Opinion Magazine
Number of visits: 9576925
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાધુચરિત પક્ષીવિદ લાલસિંહ રાઓલે ગુજરાતના લોકોને પક્ષીઓને નીરખતા, પારખતા અને ચાહતા કર્યા

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|26 July 2019

‘મધુરાધિપતે સકલમ્‌ મધુરમ્‌ – પક્ષીઓની સકળ જીવનચર્યા મધુર છે’. આ તેમનો કેન્દ્રવર્તી ઊંડો હૃદયભાવ. તે શબ્દફેરે અનેક જગ્યાએ અનેક રીતે વ્યક્ત થાય છે : ‘પંખીઓ એટલે પ્રકૃતિનું માનીતું સર્જન’, ‘પંખીઓ એટલે ચૈતન્યનો ફુવારો’ …

અરધી સદી સુધી ગુજરાતના કુદરત-પ્રેમીઓને પક્ષીઓને નીરખતા, પારખતા અને ચાહતા કરનારા, સાધુચરિત પક્ષીવિદ્દ લાલસિંહ રાઓલનું 21 જુલાઈએ ચોરાણું વર્ષની ઉંમરે રાજપીપળા પાસેનાં નવાગામ મુકામે અવસાન થયું. આ અલગારી પંખીચાહકે સાધનો અને વાહનો બંને ટાંચાં હતાં, એવાં વર્ષોમાં અવિરત ભ્રમણ, શોધન અને નિરીક્ષણ દ્વારા ગુજરાતનાં પાંચસો જેટલાં પ્રકારપ્રકારનાં પક્ષીઓનો ઊંડો અભ્યાસ કર્યો. ‘ગુજરાતનાં ભાતીગળ પંખીજગત’ની મિરાત તેમણે જે ચાર અજોડ ગુજરાતી પુસ્તકો દ્વારા લોકો સામે ખુલ્લી મૂકી તે પક્ષીનિરીક્ષકો માટે અનિવાર્ય માહિતીકોશ છે. સાથે આ સચિત્ર પુસ્તકશ્રેણી સામાન્ય વાચકને પણ દુર્લભ માહિતી, ઝીણવટભર્યાં વર્ણનો, ચોટડુક સ્વભાવનિર્દેશ, અને સહુથી વધુ તો સહજસુંદર ભાષાશૈલીથી મુગ્ધ કરી દે છે. પુસ્તકો ઉપરાંત લાલસિંહજીએ અનેક કાર્યશિબિરો કરી અને લેખો લખ્યા. તેમણે કેટલાક વિસ્તારોનાં જીવવૈવિધ્યનું – સત્તાવાળા નકારી ન શકે તેવું – દસ્તાવેજીકરણ કર્યું, જે અભયારણ્યોનાં નિર્માણની પ્રક્રિયામાં પાયાનું ગણાયું.

ગુજરાતના સેંકડો પક્ષીનિરીક્ષકો લાલસિંહજીને ‘દાદા’ કે ‘દાદાજી’ કહે છે. ‘પંખીવાળા’ તરીકે હળવાશથી ઓળખાતા આ બધાના પંખીશોખમાં દાદાનો કોઈને કોઈ રીતે અનિવાર્ય ફાળો છે. રેન્જ ફૉરેસ્ટ ઑફિસર રુચિ દવે તો જાણે એમનાં દીકરી. તેમના ઉપરાંત પણ કેટલાં ય ભાઈ-બહેનો વાતચીત કે વૉટસઍપમાં દાદા સાથેનાં સંભારણાં શેર કરે છે : પંખી અંગેની સાદી પૂછપરછના પત્રનો પણ તેમણે લખેલો જવાબ, તેમની સંગાથે જોયેલાં પક્ષીઓ, તેમની સાથે કરેલ સવાલ-જવાબ, દાદાએ પોતાનાં ઘરે કરેલું રોકાણ, એમણે આપેલ દૂરબીન, એમનાં પુસ્તક સંગ્રહ અને વાચન, એમની પાસેથી ભેટ મળેલ પુસ્તક, તેમનો મીઠો ઠપકો, શાસ્ત્રીય સંગીતમાં એમની રુચિ, તેમની સાલસતા, તેમણે પેન્શનમાંથી પણ સતત કરેલાં દાન, હૃદયરોગના દરદીને તેમણે આપેલું નવજીવન … યાદોનાં પંખીઓની હારમાળા ! 

લાલસિંહજીનો જન્મ 23 માર્ચ 1925. વતન સૂકા અને સપાટ ઝાલાવાડનું લીંબડી. લાલસિંહને ડુંગરા, વનો, વૃક્ષો, પ્રાણીપક્ષીઓનું અભાવન્યાયે આકર્ષણ. ઘરના બાગમાં અને નજીકનાં ઠીક મોટાં તળાવમાંનાં પક્ષીઓ જોવાનું બહુ ગમતું. ‘રીતસરનું પક્ષીનિરીક્ષણ ચોવીસ વર્ષની ઉંમરે’ શરૂ કર્યુ. આવી વિગતો સાથે લાલસિહજીનાં જીવનકાર્યનો આલેખ ભાવનગરના અધ્યાપક-સંશોધક ગંભીરસિંહ ગોહિલે લીધેલી તેમની  લાંબી મુલાકાતમાં છે. તે લાલસિંહજીના બહુ સુંદર પુસ્તક ‘પંખીઓની ભાઇબંધી’(2013)માં વાંચવાં મળે છે. લાલસિંહ ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી બી.એ. ઑનર્સ થયા.પ ક્ષીઓ વિશે જે મળે તે વાંચતાં, પુસ્તકો વસાવતાં.

આજિવિકા માટે પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટમાં 1955માં નોકરી લીધી. જીવ સાહિત્ય-સંગીત અને પક્ષીપ્રેમીનો. રવિવારે અને રજાઓના દિવસે પંખીઓ જોવા ફર્યા કરે, નોંધો કરે. બારેક વર્ષ દૂરબીન વિના ચલાવ્યું. 1960-61માં જાણીતા પક્ષીનિષ્ણાત લવકુમાર ખાચર સાથે થયેલો પરિચય ‘અરધી સદીથી વધુ સમયની મૈત્રી’માં પરિણમ્યો. તેનો લવકુમારે ‘પંખીઓની ભાઈબંધી’ પુસ્તકની શરૂઆતમાં અંગ્રેજીમાં લખેલ હૃદયસ્પર્શી ‘મેસેજ’માં ‘પુષ્કળ ઋણભાવ’ સાથે ઉલ્લેખ કર્યો છે. તેમણે લાલસિંહજીના વિશ્વાસુ, મૃદુ, નિરંહકારી સ્વભાવ અને તેમની પોલાદી આંતરશક્તિને યાદ કર્યાં છે. પછી ખાચરજી લખે છે : ‘ગુજરાતના વનવગડાના વિસ્તારોને બચાવવા માટેના મહાભારત સમા સંઘર્ષમાં મેં અનેક બળોની સામે ઘણાં મોરચે લડત આપીને જે કંઈ થોડું ઘણું સિદ્ધ કર્યું એ રાઓલજીનાં મૂંગા બળ અને સાથ વિના બની શક્યું હોત ખરું ? હિંગોળગઢ નેચર એજ્યુકેશન સૅન્ક્ચ્યુઅરી, ધ ગલ્ફ ઑફ કચ્છ મરિન સૅન્ક્ચ્યુઅરિ ઍન્ડ નૅશનલ પાર્ક, ખિજડિયા વૉટરબર્ડ સૅન્ક્ચ્યુઅરિ એવાં સ્થળોનું નોટિફિકેશન, અને જામનગરનું અદ્દભુત રણમલ તળાવ – આ બધું મારા પ્રયત્નોમાં પૂરક બનતાં લાલસિંહ રાઓલનાં કામને આભારી છે.’

લાલસિંહજીએ લવકુમારની પ્રેરણાથી 1960માં રાજકોટમાં પ્રકૃતિમંડળ શરૂ કર્યું ત્યારથી પચાસેક વર્ષ સુધી તેઓ લોકોને પક્ષીઓમાં રસ લેતા કરવા માટે તે સતત જુદાં ઉપક્રમોમાં જોડાતા રહ્યા, લખતા રહ્યા. ‘ગુજરાતનું પંખીજગત’ પરિચય પુસ્તિકા, અંગ્રેજી પુસ્તક ‘બર્ડ્સ બર્ડ્સ, બર્ડ્સ’ ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ માટે ‘ધ લિવિન્ગ વર્લ્ડ’નો ‘જીવસૃષ્ટિ’ નામે અનુવાદ તેમણે આપ્યાં.

અનેક પક્ષીઓ માટે લોકજીભે ચઢે તેવાં નામ શોધવાનો યશ પણ તેમને આપવામાં આવે છે. તબીબ ડૉ. બકુલ ત્રિવેદીના સંપાદન હેઠળ જૂન 1998થી અગિયાર વર્ષ પ્રસિદ્ધ થયેલાં ‘વિહંગ’ નામનાં પક્ષીનિરીક્ષણનાં બેનમૂન ત્રૈમાસિકનું પરામર્શન અને તેમાં સ્મરણલેખોની શ્રેણી. તે પહેલાં, 1983ના જુલાઈમાં સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા ને તરત જ અમદાવાદની ‘વિકસત’ સંસ્થાએ તેમને પંખીઓ વિશે પુસ્તક લખવાનું કામ સોંપ્યું એટલે ‘ઘણું જૂનું સ્વપ્ન’ સિદ્ધ કરવાની તક સાંપડી. ‘આસપાસનાં પંખી’, ‘પાણીનાં સંગાથી’, ‘વીડ, વગડાનાં પંખી’ અને ‘વન, ઉપવનનાં પંખી’ એવી ઉપર્યુક્ત શ્રેણી આવી (1986-98). તેમાં ચિત્રો માટેની તેમની ચીવટની અનેક વાતો ચિતારાઓની ટુકડીમાંના, જાણીતા વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફર મુકેશ આચાર્ય પાસે છે. ગુજરાતનાં પક્ષીનિરીક્ષણમાં જે પણ કંઈ જાણવું જરૂરી હોય તે બધું જ  પુસ્તક સંપુટમાં છે. તેના સેંકડો ચાહકોમાંથી કેટલાકને પુસ્તકોનાં અંશો જાણે મોઢે થઈ ગયા છે.

ગાંધીનગરના સરકારી કર્મચારી, પુસ્તકપ્રેમી અને પક્ષીનિરીક્ષક યતીન કંસારાને આ પુસ્તકો અંગે પૂછ્યું એટલે તેમાંનાં સોંસરાં વર્ણનો ફોન પર બોલવા લાગ્યા : કાબર ‘બોલકણી ઘણી, ચાંદૂડિયાં પાડવામાં હોશિયાર’, કાળી કાંકણસાર ‘લાકડી લઈને ચાલ્યા જતાં ડોસા જેવી ગંભીર ચાલ’, દરજીડો ‘કુંડાનાં ફૂલછોડને પણ મુલાકાતનો લાભ આપે’. ચીબરી ‘ઢેબલું પંખી’,  શોબિગી ‘પરાણે વહાલો લાગે એટલો આકર્ષક’, દૂધરાજ  ‘રંગે રૂડો રૂપે પૂરો દીસતો કોડીલો કોડામણો’ એ નરસિંહ મહેતાના શબ્દોને તે સાર્થક કરે’.

રાઓલજી વલ્લભાચાર્યનાં મધુરાષ્ટકને પણ યાદ કરે છે : ‘મધુરાધિપતે સકલમ્‌ મધુરમ્‌ – પક્ષીઓની સકળ જીવનચર્યા મધુર છે’. આ તેમનો કેન્દ્રવર્તી ઊંડો હૃદયભાવ. તે શબ્દફેરે અનેક જગ્યાએ અનેક રીતે વ્યક્ત થાય છે : ‘પંખીઓ એટલે પ્રકૃતિનું માનીતું સર્જન’, ‘પંખીઓ એટલે ચૈતન્યનો ફુવારો’, ‘તેમની જીવનચર્યા અખૂટ રસની સામગ્રી છે’, ‘તેમનાં આકાર-પ્રકાર, રૂપરંગ, તેમનાં ગાન, તેમની પ્રવૃત્તિઓ, તેમની સંવનન-પ્રણયચેષ્ટાઓ – આ બધામાં અપાર  વૈવિધ્ય છે.’ પુસ્તક સંપુટમાં જે પદ્ધતિસર ગોઠવાયેલ માહિતી અને જ્ઞાન છે, તે એકંદર દર્શન રૂપે ‘પંખીઓની ભાઈબંધી’ના લેખોમાં પ્રકટે છે. તેના બીજા ભાગના બાર લેખો પક્ષીઓનાં સૌંદર્યના વિવિધ રંગોને વાચકને તરબતર થઈ જાય તે રીતે વર્ણવે છે. પહેલા માહિતીપરક ભાગના છ લેખોમાં પક્ષીઓની સાર્વત્રિકતા, તેમના યુગલીકરણ, પ્રણયલીલા; તેમના માળા, ઇંડાં અને બાળઉછેર જેવા પાસાં છે. ‘પંખીઓનો જીવનસંગ્રામ’ અને ‘પંખીઓનું ભાવિ’ એ વેદનાથી લખાયેલા ચેતવણીરૂપ લેખો છે. અલબત્ત, ગુજરાતમાં પક્ષીનિરીક્ષણમાં વધુ ને વધુ લોકો રસ લેતા થયા છે તેના માટેનો આનંદ પણ લેખક એક કરતાં વધુ સ્થાને નોંધે છે. ‘વન, ઉપવનનાં પંખી’ની પ્રસ્તાવનામાં પંખીઓ આપણા જીવનને કેવી રીતે સુંદર બનાવે છે તે વર્ણવીને લેખક પૂછે છે : ‘તો પછી પંખીઓનું ઋણ ચૂકવવા આપણે શું કરવું ? મારા તમારા જેવા સામાન્ય જણ ઘણું કરી શકે. સૌથી અગત્યનું અને સહેલું કામ છે વૃક્ષઉછેર …’

પંખીઓના પોતાની પરના ‘પારાવાર ઉપકાર’ અંગે લાલસિંહભાઈ રવીન્દ્રનાથે ‘ગીતાંજલિ’માં પરમાત્માને ઉદ્દેશીને જે કહ્યું છે તે ટાંકે છે : ‘અજાણ્યા હતા તે તારે લીધે મારા મિત્રો બન્યા, મારું ન હોય તેવાં ઘરમાં પણ તે મને જગ્યા અપાવી, આઘેરાંને ઓરાં આણ્યાં, પારકાંને પોતીકાં બનાવ્યાં’. ગુજરાતના પંખીવાળા,  તેમના લાલસિંહ દાદા માટે પણ આવી જ  લાગણી ધરાવતા હશે.

******

24 જુલાઈ 2019

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 26 જુલાઈ 2019

Loading

અત્યારે પાકિસ્તાનને બંગલાદેશનું પુનરાવર્તન કરીને વેર વાળવાનો મોકો નજરે પડી રહ્યો છે એટલે સરકારે સાવધ રહેવું રહ્યું

રમેશ ઓઝા|Opinion - Opinion|25 July 2019

ઘટના એટલી ગંભીર છે કે વડા પ્રધાને પોતે એ વિષે ખુલાસો કરવો જોઈએ, વિદેશ ખાતાના પ્રવક્તા ખુલાસો કરે એ ન ચાલે. ઘટના કાશ્મીર વિશેનો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે. તેમણે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનની હાજરીમાં પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે ‘ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે મને (એટલે કે અમેરિકાને) કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવા મધ્યસ્થી કે લવાદી કરવાની વિનંતી કરી હતી.’ પહેલા ટ્રમ્પે કરેલા દાવાને જોઈ લઈએ.

પત્રકાર પરિષદમાં ઈમરાન ખાને કહ્યું હતું : હું પ્રમુખ ટ્રમ્પને એક વાત કહેવા માગું છું. અમેરિકા જગતનો સૌથી શક્તિશાળી દેશ છે. અમેરિકાએ ઉપખંડમાં શાંતિ સ્થાપિત કરવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવી જોઈએ. અમારા ઉપખંડમાં એક અબજ કરતાં વધુ લોકો વસે છે અને તેઓ કાશ્મીરના કારણે અધ્ધરજીવે રહે છે. અમેરિકા જગતનો શક્તિશાળી દેશ છે એટલે પ્રમુખ ટ્રમ્પે બે દેશોને નજીક લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. જ્યાં સુધી પાકિસ્તાનનો સવાલ છે, અમે શાંતિ સ્થાપિત કરવા બને એટલા બધા જ પ્રયાસ કર્યા છે.

પ્રમુખ ટ્રમ્પ : જી, બે અઠવાડિયા પહેલાં હું અને ભારતના વડા પ્રધાન સાથે હતા અને ત્યારે કાશ્મીરનો વિષય નીકળ્યો હતો. હકીકતમાં નરેન્દ્ર મોદીએ સામેથી મને પૂછ્યું હતું કે, ‘તમે મધ્યસ્થી કે લવાદી કરવાનું પસંદ કરશો?’ મેં પૂછ્યું, ક્યાં? તો કહે, ‘કાશ્મીર અંગે. અનેક વર્ષો થયાં પણ પ્રશ્ન ઉકલતો નથી અને ખબર નહીં ક્યારે ઉકલશે.’

ઇમરાન ખાન : ૭૦ વર્ષ.

ટ્રમ્પ : મને એમ લાગે છે કે કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવા તેઓ (ભારત) પણ આતુર છે. તમે (પાકિસ્તાન) પણ આતુર છે. મને મધ્યસ્થી કરવાનું ગમશે.

ઈમરાન ખાને તરત તક ઝડપીને પ્રમુખ ટ્રમ્પને વચન આપ્યું હતું કે પાકિસ્તાન અમેરિકાની મધ્યસ્થી માટે તૈયાર છે અને ખુલ્લા દિલે મદદ કરશે.

ભારત સરકારે ખુલાસો કર્યો છે કે ભારતે અમેરિકાને મધ્યસ્થી કરવાની કોઈ વિનંતી કરી નથી. આટલું પૂરતું નથી, કારણ કે ઉપર જોયું તેમ પ્રમુખ ટ્રમ્પે સંવાદની શૈલીમાં બે નેતાઓ વચ્ચેની કહેવાતી વાતચીત અક્ષરસઃ જાણે કે થઈ હોય એમ ટાંકી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મધ્યસ્થી કે લવાદી કરવા માટે કહ્યું હોય એવી શક્યતા નહીંવત્ છે. જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન દ્વિપક્ષીય છે, ભારત અને પાકિસ્તાન આપસમાં વાતચીત કરીને તેને ઉકેલશે અને કોઈ પણ ત્રીજા પક્ષને મધ્યસ્થી કરવા નહીં દે એવી ભારતની ભૂમિકા દાયકાઓ જૂની છે. ભારતે અનેકવાર તેને દોહરાવી છે અને અમેરિકાએ એક કરતાં વધુ વખત ભારતની ભૂમિકાને સમર્થન આપ્યું છે. એકાદ-બે વાર તો પાકિસ્તાને પણ આપસમાં વાતચીત કરીને સમાધાન કરવાની વાતનો સ્વીકાર કર્યો છે. ભારતે અત્યારની સ્થિતિમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ(યુનો)ની પણ ભૂમિકા નકારી કાઢી છે અને લોકમત લેવાનો પણ ઇન્‌કાર કરી દીધો છે. પાકિસ્તાને આનો પણ સ્વીકાર કર્યો છે. દાયકાઓ જૂની ભારતની આ ભૂમિકા છે જે વડા પ્રધાન ન જાણતા હોય એમ બને નહીં.

તો પછી અમેરિકન પ્રમુખ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી વાતચીત ખરેખર થઈ હોય એમ સંવાદની શૈલીમાં અક્ષરસઃ કેમ કહી? આટલું બધું જૂઠ? આટલો કલ્પનાવિહાર? અને એ પણ અમેરિકાના પ્રમુખ જેવા જવાબદારીના હોદ્દા પર રહીને? બીજા દેશના વડા પ્રધાનની હાજરીમાં ખુલ્લી પત્રકાર પરિષદમાં? માનવું મુશ્કેલ છે, પરંતુ આપણે ટ્રમ્પસાહેબને ઓળખીએ છીએ એટલે અશક્ય પણ નથી. આમ છતાં જે રીતે તેમણે વડા પ્રધાનના મોંમાં શબ્દો મૂક્યા છે એ જોતાં વડા પ્રધાને પોતે હકીકતમાં શું વાતચીત થઈ હતી કે થઈ હતી કે નહીં એ સ્પષ્ટ કરવું જોઈએ.

મહત્ત્વની વાત એ નથી. મહત્ત્વની વાત એ છે કે અત્યારની ભારત સરકારની જમ્મુ અને કાશ્મીર અંગેની તુમાખીવાળી નીતિને કારણે પાકિસ્તાનને કાશ્મીરનું જાગતિકીકરણ કરવાનો મોકો મળે છે. તમને શું લાગે છે? પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને લોકસભાની ચૂંટણી વેળાએ નરેન્દ્ર મોદીની સરકાર પાછી આવશે અને આવવી જોઈએ એવું જે નિવેદન કર્યું હતું એ નિવેદન બી.જે.પી. કે નરેન્દ્ર મોદી માટેના પ્રેમનું પરિણામ હતું? આ એ જ ઇમરાન ખાન છે જેણે તેના બે મહિના પહેલાં નરેન્દ્ર મોદીને મોટા પદ પર બેસી ગયેલા નાના માણસ તરીકે ઓળખાવ્યા હતા. ઈમરાન ખાને નરેન્દ્ર મોદીની સરકાર પાછી આવે એવી ઇચ્છા એટલા માટે વ્યક્ત કરી હતી કે તેની નીતિના કારણે કાશ્મીરને જગતના ચોરે ઉછાળી શકાય.

પાકિસ્તાનની ગણતરી એવી છે કે પાંચ દાયકા પહેલાં જેમ પશ્ચિમ પાકિસ્તાનના શાસકોએ અને લોકોએ દાદાગીરી કરીને પૂર્વ પાકિસ્તાનને દૂર ધકેલી દીધું અને છેવટે પૂર્વ પાકિસ્તાન પાકિસ્તાનથી છૂટું પડ્યું હતું એમ બી.જે.પી.ના શાસનકાળમાં રાષ્ટ્રવાદીઓ કાશ્મીરને દૂર ધકેલી દેશે અને કાશ્મીરનું આંતરરાષ્ટ્રીયકરણ કરીને બંગલાદેશનું વેર વાળવાનો પાકિસ્તાનને મોકો મળશે. ૧૯૬૦ના દાયકામાં પાકિસ્તાનના શાસકોએ, મૂર્ખ ઇસ્લામવાદીઓએ, એટલા જ મૂર્ખ રાષ્ટ્રવાદીઓએ અને મીડિયાએ પૂર્વ પાકિસ્તાનની બાબતે જે ભૂલ કરી હતી એવી ભૂલ ભારત સરકાર, કહેવાતા રાષ્ટ્રવાદીઓ અને મીડિયા કાશ્મીરમાં કરી બેસશે એવી પાકિસ્તાનની ગણતરી છે. પાકિસ્તાન પાંચ દાયકાથી મોકાની રાહ જોઈ રહ્યું છે, પરંતુ ભારતના સર્વસમાવેશક નીતિમાં માનનારા, સહિષ્ણુ મધ્યમમાર્ગી શાસકો અત્યાર કાશ્મીરીઓનું દિલ જીતવાનો પ્રયાસ કરીને એવો મોકો નહોતા આપતા.

અત્યારે પાકિસ્તાનને બંગલાદેશનું પુનરાવર્તન કરીને વેર વાળવાનો મોકો નજરે પડી રહ્યો છે એટલે તેણે નરેન્દ્ર મોદીની સરકારના પુનરાગમનને આવકાર્યું હતું અને હવે કાશ્મીરનું જાગતિકીકરણ કરી રહ્યું છે. કાશ્મીરીઓને ગાળો દેનારા અને મુસલમાનો સમક્ષ જીવવા માટેની શરતો રાખનારા દેશપ્રેમીઓને આ બધું નહીં સમજાતું હોય. બીજું, ભારતની અખંડતામાં અમેરિકાને કોઈ રસ નથી. અમેરિકાની કાશ્મીર અંગેની નીતિ ક્યારે ય ભારતતરફી નહોતી. અમેરિકાએ ભારત અને કાશ્મીર પરત્વેની નીતિ બદલી શીતયુદ્ધના અંત પછી અને પાકિસ્તાન ત્રાસવાદનાં ઉછેરનું કેન્દ્ર બન્યા પછી. જો પાકિસ્તાન પોતાનો ઉપયોગ થવા દેતું હોય તો અમેરિકાને આજે પણ પાકિસ્તાનનો ઉપયોગ કરવામાં રસ છે. જેવી નીતિ અમેરિકાની છે એવી જ નીતિ ચીનની છે.

આમ ભારતે ભ્રમમાં રહેવાની જરૂર નથી. બીજું, જગતનો ઇતિહાસ એમ કહે છે કે નબળામાં નબળી લઘુમતી પ્રજાને પણ વરસોનાં વરસો સુધી દબાવી રાખી શકાતી નથી. બંગાળીઓ વિષે પશ્ચિમ પાકિસ્તાનીઓને આવો ભ્રમ હતો જેનું પરિણામ આપણી સામે છે. એક વાત યાદ રાખવી જોઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પને નૈતિકતાના કોઈ ધારાધોરણ લાગુ પડતા નથી. નૈતિકતાશૂન્ય નાદાન શાસકોથી સાવધાન રહેવું જોઈએ.

24 જુલાઈ 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 25 જુલાઈ 2019

Loading

એમ પૂછીને થાય નહીં પ્રેમ

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|25 July 2019

હૈયાને દરબાર

 

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઈ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી.
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમ જેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

• કવિ : તુષાર શુક્લ • સંગીતકાર-ગાયક : શ્યામલ-સૌમિલ મુનશી

———————–

વાત છે ૨૦૦૫ની આસપાસની. અમદાવાદના જાણીતા લોયરને ઘરે, નાનકડી સંગીત મહેફિલ હતી. સંગીત બેલડી શ્યામલ-સૌમિલ એક પછી એક ગીત લલકારતા હતા. શ્યામલ મુનશીએ એક રમતિયાળ ગીતથી મહેફિલનો આરંભ કર્યો, એમ પૂછીને થાય નહીં પ્રેમ. પહેલી જ પંક્તિમાં આખી ઘટના સમાઈ જાય એવી અર્થસભર પંક્તિઓ સાંભળતાં જ મન ઝૂમી ઊઠ્યું હતું. આગળ જતાં નરસિંહ મહેતાની, અંતે તો હેમનું હેમ હોયે પંક્તિ કેવી સહજતાથી ગોઠવાઈ ગઈ છે એ આખું કાવ્ય વાંચશો તો સમજાઈ જશે.

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’
એમ પૂછીને થાય નહીં પ્રેમ …

એ પછી આગળ જતાં જે પંક્તિ આવે છે કે

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ, એનું સરનામું સામી અગાશી …

નિ:સ્વાર્થ તથા અનપેક્ષિત પ્રેમની વાત કવિએ બહુ નાજુકીથી કરી છે. આ ગીત શ્યામલ-સૌમિલે સ્વરબદ્ધ કર્યું છે અને મૂળ ગાયક શ્યામલ મુનશી. શ્યામલ, સૌમિલ અનેે આરતી મુનશીની ત્રિપુટીએ થીમ બેઝ્ડ અનેક કાર્યક્રમો કર્યા છે. ‘હસ્તાક્ષર’ નામના એમના અનોખા આલ્બમમાં આ ગીત લેવાયા પછી પાર્થિવ ગોહિલ સહિત અનેક કલાકારો સુગમ સંગીતના કાર્યક્રમમાં પ્રસ્તુત કરે છે. આ ગીત અત્યંત લોકપ્રિય છે, પરંતુ આ ગીતના એક્સટેન્શન સમું ગીત તારી હથેળીને…માં અગાધ ઊંડાણ છે.

આહાહા! શું અદ્ભુત ગીત છે! આજે આ બન્ને ગીત વિશે વાત કરવી છે કારણ કે મૂળ ભાવાર્થ એક હોવા છતાં કેવી રીતે બે તદ્દન ભિન્ન કૃતિઓ સર્જાઈ શકે અને લોકચાહના પામે એનું એ ઉત્તમ ઉદાહરણ છે.

ચાંદની રાત અજવાળું પાથરી રહી છે. સૌમિલ મુનશી બીજું ગીત શરૂ કરે છે;

તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી …

રાગ આહિરભૈરવની છાંટ ધરાવતા મુગ્ધ-મધુર ગંભીર સ્વરો હૃદય સોંસરવા ઊતરીને કસક જગવતા હતા અને શબ્દો તો જાણે સ્મરણોનું ઘોડાપૂર લઈને આવ્યા. આમે ય કહેવાય છે સુખનો આનંદ ક્ષણજીવી હોય છે, પરંતુ વિષાદ આપણને મજબૂત, મક્કમ અને સ્થિર બનાવે છે.

વિષાદના આનંદમાંથી પ્રગટતી હળવાશ કે પ્રસન્નતા અનુભવી છે તમે? આ ગીત તમને આવી હળવાશ આપે છે. ભૂતકાળની ખંડિત ક્ષણો ભલે વિષાદ જગવતી હોય છતાં આપણે ફરી ફરીને એ જ યાદ કરીએ છીએ. અરે, આનંદની ક્ષણો યાદ કરીને ય ઉદાસ થઈ જઈએ છીએ.

લગભગ દરેકના જીવનમાં આવી નાજુક પળ આવે છે જ્યારે સંબંધોની નૈયા સાવ કિનારે પહોંચી હોય અને ડૂબી જાય. અત્યંત વેદનાપૂર્ણ આ પરિસ્થિતિ હોય છે. કોઈ વ્યક્તિને ખૂબ ચાહતા હોઈએ, એને આપણા તમામ સુખ-દુ:ખ સોંપી દીધાં હોય અને એ વ્યક્તિ અચાનક રેતી ખંખેરી ઊભી થઈ જાય તો શું થાય? દરિયા જેટલો અગાધ પ્રેમ ઝંખતી વ્યક્તિને રેતીની ડમરીનો ડૂમો મળે એવી પરિસ્થિતિ સર્જાય ત્યારે ભગવાન ભરોસે જિંદગીની નાવ સોંપવા સિવાય આપણી પાસે કોઇ વિકલ્પ રહેતો નથી. બાકી, કેવી શ્રદ્ધાપૂર્વક આપણે આખી જિંદગી પ્રિયજનના ભરોસે છોડી દેતાં હોઈએ છીએ. એમાં ય આ પંક્તિઓ તો શિરમોર છે;

કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી …

સંબંધ કોઈક સોનેરી પળે શરૂ થાય, પાંગરે, ખીલે, વિકસે, પરિપક્વ બને તો ય ઘણીવાર અંતિમ ચરણ સુધી નથી પહોંચતો. સંબંધ ટકાવવા કેટકેટલાં હવાતિયાં માર્યાં હોય, કેટકેટલું સમર્પણ કર્યું હોય તો ય હાથમાં આવેલાં માછલાંની જેમ એને છટકી જતાં નિહાળવાની ગમગીન પળ આવે ત્યારે નસીબદોષ સિવાય બીજું શું કહી શકાય? એટલે જ કવિ કહે છે કે કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી …! પરંતુ, સર્વશ્રેષ્ઠ પંક્તિ તો હવે આવે છે ;

વરતારા મૌસમના ભૂલી જઈને એક ઝંખનાને રાખવાની વ્હેતી …! બસ, આ એક ઝંખના જેવું જિંદગીનું ચાલકબળ એકેય નથી. આપણે કોઈકને ચાહીએ એમાં જ પચાસ ટકા માર્કે પાસ થઈ જ ગયા હોઈએ છીએ.

પ્રતીકો અને કલ્પન શ્રેષ્ઠ કવિતાનાં લક્ષણો છે, પરંતુ સામાન્ય ભાવક માટે એ સમજવા અઘરા હોય છે તેથી જ આ કાવ્યોના અર્થઘટન માટે કવિ તુષાર શુક્લને અમે ફોન લગાડીએ છીએ.

બન્ને લોકપ્રિય ગીતના રચયિતા કવિ તુષાર શુક્લ કહે છે, "ગુજરાતી સુગમ સંગીતમાં લાંબી લાઈનો ધરાવતા અંતરાનાં ગીતો બહુ ઓછાં છે. તારી હથેળીને ગીત એમાંનું છે. હકીકતમાં તો એમ પૂછીને થાય નહીં પ્રેમ તથા તારી હથેળીને લગભગ સમાંતર સમયે લખાયેલાં ગીતો છે અને બંને ખૂબ લોકપ્રિય નિવડ્યાં. તમને આશ્ચર્ય થશે, પરંતુ આ ગીતો મેં મારી સરકારી ઑફિસના કાર્યાલયના ટેબલ પર બેસીને જ લખેલાં છે, પરંતુ દરિયો, મોજાં, રેતી એ બધું સતત મારા મનમાં ચાલતું હોવાથી આ બંને સુંદર ગીતોનું સર્જન થયું. એ વખતે નવલકથાકાર વીનેશ અંતાણી અને હું બંને એક જ ઑફિસમાં, આકાશવાણીમાં કામ કરતા હતા. વીનેશની ‘પ્રિયજન’ નવલકથાનો મારા પર ખૂબ પ્રભાવ હતો. એ નવલકથામાં દરિયો, મોજાં વગેરેને એમણે પ્રતીક તરીકે અદ્દભુત પ્રયોજ્યાં છે.

ઑફિસમાં લંચ પછી સાથે પાન ખાવા જઈએ ત્યારે એમના સાંનિધ્યમાં સાહિત્ય અને કવિતાની ઘણી વાતો ચાલે. સરકારી ઑફિસમાં તમને ખ્યાલ હોય તો એક વાક્ય બહુ પ્રચલિત હોય છે કે ‘ફોર યોર અપ્રુવલ, પ્લીઝ’. કોઈપણ પ્રોજેક્ટ હાથ પર લીધો હોય ત્યારે નીચે આ લાઈન લખવી જ પડે કે ‘અનુમોદનાર્થે સાદર’. એના પરથી મને ગીતની પહેલી પંક્તિ સૂઝી કે ઑફિસમાં દરેક વાતે પરવાનગી લેવી પડે પણ પ્રેમમાં થોડી પરમિશન લેવાની હોય? એ તો સહજ વહેતી સરવાણી છે. એમ પૂછી પૂછીને કંઈ પ્રેમ ન થાય! આપણે અહીં જ ગોથાં ખાઈએ છીએ. પહેલાં તો તમારે તમારા જ પ્રેમને ઓળખવાનો છે. આપણે કોઈના ગળાડૂબ પ્રેમમાં હોઈએ તો આપણને અપ્રુવલની એવી ટેવ પડી છે કે આપણે હંમેશાં પ્રિયજનને એમ જ પૂછીએ કે તમે મને ચાહો છો? અરે ભાઈ, તમે પોતે એમને ચાહો છો એ જ મહત્ત્વનું છે. આપણા તરફથી ૫૦ ટકા પૂરા થયા.

આ વાત મનમાં રમતી હતી એમાંથી પૂછીને થાય નહીં પ્રેમ ગીતનું સર્જન થયું અને યુવાનોને તો એટલું બધું ગમી ગયું કે દરેક જગ્યાએ મારે આ ગીતનો ક્યાંક ને ક્યાંક તો ઉલ્લેખ કરવો જ પડે છે. બેશક, તારી હથેળીમાં ગીતમાં થોડોક નિરાશાનો ભાવ છે એટલે એના ચાહકો પુખ્ત છે. ગીતનું સર્જન મને હંમેશાં પડકારજનક લાગ્યું છે. ગઝલમાં એક શેર પછી બીજો શેર સદંતર જુદા ભાવવિશ્વનો હોઈ શકે, પરંતુ ગીતમાં તો મુખડાને જ બે-ત્રણ અંતરા સુધી સાર્થક રીતે લઈ જવું પડે. સમાપન પણ એવી સરસ રીતે કરવું પડે કે ગીત આખું નિખરી ઊઠે. હું દ્રઢપણે માનું છું કે જે ગીત શ્રોતાના હૃદય સાથે કનેક્ટ કરી શકે એ જ ચાલે. એ જ રીતે સ્વરકારનું યોગદાન ખૂબ અગત્યનું છે. નહીં તો સારામાં સારું ગીત પણ કવિની ડાયરીનાં પાને રહી જાય. એ ગીત સ્વરબદ્ધ થાય અને શ્રોતાઓના ભાવપક્ષને ઉઘાડે તો જ લોકો સુધી પહોંચી શકે. એ જ ગીતને ચિરંજીવતા મળે." તુષારભાઈનું કથન સમજવા જેવું છે.

પ્રેમમાં મિલનની જેટલી મજા છે એનાથી બમણી મજા વિરહમાં છે, એવું પણ ઘણીવાર બને. વિરહમાં લાગણીનો ઘૂઘવતો દરિયો હૃદયમાં ઉછળે છે. પ્રિયતમ દૂર હોય ત્યારે એની સાથે વિતાવેલી પ્રત્યેક પળ જીવંત બની જાય છે.

મિલનનાં ગીત કરતાં વિરહનાં ગીત દિલને વધારે સ્પર્શે છે. આંસુ દ્વારા અંતરમાં ધરબાયેલી વેદનાની ખારાશ વહી જતી હોય છે. ગમે તેવી ઠંડીમાં માણસના આંસુ થીજતાં નથી. આંસુ ક્યારેક હૃદયની વાચા બનીને વહે છે. હજારો શબ્દો દ્વારા ન કહી શકાય તેવી વાત એક અશ્રુબિંદુ સામા માણસને કહી દે છે. પ્રેમ પામવો એ મનુષ્યનો સુગંધસિદ્ધ અધિકાર છે એવું ગુણવંત શાહ કહે છે એ સાચું જ છે.

કેટલીક વાર શબ્દો માનવીના મુખમાંથી નહિ પણ હૃદયમાંથી સરી પડે અને તે લાગણીઓથી ગૂંથાય ત્યારે બની જાય કાવ્ય. કહેવાય છે કે કાવ્યની પહેલી પંક્તિ ઈશ્વરની દેન હોય છે. આ બન્ને ગીતોની પ્રથમ પંક્તિઓ લાજવાબ અવતરી છે. યુટ્યુબ પર જરૂર સાંભળજો.

https://www.youtube.com/watch?v=0L_LL3vlSvY

————————–

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 25 જુલાઈ 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=543472

Loading

...102030...2,7332,7342,7352,736...2,7402,7502,760...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved