Opinion Magazine
Number of visits: 9576735
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાનાભાઈનાં મોટાં કામ

દીપક મહેતા|Opinion - Opinion|11 August 2019

કાળચક્રની ફેરીએ

શિયાળાની એક સાંજ, ઈ.સ. ૧૮૫૧ના વર્ષની. મુંબઈના કોટ વિસ્તારમાં આવેલી પારસી છોકરીઓ માટેની નિશાળનો ૧૯ વર્ષની ઉંમરનો એક પારસી શિક્ષક. સાંજે નોકરીએથી છૂટીને ચાલતો ઘરે જઈ રહ્યો છે. ધોબી તળાવ પાસે રસ્તાને કિનારે એક મુસલમાન ફેરિયો બેઠો છે. ચોપડીઓ વેચી રહ્યો છે. યુવાન ઊભો રહી જાય છે. વાંકો વળી એક ચોપડી ઉપાડે છે. એનું નામ છે મોલ્સવર્થ અને કેન્ડી કૃત અંગ્રેજી-મરાઠી શબ્દકોશ. યુવાન ભાવ પૂછે છે. ફેરિયો: ત્રણ રૂપિયા. યુવાન નિસાસો મૂકે છે. છોકરીઓ માટેની નિશાળમાં મહિને ૧૮ રૂપિયાનો પગાર મળતો હતો. એક ચોપડી પાછળ ત્રણ રૂપિયા ખરચવાનું પોસાય નહિ. ભારે હૈયે આગળ ચાલે છે.

સાત-આઠ વર્ષની ઉંમરે મા-બાપ બન્ને ગુમાવેલાં. પૂનાનું બાપીકું ઘર છોડી ભાઈ-બહેન સાથે મુંબઈ આવી મોસાળમાં રહેતો હતો એ યુવાન. મામાઓની પણ ટૂંકી આવક. છતાં બધાં ભાણજાંને પાંખમાં લીધેલાં. ચોપડી માટે મામા પાસે ત્રણ રૂપિયા માગવા કઈ રીતે. ન છૂટકે જુઠ્ઠું બોલે છે: “નોકરીએ આવતાં-જતાં રસ્તામાં બહુ ઠંડી લાગે છે. એટલે એક જૂનો ડગલો ખરીદવો છે. તે માટે ત્રણ રૂપિયાની જરૂર છે.” જરા કચવાતે મને, પણ મામા ત્રણ રૂપિયા આપે છે. અને બીજે દિવસે સાંજે ફેરિયા પાસેથી મોલ્સવર્થ અને કેન્ડીનો અંગ્રેજી-મરાઠી શબ્દકોશ ખરીદીને યુવાન ઘરે આવે છે. રસ ગળે ને કટકા પડે એવી કોઈ નવલકથા હાથમાં આવી હોય તેમ ફૂરસદનો બધો સમય આપી એ કોશનો શબ્દેશબ્દ વાંચી લે છે. અને મનોમન નક્કી કરે છે કે મરાઠી ભાષા માટે જે કામ બે અંગ્રેજોએ કર્યું તે મારી ગુજરાતી ભાષા માટે હું કરીશ, આવો જ અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ બનાવીશ.

એ યુવાનનું નામ નાનાભાઈ રૂસ્તમજી રાણીના. નામ ભલે નાનાભાઈ, પણ ૬૮ વર્ષની જિંદગીમાં ઘણાં મોટાં કામ કરી ગયા. નાનાભાઈના બાપનાં બપાઈનું નામ હતું રાણીબાઈ. તેમના વંશજો પહેલાં ‘રાણીબાઈના’ અને પછીથી ‘રાણીના’ તરીકે ઓળખાયા. રૂસ્તમજી પૂનામાં કોમેસેરિયેટ ખાતાના કોન્ટ્રેકટર તરીકે કામ કરતા. પણ નાનાભાઈનો જન્મ મુંબઈના મોસાળના ઘરે થયેલો, ૧૮૩૨ના મે મહિનાની ૩૧મી તારીખે. શરૂઆતનું શિક્ષણ પૂનામાં. ખાધેપીધે સુખી કુટુંબ, એટલે દીકરાને લાડકોડમાં ઉછેરતા. પણ પછી પહેલાં માતા ડોસીબાઈનું અને પછી પિતા રુસ્તમજીનું અણધાર્યું અવસાન થયું. છેવટનાં વર્ષોમાં રુસ્તમજીને ધંધામાં ભારે ખોટ આવેલી એટલે કુટુંબ પૈસેટકે પાયમાલ થઇ ગયેલું. ત્રણ ભાઈ-બહેન મુંબઈ મોસાળમાં રહેવા આવ્યાં.

મુંબઈમાં થોડો વખત મોહનલાલ ચીમનલાલ મહેતાની દેશી નિશાળમાં ભણ્યા. પછી નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્કૂલમાં, પછી એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂશનમાં. ભણવામાં તેજસ્વી હતા એટલે ‘ઇનામો’ મેળવી ઘણુંખરું ‘ફ્રી સ્કોલર’ તરીકે ભણ્યા. ત્યાં દાદાભાઈ નવરોજી, અરદેશર ફરામજી મૂસ, કાવસજી મહેતા વગેરે એમના શિક્ષકો. દાદાભાઈએ પારસીઓમાં સમાજ સુધારો કરવા માટેની શરૂ કરેલી ચળવળમાં નાનાભાઈ જોડાયા. ૧૮૪૮ના જૂનની ૧૩મી તારીખે સ્થપાયેલી સ્ટુડન્ટસ્ લિટરરી એન્ડ સાયન્ટિફિક સોસાયટીમાં જોડાયા. આ સોસાયટીએ જ ૧૮૪૯ના ઓક્ટોબરની ૨૧મી તારીખથી છોકરીઓ માટેની બે મરાઠી અને ચાર ગુજરાતી નિશાળો મુંબઈના કોટ, ધોબી તળાવ, બહાર કોટ, અને મઝગાવમાં શરૂ કરી. તેમાંની પારસી છોકરીઓ માટેની સ્કૂલમાં જ નાનાભાઈની પહેલી નોકરી.

૧૮૫૪માં કુંવરબાઈ સાથે લગ્ન થયા પછી ઘર ખર્ચ વધ્યો. એટલે મહિને વીસ રૂપિયાના પગારે નેટિવ જનરલ લાઈબ્રેરીમાં લાઈબ્રેરિયન તરીકે જોડાયા. ત્યાંના કામના ભાગરૂપે ‘પુસ્તક પ્રસિદ્ધ’ નામના છાપખાનાના તથા ‘સત્ય દીપક’ નામના સામયિકના માલિક નવરોજજી ફરામજીના પરિચયમાં આવ્યા. તેમણે નાનાભાઈને મહિને બે રૂપિયાના પગારે ‘સત્ય દીપક’ના પાર્ટ ટાઈમ અધિપતિ (તંત્રી) નીમ્યા. આ પ્રેસ અને પત્રના સંપર્કને પરિણામે નાનાભાઈના જીવનને નવો જ વળાંક મળ્યો. અવારનવાર છાપખાનામાં જવાનું થતાં એક છાપખાનું કાઢવાનો કીડો તેવણના મનમાં ચવડી આયો. પણ ખાલી ખિસ્સે છાપખાનું કઈ રીતે કાઢવું? પોતાના ચાર મિત્રો અરદેશર ફરામજી મૂસ, જહાંગીર વાચ્છા, કાવસજી મહેતા અને પેસ્તનજી શાપુરજી માસ્ટરને ગળે વાત ઉતારી. નવરોજજી ફરામજીને પણ સાથે લીધા. અને ૧૮૫૭માં યુનિયન પ્રેસ શરૂ કર્યું. અલબત્ત, શરૂઆતમાં નાનાભાઈએ તેમાં પોતાની મૂડી રોકી નહોતી (હોય તો રોકે ને?) એટલે મહિને ૩૦ રૂપિયાના પગારે તેના મેનેજર બન્યા. વખત જતાં એક ભાગીદાર બન્યા, અને છેવટે તેના એકમાત્ર માલિક બન્યા. ધોબી તળાવ નજીક શરૂ થયેલું પ્રેસ પછીથી હોર્નિમેન સર્કલ પાસે ખસેડાયું, જ્યાં આજે પણ તે ચાલુ છે.

નાનાભાઈ અને કવિ નર્મદ મિત્રો હતા અને નર્મદનાં કેટલાંક પુસ્તકો નાનાભાઈએ યુનિયન પ્રેસમાં છાપેલાં. નર્મદનું સામયિક ‘ડાંડિયો’ પણ ઘણા વખત સુધી ત્યાં જ છપાતું. નર્મદની આત્મકથા ‘મારી હકીકત’ની પોતાની સંશોધિત આવૃત્તિમાં રમેશ મ. શુક્લે નર્મદના કેટલાક પત્રો પણ છાપ્યા છે, તેમાં નાનાભાઈ પરના બે પત્રો પણ છે. તો બીજી બાજુ સુધારક અને પત્રકાર કરસનદાસ મૂળજી પણ નાનાભાઈના મિત્ર. તેમનું સામયિક ‘સત્યપ્રકાશ’ પણ નાનાભાઈના પ્રેસમાં જ છપાતું. અને તેને લીધે નાનાભાઈએ અદાલતમાં આરોપી તરીકે હાજર થવું પડ્યું હતું. જદુનાથજી મહારાજ અંગેના કેટલાક લેખો ‘સત્યપ્રકાશ’માં છપાયા ત્યારે એ મહારાજે ‘સત્યપ્રકાશ’ના તંત્રી કરસનદાસ મૂળજી અને મુદ્રક નાનાભાઈ રાણીના ઉપર માનહાનિ(લાયબલ)નો કેસ માંડી પચાસ હજાર રૂપિયા જેટલી રકમ (જે એ વખતે ઘણી મોટી ગણાય) વળતર તરીકે માગી હતી. ‘મહારાજ લાયબલ કેસ’ તરીકે ઓળખાતા આ કેસે એ વખતે દેશમાં અને દેશની બહાર પણ સારી એવી ચકચાર જગાડી હતી. જદુનાથ મહારાજે કેસમાંથી નાનાભાઈને ખસેડવા મહેનત કરી. કહેવડાવ્યું કે તમે તો પારસી છો. અમારા હિન્દુઓના ઝગડામાં નાહકના શું કામ પડો છો? મને મળીને મૌખિક માફી માગી લો તો પ્રતિવાદીઓમાંથી તમારું નામ કાઢી નાખીએ. નાનાભાઈએ જવાબમાં કહેવડાવ્યું: “તમારા ધરમ અંગે મને ઝાઝી ખબર નથી. પણ મિત્રનો દ્રોહ કરવાનું મારો ધરમ તો મને નથી શીખવતો.” આ ખટલામાં છેવટ સુધી નાનાભાઈ કરસનદાસની સાથે ઊભા રહ્યા અને છેવટે કેસ જીત્યા.

ચાલો, હવે મુંબઈના ગ્રાન્ટ રોડ પર જરા ખુલ્લી હવામાં લટાર મારીએ. ૧૮૫૩ના ઓક્ટોબર મહિનાની ૨૯મી તારીખ, વાર શનિ. મુંબઈ શહેરમાં ત્યારે નહોતી વીજળીની સગવડ કે નહોતી સ્થપાઈ યુનિવર્સિટી ઓફ બોમ્બે. એટલે જ્ઞાનનું અજવાળું પણ ઝાઝું નહિ. બે-ત્રણ અખબારોને બાદ કરતાં પ્રચાર માટેનાં ઝાઝાં સાધનો નહિ. અને છતાં એ સાંજે ગ્રાન્ટ રોડ પર લોકોની સારી એવી ભીડ જામી હતી. બધા જઈ રહ્યા હતા નાના શંકરશેઠે બંધાવેલા થિયેટર તરફ. કારણ ત્યાં ભજવાવાનું હતું એક ગુજરાતી નાટક. મુંબઈમાં આવું અગાઉ ક્યારે ય બન્યું નહોતું. એ વખતે ભજવાતાં અંગ્રેજી નાટકો જોઇને દાદાભાઈ નવરોજીને વિચાર આવ્યો કે ગુજરાતીમાં પણ નાટક કેમ ન ભજવાય? એટલે થોડાક મિત્રો સાથે મળીને ‘પારસી નાટક મંડળી’ શરૂ કરી. આ મંડળીએ તે દિવસે સાંજે ‘રૂસતમ અને શોરાબ’નો નાટક તથા ‘ધનજી ગરક’નો ફારસ ભજવ્યો હતો. આ પહેલવહેલા ગુજરાતી નાટકમાં જે પારસી પુરુષોએ અભિનય કર્યો હતો તેમનાં નામ ‘બોમ્બે કુરિયર’ના ૩૧ ઓક્ટોબર, ૧૮૫૩ના અંકમાં છપાયાં હતાં. તેમાંનું એક નામ છે નાનાભાઈ રૂસ્તમજી રાણીના.

વારુ, નાનાભાઈએ ઘણાં મોટાં કામ કર્યાં એ કબૂલ, પણ એ બધાં કરવામાં પેલી અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ બનાવવાની વાત ભૂલાઈ ગઈ? ના સાહેબ. ત્રણ-ચાર વર્ષમાં કોશ તૈયાર થઇ જશે એમ નાનાભાઈ શરૂઆતમાં માનતા હતા. પણ એ કામ તેમના જીવનના અંત સુધી ચાલ્યું અને પછી તેમના દીકરા રૂસ્તમે એ અધૂરું રહેલું કામ પૂરું કર્યું. પણ સૌથી પહેલાં જ્યારે આવો કોશ બનાવવા અંગે મિત્ર અરદેશર ફરામજી મૂસને તેમણે વાત કરી ત્યારે પહેલાં તો તેમણે એ વાત હસી કાઢી: ગુજરાતી ભાષાનો કોશ, અને તે એક પારસીને હાથે! પણ નાનાભાઈ ‘ના’ સાંભળવા માગતા નહોતા.

પોતે તૈયાર કરેલા કોશનાં થોડાં પાનાં સાથે ફરી મૂસને મળ્યા. તે વખતે જહાંગીર વાચ્છા પણ ત્યાં હાજર હતા. તેમણે તથા મૂસે ફરી નાનાભાઈને સમજાવ્યા. નાનાભાઈ કહે કે પહેલાં મારું લખાણ વાંચો તો ખરા. પછી નક્કી કરજો કે આ કામ મારાથી થઇ શકે તેમ છે કે નહિ. વાચ્છા પીગળ્યા. વાંચ્યું. પ્રભાવિત થયા. મૂસને પણ કહ્યું કે આ વાતમાં માલ છે. એટલે ત્રણે પહોંચ્યા ડોસાભાઈ ફરામજી કરાકા પાસે. તેઓ પણ કામ જોઈ ખુશ થયા અને આર્થિક મદદ માટે સોહરાબજી જમશેદજી જીજીભાઈને ભલામણ કરી. પહેલાં સો પાનાં છપાવવાનો ખર્ચ આપવા સોહરાબજી તૈયાર થયા એટલે નાનાભાઈ ગયા અમેરિકન મિશન પ્રેસ પાસે. સોહરાબજીએ આપેલી પૂરેપૂરી રકમ હાથમાં મૂકીને કહ્યું કે મારો આ કોશ છાપવાનું શરૂ કરો. પ્રેસવાળા કહે કે પણ પછીનાં પાનાં છાપવાનું ખર્ચ કોણ આપશે? નાનાભાઈ કહે: પહેલો ભાગ છપાઈ જાય પછી તેની બધી જ નકલ તમારા તાબામાં રહેશે. તમે જ તે વેચશો. ખર્ચની બધી રકમ વળી જાય પછી જ બાકી વધેલી નકલ તમે મને આપજો. અને એ પ્રેસે કામ હાથમાં લીધું. રાણીનાના અંગ્રેજી-ગુજરાતી કોશનો પહેલો ભાગ એ રીતે છપાઈને ૧૮૫૭ના ઓગસ્ટની પહેલી તારીખે પ્રગટ થયો. નાનાભાઈએ દૂરંદેશી વાપરીને પહેલેથી જ શબ્દકોશના કામમાં દીકરાને સાથે રાખેલો. અથાગ મહેનત પછી નાનાભાઈ પોતાની હયાતી દરમ્યાન કોશના બાર ભાગ પ્રસિદ્ધ કરી શક્યા. તેમના અવસાન પછી તેરમો અને છેલ્લો ભાગ તેમના દીકરા રૂસ્તમજીએ તૈયાર કરી પ્રગટ કર્યો. એકાદ અઠવાડિયાની ટૂંકી માંદગી પછી ઈ.સ. ૧૯૦૦ના જાન્યુઆરીની દસમી તારીખે ૬૮ વર્ષની ઉંમરે નાનાભાઈ બેહસ્તનશીન થયા.

XXX XXX XXX

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

પ્રગટ : “શબ્દસૃષ્ટિ”, ઑગસ્ટ 2019             

Loading

ગૂંચવાડાભર્યા કાશ્મીરનો ઉકેલ શું હવે આવી ગયો સમજવો ?

રમેશ ઓઝા|Opinion - Opinion|10 August 2019

જૂનાગઢ પાકિસ્તાનથી ઘણું છેટે હતું, પાકિસ્તાન ધારે તો પણ જૂનાગઢના નવાબને લશ્કરી મદદ કરી શકે એમ નહોતું, વળતી ૯૮ ટકા વસ્તી હિંદુઓની હતી એટલે જ્યારે ભીંસ વધવા લાગી ત્યારે જૂનાગઢનો નવાબ પાકિસ્તાન નાસી ગયો. પરંતુ એ પહેલાં પાકિસ્તાનના ઈશારે ગુગલી ફેંકતો ગયો કે રાજવીની ઈચ્છા સર્વોપરી કે પછી પ્રજાની બહુમતી અને પાકિસ્તાન સાથેનું પાડોશીપણું?

ભારતે ક્યારે ય વિચાર્યું પણ નહોતું કે જમ્મુ અને કાશ્મીરનો રાજા તેના રાજ્યને પાકિસ્તાનમાં જોડાવા સામે પ્રતિકાર કરશે. આગળ કહ્યું એમ માર્ગદર્શિકા મુજબ સ્વાભાવિક ક્રમે કાશ્મીર પાકિસ્તાનને જવું જોઈતું હતું. રાજાનાં વલણને કારણે જમ્મુ અને કાશ્મીર મેળવવાની ભારતને તક સાંપડી હતી; પરંતુ એને માટે જમ્મુ અને કાશ્મીરનો રાજા વહેલાસર ભારતમાં જોડાઈ જાય, શેખ અબ્દુલ્લાને સત્તા સોંપી દે, લોકતંત્ર માટે દરવાજો ખોલી આપે એ જરૂરી હતું. એમ જો બને તો શેખ અબ્દુલ્લાને ભારતની તરફેણમાં રહેવા માટે સમજાવી શકાય. આ બાજુ શેખ અબ્દુલ્લાની પહેલી પસંદગી લોકતાંત્રિક સ્વતંત્ર કાશ્મીરની હતી. એ જો શક્ય ન બને તો બીજી પસંદગી સેક્યુલર લોકતાંત્રિક ભારતમાં રહેવાની હતી. પાકિસ્તાનમાં જોડાવામાં તેમની ખાસ રુચિ નહોતી, કારણ કે શેખ સાહેબ મૂળભૂત રીતે સેક્યુલર ડેમોક્રેટિક હતા. આમ ભારતને અનાયાસ તક મળી હતી જો રાજા ભારતની તરફેણમાં ઝડપથી નિર્ણય લે તો.

પણ રાજા સમજ્યો નહીં તે સમજ્યો જ નહીં! એ માણસ પાકિસ્તાનની પડોશમાં, મુસ્લિમ બહુમતીવાળી રિયાસતમાં, નેપાળ જેવું હિંદુરાષ્ટ્ર સ્થાપવા માગતો હતો અને એ પણ આધુનિક યુગમાં રાજાશાહી સાથે. આવું વિચારનાર અને આવું વિચારવા માટે પ્રેરનારાઓને શેખચલ્લી ન કહેવાય તો બીજું શું કહેવાય? સરદાર પટેલે અને કૉન્ગ્રેસના બીજા નેતાઓએ રાજાને ભારતમાં જોડાઈ જવા લાખ સમજાવ્યો પણ તે માન્યો જ નહીં.

૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ રાજાએ પાકિસ્તાન સાથે જૈસે થેની સંધી કરી. મહમ્મદઅલી ઝીણાએ મહારાજાને ખાતરી આપી કે પાકિસ્તાન મહારાજાના નિર્ણય લેવાના અધિકારને માન્ય રાખે છે. તે ભારતમાં જોડાવા સહિત કોઈ પણ બાજુએ નિર્ણય લઈ શકે છે. તેમને ખાતરી હતી કે રાજા આઝાદીની તરફેણમાં નિર્ણય લેવા માગે છે. પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના રાજા સાથે કરાર કર્યો કે મહારાજા જ્યાં સુધી નિર્ણય નહીં લે ત્યાં સુધી પાકિસ્તાન જૈસે થે વાળી સ્થિતિ જાળવી રાખશે. કાશ્મીર જતા રસ્તાઓ બંધ કરવામાં નહીં આવે અને પુરવઠો ખોરવવામાં નહીં આવે.

પાકિસ્તાન સાથે જૈસે થેની સંધી કર્યા પછી મહારાજાનો દીવાન દિલ્હી આવ્યો હતો અને ભારત સરકાર સાથે પણ જૈસે થે સંધી કરવાની સરદાર પટેલ પાસે ઇચ્છા વ્યક્ત કરી હતી. સરદાર એટલા ગુસ્સામાં હતા કે તેમણે દીવાનને બેસવા માટે પણ નહોતું કહ્યું. સરદારે તાડૂકીને કહ્યું હતું કે, ‘તમે શું એમ માનો છો કે પાકિસ્તાન સંધીની શરતો પાળશે? પાકિસ્તાન વિશ્વાસઘાત કરે અને પછી બહુ વધારે મોડું થાય એ પહેલાં મહારાજાએ નિર્ણય લઈ લેવો જોઈએ. જાવ, જઈને મહારાજાને સમજાવો અને કહો કે ભારતને જૈસે થે સંધી કરવામાં કોઈ રસ નથી.’

થોડા જ દિવસમાં એ જ બન્યું જેની ચેતવણી સરદારે આપી હતી. પાકિસ્તાને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનો પુરવઠો રોકી દીધો. એ જમાનામાં જમ્મુ અને કાશ્મીર જવા માટેના રસ્તા પશ્ચિમ પંજાબમાંથી પસાર થતા હતા. ઉપર નોર્થન કાશ્મીર (ગિલગીટ અને બાલ્તિસ્તાન)માં સૈનિકોએ બળવો કર્યો. પાકિસ્તાને પઠાણોના વેશમાં લશ્કરને કાશ્મીરની પ્રજાને કાશ્મીર મુક્ત કરવા મોકલ્યું જે રીતે ભારતે મોટી સંખ્યામાં લોકોને આરઝી હકૂમત માટે જૂનાગઢ મોકલ્યા હતા. બધું જ સમાંતરે થઈ રહ્યું હતું. ફરક એ હતો કે આરઝી હકૂમતમાં સૈનિકો નહોતા, જ્યારે પઠાણોના આક્રમણમાં પઠાણો સાથે સૈનિકો પણ હતા.

હવે જમ્મુ અને કાશ્મીરનો રાજા ઘેરાઈ ગયો હતો. સરદારે કહ્યું હતું એમ ઘણું મોડું થઈ ગયું હતું. જો કાશ્મીર પર કૂચ કરનારાઓ રસ્તામાં લૂંટફાટ કરવામાં રોકાયા ન હોત તો શ્રીનગર પણ હાથમાંથી ગયું હોત. અંકુશ રેખા શ્રીનગરથી માત્ર ૧૨ કિલોમીટર દૂર છે. પઠાણો અને પાકિસ્તાની સૈનિકો શ્રીનગર પહોંચે એ પહેલાં રાજાએ ભારતમાં જોડાવાની તૈયારી બતાવી. એ પહેલાં રાજા પાકિસ્તાની સૈનિકોના હાથમાં ન આવે એ માટે તેને શ્રીનગરથી જમ્મુમાં ખસેડવામાં આવ્યો. ૨૬મી ઓક્ટોબર ૧૯૪૭ના રોજ મહારાજાએ ભારતમાં જોડાવાના ખતપત્ર પર સહી કરી. તરત જ મહારાજાની ભારતમાં જોડાવાની વિનંતી માન્ય રાખવામાં આવી અને કાશ્મીરમાં લશ્કર મોકલવામાં આવ્યું.

જમ્મુ અને કાશ્મીરનો ૬૦ ટકા હિસ્સો જો ભારત પાસે રહ્યો છે અથવા ૪૦ ટકા હિસ્સો ભારતે ગુમાવ્યો છે તો તેની પાછળનો આ ઇતિહાસ છે. જો મહારાજાએ નેપાળ જેવા રાજાશાહીવાળા, સ્વતંત્ર હિંદુરાષ્ટ્રનાં સપનાં ન જોયાં હોત, અને મહારાજાએ વહેલાસર ભારતમાં જોડાવાનો નિર્ણય લીધો હોત તો આજે ઇતિહાસ જુદો હોત. શેખ અબ્દુલા તો અનુકૂળ હતા અને પ્રજાનું દિલ જીતી શકાયું હોત. અકસ્માત હાથ લાગેલી લોટરી આખે આખી હાથમાં ન આવી અને ઉપરથી સાવ નિર્દોષ પ્રજાને સહન કરવાનું આવ્યું એ માટે રાજા અને તેમના સલાહકાર શેખચલ્લીઓ જવાબદાર છે.

મહારાજાએ જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ કર્યું તો ખરું, પરંતુ એ સંપૂર્ણ નહોતું. વિલીનીકરણની નિર્ધારિત કરેલી જોગવાઈ મુજબ ભારતમાં જોડાનાર રાજવીએ પહેલાં સંરક્ષણ, વિદેશ વ્યાપાર અને સંદેશ વ્યવહારની સત્તા ભારત સરકારને સોંપી દેવાની હતી. એ પછી વાસ્તવિક સત્તા પ્રજા પરિષદના લોકોના પસંદ કરેલા પ્રતિનિધિને આપવાની હતી અને રાજવીએ અત્યારના ગવર્નર તરીકે કામ કરવાનું હતું. જમ્મુ અને કાશ્મીરની બાબતમાં એક સમસ્યા હતી. રિયાસતમાં શાસકની ઇચ્છા સર્વોપરી નથી, પણ પ્રજાની છે એ બતાવવા માટે જૂનાગઢમાં લોકમત લેવામાં આવ્યો હતો. હવે જમ્મુ અને કાશ્મીરની બાબતમાં ભારત લોકમતને કઈ રીતે તેને અવગણી શકે? જૂનાગઢમાં એકલો લોકમત પર્યાપ્ત હતો, જયારે કશ્મીરમાં રાજાની ઇચ્છા સાથે લોકમત પણ લેવો જરૂરી હતો. પાકિસ્તાને આક્રમણ કરવાને કારણે અને જમ્મુ અને કાશ્મીરનો ૪૦ ટકા હિસ્સો કબજે કર્યો હોવાને કારણે લોકમત ઘોંચમાં પડ્યો.

આ બાજુ ભારતનું બંધારણ ઘડાઈ ચૂક્યું હતું જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન ઊભો હતો. છેલ્લે બંધારણમાં આમેજ કરવામાં આવેલ આર્ટીકલ ૩૭૦ એના ઉકેલરૂપે હતો. જમ્મુ અને કાશ્મીર સંરક્ષણ, સંદેશ વ્યવહાર અને વિદેશ વ્યાપાર સિવાયની બધી સત્તા ભોગવે છે. સુજ્ઞ વાચકને એટલું તો સમજાઈ ગયું હશે કે આર્ટીકલ ૩૭૦ કાશ્મીરીઓને કરવામાં આવેલા લાડનું પરિણામ નથી, પણ જરૂરિયાતનું પરિણામ છે. એક રીતે આર્ટીકલ ૩૭૦ જમ્મુ અને કાશ્મીરને ભારત સાથે જોડે છે. બંધારણ ઘડનારાઓ બેવકૂફ નહોતા.

કાશ્મીરની સમસ્યા મુખ્યત્વે મહારાજા અને તેના સલાહકારોએ પેદા કરી હતી અને કિંમત ત્યાંની પ્રજા ચૂકવે છે. આજે પણ ત્યાંની નિર્દોષ પ્રજાનો છૂટકારો નથી થયો.

બીજો મુદ્દો છે સભ્યતાનો અને લોકતંત્રનો. મનમાની કરીને જમ્મુ અને કાશ્મીરનું વિભાજન કરવું, કાશ્મીરને કેન્દ્રશાસિત રાજ્ય જાહેર કરવું, અત્યારે રાષ્ટ્રપતિ શાસન છે એટલે રાજ્યના રાજ્યપાલને રાજ્યનો પ્રતિનિધિ ગણવો અને તેની ભલામણ મુજબ આર્ટીકલ ૩૭૦નો અંત લાવવો એ સભ્યતા છે? આ લોકતંત્ર છે કે તાનાશાહી? ત્રણ સંભાવના અને એક વાસ્તવિકતા નજરે પડી રહ્યા છે.

૧. કાશ્મીર ભારત માટે બંગલાદેશ બની શકે છે.

૨. કેન્દ્ર સરકારે જે રીતે સમવાય ઢાંચા (ફેડરલ ઇન્ડિયા) પર કુઠારાઘાત કર્યો છે એ જોતાં ઈશાન ભારતમાં, પંજાબમાં અને તામિલનાડુમાં સમસ્યા પેદા થઈ શકે છે.

૩. ચીન અશાંતિનો લાભ લઈ શકે છે. અને વાસ્તવિકતા એ કે ભારત લોકતંત્ર ગુમાવી રહ્યું છે.

જો તમારી અંદર માણસ બેઠો હોય તો આજે તમારા દિલમાં વગર ગુને યાતના ભોગવતા નિર્દોષ કાશ્મીરીઓ માટે ઊંડી સહાનુભૂતિ હોવી જોઈએ અને જો તમારી અંદર હિંદુ રાષ્ટ્રવાદી બેઠો હોય તો કાંઈ અપેક્ષા રાખવાપણું રહેતું જ નથી!

કોણ બેઠો છે?  

07 ઑગસ્ટ 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 10 ઑગસ્ટ 2019

Loading

વિસરતી વિરાસત અને વિસરાતું શબ્દલાલિત્ય

સંજય આર. તલસાણિયા|Opinion - Literature|10 August 2019

બદલાતી જીવનશૈલી, લોકોની શહેર ભણી આંધળી દોટ અને વિદેશી સંસ્કૃતિનું આંધળું અનુકરણ એમ ત્રિવિધ કારણે ગુજરાતી ભાષાને જે નુકશાન થયું છે – થઈ રહ્યું છે તેની ખોટ કદાચ પૂરી કરી શકાય એમ નથી.

જે ગુજરાતી ભાષાએ પોતાનાં શબ્દલાલિત્ય, શબ્દગાંભીર્ય અને શબ્દગરિમાને કારણે દેશના સીમાડા ઓળંગી વૈશ્વિક સ્તરે સાહિત્યકારોને નામના અપાવી છે એ ગુજરાતી ભાષાનું ગૌરવ છે, એમાં શંકાને સ્થાન નથી, છતાં એ ચોક્કસપણે સ્વીકારવું જ પડશે કે વિસરાતી વિરાસત અને બદલાતી જીવનશૈલીને કારણે ગુજરાતી ભાષાનાં જે મીઠાશ, તળપદાપણું અને પોતીકાપણું ગુમાવ્યાં છે તેથી ગુજરાતી ભાષામાં ગ્રહણ લાગ્યાની અનુભૂતિ થાય છે.

હા, જ્યારે ગામ, સમાજ કે રાષ્ટ્રમાં ભાષાકીય ધોવાણ થાય છે ત્યારે એ જે-તે સાંસ્કૃતિક અસ્મિતાને પણ ખતમ કરી નાખે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાઈ રહેલાં આપણાં ગામડાં અને શહેરોમાં તેની ભાતીગળ, સાંસ્કૃતિક ઓળખ ભૂંસાતી જતી જોઈ શકીએ છીએ.

ગામડાં અને શહેરનાં રીત-રિવાજો, ખાન-પાન, રહેણાંક અને પહેરવેશ બદલાયાં તેથી છેલ્લા ત્રણ દાયકામાં તેનાં ઘણાં સાંસ્કૃતિ મૂલ્યો તો નાશ પામ્યાં જ; સાથે-સાથે ગુજરાતી ભાષાનાં ઘણા શબ્દો, શબ્દાવલીઓ, કહેવતો અને રૂઢિપ્રયોગો પણ નાશ પામ્યાં છે. ઘર, ઘર સજાવટ, પહેરવેશ, આભૂષણો, ખેતી-પશુપાલ વગેરેમાં બદલાવ આવવાથી શિક્ષિત સમાજ તો બરાબર પરંતુ ગામડા ગામના લોકોમાં પણ અમુક શબ્દો વિષેની સમજ ભૂંસાઈ ગઈ છે. એમાં તેમનો દોષ નથી કેમ કે જે વસ્તુઓ કે શબ્દો વ્યવહારમાંથી જ લુપ્ત થયા છે તેને સમજવા, જાણવા અને જાળવવાં અઘરાં બને છે. એવી કઈ-કઈ વસ્તુઓ છે કે જેના કારણે અનેક શબ્દો લુપ્ત થયા કે જે ગામડાગામની ઓળખ હતી. એ વિસરાઈ ગયેલા શબ્દો જોઈએ …

ઘર માટે વિસરાઈ રહેલા શબ્દો :

ખોરડું : કાચું ગાર-માટીની દીવાલવાળું, દેશી નળિયાં અને વાંસની પટ્ટીથી બનાવેલ રહેણાંક.

પછીત : ઘરની પાછળની દીવાલ.

કરો : જેના પર મોભ (મજબૂત લાકડું) ટેકવ્યું હોય એ મકાનની બે સામ-સામી દીવાલ.

મોભ / મોભારુ : બે દીવાલમાં કરાની દીવાલને જોડતું મજબૂત લાંબુ લાકડું.

ભડુ : એ દીવાલ કે જ્યાં બારસાખ (બારણું) મુકવામાં આવે છે.

બારસાખ : મજબૂત લાકડામાંથી બનાવેલું ચોકઠું કે જેમાં કમાડ (બારણું) ફીટ કરવામાં આવે છે.

ઘોડલિયા : બારસાખને સાંધતા બે ઘોડલા કે જેના પર લગ્ન પ્રસંગે ભરતગૂંથણ કે તોરણ મૂકી સુશોભન કરી શકાય.

પાણિયારુ : જેમાં ગોળો, હેલ, કળસિયો (લોટો), પ્યાલો (ગ્લાસ) મૂકવાની જગ્યા કે જે ઓસરીમાં પડતી રસોડાની બહારની દીવાલમાં સ્થિત હોય છે અથવા ત્યાં લાકડાની બનાવેલ હોય છે.

ખીંટી : ઓસરીની દીવાલમાં આશરે અડધો ફૂટ લાકડાની કલાત્મક ખીંટી કે જેના પર પાઘડી, તલવાર, કપડાં, થેલી વગેરે લટકાવી શકાય.

નેજવું : છતને થાંભલી સાથે ટેકવવા માટે લાકડાનું નેજવું મૂકવામાં આવે છે કે જે કાષ્ટકલાનો અદ્દભુત નમૂનો પણ હોય છે.

મોતિયું : નેવા પર નળિયાંને ટેકવાનું વપરાતું લાકડું.

ગોખ : ઓરડાની ઓસરીમાં પડતી દીવાલમાં બારણાથી થોડે ઉપર મૂકવામાં આવતો ઝરુખો (હવાબારી).

વંડી : મકાનની ચાર અથવા ત્રણ બાજુ માટીની બનાવેલ આશરે 6થી 8 ફૂટ દીવાલ ..

માઢ / મેડી : ઘરની વંડી(દીવાલ)ના પ્રવેશ દ્વાર પર લેવામાં આવતો બીજો માળ.

ગોખલા : વંડી(દીવાલ)માં ડેલીની બંને બાજુ બહારની દીવાલે માટીનાં કોડિયાં મૂકવા માટેની જગ્યા.

છાજુ : માટીની કાચી (વંડી) દીવાલ પર વરસાદી પાણીથી થતું ધોવાણ રોકવા ઘાસ અને માટીથી બનાવેલું છાજુ.

ફળિયું : ઘરની આગળની ખુલ્લી જગ્યા કે જે ઘરની ચોતરફ અથવા આગળની જગ્યા કે જેની ફરતે વંડી હોય છે, ગામડાગામમાં ફળિયામાં તુલસીનો ક્યારો, ગાય-બળદની ગમાણ (કોઢ કે ઢાળિયું) એકાદ વૃક્ષ હોય છે, જે ઘરની શોભાને ચાર ચાંદ લગાવે છે.

કોઢ : ફળિયામાં ગાય-ભેંસ કે બળદ બાંધવાની જગ્યા.

ગમાણ : ગાય-ભેંસ, બળદને ચારો નાખવાની જગ્યા.

પડથાર : ફળિયાથી ઓસરીની ઊંચાઈ કે જે આશરે બે, ત્રણ કે પાંચ ફૂટ પણ હોઈ શકે. ઊંચી પડથારવાળા મકાનની શોભા અનેરી હોય છે.

રસોડાનાં ઉપયોગી વાસણોના વિસરાતા શબ્દો :

હેલ : ગાગર અને હાંડો કે જે પિત્તળ, તાંબાનું પાણી ભરવાનું પાત્ર.

બુઝારું : ગાગર, હેલ, ગોળાને ઢાંકવાનું પિત્તળનું પાત્ર.

ડોયો : ગોળામાંથી પાણી પ્યાલો (ગ્લાસ) કળશ્યા(લોટા)માં ભરવાનું પાત્ર કે જેને છેડે લાંબી ટાડલી હોય છે.

ગરવું : રોટલા-રોટલી ભરવાનું પિત્તળનું વાસણ.

હાંડલું : ખીચડી, રાંધણું કે લાપસી બનાવવાનું માટીનું વાસણ.

ડવલો : ખીચડી, રાંધણું કે લાપસી હલાવવાનું લાકડાનું વાસણ (ચમચો)

પાટિયો : શાક અને કઢી બનાવવાનું માટીનું વાસણ.

ગાડવો : ગાય-ભેંસ દોહવા તેમ જ દહીં, ઘી ભરવાનું માટીનું મજબૂત વાસણ.

માણ : વાડી-ખેતરે પાણી ભરવાનું પાત્ર કે જેનું ગળું સાંકડું હોય છે.

ભૂંભલી : ખેતર-વાડીએ પાણી ઠંડું રહે તેમ જ લઈ જવા-લાવવાનું માટીનું પાત્ર જેને બતક પણ કહે છે.

દોહણું / દોણું : ગાય-ભેંસ દહોવા તેમ જ દહીં જમાવવાનું માટીનું પાત્ર કે જે રંગે કાળું હોય છે.

વાઢી :  પ્રસંગોપાત્ત ઘી પીરસવા માટે માટી, તાંબા-પિત્તળની ધાતુનું પાત્ર.

કાથરોટ : રોટલીનો લોટ બનાવવાનું / બાંધવાનું પાત્ર જેને દાથરી પણ ઘણાં લોકો કહે છે.

તાંસળી : શાક, દૂધ, છાશ પીવા કાંસાની ધાતુનું મોટા વાટકા આકારનું પાત્ર.

ટબુડી / ટોયલી : નાનાં બાળકોને પાણી પાવાનું તાંબા / પિત્તળની ધાતુનું નાના લોટા આકારનું પાત્ર.

છાલિયું : શાક, છાશ, દૂધ-દહીં જમતી વેળાએ ભરવાનું પાત્ર.

ઈંધણાં / બળતણ : રસોઈ બનાવવા માટે વપરાતાં લાકડાં.

મંગાળો : ત્રણ પથ્થર કે ઈંટનો કામચલાઉ ચૂલો.

કોઠા : અનાજ ભરવા, સાચવવા માટી-કૂંવળ-લાદમાંથી બનાવેલ સાધન.

સંજેરિયાનો કોઠો. : દહીં, દૂધ, શાક, છાશને ઉંદર, બિલાડી, જીવ-જંતુથી બચાવવા / રક્ષિત કરવા માટેનું માટીનું પાત્ર કે જે આજે ગામડા-ગામમાં પણ નામશેષ થઈ ગયું છે.

સાંબેલું / ખાંડણિયું : અનાજ ખાંડવા / કૂટવા માટે લાકડાનું સાધન કે જેને છેડે લોખંડની કૂંડલી હોય છે.

ઘંટલો / ઘંટુલો : પથ્થરના બે પડવાળી ચક્કી કે જેના દ્વારા અનાજ-કઠોળ ભરડવાનું સાધન.

ઘંટી : અનાજ દળવાનું પથ્થરના બે પડવાળું સાધન.

થાળું : ઘંટી મૂકવાનું માટી / લાકડાનું સાધન.

ટંક : લોખંડના પતરામાંથી બનાવેલ બેગ કે જેમાં કપડાં-લત્તાં મૂકી શકાય.

હડફો : લાકડાની પેટી કે જેમાં રોટલા-રોટલી છાશ-મૂકી શકાય.

મજુડુ :  શ્રીમંત ઘરોમાં સુંદર કાષ્ટકલાની બેનમૂન પેટી કે જેમાં રોટલી – શાક – છાશ – દહીં – ઘી – માખણ મૂકી શકાય એવું ચાર પાયાનું મોટી પેટી આકારનું પાત્ર.

ઢીંચણિયું : જમતી વેળાએ / વખતે ઢીંચણ નીચે મૂકવાનું લાકડા અથવા ધાતુનું પાત્ર. દેશી વૈધો ખાસ તેનો જમતી વખતે આગ્રહ રાખે છે.

પડઘી : તાંસળી નમી ન જાય / ઢળી ન જાય (દૂધ-છાશ )એ માટે તાંસળીની નીચે રાખવાનું લાકડા અગર પિત્તળનું પાત્ર.

શીંકુ : રસોડાના નાટે લટકાવવાનું દોરી-દોરડામાંથી બનાવેલ પાત્ર કે જે દહીં-દૂધ-છાશ બિલાડી-ઉંદરથી રક્ષિત તેમ જ હવા ઉજાસ મળે તેથી બગડે પણ નહીં તેવું પાત્ર (કાવ્ય – માખણ મેલ્યાં છે મેં તો શીકા ઉપર ઝૂલતા …)

ડામચિયો : ઓરડા અથવા ઓસરીની દીવાલમાં મોટું ખાનું, ઘણી જગ્યાએ તે લાકડાનું પણ હોય છે કે જેનાં પર ગોદડાં – ગાદલાં, ઓશીકાં મૂકવામાં આવે છે. (ગુજરાતીમાં કહેવત છે “ડામચિયે દીવો કરો …”

એ જ રીતે ગામડાગામમાં જુદા-જુદા પ્રહર પ્રમાણે નિશ્ચિત શબ્દો હતા જે આજે લોક જુબાનથી લગભગ લુપ્ત થવાને આરે છે. આ શબ્દો કયા-કયા છે તે જાણીએ –

પ્રાગડવાસ : વહેલી સવારનો સમય કે જ્યારે સૂરજનારાયણ ઉદિત ન થયા હોય એ પહેલાનું ટાણું (સમય) જેને મોં સૂઝણું, ભળકડું, સદિયાળું વગેરે તળપદ શબ્દો સૌરાષ્ટ્રના સાયલા-ચોટીલામાં પ્રચલિત હતા.

દી ઉગ્યાટાણું : સૂર્ય ઉદય થયા પછીનો વખત (સમય).

શિરામણ ટાણું : દી ઊગ્યા પછીનો સમય કે જ્યારે ખેડૂત વાડીએ જતાં પહેલાં નાસ્તામાં શીરો અને દૂધ આરોગીને પછી વાડીએ જતો એ સમય.

બપોરા : બપોરનો સમય.

રોંઢા ટાણું : આશરે ૩ (ત્રણ) વાગ્યાનો સમય.ગોરજ ટાણું : વગડે ચરવા ગયેલ ગાયોને સાંજે પરત ફરવાનું ટાણું. (ગાયોના ચાલતી વખતે ઊડતી રજથી પ્રચલિત બનેલો શબ્દ એટલે “ગોરજ”)

રુઝયું ટાણું : સૂરજ અસ્ત પામ્યા પછી પશ્ચિમ દિશામાં પ્રસરેલી લાલિમા કે જેને સંધ્યા ટાણું પણ કહે છે.

ઝાલર ટાણું : સૂરજ આથમ્યા પછી આશરે અડધી કલાક બાદનો વખત કે જ્યારે મોટા ભાગે મંદિરમાં આરતી થાય છે તેથી ઝાલર ટાણું.

વાળુ ટાણું : સાંજના ભોજનની વેળા (સમય)

જળ જંપ્યા ટાણું : મોડી રાત્રીનો સમય કે જેમાં માત્ર નીરવતા છવાયેલી હોય છે.

આ તો ફક્ત દેખીતી નજરે ધ્યાને આવેલા ગણ્યા-ગાંઠ્યા શબ્દોનો જ પરિચય કરાવ્યો છે, બાકી હજી પણ એવા અનેક શબ્દો છે કે જેનો વ્યવહારમાં ઉપયોગ બંધ થતાં એ શબ્દો લોકબોલીએથી આજે લુપ્ત થયા છે. સાચા ગુજરાતી તરીકે આપણી પવિત્ર ફરજ છે કે તેની ચિંતા અને ચિંતન કરીએ, ગામડા-ગામના બુઝુર્ગોને મળીએ, આત્મીયતા કેળવીએ અને આવા સાંસ્કૃતિક ધરોહર સમા આપણાં તળપદ શબ્દો, કહેવતો, શબ્દાવલીઓ મેળવીએ, જાણીએ અને સંચય કરી ગુજરાતી ભાષાનાં ગરિમા અને શબ્દલાલિત્યને જીવંત રાખી આપણું માતૃભાષા પ્રત્યેનું ઋણ અદા કરીએ.

સીનિયર લેક્ચરર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભાવનગર, ભારત

સૌજન્ય : “અખંડ આનંદ” જુલાઈ 2019; પાન 84 થી 87 

Loading

...102030...2,7182,7192,7202,721...2,7302,7402,750...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved