Opinion Magazine
Number of visits: 9576789
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આઝાદ દેશનો એક કાળો દિવસ

મનીષી જાની|Opinion - Opinion|26 June 2019

1975ની સાલની 26 જૂનની સવાર કંઈક જુદી ઊગી ! 25 તારીખની મધરાતે દેશમાં રાષ્ટ્રીય કટોકટી ની જાહેરાત કરવામાં આવી.

કવિ ઉમાશંકર જોશીના માર્મિક શબ્દોમાં કહીએ તો,

'રોજ નો એનો એ તડકો ….
પણ નસોમાં એકાએક
રૂધિર વહેણે ધસતું મૃત્યુ
કાલે હતો તે તડકો ક્યાં છે ?'

તે સમયના વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ 352 કલમ હેઠળ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે ઈમરજન્સી લગાવી દીધી. વિરોધપક્ષના નેતાઓ, આંદોલનકારી આગેવાનો અને લોકનેતા જયપ્રકાશ નારાયણ સહિત 676 અગ્રણીઓને જેલમાં પૂરી દેવાયા.

પ્રેસ – છાપાં પર સેન્સરશીપ લદાઈ અને દેશમાં સૌથી મોટા પ્રશ્નોમાંનો એક વસતિ વધારો છે, જે ગરીબીનું મૂળ છે – એવા પ્રચાર સાથે મોટા પાયે દેશભરમાં નસબંધીનો કાળો કેર વર્તાવ્યો. દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં આ નિમિત્તે જે જુલમ થયો હતો તે પણ હજી ઘણાંને યાદ છે.

રાષ્ટ્રીય કટોકટી તો દેશમાં આ અગાઉ 1961-62માં ચીનયુદ્ધ વખતે અને 1971માં પાકિસ્તાન યુદ્ધ વખતે લગાડવામાં આવી હતી. જેનું કારણ સીમા પરની અશાંતિ અને દેશ પર બાહ્ય પરિબળોનો ખતરો ગણવામાં આવ્યું હતું પણ 1975માં જાહેર થયેલી કટોકટીનું કારણ સીમા પરની તંગદિલી નહીં પરંતુ દેશની આંતરિક અશાંતિને ગણાવવામાં આવેલું.

અને ખાસ વાત એ છે કે જ્યારે રાષ્ટ્રીય કટોકટી લગાવવામાં આવે ત્યારે નાગરિકોના કેટલાક મૂળભૂત અધિકારો સ્થગિત કરવાની જોગવાઈ થતી હોય છે, પરંતુ ઇન્દિરાજીએ લાદેલી આ કટોકટીમાં તમામ મૂળભૂત અધિકારો પર તરાપ મારવામાં આવેલી હતી. જેમાં નોંધપાત્ર જીવવાના અધિકાર-રાઈટ ટુ લાઈફ અને પર્સનલ લિબર્ટી-વ્યક્તિગત સ્વાતંત્ર્યના અધિકારને પણ અભિવ્યક્તિનાં સ્વાતંત્ર્યની સાથે સાથે ઝૂંટવી લેવાયા હતા.

આ કટોકટી જાહેર કરવાની સાથે જ દેશભરનાં કંઈ કેટલાં ય છાપાંઓની કચેરીઓ પર સરકારે દરોડા પાડ્યા અને સરકાર વિરુદ્ધ કંઈ પણ છપાય નહીં તે માટે થઈ લખાણ છાપતાં પૂર્વે જ લાગતાં વળગતા અધિકારીઓ પાસેથી મંજૂરી લેવાનું ફરજિયાત બનાવી દેવાયું.

આઝાદ દેશમાં આવું પહેલી વાર બની રહ્યું હતું એટલે સવાલ તો થાય કે આમ ઈમરજન્સી તાત્કાલિક લગાડવાની જરૂર કેમ પડી ?

વડાં પ્રધાન ઇન્દિરાજીના આટલી ઝડપભેર લેવાયેલા આ નિર્ણય અંગે સુપ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ અબુ અબ્રાહમનું તે સમયગાળામાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં છપાયેલું કાર્ટૂન ઘણું માર્મિક છે. અને તેમાં ઇન્દિરાજીની ઉતાવળ, દાદાગીરી અને સરમુખત્યારશાહી દેખાઈ આવે છે.

આ કાર્ટૂનમાં બાથટબમાં સ્નાન કરતાં કરતાં દેશના રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદ વટહુકમ પર સહી કરી રહ્યા છે, અને સાથે સાથે અધિકારીને કહી રહ્યા છે કે 'હવે બીજા વટહુકમો પર સહી કરવા પછી લાવજો !'

બાથરૂમનાં બાથટબમાં સ્નાન કરતાં કરતાં દેશના પ્રથમ નાગરિક અને સર્વોચ્ચની 'વ્યક્તિગત સ્વતંત્રતા' છીનવાઈ જતી હોય એવું દર્શાવતું આ કાર્ટૂન તે સમયના દેશમાં ઊભા થયેલા ઈમરજન્સી ના માહોલને વ્યક્ત કરનાર બની રહે છે.

દેશભર નાં આર એસ એસ, નક્સલવાદી સંગઠનો સહિત કુલ 14 સંસ્થાઓ પર તે સમયે પ્રતિબંધ લદાયો હતો અને દેશ આખામાંથી ઈમરજન્સીના આ 19 મહિના લગી 1,40,000 કાર્યકરો-આગેવાનોને જેલમાં ખોસી દેવામાં આવ્યા હતા.

આટલાં મોટાં પાયે દમનચક્ર ચલાવવાની જરૂરને સંસદમાં સત્તાધારી કૉન્ગ્રેસની ભારે બહુમતી હોવા છતાં આવું બિન-લોકશાહી પગલું લેવાની કેમ જરૂર પડી તે વાત પણ મહત્ત્વની બની રહે છે.

દેખીતું કારણ તો એ સમયે એ જ હતું કે એ 1975ની 12મી જૂને અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો આવ્યો જેમાં 1971ની ઇન્દિરાજીની રાયબરેલી લોકસભા મતક્ષેત્રની ચૂંટણીને અયોગ્ય ઠેરવવામાં આવી. ઇન્દિરાજી સામે ઊભેલા સમાજવાદી નેતા રાજનારાયણે વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી ભ્રષ્ટ રીતરસમોથી જીત્યાં છે, તે ચૂંટણી રદ્દ કરી દેવી જોઈએ તેવો ન્યાય માંગતો કેસ કર્યો હતો. ચૂંટણી જાહેર થતાં જ સરકારી હોદ્દા પર બેઠેલા ઉમેદવારો એ પછી વડા પ્રધાન હોય કે કોઈ પણ નેતા; તેઓ સરકારી કર્મચારીઓ અને સાધનોનો ઉપયોગ પોતાના ચૂંટણી પ્રચાર માં ન કરી શકે તે આચારસંહિતાના મુદ્દે, યશપાલ કપૂર જેઓ સરકારી નોકરિયાત હતા તેમનો ચૂંટણીમાં અંગત ઉપયોગ કર્યો તે વાતને માન્ય રાખી ઇન્દિરાજી વિરુદ્ધ હાઈકોર્ટે ચુકાદો આપ્યો. છ વર્ષ માટે કોઈ પણ સરકારી હોદ્દા પર રહેવા માટે તેમનાં પર પ્રતિબંધ લાદ્યો.

દેશભરમાં હલચલ મચી ગઇ. જો કે સુપ્રીમ કોર્ટે આ હાઈકોર્ટના ચુકાદા સામે ઇન્દિરાજીને વડા પ્રધાન પદે ચાલુ રહેવા દેવાનો ચુકાદો પણ તરત આપ્યો.

આ ઘટનાને લઈ કડક હાથે સત્તા ટકાવી રાખવા ઇન્દિરાજીએ ઈમરજન્સી લાદી એવું ઘણા લોકો માને છે.

પરંતુ આ આખીયે ઘટનાને વ્યાપક સંદર્ભે જોવી જરૂરી બની રહે છે.

1975માં દેશને આઝાદ થયે ત્રણ દાયકા પૂરા થઈ રહ્યા હતા. 1857ના પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામથી માંડી સતત નેવું વર્ષ લગીનાં આઝાદી માટેનાં અનેકાનેક આંદોલનો, હજારો લોકોનાં બલિદાન બાદ મળેલી આઝાદી પાસેથી બહેતર જીવનનાં ઘણાં બધાં સપનાં જનતા એ જોયાં હતાં. પણ આઝાદીની પચીસી વીતી ગયા પછી એક ભારે હતાશાનું વાતાવરણ ઊભું થયેલું હતું. બેરોજગારીથી માંડી ગરીબી, ખેડૂતોની સમસ્યાઓ અને વર્ણવ્યવસ્થાના વિષચક્રમાં અટવાતા વંચિતો-આદિવાસી નાં જીવનમાં કંઈ ખાસ ફેરફાર જોવા મળતો ન હતો.

આ બધાંની સામે પ્રતિરોધ પણ દેશમાં ક્યાંક ક્યાંક ઊભરી રહ્યો હતો. 1968 માં બંગાળના નક્સલબાડી કિસાનોનું જમીનદારો સામેનું ઉગ્ર આંદોલન શરૂ થયું. કલકત્તા યુનિવર્સિટીનાં છાત્રોને સેંકડો યુવાનો કિસાનોની સાથે લડતમાં જોડાયા અને આ ક્રાંતિકારી લડતના પડઘા દેશભરમાં પડ્યા. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ નવા વિચાર, નવી દિશાઓની ખોજનાં સંઘર્ષો ચાલુ હતાં. ફ્રાંસમાં પેરીસ યુનિવર્સિટીનાં વિદ્યાર્થી આંદોલને 1968માં જ પ્રમુખ દ’ગોલની સરકાર ઉથલાવી તો સામ્રાજ્યવાદી અમેરિકામાં વિદ્યાર્થીઓ, બુદ્ધિજીવીઓ, પત્રકારોને યુવાનોએ ખોબલા જેવડા વિયેટનામ પર યુદ્ધે ચડેલા પ્રમુખ નિક્સન સામે મોટાં આંદોલનો ઠેર ઠેર ઊભાં કર્યાં. શિક્ષણપ્રથા -પદ્ધતિ વિશે નવેસરથી વિચારવાની ચર્ચા બ્રિટનમાં ઊભી થઈ અને 1971-72માં અનેક દેશોમાં એ ચર્ચાએ રંગ પકડ્યો.

આપણે ત્યાં સાહિત્ય-કલા-ફિલ્મ ક્ષેત્રે પણ એક નવી હવાનો સંચાર 1965-66થી શરૂ થતો હતો. વિજય તેંડુલકર, મોહન રાકેશ, બાદલ સરકાર, ગિરીશ કર્નાડ, મુક્તિબોધ જેવા લેખકો-નાટ્યકારોએ ભારતીય કલાક્ષેત્રે પ્રેરણાત્મક દિશા ઊભી કરવામાં અગત્યની ભૂમિકા અદા કરી. દરેક ક્ષેત્રે, આર્થિક, સાંસ્કૃતિક, રાજકીય ક્ષેત્રે પરિવર્તનનો વાયરો ફૂંકાયેલો હતો.

બીજી બાજુ કૉન્ગ્રેસ સરકાર સત્તા ટકાવી રાખવા 14 બેન્કોનું રાષ્ટ્રીયકરણ, ગરીબી હટાવોની નારાબાજી અને વંચિતોને જ્ઞાતિ-જાતિ- ધર્મમાં વહેંચી મત અંકે કરી રહી હતી. બાંગ્લાદેશની મુક્તિને લઈ પાકિસ્તાન સાથે યુદ્ધ ખેલી 'રાષ્ટ્ર ભાવના'નો ઉન્માદ ઊભો કર્યો અને ઇન્દિરાજીને દુર્ગા માતા તરીકે ચિત્રિત કરવાની મથામણો પણ ચાલી.

આ બધું જ હોવા છતાં મોંઘવારી અને બેકારી રોજેરોજ વધતી જતી હતી. 1972 ડિસેમ્બરમાં ઘઉં, તુવેર દાળ, સીંગતેલ, ખાંડના ભાવ અનુક્રમે રૂપિયા 1.20, 2.75, 4.75, 3.25 હતા તે 1973ના ડિસેમ્બરમાં અનુક્રમે 2.50, 3.50, 9.60, 4.25. થઈ ગયા ! કહો કે 100%થી પણ વધારે ભાવ વધારો !

આ સમયગાળામાં જ ગુજરાતમાં કોલેજમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓનાં ફૂડબીલમાં એકાએક એક સાથે 30%નો વધારો થયો. એ મુદ્દે અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી ઊભી થઈ. જેમાંથી અમદાવાદના વિદ્યાર્થીઓનું મોંઘવારી સામે અને તે માટે જવાબદાર વિધાનસભામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોનાં કોઈ જ કામ કરતા નથી એટલે વિધાનસભા વિસર્જનની માગણી સાથેનું આંદોલન 1974ના આરંભે શરૂ થયું.

સરકારે વિદ્યાર્થીઓ સાથે સંવાદને બદલે પોલીસના ડંડા, બંદૂક અને મીસા જેવા કાળા કાયદા હેઠળ વિદ્યાર્થી આગેવાનોને પૂરી દેવાનું પસંદ કર્યું. આંદોલન ગુજરાતવ્યાપી બન્યું ને લોકો સ્વયંભૂ જોડાયા, અને જાન્યુઆરી 25ના ગુજરાત બંધના કોલને ભારે પ્રતિસાદ મળ્યો. 26 જાન્યુઆરીએ ગુજરાતનાં 63 નાનાં મોટાં શહેર-નગરોમાં કરફ્યુ હતો, કરફ્યુમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજવાની ફરજ પડી.

ગુજરાતના વિદ્યાર્થીઓએ પોતાના આંદોલનમાં સાથ આપવા જયપ્રકાશ નારાયણને આમંત્રણ આપ્યું. પટનાથી જયપ્રકાશજી ગુજરાત આવ્યા અને બિહારના વિદ્યાર્થીઓ-યુવાનોએ જયપ્રકાશજીની આગેવાનીમાં જ બિહારની કૉન્ગ્રેસ સરકાર સામે મોટુંઆંદોલન ઊભું કર્યું.

આ આંદોલનોએ દેશ આખામાં નવો જોમ જુસ્સો ઊભો કર્યો. સાથે સાથે 1974ના મે મહિનામાં જ વેતન ધોરણ અને આઠ કલાક કામની વાતને લઈ 17 લાખ રેલવે કામદારોની રાષ્ટ્રવ્યાપી 20 દિવસની હડતાળ થઈ.

દુનિયાભરમાં આટલા મોટા પ્રમાણમાં એક સાથે કામદારોની હડતાળ એ એક સૌથી મોટી ઔદ્યોગિક ઘટના બની રહી.

દેશના આવા માહોલમાં, પરિવર્તનની હવામાં ઇન્દિરાજી સામે, કૉન્ગ્રેસની સરકાર સામે સંગઠિત અવાજ ઊભો થાય તો, રાષ્ટ્રવ્યાપી આંદોલન થાય તો સત્તાનાં સિંહાસન ડગમગી જાય એવી પૂરી શક્યતાઓનું નિર્માણ થયું એટલે કૉન્ગ્રેસ માટે સત્તા પર કાયમ રહેવા માટે આ ઈમરજન્સીનું શસ્ત્ર વાપરવાનો રસ્તો દેખાયો એમ કહી શકાય.

1975માં ગુજરાતમાં જનતા મોરચાની સરકાર હતી એટલે રાજકીય કાર્યકરો પર મોટાપાયે પોલીસ દમન કે અત્યાચારો જોવા મળ્યા નહીં, પરંતુ અન્ય રાજ્યોમાંથી રાજકીય કાર્યકરોએ ગુજરાતને પોતાનું સલામત ભૂગર્ભ સ્થળ બનાવ્યું.

જો કે વિરોધપક્ષના અને કર્મશીલોની ગુજરાતમાં પણ વ્યાપકપણે ધરપકડો થઈ અને લાંબો કારાવાસ સૌને થયો.

દેશભરમાં મહદ્દ અંશે ડાબેરી વિચારસરણી ધરાવનારા અને લોકોની વચ્ચે કામ કરનારા કાર્યકરો અને આગેવાનો પર ભારે જુલમ થયા અને ઈમરજન્સી ઊઠ્યા પછી પણ ઘણા કાર્યકરોને લાંબો સમય જેલમાં રખાયા.

આ કટોકટી કાળનો ઉપયોગ કરી કિસ્તા ગૌડ ને ભૂમૈયા જેવાને રાજકીય કાર્યકરોને ફાંસીએ ચઢાવી દીધા.

જ્યારે દક્ષિણનાં જાણીતાં ફિલ્મ કલાકાર અને લેખિકા સ્નેહલતા રેડ્ડીની જ્યોર્જ ફર્નાન્ડીઝ સાથે ડાઈનેમાઈટ કેસમાં સંડોવણી ગણી જેલમાં પૂર્યાં. જેલમાં પણ સ્ત્રી કેદીઓ પર થતાં જુલમ સામે તેમણે લડત ચલાવી.

સ્નેહલતા એક લડાકૂ કલાકાર હતાં. 1970માં તેમણે સંસ્કાર નામની, વર્ણવ્યવસ્થા પર પ્રહાર કરતી જાણીતી ફિલ્મમાં સેક્સવર્કરની ભૂમિકા ભજવી હતી. જેમની સાથે સહ કલાકાર તરીકે ગિરીશ કર્નાડ અને ગૌરી લંકેશના પિતા પી.લંકેશ હતા. 1970માં આ ફિલ્મને સેન્સર બોર્ડ મંજૂરી આપવામાં આનાકાની કરી તેની સામે તેમણે લડત પણ આપી હતી.

જેલમાં સ્ત્રીઓ પર થતાં પોલીસ-જેલરોના દમન સામે તેઓ જેલમાં જ ભૂખ હડતાળ પર ઉતર્યાં. તેઓ અસ્થમાના દરદી હતાં. તેમને જરૂરી દવાઓ પણ બેંગલોર જેલમાં અપાતી ન હતી. તેમનાં ફેફસાંમાં ઇન્ફેક્શન થયું અને ગંભીર બીમારીમાં પટકાયાં. મરણપથારીએ પડેલાં સ્નેહલતા રેડ્ડીને છેવટે પેરોલ પર છોડવામાં આવ્યાં ને ચાર દિવસ બાદ મૃત્યુ પામ્યાં.

ઈમરજન્સીનાં જુલમના આ પહેલા શહીદ ! ઘણા લોકો ઈમરજન્સીના દિવસને સ્નેહલતા દિવસ જાહેર કરવાની માંગણી કરતા રહ્યા છે પણ કાળો દિવસ કહેવામાં અગ્રેસર સત્તાધીશો સ્નેહલતાના સંઘર્ષ ને યાદ કરીને શું લાભ મેળવી શકે ?

લોકનાયકનું બીરુદ પામેલા જયપ્રકાશજીની બન્ને કીડનીઓ, જેલમાં પૂરતી સારવાર નહીં મળવાને કારણે ખરાબ થઈ ગઈ અને તેઓ પણ લાંબા સમય માટે ગંભીર બિમારીમાં પડ્યા એ સૌ કોઇ જાણે છે.

કટોકટીની સૌથી વધુ અસર છાપાં-સામયિકો પર પડી. મોટા ભાગનાં છાપાં-પત્રિકાઓ સત્તાને સથવારે ચાલ્યાં. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અને આપણા ગુજરાતના ‘ભૂમિપુત્ર’ સામયિકે ઈમરજન્સી સામે લડવાનું ચાલુ રાખ્યું. તંત્રીઓએ જેલમાં જવાનું અને કાનૂની લડાઇ લડવાનું પસંદ કર્યું.

આંધ્રમાંથી માનવ અધિકાર માટેના લડવૈયા કન્નાભિરામે જેલમાં પૂરાયેલા 500 કર્મશીલો વતી ઈમરજન્સીને કોર્ટમાં પડકારી હતી.

જ્યારે સત્યાવીસ વર્ષથી ચાલતા, પ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ શંકરના સંપાદન હેઠળનું ‘શંકર્સ વીકલી’ ઈમરજન્સી કાળમાં બંધ કરી દીધું. તેનાં છેલ્લા ઓગસ્ટ 1975ના અંકમાં શંકરે લખ્યું : 'સરમુખત્યારશાહીને હાસ્ય પરવડતું નથી કારણ કે લોકો ડિક્ટેટર સામે હસે તો એ તો ના જ ચાલે.

હીટલરના શાસનના વર્ષો દરમિયાન ન કોઈ સારી કોમેડી સર્જાઈ કે ન કાર્ટૂન કે પેરોડી કે મજાક મસ્તી સર્જન પામ્યાં.આ મુદ્દે વિશ્વ અને ખાસ તો ભારત, દુ:ખદ રીતે નિષ્ઠુર બની ચૂક્યું છે.'

અને આપણા કવિ અને રાજ્યસભાના સભ્ય, ઉમાશંકર જોશીએ મર્મસભર પંક્તિઓ લખીને કહ્યું :

તમે કહો છો વસંત છે
પણ પંખીને કહો છો : ચૂપ!
અમને સૌને દર્પણ સમજીને
જોયાં કરો છો પોતાનું રૂપ.

આ કટોકટી કાળ વિશે આજે જ્યારે 2019ની ચૂંટણી પછી વિચારીએ ત્યારે, ફરી ઈમરજન્સીની સ્મૃતિઓ વાગોળીએ ત્યારે લાગે છે કે તમામ જગાઓએ, ચારેકોર ચૂપ .. ચૂપ ને ચૂપના અવાજો સંભળાય છે, પડઘાય છે.

પંખીઓને માત્ર 'ચૂપ' નહીં, 'ચૂપ મર !' એવું કહેવાતું થયું છે.

સૌજન્ય :  “ગુજરાત ગાર્ડિયન”, 26 જૂન, 2019

(વિશેષ નોંધ : 20 જૂન 2019ના રોજ ‘સેક્યુલર લોકશાહી આંદોલન’ના ઉપક્રમે યોજાતી ગુરુવારી બેઠકમાં આપેલું વક્તવ્ય)

Loading

આપણને કેવું ભારત જોઈએ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|23 June 2019

વન નેશન વન ઈલેકશનની માગણી આમ તો બહુ જૂની છે. આમાં જનસંઘ/બી.જે.પી. અગ્રેસર છે અને તેનું કારણ એ છે કે સમવાય ભારતમાં સમવાય ભારતના પ્રશ્નો હોય છે અને તે રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓને પ્રભાવિત કરતા હોય છે, જે બી.જે.પી. સામે રાજકીય પ્રતિકૂળતા પેદા કરે છે. જેમ કે મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને વિશેષ સ્થાન મળવું જોઈએ, કે સરકારી અથવા ખાનગી કંપનીઓમાં કર્મચારીઓની ભરતીમાં મરાઠીઓને પ્રાથમિકતા આપવી જોઈએ, કે રાજ્યના પછાત વિસ્તારોનો ઝડપી વિકાસ કરવા વિકાસ બોર્ડ મળવાં જોઈએ, કે શેરડી ઉત્પાદન માટે ખાંડ કારખાનાઓ વિશેની નીતિ બદલવી જોઈએ, કે પછી મરાઠાઓને કે બીજી કોમોને મળવી જોઈતી કે ન મળવી જોઈતી અનામતની જોગવાઈ વગેરે પ્રશ્નો ખાસ મહારાષ્ટ્રના છે અને મહારાષ્ટ્રના રાજકારણને પ્રભાવિત કરે છે. આવું જ અન્ય રાજ્યોનું છે. દરેક રાજ્યોનાં પોતાના ખાસ પ્રકારના પ્રશ્નો હોય છે અને તે જે તે રાજ્યનાં સંસદીય રાજકારણને પ્રભાવિત કરે છે.

કેટલાક રાજકીય પક્ષો તો રાજ્યના પ્રશ્નો હાથ ધરવા માટે જ રચાયા છે. એનો અર્થ એવો નથી કે પ્રાદેશિક પક્ષો રાષ્ટ્રીય દૃષ્ટિકોણ ધરાવતા જ નથી. કેટલાક ધરાવે છે તો કેટલાક નથી પણ ધરાવતા. પાછળથી આવા પ્રાદેશિક પક્ષો બાપીકી જાગીર જેવા બની ગયા છે એ વાત પણ સાચી, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગમતો શબ્દપ્રયોગ વાપરીએ તો તેમના વહાલા ફેડરલ ઇન્ડિયામાં ફેડરલ ઈશ્યુઝ છે અને તેને વાચા આપવા માટે ફેડરલ ઇન્ડિયામાં પ્રાદેશિક પક્ષો છે, જેને તમે ફેડરલ પાર્ટીઝ પણ કહી શકો. હવે બોલો, તમને એક સુજ્ઞ નાગરિક તરીકે આની સામે વાંધો છે? વાંધો હોવો જોઈએ? અભિપ્રાય બનાવતા પહેલાં નીરક્ષીર વિવેક કરજો.

આની સામે હિન્દુત્વવાદીઓને વાંધો છે કારણ કે તેઓ દેશભક્તિ, રાષ્ટ્રવાદ, હિંદુઓને ન્યાય કે અન્યાયનું રાજકારણ કરે છે અને તેમાં પ્રાદેશિક પ્રશ્નો આડા આવે છે. યાદ રહે, પ્રાદેશિક પ્રશ્નો આડા આવે છે, પ્રાદેશિક પક્ષો તો તેનું પરિણામ માત્ર છે. પ્રાદેશિક અસ્મિતાભાવ અને પ્રાદેશિક પ્રશ્નોને કારણે બી.જે.પી.ને દક્ષિણ ભારતમાં પ્રવેશવા મળતું નથી. પૂર્વ ભારતમાં પણ જોઈએ એવો પ્રવેશ મળતો નથી અને જ્યાં પ્રવેશ મળ્યો છે ત્યાં કોને ખબર ક્યારે પ્રાદેશિક પ્રશ્ન હાવી થઈ જાય અને હિંદુ રાષ્ટ્રવાદને ખો મળે! ગુજરાત જેવાં બે-ચાર રાજ્યો છોડી દો તો ભારતમાં દરેક રાજ્યમાં પ્રાદેશિક અસ્મિતા પ્રબળ છે અને ત્યાંના કેટલાક સ્થાનિક પ્રાદેશિક પ્રશ્નો છે જે રાજ્યના રાજકારણને પ્રભાવિત કરે છે. મહારાષ્ટ્ર હિન્દુત્વનું જન્મદાતા છે, પણ ગુજરાત તેનું પોષણકર્તા (હિન્દુત્વની લેબોરેટરી) છે એનું કારણ જ એ છે કે ગુજરાતમાં પ્રાદેશિક અસ્મિતાભાવ નહીંવત્‌ છે. હિંદુ રાષ્ટ્રવાદને ખો દેનારાં પ્રાદેશિક પરિબળો ગુજરાતમાં નથી, પણ મહારાષ્ટ્રમાં છે જ્યાં હિંદુરાષ્ટ્રની કલ્પનાનો જન્મ થયો છે.

પ્રણવ બર્ધન નામના એક વિદ્વાન અર્થશાસ્ત્રીએ સરસ નિરીક્ષણ કર્યું છે કે ૨૦૧૪માં વડા પ્રધાને દેશની જનતાને વચન આપ્યું હતું કે તેઓ વિકાસનું ગુજરાત મોડેલ ભારતમાં લાગુ કરશે. તેઓ સત્તામાં આવ્યા પછી તેમણે ગુજરાતનું વિકાસનું મોડેલ તો લાગુ કર્યું નહીં, પરંતુ ગુજરાતનું તિરસ્કારનું મોડેલ દેશભરમાં લાગુ કર્યું. દરેક માણસ પાસે તિરસ્કાર કરવા માટે બીજો એક માણસ હોવો જોઈએ. એટલા બધા અણગમા પેદા કરો કે પ્રાદેશિક અસ્મિતાઓ, એષણાઓ અને માગણીઓ, સંઘર્ષો અને તેનું રાજકારણ ઢબુરાઈ જાય. એટલે તો પ્રસિદ્ધ ‘ટાઈમ’ મેગેઝીને તેના કવર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘ડિવાઈડર ઇન ચીફ’ તરીકે ઓળખાવ્યા હતા.

૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં ભારતના બહુમતી મતદાતાઓએ તિરસ્કારના ગુજરાત મોડેલને માન્યતાની મહોર માર્યા પછી વન નેશન વન ઈલેકશન એ બીજો દાવ છે. યાદ રહે, ભારતના કુલ ૯૦ કરોડ મતદાતાઓમાંથી ૬૭ ટકા મતદાતાઓએ મતદાન કર્યું હતું એટલે કે અંદાજે ૬૦ કરોડ મતદાતાઓએ મત આપ્યા હતા. એમાંથી ૩૭.૪ ટકા મત બી.જે.પી.ને મળ્યા છે એનો અર્થ એ થયો કે અંદાજે ૨૦ કરોડ મતદાતાઓએ બી.જે.પી.ને મત આપ્યા હતા. આનો બીજો અર્થ એ થયો કે ૭૦ કરોડ મતદાતા સુધી હજુ પહોંચવાનું બાકી છે. હવે જો પ્રાદેશિક અસ્મિતાઓ, અસ્મિતાજન્ય એષણાઓ, પ્રાદેશિક સંઘર્ષો, માગણીઓ, માગણીઓ આધારિત પ્રાદેશિક રાજકારણ એમને એમ અકબંધ ચાલુ રહે તો ૭૦ કરોડ મતદાતાઓ સુધી પહોંચવું કેવી રીતે? એ સ્થિતિમાં રાષ્ટ્રવાદનો દીપક બુઝાઈ ન જાય એ માટે તેની રખેવાળી કરવાનું અને કમસે કમ એક દુ:શ્મન પાળવાનું રાષ્ટ્રીય રાજકારણ વિકસી ન શકે. ભારતના ૭૦ કરોડ નાગરિક હજુ છેટા છે જેને રાષ્ટ્રના રખેવાળ બનાવવાના છે અને કમસેકમ દેશના એક દુ:શ્મનને પાળતા કરવાના છે. 

ભારતના નાગરિક તરીકે આપણે નક્કી કરવાનું છે કે પ્રાદેશિક અસ્મિતાઓ, અસ્મિતાજન્ય એષણાઓ, ફરિયાદો, પ્રાદેશિક સંઘર્ષો, માગણીઓ, માગણીઓ આધારિત પ્રાદેશિક રાજકારણ જળવાઈ રહેવાં જોઈએ કે તેને કહેવાતા રાષ્ટ્રવાદની વેદીમાં હોમી દેવાં જોઈએ? રાષ્ટ્રવાદ એટલે હિંદુ રાષ્ટ્રવાદ એ ન ભૂલતા. તમને ફેડરલ ડિવાઈડ જોઈએ છે કે પછી સધર્મી-વિધર્મીના, આર્ય-અનાર્યના, દેશપ્રેમી-દેશદ્રોહીના નેશનલ ડિવાઈડ જોઈએ છે? વિચારી જુઓ તમારાં સંતાનોનું હિત કેવા ભારતમાં હશે. વિચારવાની શક્તિ ઓછી હોય તો કોઈ નીરક્ષીર વિવેક કરી શકનારાને પૂછી જુઓ કે કેવા પ્રકારનાં ભારતમાં તમારાં સંતાનોનું હિત જળવાવાનું છે? તમારે કેવું ભારત મૂકીને જવું જોઈએ? સમવાયી સંઘર્ષરત ભારત કે ધર્મના નામે આંતરિક સંઘર્ષ કરનારું ભારત?

બીજું, ફેડરલ ડિવાઈડ મોટા ભાગે હકીકતજન્ય હોય છે અને તેનો રાજકીય ઉપયોગ કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં મરાઠવાડા પછાત છે તો તેનાં ભૌગોલિક-રાજકીય નક્કર કારણો છે. મહારાષ્ટ્રમાં ખાંડનું કે ગુજરાતમાં મગફળીનાતેલનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે તો તેનાં નક્કર કારણો છે. દક્ષિણનાં રાજ્યોને હિન્દી ભાષા સામે વાંધો છે અને તેને તે આર્ય સંસ્કૃતિના આક્રમણ તરીકે જોઈ રહ્યા છે તો તેની પાછળ નક્કર કારણો છે. જમ્મુ અને કાશ્મીરમાં ડોગરાઓ અને કાશ્મીરીઓ વચ્ચેના પ્રશ્નો છે તો તેની પાછળનાં ભૌગોલિક-ઐતિહાસિક નક્કર કારણો છે. આખા દેશ પર નજર કરી જુઓ, ભારતનાં દરેક રાજ્યોને ભૌગોલિક-ઐતિહાસિક-સામાજિક પ્રશ્નોનો વારસો મળ્યો છે. આ સોળ આના જેવી નક્કર વાસ્તવિકતાઓ છે. આની સામે દેશપ્રેમ, દેશનો રખેવાળ, દેશનો દુ:શ્મન, રાષ્ટ્રવાદ વગેરે શુદ્ધ ભાવનીક કલ્પનાઓ છે. પાકિસ્તાન સામે ભારત મેચ જીતે ત્યારે દેશપ્રેમનો ઉભરો આવે અને બિહારમાં દોઢસો બાળક મરે ત્યારે શરમનો છાંટો ન અનુભવે એવો આ પેદા કરવામાં આવેલો કૃત્રિમ દેશપ્રેમ છે.

તો એક બાજુ નક્કર પ્રાદેશિક વાસ્તવિકતાઓ છે, તેના પ્રશ્નો છે, તેની આસપાસના સંઘર્ષો છે, તેનું રાજકારણ છે અને બીજી બાજુ ખાસ પેદા કરવામાં આવેલ ભય, અસલામતી લાગણી, દુ:શ્મની, રખેવાળી, શૌર્યભાવ વગેરે છે. પહેલા પ્રકારના નક્કર પ્રાદેશિક રાજકીય પ્રશ્નો હિંદુરાષ્ટ્રવાદની વચ્ચે આવે છે. 

અહીં સવાલ ઉપસ્થિત થવો જોઈએ કે બંધારણ ઘડવાવાળાઓએ ફેડરલ ઇન્ડિયાને કેમ આટલી બધી મોકળાશ આપી? શું તેઓ ઓછા દેશપ્રેમી હતા? તેઓ રાષ્ટ્રવાદી નહોતા? તેમને રાષ્ટ્રની ચિંતા નહોતી? કોઈ એવો સવાલ ઉપસ્થિત કરે કે વન નેશન વન ઈલેકશન કઈ રીતે રાજ્યોના પ્રશ્નોને ગૂંગળાવનારા છે? અન્ય રાજકીય પક્ષો કે પ્રાદેશિક પક્ષો પ્રાદેશિક પ્રશ્ને ચૂંટણી લડી શકે છે. તેમને કોઈ રોકવાનું નથી. આમ વિચારવું એ નાગરિકોનું ભોળપણ છે. બંધારણ ઘડનારા વડીલોના શાણપણ વિષે અને નાગરિકોના ભોળપણ વિષે વધુ ચર્ચા આવતા અઠવાડિયે.

20 જૂન 2019

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 જૂન 2019

Loading

લોકપ્રતિનિધિઓ પાસેથી ગાંધીજીની અપેક્ષા

ગાંધીજી|Opinion - Opinion|22 June 2019

સત્તરમી લોકસભાનાં પરિણામ આવી ચૂક્યાં છે અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની આવનારાં પાંચ વર્ષ સુધી શી ભૂમિકા રહેશે, તે ટૂંક સમયમાં નિશ્ચિત થશે. દેશની અંદાજિત એકસો પાંત્રીસ કરોડની વસ્તી સામે સંસદમાં ૫૪૫ સભ્યો ચૂંટાઈને આવે છે. આ સભ્યો પર દેશની સ્થિતિ અને પાંચ વર્ષનો સમય જોતાં જંગી કાર્યબોજ હોય છે. આ કાર્યબોજને પહોંચી વળવા માટે જ સંસદસભ્યોને વિશેષ અધિકારો અને સવલતો મળે છે. જો કે, જનપ્રતિનિધિઓને જમીની સ્તરે જ્યારે કામ કરવાનું આવે છે ત્યારે તેઓ તેમાં મહદંશે ઊણા ઊતરે છે, અને તેમાં અપવાદ કહી શકાય તેવા સંસદસભ્યોનો આંકડો ત્રણ ડિજિટ સુધી ય પહોંચતો નથી! સંસદસભ્યોના પક્ષે થઈ રહેલી પ્રજાનાં કાર્યોની સતત ઉપેક્ષાને પ્રજાની અપેક્ષા સુધી પહોંચાડવી હોય તો ગાંધીજીનાં કેટલાંક લખાણો ઉપયોગી થાય એમ છે. આ લખાણ હરિપ્રસાદ વ્યાસે સંપાદિત કરેલાં પુસ્તક 'ગાંધીજીની અપેક્ષા'[લોકપ્રતિનિધિઓ પાસે રાષ્ટ્રપિતાએ રાખેલી અપેક્ષા]માં ક્રમવાર જોવા મળે છે. આ પુસ્તક હાલ ગુજરાતીમાં તો ઉપલબ્ધ નથી [હિન્દીમાં गांधीजी की अपेक्षा અને અંગ્રેજીમાં Gandhiji’s Expectationsના નામે ઉપલબ્ધ છે] પણ તેમાંથી કેટલાંક સંપાદિત થયેલાં લખાણ આજે ય પ્રસ્તુત છે. કેટલીક વાતો તો પ્રજાના પ્રતિનિધિઓ માટે દીવાદાંડી સમાન બને એમ છે. …

•••

આપણે લાંબા વખતથી એમ માનવાને ટેવાયા છીએ કે પ્રજાને સત્તા કેવળ ધારાસભાઓ મારફતે મળે છે. આ માન્યતાને હું આપણી એક ગંભીર ભૂલ માનતો આવ્યો છું. એ ભ્રમનું કારણ કાં તો આપણી જડતા છે, કાં તો અંગ્રેજોના રીતરિવાજોએ આપણા પર જે ભૂરકી નાખી છે તે છે. બ્રિટિશ લોકોના ઇતિહાસના ઉપરચોટિંયા અભ્યાસ પરથી આપણે એવું સમજ્યા છીએ કે, રાજ્યતંત્રની ટોચે આવેલી પાર્લમેન્ટોમાંથી સત્તા ઝમીને પ્રજાની અંદર ઊતરે છે. સાચી વાત એ છે કે, સત્તા લોકોમાં વસે છે, લોકોની હોય છે, અને લોકો પોતાના પ્રતિનિધિઓ તરીકે વખતોવખત જેમને પસંદ કરે છે તેમને તેટલા વખત પૂરતી તેની સોંપણ કરે છે. અરે, લોકોથી સ્વતંત્ર એવી પાર્લમેન્ટોની સત્તા તો શું, હસ્તીયે હોતી નથી. છેલ્લાં એકવીસથીયે વધારે વર્ષોથી આટલી સીધીસાદી વાત લોકોને ગળે ઉતારવાને હું મથ્યા કરું છું. સત્તાનો અસલ ભંડાર તો સત્યાગ્રહ અથવા સવિનયભંગની તાકાત છે. એક આખી પ્રજા પોતાની ધારાસભાના કાયદાઓ પ્રમાણે ચાલવાનો ઇનકાર કરે છે, અને એવા સવિનયભંગનાં પરિણામો વેઠવાને તૈયાર થાય તો શું થાય તેની કલ્પના કરો! એવી પ્રજા સરકારના ધારાસભાના ને વહીવટી તંત્રને આખું ને આખું થંભાવી દેશે. સરકારનું પોલીસનું ને લશ્કરનું બળ, ગમે તેવી જબરી હોય તો પણ લઘુમતીને દબાવવા પૂરતું જ કામ આવે છે. પણ આવી પડે તે બધું સહન કરવાને જે આખી પ્રજા તૈયાર હોય તેના દૃઢ સંકલ્પને નમાવવા કોઈ પોલીસની કે લશ્કરની જબરજસ્તી કામ આવતી નથી.

°

… ધારાસભાઓમાં બેસનારા સભ્યોને મળતો પગાર અને ભથ્થાં, તે લોકો દેશનું જે કામ કરે છે, તેના પ્રમાણમાં અત્યંત વધારે પડતાં છે. જે દેશ દુનિયામાં સૌથી ગરીબ છે, તેની સામાન્ય આવક સાથે જરાયે મેેળ ન ખાય એવા પગારો ને ભથ્થાંના એ દર અંગ્રેજી નમૂનાને ધોરણે મુકરર થયેલા છે. તેથી … હું એવું સૂચવું છું કે, પ્રધાનોએ પોતપોતાની ધારાસભાની સંમતિ મેળવી, જરૂરિયાતો નજરમાં રાખી, એ બધા દર ઉતારી નાખવા, અને દરમિયાન સભ્યે, પોતે જે પક્ષનો હોય તેને પોતાને મળતી આખી રકમ આપી દઈ પક્ષ જે ઠરાવી આપે તેટલું જ લેવાનું રાખવું; અને એમ ન બની શકે, તો પોતાનું અંતઃકરણ કહે તે મુજબ કેવળ પોતાને માટે તેમ જ પોતાના કુટુંબને માટે વાજબી લાગે તેટલું જ રાખી, બાકીની રકમ રચનાત્મક કાર્યક્રમના એકાદ અંગના અમલમાં અથવા એવી જ કોઈ જાહેર સેવાની પ્રવૃત્તિમાં વાપરવી. જે પગાર અને ભથ્થાંની રકમ લેવાની છૂટ છે, તે લેવી જ પડે એવી સ્થિતિ હોય એ ખરું, પણ તેથી જરૂર હોય તેથી વધારે વાપરી ખાવાની જબરજસ્તી થોડી જ છે? સાધ્ય સારું હોય તો ગમે તેવું સાધન ચાલે, એ મુદ્દો આમાં ક્યાંયે આવતો નથી.

°

સાદાઈ આ પ્રધાનો તેમના પ્રાંતોના વહીવટમાં દાખલ કરે એવી આશા રાષ્ટ્ર એમની પાસેથી રાખશે. એ સાદાઈની એમને શરમ ન આવવી જોઈએ, તેઓ એમાં ગૌરવ માને. આપણે જગતની ગરીબમાં ગરીબ પ્રજા છીએ, અને આપણે ત્યાં કરોડો માણસો અડધો ભૂખમરો વેઠે છે. એવા દેશના પ્રતિનિધિઓએ પોતાને ચૂંટનાર મતદારોના જીવનની જોડે જેનો કશો જ મેળ ન હોય એવી ઢબે ને એવી રહેણીએ રહેવાય જ નહીં. વિજેતા અને રાજ્યકર્તા તરીકે આવનાર અંગ્રેજોએ જે રહેણીનું ધોરણ દાખલ કર્યું તેમાં જિતાયેલા અસહાય લોકોનો બિલકુલ વિચાર કર્યો નહોતો.

°

પ્રધાનો જો તેમને ૧૯૨૦થી વારસામાં મળેલી સાદાઈ અને કરકસર કાયમ રાખશે તો તેઓ હજારો રૂપિયા બચાવશે, ગરીબોનાં દિલમાં આશા પેદા કરશે, અને સંભવ છે કે સરકારી નોકરોની ઢબછબ પણ બદલાવશે. મારે એ તો બતાવવાની જરૂર ભાગ્યે જ હોય કે સાદાઈનો અર્થ એ નથી કે મેલાઘેલા રહેવું. સાદાઈમાં જે સુંદરતા ને કળા રહેલી છે તે ઊડીને આંખે વળગે એવી હોય છે. સ્વચ્છ, સુઘડ ને ગૌરવશીલ રહેવાને સારુ પૈસા બેસતા નથી. આડંબર તથા દબદબો અને અશિષ્ટતા એ ઘણી વાર એક જ અર્થના શબ્દો થઈ પડે છે.

°

પ્રધાનપદ એ કેવળ સેવાનાં દ્વાર છે, અને જેમને એ કામ સોંપવામાં આવે તેમણે તે પ્રસન્નતાપૂર્વક અને પોતાની બનતી બધી શક્તિ વાપરીને એ સેવા કરવી જોઈએ. એટલે આ હોદ્દાઓને વિશે પડાપડી તો કદી કરાય જ નહીં. અનેક માણસોના સ્વાર્થોને સંતોષવાને સારુ પ્રધાનોની જગાઓ ઊભી કરવી એ તો તદ્દન ગેરવાજબી ગણાય. હું મુખ્ય પ્રધાન હોઉં અને મને આવી માગણી કરનારાઓ આવીને પજવ્યા કરે તો મને ચૂંટનારાઓને કહી દઉં કે તમે બીજો આગેવાન ચૂંટી લો. આ હોદ્દાઓ તો ગમે ત્યારે છોડી દેવા પડે એમ માનીને રાખવાના છે; એને બાથ ભીડીને બેસી જવાનું નથી. એ તો કાંટાના મુગટ હોવા જોઈએ, કીર્તિના કદી નહીં. એ હોદ્દા આપણે લીધા છે તે તો એટલા માટે કે એનાથી આપણા ધ્યેય પ્રત્યે વધારે વેગથી કૂચ કરવાની શક્તિ આપણને મળે છે કે નહીં એ આપણે જોવું છે. જો સ્વાર્થી લોકો અથવા અવળે રસ્તે દોરાયેલા અતિ ઉત્સાહી માણસો મુખ્ય પ્રધાનો પર જબરદસ્તી કરીને ચડી બેસે એવું બનવા દઈએ તો એ મહા ખેદજનક વસ્તુ થઈ જાય. જેઓને આખરે પ્રધાનોના હાથમાં સત્તા સોંપવાનો અધિકાર છે એમની પાસેથી ખોળાધરી લેવી જો આવશ્યક હતી, તો આપણા પક્ષના માણસો પાસેથી સમજ, અડગ, વફાદારી ને ઐચ્છિક નિયમપાલનની ખોળાધરી લેવી બમણી આવશ્યક છે.

°

સૌથી સચોટ કસોટી તો એ છે કે જે પક્ષે મુખ્ય પ્રધાનોની ચૂંટણી કરી છે તે પક્ષના સભ્યોને પ્રધાનોની થયેલી પસંદગી ગમવી જોઈએ. કોઈ પણ મુખ્ય પ્રધાન પોતાની પસંદગીના પુરુષ કે સ્ત્રીનો પક્ષની પાસે પરાણે સ્વીકાર કરાવી ન શકે. એ આગેવાન એટલા માટે છે કે શક્તિ, માણસો વિશેનું જ્ઞાન, અને નેતાપદને માટે આવશ્યક બીજા ગુણો એનામાં છે એવો એના પક્ષનો એના પર પૂરેપૂરો વિશ્વાસ છે.

°

પ્રધાનો સાદાઈથી રહે ને સખત કામ કરે એટલું બસ નથી. તેઓ જે ખાતાં પર કાબૂ ધરાવે છે તે પણ એવી વૃત્તિમાં સામેલ થાય એ એમણે જોવાનું રહ્યું છે. એટલે ન્યાય સસ્તો થવો જોઈએ ને જલદી મળવો જોઈએ. આજે તો એ ધનવાનોના શોખની ને જુગારીની મોજની વસ્તુ છે. પોલીસો પ્રજાને ડરાવનારા નહીં પણ પ્રજાના મિત્ર હોવા જોઈએ. કેળવણીમાં ધરમૂળથી એવો પલટો થવો જોઈએ કે જેથી દેશને ચૂસનાર સામ્રાજ્યવાદીની નહીં પણ ગરીબમાં ગરીબ ગ્રામવાસીની જરૂરિયાત પૂરી પાડે.

°

… પ્રધાનોને સિવિલ સર્વિસની સંગઠિત કાર્યશક્તિનો ઉપયોગ તેમની નીતિનો અમલ કરવા માટે મળવો જ જોઈએ. ગમે તેવા મનસ્વી ગવર્નરો અને વાઇસરોયે ઠરાવેલી રાજ્યનીતિને અમલમાં ઉતારવાનું સરકારી નોકરવર્ગ શીખેલો છે. પ્રધાનો ઠીક ઠીક વિચાર કરીને ઘડેલી પણ નિશ્ચિત રાજ્યનીતિ નક્કી કરે, અને સરકારી નોકરવર્ગ તેના વતી અપાયેલાં વચનો પણ સાચાં પાડે ને જે લૂણ ખાય છે તેને વફાદાર નીવડે.

°

વ્યક્તિ તરીકે પ્રધાન મુખ્યત્વે પોતાને ચૂંટનાર મતદારોને જવાબદાર છે. જો તેની ખાતરી થાય કે પોતે એ મતદારોનો વિશ્વાસ ગુમાવી બેઠો છે અથવા તો પોતે જે વિચારોને સારુ ચૂંટાયેલો તે વિચારો પોતે બદલ્યા છે, તો તે રાજીનામું આપે. પ્રધાનો મંડળ તરીકે ધારાસભાના સભ્યોની બહુમતીને જવાબદાર છે, અને એ સભ્યો એમના પર અવિશ્વાસનો ઠરાવ પસાર કરીને કે એવી બીજી રીતે પ્રધાનોને હોદ્દા પરથી ખસેડી શકે છે.

°

પ્રધાનોએ લોકોને મળવું જ જોઈએ. તેમના સદ્દભાવ ઉપર જ તેમની હસ્તીનો આધાર છે. હળવી તેમ જ ગંભીર બધી ફરિયાદો તેમણે સાંભળવી જ જોઈએ. પરંતુ બધાનું અથવા તેમને મળેલા પત્રોનું અથવા તો તેમણે આપેલા નિર્ણયોનું પણ તેઓ દફ્તર ન રાખે તો ચાલે. પોતાની સ્મૃતિને તાજી કરવા પૂરતું તથા નક્કી કરેલી પ્રથાને ચાલુ રાખવા પૂરતું જરૂરી દફ્તર જ તેઓ રાખે. ખાતાની રૂએ ચાલતો ઘણોખરો પત્રવ્યવહાર બંધ થવો જોઈએ …. તેઓ તો આ દેશમાં વસતા પોતાના કરોડો શેઠના ગુમાસ્તા છે.

°

પ્રધાનો અને પ્રાંતિક ધારાસભાના સભ્યો પ્રજાના સાચા સેવક હોવા જોઈએ, મુખી કે શેઠ નહીં. જો તેઓ પગારનું સરકારી ધોરણ સ્વીકારે તો તેઓ ખુએ. અમુક પગાર બધાને મળી શકે છે માટે તે બધાએ લેવો જ જોઈએ એમ નથી. પગારનું ધોરણ મર્યાદા બાંધવા પૂરતું જ છે. કોઈ શ્રીમંત માણસ પૂરો પગાર અથવા તો તેનો અંશમાત્ર પણ લે તો તે હાસ્યાસ્પદ ગણાય. જે વગર પગારે સેવા નથી આપી શકતા તેને માટે પગાર છે. દુનિયામાં ગરીબમાં ગરીબ પ્રજાના તેઓ પ્રતિનિધિ છે. ગરીબોના પૈસામાંથી તેમનો પગાર નીકળે છે. આ મુખ્ય વસ્તુ ધ્યાનમાં રાખીને તેઓએ જીવવાનું છે ને રાજતંત્ર ચલાવવાનું છે.

°

પ્રધાનોના દિલમાં અસ્પૃશ્યતાના, નાતજાતના કે મારું તારું એવો ભેદભાવ ન હોય. કોઈની જરા પણ લાગવગ ક્યાં ય ન ચાલવી જોઈએ. સત્તાધારીને મન પોતાનો સગો ભાઈ, કે એક સામાન્ય ગણાતો શહેરી, કારીગર, મજૂર, બધા જ સરખા હોવા જોઈએ.

°

અંતરનાદને વશ વર્તીને ચાલનાર પ્રધાનને માનપત્રો અને બીજાં માનપાન લેવાનો કે અતિશયોક્તિવાળી કે યોગ્ય સ્તુતિવાળાં ભાષણ કરવાનો વખત હોય જ નહીં. અથવા જે મુલાકાતીઓને પોતે બોલાવ્યા ન હોય કે જેઓ પોતાના કામમાં મદદ કરે એમ લાગતું ન હોય તેવાઓ જોડે વાતો કરવા બેસવાનો વખત હોય નહીં. સિદ્ધાંતની દૃષ્ટિએ જોતાં તો લોકશાહીનો આગેવાન હંમેશાં પ્રજાનો બોલાવ્યો તેમને મળવા કે ગમે ત્યાં જવા તત્પર રહેશે. એ એમ કરે એ યોગ્ય જ છે. પણ પ્રજાએ એને માથે મૂકેલા કર્તવ્યમાં ક્ષતિ આપવા દઈને તેમ કરવાની ધૃષ્ટતા તે ન કરે. પ્રધાનોને જે કામ સોંપાયેલું છે તેમાં જો તેઓ પારંગત નહીં થાય કે પ્રજા તેમને પારંગત નહીં થવા દે તો પ્રધાનોની ફજેતી થશે.

°

કાયમના અમલદારો પ્રધાનોની આગળ જે કાગળો મૂકે તે વાંચવા ને સહી કરવી એટલું જ કામ જો પ્રધાનો પાસે હોત તો એ તો સહેલ વાત હતી. પણ દરેક કાગળનો અભ્યાસ કરવો અને નવી-નવી કાર્યપ્રણાલી વિચારી કાઢવી ને તેને અમલમાં ઉતારવી એ સહેલું કામ નથી. પ્રધાનોએ સાદાઈ ધારણ કરી એ આરંભ તરીકે આવશ્યક હતું. છતાં જો તેઓ આવશ્યક ઉદ્યોગ, શક્તિ, પ્રામાણિકતા, નિષ્પક્ષપણું અને વિગતો ઉપર કાબૂ મેળવવાની અગાધ શક્તિ નહીં બતાવે તો એકલી સાદાઈ એમને કંઈ કામ આવવાની નથી.

°

પોતાનાં નામો મતદાર તરીકે નોંધાવી આવવાની તસ્દી લેનાર તથા અંગમહેનત કરી રાજ્યને પોતાની સેવા આપનાર દરેક જણ, મરદ અથવા ઓરત, અસલ વતની અથવા હિંદુસ્તાનને પોતાના દેશ કરી અહીં વસેલા, મોટી ઉંમરના વધારેમાં વધારે લોકોના મતો વડે મેળવેલી સંમતિથી થતું હિંદુસ્તાનનું શાસન એટલે સ્વરાજ.

આધુનિક જમાનાના સંપૂર્ણ હકવાળી પાર્લમેન્ટથી હિંદુસ્તાનનું રાજ્યતંત્ર ચાલે એને હું સ્વરાજ કહું છું.

આજે મારી સામુદાયિક પ્રવૃત્તિનું ધ્યેય હિંદુસ્તાનની પ્રજાની ઇચ્છા પ્રમાણેનું પાર્લમેન્ટરી ઢબનું સ્વરાજ પ્રાપ્ત કરવાનું છે એ વિશે કશી શંકા નથી.

એવી પાર્લમેન્ટ આપણને ન મળે તો આપણે અતોભ્રષ્ટ તતોભ્રષ્ટ થઈ જઈએ. …

###

પ્રગટ : “नवजीवनનો અક્ષરદેહ”, મે 2019; પૃ. 181-184

Loading

...102030...2,7592,7602,7612,762...2,7702,7802,790...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved