લોકસભા ચૂંટણીમાં કૉન્ગ્રેસની હારની જવાબદારી સ્વીકારીને રાહુલ ગાંધીએ અધ્યક્ષપદેથી રાજીનામું આપી, પક્ષને ગાંધી-નહેરુ પરિવાર સિવાયનું નેતૃત્વ પસંદ કરવા અપીલ કરી હતી. એ પછીના ખાસ્સા ૭૫ દિવસ કૉન્ગ્રેસ માટે આત્મખોજ, આત્મમંથનના બનવા જોઈતા હતા. પણ તેમણે મનામણાં અને સન્નાટાનો માર્ગ લીધો. રાહુલ જ્યારે પોતાની આત્મસ્વીકૃતિથી જરા ય ડગ્યા નહીં ત્યારે કૉન્ગ્રેસ કારોબારીએ કાર્યકારી પ્રમુખ તરીકે સોનિયા ગાંધીની પસંદગી કરી. નહેરુ-ગાંધી ખાનદાનની પાંચમી પેઢીના રાહુલ ગાંધીના રાજીનામા પછી કૉન્ગ્રેસ સોનિયાને પક્ષપ્રમુખ પદે બેસાડે તેના પરથી તેનું આ પરિવાર પ્રત્યેનું અવલંબન તો જણાય જ છે, કૉન્ગ્રેસનું અસ્તિત્વ જાણે કે સોનિયા રાહુલ પ્રિયંકાને કારણે જ છે તેવી છાપ ઊભી થાય છે.
રાજીવ ગાંધીની હત્યા પછી સોનિયા માટે સત્તા હાથવેંત છેટી હતી. તે સમયે તેઓ અને તેમનાં સંતાનો સત્તાથી અળગાં રહ્યાં, પરંતુ નહેરુ-ગાંધી પરિવારના નેતૃત્વ વિનાની કૉન્ગ્રેસ જ્યારે રસાતાળમાં ગઈ ત્યારે ૧૯૯૮માં સોનિયાએ પક્ષનું સુકાન સંભાળ્યું હતું. છ વરસના સંઘર્ષ પછી ૨૦૦૪થી ૨૦૧૪ સુધી તેમણે પક્ષને કેન્દ્રમાં સત્તા અપાવી. જાતે કે રાહુલે સરકારમાં સામેલ થવાને બદલે, અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિંઘને વડાપ્રધાન બનાવ્યા. આ જ સોનિયાના નેતૃત્વમાં ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કૉન્ગ્રેસ સાવ તળિયે પહોંચી ગઈ. આઝાદી પછીના સાત દાયકામાંથી પાંચ દાયકા કેન્દ્ર અને રાજ્યોમાં સત્તા સંભાળનાર કૉન્ગ્રેસને લોકસભામાં વિપક્ષનો દરજ્જો પણ ન મળ્યો. ૨૦૧૭માં રાહુલે કૉન્ગ્રેસ પ્રમુખનો તાજ ધારણ કર્યો ત્યારે તેમણે મસમોટા પડકારો સાથે કાંટાળી કેડી પર ડગ માંડવાનાં હતાં. સત્તાના ઝેરના સમજીવિચારીને ઘૂંટડા ભરવા સાથે શતાયુ કૉન્ગ્રેસને તેના અસલ આદર્શો પર ઊભી રાખવાની હતી.
૧૯૮૪ પછી કૉન્ગ્રેસે પોતાના બળે કેન્દ્રમાં સત્તા મેળવી નથી. તમિલનાડુમાં ૧૯૬૨, પશ્ચિમ બંગાળમાં ૧૯૭૨ અને યુ.પી., બિહાર, ગુજરાતમાં ૧૯૮૫ પછી તે સત્તા મેળવી શકી નથી. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં સોનિયા, રાહુલના મતવિસ્તારની માંડ બે જ બેઠકો પક્ષને મળી હતી કે આ વખતે રાહુલ ગાંધી અમેઠીની લોકસભા બેઠક હારી ગયા છે અને પક્ષે લાગલગાટ બે લોકસભા ચૂંટણી પણ ગુમાવી છે. એ સંજોગોમાં કૉન્ગ્રેસ ગંભીર કટોકટીમાં છે. હજુ લોકસભામાં તેનું વડા વિપક્ષનું સ્થાન અકબંધ છે. પંજાબ, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પુડુચેરીમાં તેની રાજ્ય સરકારો છે. દેશના કુલ મતદાનના ૨૦% મતદારોનું તેને સમર્થન છે છતાં મજબૂત ભા.જ.પા. સામે કૉન્ગ્રેસ અતિ નબળી છે. તેનું સીધું કારણ તો વડાપ્રધાનની લોકપ્રિયતા અને પક્ષપ્રમુખ અમિત શાહની ચૂંટણી રણનીતિ છે. બીજી તરફ કૉન્ગ્રેસમાં જનાધાર વિનાના નેતાઓની ફેજ છે. મોદી-અમિત શાહની જોડીએ ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી જીતી છે એટલે રાહુલના રાજીનામા પછી સોનિયા સામે પાર્ટીના નવનિર્માણનો પડકાર છે. સોનિયા ગાંધી જનાધારવિહોણા ઓલ્ડ ગાર્ડ નેતાઓ પર આધારિત છે. તાજેતરમાં હરિયાણા અને મુંબઈમાં તેમણે કરેલી નિમણૂકો પણ આ બાબતની ગવાહી રૂપ છે. તેઓ પક્ષમાં યુવા કે નવા નેતૃત્વને આગળ કરે તેવી શક્યતા જણાતી નથી ત્યારે પક્ષની કાયાપલટ કઈ રીતે થશે તે સવાલ છે.
સોનિયા ગાંધીનો બે દાયકાનો અને રાહુલ ગાંધીનો બે વરસનો પ્રમુખપદનો સમય ભારતીય રાજનીતિમાં ભારે બદલાવનો રહ્યો છે. રાહુલ ગાંધી ૨૦૦૪માં અમેઠીમાંથી ચૂંટણી જીતી લોકસભાના સભ્ય બન્યા. ક્રમશઃ કૉન્ગ્રેસ મહાસચિવ, ઉપાધ્યક્ષ અને અધ્યક્ષ બન્યા. રાહુલે પક્ષમાં નવા નેતૃત્વને આગળ કરવા પ્રયત્નો કર્યાં હતા, પરંતુ સત્તાનું મોટું કેન્દ્ર તેમનાં માતા સોનિયા હતાં અને તેમને ઓલ્ડ ગાર્ડની ઓથ હતી એટલે રાહુલને ઝાઝો છૂટો દોર ન મળ્યો. રાહુલ માટે ન્યાય ખાતર કહેવું જોઈએ કે તેમના માટે યુ.પી.એ. ૧ અને ૨ના કાળમાં મંત્રી કે પ્રધાનમંત્રી બનવું સહેલું હતું. પણ તેઓ તેનાથી અળગા રહી શક્યા અને સંગઠનને મજબૂત કરવાનું કપરું કામ કર્યું. રાહુલ લાંબોટૂંકો અવકાશ લેતા રહેતા હતા તેના પરથી તેઓની રાજકારણમાં નિરંતર સક્રિયતા જણાતી નહોતી. તેઓ રાજકારણમાં જોડાયેલા નહીં જોતરાયેલા હોવાની છાપ ઊભી થતી હતી. જો કે તેમણે પ્રમુખ તરીકે રાજ્યોની વિધાનસભા અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં જે આક્રમક શાલીનતા સાથે પક્ષની ધુરા સંભાળી પ્રચાર કર્યો તેનાથી તેઓ પૂર્ણ સમયના રાજકારણી હોવાના પુરાવા મળ્યા હતા.
૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં હાર પછી રચાયેલી એન્ટોની સમિતિએ સત્તા મેળવવા કૉન્ગ્રેસને તેની હિંદુવિરોધી છબી બદલવાની ભલામણ કરી હતી. તેને અનુસરીને રાહુલે સોફ્ટ હિંદુત્વનો રાહ લીધો હતો, પરંતુ સંઘ પરિવારના આક્રમક હિંદુત્વ સામે તે ટકે તેમ નહોતો. તેનાથી કૉન્ગ્રેસને ઉચ્ચ વર્ણના હિંદુ મત તો ન મળ્યા પરંપરાગત દલિત અદિવાસી લઘુમતી વોટબેન્ક પણ વેગળી થતી ગઈ. બી.જે.પી.ની મજબૂતી પછી જ્યારે ભારતીય રાજનીતિનો ચહેરો, ચાલ અને ચરિત્ર બદલાઈ ગયાં છે ત્યારે કૉન્ગ્રેસ તેની નરમ હિંદુત્વની નીતિનું શું કરે છે તેના પર તેના ભાવિનો આધાર છે. હાલની કૉન્ગ્રેસ કારોબારીમાં જનાધારવિહીન નેતાઓની બહુમતી છે. દરબારી અને હાઈકમાન્ડકેન્દ્રી રાજનીતિથી તે ગ્રસ્ત છે. બિન-નેહરુ-ગાંધી પરિવારના વડાપ્રધાન નરસિંહરાવે કૉન્ગ્રેસ સંગઠનની ચૂંટણીઓ કરાવી હતી. તે પછી સંગઠનની ચૂંટણીઓ થતી જ નથી કે પચારિકતા થાય છે. પ્રતિબદ્ધ કાર્યકરોના નામે મીંડું અને નેતાઓની ભરમાર એવા સંગઠનના હાલ છે. રાહુલે પક્ષપ્રમુખ પદેથી રાજીનામાના પત્રમાં તેઓ બી.જે.પી. સામે એકલા જ લડતા રહ્યા હોવાની રાવ ખાધી હતી. તેમાં પક્ષના મોટા નેતાઓના વિશ્વાસઘાતની વાત તો છે જ સાથે કૉન્ગ્રેસના મુખ્યમંત્રીઓ અને નેતાઓ પોતાના પુત્રોના વિજયને બદલે પાર્ટીના વિજય માટે કટિબદ્ધ ન હોવાની ફરિયાદ પણ હતી. કર્ણાટક, ગુજરાત અને ગોવામાં પક્ષના ધારાસભ્યો બી.જે.પી.માં જોડાયા છે અને બીજાં અનેક રાજ્યોમાં પક્ષપલટા થઈ રહ્યા છે કે રાજ્યસભાના પક્ષના દંડક અનુચ્છેદ ૩૭૦ની ચર્ચાના દિવસે વ્હીપ આપવાને બદલે ભા.જ.પ.માં જોડાયા તેના પરથી પક્ષના ચૂંટાયેલા સભ્યો કેટલા સત્તાલોભી છે તે જણાઈ આવ્યું છે.
રાહુલ ગાંધી બી.જે.પી. અને કૉન્ગ્રેસ વચ્ચે વિચારધારાની લડાઈનું જે રટણ કરે છે તે બહુ ખોખલું લાગે છે. બી.જે.પી. આર.એસ.એસ.ના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ કે હિંદુત્વ સામે કૉન્ગ્રેસની બિનસાંપ્રદાયિકતા અને સામાજિક ન્યાયની વાતો ખાલી ખખડે છે. બંને પક્ષોની આર્થિક વિચારધારામાં કોઈ પાયાના તફાવત નથી. કૉન્ગ્રેસે માત્ર સરકારની આલોચનાને બદલે વૈકલ્પિક સામાજિક રાજકીય આર્થિક દર્શન મતદારો સમક્ષ રજૂ કરવાનું છે. મંદી અને બેરોજગારીના ઉકેલ પોતાના રાજવટ હેઠળની રાજ્ય સરકારોમાં લાવીને બતાવવાના છે. સત્તાવિહોણી કૉન્ગ્રેસે સત્તાનાં હવાતિયાંને બદલે પોતાની કાયાપલટ કરી મતદારોને વિશ્વસનીય રાજકીય વિકલ્પ પૂરો પાડવાનો પડકાર ઝીલવાનો છે.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 18 સપ્ટેમ્બર 2019