Opinion Magazine
Number of visits: 9577103
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 2

દીપક મહેતા|Opinion - Opinion|22 July 2019

(હપ્તો ૨)

આપણા આદ્ય કવિ નરસિંહ મહેતાએ ગાયું છે: ‘નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.’ પહેલાં મુંબઈ કે મુંબાઈ હતું તેને અંગ્રેજોએ બોમ્બે બનાવ્યું. અંગ્રેજોએ જેને બોમ્બે બનાવેલું તેને આપણે ફરી મુંબઈ બનાવ્યું. ભૂતકાળમાં બીજાં કેટલાંક નામે પણ ઓળખાતું હતું આ શહેર. ગ્રીક લોકો તેને હેપ્ટેસિનીઆ તરીકે ઓળખતા. પોર્ટુગીઝ લોકો તેને ‘બોમ્બિયમ’ કહેતા. ઈ.સ. ૧૫૩૮માં દક્રિસ્ટો નામનો માણસ તેને ‘બોઆવિડા’ કહે છે. તો બારાબોસા નામનો બીજો એક માણસ લગભગ એ જ અરસામાં તેને ‘થાણા-મયામ્બુ’ તરીકે ઓળખાવે છે. ઈ.સ. ૧૭૫૦ની આસપાસ મુંબઈનો ઉલ્લેખ ‘બુઆં બહીઆ’ તરીકે થયો છે. તો વળી હિન્દીભાષીઓ  આ શહેરને ‘બમ્બઈ’ કહેતા.

પણ અસલ નામ મુંબાઈ કે મુંબઈ. એ નામ મળ્યું કોળી લોકોની કુળદેવી મુંબા-આઈ પાસેથી. આ મુંબા-આઈ તે કદાચ મહાઅંબા આઈ, પાર્વતીનું એક રૂપ. અથવા બિન-આર્ય જાતિઓ જે અનેક દેવ-દેવીઓની પૂજા કરતી તેમાંની કોઈ દેવી પણ તે હોઈ શકે. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં આજે પણ ‘મોમ્માઈ’ દેવીની પૂજા થાય છે. એટલે મુંબઈના કોળીઓ અને સૌરાષ્ટ્રના કોળીઓ વચ્ચે કોઈક સંબંધ હોય એ પણ શક્ય છે. એક દંતકથા પ્રમાણે શિવજીની સૂચનાથી પાર્વતીએ માછણ તરીકે અવતાર લીધો, જેથી કઠોર પરિશ્રમ કરવાનો ગુણ તેમનામાં વિકસે. આ રીતે અવતાર લઈને પાર્વતી કોળી લોકોની સાથે રહેવા આવ્યાં. એ કોળી લોકો તેમને ‘મુંબા’ તરીકે ઓળખવા લાગ્યા. માછીઓ અને માછણો પાસેથી તેઓ મહેનત, એકાગ્રતા, સાહસ વગેરેના પાઠ શીખ્યાં. પછી પાછા જવાનો વખત આવ્યો. પણ કોળી લોકો તેમને જવા દેવા રાજી નહોતા. એટલે ખુદ શિવજી આવ્યા અને કહ્યું કે ‘મહાઅંબા’ની મૂર્તિ રૂપે પાર્વતીજી સદાકાળ માટે તમારી સાથે રહેશે. એટલે કોળીઓએ મુંબા દેવીનું મંદિર બનાવ્યું. કોળીઓ તેમને આઈ (માતા) તરીકે પૂજતા એટલે તે મુંબાઈ દેવીનું મંદિર કહેવાયું. આજે જ્યાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ઊભું છે એ જગ્યાએ મુંબા-આઈ કે મુંબાદેવીનું અસલ મંદિર આવેલું હતું. ઈ.સ. ૧૬૭૫માં એ બંધાયેલું. લોકો એ વિસ્તારને ‘બોરીબંદર’ તરીકે ઓળખતા કારણ એ વખતે ત્યાં બંદર હતું અને ત્યાંથી બોરી કહેતાં કોથળાઓમાં ભરેલો માલસામાન આવતો-જતો.

દરિયા કાંઠે વસતા કોળીઓએ પોતાની કુળદેવીનું મંદિર પણ દરિયા નજીક બાંધ્યું હોય તો તે સમજી શકાય તેમ છે. પણ અંગ્રેજોના સેન્ટ જ્યોર્જ કિલ્લાની સાવ નજીક ઉત્તર દિશાની દીવાલની લગોલગ એ મંદિર હતું એટલે સલામતીની દૃષ્ટિએ અંગ્રેજોને જોખમ લાગ્યું. એટલે ૧૭૩૭માં તેમણે મંદિર ત્યાંથી ખસેડીને ફાંસી તળાવને કિનારે નવું મંદિર બનાવ્યું. એ તળાવને કાંઠે ગુનેગારોને જાહેરમાં ફાંસી અપાતી હતી એટલે લોકો તેને ફાંસી તળાવ કહેતા. પછી વખત જતાં મુંબાદેવીનું મંદિર આજના ઝવેરી બજાર પાસે ખસેડ્યું. એ મંદિર તે આપણે જેને મમ્માદેવી કે મુમ્બાદેવી તરીકે ઓળખીએ છીએ તે મંદિર. જો કે આજે અહીં જે મંદિર છે તે પણ અસલનું મંદિર નથી. ફરીથી બંધાયેલું છે. બીજાં ઘણાં મંદિરોની જેમ આ મંદિરની બાજુમાં પણ એક તળાવ હતું. હરજીવનદાસ વિઠ્ઠલદાસનાં વિધવા પૂતળીબાઈએ એ તળાવ ઈ.સ. ૧૭૭૪માં પોતાને ખર્ચે બંધાવી આપેલું. આ લખનારે નાનપણમાં તે તળાવ જોયેલું એ બરાબર યાદ છે. પછી વખત જતાં બીજાં ઘણાં તળાવોની જેમ એ તળાવ પણ પુરાઈ ગયું. આ મંદિરની એક બાજુ ઝવેરી બજારમાં સોનાચાંદીનાં ઘરેણાં મળે તો બીજી બાજુ તાંબાકાંટામાં જાતભાતનાં વાસણ મળે. એક જમાનામાં ઘરેણાં કે વાસણ ખરીદવા આખા મુંબઈમાંથી લોકો અહીં આવતા. અને એ જમાનામાં આ બંને બજારોમાં ગુજરાતી વેપારીઓનું વર્ચસ્વ. અને હા, ઘરેણાં ખરીદતાં પહેલાં અને વાસણ ખરીદ્યા પછી મુંબાદેવી જલેબીવાળાની દુકાને જઈને જલેબી-ગાંઠિયા ખાવાનું તો કોઈ કઈ રીતે ભૂલે? છેક ૧૮૯૭માં શરૂ થયેલી એ દુકાન આજે પણ અડીખમ ઊભી છે.

અગાઉ જ્યાં મંદિર હતું એ જગ્યાએથી આપણા દેશની જ નહિ, આખા એશિયા ખંડની પહેલવહેલી રેલવે લાઈન શરૂ કરવા પાછળ વ્યવહારુ કારણ હતું. આ લાઈન માટેના પાટા, બીજો સાધન-સરંજામ, ટ્રેનના ડબ્બા, તેને ખેંચવા માટેનાં એન્જિન, એ બધું જ ગ્રેટ બ્રિટનથી લાવવાનું હતું. કારણ એ વખતે તેમાંનું કશું જ આ દેશમાં બનતું નહોતું. એટલે એ બધું બોરીબંદર પર ઉતરે અને ત્યાંથી જ રેલવે લાઈન નાખવાનું શરૂ થાય તે સગવડભર્યું. આ રેલવે શરૂ કરવાનું કામ કર્યું હતું એ વખતની ગ્રેટ ઇન્ડિયા પેનેનસુલા રેલવે નામની ખાનગી કંપનીએ. તેની શરૂઆત ૧૮૪૯માં લંડનમાં થઇ હતી. આ ટ્રેનની યોજના પાર પાડવા માટે એક ખાસ સમિતિ રચવામાં આવી હતી. સર જમશેદજી જીજીભાઈ અને જગન્નાથ શંકરશેઠ જેવા ‘દેશીઓ’ પણ તેના સભ્યો હતા. આ કંપનીએ જે બોરીબંદર સ્ટેશન બાંધેલું તે લાકડાનું હતું.

આખા મુંબઈ શહેરમાં ૧૮૫૩ના એપ્રિલની ૧૬મી તારીખે રજા જાહેર કરવામાં આવી હતી. કારણ આપણા દેશની પહેલવહેલી પેસેન્જર ટ્રેન આ સ્ટેશનેથી તે દિવસે ઉપડી હતી, બપોરે ૩.૩૫ વાગ્યે, અને ૨૧ માઈલનું અંતર ૫૭ મિનિટમાં કાપીને તે થાણા સ્ટેશને પહોંચી હતી. વચમાં સાયન સ્ટેશને તે ૧૫ મિનિટ ઊભી રહી હતી. તે દરમ્યાન ત્રણ એન્જિનોમાં પાણી ભરવામાં આવ્યું હતું અને ડબ્બાઓના પૈડાંને તેલ સિંચવામાં આવ્યું હતું. પહેલા, બીજા, અને ત્રીજા વર્ગના બધું મળીને કુલ ૧૪ ડબ્બામાં ૪૦૦ મુસાફરો બેઠા હતા અને સુલતાન, સિંધ, અને સાહેબ નામનાં ત્રણ એન્જિન એ ૧૪ ડબ્બાને ખેંચતા હતા. બોરીબંદરથી ટ્રેન ઉપડી તે વખતે તેને ૨૧ તોપોની સલામી આપી હતી. મુસાફરોનું મનોરંજન કરવા માટે નામદાર ગવર્નરનું બેન્ડ પણ ટ્રેનમાં તેમની સાથે જ મુસાફરી કરતું હતું. આખે રસ્તે પાટાની આજુબાજુ લોકોનાં ટોળાં આ નવી નવાઈ જોવાને ઉમટ્યાં હતાં. થાણા સ્ટેશનની બહાર બે મોટા તંબુ તાણ્યા હતા. એકમાં અંગ્રેજ મહેમાનો માટે અને બીજામાં ‘દેશી’ મહેમાનો માટે ખાણીપીણીની વ્યવસ્થા હતી. જે દેશીઓ એ ટ્રેનમાં બેસીને થાણા ગયા હતા તેમાંનાં કેટલાક ગુજરાતીઓનાં નામ: માણેકજી નસરવાનજી પીતીત, મેરવાનજી જીજીભાઈ, લીમજી માણેકજી બનાજી.  ત્યાર બાદ જ્યારે રોજિંદી ટ્રેન-સેવા શરૂ થઇ ત્યારે મુંબઈથી થાણે સુધીનું પહેલા વર્ગનું ભાડું હતું બે રૂપિયા દસ આના, બીજા વર્ગનું એક રૂપિયો એક આનો, અને ત્રીજા વર્ગનું પાંચ આના ત્રણ પાઈ. (એ વખતે દેશમાં રૂપિયા, આના, પાઈનું ચલણ પ્રચલિત હતું.)

આજે મુંબઈગરા માટે તો ટ્રેન એ રોજિંદા જીવનની એક જરૂરિયાત બની ગઈ છે. પણ એ જમાનામાં તો એ એક મોટી નવી નવાઈ હતી. અર્વાચીનોમાં આદ્ય એવા કવિ નર્મદે મુંબઈથી રણતુંડી (ઘાટ) સુધીની મુસાફરી ટ્રેનમાં કરી હતી. તે પછી લખેલા એક કાવ્યની થોડીક પંક્તિઓ જોઈએ:

ગાડીમાંથી રચના જોતાં હરખ્યું મન મુજ
ડુંગર મોટા, પડેલ લાંબા અજગર જેવા
દેખાયા તે રંગરંગના,
કેટલાકના કળોઠી જેવા રંગ ચળકતા,
કેટલાક તો કાળા બલ્લક,
કેટલાક તો ભૂરા-રાતા
કેટલાક તો ઝાડ ઝૂમખે, પાકા લીલા,
કેટલાક તો ફક્ત ઘાસથી કાચા લીલા,
જેની માંહે વચ્ચે વચ્ચે લાલ માટીના
ઢળતા લીટા શોભે સારા.

આવા ડુંગરો વચ્ચેથી ટ્રેન પસાર થતી હોય ત્યારે વચમાં વચમાં બોગદાં (ટનલ) પણ આવે. તેમાંથી ટ્રેન પસાર થાય ત્યારે? રોમાંટિક નર્મદ કહે છે:

ગાડી જ્યારે જાય ટનલમાં ચિંઈઈ કરીને
ત્યારે સહુ જન થાય અજબ બહુ,
એવી વેલા થોડી વારના અંધારામાં
નિજ પ્રિયજનને છાતીસરસું ખૂબ ચાંપવું
એ સુખડું તો સ્વર્ગનું સાચે.

આકાશમાં ખીલતા મેઘધનુષમાં તો સાત રંગ હોય છે. પણ આ મોહમયી મુંબઈ નગરીના રંગોનો તો પાર આવે તેમ નથી. અને આ શહેરની એક ખાસિયત એ છે કે કોઈ પણ રંગ અહીં કાયમી બનતો નથી, રંગો સતત બદલાતા રહે છે. નવી નવી ભાત ઉપસતી રહે છે. અને એટલે આ શહેર ચાલતું નથી, સતત દોડતું રહે છે. ક્યારે ય સૂતું નથી, સતત જાગતું રહે છે. ક્યારેક હારી જાય તો બીજે જ દિવસે બેઠું થઇ દોડવા લાગે છે. એવા આ આપણા શહેરની કેટલીક વધુ વાતો હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

[પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 20 જુલાઈ 2019]

Loading

RSS in Textbooks: Contrasting Concepts of Nation: Nation building

Ram Puniyani|English Bazaar Patrika - OPED|21 July 2019

Nationalism has been the matter of debate yet again. From last few years we saw the individuals being labeled as Anti National for criticizing the ruling Government, we witnessed the attack on JNU on the ground that it is breeding ground of anti-Nationals. At the same time those belonging to ‘Hindu nationalism’ have been presenting themselves as Nationalists. The shrewdness involved in this is that they have been hiding the prefix Hindu to the word, Nation. It is this prefix which shows that they in no way were part of the process of India becoming a nation. Indian Nation building has been a multi layered process. On one hand it was to oppose the colonial rule and simultaneously it was a journey towards democratic values.

This issue comes to fore yet again as Sant Tukdoji Maharaj Nagpur University has brought in a damaging change in their second year B.A. history course. The earlier chapter in the book was on the rise of communalism in India. That has been replaced by the chapter on ‘History of RSS and its role in Nation building’ The university spokesperson put it “Nationalist school of thoughts… is also part of the Indian history. Similarly, history of the Sangh is a part of the nationalist school. Hence, introduction to RSS was included in the course," On the other hand the state Congress spokesperson Sachin Sawant disputes this by saying, "Where would Nagpur University find reference of RSS & Nation Building? It is most divisive force which collaborated with British, opposed freedom movement, didn't hoist Tricolor for 52 years calling it inauspicious, wanted Manusmriti in lieu of constitution, spreads hatred." 

What have been the components of India becoming a Nation? The earlier kingdoms were replaced by the colonial rule. The colonial phase was marked by introduction of major economic and social changes. These changes related to transport (railways), communication (Post and telegraph) modern education (Schools and universities), free press and modern judicial system among others. With these changes the social relations began to take place. The process of breaking of the ‘iron frame of caste structure’ began. The subordinate status of women was challenged as the likes of Savitribai Phule started schools for education for girls. The new class of Industrialists, modern businessmen and educated classes came up in the society. The political expression of these processes got reflected in multiple streams.

The major expression of this political phenomenon was the formation of Indian National Congress. The movements for breaking caste inequality were inspired by Joti Rao Phule and Babasaheb Ambedkar. The aspirations of workers got expressed in the unions led by Narayan Meghaji Lokhande and Com Singarvelu. Revolutionaries like Bhagat Singh stood against colonial rule with a dream of socialist society. This process of nation building has two sides. One was to express the social aspirations of these classes coming up in society; workers, women, educated classes, bureaucrats and industrialists in particular. The other was the political expression; the struggle against British colonialists.

To oppose these social-political changes section of declining classes, the kings and landlords and their fellow travelers, threw up their organizations. These organizations had two aspects. One was to oppose the social changes related to caste and gender transformation and second was to harp on nationalism in the name of religion. They were the ones who were opposed to the anti-British national movement. These declining sections had religion as a prefix of their nationalism. Their aims were purely political. Their political agenda was to preserve the birth based values of hierarchy, as manifested in feudal times.

Muslim League on one hand and Hindu Mahasabha-RSS on the other stood for Muslim and Hindu nationalism respectively. In case of Muslim League, Hindu Mahasabha, the religion is written on their sleeves, in case of RSS religion is the core part of their nationalism. Savarkar did work against caste system in patches, but mostly these organizations were totally aloof from the social changes related to caste and gender transformation. As far as freedom movement is concerned; as organizations they were never a part of any anti British movement. Individually pre-Andman Savarkar was anti British, but after his release his was a changed man. Similarly Dr. K. B. Hedgewar, RSS founder, as an individual did take part in 1930 Civil disobedience movement, but that was with the goal of finding like-minded workers in jail As far as RSS is concerned, the instructions were given by Golwalkar, not to disturb the peace of British.

During Quit India movement the second Sarsanghchalak M.S. Golwalkar states, “In 1942 also there was a strong sentiment in the hearts of many. At that time too, routine work of Sangh continued. Sangh vowed not to do anything directly.” Defending his decision to keep aloof from the movement he says “We should remember that in our pledge we have talked of freedom of the country through defending religion and culture, there is no mention of departure of British from here.” (Shri Guruji Samagra Darshan, vol. IV, page 40) “

While Indian nationalism is inclusive and plural, as expressed in Indian Constitution, RSS has been eulogizing the ancient laws particularly those of Manu. Nationalism is not just the state and boundaries, it is the social relationships. In case of Indian nationalism these values are Liberty, Equality and Fraternity. ‘Nationalism under the garb of religion’, regards these values of equality as Western, not suitable for this or that country. For example Muslim Brotherhood in Egypt promotes feudal hierarchical values in the garb of Islam. It labels democratic values of equality, liberty as being Western ones’. RSS similarly regards Indian Constitution as being Western.

With these types of changes in our educational syllabus, the attempt is to present RSS as part of Indian nation building. This lie hides that RSS neither struggled against British rule nor for the democratic values of equality. The efforts like change in syllabus are attempts to give legitimacy to RSS as Indian nation builder, which they are not. 

Loading

થિયરી છોડો, પ્રેક્ટિકલ વાત કરો !

રમેશ ઓઝા|Opinion - Opinion|21 July 2019

ભારતીય દાર્શનિક પરંપરામાં ‘અનિર્વચનીય’ અને ‘અવ્યાકૃત’ એ બે શબ્દો મહત્ત્વના છે. બંને શબ્દોનો અર્થ લગભગ એકસરખો છે, પણ દિશા અલગ છે. અનિર્વચનીય એટલે આ જગતનું એવું ગૂઢ રહસ્ય જેનું નિર્વચન ન થઈ શકે. મત એવો છે કે પરમ રહસ્યોને પામી શકાય છે, પણ શબ્દો દ્વારા વર્ણવી નથી શકાતાં. આ જગત શાશ્વત્‌ છે કે નાશવાન? આ જગત કોણે બનાવ્યું? શેમાંથી બનાવ્યું? અને જો કોઈ બનાવનાર હોય તો શા માટે બનાવ્યું? આત્મા શું છે? એ દેહમાં આવે છે ક્યાંથી અને મૃત્યુ પછી જાય છે ક્યાં? ઈશ્વર કયા સ્વરૂપમાં રહે છે? એ સર્જક છે, નિયંતા છે કે પછી કેવળ સાક્ષી છે? બંધન અને મોક્ષ શું છે?

આ બધા જીવ અને જગતને લગતા તેમ જ બંધન અને મુક્તિને લગતા માનવીનાં મનમાં પેદા થનારા સ્વાભાવિક પ્રશ્નો છે જેની આસપાસ જગત આખામાં ધર્મો અને દર્શનશાસ્ત્રો રચાયાં છે. પણ ખુલાસો શું છે? ભારતીય દાર્શનિક શાખાઓએ પોતપોતાની રીતે ખુલાસા કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ મોટા ભાગે તો તેને અનિર્વચનીય ગણાવીને પ્રશ્નકર્તાને કહી દેવામાં આવ્યું છે કે દરેક રહસ્યો શબ્દો દ્વારા વર્ણવી ન શકાય. કોઈકે શાંકરભાષ્યમાં કેટલી વાર અનિર્વચનીય શબ્દ આવે છે તેની ગણતરી કરવી જોઈએ. માયાવાદ કે વિવર્તવાદમાં જ્યાં અટવાઈ જવાય ત્યાં શંકરાચાર્યે અનિર્વચનીયનો આશ્રય લીધો છે.

અહીં બુદ્ધ આવે છે. બુદ્ધે જોયું કે જેને વર્ણવી ન શકાય એવાં રહસ્યોને પામવા માટે, તેને બદલવા માટે, તેની કૃપા મેળવવા માટે કર્મકાંડો તો કરવામાં આવે છે; પરંતુ તેનો તર્કબદ્ધ ખુલાસો કરવામાં નથી આવતો. ઈલાજોનો દાવો કરવામાં આવે છે, પણ તાર્કિક ખુલાસા કરવામાં નથી આવતા. બુદ્ધે આનો ખુલાસો કરી આપ્યો અને એ એવો સોંસરવો હતો કે જેનો ખુલાસો માગવામાં આવે છે એનો કોઈ ખુલાસો જ નથી. એ નિરર્થક કાથાકૂટ છે જેમાં જીવન સુધારવા માગતા માણસે પડવાની જરૂર નથી. આને માટે બૌદ્ધદર્શનમાં જે પારિભાષિક શબ્દ વપરાય છે એ ‘અવ્યાકૃત’. જેને તર્કબદ્ધ રીતે, સ્ટેપ બાય સ્ટેપ સમજાવી ન શકાય અથવા ભવસાગરને સામે કાંઠે શું છે કે પછી કાંઠો છે કે નહીં એ પણ ખાતરીથી ન કહી શકાય એ અવ્યાકૃત.

ભગવાન બુદ્ધને જ્યારે કોઈ જિજ્ઞાસુ ઉપર કહ્યા તેવા પ્રશ્ન પૂછતો ત્યારે બુદ્ધ મૂંગા રહેતા. આનો અર્થ એવો નથી કે તેઓ અજ્ઞાની હતા. તેમની આગળના પૂર્વસૂરીઓએ આ વિષે શું કહ્યું છે તેની તેમને જાણ હતી. તેમણે પોતે પણ એ વિષે ચિંતન કર્યું હતું અને એ પછી તેમને સમજાયું હતું કે જે બોગદાનો બીજો છેડો જ નથી ત્યાં કારણ વિના સાધકને શા માટે ઢસડી જવો! શરીરને ઘસીને ધોવાથી શરીરશુદ્ધિ થાય, આકાશનાં રહસ્યો શોધવામાં શરીર ધોવાનું બાજુએ રહે એનો શો અર્થ

મજ્ઝિમનિકાયમાં એક પ્રસંગ આવે છે. માલુંક્ય સુત્ત નામનો એક જિજ્ઞાસુ બુદ્ધને મળવા આવે છે અને જીવ-શરીર-જગત વિષે ઉપર કહ્યા તેવા પ્રશ્નો બુદ્ધને પૂછે છે અને ઉપરથી ઉમેરે છે જો તમે આનો ખુલાસો નહીં કરો તો હું સંઘમાં રહીને સાધના નહીં કરી શકું. બુદ્ધે માલુંક્ય સુત્તને કહ્યું કે ‘ભાઈ, મેં ક્યારે કહ્યું કે હું તારા આ પ્રશ્નોના ઉત્તર આપીશ? તું શું કહે છે એ તું જાણે છે? ઘડીભર ધારી લે કે કોઈ એક માણસને ઝેર લગાડેલું બાણ મારવામાં આવ્યું છે. તેના મિત્રો વૈદને લઈ આવે છે અને વૈદ શરત કરે છે કે હું આના શરીરમાંથી ત્યાં સુધી બાણ નહીં કાઢું અને ઈલાજ નહીં કરું જ્યાં સુધી બાણ મારનાર ગોરો હતો કે કાળો, લાંબો હતો કે ઠીંગણો, તેનું ગોત્ર કયું છે, તેના બાણની પ્રત્યંચા દોરાની બનેલી હતી કે વડવાઈની એની જાણ નહીં થાય. હે માલુંક્ય સુત્ત, તારી શરત  (જિજ્ઞાસા) આના જેવી નિરર્થક છે. આ જગત નિત્ય હોય કે અનિત્ય, બન્ને સ્થિતિમાં તારા માટે તો જન્મ-જરા અને મરણનું દુઃખ તો લખાયેલું જ છે. હા, તારા દુઃખના નિવારણનો ઉપાય મારી પાસે છે, બાકી તારી જગત વિશેની જિજ્ઞાસાઓનો મારી પાસે કોઈ ખુલાસો નથી.’

જેમાં કોઈ દાદરો નથી, દરવાજા નથી, બારી નથી એવા ભવનમાં પ્રવેશવાના મનોરથ સેવવાનો શો અર્થ છે? એના કરતાં તારી જિંદગી સુધાર ને ભાઈ! બુદ્ધ પહેલાના અને પછીના વૈદિક દર્શનના વિચારકો એવા ભવનને નકારતા તો નહોતા જ, તેનો મહિમા કરતા હતા; પરંતુ ત્યાં સુધી પહોંચવાનો અને પ્રવેશવાનો માર્ગ જ્યારે કોઈ પૂછે ત્યારે તેને અનિર્વચનીય કહીને, શું કહીશું, હાથ ખંખેરી નાખતા હતા. પરમ રહસ્યોનો અસ્વીકાર તો બુદ્ધ પણ નહોતા કરતા, પરંતુ તેઓ અવ્યાકૃત કહીને પોતાના અને બીજા કોઈના પણ અ-સામર્થ્યનો સ્વીકાર કરી લેતા હતા. જેનું કોઈ સરનામું જ નથી તેને શોધવા શા માટે નીકળવું?

આ બુદ્ધ. બુદ્ધને સમજાઈ ગયું હતું કે સરનામાં વિનાના ભવનને શોધવા માટે વિદ્વાનો નિરર્થક મલ્લિનાથી કરે છે અને કર્મકાંડી બ્રાહ્મણો, જિજ્ઞાસુ પણ ભયભીત માનવીને ત્યાં પહોંચાડી દેવાના દાવા કરીને છેતરે છે. માનવીમાં બન્ને ચીજ હોય છે; જિજ્ઞાસા પણ હોય છે અને ભય પણ હોય છે એટલે વૈદિક પરંપરામાં બન્ને દિશાએ પ્રપંચ ચાલતા હતા. ઓછામાં પૂરું શ્રમણ પરંપરામાં જૈનોએ સામાન્ય માણસને સદે નહીં એવી આકરી તપશ્ચર્યાનો વળી ત્રીજા અંતિમનો માર્ગ અપનાવ્યો હતો.

એટલે ભગવાન બુદ્ધ માલુંક્ય સુત્તને કહે છે કે જગતના રહસ્યોની બધી વાત છોડ, તારે દુઃખથી છૂટકારો મેળવવો છે? તો તેનો મારી પાસે ઈલાજ છે. અહીં બુદ્ધની સંવાદ કરવાની શૈલી વિષે બે વાત કહેવી જોઈએ. એમ કહેવાય કે બુદ્ધ લોકોની વચ્ચે રહેતા, દરેકને મળતા, દરેકની સાથે તેને સમજાય એવી ભાષામાં વાતો કરતા, ક્યારે ય પોતાને જ્ઞાની કે બીજાને ઓછો આંકતા નહોતા, તેઓ આગ્રહોથી મુક્ત મૃદુ હતા અને તેમની આંખો અને વાણીમાંથી કરુણા વહેતી હતી. તેમને કોઈ અપમાનિત કરે તો ક્યારે ય તેઓ ક્રોધ નહોતા કરતા. તેઓ મલ્લીનાથી કરનારા દાર્શનિક તરીકે કે આંજી દેનારા તપસ્વી તરીકે લોકોની વચ્ચે નહોતા જતા, પરંતુ હમસફર હમશાગિર્દ તરીકે લોકોની વચ્ચે જતા હતા. આંટીઘૂંટી વિનાનું સરળ જીવન અને ભાષાભરમ વિનાનો સરળ ઉપદેશ!

શું હતો એ ઉપદેશ? ભગવાન બુદ્ધે ચાર આર્યસત્યો કહ્યા છે. સામાન્ય માણસને કામમાં આવે એવાં ખપનાં અને અનુસરી શકાય એવા સુલભ.

૧. દુ:ખ આર્ય-સત્ય છે.

જન્મ દુઃખ છે, જરા દુ:ખ છે, વ્યાધિ દુ:ખ છે, મૃત્યુ દુ:ખ છે, અપ્રિય માણસને મળવું એ દુઃખ છે, પ્રિય માણસથી વિખુટા પડવું એ દુઃખ છે, ઈચ્છા પૂરી થાય તો પણ દુઃખ છે કારણ કે એક દિવસ મેળવેલી ચીજ હાથથી જતી રહે છે અને ઈચ્છા પૂરી ન થાય એ પણ દુઃખ છે. આમ દુખં દુખં (દુઃખ જ દુઃખ) એ પહેલું આર્ય-સત્ય છે.

૨. દુઃખ સમુદાય આર્ય-સત્ય છે.

માણસના માર્ગમાં જે પણ દુઃખ આવે છે તેની પાછળ કારણ અથવા કારણ સમુદાય હોય છે અને તેનું મૂળ કાયમ તૃષ્ણામાં હોવાનું. ટૂંકમાં તૃષ્ણા દુઃખનું કારણ છે.

૩. દુઃખનો ઉપાય છે:

દુઃખ જો તૃષ્ણાનું પરિણામ હોય તો તેનો ઉપાય છે જ. જો કારણથી મુક્ત થવાય તો પરિણામથી પણ બચી શકાય છે એ સાદું અનુભવસત્ય છે.

૪. દુઃખ-નિરોધ-ગામિની-પ્રતિપદ આર્ય સત્ય અથવા પ્રતીત્યસમુત્પાદ.

આનો અર્થ એ કે એકબીજાને પ્રભાવિત કરે એવા કાર્ય-કારણ સમુદાયને જો અપનાવવામાં આવે તો એ બધાં મળીને જે સામૂહિક પરિણામ આપે છે એ દુઃખ નિવારણનું કારણ બને છે. એવાં આઠ આચરણ છે અને તેને એક સાથે અપનાવવાનાં છે કે જેથી તે કાર્ય-કારણ સમુદાય બને. બુદ્ધે આઠ આચરણ બતાવતી વખતે દરેકની આગળ ‘સમ્યક્’ એવું માત્રાવાચક વિશેષણ વાપર્યું છે. સમ્યક્ એટલે યોગ્ય માત્રામાં. ન થોડું ન વધારે.

૧. સમ્યક્ દૃષ્ટિ: અર્થાત્‌ દૃષ્ટિમાં વિવેક. ગમતું નજરે પડે તો લોભાવું નહીં અને ન ગમતું નજરે પડે તો વિચલિત થવું નહીં.

૨. સમ્યક્ સંકલ્પ: જે કરવા યોગ્ય નથી એ નહીં કરવાનો સંકલ્પ અને જે કરવા યોગ્ય છે એ કરવાનો સંકલ્પ.

૩. સમ્યક્ વચન: જૂઠ, બકવાસ, ઈર્ષા, નિંદા વગેરેથી બચવું અને જો કોઈની પ્રસંશા કરવા જેવું લાગે તો ઉદારતાપૂર્વક કરવી, પણ તેમાં અતિરેક ન થવો જોઈએ.

૪. સમ્યક્ કર્માન્ત: હિંસા કરવી નહીં. જેના પર આપણો અધિકાર ન હોય તે ભોગવવું નહીં, અને અધિકાર હોય એ પછી પણ ભોગવવામાં વિવેક કરવો. જે ભોગવવા જેવું હોય તે જ ભોગવવું અને એટલું જ ભોગવવું. 

૫. સમ્યક્ આજીવ: આજીવિકા ખોટા માર્ગે ચલાવવામાં ન આવે.

૬. સમ્યક્‌ વ્યાયામ: વ્યાયામ એટલે પ્રયત્ન. વ્યસન છોડવાનો પ્રયત્ન, મનમાં પાપ-ભાવ જાગે તો તેને રોકવાનો પ્રયત્ન, સારા વિચાર અને વલણને વધારવાનો પ્રયત્ન વગેરે.

૭. સમ્યક્ સ્મૃતિ: મનમાં ગ્લાનિ પેદા કરે તેવી કે પછી ઇન્દ્રિય સુખોની સ્મૃતિથી બચવું અને મંગળભાવ જગાડે એવી સ્મૃતિઓ સાથે રાખવી.

૮. સમ્યક્ સમાધિ: મનમાં પેદા થતા વિતર્ક અને વિચારમાં વિવેક કરવો, સુખ અને દુઃખ વચ્ચે વિવેક કરવો અને શાંતિ અને એકાગ્રતા સાથે જાતને ઓળખવાનો યત્ન કરવો વગેરે.

જીવનને સફળ બનાવવા આટલું પૂરતું છે. એ પણ પાછું પ્રમાણસર. કોઈ દિશામાં અતિરેક કરવાનો નથી. જો આટલું કરશો તો દુઃખથી મુક્તિ મળશે અને માણસને એનાથી વધારે જોઈએ છે શું? નથી ક્યારે ય હાથ ન લાગે એવા જીવ અને જગતના રહસ્યો શોધવા જવાની જરૂર કે નથી દુઃખથી બચવા કર્મકાંડો કરવાની જરૂર. આ છે બુદ્ધનો મધ્યમમાર્ગ જે સ્વાભાવિક રીતે લોકાર્થી સુલભ માર્ગ છે.

અપ્પ દીપો ભવ (તું જ તારો પ્રકાશ એટલે કે પથદર્શક બન) એ બુદ્ધનું અમર વાક્ય છે!

16 જુલાઈ 2019

સૌજન્ય :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 21 જુલાઈ 2019

Loading

...102030...2,7362,7372,7382,739...2,7502,7602,770...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved