Opinion Magazine
Number of visits: 9576735
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતી સાહિત્ય સૃષ્ટિ અને ગાંધીજી

મનોજ રાવલ|Opinion - Literature|17 August 2019

ગુજરાતી સાહિત્યમાં જાહેર રીતે ગાંધીજીના વજૂદની નોંધ તેમની જિંદગીના ૪૬ વર્ષની ઉંમર સુધી લેવાઈ હોય તેવું લાગતું નથી. અલબત્ત બ.ક. ઠાકોરની સાથે તેમને સ્કૂલના દિવસોથી સંબંધ હતો. પણ ગુજરાતી સાહિત્ય જગતને એ વાત અત્યારના સમયમાં નોંધપાત્ર નથી લાગતી. ભારતમાં આફ્રિકાથી આવ્યા તે પહેલાં ગાંધીજી સારા વાચક, અખબારનવીસ તથા ચળવળકાર તરીકે પ્રખ્યાત બનેલા. પણ આ બાબતોની ગુજરાતી સાહિત્યકારને ખાસ નિસ્બત નહીં. એમ તો ૧૮૫૭ના બળવા સમયે નર્મદ શબ્દકોષની રચના કરતો હતો. પણ તેની સમાજ સાથે નિસ્બત એટલી હતી કે એક વખત તે સુરતથી મુંબઇ વહાણમાં ગયો તો મુંબઈ બંદરે તેનું સ્વાગત કરવા લગભગ દસેક હજાર માણસ એકઠું થયેલું. તેમ ગાંધીજી પણ ગુજરાતમાં લોકપ્રિય હતા. પરંતુ સમાજ પરના ગાંધીજીના પ્રભાવક વલણનો સાહિત્યજગતે સ્વીકાર પ્રમાણમાં મોડો કર્યો. પ્રથમ વખત ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ગાંધીજીના નામની દરખાસ્તને બહાલી મળી ન હતી. એ જમાનામાં રમણભાઈ નીલકંઠ અને ગાંધીજીને સંબંધ એટલા સારા હતા કે રમણભાઈનાં મેલાં કપડાં ગાંધીજીને રૂચતાં નહીં. હળવેથી તે પર નુક્તેચીની થતી. પરંતુ ‘ભદ્રંભદ્ર’ના રચનાકાર જેવા પંડિતોને ગાંધીજી કોશ હાંકનાર કોશિયો પણ સમજી શકે તેવી ભાષા યોજવાનું કહી શકતા. એ જમાનાના નવલકથા જેવા સાહિત્ય સ્વરૂપોની સામગ્રીની ગાંધીજીએ ટીકા કરી હતી. તો પણ ગુજરાતના યુગમૂર્તિ વાર્તાકાર ગણાતા ર.વ. દેસાઈએ પોતાની કેટલીક રચનામાં ગાંધીવિચારને પ્રગટ કર્યો. જો કે ગાંધીજી આવ્યા પહેલાં ‘સરસ્વતીચંદ્ર’કાર ગો.મા.ત્રિ.એ ‘કલ્યાણગ્રામ’ની વાત મૂકી હતી. પરંતુ ર.વ. દેસાઈની ‘ગ્રામલક્ષ્મી’નું અનુસંધાન ‘કલ્યાણગ્રામ’ કરતાં ‘હિંદસ્વરાજ’વાળા ગામડાના મોડેલનું સ્વીકારાયું હોય એવું લાગે છે

ર.વ. દેસાઈની ‘દિવ્યચક્ષુ’થી લઈ ‘હૃદયનાથ’ ઉપરાંત ઘણી કૃતિઓમાં ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમને સ્થાન અપાયું છે.

આ સાહિત્યકાર ગાંધી વિચારનો આદર્શ સિદ્ધ થતો ન અનુભવતાં ‘છાયાનટ’, ’ઝંઝાવાત’ જેવી કૃતિઓમાં સામ્યવાદને પણ નિરૂપે છે. પણ સ્વીકારવું જોઈએ કે તે ગાંધી વિચારનો પ્રતિભાવ છે.

ગાંધીજીની રાષ્ટ્રીય ચળવળ અંગે લખતા તેમના કેટલા ય સાથીઓ ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકારો ગણાયા. જેમ કે સ્વામી આનંદ, કાકાસાહેબ કાલેલકર (જે બાદમાં મુન્શી પછી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બનેલા) જેવાં નામો યાદ કરીએ છીએ. પરંતુ તેમને શુદ્ધ સાહિત્યકાર તરીકે સ્વીકારાયા છે એ રા.વિ. પાઠક વકીલાત છોડી ગાંધી વિચાર અપનાવે છે. એ જમાનામાં તે પ્રયોગશીલ વાર્તાકાર હતા. પરંતુ નિબંધ અને લેખ દ્વારા તે ગાંધીવિચારના પ્રચારક તરીકે કામ કરતાં લાગે છે. એ જમાનામાં અંગ્રેજ અમલદારોના આદેશો કે વહીવટી નીતિ સામે ગાંધીજીનો જે વિરોધ રહેતો તે મુદ્દા ઉપર ઉપહાસની રીતે આલેખી સરદાર વલ્લભભાઈ પટેલની ગાંધી પ્રવૃત્તિને મૂલવતા.

ગુજરાતી કવિતા જગતમાં ઉમાશંકર જોશી અને સુંદરમ્‌ને ગાંધીયુગના પ્રતિનિધિ માનવામાં આવે છે. દલિત, પીડિત, વંચિત, સહન કરનારાના પક્ષે ચાલતી તેમની કલમ ગાંધી પ્રભાવને વ્યક્ત કરે છે. એક વાત એ પણ નોંધવી જોઈએ કે ગુજરાતી સાહિત્ય પર ગાંધીજીનો પ્રભાવ જેવો (જેટલો નહીં) ટાગોરનો પણ હતો. બંનેના સમન્વયનું ઉદાહરણ ઝવેરચંદ મેઘાણી કહી શકાય. અંગ્રેજ શાસનનાં મૂલ્યો સામે ભારતીય મૂલ્યોની ખોજ અને સ્થાપના એ ત્યારના સમયની માંગ હતી. ટાગોરે કહ્યું ‘ધરતી તરફ પાછા વળો’ અને મેઘાણીએ દેશ-પ્રદેશનાં મૂલ્યો મૂકી આપ્યાં. જો કે કેટલાક નોંધે છે કે ‘મન મોર બની થનગાટ કરે’ જેવી રચના જે ટાગોર દ્વારા ઢાકાની મલમલ સમાન સૌંદર્યબોધ આપે અને તે જ રચના મેઘાણીની પાસે આવતા બગસરાનું માદરપાટ બની જાય, તેમ કેટલુંક ગાંધી વિચારમાં પણ બને છે.

ગાંધીજીએ ‘આશ્રમ ભજનાવલી’ દ્વારા ભારતીય સંત સાહિત્યની વિદ્યાશાખાને સ્થાન આપ્યું. જે સ્વતંત્રતા સંઘર્ષ માટે તે એક અનિવાર્ય માંગ હતી. આ વિદ્યાશાખાના શ્રેષ્ઠ અભ્યાસી રહ્યા વિનોબા ભાવે. વિનોબાને આપણે ત્યાં ભૂદાન-ચળવળથી ઓળખીને સ્થાપી દેવાયા છે. વિનોબાનો ધર્મ-અધ્યાત્મ સાહિત્યનો અભ્યાસ એટલો વ્યાપક રહ્યો કે તેમના આ ક્ષેત્રના પ્રદાનનો એક અલગ ગ્રંથ બને. એ વાત યાદ રાખીએ કે ગાંધીજી જે પુસ્તકો જેલમાં વાંચતાં તેમાં ગુજરાતી પુસ્તકોનાં નામો બ.ક. ઠાકોર સૂચવતા. અને ‘આશ્રમ ભજનાવલિ’ના સંપાદનમાં વિવિધ વિચારધારાવાળા લગભગ પચાસ લોકોનો પ્રભાવ હતો.

ખેર, ગો.મા. ત્રિપાઠીનું ‘કલ્યાણગ્રામ’ ગાંધીજીના ‘હિન્દ સ્વરાજ’નું ગામડું આજે તો ગ્રામલક્ષ્મી, ગોપાલગ્રામ, નંદીગ્રામથી લઇ ગોકુળગ્રામ, ઇ-ગ્રામ બની ચૂક્યું છે. પણ ગુજરાતી સાહિત્ય જગતે આ આદર્શ સામે વાસ્તવ જગત પણ રજૂ કર્યું છે. દાખલા તરીકે મડિયાનું ‘લીલુડી ધરતી’ અને ‘શેવાળના શતદલ’ યાદ આવે.

વિધાયક અભિગમવાળા શિક્ષણમાં સ્નેહરશ્મિ તથા કર્મશીલ જયંતિ દલાલની કલમ ગાંધી પ્રભાવના આઘાત-પ્રત્યાઘાત આપે છે. સ્વતંત્ર ભારતમાં ગુજરાતી સાહિત્યકારોમાં ‘દર્શક’ ગાંધીજીને ‘ઝેર તો પીધાં જાણી જાણી’ નિમિત્તે રજૂ કરે છે. ગાંધી હયાત હતા ત્યારે એ ગાંધીજીને બરોબર વ્યક્ત નથી કરી શક્યા. પરંતુ ગાંધી ગયા પછી ગાંધી બળકટ રીતે પ્રગટ થયા. ‘સોક્રેટિસ’, ‘કુરુક્ષેત્ર’, તથા અધૂરી રહેલી ‘લિંકન’ વિષયક કૃતિ ગાંધીની સત્તા અને સમાજ વિશેની વિભાવના પ્રગટ કરે છે. આપણા જ્ઞાનપીઠ વિજેતા સર્જક રઘુવીર ચૌધરી ‘વેણુવત્સલા’ નિમિત્તે ગાંધી નિરૂપે છે. આ લખનારને નરેશભાઈ વેદે જણાવ્યું કે હરમાન હેસની ‘સિદ્ધાર્થ’ સાથે આ કૃતિની તુલના કરી શકાય એટલી સક્ષમ રચના છે.

હરીન્દ્ર દવે ‘ગાંધીની કાવડ’ તથા ‘મોટા અપરાધી મહેલમાં’ નવલકથાઓ આપી આપણે ગાંધીથી કેટલા દૂર નીકળી ગયા તેની યાદ આપી. ગદ્યકારો ઉપરાંત કવિઓએ ગાંધીને યાદ કરીને પુષ્કળ લખ્યું છે.

‘આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો નથી.’ કહેનાર હસમુખ પાઠકથી લઇ રતિલાલ ‘અનિલ’, શેખાદમ આબુવાલા જેવા કવિઓ ગાંધીજીને યાદ કરે છે. રાજેન્દ્ર શુક્લ ગાંધીને રાજઘાટ પર જ યાદ નથી કરતા, આપણા રોજિંદા આરોગ્યની તકેદારી રૂપે કંઈક આ મતલબનું કહે છે : ‘કેટલા છે જીવલેણ રોગો પણ કામ આપતા નથી સત્યના પ્રયોગો પણ’. તો હાલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ સિતાંશુ યશશ્ચંદ્ર ‘ગાંધીડો કઈ બકરીનું દૂધ પીવે ?’ કહી બહેતર સમાજ રચના માટે ઝીલવા પડતા પડકારોમાં ગાંધી-ઉદાહરણો આપે છે. તેમણે એક સારી વાત પર ધ્યાન દોરેલું કે વહાણના પાટિયા પર બેસી લખેલ પુસ્તકના લખાણોમાં કશીક ભૂલ હશે. પણ એ ભૂલો ગાંધીજીએ જીવન દ્વારા સુધારી હતી. તાજેતરમાં ગાંધી દોઢસોમી નિમિત્તે કવિ કમલ વોરાએ ‘પરબ’ સામયિકમાં ગાંધી વિષયક નાની ક્ષણિકાઓ રૂપે રચનાઓ આપી છે, તે ગાંધી સ્મરણનો શ્રેષ્ઠ ઉપક્રમ રહ્યો.

અહીં ગાંધીના પુત્ર હરિલાલ નિમિત્તે લખાયેલ નવલકથા કે કવિ નાનાલાલના ‘પ્રભાતનો તપસ્વી’ અથવા ‘વર્ધાના વંઠેલ’ના સ્મરણનો હેતુ નથી, કારણ કે ગાંધીના મૂળ તત્ત્વને કઈ રીતે પ્રગટ કરવું તે સર્જકની મથામણ હોય છે. ગાંધીની પ્રશંસા કે ગાંધીની ટીકા એ સર્જકકર્મ નથી, એ તો વિચારકો-વિવેચકો-દર્શનિકોનું કામ છે. સર્જક તો એ તપાસે છે કે મૂળમાં ગાંધી કેવી રીતે પ્રગટે. નાટકોમાં કે અન્ય સાહિત્ય સ્વરૂપમાં, ટી.વી., સિનેમા દ્વારા પ્રગટતા ગાંધીજી એ અલગ અભ્યાસનો વિષય છે. હા, એક અન્ય વાત નોંધવી જોઈએ કે ગુજરાતમાં સમગ્ર ગાંધી સાહિત્યનો અભ્યાસ કરનાર વ્યક્તિવિશેષ પણ પ્રાપ્ત થતાં જ રહ્યા છે. જેમકે ચી.ના. પટેલ, દક્ષાબેન પટ્ટણી, રામનારાયણ પાઠક, નગીનદાસ સંઘવી, નારાયણ દેસાઈ, જયંત ગાડીત અને પ્રબોધ પરીખ જેવાં કેટલાં ય નામ ગણાવી શકાય. અત્રે નોંધ મૂકવાનો હેતુ એ છે કે ગાંધીજીએ મુનશી જેવા સાહિત્યકારને ‘પૃથ્વીવલ્લભ’ નિમિત્તે કેવી રીતે જોયા તે તેમનો અભિગમ. પણ સાહિત્યકારોએ ગાંધીજીને કઈ રીતે જોયા છે, તે શોધકર્તાઓ માટે આજે પણ રસનો વિષય બને તેમ છે.

ગાંધી અનુપ્રાણિત ‘જોડણીકોશ’ ગુજરાતી સાહિત્યકારોએ અપનાવેલ પરંપરાનું સહજ ઉદાહરણ છે.

ગુજરાતી વિભાગના નિવૃત્ત વડા, ઉપલેટા કૉલેજ

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, ઑગસ્ટ 2019; વર્ષ – 13; અંક – 141; પૃ. 06-07

Loading

પ્રેમળ જ્યોતિનો પરિચય

‘અમલતાશ’|Opinion - Opinion|17 August 2019

પાટલી છોડીને બહાર

 

ઘણા ઘામ અને ઉકળાટ પછી અચાનક એક ઝાપટું શરૂ થયું. કંઈક અંશે ભીંજાવાથી બચવા અને કંઈક અંશે વરસતા વરસાદની મસ્તીને માણવા હું નજીકના બસસ્ટૅન્ડમાં જઈને ઊભો રહ્યો. જીવનનાં એંસી ચોમાસાં જોયાં હતાં; આથી મને ખાતરી હતી કે આ કાંઈ લાંબું વરસવાનું નથી.

 

“અરે, શાહસાહેબ, આપ … અહીં … અચાનક … ડાબા કાને જરા પહેલી નિવૃત્તિ-વી.આર.એસ. લઈ લીધી હતી. છતાં ‘જમણેરી’ સહાયથી મને થોડીઘણી સમજ તો પડી જ! મેં અવાજની દિશા પકડી. બાજુમાં જ ઊભેલા કોઈક ભાઈની આંખોમાં આત્મીયતા છલકાતી હતી. પણ મારો ચહેરો વૈશાખ-જેઠની બપોર જેવો શુષ્ક હતો. સાહેબ, હું દરજી – કાંતિલાલ દરજી – ૧૯૬૧-૭૪નો તમારો વિદ્યાર્થી’. રંગભૂમિ ઉપરથી પડદો હટે અને આતુર પ્રેક્ષકની ઉત્કંઠાનો અંત આવે તેમ મારા મનપટલ ઉપર દૃશ્ય તરી આવ્યું. “અરે, દરજીભાઈ, તમે … આમ મળાશે તેવું કલ્પ્યું પણ નો’તું.” મેં કહ્યું.

 

કાંતિ દરજી મારા જૂના વિદ્યાર્થી. કૉલેજના વર્ગમાં નિયમિત હાજરી, અભ્યાસમાં બરાબર મન લગાવે અને તેથી હંમેશાં સારા માર્ક્સ તો લાવે જ. વળી અધ્યાપકોના પ્રીતિપાત્ર ! અંગ્રેજી વિષય રાખ્યો હોવા છતાં બી.એ. અને એમ.એ.માં ઘણા સારા ટકા લાવીને નજીકની કૉલેજમાં અધ્યાપક બન્યા હતા.

 

સાહેબ, ચાલો ચા-નાસ્તો કરીએ, તેણે કહ્યું અને સામેની ફૂટપાથ તરફ તેણે ઇશારો કર્યો. બે-ત્રણ મિનિટમાં ચાર-પાંચ કપ ચા આવી ગઈ. દરજીભાઈ બોલ્યા : ‘સાહેબ, મારી કૉલેજની નોકરી ચાલુ હતી, ત્યારે પણ હું બપોર અને સાંજે ગામમાં રખડતો. તમે મને વંચાવેલા સમરસેટ મૉમ, એચ.જી. વેલ્સ, ઇબ્સન, ચાર્લ્સ ડિકન્સ વગેરે મનમાં રમ્યા કરે. સાચું કહું, મને એક વિચિત્ર વિચાર આવતો. આવું સરસ અને માનવીય સંવેદનાઓવાળું વિચારનારા પરદેશોમાં જ કેમ હશે ? અલબત્ત, મને પ્રેમચંદ ગમતા પણ ટાગોર કે શરદબાબુની મધ્યમવર્ગીય વિચારણાની કોઈ અસર મને પડતી જ નહીં.’ ‘આનંદયજ્ઞ’માં થોડોક-થોડોક ઉજાસ દેખાતો, પરંતુ મહર્ષિ ગણાતા અરવિંદ ઘોષ અને અન્ય ‘આધ્યાત્મિક’ ગુરુઓ તરફ મને કોઈ ભાવ પ્રગટતો જ નહીં. ગામમાં ફરતો, વિદ્યાર્થીઓને ઘેર જતો, તેમના ખેતરે જતો અને ક્યારેક તેમનાં નાનાં મોટાં કામ કરી આપવા સરકારી કચેરીઓમાં પણ જઈ આવતો. ચાની ચૂસકીઓ લેતાં-લેતાં એ એકધાર્યું બોલે જતો હતો. મેં પણ મારું ધ્યાન ચાના કપ ઉપર જ કેન્દ્રિત કર્યું. વરસાદ તો હજુ ચાલુ જ હતો.

 

‘સાહેબ, બહુ માથાકૂટ પછી મને લાગ્યું કે તમામ સાહિત્ય, સર્જનાત્મક અને સંવેદના પેટના ખાડામાં છુપાયેલાં છે. જે દિવસે આ વિચારે મારામાં જન્મ લીધો તેની આખી રાત મને ઊંઘ ના આવી. પણ બીજા દિવસે સવારથી – કૉલેજ ગયો ત્યારથી – મારું ચિત્ત હળવું થઈ ગયું હતું. મને મારો મારગ મળી ગયો હતો. ચા પીવાનું માંડી વાળી હું તેના ચહેરાને તાકી રહ્યો. તેનો ચહેરો અચાનક તપેલા તાંબા જેવો દેખાતો હતો. તેના બોલવાનો રણકો પણ જુદો હતો. તેણે આગળ ચલાવ્યું : ‘સાહેબ, હું તમારી જેવા પાસે ભણ્યો ન હોત, તો હું પણ મારા બાપદાદાનો દરજીકામનો ધંધો જ કરતો હોત ને ! ભણ્યો તેથી શું થયું ? કૉલેજના અધ્યાપક તરીકે પગાર તો સારો જ હતો. મેં પાંચ મશિનનો ઓર્ડર આપ્યો. ગામની બહેનોને એકઠી કરી. મહમદ યુનૂસે બતાવેલા માર્ગે બચતમંડળી શરૂ કરી. બહેનોને સીલાઈકામ શિખવાડ્યું. પણ કામ આવડે તેથી આવક થોડી જ થાય ? હવે તેમને માટે ઑર્ડર મેળવવા શહેરમાં ભટકવા માંડ્યો, તપ કરતા કરતા ખાદીહાટોમાં વેચાતાં તૈયાર કપડાં સીવવાના ઑર્ડર મળવા લાગ્યા.’

 

‘કામ વધતું ગયું, માણસો જોડાતા ગયા … બસ, બહુ નહીં તો ય પચાસેક પરિવારોમાં ખુશી ફેલાવી શક્યો, તેનો આનંદ રહ્યો. તે પછી તો હું ય નિવૃત્ત થયો અને અહીં રહેવા આવ્યો. ત્યાં આ જુવાન ભટકાયો.’ સંચે બેઠેલા ભાઈ તરફ નિર્દેશ કરી તેણે કહ્યું.

 

‘હું તો રોજ સાંજે આ બગીચામાં ફરવા આવતો. પણ જીવ દરજીનો તેથી આની તરફ ધ્યાન ગયું. લોકો અહીં પરચૂરણ દરજીકામ માટે આવતા. પણ આને સફાઈબંધ અને સરખું કામ ફાવે નહીં. હું તેની સાથે બેસતો થયો અને હવે સાહેબ તેની પાસે પણ સ્કૂટર છે.’ તેણે કહ્યું.

 

થોડોક સમય ચૂપકીદી પ્રસરી રહી. પછી અચાનક જાગીને કહેતો હોય તેમ તે બોલ્યો ‘સાહેબ, તમે એક વખત વર્ગમાં કહેલુંને – Lead Kindly Light  – પેલા જ્હૉન હેન્રી ન્યૂમેનની ૧૮૩૩ની રચના – તમે  એને પ્રભુપદ કહેતા. ન્યૂમેન નામના યુવા પાદરીની જગતની સેવા દ્વારા ઈશ્વરની સેવા કરવાની વાત તમે કરેલી. પછી ઉમેરેલું. ‘પ્રેમળજ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ’માં નરસિંહરાવ દિવેટિયાએ કેવી અવિસ્મરણીય પ્રાર્થના કરી છે. તે દર્શાવેલું, સાહેબ, મારું બાકીનું બધું ભણવાનું તો ઠીક, આ માણસની સેવા દ્વારા ઈશ્વરની સેવાનો જે વિચાર તમે મારામાં મૂક્યો, તેનાથી હું તો ધન્ય બની ગયો છું.’ તે મારા પગે પડ્યો, મેં તેને માથે હાથ ફેરવ્યો.

 

વરસાદ રહી ગયો હતો. વધુ કાંઈ જ બોલ્યા વગર હું ‘આવજે ભાઈ, કહીને નીકળી ગયો.’

 

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, ઑગસ્ટ 2019; વર્ષ – 13; અંક – 141; પૃ. 23 તેમ જ 05

Loading

પાટલીની પેલે પાર

રિમ્મી વાઘેલા|Opinion - Opinion|17 August 2019

ઑનલાઈન ઍડમિશનના પ્રશ્નો તો અનેક વાર આપણે જોઈ ચૂક્યા છીએ. આજે એક રમૂજી કિસ્સો વર્ણવું છું. તે ઑનલાઈન ઍડમિશન કેટલું ‘પારદર્શક’ છે, તેની પોલ ખોલી આપશે.

મહેશ અમારો જૂનો મિત્ર છે. ટી.વાય.બી.એ. શહેરમાં આવેલી જાણીતી પરંતુ હાલ બંધ થવાના આરે ઊભેલી કૉલેજમાંથી પૂરું કર્યું છે. હાલમાં તેણે એમ.એ. અર્થશાસ્ત્ર વિષયમાં પ્રવેશ લીધો છે. ઑનલાઈન પ્રવેશ પ્રક્રિયાથી પ્રવેશ કેટલી જટિલ પ્રક્રિયા છે, એ તો આપણે જાણીએ જ છીએ. મહેશે પહેલાં તો એલએલ.બી.માં પ્રવેશ લેવાનું નક્કી કર્યું હતું. પરંતુ એલએલ.બી.માં પ્રવેશ મળ્યો નહીં.

એમ.એ.માં પણ પ્રવેશ માટેના નિયમિત રાઉન્ડ પૂરા થઈ ગયા હતા. પણ ‘ઑનલાઈન રજિસ્ટ્રેશન, ઓફલાઈન ઍડમિશન’નો તબક્કો શરૂ થયો એટલે તેણે એમ.એ.માં પ્રવેશ પ્રક્રિયા અનુસરવાનું શરૂ કર્યું. ઓનલાઈન રજિસ્ટ્રેશન – ઑફલાઈન ઍડમિશન એટલે પિન નંબર લઈ, ફોર્મ ઓનલાઇન ભરવાનું અને ઍડમિશન જે કૉલેજમાં જગ્યા ખાલી હોય ત્યાં સીધા જઈને પ્રવેશ મેળવી લેવાનો.

મહેશે જાતે ઑનલાઈન ફોર્મ ભરવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ કોઈ પણ સંજોગોમાં એની ટી.વાય.બી.એ.ની માર્કશીટ અપલૉડ જ નહોતી થઈ રહી. અંતે સાયબર કાફેમાં જઈને તેણે માર્કશીટ અપલૉડ કરવાનો પ્રયત્ન કર્યો. પૈસા લઈને ફોર્મ ભરી આપતી સાયબર કાફેમાં ૨૦૦ રૂપિયા ગયા અને બે દિવસ પણ ગયા. અંતે મહેશે માત્ર પ્રયત્ન ખાતર તેના બીજા મિત્રની માર્કશીટ અપલોડ કરી અને થઈ પણ ગઈ. એ પછી મહેશે વિચાર્યું કે ભલે બીજાની માર્કશીટ અપલૉડ થઈ, કૉલેજમાં ડૉક્યુમેન્ટ વેરીફિકેશન માટે જઈશ, ત્યારે કૉલેજવાળા મારી ભૂલ સુધારી આપશે !

મહેશે પોતાના તમામ દસ્તાવેજ પ્રમાણિત પણ કરાવ્યા, ફી પણ ભરી દીધી, એમ.એ.માં પ્રવેશ પણ લઈ લીધો, તેના વર્ગો પણ ચાલુ થઈ ગયા છે. ના, તો કૉલેજના એ અધ્યાપકને તપાસમાં ખબર પડી કે માર્કશીટ બીજા કોઈની છે, ના તો ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ – સિસ્ટમમાં ખબર પડી કે ફોર્મ ભરનાર વ્યક્તિનું નામ, માર્કશીટમાં દર્શાવેલ નામથી અલગ છે.

મહેશે જ્યારે પહેલાં આ વાત કરી, ત્યારે અમે બધા ખૂબ હસ્યા પણ પછી દુઃખ પણ ઘણું થયું. આ તો મહેશે, પ્રામાણિકતાથી કહ્યું એટલે અમે જાણ્યું. આવા તો કેટલા ધાંધિયા થતા હશે, એની કોને ખબર ! પણ મહેશના કિસ્સાએ ગુજરાત યુનિવર્સિટીના પ્રવેશ પ્રક્રિયામાં પારદર્શિતાના દાવાને સાવ ખોટો સાબિત કરી દીધો !!

ઑલ ઇન્ડિયા ડી.એસ.ઓ.

e.mail : vaghelarimmi@gmail.com

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, ઑગસ્ટ 2019; વર્ષ – 13; અંક – 141; પૃ. 24

Loading

...102030...2,7102,7112,7122,713...2,7202,7302,740...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved