ન જિંદગી છે
ન મારી પોતાની કહી શકાય એવી કોઈ ખુશી
થોડો સમય છે મારી આઝાદીનો
એ પણ આ દુનિયાને મેં આપી દીધો છે
એટલે આજે કોઈ વિચારો પણ મારા નથી
એનું નામ, એની યાદો
ક્યારેક આંખોમાં તરી આવે
અને હૃદયના ધબકારા થોડીવાર જાગી જાય
મને અહેસાસ કરાવે કે હું પણ શ્વસું છું
તમારી જેમ અને જીવું છું
પણ દુનિયાની નજર પડતાં જ હું ફરી હસી ઊઠું છું
તારું નામ
જો હવે મારી કોઈ કિતાબમાં નથી
કારણ કે,
આ જિંદગી પણ હવે મારી નથી
મારા મુખ પર સ્મિત છે,
આંખોમાં ખુશી
ઓગળી રહી છે મીણબત્તી માફક
એમની યાદોની સાથે આઝાદી
મારો હાથ હવામાં લહેરાય છે
તને, મને અને તારી યાદોને
“અલવિદા, એ જિંદગી!”

e.mail : navyadarsh67@gmail.com

Loading

મતદારોને કાકામાંથી ભત્રીજા બનાવતી આ 2019ની ચૂંટણી !

મનીષી જાની|Opinion - Opinion|24 April 2019

આપણા ગુજરાતમાં મતદાન પૂરું થયું, પણ દેશમાં હજી ચૂંટણીનો માહોલ છાપાં, ટીવી, પાટિયાં, સભા, નિવેદનો અને સોશ્યલ મીડિયામાં ચાલુ છે.

લોકો બધું ચૂપચાપ જોયાં કરે છે. ક્યાંક એમને ખોંખારો ખાઈને મોટાપાયે બોલવાની કોઈ તક મળતી હોય એવું ક્યાં ય જણાતું નથી. શું આપણે આને હતાશાથી ખીચોખીચ ચૂપકીદી ગણીશું ?

કારણ કે ચૂંટણીમાં રચ્યાપચ્યા રહેલા નેતાઓને તો બેફામ ને દાદાગીરીથી બોલતા આપણે છેલ્લા એક મહિનાથી જોઈ જ રહ્યા છીએ.

આપણા ગુજરાતમાં જ ચૂંટણી પ્રચાર દરમિયાનમાં ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારાએ આદિવાસી વિસ્તારની એક ચૂંટણી પ્રચાર સભામાં જે રીતે વાત મૂકી એ આ દેશના સૌ કોઈને ચિંતા ઉપજાવનાર બનવી જ જોઈએ.

ધારાસભ્ય રમેશ કટારાએ કહ્યું કે 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્લીમાં કેમેરા લઈને બધું જોતા બેઠા છે. તેમની નજર બધાં પર છે. તમારા ગામની અંદર બુથ માં કોને કેટલા મત પડ્યા તે બધું કેમેરાથી જૂએ છે … એટલે જે મત નહીં આપે તેને ઝૂંપડું બાંધવા પૈસા નહીં મળે ..!'

આ ધારાસભ્ય સામે ચૂંટણી આચારસંહિતા હેઠળ ચૂંટણી કમિશને શું પગલાં લીધાં એ હજી જાણવા નથી મળ્યું. પરંતું આ લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યની ભાષા ધમકીની છે, લાલચની છે, છેતરપિંડીની છે અને સૌથી વધારે તો મતદારોને બેવકૂફ માનવાની અને તેમની બુદ્ધિશક્તિના અપમાનરૂપ છે એવું શું ન કહી શકાય ?

ધારાસભ્ય કટારાની આ વાત કોઈને રમૂજભરી જરૂર લાગે પણ સવાલ તો ગંભીર ઊભા કરે છે કે અત્યાર સુધીમાં દેશમાં આ 17મી લોકસભાની ચૂંટણી છે. આઝાદીને સાત દાયકા થયા અને તે પછી પણ આદિવાસીઓને માત્ર મજૂર બનાવી દઈ, નાદાન-ભોળા-મૂરખ સમજી અને સમજાવીને ચાલવું એ કેટલું ન્યાયપૂર્ણ ? આદિવાસીઓનાં મનુષ્ય જીવનને લગીરે બહેતર બનાવવાના પ્રયત્ન નહીં કરવા અને ફક્ત યોજનાઓ, ઝૂંપડાંઓ બનાવી આપવાની લાલચ આપી; જૂઠ-ધમકીના સહારે દિલ્હીમાં બેઠેલા કોઈ રાજા પોતાના ખિસ્સામાંથી આદિવાસીઓને કેમેરાના સહારે કંઈક ખેરાત આપીને ઉપકાર કરી રહ્યા છે, એવી વાત ફેલાવવી એ કેટલી વાજબી કહેવી ? અને બધાં લોકો એ માની લેશે તેવી ખાતરી હોવી એ આખા દેશના વિકાસના મુદ્દાને ભાંગીને ભૂક્કો કરી નાખતું કલંક કહેવાય કે નહીં ?

અને આઝાદી પૂર્વેથી દેશનાં રાજકારણમાં અગત્યની ભૂમિકા ભજવી રહેલા પરિવારની સભ્ય, વંશવાદની માનસિકતાના ટેકે રાજકારણમાં સ્થાન મેળવનાર, ભા.જ.પ.નાં નેતા, કેન્દ્રીય સરકારમાં પ્રધાન એવાં મેનકા ગાંધીનાં ચૂંટણી સભાનાં વિધાનો ચોંકાવનારા રહ્યા છે. તેમણે ચૂંટણી પ્રચારમાં કહ્યું કે 'મુસલમાનો અમને મત આપજો નહીંતર તમારો વિકાસ નહીં થાય !'

આ વિધાનો અંગે ભારે વિવાદ-ફરિયાદ બધું થયા બાદ પણ ફરીથી પોતાની આ આડકતરી ધમકીને વીગતવાર કહેતાં મેનકાજી બીજી એક ચૂંટણી પ્રચાર સભામાં કહે છે કે 'જે ગામોમાંથી જેવા મત મળે એ પ્રમાણે તેમનાં કામ કરું છું. મેં ચાર કેટેગરીમાં ગામોને વહેંચ્યાં છે. ‘એ' કેટેગરીમાં એવાં ગામ આવે છે જ્યાં બી.જે.પી.ને 80% મત મળશે. જ્યાં બી.જે.પી.ને 60% મત મળશે તે 'બી' કેટેગરી, જ્યાં 40% વોટ મળશે તે 'સી' કેટેગરી અને જ્યાં 30% કરતાં પણ ઓછા બી.જે.પી.ને વોટ મળશે તેને 'ડી' કેટેગરીમાં રાખવામાં આવશે. સૌથી પહેલાં 'એ' કેટેગરીવાળાં ગામોનાં કામ થશે પછી 'બી', ત્યાર બાદ જે કંઈ વધશે તેમાં 'સી' અને છેવટે 'ડી' કેટેગરીનાં ગામો !'

દેશ આખાના નાણાં-ધન અને સુવિધાઓને મહેનતના સહારે અને તેમાં ય સામાન્ય લોકોનાં કામ, ગામડાંનાં લોકોનાં કામ તે આપણા સાંસદો કરે છે, તે મુદ્દો તો ચર્ચાનો વિષય છે જ ! પરંતું તે વાતને બાજુએ મૂકીને વિચારીએ તો આપણાં નેતાઓ ખૂદ લોકોને ધમકીયુક્ત લાલચો આપે છે તે કેવી વરવી વાસ્તવિકતા છે ? લોકોને નિ:સહાય -મજબૂર સમજનારા આ નેતાઓ સામાન્ય જનતા વિશે કેવી નિમ્ન કક્ષાની માનસિકતા ધરાવે છે, એ સૌ જાગૃત નાગરિકોએ વિચારવા જેવો પ્રશ્ન બની રહે છે.

મથુરામાંથી ચૂંટાયેલાં અને અત્યારે ફરીથી ચૂંટણી લડી રહેલાં ફિલ્મ સ્ટાર હેમા માલિનીને પૂછવામાં આવ્યું કે 'તમારા લોકસભા ક્ષેત્રનાં તમે કયાં કયાં કામ કર્યાં ?' તો જવાબમાં તેમણે કહ્યું કે 'બહુ કર્યાં, એ બધાં કંઈ યાદ નથી !'

અને આ જ સાંસદનો વીડિયો થોડા સમય પૂર્વે ખૂબ વાઇરલ થયેલો કે જેમાં હેલીપૅડ પર લેવા ગયેલા સ્થાનિક કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું અને જે ગાડીમાં તેમને લઈ જવાનાં હતાં ત્યાં તેમને દોર્યા ત્યારે તેમણે ઉદ્દંડ થઈ ને કહ્યું કે આવી નાની ગાડી મને નહીં ચાલે … મોટી લાવો .. અને પૂછ્યું કે કેટલા કિલોમીટર દૂર કાર્યક્રમ છે ?'

નાની-મોટી ગાડીના મોભામાં જીવનાર અને પોતાનાં કામ વિશે પાંચ મિનિટ વાત નહીં કરી શકનાર આ સાંસદ હેમાજીએ આ વખતે પોતાની ઈમેજ સુધારવા ખેતરોમાં જઈ પોઝ આપીને ગ્રામીણ મહિલાની જેમ માથે ભારા ઊંચકીને ,ધાન વાઢતા ને બળદગાડું-ટ્રેકટરમાં બેસીને ફિલ્મી સ્ટાઈલથી ફોટા પડાવી તેને મીડિયામાં વહેતાં કર્યાં.

આવું બધું જોઈ વિચાર તો થાય જ કે જાણે આ બધાં ચૂંટણી લડતાં ખેલાડીઓ મતદારોને બહુ ભોળા અને નાદાન સમજે છે અને પોતાના વિશેની એક ફિલ્મસ્ટાર તરીકેની જે મોટી ઇમેજ ઊભી કરી છે તેનાથી તેઓ ખુદ જ મંત્રમુગ્ધ છે એવું જણાયા વગર રહેતું નથી.

ભા.જ.પ.ના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીને આ વખતે ફરીથી ટિકિટ નહીં આપીને તેમનું માનભંગ થયું એ હકીકત, પણ તે વાતને લઈને મુરલી મનોહર જોશીએ જાણે કે હવે ભા.જ.પ. હારશે એવો અંદાજ કાઢતો એક પત્ર અડવાણીને લખ્યો હોય એવું જુઠ્ઠાણું નકલી પત્ર સોશ્યલ મીડિયામાં વહેતો કરાયો … મુરલી મનોહરે ખુદ આ અંગે ખુલાસો કર્યો અને ચૂંટણી કમિશન પાસે જુઠ્ઠો પત્ર લખનારને પકડી પાડવા વિનંતી કરી પણ હજી સુધી કોઈની ધરપકડ કે ખુલાસો ચૂંટણી કમિશન કરી શક્યું નથી તે નિષ્ફળતાને આપણે કેમ તે મૂલવીશુ ?

વળી ચૂંટણી કમિશનના મોડલ કોડ ઓફ કન્ડક્ટમાં જે મુદ્દાઓને ખાસ ભારપૂર્વક ચૂંટણીના પ્રચારમાં નહીં સંડોવવાનું લખવામાં આવ્યું છે, જેના પર પ્રતિબંધ છે તેમાં સૈન્યનાં કામોનો સમાવેશ થાય છે.

પણ આપણા દેશના વડાપ્રધાન જેઓ એવું માનતા જણાય છે કે તેમને ભારે બહુમતીથી આ દેશનાં લોકોએ ચૂંટીને મોકલ્યા છે, એટલે આ દેશનાં તમામ તંત્રો તેમના તાબામાં રહીને જ કામ કરવા જોઈએ.

કેટલાક તંત્રો આપણી લોકશાહી રાજ્યવ્યવસ્થામાં એવાં રખાયાં છે કે જેના પર ચૂંટાયેલી સરકાર કે તેનાં આગેવાનોનું સીધું નિયંત્રણ ન રહે અને સ્વતંત્ર રીતે લોકહિતમાં કામગીરી બજાવી શકે.

પણ આપણા દેશના આ વડાપ્રધાને આવાં તમામ સ્વાયત્ત તંત્રોને યેનકેન પ્રકારે પોતાના તાબામાં, નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કર્યો છે અને તે સંદર્ભે જોઈએ તો આદર્શ આચારસંહિતાના આ મુખ્ય મુદ્દાને જ બાજુમાં મૂકી, તેનો ભંગ કરી વડાપ્રધાને ખુદ એક ચૂંટણી પ્રચાર સભામાં જણાવ્યું કે 'પહેલીવાર મત આપનારાં મારા યુવાનો યાદ રાખજો, તમે જ્યારે મત આપવા જાવ ત્યારે પુલવામાના શહીદોને યાદ કરીને બટન દબાવજો ..!'

અને દેશના આ વડાપ્રધાને હદ તો ત્યારે કરી કે જ્યારે તેમણે ગુજરાતમાં એક સભામાં કહ્યું કે 'જો તમે બીજું કોઈ બટન દબાવ્યું તો તમારું ધનોતપનોત નીકળી જશે ..!'

આવાં વિધાનો લોકોને ભયગ્રસ્ત રાખવા માટેનાં, ડરાવવા-ધમકાવવા માટેનાં જ માનવા રહ્યા ને ?

ઘણી જગ્યાએ, ઘણા નેતાઓએ આ દેશની લઘુમતી કોમોને સીધી કે આડકતરી રીતે મત નહીં આપો તો તમારાં કામ નહીં થાય એવી ધમકીઓ તો અપાતી રહી, તો સાક્ષી મહારાજ જેવા ભગવાધારી સાંસદે તો જેઓ તેમને મત નહીં આપે તેમને શ્રાપ આપવાની જ સીધી ધાર્મિક ધમકી આપી !

ધમકી અને તે પણ પુરાણપંથી ધમકી ! અને આવી જ ધાર્મિક શ્રાપ આપવાની વાત સાધ્વી પ્રજ્ઞાએ કરી જેઓ પર 100 નિર્દોષ લોકોનો જીવ ગયો એવા આતંકવાદી હુમલાના કેસમાં ઘણા આરોપીઓમાંના એક તરીકે આરોપો છે. આતંકવાદી હુમલામાં તેમની માલિકીનું સ્કૂટર વપરાયું હતું તેવો પૂરાવો કોર્ટમાં સાબિતી તરીકે મૂકાયેલો છે. આ સાધ્વી પ્રજ્ઞા જેલમાં હતાં અને તેમની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે તેવા હેલ્થ ગ્રાઉન્ડ પર તેમને કોર્ટે જામીન પર છોડેલાં છે.

આ સાધ્વી પ્રજ્ઞાની સામે બી.જે.પી.ની સરકારની પોલીસે જ તેમને આ આતંકવાદી ષડયંત્રના ભાગીદાર તરીકે પકડ્યાં હતાં અને જેઓ મુંબઈમાં પાકિસ્તાની આતંકવાદી હુમલાઓ થયા ત્યારે આતંકવાદીઓ સામે જ લડતાં લડતાં શહીદ થયા તે જાંબાઝ પોલીસ ઓફિસર હેમંત કરકરે જ આ સાધ્વી પ્રજ્ઞાની વિગતે તપાસ કરી તેમને જેલમાં નાંખ્યાં હતાં.

આવાં હેલ્થ ગ્રાઉન્ડ પર છૂટેલાં સાધ્વી પ્રજ્ઞાને ભા.જ.પે. ભોપાલ સંસદીય ક્ષેત્રની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતારી દીધાં અને સાધ્વી એ ખૂદ ચૂંટણી પ્રચાર સભામાં જણાવ્યું કે 'મને ખોટી રીતે પકડનાર હેમંત કરકરેને મોઢામોઢ મેં કહ્યું હતું કે મારો તને શ્રાપ છે … અને ખરેખર મારા શ્રાપને કારણે જ તેમનું મોત થયું ..!'

પાકિસ્તાની આતંકવાદીની બંદૂકથી વીંધાઈ ગયેલા પોલીસ ઓફિસર વિશે આવી વાત કરનારાં સામે દેશભક્તિ અને રાષ્ટ્રવાદની વાત કરનારા અને શહીદોનાં નામે જ વોટ માંગનારા; સાધ્વી પ્રજ્ઞાનાં આ શ્રાપ વિશે મૌન રહે, અને તેનું અંગત મંતવ્ય છે એમ કરી છાવરે તે કેવી દંભભરી હાસ્યાસ્પદ વાત કહેવાય ?

પાંચ વર્ષમાં ક્યાં કામ કર્યાં તે મુદ્દાઓ ટાળી, ચૂંટણી પંચને મૂંગું રમકડું બનાવી દઈ અને મતદારોને દંભ, જુઠ્ઠાણાં ને ધનોતપનોત નીકળી જશે તેવી ધાકધમકી ને ગાળાગાળીથી મત મેળવવાનાં ફાંફાં મારવા અને મતદારોને તુચ્છ ગણવાની માનસિકતા દાખવવી એવું પહેલીવાર આ ચૂંટણીમાં ઉલ્લેખનીય રીતે જોવા મળી રહ્યું છે. જેનાં વિશે જાગૃત થઈ નવેસરથી ચૂંટણીઓ વિશે ચર્ચા વિચારણા કરવા સિવાય નાગરિકો પાસે બીજો કોઈ વિકલ્પ અત્યારે તો દેખાતો નથી.

સૌજન્ય : ‘ચિંતા” નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”; 24 એપ્રિલ 2019

Loading

જલિયાંવાલા બાગની શતાબ્દીએ સ્મરણ નાનક સિંહ અને ઉધમ સિંહનું

ચંદુ મહેરિયા|Opinion - Opinion|24 April 2019

જઘન્ય જલિયાંવાલા બાગ કાંડને દેશજનતા હ્રદયની આદ્રતા અને આક્રોશ સાથે શતાબ્દી વરસે યાદ કરે છે. માનવ અધિકારોની પુરસ્કર્તા, લોકશાહી પ્રેમી, સભ્ય અને સંસ્કારી મનાતી અંગ્રેજ પ્રજાની નિમ્નતમ ક્રૂરતાનું પ્રતીક જલિયાંવાલા નરસંહાર છે. શતાબ્દી વરસે બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મે, જલિયાંવાલા કાંડને અંગ્રેજ સરકાર અને પ્રજા માટે શરમજનક તો ગણાવે છે પણ માફી માંગવાનું મુનાસિબ નથી લેખતાં. સંશોધક અને લેખિકા  કિશ્વર દેસાઈના મતે અંગ્રેજ સરકારનું માફીનામું ભારતીય પ્રજા માટે ન માત્ર સહાનુભૂતિનું કારણ છે, પણ  હાલની બ્રિટિશ સરકાર અને પ્રજા બદલાઈ ગઈ છે, અને તે કોઈ જાતિ કે રંગના ભેદમાં માનતી નથી તે દર્શાવવા પણ તે જરૂરી છે.

જલિયાંવાલા કાંડના શતાબ્દી વરસે ઘણું ઘણું લખાશે. પણ  જલિયાંવાલાની શતાબ્દીના આરંભે એક સર્જક અને એક શહીદને યાદ કરવા જેવા  છે. તે માટેનું નિમિત્ત પણ છે. આ બંનેએ જલિયાંવાલા કાંડને સગી આંખે જોયો હતો. પરંતુ તેઓએ તેના પીડિત બની મૌન રહેવાને બદલે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. સર્જક નાનક સિંહે “ખૂની બૈશાખી” દીર્ઘ કવિતા લખીને તો શહીદ ઉધમ સિંહે જલિયાંવાલા કાંડના હત્યારાઓ પૈકીના એક હત્યારાની તેના ઘરમાં, છેક લંડન જઈને, ઠાર કરી પ્રત્યુત્તર આપ્યો હતો. અંગ્રેજ સરકારે પ્રતિબંધિત કરેલ નાનક સિંહની “ખૂની બૈશાખી”નો તાજેતરમાં અંગ્રેજી અનુવાદ પ્રગટ થયો છે તો દિગ્દર્શક શુજિત સરકાર ક્રાંતિવીર ઉધમ સિંહની બાયોપિક બનાવી રહ્યા છે.

રોલેટ એકટનો દેશમાં ભારે વિરોધ થઈ રહ્યો હતો. પંજાબનો વિરોધ તીવ્ર જ નહીં હિંસક પણ હતો. અમૃતસરના જલિયાંવાલા બાગમાં ૧૩મી એપ્રિલ ૧૯૧૯ના રોજ રોલેટ એકટના વિરોધમાં હજારો લોકોની સભા મળી હતી. અંગ્રેજ અફસરો ખાસ કરીને પંજાબના તત્કાલીન લેફટનન્ટ ગવર્નર  માઈકલ ઓડ્વાયર અને બ્રિગેડિયર રેજિનાલ્ડ ડાયરે ભારતીયોને વિરોધની ખો ભૂલવી દેવા અમાનવીય હિંસા આચરી હતી. ડાયરે જલિયાંવાલાની વિરોધસભામાં એકઠા થયેલા નિ:શસ્ત્ર અને નિર્દોષ એવાં હજારો લોકો પર કશી પૂર્વ ચેતવણી સિવાય જ બેરહેમ ગોળીઓ ચલાવી હજારોની લોથ ઢાળી દીધી હતી. ૧૯ વરસના ઉધમ સિંહ અને ૨૨ વરસના નાનક સિંહ પણ  જલિયાંવાલા બાગમાં હાજર હતા. નાનક સિંહ તેમના ચાર મિત્રો સાથે સભામાં ગયેલા. બાકીના ત્રણ દોસ્તો દૈત્ય ડાયરની ગોળીઓનો ભોગ બન્યા હતા પણ નાનક સિંહ બચી ગયા હતા. ઉધમ સિંહ ગોળીઓ વરસવી શરૂ થતાં એક ઝાડ પર ચઢી ગયેલા અને હેમખેમ રહેલા.

પાંચ ચોપડી ભણેલા અને આધુનિક પંજાબી નવલકથાના જનક તરીકે ઓળખાતા નાનક સિંહ(૧૮૯૭-૧૯૭૧)ના લેખનની શરૂઆત શિખ ગુરુઓની સાખીઓના પુસ્તકથી થઈ હતી. ૧૯૬૨ના સાહિત્ય અકાદમી એવોર્ડથી પુરસ્કૃત આ લેખકે ૫૫ નવલકથાઓ, ૨ નાટકો અને ૪ કાવ્યસંગ્રહોનું સર્જન કર્યું હતું. આઝાદી આંદોલનમાં સક્રિય અને તે માટે જેલવાસ વેઠી ચૂકેલા આ લેખકના સર્જનનો પ્રમુખ ભાવ આઝાદીની ઝંખના, સામાજિક સુધારા અને સામાજિક નિસબત રહ્યા હતા. યુવાન નાનક સિંહે જલિયાંવાલાનો સંહાર નજરે જોયો અને ઝેલ્યો હતો. “ખૂની બૈસાખી” દીર્ઘ કવિતામાં તેમણે અંગ્રેજોની તીવ્ર આલોચના સાથે નજરે જોઈ દાસ્તાંન વર્ણવી હતી. સંહાર પછીની રાજકીય ઘટનાઓ અને અંગ્રેજ હકુમતની ટીકા સરકારે સહન ન કરી અને આ કાવ્ય સંગ્રહને પ્રતિબંધિત કર્યો. તેની હસ્તપ્રત પણ ગુમ થઈ ગઈ. નાનક સિંહના અવસાન પછી છેક ૧૯૮૦માં તે હાથ લાગી અને તેનું પ્રકાશન થઈ શક્યું. જલિયાંવાલાની શતાબ્દીએ નાનક સિંહના પૌત્ર અને યુ.એ.ઈ.માં ભારતના રાજદૂત એવા નવદીપ સૂરી અનૂદિત “ખૂની બૈશાખી”નો અંગ્રેજી અનુવાદ પ્રગટ થયો છે. જલિયાંવાલાનો આ સર્જક પ્રતિભાવ એ રીતે હવે વિશ્વમાં પ્રસર્યો છે.

અસ્પૃશ્ય દલિત કુંટુંબમાં જન્મેલા ઉધમ સિંહ (૧૮૯૯-૧૯૪૦) જલિયાંવાલા કાંડ વખતે ૧૯ વરસના હતા. નરસંહાર પછી ઠેર ઠેર લાશો અને આક્રંદ જોઈ હલબલી ગયેલા ઉધમ સિંહની નજરે પતિના શબ પાસે બેઠેલાં અને તેને કૂતરાંથી બચાવવા મથતાં રતનદેવી પડ્યાં હતાં. એ ક્ષણે જ ઉધમ સિંહે જલિયાંવાલાનો બદલો લેવાનો સંકલ્પ કર્યો હતો. નાનપણમાં જ માતાપિતા અને ભાઈ ગુમાવી ચુકેલા ઉધમ સિંહે રતન દેવીને ધર્મનાં બહેન માન્યા હતાં.  અનાથાલયમાં ઉછરીને મોટા થયેલા અને પછી સ્વરોજગાર થકી જીવન ટકાવી રહેલા યુવાન ઉધમ સિંહ સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા હતા. ભગત સિંહના તેઓ સિનિયર હતા અને બંને સાથે મળી બદલો લેવાના આયોજનો કરતા હતા. હંટર કમિશને દોષિત ઠેરવેલા જલિયાંવાલાના ડાયર સહિતના હત્યારાઓને સરકારે પાણીચું આપી દેતાં તેઓ બ્રિટન ચાલ્યા ગયા હતા. એટલે ઉધમ સિંહનું કામ મુશ્કેલ બન્યું હતું.

દેશમાં અને વિદેશમાં રાન અને પાન થઈ ઉધમ સિંહ ભટકતા રહ્યા. નામ અને વેશ પલટો કરતા રહ્યા. છતાં અંગ્રેજ સરકાર અને તેના જાસૂસોથી બચી ન શક્યા. પાંચ વરસની જેલની સજા ભોગવી. આફ્રિકા, અમેરિકા અને ઇંગ્લેન્ડમાં જઈ ભારે મુસીબતો વેઠીને ડાયરની હત્યાના પ્લાન ઘડતા રહ્યા. ૧૯૨૭માં પેરેલિસિસ પછી ડાયરનું અવસાન થયું પણ ઉધમ સિંહ તેથી ડગ્યા નહીં. બાકીના હત્યારાઓને મારી તેમણે બદલો લેવાનું નક્કી કર્યું. ૧૯૩૩માં તે લંડનમાં ગયા. ટેક્સી ડ્રાઈવર બની માઈકલ ઓડ્વાયરના ઘર સુધી પહોંચ્યા. તેમનાં જર્મન સ્ત્રી મિત્ર મેરી પણ તેમના લક્ષ્યને પૂર્ણ કરવામાં સહાયક હતાં. ૧૩મી માર્ચ ૧૯૪૦ના રોજ લંડનની એક સભામાં ઓડવાયર વક્તા તરીકે આવવાના હતા. એ જાણીને ઉધમ સિંહે એ સભામાં જ બદલો લેવાની યોજના ઘડી. વક્તવ્ય આપી પરત પોતાના સ્થાને જઈ રહેલા ઓડવાયર પર ઉધમ સિંહે પોતાની પિસ્તોલથી ધડાધડ ત્રણ ગોળીઓ છોડી ત્યાં જ ઠાર કરી દીધા અને ૨૦ વરસે જલિયાંવાલાનો બદલો લીધો. ઉધમ સિંહે ગુનો કબૂલી લીધો અને તેમને ફાંસીની સજા થઈ. ૩૧મી જુલાઈ ૧૯૪૦ના દિવસે તેમને ખાનગી રાહે ફાંસી આપી દેવામાં આવી. તેમનો મૃતદેહ પણ આપવામાં ન આવ્યો.

આઝાદી આંદોલનના ઇતિહાસમાં અસ્પૃશ્ય ઉધમ સિંહનું બલિદાન વરસો સુધી વણનોંધ્યું જ રહ્યું હતું. બલિદાનના સાડાત્રણ દાયકે એમના અસ્થિ ભારતમાં લાવી શકાયા હતા. માયાવતીના મુખ્યમંત્રીત્વ કાળમાં અખંડ ઉત્તરપ્રદેશ(હવે ઉત્તરાખંડ)ના નૈનિતાલ જિલ્લાને ઉધમસિંહ નગર જિલ્લાનું નામકરણ મળ્યું હતું. તો દોઢેક દાયકા પૂર્વે અમૃતસરના સુવર્ણ મંદિર અને જલિયાંવાલા બાગ પરિસરમાં ઉધમ સિંહની પ્રતિમા સ્થાપિત કરી શકાઈ છે. જો કે ગુજરાતમાં કચ્છ માંડવીના શ્યામજી કૃષ્ણવર્મા ક્રાંતિ કેન્દ્રના ક્રાંતિવીરોમાં ક્યાં ય ઉધમ સિંહની તસવીર તો ઠીક નામ પણ જોવા મળતું નથી.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કતાર, “સંદેશ”, 24 ઍપ્રિલ 2019  

Loading

...102030...2,8102,8112,8122,813...2,8202,8302,840...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved