Opinion Magazine
Number of visits: 9684292
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નકશા નવા હિન્દુસ્તાનના

પ્રતિષ્ઠા પંડ્યા|Poetry|8 August 2019

તું  મારા મોંમાં ડૂચો દઈ 
રહેંસી નાખે મારા વિદ્રોહને 
કે ગોઠવે એકેએક ગલીને નાકે ચોકીદારને  
જે રોકી રોકીને તપાસ્યા કરે 
મારી જાત-પાત- મારા દેશ ને પહેરવેશને 
કે મને જેલમાં નાખીને 
રોકે ખુલ્લેઆમ બાંગ પોકારતા મારા વિચારને 
કે દાબીને ગળું મારું 
લલકારે તું મને 
ગાવા રાષ્ટ્રભક્તિનાં ગીતો હવે 
તો હું સહીશ ધરાર ના  
હું થઈશ દેશદ્રોહી હવે 
નહિ ભરું હામીમાં હામી 
નહિ મરું હું તારા માટે 
ના ઝૂકાવીશ માથું 
બિહામણા સિંહાસન તળે 
નહિ ઉગામું હાથ 
ન તો હથિયાર 
તારા પૌરુષત્વની સેવા રૂપે 
નહિ ઉપાડું પગ 
નહિ ચાલું તારા ચીંધેલા રસ્તે ચૂપચાપ 
નહિ કરું કલંકિત કલ્પનાને 
ઝબોળીને તારા આદર્શો મહીં 
ના વેચીશ મારી સર્જકતા
નફરતના બજાર મહીં  
હા, લખીશ હું કવિતા
આગા શાહિદ અલી થઈ 
અખરોટિયાં તારા હૈયે કરીશ
નમણી, ખોકરદર કોતરણી
મારા શબ્દોના ટાંકણાની ધાર પર 
ખીલશે જંગલો કૈં ભોજપત્ર, ચિનારના 
શબ્દોની વચમાં રહ્યા એ સન્નાટામાં ઊગશે 
જાંબુડિયા મઘમઘ ખેતર લહેરાતા કેસરના 
શબ્દોના એ આવાજમાં વસશે ફરી 
ઉજડેલાં રેશમી ગામો, રેશમી રસ્તા,  
શાંતિપ્રિય જણ મારા પરિવારના  
ને શબ્દોના લયમાંથી જ વહી આવશે 
નીર નિર્મલ જેલમ, ચેનાબના   
અહીં જ તો બનશે હવે  
નકશા નવા હિન્દુસ્તાનના

°

The Maps of A New Hindustan

 

• Pratishtha Pandya

 

If you were to gag me

and muffle my rebellion,

or put a chowkidar

at every street corner

to stop and interrogate me

about my community

my religion

my whereabouts

my loyalties,

or put me in jail

and imprison my thoughts

blowing in the wind

like the Muezzin’s call for Azan,  

or throttle and dare me

to sing patriotic songs;

I wouldn't tolerate.

No more.

Now I will be the traitor

Not a sycophant,

Not your yes-man

I will not die for you

or not bow this head

at the feet

of your formidable throne

No raised hand

No weapons

No more at the service of

your machismo

I will not move an inch,

will not walk obediently

on your suggested paths.

Will not blemish

my imagination

by dipping it

in your tainted ideals

I will not trade

creativity for hatred.

Yes, I will write poems.

Like Agha Shahid Ali.

On your walnuty heart

I will carve

intricate Khatam-band.

Forests of Birches and Chinar

will grow on the tip of

every word, my chisel.

In the silent spaces

between words shall bloom

fragrant, purple fields of Kesar.

Silken villages, silken roads

once destroyed

peace-loving members of my family

shall come to inhabit

sounds of these words.

And from their rhythm

shall flow pure waters

of Jhelum and Chenab

Here

Here is where

we shall redraw

the maps of a new Hindustan.

 

https://indianculturalforum.in/2019/08/19/the-maps-of-a-new-hindustan/

Loading

૩૭૭ અબ નોર્મલ કે એબ્નોર્મલ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|7 August 2019

આ વખતના પ્રયાગરાજ કુંભમેળામાં પ્રથમ વાર કિન્નર અખાડો યોજાયો હતો. તેનું નેતૃત્વ કરનાર કિન્નર લક્ષ્મીએ પોતે કિન્નર હોવાની જે વાત પરિવારથી છુપાવી હતી તે જાહેર થઈ ત્યારે કુટુંબનો પ્રતિભાવ શો હતો તેનું સરસ વર્ણન કર્યું છે. લક્ષ્મીનારાયણ ત્રિપાઠીની આત્મકથા ‘હું હીજડો … હું લક્ષ્મી’માં જણાવ્યા મુજબ, ૨૦૦૦ના વરસમાં સજાતીય સંબંધને ગુનો ગણવા સંબંધી કલમ ૩૭૭ના વિરોધમાં આંદોલન ચાલતું હતું. મુંબઈમાં લક્ષ્મીએ પ્રેસને એ માટે બાઈટ્સ આપી. તેથી માબાપને તે કિન્નર હોવાની જાણ થઈ. એ પછી શું થયું? “ઘરમાં પ્રવેશતાં વેંત મમ્મીએ બૂમરાણ શરૂ કરી દીધી. પપ્પાનો અવાજ પણ ઊંચો હતો. તેમની પ્રતિક્રિયા હતી કે આપણી ચૌદ પેઢીમાં આવું કોઈએ કર્યું નથી. તેં આપણા બ્રાહ્મણ ખાનદાનની પ્રતિષ્ઠાનો વિચાર કર્યો નથી. બહેનનાં લગ્ન થયાં છે તેનાં સાસરિયાં શું કહેશે ? સમાજમાં મોઢું બતાવી શકાશે નહીં.” વગેરે.

ક્રિકેટ વર્લ્ડ કપની સેમી ફઈનલમાં ભારત હાર્યું એ જ દિવસે ઈટલીમાં વર્લ્ડ યુનિવર્સિયામાં ભારતનાં મહિલા એથ્લિટ દુતી ચંદે ગોલ્ડમેડલ મેળવ્યો હતો. ઓલિમ્પિક પછીની દુનિયાની આ સૌથી મોટી સ્પર્ધામાં ૨૩ વર્ષીય દુતી ચંદે ૧૧.૩૨ સેકંડમાં ૧૦૦ મીટરની દોડ પૂરી કરી ઇતિહાસ સર્જ્યો હતો. પોતાના વિજયનાં વધામણાં કરતાં ટ્વીટમાં દુતીએ લખ્યું હતું. “પુલ મી ડાઉન. આઈ વિલ કમ બેક સ્ટ્રોંગર.” દુતીએ પોતે સમલૈગિંક હોવાનો જે જાહેર એકરાર કર્યો હતો, તેની સામે તેના કુટુંબનો ભારે વિરોધ હતો. દુતીના ટ્વીટનો ઈશારો તેના પરિવાર તરફ હતો.

અમેરિકાની ટીમે તાજેતરમાં મહિલા ફૂટબોલ વિશ્વકપમાં નેધરલેન્ડને હરાવ્યું હતું. પણ તેના સમલૈંગિક વાઈસ કેપ્ટન મેગન રાપિનોએ વિજય પછી અભિનંદન સ્વીકારવા વ્હાઈટ હાઉસમાં જવાનો ઈન્કાર કર્યો, કારણ કે અમેરિકી ટ્રમ્પ શાસન એલ.જી.બી.ટી. પ્રત્યે સંવેદનશીલ નથી.

આ કેટલાક બનાવો એલ.જી.બી.ટી. કહેતાં લેસ્બિયન, ગે, બાયસેક્સુઅલ અને ટ્રાન્સજેન્ડર પ્રત્યેના દેશ અને દુનિયાના સમાજ અને શાસનનું વલણ વ્યક્ત કરે છે. સજાતીય આકર્ષણ ધરાવનાર સ્ત્રી એટલે લેસ્બિયન, સજાતીય આકર્ષણ ધરાવનાર પુરુષ એટલે ગે, સ્ત્રી અને પુરુષ બંને સાથે સંબંધ રાખનાર એટલે બાયસેક્સુઅલ અને જુદા લિંગભાવ અર્થાત્ જન્મના લિંગ કરતાં જુદા લિંગની વ્યક્તિ તરીકે જીવવા ઇચ્છતી વ્યક્તિ એટલે ટ્રાન્સજેન્ડરનો સમાજ દાયકાઓથી પોતાની અલગ ઓળખ અને જેવા છે તેવા તેમના સ્વીકારની લડત લડી રહ્યો છે. ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારની દુહાઈ દઈદઈને તેમના અસ્તિત્વ અને ઓળખનો અસ્વીકાર થતો રહ્યો છે.

પરતંત્ર ભારતમાં અંગ્રેજ શાસન દરમિયાન ઈ.સ. ૧૮૭૧ના કાયદાથી વ્યંડળને અપરાધી, સેક્સુઅલી વિકૃત માની આવા વર્તનને ગુનો ગણ્યો હતો. એ જ રીતે સ્વતંત્ર ભારતે ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૭૭માં સમલૈંગિક સંબંધો, પુરુષ, સ્ત્રી કે પશુ સાથેના અપ્રાકૃતિક સંબંધોને ગુનો ગણી ૧૦ વરસથી માંડીને આજીવન કારાવાસ અને દંડની સજા સાથેનો બિનજામીનપાત્ર ગુનો ગણ્યો હતો. આ કાનૂની જોગવાઈ સામે એલ.જી.બી.ટી. સમુદાયનો વિરોધ હતો. બ્રિટને તો સમલૈંગિકતાનો સ્વીકાર કરી, તેને ગુનો ગણવો બંધ કર્યો પણ તેની દેન એવી આઈ.પી.સી.ની કલમ ૩૭૭ની કાનૂની જોગવાઈ ભારતમાં ચાલુ રહી. બે-અઢી દાયકાથી તે માટે રાજકીય અને કાનૂની સંઘર્ષ ચાલ્યો. કિન્નરોને મતદાનનો અધિકાર સૌથી પહેલાં ૧૯૯૪માં તામિલનાડુ સરકારે આપ્યો. એ પછી તો ઘણાં કિન્નરો ચૂંટણી લડયા, એકાદ-બે જીત્યા અને અલગ રાજકીય પક્ષ પણ સ્થાપ્યો. આખરે ૨૦૧૪માં ટ્રાન્સજેન્ડરના અલગ અસ્તિત્વને કાનૂની માન્યતા મળી. ૨૦૦૯માં દિલ્હી હાઈકોર્ટે કલમ ૩૭૭ની એ જોગવાઈ કે સમલિંગી સંબંધો ગુનો છે તે દૂર કરી પણ સુપ્રીમ કોર્ટે ૨૦૧૩માં તે ચુકાદાને પલટી નાંખ્યો. ૨૦૧૭માં સેક્સુઆલિટીને નિજતાનો અધિકાર ગણ્યા બાદ છઠ્ઠી સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ સર્વોચ્ચ અદાલતની પાંચ જજોની બેન્ચે બે વયસ્ક વ્યક્તિઓ વચ્ચેના પોતાની ઈચ્છાનુસારના સમલૈંગિક સંબંધો અપરાધ નથી તેમ જણાવી, કલમ ૩૭૭ની જોગવાઈ રદ્દબાતલ ઠેરવી.

પરંતુ માત્ર કાનૂની જોગવાઈઓથી સમાજ બદલાતો નથી તે દુતી ચંદના કિસ્સામાં જણાય છે. શાસન અમેરિકાનું હોય કે ભારતનું, આવા મામલે તે હંમેશાં પછાત માનસિકતા જ ધરાવે છે. કલમ ૩૭૭ની જોગવાઈ રદ્દ ઠેરવતા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પૂર્વે ૨૦૧૫માં કૉન્ગ્રેસી સાંસદ શશી થરૂરનું સમલૈંગિકતાને અપરાધની સૂચિમાંથી દૂર કરવાની જોગવાઈ ધરાવતું એક બિનસરકારી વિધેયક લોકસભાએ નામંજૂર કર્યું હતું. આજે પણ સમલૈગિક સબંધો અને અન્ય સંબંધોને અપ્રાકૃતિક, અસ્વાભાવિક, વિકૃત , ભટકેલા લોકોના તરંગ અને સમાજઘાતક ગણવાનું સમાજમાં વ્યાપક ચલણ છે. તેની સામે સમાજ જાગૃતિના પ્રયત્નો બહુ પાંખા છે. ફરુક કબીરની ફ્લ્મિ “૩૭૭ અબ નોર્મલ’ સમાજને નવી દિશા આપે તેમ છે. દોઢ કલાકની આ ફ્લ્મિ તેના નિર્દેશકના દાવા મુજબ તો ૯૯% હેટ્રોસેક્સુઅલ લોકોના દૃષ્ટિકોણથી સર્જાઈ છે. આ ફ્લ્મિ એલ.જી.બી.ટી. સમુદાયોના સંઘર્ષની કહાણી છે.

સરકાર અને સમાજમાં આવા પ્રયાસો જો વધે અને એલ.જી.બી.ટી. સમુદાય પણ પોતાને અલગ ન સમજતાં સમાજનો એક ભાગ માને તો તેના ઘણાં સવાલો હલ થાય તેમ છે. તમામ ધર્મ, વર્ગ અને વર્ણના લોકો સજાતીય અને તે પ્રકારના સંબંધો ધરાવે છે. એટલે આ કોઈ એક ધર્મ કે સમુદાયનો નહીં સમગ્ર ભારતીય સમાજનો પ્રશ્ન છે. નેપાળે ૨૦૦૭માં સમલિંગી સંબંધોને માન્યતા આપી છે. તાઈવાન એશિયાનો એવો પહેલો દેશ છે જેણે સમલૈંગિક લગ્નો માન્ય કર્યાં છે. દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશ બ્રુનેઈએ શરિયા કાનૂન મુજબ વ્યભિચાર અને સમલૈંગિક સંબંધો માટે પથ્થરથી પીટીને મારી નાંખવાની જોગવાઈ કરી તો આંતરરાષ્ટ્રીય દબાણ આગળ ઝૂકીને તે રદ્દ કરવાની ફરજ પડી. ૨૦૧૮માં કલમ ૩૭૭ને રદ્દ કરતા સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી તેની ઉજવણીનાં જે દૃશ્યો જોવા મળ્યાં તેના પરથી એલ.જી.બી.ટી. સમુદાયની અકળામણ પરખાય છે. ઈન્દ્રધનુષના સાત રંગોનો સતરંગી ધ્વજ સમલૈંગિકોની ઓળખ છે. વિશ્વનાં તમામ રાષ્ટ્રોના રાષ્ટ્રધ્વજના રંગોને સમાવતા સમલિંગીઓના સતરંગી ઝંડાની જેમ તેમના જીવનમાં પણ જો આનંદ, ઉલ્લાસ અને ખુશાલીના સતરંગો ભરવા હશે તો ૩૭૭ જેવી કાયદાકીય જોગવાઈઓ એબ્નોર્મલ નહીં નોર્મલ બનાવવી પડશે. વળી તે માત્ર કાયદાપોથીમાં બંધ ન રહે અને વાસ્તવિક બને તે પણ જરૂરી છે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 07 ઑગસ્ટ 2019

Loading

મંદીના મંદવાડમાં સબડતું ન્યૂ ઇન્ડિયા !

મનીષી જાની|Opinion - Opinion|7 August 2019

બજાજ ઓટોના ચેરમેન રાહુલ બજાજ, જેઓ રાજકારણને જાણે છે અને તેમાં સામેલ છે એવાં ઉદ્યોગપતિ છે. તેમણે બે અઠવાડિયા પૂર્વે પોતાની વાહનો ઉત્પાદન કરતી કંપનીની સામાન્ય સભામાં આક્રોશપૂર્ણ રીતે, દેશમાં ઓટો ઈન્ડસ્ટ્રીની કથળતી સ્થિતિ વિશે જણાવ્યું કે 'ઘરાકી નથી, રોકાણ નથી તો પછી શું વિકાસ આકાશમાંથી ટપકશે ?'

એક ઉદ્યોગપતિની આવી નારાજગી ભરી, કહો કે વ્યથા ભરી વાતને વાંચતા મને આજથી પાંચ દાયકા પહેલાંની બજાજ ઓટોની જાહોજલાલી યાદ આવી ગઈ. ઈટાલિયન વેસ્પા સ્કૂટરનું ઉત્પાદન કરવાનું બજાજે 1960માં શરૂ કર્યું હતું. અને તે વખતે અમદાવાદના મધ્યમવર્ગીય યુવાનોમાં વેસ્પા સ્કૂટર ખરીદવાનું જબરજસ્ત ગાંડપણ હતું.

એ સમયે દેશનાં શહેરોમાં સૌથી વધુ વપરાતું વાહન સાયકલ હતી. મોટર કાર – ગાડી તો બંગલાવાળા – સુખીસંપન્ન પરિવારો પાસે જ હતી પણ મધ્યમવર્ગમાં તો સ્થાનિક પબ્લિક ટ્રાન્સપોર્ટ – બસ નું જ મહત્ત્વ હતું અને બીજી હતી સાયકલ.

રાત્રે સાઈકલસવારે પણ સાઈકલના આગળના ભાગે બત્તી લગાવવી પડતી. એ જમાનામાં દીવેટવાળી કેરોસીનથી ચાલતી બત્તીઓ હતી. મને યાદ છે જાહેર રોડ પર બત્તી વગરના સાઈકલસવારોને પોલીસ પકડે. જેમ અત્યારે સ્કૂટર-બાઈક સવારને હેલ્મેટ વગર ફરવા માટે પકડે છે. સાઈકલસવારની બત્તી ચાલુ ના હોય ને પોલીસ પકડે તો યુવા સાઈકલ સવાર એમ જ કહે કે પવનથી હમણાં જ હોલવાઈ ગઈ !

એ પછી તો ડાઈનેમોથી ચાલતી સાઈકલ બત્તીઓ આવી.

પણ જે ઘરમાં બે નોકરીઓ કે ડોક્ટર-વકીલ જેવાં સ્વતંત્ર વ્યવસાયની કમાણી આવી તેમાં આ વેસ્પા સ્કૂટર ખરીદી એ એક સ્ટેટસ સિમ્બોલ તે સમયમાં બનવા માંડ્યું. વેસ્પા – બજાજ એ મોટરસાયકલ કરતાં ઓછાં ઈંધણથી ચાલનારું અને કિંમતમાં સસ્તું હોવાથી તેની માંગ ખૂબ જ વધવા માંડી.

અમારે ત્યાં સોસાયટીના બાંકડે યુવાનો ભેગા થતા હોય અને એમાં જો કોઈનાં ઘરે આ નોંધાયેલા સ્કૂટરની ડિલીવરી માટેનો કાગળ આવે તો ભારે ખુશાલી થઈ આવતી. સ્કૂટર હાજર સ્ટોકમાં ના મળતું અને આ સ્કૂટરની એટલી માંગ હતી કે તેનાં 'ઓન' બોલાતાં ! એટલે કે ખરીદેલાં સ્કૂટરની કંપની કિંમત કરતાં 10-12 % વધારે ભાવથી વેચી શકાતું. અને બે-ચાર વર્ષ વાપર્યાં પછી પણ તેની 'રીસેલ વેલ્યુ' ઘણી ઊંચી ગણાતી.

શહેરોમાં છેલ્લાં પચીસેક વર્ષ માં આ જ મધ્યમવર્ગીય પરિવારોમાં જેમની પાસે સ્કૂટર-બાઈક હતાં, જેમનાં ઘરે બે નોકરિયાતો છે કે પ્રોફેશનલ જોબ છે ત્યાં કારની ખરીદી થવા માંડી અને મધ્યમવર્ગ માટેની મારુતિ સ્મોલ કારે 30-35 વર્ષ પહેલાં કાર વસાવવાનાં સપનાં જગાડેલાં.

1992માં નવી આર્થિક નીતિ અને વૈશ્વિકીકરણને લઈ જાતભાતની મોટર કાર, બાઈક ને સ્કૂટરની કંપનીઓ દેશભરમાં ઊભી થઈ.

શહેરી વિસ્તારોમાં સ્કૂટર-બાઈક જેવાં દ્વિચક્રી વાહનો નીમ્ન મધ્યમવર્ગ અને ખાસ કરીને 'કુશળ કારીગર' વર્ગમાં અને ગ્રામીણ વિસ્તારોમાં મધ્યમવર્ગીય ખેડૂતોનાં ઘરોમાં અને જ્યાં ખેતી ઉપરાંત પગારદાર નોકરી કરનારા એક બે જણ ઘરમાં બન્યાં ત્યાં મોટરસાયકલની ખરીદી જોવા મળી.

પણ આ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી છેલ્લાં બે-ત્રણ વર્ષમાં કપરી સ્થિતિમાં મૂકાયેલી આપણા દેશમાં જોવા મળી રહી છે જે ચિંતાજનક બાબત ગણવી રહી ‌. અને તે જ ચિંતા આ દેશના ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીના મોભી જેવા ઉદ્યોગપતિએ વ્યક્ત કરી છે.

આપણા દેશમાં 2017-18માં કુલ 18,21,538 કાર વાહનો વેચાયેલાં અને ગયા વર્ષે એટલે કે 2018-19ના માર્ચ સુધીમાં 8%નો ઘટાડો નોંધાયો અને 16,82,625 વાહનો વેચાયા.

ટુવ્હીલર એટલે કે સ્કૂટર-બાઈકનાં વેચાણમાં આ વર્ષ દરમિયાન 17%નો ઘટાડો જોવા મળ્યો. એમાં ય ખાસ કરીને દેશની પ્રતિષ્ઠિત હીરો કંપનીના દ્વીચક્રી વાહનોમાં 15% અને હોન્ડા મોટરસાઇકલમાં 32% વેચાણમાં ઘટાડો નોંધાયેલો જોવા મળ્યો.

વળી ગ્રામીણ ક્ષેત્રોમાં અગાઉનાં વર્ષોમાં ટ્રેક્ટરોનાં વેચાણમાં 20-21%નો વાર્ષિક વધારો નોંધાતો હતો તે ઘટીને આ વર્ષે વાર્ષિક વધારો 10.25% જેટલો જ રહ્યો છે.

સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ્સ મેન્યુફેક્ચર્સના તાજેતરના આંકડા દર્શાવે છે કે આ જૂન મહિનામાં પેસેન્જર કારનું વેચાણ 24.97% ઘટ્યું છે. એટલે કે આ જૂન મહિનામાં 1,39,628 કારોનું વેચાણ થયું જે ગયા વર્ષના જૂનમાં 1,83,885 કારોનું હતું.

અને આ સતત આઠમો મહિનો છે જેમાં દર મહિને વેચાણમાં ઘટાડો નોંધાતો જોવા મળે છે.

આપણા દેશમાં મોટરકારની ઈન્ડસ્ટ્રી ઘણા મોટા પ્રમાણમાં છે. દુનિયામાં આપણા દેશનું કારબજાર ચોથા નંબરે આવે છે.

આપણા દેશમાં આ ઓટો ઈન્ડસ્ટ્રી કુલ મળીને 3.7 કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે. અને આ મોટરકારોના વેચાણમાં કમી આવવાને કારણે જ દેશમાં 300 જેટલા ડીલર્સની દુકાનો છેલ્લાં છ મહિનામાં બંધ થઈ ગઈ અને કાર વેચાણની મંદીને લઈ આવી દુકાનોમાંથી જ આશરે 3,000ની નોકરીઓ ગઈ.

આપણા ગુજરાતનું રાજકોટ દેશમાં બનતાં ઓટો સ્પેરપાર્ટ્સના ઉત્પાદનમાં અગ્રણી છે અને દેશના 70% જેટલાં ઓટો સ્પેરપાર્ટ્સ માત્ર રાજકોટમાં જ બને છે ને અહીં મોટરકારોના વેચાણમાં કમી આવવાથી 24 કલાક ધમધમતાં કારખાનાઓ હવે અઠવાડિયા માં 3-4 દિવસ ચાલતાં થઈ ગયાં છે અને જેને લઈ 10,000 જેટલા કામદારોની નોકરીઓ છીનવાઈ ગઈ છે.

ઓટો ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોના માનવા મુજબ જો આ જ પ્રકારની મંદી બજારમાં ચાલુ રહેશે તો આપણા દેશમાં લગભગ દસ લાખ લોકો પોતાની રોજગારી ગુમાવશે.

આ બધા મંદીના આંકડા જોતાં સવાલ તો થાય જ કે દેશમાં એકાએક થયું શું ?

એનો એક સૂચક જવાબ ઉદ્યોગપતિ રાહુલ બજાજે જ આપ્યો છે કે "સરકાર બતાવે કે ના બતાવે પરંતુ ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ – આઈ એમ એફ અને વર્લ્ડબેંકના આંકડા કહે છે કે છેલ્લાં ત્રણ ચાર વર્ષોમાં વિકાસદરમાં કમી આવી રહી છે, દર ઘટ્યો છે. બીજી સરકારોની જેમ એ પોતાનો ચહેરો હસતો દેખાડવા માંગે છે પણ સચ્ચાઈ તો આ છે જ."

અને બજાજની વાતને સમર્થન આપતા આંકડા હમણાં ગયા અઠવાડિયે જ બહાર આવ્યા છે. જેમાં આપણા દેશનું અર્થતંત્ર દુનિયામાં પાંચમા સ્થાનેથી ગબડીને સાતમા સ્થાને પહોંચી ચૂક્યું છે.

વિશેષમાં આ મંદી નું કારણ તો આપણા દેશમાં લોકોની ખરીદશક્તિમાં આવેલી ભારે કમી છે અને બેકારી દર છેલ્લાં 45 વર્ષની વિક્રમજનક સપાટીએ અત્યારે પહોંચેલો છે. બેરોજગારી દર અત્યારે 7.2%એ પહોંચેલો છે અને આ વર્ષના ફેબ્રુઆરી મહિનાના આંકડા કહે છે કે 3.12 કરોડ લોકો આપણા દેશમાં રોજગારીની શોધમાં હતા.

બીજી બાજુ પેટ્રોલ – ડીઝલના ભાવ વધતાં જ રહે છે, શાકભાજીથી માંડી જીવન જરૂરિયાતનાં ખાદ્યાન્ન ને ખાદ્યતેલોના ભાવો આસમાન છૂતા રહ્યા છે અને એટલે જ 'વિકાસદર' હવે આસમાનથી ટપકે એ જ માત્ર વિકલ્પ રહ્યો છે.

ગ્રામીણ ક્ષેત્રોમાં ખેડૂતોને ઉત્પાદનના યોગ્ય ભાવ મળતા નથી. વચેટિયા, દલાલો અને બજારમાં ભાવ ઊંચા નીચા કરતા સટોડિયાઓનું જ રાજ જો ખેતી અને ખેતર પર હાવી હોય ત્યારે ખેડૂતોને બે ટંક રોટલા બારે માસ કેમ ખાવાં એ જ મૂંઝવણ સતાવી રહે છે અને તેને લઈ મોટરસાયકલને ટ્રેક્ટર જેવાં વાહનોની ખરીદી મંદ પડી ગયેલી જોવા મળે છે.

શિક્ષિતોની બેકારી યા 'ફીક્સ' પગારની નોકરીઓ એ મધ્યમવર્ગના ઘરમાં બે -ત્રણ જણાં કમાનારા હોય છતાં ય આવક તો સરકારી નોકરીનાં પગાર ધોરણો કરતાં ઘણી ઓછી કહો કે મળતાં એક સરકારી નોકરિયાતના વેતન જેટલો પગાર ત્રણ જણાના ફીક્સ પગાર જેટલો ગણવો રહ્યો ! આને એક ખરીદશક્તિ ઓછી થવાનું કારણ ગણી જ શકાય ને ?

એ ઉપરાંત સરકારી નીતિ પણ જાણે દેશમાં એવી થઈ ગઈ છે કે દેશના આંગળીના વેઢે ગણાતા કોર્પોરેટ હાઉસ- ઈન્ડ્સ્ટ્રિયાલિસ્ટોને ખોબલે ખોબલે, કાયદા કાનૂન ઢીલાં કરીને કે ભંગ કરીને પણ લાભ કરી આપવામાં આવી રહ્યો છે અને તે સિવાયના મધ્યમકક્ષાના ઉદ્યોગપતિઓ, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીના માલિકો; પહેલાં નોટબંધીના ભરડામાં ફસાયા અને પછી અણગઢ રીતે વસુલાતા જી.એસ.ટી.ના ચક્કરમાં ફસાયા !

અને ખાસ તો માત્ર ઓટો ઉધોગ નહીં પણ જેને પાયાનાં ઉદ્યોગો કહેવાય એવાં આઠ ઉદ્યોગોમાં ઉત્પાદન છેલ્લાં ચાર વર્ષથી ઘટતું રહ્યું છે અને આ જૂન મહિનામાં તેનો વૃદ્ધિ દર 0.2 સુધી પહોંચી ગયો જે 2018ના જૂન મહિનામાં 7.8 હતો. દેશનાં આ પાયાગત આઠ ઉદ્યોગોમાં ઈલેક્ટ્રીસિટી, લોખંડ, રિફાઈનરી ઉત્પાદનો, ઓઈલ, કોલસો, સિમેન્ટ, કુદરતી ગેસ અને ફર્ટીલાઈઝરનો સમાવેશ થાય છે.

આ આઠ ઉદ્યોગોમાં ધીમો પડી રહેલો વૃદ્ધિ દર ઘણી ગંભીર બાબત ગણવી રહી. આ ઉદ્યોગો એ દેશના તમામ પ્રકારના ઔદ્યોગિક વિકાસ માટે, તમામ ઉત્પાદનો માટે પહેલી જરૂરિયાત છે. આ ઉત્પાદનો ઘટી જાય એટલે દેશના ઉદ્યોગધંધાનું હ્રદય ધીમું ચાલતું થઈ ગયું કે માંદુ પડી ગયું એમ કહીએ તો પણ ચાલે.

આપણા દેશમાં એકબાજુ રાજકીય નેતાઓ, સત્તાધારીઓ પાંચ લાખ કરોડ રૂપિયાનાં અર્થતંત્રને આંબવાની ગુલબાંગો પોકારી રહ્યા છે અને બધું જ બધું રુડું રૂપાળું છે એમ કહીને આંકડાઓ છૂપાવવાની કાર્યવાહીમાં લાગેલા છે. અને આ છૂપાવવાની માનસિકતા દેશને ક્યાં લઇ જશે એ પણ એક મોટો સવાલ છે.

તાજેતરની નોંધપાત્ર વાત એ પણ છે કે દેશના અર્થતંત્રની તબિયત જાણવા માટેનું જે નાણાં ખાતું છે તેની કચેરીમાં પત્રકારો માટે પ્રવેશની બંધી ઘણા વખતથી મૂકાયેલી તો હતી જ ત્યાં હવે નાણાખાતાના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે જ્યારે નાણાપ્રધાન કે ઉચ્ચ અધિકારી પ્રેસ બ્રીફીન્ગ કરશે ત્યારે પત્રકારોને સવાલો પૂછવાની મનાઈ રહેશે.

સરકારનું નાણાં ખાતું જે કંઈ દેશની તબિયત વિશે કહે તે માની લેવાનું.

દેશની તંદુરસ્તી કે રોગ વિશેનાં બ્લડ ટેસ્ટ કે એક્સરેના રિપોર્ટ માંગવાના નહીં એનાં જેવી આ વાત થઈ.

અને બીજી બાજુ આ આર્થિક બીમારીને છૂપાવવા કે તેનાથી ધ્યાન હટાવવા ફરજિયાત જયશ્રી રામ બોલાવવાના નફરતના ગતકડાં કે અયોધ્યામાં રામમંદિરને કલમ 370 નાબૂદીનાં રમકડાં અને આતંકવાદની ભયાનકતા ઊભી કરી લોકોને સતત મીડિયાની મદદથી ઊંધે રવાડે ચડાવી દેવાની રમત રોજેરોજ આપણાં દેશમાં ચાલી રહી છે.

મેજોરિટી – બહુમતીના જોરે લોકસભા – ધારાસભાઓમાં જાતભાતના કાયદા કાનૂન પાસ કરાવી એક યા બીજા પ્રકારના દમનના દાવ સરકાર ખેલી રહી છે.

આ બધું જ હોવા છતાં શરીરની બીમારીને મેકઅપ, ઘરેણાં કે ચમકતાં વસ્ત્રોથી ઢાંકી નથી શકાતી એમ જ આ અર્થતંત્રની બીમારીનું હોય છે. લાંબા સમયે ય અર્થતંત્રની બીમારીનાં ચિન્હો દેખાયાં વિના રહેતાં નથી. અર્થતંત્રનાં ધબકારા સમાજજીવનમાં ઝીલાતાં હોય છે. ધીમા પડતાં ધબકારા દેશમાં અનુભવાઈ રહ્યા છે.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન ઈસ્લામ ધર્મ આધારિત બની ગયો અને સાત દાયકામાં જે ઉગ્ર અને ક્ટ્ટર ધાર્મિક નેતાઓએ સત્તા એક યા બીજી રીતે પોતાની પાસે રાખીને શાસન કર્યું ને જે રીતે દેશના અર્થતંત્રને ખાડે નાંખી દીધું છે તેને હવે બહાર કાઢવું ઘણું મુશ્કેલ બની ચૂક્યું છે.

પાકિસ્તાનની સરકારને અત્યારે ગરીબોની રોટી સમી 'નાન'ની કિંમતને પંદર રૂપિયામાંથી દસ રૂપિયા કરવાની જે મસક્કત કરવી પડે છે ! શું એવું જ આપણે ધાર્મિક કટ્ટરતાવાદને રસ્તે ચાલીને આપણાં દેશમાં કરવું છે ? એ સવાલનો જવાબ હવે લોકો એ જ પોતાની જાતને પૂછવો પડશે.

સૌજન્ય : ‘ચિંતા’ નામે લેખકની સાપ્તાહિકી કટાર, “ગુજરાત ગાર્ડિયન”, 07ઓગસ્ટ 2019

Loading

...102030...2,7592,7602,7612,762...2,7702,7802,790...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved