Opinion Magazine
Number of visits: 9456494
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજ્યની વડી અદાલતમાં ગુજરાતની વૈકલ્પિક છૂટ માટેનો સમય પાકી ગયો છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion, Samantar Gujarat|28 January 2025

મારો ન્યાય, મારી ભાષામાં

બંધારણ મુજબ જે તે રાજ્યની વડી અદાલતને પ્રદેશભાષામાં કામકાજ માટે વૈકલ્પિક છૂટ અપાયેલી છે. આ છૂટને અમલી જામો ન પહેરાવાય તે લોકશાહીના છડેચોક ભંગ રૂપ છે.

પ્રકાશ ન. શાહ

હવે તરતમાં આપણું પ્રજાસત્તાક અમૃતવર્ષોમાં પ્રવેશશે. સ્વરાજનું આ અઠ્ઠોતેરમું વરસ છે, અને ભાષાવાર પ્રાંતરચનાને અન્વયે ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું તે પણ કે’દીનું સાઠી વટી ગયું છેઃ આટલે વરસે, સ્વરાજ ને સ્વભાષા, પ્રજાસત્તાક ને પ્રજાની ભાષા, એ સાદો હિસાબ અને બુનિયાદી લોકશાહી સમજ છતાં ગુજરાતની ચેતના આ મુદ્દે કણસી રહી છે. ખબર નથી, ‘મારો ન્યાય, મારી ભાષામાં’ એ કણસાટ સંબંધકર્તાઓને સંભળાય છે કે કેમ.

દેશની બંધારણીય જોગવાઈ મુજબ હાલ સર્વોચ્ચ અદાલતે અને રાજ્યોની વડી અદાલતોની કાર્યભાષા અલબત્ત અંગ્રેજી છે. કંઈક કોલોનિયલ હેંગઓવર, કંઈક લાંબી અંગ્રેજ રાજવટ થકી ઊભો થયેલ કાર્યસુવિધાનો ખયાલ. ભલે ભાઈ. પણ આ જ બંધારણે એ દ્વાર પણ લોકશાહી ધોરણે બેલાશક ખુલ્લાં રાખ્યાં છે કે પ્રજાની પોતાની ભાષામાં સર્વોચ્ચ ને વડી અદાલતોમાં કામ ચાલી શકે તેવી વૈકલ્પિક જોગવાઈ શક્ય છે. ચાર રાજ્યોની વડી અદાલતોમાં એ રીતે હિંદીમાં કામકાજની સોઈ થઈ પણ છે. 

પ્રશ્ન આ છેઃ જો આ ચાર રાજ્યોમાં સ્વભાષાને ધોરણે ન્યાયિક પ્રક્રિયાનો વિકલ્પ ખૂલી શકતો હોય તો ગુજરાતમાં કેમ નહીં? સ્વરાજ પછી શરૂનાં વર્ષોમાં એ ટોણો મારી શકાતો હતો કે રાજ્યકર્તાઓ જે ભાષામાં રાજ કેમ ચાલી ન શકે. સદ્ભાગ્યે એ હિંસામાં કંઈક લોકહિલચાલ અને કંઈક શાસકીય સંકલ્પે ઠીક ભોં ભાંગી છે. 

આ લખું છું ત્યારે સાંભરે છે કે 1977માં ‘બીજા સ્વરાજ’ની હવામાં ગુજરાતમાં બાબુભાઈ જશભાઈની સરકારે રામલાલ પરીખના વડપણ હેઠળ એક સમિતિ (જેના પર આ લખનારને પણ કામ કરવાનું બન્યું હતું) નીમી હતી, રાજ્યના વહીવટમાં સર્વ સ્તરે ગુજરાતીમાં વહીવટ શક્ય બને તે દૃષ્ટિએ. સરકારે સમિતિની ભલામણોનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો હતો એટલું જ નહીં પણ પોતાના કાર્યકાળમાં તંત્ર જોગ એક પછી એક સત્તાવાર પરિપત્ર મારફતે ઘટતી ચોંપ પણ દાખવી હતી. (સચિવાલયની સ્ટેનો મંડળીએ અંગ્રેજી સિવાય કામ કરવા બાબતે અદાલતી દ્વાર ખખડાવેલાં એવું આછું સ્મરણ છે.)

વચ્ચે જાણે રાજ્ય સરકાર ઝોકું ખાઈ ગઈ હોય તેમ છેક બે’ક વરસ પર જ એ દોર પાછો સાહ્યો. જો કે વચમાં એણે એક મોટી વાત ચોક્કસ કરી હતી, અને તે એ કે 2012માં વડી અદાલતમાં વૈક્લિપક ગુજરાતી અમલી બનાવવા સારુ વિધાનસભાના નિર્ણયને પગલે રાજ્યપાલે યોગ્ય સ્તરે ભલામણ મોકલી આપી હતી. 

તેમ છતાં, જો આ મુદ્દે આગળ ન વધાતું હોય તો એનું રહસ્ય એ લાંબો સમય ગોપિત રહેલી બીનામાં છે કે 1965માં દેશના સઘળા વડા ન્યાયમૂર્તિઓની કૉન્ફરન્સમાં એવો નિર્ણય લેવાયો હતો કે જે તે રાજ્યભાષાને વૈકલ્પિક ધોરણે સ્વીકૃતિ માટે સર્વોચ્ચ અદાલતનના વડા ન્યાયમૂર્તિની રજા જરૂરી છે. કેન્દ્ર સરકાર તે સિવાય નિર્ણય નહીં લે. આ ચોક્કસ જ એક મોટો અવરોધ છે અને બંધારણની ભાવનાથી તે તદ્દન વિપરીત છે. 

અસીમ પંડ્યા

હવે એ સમય નિશ્ચે પાકી ગયો છે કે સર્વ સ્તરેથી ‘મારો ન્યાય, મારી ભાષામાં’ એ નાદ બુલંદ બને. આ સંદર્ભમાં ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ્સ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ અસીમ પંડ્યાએ ઝંડો સાહ્યો છે તે જરૂર અભિનંદનપાત્ર છે. હમણાં અસીમ પંડ્યાએ ઉલ્લેખ પૂર્વપ્રમુખ તરીકે કર્યો એ આપણી દુર્દૈવ અનવસ્થાની દ્યોતક બીના છે. એમણે એસોસિયેશનના પ્રમુખ તરીકે પરબારું લખ્યું જ કેમ એવી ફરિયાદ એસોસિયેશનમાં ઊઠી એથી એમણે પત્ર પાછો ખેંચ્યો અને વ્યક્તિગત ધોરણે નવેસર લખ્યું. આ વિવેક પણ એસોસિયેશનનાં કેટલાંક વર્તુળોને સોરવાયો નહીં ત્યારે એમણે વળતું રાજીનામું ધરી દીધું. 

હવે 21મી ફેબ્રુઆરીએ, માતૃભાષા દિવસે, લડત વેગવતી બનાવવાની યોજનાની વિચારાઈ છે. 

દેખીતી રીતે જ આ લડત કોઈ એક પક્ષની નહીં પણ સર્વ પક્ષો સહિત નાગરિક સમાજ સમસ્તની છે. એડવોકેટ્સ એસોસિયેશન પણ એમાં ભળી શકે તો શોભીતું થશે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 22 જાન્યુઆરી 2025

Loading

જીવનદેવતાને ચરણે અર્ઘ્ય

મનસુખ સલ્લા|Opinion - Literature|27 January 2025

મનસુખભાઈ સલ્લા

મારા સાહિત્યિક ઘડતરમાં મારી શિક્ષણ સંસ્થાઓએ મોટો ભાગ ભજવ્યો છે. ખડસલી(મારી માધ્યમિક શાળા)એ મને સાહિત્યપ્રીતિ આપી. અમે આખા મુનશી, ર.વ. દેસાઈ કે શરદબાબુને વાંચતાં. લોકભારતી સણોસરામાં મનુભાઈ પંચોળી, મૂળશંકરભાઈ મો. ભટ્ટ, ન.પ્ર. બુચ, ઇસ્માઇલભાઈ નાગોરી વગેરેએ સાહિત્યનો જીવનસંદર્ભ વ્યાપક કર્યો. ગૂજરાત  વિદ્યાપીઠના અધ્યાપકો ચંદ્રકાન્ત શેઠ, રઘુવીર ચૌધરી, કનુભાઈ જાની, મોહનભાઈ પટેલ, વિનોદ અધ્વર્યુએ સાહિત્યનાં મૂલ્યાંકનનાં ધોરણો સ્પષ્ટ કર્યાં. ગદ્યનું સૌન્દર્ય અને સામર્થ્ય શીખવાડ્યાં. અમદાવાદ નિવાસમાં અમે કુમાર કાર્યાલયમાં બુધસભામાં ચાલતા જતા. ગુજરાત યુનિવર્સિટી ભાષાભવનમાં ઉમાશંકર જોશી ‘નાનાલાલ મધુકોષ’ ભણાવતા તેમાં અમે વિદ્યાર્થી બનતા. અમદાવાદમાં કોઈ પણ સેમિનાર, વર્કશોપ કે વ્યાખ્યાન અમે ચૂકતા નહિ. ગૂજરાત વિદ્યાપીઠનું સમૃદ્ધ પુસ્તકાલય અમારું ખરું આશ્રયસ્થાન બન્યું.

ખડસલીમાં નિબંધલેખન શરૂ થયું, લોકભારતીમાં વાર્તાલેખન. પરંતુ પૂરતી ગંભીરતા નહોતી. હું આચાર્ય થયો તેથી લોકભારતીના વહીવટીતંત્રને ખૂબ લાભ થયો, પરંતુ લખાયું ઘણું ઓછું. એક ઘટનાએ મને લખવા માટે તીવ્ર ધક્કો આપ્યો. ગુજરાતી સાહિત્ય અકાદમીએ મને ચારિત્ર્ય-સાહિત્યનાં ૫૮ પુસ્તકો પુરસ્કાર માટે નિર્ણય કરવા મોકલી આપ્યાં. વચ્ચે વીસેક દિવસ હતા. મને કહેવાયેલું કે ‘બધું વાંચવાની જરૂર નથી.’ પરંતુ મેં એમ.એ.ની પરીક્ષાની ગંભીરતાથી બધું વાંચ્યું. ત્યારે મને ખ્યાલ આવ્યો કે જેમને ગદ્યની ખબર નથી, ચરિત્રસાહિત્યની શિસ્તની ખબર નથી, વ્યક્તિત્વને મૂલવવાના આધારોની સ્પષ્ટતા નથી તેવા લોકોએ પાંચમું કે સાતમું પુસ્તક પ્રગટ કર્યું હતું. મને લાગ્યું કે હું આમના કરતાં તો સારી રીતે લખી શકું તેમ હતો. મારા શરૂઆતના ચરિત્રનિબંધો ‘નવનીત સમર્પણ’માં પ્રગટ થયા હતા. ‘અલીભાઈ કલીવાલા’નું ચરિત્ર ખાસું સ્વીકાર પામ્યું, વખણાયું.

ભાવકોના પ્રતિભાવો લેખક માટે પ્રોત્સાહક જરૂર બને છે. રાજકોટમાં સાહિત્ય પરિષદના અધિવેશન વખતે ‘નવનીત સમર્પણ’ના સંપાદક ઘનશ્યામ દેસાઈ મળ્યા. મને કહે, ‘તમે લખવાનું ચાલુ રાખજો. મહાનગરમાં વસનારાંને ખબર જ નથી કે દૂરના ખૂણામાં આવા ઝવેરાતવાળા માણસો હોય છે.’ ઉમાશંકર જોશીના નિમંત્રણથી મેં ‘પ્રતિભા અને પ્રતિભાવ’ વિશેષાંક માટે હસમુખ પાઠકના દીર્ઘકાવ્ય ‘અન્તઘડીએ અજામિલ’ વિશે આસ્વાદ લખ્યો. પછી તેમણે ચંદ્રકાન્ત શેઠને કહેલું કે, ‘આ સંગ્રહમાં જે પાંચેક ઉત્તમ આસ્વાદો છે તેમાંનો એક મનસુખ સલ્લાનો છે.’ મારે માટે મોટા એવોર્ડથી પણ મોટો આ પ્રતિભાવ હતો.

મારું ખરું લેખન નિવૃત્તિ પછી અમદાવાદ નિવાસ વખતે શરૂ થયું. મેં લોકભારતીના મારા કેળવણી-અનુભવો ‘અનુભવની એરણ પર’ એ નામે પ્રગટ કર્યા. લોકભારતી અને મારી કામગીરીનું, જીવનમૂલ્યો અને લોકભારતીની સમ્બંધભાતનું પ્રતિનિધિરૂપ એ પુસ્તક બની ગયું. એની પાંચ જેટલી આવૃત્તિ થઈ. પછી કેળવણી ચિંતનનાં બે પુસ્તકો પ્રગટ થયાં : ‘માણસાઈની કેળવણી’ અને ‘પાયો અને પુનર્રચના’. પ્રારંભે મારી કામગીરી શિક્ષણની જ વધુ હતી. શિક્ષણ વિષે જ લખાયું. કદાચ એથી કેળવણીકાર તરીકે મારી જેટલી સ્વીકૃતિ થઈ તેટલી સર્જક તરીકે ન મળી. ‘નર્મદ ચંદ્રક’ પછી મારી સાહિત્યકાર તરીકે વધુ નોંધ લેવાઈ. મેં ૧૮ જેટલી વાર્તાઓ લખી છે, એક પુસ્તક થાય એટલા વિવેચનના લેખો લખ્યા છે. એક પુસ્તક થાય તેટલા ભાષા, સાહિત્ય અને સર્જકો વિષેના લેખો છે. પણ મારા વિશેની વ્યાપક છાપ કેળવણીકાર તરીકેની જ રહી છે.

ચરિત્ર નિબંધોનો મેં ઊંડાણથી અભ્યાસ કર્યો છે. એ વ્યક્તિ-પરિચય નથી, જીવનઘટનાઓનો સરવાળો નથી, પરંતુ વ્યક્તિત્વની ખુશબો હોય છે. તેમાં બે મોટાં ભયસ્થાનો છે : (૧) અતિશયોક્તિ (૨) કશુંક કલ્પીને ઉમેરવું. આ અંગે હું જાગ્રત રહ્યો છું. મારો રસ વ્યક્તિના વિકાસને સમજવાનો રહ્યો છે. વ્યક્તિ આઈસબર્ગ જેવી હોય છે. પ્રગટ કરતાં અપ્રગટ વધારે હોય. વ્યક્તિનાં મૂળિયાંને પોષણ મળ્યું હોય એ પ્રમાણે વ્યક્તિ વિકસે છે. એટલે વ્યક્તિનાં મૂળિયાંને તપાસવાનો મારો ઉપક્રમ હોય છે. વળી હોદ્દો, સંપત્તિ કે માનસન્માન કરતાં ય માણસ તરીકે તે કેવો ને કેટલો વિકસ્યો એ મારો રસનો વિષય હોય છે.

મને મનુષ્યના ઉધાર પાસાને ઊપસાવવાનું આકર્ષણ નથી થતું. એને બદલે સારપમાં તેમના ઉમેરણ તરફ મારું ધ્યાન વધુ રહ્યું છે. એટલે સાવ સાધારણ વ્યક્તિમાં પણ જીવતરની ઝવેરાત જોઈ તો મારી કલમ પ્રવૃત્ત થઈ છે. એમાંથી ‘જીવતર નામે અજવાળું’ અને ‘તુલસીક્યારાના દીવા’ એ બે સંગ્રહો પ્રકાશિત થયા છે. (‘જીવી જાણ્યું જેણે’ એવો ચરિત્રનિબંધોનો સંગ્રહ હવે પ્રગટ થશે.) સંજય ભાવેએ એનું વિશદ અને ઝીણવટભર્યું અવલોકન કર્યું છે એનો મને આનંદ છે. મારું મહત્ત્વનું પ્રદાન ચરિત્ર નિબંધોમાં ગણાશે એમ જોઉં છું.

મારા જે પુસ્તક માટે મને વિશેષ અપેક્ષા હતી તે ‘હૈયે પગલાં તાજાં’ પુસ્તકની લગભગ નોંધ નથી લેવાઈ. ભારતમાં તૈયાર થતા અને અમેરિકામાં છપાતા ‘ગુજરાત ટાઇમ્સ’માં તેનાં પ્રકરણો છપાતાં હતાં. તેની દેશ-વિદેશના અનેક વાચકોએ ખાસ નોંધ લીધી હતી. અનેકને તેમાં પોતાના બાળપણનું પ્રતિબિંબ દેખાયું હતું.

તેમાં મારા ગામનાં મારા બાળપણનાં તેર વર્ષનાં સંવેદનો વ્યક્ત થયાં છે. ગ્રામજીવન, પ્રકૃતિ, સંબંધમાધુર્ય, ગ્રામજીવનની ખાટીમીઠી સ્મૃતિઓ અકૃત્રિમ રીતે અને લલિત-મનોહર ગદ્યમાં પ્રગટ થઈ છે. સાચું કહું તો એ ભાવચિત્રો છે, એનું ગદ્ય અનાયાસ અવતર્યું છે. રતિલાલ બોરીસાગર અને રઘુવીર ચૌધરીએ આ પુસ્તકની નોંધ લીધી છે. આ પુસ્તકને હું મારું મહત્ત્વનું લેખન ગણું છું.

છેલ્લાં ત્રણ વર્ષમાં મારી ભીતર એક નવું પ્રગટીકરણ શરૂ થયું છે. ‘કુમાર’ના તંત્રી પ્રફુલ્લ રાવલે આમંત્રણ આપ્યું અને લલિત નિબંધો લખવાનું શરૂ થયું. લલિત નિબંધ સ્વરૂપ ને આવું ગદ્ય મારા માટે નવું જ વહેણ છે. અનાયાસ જ ચિત્ત આ દિશામાં વળ્યું છે. મારા માટે આ વિસ્મયનો અનુભવ છે. ચંદ્રકાન્ત શેઠ છેલ્લે વાંચી ન શકતા. તેમણે વંદનાબહેન પાસે મારો લલિત નિબંધ ‘અદીઠ અણસારા’ વંચાવીને સાંભળ્યો. પછી મને ફોન કર્યો કે ‘તમારી સર્જકતાનો આ નવો ઉન્મેષ છે. લખતા રહેજો.’ પ્રફુલ્લ રાવલને લખાણ છાપવું ન હોય તો કુશળ રીતે ના પાડતા આવડે છે. તેમણે મને આખું વર્ષ લખવાનું કહ્યું. અને ‘વાદળની માયા’ નિબંધ માટે કહ્યું કે, ‘કાકાસાહેબના ગોત્રનો આ સરસ નિબંધ છે.’ મેં જોયું કે મને આમાં નિર્બંધ અવકાશ મળે છે તે મારી મોટી અનુકૂળતા છે. માનું છું કે મારી સર્જનયાત્રાનો આ નવો પડાવ છે. મને આનંદ છે.

હવે પછી કેન્સરગ્રસ્તની નવલકથા લખવાનું મનમાં છે, દર્શક વિષે નિરાંતજીવે લખવાનું છે, બીજા પ્રોજેક્ટ પૂરા કરવાના છે, અને બાકી વર્ષો ઓછાં છે. ઘર, આરોગ્ય અને પરિસ્થિતિ મુજબ બધું ચાલશે.

શબ્દ સાથે કામ પાડીએ ત્યારે જાતને વધુ ઓળખતાં, સમજતાં થઈએ છીએ. વળી કેટલાંક ભાવચિત્રો એવાં હોય છે જે સાતમા પાતાળે દટાયાં હોય છે. પરંતુ એ આકસ્મિક રીતે અવતાર ધારણ કરી લે છે. અને શબ્દરૂપ આપતાં જાણે મોક્ષ પામ્યા હોઈએ એવો અનુભવ થાય છે. ખંડ દ્વારા જાણે આપણી અખંડ તરફ ગતિ થાય છે.

લેખન પૂરતું કહી શકું કે મારી કોઈ સાથે હરીફાઈ નથી. અંદરનું વહેણ ચાલુ રહેશે ત્યાં સુધી લખાશે. પરંતુ છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી એવું અનેક વાર બન્યું છે કે હું માત્ર લહિયો બની ગયો હોઉં. સળંગ ઊતરતું રહેતું હોય એવું પણ બન્યું છે. વચ્ચેનાં રોકાણો ફરી પેન પકડતાં હટી ગયાં હોય અને તાંતણો ફરી જોડાઈ ગયો હોય.

લેખન આખરે તો જીવનને સમજવા માટે અને પ્રગટ કરવા માટે હોય છે. સિંહાસન ઉપર તો જીવન જ છે. બીજી અનેક રીતોની જેમ શબ્દ દ્વારા જીવન પ્રગટ થાય છે. એવો ‘સર્જક શબ્દ’ પામવો એ દરેક સર્જકની ઉપાસના હોય છે. મારી પણ એ જ ઉપાસના રહી છે. વળી લેખન માટે મેં કદી પ્રાપ્તકર્તવ્યની ઉપેક્ષા કરી નથી. લોકભારતીનું કાર્ય કે નિવૃત્તિ પછીની અમદાવાદની પ્રવૃત્તિઓને અડચણરૂપ નથી ગણી. ઊલટું મારા કાર્યે મારી સંવેદનાને વાજબી દૃષ્ટિ આપી છે.

હું નિસંકોચ કહી શકું કે કર્મ અને લેખન મારાં પૂરતાં પૂરક થયાં છે. એટલે નારાયણ દેસાઈએ ‘અનુભવની એરણે’ પરની પ્રસ્તાવનમાં નોંધ્યું છે કે ‘એમાં શબ્દનો આડંબર નથી, પણ સચ્ચાઈની શોભા છે. અતિશયોક્તિ નથી, પણ ચોટડુક ઉક્તિ છે. મનસુખભાઈનું કામ, તેમની વિચારયાત્રા અને તેમના લેખનને છૂટાં પાડી શકાય તેમ નથી.’ આ યથાર્થ અવલોકન છે. જીવનદેવતાના અર્ધ્યમાં મેં સાહિત્યકૃતિઓ દ્વારા થોડાં પુષ્પો ધર્યાં છે એ મારી મોટી પ્રાપ્તિ છે.

રઘુવીરભાઈ ગૂજરાત વિદ્યાપીઠમાં મને એમ.એ.માં દાખલ કરાવવાથી લઈને આજ સુધી મારા સદ્ભાવી વડીલ રહ્યા છે. ‘જીવતર નામે અજવાળું’ને તેમણે સૌથી પહેલું પોંખ્યું હતું. તેમનો આભારી છું. મારા પરિવારની અને અનેક વડીલ-મિત્રોની મને હૂંફ મળી છે. એ સૌનો ઓશિંગણ છું. દર્શક ફાઉન્ડેશને આ નિમિત્તે મારા લેખનકાર્યનાં મૂલ્યાંકનની તક ઊભી કરી તે માટે આપ સૌ હાજર રહ્યા તે માટે આભારી છું.

(સાભાર : “કુમાર”)

(દર્શક ફાઉન્ડેશન તરફથી ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદમાં યોજાયેલ સર્જકસત્ર : મનસુખ સલ્લાનાં પ્રતિભાવ-વક્તવ્ય, સંવર્ધિત કરીને.)

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 જાન્યુઆરી 2025; પૃ. 18-19 તેમ જ 17

Loading

કથ્થઈ આંખો વાલી એક લડકી : સુંદરતાનું સાયન્સ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|27 January 2025

રાજ ગોસ્વામી

થોડા દિવસ પહેલાં પ્રયાગરાજના મહાકુંભમાંથી એક બેહદ ખૂબસૂરત યુવતીની તસ્વીરો અને વીડિયો દેશ-દુનિયામાં વાઈરલ થયા હતા. દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરથી પોતાના પરિવાર સાથે મહાકુંભ પહોંચેલી મોના નામની આ છોકરી ત્યાં રુદ્રાક્ષની માળાઓ વેચી રહી હતી, ત્યારે અમુક યાત્રાળુઓનું તેના પર ધ્યાન ગયું હતું. 

‘કથ્થઈ આંખો વાલી’ આ છોકરીના ઘાટીલા નાક-નકશા, શ્યામ ત્વચા અને વિશિષ્ઠ રીતે બોલવાની શૈલીથી લોકોએ તેની સરખામણી પિકાસોના જગપ્રસિદ્ધ ચિત્ર મોનાલિસા સાથે સરખામણી કરી હતી. જે લોકો તેના વીડિયોને જોતા હતા તે તેની અસાધારણ સુંદરતાના પ્રેમમાં પડી જતા હતા. કુંભમાં લોકો તેની સાથે સેલ્ફી પડાવતા હતા અને તેની પાછળ પાછળ જતા હતા.

મોનાની સુંદરતા જોઈને એક યુઝરે લખ્યું હતું, ‘સુંદર છોકરીઓ ગરીબ ઘરોમાં જ જન્મે છે.’ અન્ય એક યુઝરે લખ્યું હતું, ‘આંખો છે કે સમંદર! અભિનેત્રીઓ પણ પાણી ભરે.’ એક ત્રીજા યુઝરે લખ્યું હતું, ‘ઉપરવાળો આટલી ખૂબસુરતી કોઈક ગરીબને જ આપે.’ અમુક લોકોએ તેને સ્વર્ગની અપ્સરા ગણાવી હતી.

મોનાએ એક વીડિયોમાં કહ્યું હતું, ‘મેં જીવનમાં પહેલીવાર મારી આસપાસ આટલી ભીડ જોઈ છે. હું બે ડગલાં ચાલુ તો પણ લોકો ઘેરી વળે છે અને બૂમો પાડે છે. હું તો ડરી ગઈ કે આટલા બધા લોકો મારું નામ લઈને ચીસો પાડે છે. હું તો રુદ્રાક્ષ વેચવાવાળી એક સામાન્ય છોકરી છું.’

કોઈને આમાં ગાંડપણ લાગી શકે, પરંતુ સુંદરતા તરફ આકર્ષિત થવું ઈન્સાની ફિતરતમાં છે. સુંદર ચીજો આપણું ધ્યાન ખેંચે છે, ચાહે તમે ઈચ્છો કે ના ઈચ્છો. અંગ્રેજીના મશહૂર કવિ જ્હોન કીટ્સે તેમની એક કવિતામાં લખ્યું હતું કે A thing of beauty is joy forever – એક સુંદર વસ્તુ સદૈવ સુખદ હોય છે.

ગદ્ય હોય કે પદ્ય, પ્રાચીન હોય કે આધુનિક, સ્ત્રીઓની સુંદરતા વિશેની વાર્તાઓથી સાહિત્ય ભરેલું પડ્યું છે. આજના યુગમાં શારીરિક સુંદરતા મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે. વિશ્વભરમાં તેની સ્પર્ધાઓ યોજાય છે. તેમના માટે સૌંદર્યનાં ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. એટલા માટે, મોના જેવી સહજ અને પ્રાકૃતિક ખૂબસૂરતીથી લોકો અંજાઈ જાય તે પણ સ્વાભવિક છે.

એવું કેમ થતું હશે? યુનિવર્સિટી કોલેજ લંડનના બે વિજ્ઞાનીઓ, તોમોહિરો ઈશિઝૂ અને સેમિર ઝેકીએ, એકવાર તેનો ન્યુરોલોજીકલ જવાબ શોધવા પ્રયાસ કર્યો હતો. તેમણે એક પ્રયોગમાં 21 સ્વયંસેવકોના મગજના એમ.આર.આઈ. સ્કેન લીધા હતા. સ્કેનિંગ મશીનમાં દરેકને વારાફરતી 30 પેઇન્ટિંગ બતાવવામાં આવ્યાં હતાં અને કાનમાં 30 પ્રકારના સંગીતના સૂર વગાડવામાં આવ્યા હતા.  

તે વખતે તેમના મગજમાં રક્તચાપ કેવો થાય છે અને મગજનો કયો હિસ્સો સક્રિય થાય છે તે નોંધવામાં આવ્યું હતું. સ્વયંસેવકોએ તેઓ જે જોતા હતા અને સાંભળતા હતા તેને ત્રણ શબ્દોથી વર્ણવાનું હતું : સુંદર, મામૂલી અને અરુચિકર. 

સ્કેનરે નોંધ્યું હતું કે જ્યારે સુંદર ઈમેજ જોવામાં આવતી હતી અથવા મધુર ધૂન સાંભળવામાં આવતી હતી ત્યારે મગજનો એક નિશ્ચિત હિસ્સો સૌથી વધુ ચમકી જતો હતો – તેને ઓર્બોટોફ્રન્ટલ કોર્ટેક્સ કહે છે. કપાળની વચ્ચે પાછળના ભાગમાં આવેલુ કોર્ટેક્સ નિર્ણયશક્તિ, એકાગ્રતા અને એક્શન સાથે જોડાયેલું છે. આ અંગ લાગણીઓ, અનુભૂતિઓ અને આનંદ સાથે પણ જોડાયેલું છે. 

ટૂંકમાં, સુંદરતાનો સીધો સંબંધ આપણી ન્યુરોલોજી સાથે છે. સુંદરતા જોનારની આંખમાં છે તેવા એક જાણીતા કથનને બદલીને એવું કહી શકાય કે સુંદરતા જોનારના મગજમાં છે. અર્થાત, મોનાને જોયા પછી મગજમાં ‘ઘંટડી’ ના વાગે તો જ નવાઈ!

એક પ્રશ્ન થાય છે. કુદરતે જગતમાં સુંદરતા કેમ મૂકી છે? ચાહે પ્રકૃતિનો વૈભવ હોય અથવા માનવીય સંસાર હોય, તેમાં સુંદરતાનું અસ્તિત્વ કેમ છે? ચિંતકો, કલાકારો અને વિજ્ઞાનીઓ સદીઓથી આ પ્રશ્ન પર ચર્ચા કરી રહ્યા છે.

આપણે કેમ ખાઈએ છીએ તેનો જવાબ સ્પષ્ટ છે : તેનાથી કેલરી મળે છે અને તે આપણા જીવતા રહેવા માટે જરૂરી છે. પરંતુ સુંદરતાને જોવાથી આપણને કોઈ પોષણ નથી મળતું. સુંદરતા એક ચીજ કરે છે : આપણે આંખનું મટકું માર્યા વિના તેને તાક્યા કરીએ છીએ.

વિજ્ઞાન કહે છે કે ના, સુંદરતા પણ આપણા જીવતા રહેવા (સર્વાઈવલ) માટે છે. તેમનો તર્ક એવો છે કે સુંદરતા વાસ્તવમાં તંદુરસ્તીની નિશાની છે. માણસ જ્યારે જંગલમાં રહેતો હતો ત્યારે સુંદર દેખાતાં ફળ-ફૂલ તોડીને ખાતો હતો, કારણ કે તે પાકેલાં અને તંદુરસ્ત હતાં. તે સુંદર દેખાતાં મેદાનો કે પહાડીઓ પર દોડી જતો હતો જેથી ત્યાં જીવ બચી જાય.

એ જ કારણથી માણસોમાં પણ સુંદરતા છે. ઉત્ક્રાંતિક સાઈકોલોજી કહે છે કે, જે લોકોનાં જીન્સ ઉત્તમ હોય, તે લોકો દેખાવે આકર્ષક પણ હોય. શારીરિક સુંદરતા તંદુરસ્ત જીન્સ અને બુદ્ધિનો બાહ્ય સંકેત છે. અને પુરુષનાં જીન્સ હંમેશાં તંદુરસ્ત ‘કેરિઅર’ની શોધમાં હોય છે, એટલે તેમના માટે સ્ત્રીને જોઇને પ્રભાવિત થવું કુદરતી છે. સ્ત્રી જેટલી વધુ સુંદર, એના તરફ એટલું ધ્યાન વધુ. 

જીવશાસ્ત્રમાં ‘બાયોલોજીકલ ઓર્નામેન્ટ્સ’ નામનો શબ્દ છે. ધારણા એવી છે કે પ્રાણીઓ શારીરિક સજાવટ જોઈને એકબીજા પ્રત્યે આકર્ષાય છે. જેમ કે રંગ, કેશવાળી, પૂંછડીઓ, પીંછાં વગેરે. સુંદરતા એક પ્રાકૃતિક સંકેત છે કે આ ઓર્નામેન્ટ્સ પેદા કરનાર વિજાતિય જીવનું શરીર તંદુરસ્ત છે, અને જીન્સને બીજી પેઢીમાં સફળતાપૂર્વક લઇ જવા સક્ષમ છે. 

માણસમાં જેમ કે સ્ત્રીની એટ્રેકટિવનેસ તેના સ્તન, હિપ્સમાં છે, જ્યારે પુરુષની એટ્રેકટિવનેસ તેના અવાજ, ઊંચાઈ અને ત્વચાના રંગમાં. આપણે ફેશન પણ એટલા માટે જ કરીએ છીએ. સમગ્ર પ્રાણી જગતમાં સેક્સુઅલ સિલેકશન અથવા મેટ સિલેકશન બાયોલોજીકલ ઓર્નામેન્ટ્સના આધારે થાય છે. જીવોમાં શારીરિક સુંદરતા પેદા થવાનું આ એક માત્ર ઉત્ક્રાંતિક કારણ છે.

ઘરમાં એક સંતાન રૂપાળુ હોય અને બીજું કુરૂપ, તો રૂપાળા પર સૌનું વધારે ધ્યાન હોય તે શક્ય છે. સોશ્યલ મીડિયા પર સેલ્ફીઓ એટલે જ સૌથી વધુ પ્રચલિત છે. 

ટૂંકમાં, સૌંદર્યના છોડ પર પ્રેમનું ફૂલ જલદી ખીલે છે.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 26 જાન્યુઆરી 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...272273274275...280290300...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved