Opinion Magazine
Number of visits: 9577519
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાબુ સુથાર સાથે વાર્તાલાપ

આરાધના ભટ્ટ|Opinion - Interview|11 May 2019

ડો. બાબુ સુથાર એ ગુજરાતી ભાષા-સાહિત્યનું એક વિરલ વ્યક્તિત્વ, સર્જક, ભાષાવિજ્ઞાની અને ભાષાના તત્ત્વચિંતક હોવા ઉપરાંત તેઓ એક સંપાદક છે. વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરીને એમણે યુનિવર્સિટી ઑવ્ પેન્સિલ્વેનિયામાં સાઉથ એશિયા સ્ટડીઝ વિભાગમાં ગુજરાતીનું અધ્યાપન કર્યું. અમેરિકા વસવાટ પહેલાં થોડોક સમય એમણે ગુજરાતમાં પત્રકારત્વની ભૂમિકા પણ નિભાવેલી. ગુજરાતી ભાષાની પ્રથમ ‘લર્નર્સ ડિક્શનરી’ તૈયાર કરવાનું માતબર શ્રેય પણ એમને જાય છે. એ ઉપરાંત ભાષાવિજ્ઞાનનાં પુસ્તકો અને સાહિત્યક્ષેત્રે પણ એમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. નવલકથા, નવલિકાઓ, કવિતા ઉપરાંત બાળસાહિત્ય સ્વરૂપોમાં એમની સર્જનશીલતા સતત વહેતી રહી છે. તેમણે “સંધિ” ત્રિમાસિકનું સંપાદન પણ સંભાળેલું. એમની સાથેનો ભાષાવિજ્ઞાન વિષયક આ વાર્તાલાપ માહિતીપાત્ર બની રહેશે.

પ્રશ્ન : બાબુભાઈ, આપણા લોકોમાં ભાષાવિજ્ઞાન એ થોડોક અલ્પ પરિચિત વિષય છે. સાહિત્યની ચર્ચાઓ વારંવાર થાય છે, પરંતુ જે સામગ્રીથી સાહિત્ય રચાય છે તે, એટલે કે ભાષા, એના વિજ્ઞાન અને એના શાસ્ત્ર વિષે આપણું થોડું દુર્લક્ષ રહ્યું છે. ભાષાવિજ્ઞાનીના કાર્યક્ષેત્ર વિષે સૌપ્રથમ થોડી સમજણ આપશો?

ઉત્તર : મોટા ભાગના લોકો એવું માનતા હોય છે કે ભાષાવિજ્ઞાની એક કરતાં વધુ ભાષાઓ જાણતો હોય છે. પણ એ વાત સાચી નથી. ભાષાવિજ્ઞાની એક જ ભાષા જાણે તો પણ ચાલે. એક કરતાં વધારે ભાષા જાણે એને પોલિગ્લોટ કહેવામાં આવે છે. પણ પોલિગ્લોટ હોય એ ભાષાવિજ્ઞાની હોય એ જરૂરી નથી. આ એક પ્રકારનું વિજ્ઞાન છે. ભાષાવિજ્ઞાની જગતની કોઈપણ ભાષાનો, એની સામગ્રી એકત્ર કરીને, એનું વિશ્લેષણ કરીને એનું વ્યાકરણ લખી શકે. જેમ કે મેં આફ્રિકાની કિસી ભાષાનું નાનકડું વ્યાકરણ તૈયાર કરેલું, પણ કિસી ભાષાના બે વાક્યોથી વધારે મને બોલતાં નહોતાં આવડતાં. એટલે ભાષાવિજ્ઞાની સૌ પહેલાં તો જે તે ભાષાનો ડેટા ભેગો કરે, પછી એ ડેટાનું વર્ગીકરણ કરે, પછી એના આધારે એનુ અર્થઘટન કરે અને એમાં કોઈ સામન્ય સિદ્ધાંત બનાવે અને પછી એ સિદ્ધાંતને ચકાસે. બીજું એ છે કે, ‘આ સાચું, આ ખોટું’, એ માથાકૂટમાં ભાષાવિજ્ઞાની નહીં પડે. કોઈ માણસ ‘મેં ખાધું’ની જગ્યાએ ‘હુંએ ખાધું’ એમ કહે તો ભાષાવિજ્ઞાની એને એમ નહીં કહે કે આ ‘હુએ ખાધું’ એ ખોટું છે. ભાષાવિજ્ઞાની એ વાક્યને ડેટા તરીકે લઇ લેશે, પછી એવાં બીજાં કયાં વાક્યો કેવા માણસો બોલે છે અને એની સંરચના શું છે એની તપાસ કરશે. એટલે ભાષાવિજ્ઞાની કોઈ નિયમો નહીં બનાવે કે ‘આ સાચું અને આ ખોટું’. બીજું, ભાષાવિજ્ઞાનીઓ જે પણ ભાષાનો અભ્યાસ કરતા હોય એને ક્લાસિકલ ભાષામાં ન્યૂન નહીં કરે. કોઈ એમ કહે કે ‘સંસ્કૃતમાં આમ છે એટલે ગુજરાતીમાં પણ આમ હોવું જ જોઈએ’ તો એ વાત ભાષાવિજ્ઞાની નહીં સ્વીકારે. એ એમ કહેશે કે ગુજરાતી એક સ્વતંત્ર ભાષા છે. ઉદાહરણ તરીકે, થોડોક વખત એ ચર્ચા ચાલેલી કે ‘પુનઃ’માં જે વિસર્ગ આવે છે એને કારણે ગુજરાતી સંધિમાં વિસર્ગનો ર કરવો જોઈએ. પણ ગુજરાતીઓ જો વિસર્ગ બોલતા જ ન હોય તો એ વિસર્ગનો ર કઈ રીતે થઇ શકે? તો, આ ત્રણ મુખ્ય સિદ્ધાંતોનું પાલન મોટા ભાગના ભાષાવિજ્ઞાનીઓ કરતા હોય છે. 

પ્રશ્ન : હવે ભાષાવિજ્ઞાનની મુખ્ય શાખાઓ વિષે વાત કરીએ.

ઉત્તર : પહેલાં તો, ધ્વનિવિન્યાસનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે, જેને ધ્વનિવિન્યાસશાસ્ત્ર કહે છે, એટલે કે ફોનોલોજી. કોઈપણ ભાષાના ધ્વનિની ભાત કયા પ્રકારની છે, એનો એ શાખા અભ્યાસ કરે છે અને એમાં ઘણું બધું કામ થયું છે. એના અનેક સિદ્ધાંતો પણ છે. ત્યાર પછી રૂપતંત્ર, એટલે કે નવા શબ્દો કઈ રીતે બનાવવામાં આવે છે અને એ શબ્દો એકબીજા સાથે કઈ રીતે જોડાય છે, એને મોર્ફોલોજી કહે છે. જેમ કે ‘સારો છોકરો’, ‘સારી છોકરી’, ‘સારું છોકરું’. પછી શબ્દો કઈ રીતે વાક્યમાં આવે છે એને લાગતું એક શાસ્ત્ર છે તે વાક્યતંત્ર – એ પણ ભાષાવિજ્ઞાનની એક શાખા છે – એને સિન્ટેક્સ કહેવાય છે. ત્યાર પછી ભાષાના અર્થની વાત કરે છે તે, એટલે કે ભાષાનો અર્થ કઈ રીતે સમજવો – એ સેમેન્ટિક્સ. પછી ભાષા રોજબરોજના ઉપયોગમાં કઈ રીતે આવે છે – દાખલા તરીકે ‘તું’ અને ‘તમે’ શબ્દો ક્યારે વપરાય છે. ભાષાનો યુસેજ કે વપરાશ, એનો અભ્યાસ કરતી શાખા તે પ્રેગ્મેટિક્સ. આટલી મૂળભૂત શાખાઓ છે. ત્યાર પછી અનેક ઇન્ટર-ડિસિપ્લિનરી શાખાઓ છે. મગજ અને ભાષાના સંબંધની વાત કરે તે ન્યુરો-લિન્ગ્વિસ્ટિક્સ, ચિત્ત અને ભાષાના સંબંધની વાત કરે તે સાયકો-લિન્ગ્વિસ્ટિક્સ, ભાષા અને સમાજ વચ્ચેના સંબંધની વાત કરે તે સોશિયો-લિન્ગ્વિસ્ટિક્સ, અથવા સમાજભાષાવિજ્ઞાન, ભાષાનો ઐતિહાસિક અભ્યાસ કરે તે ઐતિહાસિક ભાષાવિજ્ઞાન, ભાષાઓની તુલના કરતું શાસ્ત્ર તે તુલનાત્મક ભાષાવિજ્ઞાન. અત્યારે તો ભાષાવિજ્ઞાનની ઘણી બધી શાખાઓ થઇ ગઈ છે, અમેરિકામાં તો ફોરેન્સિક લિન્ગ્વિસ્ટિક્સના ખાસ વિભાગ છે. ગુના પકડવામાં ભાષાવિજ્ઞાન કઈ રીતે મદદ કરી શકે એનો અભ્યાસ એમાં થતો હોય છે. કોમ્પ્યુટેશનલ લિન્ગ્વિસ્ટિક્સ પણ હવે આવ્યું છે. એટલે જ્યાં જ્યાં ભાષા છે ત્યાં ત્યાં ભાષાવિજ્ઞાન હાજર થઇ જાય છે. એમાં પણ ઘણું સુપર-સ્પેશ્યલાઈઝેશન છે.

પ્રશ્ન : બાબુભાઈ, તમે અવારનવાર ભારત જાવ છો. ગુજરાતની અનેક શિક્ષણસંસ્થાઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તમે મળો છો, વ્યાખ્યાનો આપો છો. ભાષાની બારીકીઓ વિષે, એના પદ્ધતિસરના અભ્યાસ વિષે, કેટલી સજાગતા અને પ્રતિબદ્ધતા ત્યાં તમને જોવા મળે છે? અને, ગુજરાતમાં ભાષાવિજ્ઞાનનું શિક્ષણ ક્યાં અને કેવું અપાય છે?

ઉત્તર : કમનસીબે ગુજરાતમાં ભાષાવિજ્ઞાનના શિક્ષણની ગુણવત્તા વધારે ને વધારે બગડતી જાય છે. પહેલાં આપણી પાસે વડોદરામાં સારું ડિપાર્ટમેન્ટ હતું. વડોદરામાં હજુ પણ એ ડિપાર્ટમેન્ટ છે, પણ એક જમાનામાં ત્યાં પ્રો. માહુલકર, પ્રો. ભારતી મોદી, કે પ્રો. નાથ, પ્રો. ઉષા દેવી જેવાં જે વિદ્વાનો હતાં, એ પ્રકારના વિદ્વાનો હવે ત્યાં મળતા નથી. ભાષાવિજ્ઞાન એ એક વિજ્ઞાન છે એટલે એમાં પુષ્કળ સંવાદ, રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે, થવો જોઈએ; તે કમનસીબે હવે ત્યાં થતો નથી. હું રૂબરૂ વડોદરા જાઉં છું ત્યારે મારી સાથે પણ કોઈ સંવાદ થતો નથી, હું ત્યાનો વિદ્યાર્થી છું છતાં. સુરતમાં ડિપાર્ટમેન્ટ હતું તે બંધ થઇ ગયું. અને અમદાવાદમાં એ લોકો ૧૯૩૨ની સાલમાં જે વર્ણનાત્મક ભાષાવિજ્ઞાન હતું એના આધારે થોડુંક ભણાવે છે. ત્યાર પછી એ લોકો આગળ ગયા નથી. હકીકતમાં ૧૯૫૭ની સાલમાં ચોમ્સ્કી નામના ભાષાવિજ્ઞાનીએ એક નાનકડી પુસ્તિકા લખી – Syntactic Structures,  એના પગલે ભાષાવિજ્ઞાનમાં એક બહુ મોટી ક્રાંતિ આવી ગઈ. ભાગ્યે જ કોઈ એવો દેશ હશે જ્યાં ચોમ્સ્કીના સિદ્ધાંતોનો અભ્યાસ નહીં થતો હોય. પણ અમદાવાદમાં નથી થતો. એટલે ભાષાવિજ્ઞાનનો અભ્યાસ ગુજરાતમાં નબળો છે અને એમાં પણ ગુજરાતી ભાષાવિજ્ઞાનનો અભ્યાસ તો બહુ જ નબળો છે.

પ્રશ્ન : હવે જોડણીની વાત કરીએ. એક દલીલ એવી છે કે ક્લિષ્ટ જોડણીને કારણે આપણા ભાષકો ગુજરાતીથી વિમુખ થઇ રહ્યા છે. કેટલાકે એનો જવાબ ઊંઝા જોડણી રજૂ કરીને આપ્યો. જોડણીના મુદ્દે તમારા વિચારો જાણવાની ઈચ્છા છે.

ઉત્તર : જોડણી વિષે આપણે બહુ જાણતા નથી. વર્ણનાત્મક ભાષાવિજ્ઞાન ૧૯૨૧માં શરૂ થયું. એમાં એવું કહ્યું છે કે જોડણી ભાષાના ધ્વનિની રજૂઆત કરે છે. એટલે આપણે એવું માની લીધું કે જેવું બોલાય એવું લખાવું જોઈએ. અથવા તો જે લખાય છે તે આપણે જે બોલીએ છીએ એની રજૂઆત છે. પણ ત્યાર પછી ભાષાવિજ્ઞાનનો જે વિકાસ થયો એમાં લેખનવ્યવસ્થા અને જોડણીવ્યવસ્થા વિષે બહુ સરસ વાત કરી છે, કે જોડણી અને ધ્વનિ વચ્ચે સમાનતા હોવી એને અકસ્માત સમજવો. અસમાનતા જ નિયમ છે. એટલે જેમ જોડણીની એક વ્યવસ્થા છે એમ ધ્વનિની એક વ્યવસ્થા છે. અને એ બંનેને જોડવા માટે એક ત્રીજી વ્યવસ્થા છે. હવે, આપણી જોડણી કાચી છે એનું મુખ્ય કારણ એ છે કે આપણે શાળામાં વિદ્યાર્થીઓને કહેતા જ નથી. હું મારી વાત કરું તો મેં ગુજરાતીમાં એમ.એ કર્યું ત્યાં સુધી મને કોઈએ એમ નથી કહ્યું કે મારી જોડણી ખરાબ છે. છેક અમેરિકા આવ્યો ત્યારે મધુ રાયે મારું ધ્યાન દોર્યું કે ‘બાબુભાઈ તમારી જોડણી આટલી બધી ખરાબ કેમ છે?’ પછી મારી રીતે મેં મારી જોડણી સુધારવાનું શરૂ કર્યું ને અત્યારે એ પ્રમાણમાં ઠીકઠીક થઇ ગઈ છે, તો પણ ભૂલ પડે છે. એટલે બાળકોમાં પહેલેથી એક જાતની સજાગતા કેળવવામાં આવે તો એની ભૂલો ન થાય. જોડણીમાં કેટલીક અરાજકતા જરૂર છે પણ એ અરાજકતા દૂર કરી શકાય એમ છે. પણ ઊંઝા જોડણીનું જે આયોજન છે તે બરાબર નથી. એમાં ઘણી બધી સૈદ્ધાંતિક મુશ્કેલીઓ પણ છે. એટલે હું એમ માનું છું કે અત્યારની આપણી જોડણીવ્યવસ્થાને વધુ સારી બનાવવા માટે બીજું શું કરી શકાય એ વિચારવું જોઈએ. એક જ અક્ષર જુદીજુદી રીતે લખાતો હોય છતાં એનું સામાન્યીકરણ અને સરળીકરણ કેવી રીતે કરી શકાય … જોડણી-આયોજન એ ભાષાવિજ્ઞાનની એક આખી શાખા છે. અંગ્રેજીની જોડણી પણ કંઈ એટલી સરળ નથી. છતાં આપણા બાળકો અંગ્રેજી ભણે છે. એક જ અક્ષર સી, એનો ઉચ્ચાર અંગ્રેજીમાં ક થાય, ચ પણ થાય અને સ પણ થાય. અંગ્રેજીમાં આ બધી અવ્યવસ્થા છે છતાં બાળકોને કે વાલીઓને એની સામે ફરિયાદ નથી. એ એમ નથી કહેતા કે અંગ્રેજીની જોડણી સહેલી કરી આપો. ગુજરાતીની જ જોડણી શા માટે સહેલી કરવાની? બાળકોને આ સહેલું પડશે, એ મોટેરાંઓ નક્કી કરે એ સૌથી મોટો ડિઝાસ્ટર છે. બાળકો શીખી લેતાં હોય છે, એમને શીખવાની વ્યવસ્થા આપણે પૂરી પાડવી પડે. કોઈ ગુજરાતી છોકરો ગણિત બરાબર ન કરે તો મા-બાપ કહેશે કે તું બરાબર ભણતો નથી, પણ ગુજરાતી બરાબર નહીં લખે તો કહેશે કે માસ્તર બરાબર ભણાવતા નથી. આ આખી માનસિકતા બદલવાની જરૂર છે. ગુજરાતી ભાષાને ટેકનોલોજીને લાયક બનાવવા માટે કેટલુંક આયોજન કરવાની જરૂર છે, પણ સરકાર જ્યાં સુધી એ હાથમાં ન લે ત્યાં સુધી એ શક્ય નથી.

પ્રશ્ન : જોડણીની ચર્ચા કરીએ છીએ તો આપણી ભાષાના કોશોની વાત કરીએ.તમે એ દિશામાં પણ કામ કર્યું છે.

ઉત્તર : હા, સાર્થ જોડણીકોશ અને બીજા અનેક કોશો બન્યા છે, પણ મારી દૃષ્ટિએ એ પ્રભાવવાદી, એટલેકે ઇમ્પ્રેશનિસ્ટિક છે, વૈજ્ઞાનિક ઢબે કોશ તૈયાર થવા જોઈએ એ થયા નથી. એને કારણે કોશમાં જે ઉદાહરણ આપવામાં આવે છે એ ઉદાહરણ પણ ખોટાં હોય છે. આપણે એ પણ નક્કી કરવાની જરૂર છે કે કેટલી ધ્વનિવ્યવસ્થા કોશમાં પ્રવેશવી જોઈએ. નવાં સંશોધનો અને નવી ટેકનોલોજીનો લાભ ગુજરાતી ભાષાને મળવો જોઈએ એ પણ મળતો નથી. જોડણીકોશ કે શબ્દકોશ સાથે જે લોકો સંકળાયેલા છે એ પરંપરામાં તૈયાર થયેલા લોકો છે. એમની ભાષા વિશેની સૂઝ ઉપર હું શંકા નથી કરતો, પણ સાયન્સ ઓફ લેક્સિકોગ્રાફી, કોશનું વિજ્ઞાન – એમાં તો એ લોકો નબળા છે જ. શબ્દના અર્થ કઈ રીતે આપવા એ પણ નક્કી કરવાની જરૂર છે. દાખલા તરીકે, એક શબ્દકોશમાં ‘છોકરો’ શબ્દના અર્થો પૈકી એક અર્થ ‘ચાવાળો’ પણ છે. એટલે આ રીતે પ્રભાવવાદી શબ્દકોશો તૈયાર થયા છે એ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો બહુ નબળા છે. પણ ગુજરાતમાં આ બધું ચાલે છે.

પ્રશ્ન : ગુજરાતી ભાષા બાબતે આપણા લોકોની માનસિકતા વિષે તમે કેટલાક ઉલ્લેખો કર્યા, પણ બાબુભાઈ આ સમય વૈશ્વીકરણનો છે. હું અને તમે બંને, દરિયાપાર જઈને વસ્યાં છીએ. ગુજરાતી ભાષા લુપ્ત થઇ રહી છે એવી ચિંતા સતત વ્યક્ત થાય છે. તમને લાગે છે કે ગુજરાતી ભાષા લુપ્ત થઇ જશે?

ઉત્તર : ભાષા સંપૂર્ણપણે લુપ્ત નહીં થાય પણ ભાષાનું ધોવાણ તો ઘણું થયું છે. એટલું બધું ધોવાણ થયું છે કે અત્યારે ગુજરાતમાં પણ ગુજરાતી ભાષા પર માતૃભાષા જેવું નિયંત્રણ હોય એવા માણસો મળવા મુશ્કેલ છે. એટલે કે જો એ માણસે દસ મિનિટ ગુજરાતીમાં બોલવાનું હોય તો એ નહીં બોલી શકે. એ ઘણા બધા અંગ્રેજી શબ્દો બોલશે, ઘણી અંગ્રેજી પ્રભાવવાળી વાક્યરચનાઓ પણ લઇ આવશે. એનો અર્થ એ થયો કે ગુજરાતી ભાષાનું ધોવાણ થઇ રહ્યું છે. જેમ કે આપણા સંબંધવાચક શબ્દો – બા, બાપુજી, બહેન. આ બધા શબ્દોનું ધોવાણ થઇ ગયું છે. કારણ કે શહેરમાં લોકો એમ જ કહેશે કે ‘મારા ફાધર આવવાના છે, મધર કાલે આવશે અને સિસ્ટર જરા બિમાર છે’. હવે આ શબ્દો આપણી પાસે નથી એવું તો નથી. સમાજ-ભાષાવિજ્ઞાનમાં કોઈએ એક બહુ સરસ કન્સેપ્ટ આપ્યો છે- લેન્ગવેજ લોયલ્ટી. એટલે કે ભાષા-વફાદારી. ગુજરાતી પ્રજાની ભાષા-વફાદારી બહુ નબળી છે. એને પાછી લાવવા માટે સરકારે પગલાં લેવાં જોઈએ, કારણ કે પ્રજા તો શું કરે? આમાં કોઈ મંદિરનો મહંત તો પગલાં લે નહીં. ભાષાવિજ્ઞાનીઓએ ઘણું કામ કર્યું છે અને દુનિયાની ઘણી ભાષાઓ એમણે રીસ્ટોર કરી છે. હમણાં મેં વાંચ્યું કે કોઈ શિક્ષણના અધિકારીએ એવો નિર્ણય લીધો છે કે પ્રાથમિક શાળામાં ગણિત અને વિજ્ઞાનનું શિક્ષણ ગુજલિશમાં આપવું, ગુજરાતીમાં નહીં. એટલે આપણે વિદ્યાર્થીઓને કહીશું કે ‘પહેલાં વોટર લો, પછી એમાં ફિંગર બોળો’. આ નિર્ણય સત્તાવાર રીતે લેવામાં આવ્યો છે. અને ગુજરાતી પ્રજા ચૂપ છે, કારણ કે એને એની પડી નથી. એટલે ભાષાનું એટલું બધું ધોવાણ થશે કે એને કારણે માનવતાનું ધોવાણ થશે, માનવસંબંધોનું અને એના પર્યાવરણનું ધોવાણ થશે. કારણ કે એક તત્ત્વજ્ઞાનીએ કહ્યું છે કે ભાષા આપણી હયાતીનું ઘર છે. જે ઘર આ રીતે કરપ્ટ થઇ જાય એ ઘરનાં મૂલ્યો પણ પાછળથી એવાં જ થઇ જશે. હું એમ નથી કહેતો કે આપણે પરંપરાગત મૂલ્યો જ જાળવી રાખવાં જોઈએ, પણ જે મૂલ્યોની માણસજાતને જરૂર છે એ મૂલ્યોને ટકાવી રાખવાં માટે ભાષાને ટકાવી રાખવી પડે. ગુજરાતી ભાષાનું બહુ મોટા પાયે ધોવાણ થઇ રહ્યું છે અને એના માટે હું સ્પષ્ટપણે કહીશ કે પ્રજા તો જવાબદાર છે જ પણ સરકાર પણ એટલી જ જવાબદાર છે. હું આ સંદર્ભે ‘કલાપી’ની પંક્તિઓ વારંવાર વાપરું છું. ‘રસહીન થઇ છે ધરા, દયાહીન થયો નૃપ.’ ગુજરાતી પ્રજા રસહીન થઇ છે અને સરકાર દયાહીન થઇ છે. તમને કદાચ ખબર હશે કે આપણે ત્યાં ગુજરાતી ભાષામાં પાસ થવાથી વધારે માર્ક મેળવવાની જરૂર નથી. એકંદર ટકાવારીમાં ગુજરાતીના માર્ક ગણાતા નથી. એટલે સરકાર જો આમ માળખાગત રીતે ભાષાને અવગણે તો પ્રજાને પણ એમ થાય કે ખાલી પાસ જ થવાનું છે. તમે અંગ્રેજી ભાષામાં ભણો એની સામે મને વાંધો નથી, પણ તો પછી અંગ્રેજી ભાષા ઉપર તમારું માતૃભાષા જેવું પ્રભુત્વ હોવું જોઈએ. વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે બાળક ગર્ભમાં હોત ત્યારે એ માતૃભાષા શીખવાની શરૂઆત કરે છે. હવે બાળકોને જ્યારે તમે અંગ્રેજી માધ્યમમાં મૂકો ત્યારે એ ગર્ભમાં જે શીખ્યું છે એ ભૂલવાની પ્રક્રિયા શરૂ થાય છે. એમાં નુકસાન તો બાળકને જ થાય છે. 

પ્રશ્ન : બાબુભાઈ, આપણે ત્યાં જૂની કહેવત છે, ‘બાર ગાઉએ બોલી બદલાય’. આપણી આ કહેવત ભાષા વિષે શું કહે છે? બોલી એટલે અંગ્રેજીમાં ડાયલેકટ અને ભાષા એટલે લેન્ગ્વેજ.

ઉત્તર : હા, ઘણા લોકો અમુક રીતે કંઇક બોલે અને હું કંઇક કહું એટલે સામે કહે કે ‘એ તો બાબુભાઈ, બાર ગાઉએ બોલી બદલાય’. એ વાત બરાબર છે, પણ તમે આ કહેવતને બરાબર સમજો. એમાં કહ્યું છે કે બોલી બદલાય, ભાષા બદલાય એમ નથી કહ્યું. ભાષા તો સરખી જ રહે છે. આપણા ચિત્તમાં એનું જે વ્યાકરણ છે એ વ્યાકરણ તો એ જ રહે છે. સ્થળ પ્રમાણે બોલચાલની ભાષા બદલાય છે છતાં પણ આપણે એકબીજાને સમજી શકીએ છીએ કારણ કે વ્યાકરણ એક જ રહે છે. બોલી બદલાય એ સ્વાભાવિક છે અને બોલી બદલાવી જોઈએ. એક આખું શાસ્ત્ર ઊભું થયું છે જે ભાષાને વેરિયેશન્સ તરીકે જુવે છે. એટલે ભાષા ભૂગોળ પ્રમાણે બદલાય, ભાષા સમય પ્રમાણે બદલાય, ભાષા પરિસ્થિતિ પ્રમાણે પણ બદલાય. ભાષામાં આ બધા બદલાવો આવે એ ભાષાની સમૃદ્ધિ બતાવે છે. પણ કોઈપણ ભાષાકીય ભૂલને આ કહેવતનું ઉદાહરણ આપીને જસ્ટિફાય ન કરી શકાય.

પ્રશ્ન : આ જ રીતે અખાની ‘ભાષાને શું વળગે ભૂર’ વાળી કહેવત પણ આપણે વારંવાર ટાંકીએ છીએ.

ઉત્તર : અખાને એ વખતે સંસ્કૃતના પંડિતો બહુ હેરાન કરતા હતા. સંસ્કૃતમાં જે કહેવાય એ જ બરાબર છે અને આવી પ્રાદેશિક ભાષામાં કહેવાય એ બરાબર નથી. વિદ્વત્તા સંસ્કૃતમાં જ શોભે. અત્યારે જેમ ઘણા લોકો માને છે ને કે અંગ્રેજીમાં બોલે તો વટ પડે, ગુજરાતીમાં બોલે તે વિદ્વાન ન લાગે. તો આ સંસ્કૃતવાળી માન્યતા સામે આક્રોશ વ્યક્ત કરવા માટે આ કહેલું. એટલે અહીં ભાષાનો અર્થ સંસ્કૃત ભાષા કરવાનો છે. સંસ્કૃત ભાષા વાપરે તો જ જ્ઞાની કહેવાય એવું નથી, ગુજરાતી ભાષામાં પણ જ્ઞાન પ્રગટ કરી શકાય, એવું કહીને અખાએ ગુજરાતી ભાષાનું ગૌરવ કર્યું છે. પણ આપણે એને સંદર્ભ બહાર કાઢીને એનો અર્થ કરીએ છીએ અને આપણી ભૂલોને ન્યાયી ઠેરવવાનો પ્રયત્ન કરીએ છીએ.

પ્રશ્ન : બાબુભાઈ તમારી વાત કરીએ તો તમારી અંદર એક સર્જક એટલે કે કલાકાર છે અને એક વૈજ્ઞાનિક પણ છે, કારણ કે તમે ભાષાવિજ્ઞાની છો. ભાષાના સિક્કાની આ બે બાજુનો તાલમેલ કેવી રીતે જાળવો છો?

ઉત્તર : વર્ષો પહેલાં મેં ભણવાનું શરૂ કર્યું ત્યારે મેં ક્યાંક એરિસ્ટોટલને વાંચ્યો અને પછી મને થયું કે મારે પહેલાં તો ભાષાના ફિઝિક્સને સમજવું જોઈએ. બીજું કે ભાષાની ક્રિયેટિવિટી કઈ રીતે થાય છે એ સમજવું જોઈએ. અને ત્રીજું ભાષાની ફિલસૂફી શું છે એ જાણવું જોઈએ. આ ત્રણ મોડેલ મારા મનમાં હતાં. મને થયું કે હું સર્જક છું એટલે ભાષાની સર્જનાત્મકતાનો ખ્યાલ તો મને આવે છે. હવે ભાષાની સંરચનાનો અભ્યાસ કરવો હોય તો માટે ભાષાવિજ્ઞાન પાસે જવું પડે. એટલે એમ કરીને હું ભાષાવિજ્ઞાન પાસે ગયો. પછી મને સમજાયું કે ભાષા સાથે ફિલસૂફી પણ જોડાયેલી છે તો એ માટે ભાષાનું તત્ત્વચિંતન સમજવું જોઈએ એટલે હું ફિલોસોફી ઓફ લેન્ગ્વેજ પાસે ગયો. એટલે આ ત્રણેત્રણમાં આખરે તો મારો રસ ભાષાના સત્ત્વને પામવાનો છે. એટલે લખવું એ મારા માટે મારી અંગત લાગણી કે સંવેદનાને વ્યક્ત કરવી એ તો બરાબર છે પણ પરંતુ એની સમાંતરે ભાષા શું છે અને એમાં સર્જનાત્મકતા કઈ રીતે કામ કરે છે એ પણ હું સમજવા પ્રયત્ન કરતો હોઉં છું. એટલે મારા માટે લખવું – સર્જન કરવું, વિશ્લેષણ કરવું, અને ભાષા વિષે ચિંતન કરવું એ ત્રણે એક જ પ્રકારની પ્રવૃત્તિઓ છે. ભાષાનું સત્ય સમજવા માટે મને આ ત્રણેત્રણ જરૂરી લાગે છે, કારણકે મને રસ છે આખરે ભાષાના સત્ત્વમાં.

પ્રશ્ન : ગુજરાતી ભાષાના દરજ્જાને ઊંચો લાવવા માટે ગુજરાતી પ્રજાએ શું કરવું જોઈએ?

ઉત્તર : મારું એમ કહેવું છે કે કોઈપણ ભાષા ચડિયાતી કે ઊતરતી નથી હોતી. ભાષાને ચડિયાતી કે ઊતરતી એના ભાષકો બનાવતા હોય છે. કોઇ પણ ભાષામાં એવું કોઈ વ્યાકરણમૂલક લક્ષણ નથી જેને કારણે આપણે એમ કહી શકીએ કે આ ભાષા ઊંચી છે. પ્રજા ભાષાને ઊંચી કે નીચી બનાવતી હોય છે. એટલે ભાષા પરત્વેનો પોતાનો અભિગમ પ્રજા બદલે તો ગુજરાતી ભાષાનો દરજ્જો ઊંચો આવે. આપણે ભાષાને આર્થિક ઉપાર્જન સાથે જોડી છે. અંગ્રેજી ભાષા સારી આવડે તો નોકરી જલદી મળે. મને એનો કોઈ વાંધો નથી. પણ ભાષાવિજ્ઞાનીઓ બે પ્રકારની બહુભાષિતાની વાત કરે છે. એક એડિટિવ, એટલે કે વધારાનું. એમાં માતૃભાષા જળવાઈ રહે અને બીજી ભાષા ઉમેરાય અને તમને એ મદદ કરે. અને બીજા પ્રકારની બહુભાષિતા એવી છે જેમાં બીજી ભાષા પહેલી ભાષાની જગ્યા લઇ લે. આને સબટ્રેક્ટિવ બાયલિન્ગ્વલીઝમ કહે છે. એમાં પહેલી ભાષાની બાદબાકી થઇ જાય છે. આપણે આ બીજા પ્રકાર તરફ જઈ રહ્યાં છીએ. અંગ્રેજીને ઉમેરણ તરીકે લઈએ તો ગુજરાતી ભાષાનો દરજ્જો ઊંચો આવે. એનો દરજ્જો ઊંચો લાવવા માટે બીજું ઘણું કરી શકાય એમ છે, એનું રીતસરનું આયોજન કરવું પડે. શિક્ષણમાં ઉપયોગી થઇ પડે એવા પ્રૂફ-રીડિંગના, અનુવાદના, જાહેર વ્યાખ્યાનના કોર્સ કરી શકાય. ભાષા સાથે કેટલું બધું જોડાયેલું છે. અત્યારે ગુજરાતીઓ ગુજરાતી ટી.વી. ઉપર જે ગુજરાતી બોલે છે એ સાંભળીને આપણને ત્રાસ થાય છે. એમને જો તાલીમ આપવામાં આવે. બીજું ભાષાને જો ઇન્ડસ્ટ્રી સાથે, વેપાર સાથે જોડવામાં આવે તો એનો સામાજિક દરજ્જો ઊંચો આવે. પણ આપણે એવું કશું કરતા નથી. એટલે ગુજરાતી મા-બાપે એવું માનવાની જરૂર નથી કે મારું બાળક ગુજરાતી ભણશે તો પછાત રહી જશે. મારું એવું માનવું છે કે એ કેવળ અંગ્રેજી જ ભણશે અથવા અંગ્રેજી અને ગુજરાતી બંને બરાબર નહીં જાણે તો એ સૌથી વધુ પછાત રહી જશે. એન.આર.આઈ.એ પણ સરકારને કહેવું જોઈએ. મોટા ભાગના એન.આર.આઈ. વિષે તમે પણ નોંધ્યું હશે કે ગુજરાતી માધ્યમમાં ભણીને આવ્યા છે. અને એમની ભારત પ્રત્યેની વફાદારી છે એને હું ભાષાની વફાદારી સાથે જોડું છું. પણ હવે અંગ્રેજીમાં ભણીને આવેલા જે નવા એન.આર.આઈ. છે એમની વફાદારીનું પોત જરા જુદા પ્રકારનું છે. જેમ એમની ગુજરાતી પરત્વેની વફાદારી ઓછી છે એમ એમની દેશ પરત્વેની વફાદારીમાં પણ ક્યાંક ઊણપ જોવા મળે છે. દેશ પરત્વેની લાગણી, સમાજસેવા, અને ભાષા પરત્વેની વફાદારી વચ્ચે ગાઢ સંબંધ છે. 

e.mail : aradhanabhatt@yahoo.com.au

[પ્રગટ : “નવનીત સમર્પણ”, ફેબ્રુઆરી 2019; પૃ. 30-38]

Loading

ગુરુદેવ અને ગુજરાતનું ગાંઠબંધન

દીપક મહેતા|Opinion - Literature|11 May 2019

કાળચક્રની ફેરીએ

મે મહિનો એટલે કવીન્દ્ર રવીન્દ્ર(નાથ)ના પ્રાગટ્યનો મહિનો. દેશના પૂર્વ કિનારે રચાયેલા રવીન્દ્ર-સાહિત્યનો પશ્ચિમ કિનારે આવેલા ગુજરાત પર એવો તો પ્રભાવ પડ્યો કે એક જમાનામાં થોડુંઘણું બંગાળી ન આવડતું હોય તે વરણાગી (ફેશનેબલ) ગણાય નહિ એવી સ્થિતિ હતી. ૧૯૪૮માં રજૂ થયેલી એક ગુજરાતી ફિલ્મમાં પોતાની નવપરિણીત ભાભીને નાની નણંદ એક ગીતમાં કેટલીક સલાહ આપે છે. ભાભી છે જુનવાણી પરંપરાની, આજની ભાષામાં કહીએ તો મણિબહેન. પતિની અપેક્ષા ફેશનેબલ પત્નીની છે. નણંદને આ વાતનો ખ્યાલ આવી ગયો છે એટલે તે એક ગીતમાં કહે છે: “તમે થોડાં થોડાં થાવ વરણાગી” અને વરણાગી (ફેશનેબલ) બનવા માટે શું શું કરવું તેની નાનકડી યાદી પણ આપે છે. તેમાં કહે છે: “થોડું બંગાળી ને અંગ્રેજી બહુ ભણો.” એટલે કે એક જમાનામાં ગુજરાતી યુવતીએ મોર્ડન ગણાવું હોય તો થોડું બંગાળી તો જાણવું પડે એમ મનાતું.

ભૌગોલિક રીતે ગુજરાત અને બંગાળ સામસામે છેડે, છતાં કોણ જાણે કેમ, બંગાળી ભાષા અને સાહિત્ય માટે ગુજરાતના મનમાં સારું એવું મમત્વ. ગુરુદેવ ટાગોરને ૧૯૧૩માં ગીતાંજલિ માટે નોબેલ પ્રાઈઝ મળ્યું તે સાથે દેશ અને દુનિયાનું ધ્યાન ટાગોર અને સાહિત્ય તરફ ગયું. પણ બંગાળી ભાષા-સાહિત્ય સાથેનો જ નહિ, ટાગોર અને તેમના સાહિત્ય સાથેનો ગુજરાતનો નાતો ૧૯૧૩ કરતાં ઘણો પહેલાંનો છે. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં આ સંબંધની શરૂઆત થયેલી. બંગાળના બ્રહ્મોસમાજની સીધી અસર નીચે મુંબઈમાં આત્મારામ પાંડુરંગે ૧૮૬૭માં પ્રાર્થના સમાજની સ્થાપના કરી. તેમાંથી પ્રેરણા લઈને ૧૮૭૧ના ડિસેમ્બરની ૧૭મી તારીખે ભોળાનાથ સારાભાઈએ અમદાવાદમાં પ્રાર્થના સમાજની શરૂઆત કરી. બ્રહ્મોસમાજના સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત જ્ઞાતિપ્રથાના અસ્વીકારનો હતો. પણ તે વખતે હજી પશ્ચિમ ભારતના લોકો તે માટે તૈયાર નહિ થાય એમ લાગવાથી પ્રાર્થના સમાજે એ સિદ્ધાંતથી દૂર રહેવાનું પસંદ કર્યું. તેના અનુયાયીઓ દર રવિવારે એકઠા મળીને નિરાકાર, નિર્ગુણ ઈશ્વરની – કોઈ મૂર્તિની નહિ – પ્રાર્થના કરતા તેથી નામ આપ્યું પ્રાર્થના સમાજ.

નારાયણ હેમચંદ્ર (૧૮૫૫-૧૯૦૯) નામના એક વિચિત્રવીર્ય લેખક ભોળાનાથભાઈના મિત્ર હતા. તેઓ એક  બંગાળી કુટુંબમાં ઉછર્યા હોવાથી તેમને  બંગાળી ભાષાની થોડી જાણકારી હતી. આજે તો તેમનું નામ અને કામ ભૂલાઈ ગયું છે, પણ બંગાળીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાની શરૂઆત કરી આ નારાયણ હેમચન્દ્રે. ૧૮૮૦માં ‘આર્યધર્મનીતિ’નો તેમનો ગુજરાતી અનુવાદ પ્રગટ થયો. બ્રહ્મોસમાજના આ પુસ્તકમાં નીતિબોધ વિશેના કેટલાક સંસ્કૃત શ્લોકો અને તેનો બંગાળી અનુવાદ આપ્યો હતો. નારાયણે મૂળ સંસ્કૃત શ્લોક જેમના તેમ રાખી બંગાળી પરથી તેનો ગુજરાતી અનુવાદ કરીને મૂક્યો. પછી દેવેન્દ્રનાથ ઠાકુર(રવીન્દ્રનાથના પિતા)નાં બ્રહ્મોસમાજ વિશેનાં કેટલાંક વ્યાખ્યાનોનો નારાયણે કરેલો ગુજરાતી અનુવાદ ૧૮૮૨માં પ્રગટ થયો. એ જ વર્ષે ‘બ્રહ્મધર્મ મતસાર’નો તેમનો અનુવાદ પણ પ્રગટ થયો. તેમાં બ્રહ્મોસમાજમાં ગવાતાં બંગાળી ભજનોનો ગુજરાતી અનુવાદ આપ્યો હતો. વખત જતાં નારાયણ બ્રહ્મોસમાજ સિવાયનાં બંગાળી પુસ્તકોનો પણ અનુવાદ કરતા થયા. બંકિમચંદ્રની દુર્ગેશનંદિની, દેવીપ્રસન્ન રાયચૌધરીની સંન્યાસી અને શરદચંદ્ર જેવી નવલકથાઓ, જ્યોતિરીન્દ્રનાથ ટાગોર(રવીન્દ્રનાથના મોટા ભાઈ)નાં અશ્રુમતિ અને પુરુવિક્રમ જેવાં નાટકો વગેરે સાહિત્યકૃતિઓના અનુવાદ પણ નારાયણે આપ્યા. અલબત્ત, તેમનું બંગાળીનું જ્ઞાન મર્યાદિત હતું, અને ગુજરાતીમાં તેમને આડેધડ – જોડણી કે ભાષાશુદ્ધિની દરકાર કર્યા વગર – લખવાની ટેવ હતી. આ અંગે નરસિંહરાવ દિવેટિયાએ લખ્યું છે: “ભાષાની બાબતમાં નારાયણનાં ભાષાંતરોમાં દોષ આવતા હતા. હેમાં એક ખાસ કારણ એ હતું કે હેને જેમ બને તેમ જલદી અને સંખ્યાબંધ પુસ્તકો પ્રગટ કરવાની ઉતાવળ અત્યન્ત ઘેલાઈભરેલી હતી. એક દિવસમાં એક ‘ફરમા’ જેટલું ભાષાન્તર કરવું જ એમ વ્રતનિયમ જેવું જ હેને હતું – અને એ એમ કરતો જ. હેના એક પુસ્તકનું ટૂંકુ અવલોકન લેતાં મ્હેં નારાયણના પ્રયાસને પુસ્તકોના ‘કારખાના’નું નામ આપ્યું હતું, તે શબ્દશઃ ખરું હતું.” (‘મનોમુકુર, ભાગ ૧) (અવતરણ ચિહ્નોમાં બધે જોડણી મૂળ પ્રમાણે) તેથી આજે તેમના અનુવાદો સંતોષપ્રદ ન લાગે, પણ વખત જતાં જે રાજમાર્ગ બની ગયો તે બંગાળી-ગુજરાતી અનુવાદોની કેડી તો નારાયણ હેમચન્દ્રે કંડારી.

એટલું જ નહિ, ભોળાનાથભાઈને કારણે નારાયણ ટાગોર કુટુંબના પ્રત્યક્ષ પરિચયમાં પણ આવ્યા. બ્રહ્મોસમાજને કારણે ભોળાનાથભાઈ અને મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોર વચ્ચે નિકટનો પરિચય. દેવેન્દ્રનાથ ૧૮૮૬માં જ્યારે ગુજરાત આવ્યા ત્યારે તેમને પાલનપુરથી ટ્રેનમાં અમદાવાદ લઇ આવવા ભોળાનાથભાઈએ નારાયણને મોકલેલા. અત્યંત અમીર એવા દેવેન્દ્રનાથ પોતાના અલાયદા સલૂનમાં પ્રવાસ કરતા અને તેમની ઈચ્છા પ્રમાણે તે સલૂનના ડબ્બાને કોઈ પણ ટ્રેન સાથે જોડવા-છોડવામાં આવતો. નારાયણે તેમની સાથે અમદાવાદ સુધીની મુસાફરી કરી. અમદાવાદથી દેવેન્દ્રનાથ મુંબઈ જવાના હતા. ત્યાં તેમને માટે બંગલો ભાડે રાખવા ભોળાનાથભાઈએ બીજે જ દિવસે નારાયણને મુંબઈ મોકલ્યા. નારાયણે મુંબઈના વાંદરામાં બંગલો ભાડે રાખ્યો. દેવેન્દ્રનાથ ત્યાં રહ્યા ત્યાં સુધી રોજ નારાયણ તેમને મળવા જતા. એ દરમ્યાન સત્યેન્દ્રનાથ અને રવીન્દ્રનાથ પિતાને મળવા મુંબઈ આવેલા ત્યારે નારાયણને તેમનો પણ પરિચય થયેલો. રવીન્દ્રનાથી ઉંમર એ વખતે ૨૫ વર્ષ. ‘હું પોતે’ નામની આત્મકથા(ઈ.સ. ૧૯૦૦)માં નારાયણ રવીન્દ્રનાથ વિષે લખે છે: “તે વિદ્વાન, સરળ સ્વભાવના તથા ધાર્મિક છે. તેઓની જોડે વાત કરવામાં મને બહુ રસ પડ્યો. તેમનું બોલવું બહુ મધુર છે. તેઓ લાંબા વાળ રાખતા હતા. હાડે પણ હ્રુષ્ટપુષ્ટ છે. તેના મોં પર તેજ છે.” અલબત્ત, એ વખતે બંગાળીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરનારા નારાયણ એકલા નહોતા. તેમના ઉપરાંત છગનલાલ નારાયણભાઈ મેશ્રી, કૃપાશંકર દોલતરાય ત્રવાડી, કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, કૃષ્ણરાવ ભોળાનાથ, અને ઈચ્છારામ સૂર્યરામ દેસાઈનો પણ સમાવેશ થાય છે.

એટલે ૧૯૧૩માં જ્યારે ગુરુદેવને નોબેલ પ્રાઈઝ મળ્યું ત્યારે બંગાળી ભાષા-સાહિત્ય કે ટાગોર કુટુંબ પણ ગુજરાત માટે અજાણ્યાં નહોતાં. હકીકતમાં ૧૭ વર્ષની ઉંમરે રવીન્દ્રનાથ પહેલી વાર અમદાવાદમાં કેટલોક વખત રહ્યા હતા. તેમના મોટાભાઈ સત્યેન્દ્રનાથ જે સૌથી પહેલા ભારતીય સિવિલ સર્વન્ટ (ICS) હતા તેમની અમદાવાદના કમિશ્નર તરીકે નિમણૂક થઇ હતી. તે દરમ્યાન ૧૮૭૮માં તેમના શાહીબાગ(જે શાહજહાંના મહેલ તરીકે પણ ઓળખાતો)ના આવાસમાં રવીન્દ્રનાથ રહ્યા હતા. સત્યેન્દ્રનાથનાં પત્ની અને બાળકો એ વખતે ઇન્ગલન્ડ ગયાં હતાં. રવીન્દ્રનાથ અને સત્યેન્દ્રનાથ પણ થોડા વખત પછી ત્યાં જવાના હતા. એ વખતે સત્યેન્દ્રનાથ તો આખો દિવસ ઓફિસમાં હોય. વિશાળ બંગલામાં રવીન્દ્રનાથ એકલા જ હોય. અહીંના વસવાટ દરમ્યાન જ ગુરુદેવે પહેલવહેલી વાર પોતાનાં કેટલાંક ગીતોને પોતે જ સ્વરબદ્ધ કર્યાં હતાં. આમ, વખત જતાં રવીન્દ્રસંગીત તરીકે પ્રખ્યાત થયેલી તેમની પ્રવૃત્તિનો પ્રારંભ અમદાવાદમાં ૧૮૭૮માં થયો હતો. જીવનસ્મૃતિ (૧૯૧૨) નામની આત્મકથામાં ગુરુદેવ લખે છે: “ચાંદની રાતે વિશાળ અગાશીમાં હું આંટા માર્યા કરતો. અગાસીમાંથી નદી દેખાતી. આમ આંટા મારતી વખતે મેં પહેલી વાર મારાં પોતાનાં ગીતોને સંગીતમાં ઢાળ્યાં. તેમાંનું એક ગીત તો આજે પણ મારા કાવ્ય સંગ્રહમાં સમાવેશ પામ્યું છે.”

એક અગ્રણી ભારતીય કવિ તરીકે જગપ્રસિદ્ધ થયા પછી ગાંધીજીના આમંત્રણથી ગુરુદેવ ૧૯૨૦માં અમદાવાદ આવ્યા હતા અને એપ્રિલની ૨,૩,૪ તારીખે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના છઠ્ઠા અધિવેશનમાં ગાંધીજીની સાથે હાજરી આપી હતી. મૂળ યોજના અધિવેશન પ્રેમાભાઈ હોલમાં રાખવાની હતી, પણ ગુરુદેવની હાજરીને કારણે ઘણા વધારે લોકો અધિવેશનમાં આવશે એમ જણાતાં અંબાલાલ સારાભાઈના આનંદ થિયેટરમાં અધિવેશન યોજાયું હતું.

પહેલા દિવસે બપોરની બેઠકમાં ગુરુદેવને માનપત્ર આપવામાં આવ્યું હતું જે આનંદશંકર ધ્રુવે વાંચી સંભળાવ્યું હતું. તેના જવાબમાં ટાગોરે કન્સટ્રકશન વર્સિસ ક્રિએશન નામનું છાપેલાં ૧૭ પાનાંનું અંગ્રેજી ભાષણ વાચ્યું હતું. અધિવેશનના બીજા દિવસે લાલ દરવાજા ગ્રાઉન્ડમાં ગુરુદેવે જાહેર પ્રવચન આપ્યું હતું. વિષય હતો, મેસેજ ઓફ સ્પ્રિંગ. ભાષણ પૂરું થતાં જ શ્રોતાઓમાંથી તેના ગુજરાતી અનુવાદ માટે માગણી થઇ. ગુરુદેવની સાથે મંચ પર આનંદશંકર ધ્રુવ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટિયા જેવા મહારથી સાહિત્યકારો બેઠા હતા. પણ તેમાંથી કોઈ અનુવાદ કરવા તૈયાર ન થયું. એ જોઈ મંચ પર બેઠેલા ગાંધીજીએ ભાષણની ટાઈપ કરેલી નકલ ટાગોર પાસેથી માગી, તેના પર એક નજર ફેરવી, અને પછી ઊભા થઈને સડસડાટ અનુવાદ કરી સંભળાવ્યો. અધિવેશનના છેલ્લા દિવસે સાંજે યોજાયેલી ગાર્ડન પાર્ટીમાં પણ ગાંધીજીની સાથે ટાગોર હાજર રહ્યા હતા. એ પાર્ટી દરમ્યાન ગુજરાતી ગીત-સંગીત-નૃત્ય પણ રજૂ થયાં હતાં. ’જળ ભરવાને ચાલો રે, મીઠડાં જળ ભરવા’ ગરબો જોઈ ગુરુદેવ અત્યંત પ્રસન્ન અને પ્રભાવિત થયા હતા. ગુરુદેવે કહ્યું હતું: “આ ગરબો ગાનારી બહેનોને મારે ત્યાં શાંતિનિકેતન મોકલો. હું તેમની પરોણાગત રજવાડી ઠાઠમાઠથી કરીશ. અમારી દીકરીઓ તેમની પાસેથી ગરબા શીખી લે પછી તમારી બહેનોને હું તરત પાછી મોકલીશ.” 

ગુરુદેવ અને ગુજરાતનું જે ગાંઠબંધન ૧૯મી સદીનાં છેલ્લાં વર્ષોમાં બંધાયું તે આજ સુધી અતૂટ રહ્યું છે. તાજેતરમાં જ શ્રી જયંત મેઘાણીએ ટાગોરના ઉત્તમ અનુવાદનાં ચાર પુસ્તકો આપણને આપ્યાં છે: સપ્તપર્ણી, રવીન્દ્ર-પત્રમધુ, અનુકૃતિ, અને રવીન્દ્ર સાન્નિધ્યે. આપણી ભાષાનું એ સદ્ભાગ્ય છે કે રવીન્દ્રનાથનું સાન્નિધ્ય એને સતત રહેતું આવ્યું છે. છેક ૧૯૩૬માં ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું તે આજે પણ એટલું જ સાચું છે: “રવીન્દ્રનાથ એક સાહિત્યવારિધિ છે. કલાસૃષ્ટિના એ બ્રહ્માસમા છે. એમની કૃતિઓ કેવળ એક વારના વાચનનો વાર્તારસ આપીને ગોટલાંછોતરાં રૂપે ફેંકાઈ જનારી કેરીઓ નથી. એ તો અટલ રસની, ચિરાભ્યાસની, રાષ્ટ્રાભિરુચિને કણ કણ ઘડનારી રચનાઓ છે. માટે જ એના ગુજરાતી અનુવાદો ચિરકાલની આરાધનાથી અંકિત બનવા જોઈએ.”

સંદર્ભ:

૧. હું પોતે / નારાયણ હેમચન્દ્ર, ૧૯૦૦

૨. ગુજરાતી સાહિત્ય પરિષદ: છઠ્ઠા અધિવેશનનો અહેવાલ, ૧૯૨૧

૩. જીવનસ્મૃતિ / રવીન્દ્રનાથ ટાગોર, અનુ. રમણલાલ સોની,૧૯૬૦

૪. Tagore in Ahmedabad/Shailesh Parekh. Kolkata, Vishwa-Bharati, 2008

XXX XXX XXX

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com 

[પ્રગટ : “શબ્દસૃષ્ટિ”, મે 2019]

Loading

‘સાર્થક જલસો’ છમાસિક એટલે અવનવી તાજગીસભર વાચનસામગ્રીનો ભરપૂર ચિત્રો સાથેનો ખજાનો

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|10 May 2019

ગુજરાતીમાં અત્યારે ઓછા જોવા મળે તેવાં વિષયો અને લંબાણ ધરાવતાં સ્વકથનો, ચરિત્રલેખો, પ્રવાસવર્ણનો, સંશોધનલેખો નિષ્ઠાપૂર્ણ સંપાદકીય માવજતથી ‘જલસો’માં છ વર્ષથી પ્રસિદ્ધ થાય છે  

છમાસિક ‘સાર્થક જલસો’નો બારમો અંક શનિવારે બહાર પડ્યો.

‘જલસો’ અત્યારે ગુજરાતીમાં ભાગ્યે જ મળે તેવું અવનવું અને તાજગીસભર વાચન પૂરું પાડે છે. એકદમ રંગબિરંગી ‘હટ કે’ મુખપૃષ્ઠ સાથેના દરેક અંકમાં, ભરપૂર ચિત્રસામગ્રી અને માવજત કરેલાં લખાણો હોય છે. સાંપ્રત વિષય પર પણ કંઈક નોખું લખાણ આપવાની ‘જલસા’ની એક ખાસિયત આ નવા અંકમાં પણ મળે છે. જેમ કે, પુલવામાને પગલે શહાદત પરનાં માધ્યમ-ઘોંઘાટમાં સૌરવ આનંદનો ‘મારી શહીદયાત્રા’ લેખ મળે છે. તેમાં ભાવનાશાળી યુવા લેખકે પુલવામા પહેલાંના લશ્કરી સંઘર્ષોમાં મોતને ભેટેલા પંદર જવાનોના પરિવારોની પંજાબ, હરયાણા અને દિલ્હી જઈને લીધેલી રૂબરૂ મુલાકાતોનું બયાન છે. ખાનગી કંપનીમાં મિકૅનિકલ એન્જિનિયરની નોકરી છોડીને સૌરવે ફેબ્રુઆરી-માર્ચમાં કરેલી મુલાકાતો યુ-ટ્યુબ પર પણ મૂકી છે.

જલિયાંવાલા હત્યાકાંડ પર હમણાંના ઘણાં લખાણોની વચ્ચે આ વખતના ‘જલસા’માં ઉર્વીશ કોઠારીએ બનાવના બિલકુલ જુદાં પાસા પર લખ્યું છે. તેમણે સદી પહેલાં જલિયાંવાલા કાંડનાં બ્રેકીન્ગ ન્યૂઝ અને ફૉલોઅપ કેવી ધીમી ગતિએ થયા તે બતાવ્યું છે. નવા અંકમાં, જગમશહૂર ફ્રેન્ચ નવલકથા ‘લે મિઝરાબ્લ’ના પ્રકાશનની રોમાંચકથા ગ્રંથજ્ઞ જયન્ત મેઘાણીએ આલેખી છે, કળા-સંશોધન-દસ્તાવેજીકરણના જાણકાર ઉષાકાન્ત મહેતા પર વિજ્ઞાનના પૂર્વ અધ્યાપક પીયૂષ પંડ્યાનો ચરિત્રલેખ છે, સિત્તેરના દાયકાના યુવા સંગઠનોના કાર્યકરોમાંથી ‘રાષ્ટ્રસેવા-રાષ્ટ્રીય એકતાના જન્માક્ષર મેળવીને’ પતિ-પત્ની બનેલાં આઠ કર્મશીલ દમ્પતીઓ વિશે એવું જ નવમું યુગલ અશોક ભાર્ગવ-લતા શાહ લખે છે. અમદાવાદ-મુંબઈ રેલવે લાઈન પરનાં એક પ્રકૃતિપ્રેમી એન્જિન ડ્રાઇવર ગણેશ કુલકર્ણીની અનુભૂતિયાત્રા પણ વાંચવા મળે છે. આ લેખો ગુજરાતીમાં તો પહેલવારકા છે.

સંપાદકીયોમાં શબ્દફેરે કહેવાયું છે તે મુજબ ‘વાચકોને બીજે ભાગ્યે જ વાંચવા મળે’ તેવા છે. ‘સાર્થક જલસો ન હોત તો આ લેખો લખાય જ નહીં’ એવો સંપાદકીય દાવો છે. તે માનવાનું મન થાય તેવા ઘણા લેખો દિવાળી 2013થી લઈને દર છ મહિને આવેલાં કુલ બાર અંકોના સવાસોની નજીક પહોંચતાં લખાણોમાં મળે છે. લેખની લંબાઈનું ધોરણ જાણે અહીં અસ્તિત્વમાં જ નથી. ચિત્રો સાથેનાં પાંચ-છ પાનાં સરાસરી છે, બાર-પંદરનો અપવાદ નથી, પચીસ-ત્રીસનું ગૌરવ છે : દરેકમાં ગુણવત્તાની શરતો લાગુ. લેખની ગુણવત્તા નક્કી કરનાર અને અનુભવસિદ્ધ મજૂરીથી તેમાં વધારો કરનાર સંપાદકો છે : ઉર્વીશ કોઠારી, દીપક સોલિયા, બીરેન કોઠારી અને છપાયેલાં નામ વિના ધૈવત ત્રિવેદી. સંપાદકમંડળની સજ્જતા અને રુચિસમૃદ્ધિના પુરાવા દરેક અંકમાંથી મળે છે. તેમાં તેમની પોતાની મહેનત તો છે જ, પણ સાથે દેશ અને દુનિયાના સામયિકોની સૃષ્ટિ સાથેનો તેમનું જોડાણ પણ વરતાય છે. ‘સાર્થક’ના અંકોમાં ‘વીસમી સદી’, ‘મૅડ’, ‘લાઇફ’, ‘ટાઇમ’, ‘ફિલ્મી દુનિયા’, ‘ઇલસ્ટ્રેટેડ વિકલી’ ઇત્યાદિ યાદ આવે.

સંપાદકોની બીજી એક સિદ્ધિ એ છે કે તેમણે વીસથી એંશીની ઉંમરના અનેકવિધ વ્યવસાયો ધરાવતી, કહેવા જેવી વાત શેઅર કરવા મથતી કેટલી ય વ્યક્તિઓને તેમણે તદ્દન સહજ ભાવે, નિરપેક્ષ રીતે લખતી કરી છે. આ લખતા કરવાની તેમ જ લખાણોને મઠારવાની કામગીરી સહેલી નથી હોતી અને મોટાઈના ભાવ વગર તો સાવ થતી નથી હોતી. આપણા જાણીતા સામયિકોનાં સંપાદકોએ આ કામ વધારે પ્રમાણમાં કર્યું હોત તો આપણે ત્યાં લેખકોની અછત ઓછી હોત. ‘સાર્થક’ના દરેક અંકનાં પ્રેક્ષણીય નિર્માણમાં મુદ્રણનિષ્ણાત અપૂર્વ આશર અને કસબી એસ.એમ. ફરીદનો મોટો ફાળો હોય છે. ગુજરાતમાં વાચનસામગ્રીનું ધોરણે પ્રકાશન કરવાનાં જોખમનું આર્થિક પાસું કાર્તિક શાહ સંભાળે છે. 

‘ચોકઠાબદ્ધ ઓળખમાંથી બહાર નીકળવાની’ કોશિશ, ‘નવું પ્રવાહી અને ગતિશીલ સ્વરૂપ નીપજાવવાના પ્રયાસ’ પછી પણ ‘જલસા’ના બધા અંકમાં કેટલીક કૉમન બાબતો જોવા મળે જ છે. તેમાંથી એક તે ‘પોતાની વાત માંડતા લેખો’. તે એકંદરે આપવડાઈ કે ‘આઇ કૅપિટલ ન હોય તે રીતે’ અનેક સ્વરૂપે આવે છે. દલિત કર્મશીલ-અભ્યાસી ચંદુ મહેરિયા અને અગ્રણી લેખક રજનીકુમાર પંડ્યાની કલમે આવતા સીધા આત્મકથનાત્મક લેખો તો છે જ.

વ્યક્તિગત સંવેદનકથાઓ અને સાંભરણો છે : નાઝી યાતનાછાવણીમાંથી બચેલાં છ્યાંશી વર્ષનાં બે સન્નારીઓની ઝેક રિપપ્લિકમાં લીધેલી મુલાકાત (અનુષ્કા જોશી), અમદાવાદના પ્રબુદ્ધ મુસ્લિમ યુવાનની કશ્મકશ (શારીક લાલીવાલા), રસોઈના પ્રયોગો (આશિષ કક્કડ), મજૂરનાં અંતરની આગ (નરેશ મકવાણા), જ્ઞાતિભેદના ચાબખા (મૌલિક પટેલ), અવશેષ બનેલી પોળના નિવાસીની વેદના (પ્રણવ અધ્યારુ), ગોધરામાં ઘડતર (ચેતન પગી), તલોદ પાસેના રેલવે પાટા સાથે બચપણનાં સાત વર્ષની ભાઈબંધી (અમિત જોશી). કક્કડ ‘બેટર હાફ’ તેમ જ ગિરીશ પરમાર ‘કલર ઑફ ડાર્કનેસ’ ફિલ્મોનાં નિર્માણની, સલીલ દલાલ તેમના ‘આનંદ એક્સપ્રેસ’ અખબારની અને હિમાંશુ કિકાણી તેમના ‘સાયબર સફર’ માસિક નિર્માણની કથા માંડે છે. હેમન્ત મોરપરિયા એકંદર ઘડતર વિશે તો ધૈવત ત્રિવેદીની બાળપણના એક ચોટદાર અનુભવ વિશે લખે છે. જાહેર જીવનમાં સામેલગીરીનાં સ્વકથનોમાં મૂકી શકાય રમેશ ઓઝાના રામજન્મભૂમિ વિવાદના ઉકેલ, હસમુખ પટેલના ચૂંટણીમાં લોકઉમેદવાર અને બિપિન શ્રૉફના ગ્રામોત્થાનના કાર્ય માટેના પ્રયાસો. મહિલા પ્રવાસીઓએ એકલપંડે ખેડેલા પ્રવાસનાં વર્ણન ‘જલસા’નું અનન્ય પાસું ગણાય. તેમાં છે કેતકી જોશી (પ્રવાસ-પશ્ચિમ બંગાળ), જ્યોતિ ચૌહાણ (ઉત્તરાખંડ), કથક મહેતા (ગોવા અને અન્ય સ્થળો), છાયા ઉપાધ્યાય (અત્યારનું રશિયા) અને સાયકલપ્રવાસી રાજવી કોઠારી (વિયેટનામ, કમ્બોડિયા, થાઈલૅન્ડ). વિદેશવાસી હોવાના સહેજ પણ ભાર વિના પૂર્વી ગજ્જર કુવૈત અને આરાધના ભટ્ટ ઑસ્ટ્રેલિયાના વસવાટને નિરૂપે છે. ઇશાન ભારત (લતા-અશોક), લદ્દાખ (હર્ષલ પુષ્કર્ણા), નેવુંના દાયકાનું રશિયા (રાજીવ શાહ), ભૂતાન, ઇન્ગલેન્ડ અને નેધરલૅન્ડ(ઋતુલ જોશી)નાં પ્રવાસનાં અને; રવાન્ડા (વિસ્મય પરીખ) તેમ જ લંડન(આરતી નાયર)નાં નિવાસના લેખો છે. તેના લેખકો ગુજરાતી ટૂરિસ્ટો નહીં પણ સંવેદનશીલ વ્યક્તિઓ, સભાન નાગરિકો અને વિવિધ વિષયના અભ્યાસીઓ હોવાથી ‘જલસા’નું પ્રવાસલેખન જુદું પડે છે.

ચરિત્રલેખો પણ આ દ્વિવાર્ષિકનું  મહત્ત્વનું અંગ છે. તેમાં નાયકના જીવનકાર્યનો અભ્યાસ અને તેના તરફની કૃતજ્ઞતાનો સમન્વય થાય છે. કેટલાક લેખો છે : બકોર પટેલના સર્જક હરિપ્રસાદ વ્યાસ (ઉર્વીશ), લોકવિજ્ઞાન પ્રસારક રવજીભાઈ સાવલિયા (હર્ષલ), ‘એક તરબતર ઘટના’ એવા મરીઝ (જિજ્ઞેશ મેવાણી) કવિ હરિશ્ચન્દ્ર ભટ્ટ, અનુવાદક નગીનદાસ પારેખ અને અજોડ સંપાદક યશવંત દોશી (હસિત મહેતા), સમાજવિદ્યાના અધ્યાપક તારાબહેન પટેલ (ગૌરાંગ જાની), ઇન્ગલેન્ડની કામદાર ચળવળનાં ગુજરાતી નેત્રી જયાબહેન દેસાઈ (કૅપ્ટન નરેન્દ્ર). હોમાઈ વ્યારાવાલા અને કલાગુરુ રવિશંકરનાં  વ્યક્તિત્વનાં પાસાં અનુક્રમે બિરેન કોઠારી અને વૃંદાવન સોલંકીએ તેમની સાથેના પત્રાચાર પરના લેખો થકી ઉપસાવ્યા છે. આપણા સમયના જે પાંચ વિશિષ્ટ વ્યક્તિઓનો અંતરંગ પરિચયની લાંબી મુલાકાતો છે તેમાં છે : મહેન્દ્ર મેઘાણી, પ્રકાશ ન. શાહ, નગેન્દ્ર વિજય, પ્રશાન્ત દયાળ અને દિવંગત ગિરીશ પટેલ.

સિનેમા પરના ચટપટિયા નહીં પણ અભ્યાસપૂર્ણ લેખો મળે છે. ફિલ્મ વિદ્વાન હરીશ રઘુવંશી હિન્દી સિનેમામાં ગુજરાતી વ્યક્તિઓની સૂચિ અને ‘અભરાઈ પર ચઢેલી ફિલ્મોનું આલબમ’ બતાવે છે. હિન્દી ફિલ્મોનાં વિલનોનાં નામની કહાણીઓ વર્ણવતો સલીલ દલાલનો લેખ અત્યંત રસપ્રદ છે. ફિલ્મોની જાહેરખબરોમાં ગાંધીજી નામની દુર્લભ પિક્ચર સ્ટોરી ઉર્વીશ આપે છે. રિચર્ડ એટનબરોનાં ‘ગાંધી’ ફિલ્મની સંખ્યાબંધ ભૂલો બતાવતો તેનો લેખ ઉત્તમ સંશોધનનો નમૂનો છે. અન્ય સંશોધનત્મક લેખોમાં સુશ્રુત પટેલનો ગુજરાતીમાં વિજ્ઞાનલેખન તેમ જ હેમંત દવેના ગુજરાતી શબ્દકોશો અને ગુજરાતી કક્કા પરના લેખો બતાવી શકાય. તેની સામે ધૈવતનાં સૌરાષ્ટ્રની બોલી પરનાં બે અદ્દભુત લલિત લેખો મળે છે. ફૉર ચેઇન્જ, ચાર મૌલિક કવિતાઓ અને બે પ્રતિકાવ્યો પણ છે. ઉર્વીશ-બિરેન હોય ત્યાં વિવિધ પ્રકારનાં લખાણો દ્વારા હળવાશ અને હાસ્ય ન હોય તો જ નવાઈ. ખીજ-નામ (અમિત), ખમણ (કિરણ જોશી), જમણ (બિરેન), ’મરમિયાં’ અને ‘ચિંતન ચૌદસની પ્રસાદી’ (અશ્વિન ચૌહાણ) જેવાં મજાનાં લખાણો મળે છે. પ્રકીર્ણ વર્ગમાં મૂકી શકાય તેવા લેખોની યાદી લાંબી છે.

જો કે ‘જલસા’ને માત્ર માહિતીની મિજબાની, સ્વકથનનું માધ્યમ કે ચિત્રોનું આલબમ બનાવતાં અટકાવે છે તે અત્યારનાં સમયનાં અનેક પાસાંને સ્પર્શતા શક્ય એટલી સરળ રીતે લખાયેલાં મૌલિક વિચાર-લેખો. જનરેશન ગૅપ, મા-દીકરીના સંકુલ સંબંધો, ડેટિન્ગ ઍપ્સ, ફેમિનિઝમ, સ્ટાર્ટઅપ પર લખનાર તેજસ્વી યુવતી આરતી ‘જલસો’ની શોધ છે. સર્વેલન્સ સંસ્કૃતિ, આધુનિકતા સામેની લડાઈઓ, એકવીસમી સદીમાં જ્ઞાતિવાદ એ  અર્બન પ્લાનિન્ગના સજ્જ યુવા અધ્યાપક ઋતુલના મહત્ત્વના લેખો છે. અર્થશાસ્ત્ર ભણાવનાર નિસબત ધરાવતા રંગકર્મી અધ્યાપક કાર્તિકેય ભટ્ટ શિક્ષણ વિશે અને  જાગ્રત રક્તદાતા બિનિત મોદી જીવનવ્યવહાર વિશે લખે છે. ઍક્ટિવિઝમ અને ઉદાત્ત હિન્દુત્વની શક્યતા વિશેના રમેશ ઓઝાના લેખો મહત્ત્વના છે. અનામતની જોગવાઈ વિશેના ચંદુ મહેરિયાના અને કોમવાદ વિશેના ઉર્વીશ કોઠારીના લેખોનું મોટું સંદર્ભ મૂલ્ય છે.

સાર્થકની દૃશ્ય સામગ્રી અલગ લેખનો વિષય છે. ખૂબ ઊંચી ગુણવત્તા સાથે જોવા મળતી હળવાશ પણ એક કૌતુક છે. અત્યારે આપણે ત્યાં વાચન-લેખનની જે હાલત છે તેમાં ‘સાર્થક જલસો’ આનંદ સાથેનું આશ્વાસન અને અંગુલીનિર્દેશ બંને છે. છઠ્ઠા અંકના સંપાદકીયના શબ્દપ્રયોગો ‘પુસ્તકો વંચાતાં નથી’નું વૃંદગાન’ અને ‘ભાષા મરવા પડી છે’નો કકળાટ’ નોંધપાત્ર એટલા માટે છે કે આ બંનેની વચ્ચેથી ‘જલસો’ રસ્તો કાઢે છે. ફીચર મૅગેઝીન, ડાયજેસ્ટ, ચિત્રાત્મક સામયિક જેવા અનેક પ્રકારોનો મેળાપ ‘જલસો’માં મળે છે. તેમાં વાચનનું ધન હોય છે. વિચારોની ધાર ધરાવતું વાચન પ્રશાંત દયાળના ‘વાત અનામતની’ લેખ, નીરવ પટેલની ‘પટેલ લાડુ’ જેવી કવિતા, ગિરીશ પટેલની મુલાકાત કે રમેશ ઓઝા અને ઋતુલના કેટલાંક લખાણોમાં મળે છે.

વૈચારિક ધારવાળા લેખો વધુ મળતા રહે એવી અપેક્ષા ‘સાર્થક જલસા’ પાસે રાખવી અસ્થાને ન ગણાય.  

*****

10 મે 2019

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

...102030...2,7962,7972,7982,799...2,8102,8202,830...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved