Opinion Magazine
Number of visits: 9576938
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગૌભક્તિ માટેના 2,000 કરોડ રૂપિયાનો હિસાબ કોણ આપશે ?

મનીષી જાની|Opinion - Opinion|21 August 2019

ભારતીય પરંપરામાં ગાયને માતા ગણી પૂજવામાં આવે છે. માનવ જીવનને પોષક નદી હોય કે ગાય, તેને માતાનું સ્થાન અપાય તે સ્વાભાવિક છે.

પૌષ્ટિક આહારરૂપ દૂધ તો ગાય આપે જ છે, તે ઉપરાંત તેનાં મળમૂત્ર ખાતરરૂપે કામમાં લેવાય છે અને તેનાં મરણ બાદ ય હાડકાં, શિંગડાં, ચામડાં બધું ય માનવ જીવન માટે ઉપયોગી જ છે ને ?

આ બધું તો ભેંસ પણ આપે છે. છતાં ય ગાયને કેમ માતાનું મહત્ત્વ ? કદાચ પિતૃસત્તાક સમાજની એ જ માનસિકતા કામ કરે છે કે ગાય પુત્રોને જન્મ આપે છે જે પુત્રો પ્રજોત્પત્તિ ઉપરાંત 'બળદ'રૂપે ખેતર ખેડવામાં અને મુસાફરીને માલ વહન કરવા માટે વાહન સાથે જોતરાય છે. બળદગાડું આપણા દેશના સપાટ પ્રદેશોમાં સદીઓથી લોકજીવનમાં વણાયેલું છે. અલબત્ત, દેશના કેટલાક પ્રદેશોમાં ભેંસના પાડા પણ હળે જોતરાય છે એ આપણે સૌ કોઈ જાણીએ જ છીએ.

ગાયમાતામાં 32 કરોડ દેવતાઓનો વાસ છે અને એટલે એ પૂજનીય છે એવી વાત પણ ધાર્મિક રીતે ચાલી. ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવાની માગણી સાથે વર્ષો પૂર્વે ગૌભક્ત સાધુ-સંતો-બાવાઓ પાર્લામેન્ટમાં બધાં જ પ્રતિબંધો તોડીને ઘૂસી ગયા એ ય મહત્ત્વની ઘટના ભારતીય રાજકીય ઇતિહાસમાં નોંધાયેલી છે.

પરંતુ છેલ્લાં દસબાર વર્ષથી ગૌભક્તિનાં નામે, ગૌહત્યાની અફવા કે અંદેશા માત્રથી જીવતા લોકોને રહેંસી નાંખવાની, માણસહત્યાની ઘટનાઓ દેશભરમાં બનતી રહી છે તે હજારો વર્ષના માનવજીવનમાં અભૂતપૂર્વ, ઐતિહાસિક બાબત તરીકે નોંધવી જ રહી.

પ્રાચીન કાળમાં પશુપાલન પર જ્યારે જન જીવન નભતું હતું ત્યારે ગૌધન જેની પાસે વધુ હોય તે સમૃદ્ધ ગણાતા એ વાત સાચી અને તે સમયે બ્રાહ્મણો અનેકાનેક ધાર્મિક વિધિઓનાં નામે, ગૌદાન મેળવવા કીમિયા કરતા એ ય સાચું પણ 'પવિત્ર ગાય'નાં નામે મનુષ્યહત્યા કરવી એ તો આ આધુનિક અને આજના સમયની દેણ છે એવું લાગે છે.

સાથે સાથે ગાયને એટલી પવિત્ર બનાવી દેવાઈ છે કે જાણે એ એક મનુષ્યજીવનનું ઉપયોગી પશુ નહીં પરંતુ દૈવીશક્તિ ધરાવતો જીવ હોય એવી અંધશ્રદ્ધા પણ આજે રાજકીય મંચો પર ગાજતી રહે છે.

ગયા મહિને જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી રાવતજીએ કહ્યું કે "ગાય જ એક એવું પ્રાણી છે જે ઓક્સિજન લે છે અને ઉચ્છવાસમાં પણ ઓક્સિજન છોડે છે ..! .. તેની નજીક રહેવાથી ટીબી જેવા રોગ નાબૂદ થાય છે.” અને ભોપાલથી ચૂંટાયેલાં સંસદસભ્ય સાધ્વી પ્રજ્ઞાજીનું તો માનવું છે કે ગાયને પંપાળવાથી કેન્સર જેવા રોગ મટી જાય છે ..  તેમનું ખુદનું કેન્સર એ જ રીતે મટી ગયું છે તેવો દાવો પણ જાહેરમાં તેમણે વારંવાર કર્યો છે.

જે રાજકીય પાર્ટી ના આગેવાનો ગાયનું આટલું મહત્ત્વ આંકે છે તે ભારતીય જનતા પાર્ટીએ 2014માં જ કેન્દ્ર ખાતે સત્તા પર આવતાં જ દેશની પવિત્ર ગાયોને બચાવવા રાષ્ટ્રીય ગોકુલ મિશનની સ્થાપના કરી, જેનો ઉદ્દેશ્ય સેંકડો વર્ષોથી આપણા દેશમાં જે દેશી ગાયોની ઓલાદ છે, જાતિઓ છે તેનું સંરક્ષણ અને સંવર્ધન કરવું અને તે ગાયો દેશમાં વધુને વધુ ટકી રહે તે માટે કામગીરી કરવી અને આ માટે થઈ કેન્દ્ર સરકારે 2,000 કરોડ રૂપિયા પણ 2014માં બજેટમાં ફાળવ્યા.

પરંતુ તાજેતરમાં જ દેશભરમાં થયેલી પશુ વસતિ ગણતરીના આંકડા કંઈક જુદી જ વાત આપણને જણાવે છે જે દેશના ગૌપ્રેમીઓ માટે ચિંતાજનક ગણવી રહી.

ગયા વર્ષના ઓક્ટોબરથી શરૂ થયેલી અને આ વર્ષના જુલાઈ સુધીમાં 6,66,028 ગામડાંઓ અને 89,075 શહેરી વિસ્તારોનો સમાવેશ કરતી અને લગભગ 26 કરોડ પરિવારોની મુલાકાત પર આધારિત આ પશુ ગણતરીના આંકડા હજી અધિકારિક રીતે બહાર નથી પડાયા પરંતુ અંગ્રેજી અખબાર ‘ઇન્ડિયન એક્સપ્રેસે’ ગયા અઠવાડિયે જે કાચો રિપોર્ટ તૈયાર થઈ ચૂક્યો છે તેના આંકડા પ્રગટ કર્યા છે.

આ આંકડાઓ મુજબ દેશમાં કુલ અત્યારે 53.30 કરોડ જેટલું પશુધન છે. 2012ની પશુ ગણતરી વખતે તે સંખ્યા 51.20 કરોડની હતી. દેશમાં પશુધન વધી રહ્યું છે તે નોંધપાત્ર વાત છે જ. પરંતુ આ વધતાં જતાં પશુધનનું પશુ પ્રમાણે વર્ગીકરણ કરીએ તો છેલ્લાં સોળ વર્ષમાં હાઈબ્રીડ -ક્રોસબ્રીડ ગાયો એટલે કે જર્સી, હોલસ્ટેઈન-ફ્રિઝિયન જેવી ગાયોમાં 238 % જેટલો જબરજસ્ત વધારો જોવા મળે છે. 1992માં હાઈબ્રીડ ગાયોની વસતિ 1.52 કરોડની હતી જે 2012ની પશુ વસતિ ગણતરીમાં વધીને 3.97 કરોડ નોંધાઈ અને આ 2019માં વધીને 5.14 કરોડ જેટલી થઈ ગઈ છે !

અને તેની સામે દેશી ઓલાદની ગાયો એટલે કે આપણી ગીર ગાય, કાંકરેજી ગાય, સહિવાલ ને રાતી સીન્ધી ગાય જેવી દેશી ગાયોની સંખ્યામાં લગભગ 26 % જેટલો મોટો ઘટાડો આપણા દેશમાં જોવા મળે છે અર્થાત્‌ 18.93 કરોડમાંથી ઘટીને અત્યારે 2019માં 13.98 કરોડ થઈ ગઈ છે.

આ ઘટાડો પશુ વસતિ ગણતરીના જુદાં જુદાં વર્ષો પ્રમાણે જોઈએ તો 2007માં દેશી ગૌધનની વસતિ 16.60 કરોડ હતી, 2012માં તે ઘટીને 15.11 કરોડ થઈ અને અત્યારે 2019માં તે ઘટીને 13.98 કરોડ પર પહોંચી છે.

આ બન્ને વિદેશી અને દેશી ગાયોની વસતિના પ્રમાણમાં ખાસ કરીને દૂધ આપનારી ગાયોની ભેગી વસતિ તપાસીએ તો 2007માં તેની વસતિ 11.54 કરોડની હતી જે 2012માં વધીને 12.29 કરોડની થઈ અને અત્યારે 2019માં વધુ વધારો થઈ 14.46 કરોડની સંખ્યા થઈ ગઈ છે.

આ વધઘટના આંકડાઓનું પૃથક્કરણ કરીએ તો એક જ સીધો અર્થ નીકળે કે જે ગાયો દૂધ આપે છે અને તેમાં ય ખાસ કરીને જે વિદેશી-હાઈબ્રીડ ગાય બોઘેણા ભરી ભરીને વર્ષે દહાડે સાતથી આઠ હજાર લીટર દૂધ આપે છે તેને ઘરને આંગણે કે તબેલાઓ પર ઉછેરવાનું અને તેમાંથી આર્થિક ઉપાર્જન કરવાનું પશુ પાલકોને ખેડૂતો વધુ પસંદ કરે છે.

એનો અર્થ એ પણ થઈ શકે કે ખેડૂતો અત્યારે ખેતીમાં જે બદતર હાલતમાં મૂકાય છે તેઓ પૂરક આવક તરીકે પશુપાલન કરી રહ્યા છે અને પોતાના પરિવારનું પોષણ કરી રહ્યા છે.

બીજી બાજુ ભેંસની વસતિમાં થયેલો વધારો આ જ દૂધનાં બજારની વાત જ આપણી સામે સ્પષ્ટ કરી આપે છે. ગાય કરતાં ભેંસના દૂધની ફેટ ઘણી વધારે હોય છે. બજારમાં જે દૂધની ફેટ વધારે તેનાં ભાવ વધારે !

2007માં દેશમાં ભેંસોની કુલ વસતિ 10.53 કરોડ હતી. જે 2012માં વધીને 10.80 કરોડ થઈ અને આ 2019માં તેની વસતિ 11.01 કરોડ સુધી પહોંચી છે.

બકરીની વસતિ પણ વધી છે. જે 2007માં 14.05 કરોડ જેટલી હતી. તે 2012માં ઘટીને 13.51 કરોડ થઈ અને 2019માં પાછી વધીને વધી ને 14.77 કરોડ જેટલી થઈ ગઈ.

આ બકરીનો વધારો શું સૂચવે છે ? શહેરી કે ગ્રામીણ ગરીબોને ઉછેરવામાં એક માત્ર પશુ તે બકરી જ પોસાય અને તેને વેચવાથી આર્થિક ઉપાર્જન થાય એ જ ગણવું રહ્યું ને ? અને માંસ તરીકે ખાવામાં અને પરદેશ એક્સપોર્ટ કરવામાં સરળ હોવું એ જ ગણવું રહ્યું ને?

અને ઘેટાંના આંકડા જોઈએ તો ઘેટાંની વસતિ ઘટતી દેખાય છે. 2007માં ઘેટાં 7.15 કરોડ હતાં જે 2019માં ઘટીને 6.50 કરોડ થઈ ગયાં.

મોંઘવારીની સાથે સાથે ઘેટાં હવે પરંપરાગત રીતે જે ધાબળા માટેનું ઊન આપનારાં હતાં તે ઘેટાં પરથી ઊનનું કતરણ કરવું અને બજારમાં વેચવું એ આર્થિક રીતે આકર્ષક વાત ભરવાડો માટે રહી નથી એ તો મેં ભરવાડો સાથેની વાતચીતથી જ જાણેલું છે. વળી હવે નવા પ્રકારના કૃત્રિમ ઊનના ધાબળાઓનું ચલણ બજારમાં એટલું બધું વધી ગયું છે કે ઘેટાના ઊનમાંથી બનતા જાડા ધાબળાને બનાવનારા ને ખરીદનારા ઓછા થઈ ગયા છે. એટલે મોટે ભાગે ભરવાડો ઘેટાં વેચવા માટે જ ઉછેરે છે અને તેનો વપરાશ ખોરાક તરીકે જ મહદ્દ અંશે થાય છે તે વાસ્તવિકતા ગણવી રહી.

અને જમીનો પર ખાનગી વર્ચસ્વ વધતાં હવે જ્યાંને ત્યાં ખૂલ્લેઆમ રખડતાં ભૂંડની વસતિમાં નોંધપાત્ર ઘટાડો જોઈ શકાય છે. 2007માં ભૂંડની વસતિ આપણા દેશમાં 1.11 કરોડ હતી તે 2012 માં ઘટીને 1.02 કરોડ થઈ અને 2019માં તે ઘટીને 82 લાખ સુધી પહોંચી ચૂકી છે.

ભૂંડ ખોરાક તરીકે, તેનાં માંસ માટે જ ઉછેરવામાં આવે છે પણ જાહેર જમીનો પર ખાનગી માલિકીનો કબજો વધતાં તેની વસતિ પર ભીંસ વધી હોય એવું માની શકાય ?

સામાજિક-આર્થિક કારણોનાં સંદર્ભે જોઈએ તો આપણું પશુધન બજારને હવાલે થઈ રહ્યું છે એમ કહેવું અસ્થાને નહીં લેખાય.

આ બધાં વિવિધ પશુઓની વસતિની સંખ્યાને ધ્યાનમાં રાખીને સાંઢ-બળદની વસતિની સંખ્યા તપાસવી પણ રસપ્રદ છે.

2007માં સાંઢ-બળદની સંખ્યા પણ દેશમાં જે પશુ ગણતરી થઈ તે મુજબ 8.36 કરોડની હતી. જે ઘટીને 2012 માં 6.79 કરોડ થઈ ગઈ અને 2019માં તેમાં ધરખમ ઘટાડો થયો ને માત્ર ને માત્ર 4.66 કરોડની થઈ ગઈ. છેલ્લાં દસ વર્ષમાં કહો કે 50 % જેટલો ઘટાડો થઇ ગયો !

આનું કારણ તો બળદોને પોષવા ખેડૂતોને હવે પોસાતા નથી એ જ ગણવું રહ્યું ને ?

હજી પચીસ ચાલીસ વર્ષ પહેલાં મોટે ભાગે દરેક ખેડૂતને ત્યાં એક યા બે બળદ તો જોવા મળતાં જ. જે ખેતર ખેડવા તો કામમાં આવતાં જ પણ સાથે સાથે ઘરેથી ખેતર આવન જાવન માટે કે માલસામાન ભરવા કે બીજાં નજીકના ગામે જવા આવવા માટે પણ બળદગાડું ખેડૂતો જોડતા. અરે! લગનની જાન પણ ગામના સૌ બળદગાડાં ભેગા કરીને જ જોડાતી ને ?

પણ ઝડપભેર હવે આ બધું ઓછું થવા માંડ્યું છે. કોઇ કહેશે કે હવે તો ખેડૂતો આધુનિક બની ગયા છે અને ખેતરે ખેતરે ટ્રેક્ટરો ચાલે છે !

સુખી ખેડૂતો – મોટી જમીન ધરાવતા ખેડૂતો માટે ઘરને આંગણે ટ્રેક્ટર રાખવું પોસાઈ શકે પરંતુ જે સીમાંત ખેડૂતો છે, નાના ખેડૂતો છે એમના માટે શું ટ્રેક્ટર ખરીદી ને બળદને બદલે આંગણે રાખવું પોસાય કે ? ચાર પાંચ હજારનાં બળદની સામે ટ્રેક્ટર વસાવવું ન જ પોસાય.

શહેરમાં છૂટક મજૂરી કરતા અને ગામડે ખેતર ધરાવતા એક આદિવાસીને મેં એકવાર પૂછેલું કે બળદ રાખવા સારાં કે ટ્રેક્ટર ? એટલે એણે કહ્યું કે ટ્રેક્ટર તો ક્યાંથી ખરીદવા ના ? એટલાં બધાં રૂપિયા ક્યાંથી લાવવાના ને ટ્રેક્ટર ખરીદીને કરવાનું શું ?

પણ શહેરમાં મજૂરી કરીએ એટલે ગામમાં ખેતીવાડી માટે સમય નથી મળતો યા તો અહીંથી ગામડે જવાનાં બસભાડા અને શહેરની છૂટક રોજી કમાવાની ચૂકી જવાનું હવે પોસાતું નથી એટલે આ વર્ષે મેં એક કલાકના 800 રૂપિયા લેખે ખેતર ખેડવા ટ્રેકટર ભાડે લીધું. નાના- નાના જમીનના ત્રણ ટુકડા ખેડવામાં મેં અઢી હજાર રૂપિયા મેં ટ્રેક્ટરનું ભાડું ચૂકવ્યું.

પણ બળદની જેમ તો ખેતરના જ ખેડાયું. ક્યાંક વધુ ઊંડા ચાસ પડ્યા, ક્યાંક વાવેલાં મકાઈના બીજ ઉપર આવી ગયાં જેને લીધે ઊંડા બીજ બાતલ ગયાં અને ઉપર આવી ગયેલાં બીજને કારણે આ ગયા અઠવાડિયે પવન સાથે જે તોફાની વરસાદ પડ્યો તેને લઈ ઊભાં છોડ આડાં પડી ગયાં ! બધું બાતલ !'

'ટ્રેકટર કરતાં બળદ જ સસ્તાં પડે, ઘાસચારો તો વરસાદ ઓછો પડે તો પણ મળી રહે. પણ આ રોકડા રૂપિયાનો માર બળદ કરતાં ભારે પડે !'

આ દેશના લાખો ગરીબોનાં આર્થિક વિકાસમાં નાનાં નાનાં રોકાણ અને પશુધન ઘણું ઉપયોગી છે.

પણ આપણે હવે બધું મોટું મોટું અને ખોટું ખોટું વિચારવા માંડ્યા છીએ. દેશી ગાયને ગૌમાતા કહીશું પણ શું જર્સી ગાયની પૂજા કરીશું ?એને પવિત્ર માનીશું ?

આપણને એક બાજુ આર્થિક રીતે લાભકારક જર્સી ગાય જોઈએ છે, વધુ ફેટવાળું દૂધ આપતી ભેંસ જોઈએ છે, દેશી ગાયને પૂજીને પણ રસ્તે રખડવા દઈએ છીએ ! આ તે કેવો ગાય પ્રેમ ?પશુપ્રેમ ?

આપણે સૌ ઉપયોગી પ્રાણીઓ અને સૌ માણસોને ભેદભાવ વિના સમાન માનતા ક્યારે થઈશું ?

સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”; 21 ઓગસ્ટ 2019

Loading

સેક્સના ‘સેબ’ની લૂંટાયેલી ટોકરી : એકલતા અને અલગાવની કહાની

રાજ ગોસ્વામી|Opinion - Opinion|21 August 2019

સેક્સ વિશે, મ્હોં મચકોડ્યા વગર, સસ્તી મજાક કર્યા વગર, કોઈ જજમેન્ટ પાસ કર્યા વગર, લખવું એ ચેલેન્જ છે. મારી એક જૂની પોસ્ટ આ વાતની ગવાહ છે. એ ફરી વાઈરલ થઈ, એ જ સાબિતી છે કે, સેક્સ વિશે ગંભીર રીતે વાંચનારા લોકો છે. એક રિ-કેપ: સેક્સના 'સેબ’ની લૂંટાયેલી ટોકરી : એકલતા અને અલગાવની કહાની.

હિ‌ન્દી સાહિ‌ત્યના દિગ્ગજ કહાનીકાર અને 'હંસ’ સામયિકના સંપાદક રાજેન્દ્ર યાદવે 'સ્વસ્થ વ્યક્તિ કે બીમાર વિચાર’ નામની કિતાબમાં, રાની નામની એમની સખી સાથેના પ્રથમ સેક્સ અનુભવની વાતો લખી છે. આપણે એની વિગતોમાં ન જઈએ, પણ એ લખ્યા પછી યાદવ કહે છે, 'વિચારકો હંમેશાં સેક્સ અને મૃત્યુને આપસમાં જોડે છે. જેની સેક્સ લાઇફ સંતુષ્ઠ હોય, એને કોઈ ઈશ્વર કે ભગવાનની જરૂર હોતી નથી. એના માટે મૃત્યુ પણ ભવિષ્યની કોઈ ઘટના છે, જે આવશે ત્યારે જોયું જશે. આનંદની આ અનુભૂતિ દબંગ છે, જે આપણને સંસાર પ્રત્યે બેપરવા બનાવે છે. દુનિયા માટે હું ભલે ગમે એટલો બદનામ હોઉં, મારા પ્રત્યે એટલા જ ઇમાનદાર રહેવાની મેં કોશિશ કરી છે.’

સેક્સ અઘરો વિષય છે. માનવજીવનમાં સેક્સની સ્વભાવિકતા શ્વાસોશ્વાસ જેવી છે, પરંતુ એના વિશેની આપણી સમજ મામૂલી છે. સેક્સની શક્તિનું પરિવર્તન, ઊર્ધ્વીકરણ શક્ય નથી. પ્રકૃતિથી સેક્સ સ્વાર્થી, સ્વકેન્દ્રિ‌ત છે. સેક્સ આદિમ છે. સેક્સનો વિકાસ અસંભવ છે. એટલે જ સમાજ જેટલો વિકસે છે, સેક્સનું દમન એટલું જ વધે છે. સમાજમાં સૌથી વધુ દમન સેક્સનું થાય છે, કારણ કે સેક્સ વ્યવસ્થા-વિરોધી છે, એની પ્રકૃતિ વિભાજક છે. સેક્સથી બચવાનો, એને નજરઅંદાજ કરવાનો આપણો ઇતિહાસ પાંચ હજાર વર્ષ જૂનો છે અને પરિણામ એ છે કે સેક્સથી આપણો ટકરાવ હર વક્ત, હર જગહ થતો રહે છે.

ગયા સપ્તાહે બે જગ્યાએ થયો, થિયેટરમાં અને બુક સ્ટોરમાં. એક તરફ અજય બહલની ફિલ્મ 'બી.એ. પાસ’ સેક્સના અભાવ અથવા અસંતોષમાંથી પેદા થતા ક્રિમિનલ જૂનૂનની વાત કરે છે, ત્યારે એ જ સપ્તાહે પ્રગટ થયેલી ફિલોસોફર એલન ડી બોટોનની 'હાઉ ટુ થિંક મોર અબાઉટ સેક્સ’ નામની કિતાબ, સેક્સ શા માટે આપણા જીવનમાં 'સમસ્યા’ બનીને રહી ગયો છે તેની વાત કરે છે.

સેક્સનો ઇતિહાસ એટલો જ જૂનો છે, જેટલો જૂનો ઇતિહાસ માનવ જાતિના જન્મનો છે. 'બી.એ. પાસ’માં અજય બહલનું ફિક્શનલ અને 'હાઉ ટુ થિંક મોર અબાઉટ સેક્સ’માં એલન ડી બોટોનનું નોન-ફિક્શનલ નેરેશન, સેક્સ પ્રત્યેની આપણી મૂંઝવણ અને મુસીબત એ ઇતિહાસના સંદર્ભ સાથે રજૂ કરે છે.

પ્રસિદ્ધ સાયન્સ ફિક્શન લેખક કાર્લ સગાનના પુત્ર ડોરિયન સગાને, એની દિલચસ્પ કિતાબ 'ડેથ એન્ડ સેક્સ’માં લખ્યું હતું કે 'આપણે પ્રેમ કે સેક્સમાં બીજી વ્યક્તિ સાથે જોડાઈને એ પુરવાર કરીએ છીએ કે આપણો અલગાવ કાયમી નથી.’ આપણી આ સૌથી આદિમવૃત્તિની કહાની એકલતા અને અલગાવની કહાની છે.

સેક્સમાં સરળ કે સહજ થવું અસંભવ છે. સેક્સ સાથેનો આપણો ભાવનાત્મક, સાયકોલોજિકલ, સામાજિક અને પારિવારિક સંઘર્ષ ત્યારથી શરૂ થયો છે, જ્યારથી માણસે એની આદિમ અવસ્થામાંથી બહાર આવીને સંગઠિત સ્વરૂપે રહેવાનું શરૂ કર્યું છે. સેક્સને એટલા માટે જ 'જંગલીવૃત્તિ’ ગણવામાં આવી છે. સંગઠિત જીવન (ઓર્ગેનાઇઝડ લાઇફ) જીવવાના આપણા પ્રયાસમાં આપણે સૌથી પહેલું નિયંત્રણ સેક્સ પર મૂક્યું હતું. એક રીતે જોઈએ તો આપણા તમામ ધાર્મિ‌ક નિયમો, નૈતિક ધોરણો અને કાનૂની સંહિ‌તાઓ સેક્સને રેગ્યુલેટ કરવાની, સંગઠિત કરવાની, 'પવિત્ર’ કરવાની જરૂરિયાતમાંથી આવી છે.

જગતની એક પણ સંસ્કૃતિ સંપૂર્ણપણે મુક્ત સેક્સની અનુમતિ આપતી નથી. એક યા બીજા અંશે તમામ સભ્યતાઓએ સેક્સવૃત્તિને નિયંત્રિત કરવા પ્રયાસ કર્યો છે. 'સેક્સ એન્ડ પનિશમેન્ટ: ફોર થાઉસન્ડ યર્સ ઓફ જજીંગ ડેઝાયર’ નામની કિતાબમાં એરિક બેક્રોવીત્ઝ લખે છે કે ધર્મની જરૂરિયાત જ સેક્સને નિયંત્રિત કરવામાંથી આવી હતી. એલેન ડી બોટોન લખે છે કે, 'સેક્સ આપણી પ્રાથમિકતા ન બની જાય એની ચિંતા માત્ર ધર્મ જ કરે છે. માત્ર ધર્મને જ સેક્સની વિધ્વંશાત્મકતાનો સાચો અંદાજ છે.’

સેક્સ સાથેનો આપણો સંબંધ સંઘર્ષનો, ઇન્કારનો, શર્મનો, અપરાધનો અને ફોબિયાનો છે. સેક્સ આપણા સંતુલન અને વ્યવસ્થાને ખોરવી નાખે છે. પ્રાઇવેટ અને પબ્લિકની આખી ધારણા આપણા સેક્સુઅલ અસ્તિત્વમાંથી આવી છે. આપણી પ્રાઇવેટ ગહરાઈ અનંત અને તીવ્ર છે. આ ગહરાઇ હંમેશાં આપણા પબ્લિક અસ્તિત્વને તિતર-બિતર કરે છે.

પ્રાઇવેટ-પબ્લિકનો આ ટકરાવ બેડરૂમમાં એકબીજાના અલગાવને યથાવત્ રાખે છે. આપણે જેને એકાત્મનું સાધન માનીએ છીએ, સેક્સ હકીકતમાં વિભાજનને મજબૂત કરે છે, કારણ કે સેક્સમાં આપણું મૂલ્યાંકન થાય એનો આપણને ડર લાગે છે. આપણા સાથીદારને પણ આવો વિચાર સતાવે છે, એ હકીકત આપણે નજરઅંદાજ નથી કરી શકતા. સેક્સની ઇમાનદારી અને પ્રમાણિકતા તર્ક અને વિવેકબુદ્ધિથી આગળ જાય છે. ઇન્દ્રિ‌યની પ્રમાણિકતા એટલી ગજબની હોય છે કે આપણે સાવ અજાણી વ્યક્તિ સાથે પણ સૂવા તૈયાર થઈ જઈએ છીએ. સેક્સના ઇન્કાર અને સ્વીકારમાં ગજબનો ફોર્સ છે. આપણે કોઇની સાથે સૂવા તૈયાર થઈએ છીએ, કારણ કે એમાં આપણો સંપૂર્ણ સ્વીકાર છે અને સેક્સનો ઇન્કાર આપણને હત્યા કે આત્મહત્યા સુધી પણ લઈ જઈ શકે છે, કારણ કે એનાથી મોટું અપમાન કે અસ્વીકાર બીજું કશું નથી.

સેક્સ શા માટે? આ સવાલ 'ઊંઘ શા માટે?’ જેટલો જ સરળ લાગે, પણ હકીકતમાં એનો જવાબ વિજ્ઞાનને પણ મળ્યો નથી. આનો પારંપરિક જવાબ એ છે કે સેક્સ પ્રજનન માટે છે. આપણામાં સેક્સ છે, કારણ કે એનાથી આપણે આગામી પેઢીમાં જીવતા રહી શકીએ છીએ. પણ માણસો બચ્ચાં પેદા કરવાનું બંધ થયા પછી પણ સેક્સ કરે છે. ઇન ફેક્ટ કોન્ડોમ, પીલ કે વાયેગ્રાની શોધ જ પ્રજનનથી સામેના છેડાના ઉદ્દેશ માટે થઈ છે.

ઓનલાઈન પત્રિકા, ‘હફીંગ્ટન પોસ્ટ’ની સાયન્સ લેખક કારા સાન્તા મારિયા લખે છે કે માણસો જ નહીં, તમામ પ્રાણીઓ આનંદ માટે સેક્સ કરે છે. ફરક એ છે કે એમને આનંદની ખબર નથી. સેક્સમાં આનંદ ન હોત તો સેક્સ ન હોત અને સેક્સ ન હોત તો પ્રજનન ન હોત, એમ મારિયાનો તર્ક છે. એના કહેવા પ્રમાણે બહુ બધાં પ્રાણી-પશુમાં ઓટોઇરોટિઝમ અથવા માસ્ટરબેશન છે, જે પ્રજનન નહીં પણ આનંદનું સૂચક છે.

પ્રકૃતિએ સેક્સમાં આનંદ કેમ મૂક્યો હશે? એનો કોઈ જવાબ હજુ ઉપલબ્ધ નથી. પરંતુ આનંદને અમર બનાવવાની, પર્મેનન્ટ બનાવવાની, એક ક્ષણના ય દુ:ખ વગરનો સુખનો ખજાનો બનાવવાની માણસની અપ્રાકૃતિક વૃત્તિમાંથી સેક્સ મુસીબત બની ગયો છે. એલેન ડે બોટોન લખે છે કે, 'સેક્સ સીધો અને સરળ છે એ વાત જ વાહિ‌યાત છે. સેક્સને બદલી કે 'સુધારી’ શકાય એમ નથી. સમાજમાં વ્યવસ્થા જળવાઈ રહે અને એક પ્રજાતિ તરીકે આપણી માનસિક તંદુરસ્તી બરકરાર રહે તે માટે અમુક અંશે સેક્સુઅલ દમન અનિવાર્ય છે. આપણામાં કેમિકલ લોચા છે.’

એક બીજા ચિંતક યુ.જી. કૃષ્ણામૂર્તિ‌ આમાં સૂર પુરાવતાં કહે છે, 'મૂળભૂત રીતે આપણે બધા બાયોલોજિકલ છીએ, એમાં સાઇકોલોજિકલ કે સ્પિરિચ્યુઅલ કશું નથી. આપણા શરીરમાં જે પણ કંઇ થાય છે એ ર્હોમોનની બલિહારી છે અને ર્હોમોનના લોચા નૈતિક આચારસંહિ‌તાઓથી નહીં પણ કેમિકલ પરિવર્તનથી જ બદલી શકાય છે.’

'બી.એ. પાસ’ના પ્રારંભિક દૃશ્યમાં જ કિટ્ટી પાર્ટીમાં સેવા કરતા મુકેશને જોઈને સારિકા કહે છે, 'કલ ઘર આ જાના. સેબ કી ટોકરી રખી હૈ’ સેક્સની બદમાશીથી સુપરિચિત મોટાભાગના વયસ્ક દર્શકોને પ્રતિબંધિત 'સેબ કી ટોકરી’નું સિમ્બોલીજીમ ત્યારે જ સમજાઈ જવું જોઈતું હતું, પરંતુ એટલો સહજ હોય તો સેક્સ શાનો? મુકેશની એ 'કલ’ કયામતની છે, એવી મોડી ખબર આપણને ત્યારે પડે છે જ્યારે સારિકા બીજા દિવસે' એના વાંકોડિયા વાળમાં હાથ પ્રસરાવતાં કહે છે, 'તુમને આને મેં દેર કર દી. સેબ કી આખરી ટોકરી બચી થી વો મૈંને આજ સુબહ હી દે દી. ભૈયા કે બગીચે સે જલ્દ હી ઔર આ જાયેંગી.’

વધતા ઓછા અંશે, સેક્સના મામલે આપણા તમામની 'સેબ કી ટોકરી’ લૂંટાયેલી જ રહી છે.

(August 19, 2013)

https://www.facebook.com/raj.goswami.31/posts/2652741311442862  

Loading

‘ળ’ કોઈનો નહીં — નહીં; ‘ળ’ કવિતાનો

કમલ વોરા|Opinion - Literature|21 August 2019

બારાખડી ભણતું બાળક ક કમળનો કે ક કલમનો, ખ ખલનો કે ખ ખડિયાનો, ગ ગણપતિનો કે ગ ગધેડાનો એમ શીખે છે, પણ ળ અને ણ એ બે વર્ણો પાસે એ અટકી જાય છે. એને કહેવામાં આવે છે, ળ અને ણ કોઈના નહીં. ળ કોઈનો નહીં સ્મૃતિમાં દૃઢપણે જડાઈ જાય છે. ળ કોઈનો નહીં — ની શીખ બાળમાનસને ગોઠતી નથી, એનાથી સ્વીકારાતી નથી એટલે તે ચિત્તમાં ઘૂંટાતી રહી એને જંપવા નથી દેતી.

પ્રસ્તાવનામાં જ કહેવાયું છે કે બાળપણમાં પિતરાઈ ભાઈઓ કવિને ળળળળળ કહીને ચૂપ કરી દેતા ત્યારે તે ળની એમને દયા આવતી અને સાથોસાથ તેની તાકાતનો પણ પરચો થતો. જે નિર્દોષ પણ દમનકારી બાળચેષ્ટા હતી તે આગળ જતાં તેમને અવળા ખપમાં આવી. અંદર અને બહારથી આવતા અને ચૂપ કરવા મથતા તમામ અવાજોનો, તમામ પરિબળોનો પ્રતિકાર કરવા એ જ ળ વહારે આવ્યો! આમ ળળળ … એ પ્રતિકારનો શબ્દ છે, ચૂપ ન થવાની હઠનો શબ્દ છે. એ આક્રોશભર્યો ઓછો અને વિનયપૂર્વકનો હઠાગ્રહ ઝાઝો છે. પ્રતિષ્ઠા પંડ્યા અંદર અને બહારથી આવતા તમામ અવાજો પ્રત્યે સભાન છે અને પ્રતિકાર માટે સ્પષ્ટ છે. એમનાં કાવ્યોએ તમામ વિશેષણમાં ઘણું બધું સમાવ્યું છે. ચૂપ કરી દેવા પ્રવૃત્ત માત્ર બાહ્ય — સામયિક કે સામાજિક કારણો જ જો હોત તો એમના પ્રતિકારનો શબ્દ પ્રતિબદ્ધતાને વ્યક્ત કરનારો શબ્દ બન્યો હોત, ઝુંબેશનો સ્વર બન્યો હોત. એમ બન્યું હોત તો ભાવક તરીકે આપણને મર્યાદિત રસ જ પડ્યો હોત, કદાચ કવિને પણ. પ્રતિષ્ઠા પંડ્યાનાં કાવ્યોમાંથી પસાર થતાં લાગે છે, અનુભવાય છે કે એમને ચૂપ કરવા મથતાં, ચૂપ કરતાં જતાં અંતરબાહ્ય તમામ પરિબળો અને કારણોથી એ સભાન અને પૂરતાં સભાન છે. જેમ બાહ્ય કારણો અનેક છે તેમ જ આંતર કારણો — સંસ્કારનાં, ઉછેરનાં, સ્ત્રી હોવાનાં, રોજિંદાપણાનાં, સહજીવનનાં, ભયનાં, આકાંક્ષાઓનાં, અપેક્ષાઓનાં, હતાશાનાં, કંટાળાનાં એમ અનેક છે અને તે સઘળાં કવિના શબ્દને ચૂપ કરવા ઉત્સુક છે, ઉદ્યમી છે અને ત્યારે કવિને એ તમામને ળળળ … કહેવું છે, એમણે કહ્યું છે. એમને ઉત્તેજિત અને આનંદિત કરી મૂકતી આ એમની નાનકડી જીત છે; કોઈને ય હરાવ્યા વિનાની. આ કવિતા ચળવળની ન હોઈ, મુક્તપણે વિહરે છે અને ભાવકને પણ સહૃદયતાપૂર્વક નિમંત્રે છે! એમની કવિતામાં આપણને રસ પડે છે, આપણો રસ જળવાઈ રહે છે.

કાવ્યપ્રક્રિયા માટેની આ ઉલ્લેખી તે સ્પષ્ટતા અને સભાનતા સંગ્રહના પહેલા કાવ્યથી જ દેખાય છે. આ કાવ્ય જાણે ળળળ …નું ઉચિત પ્રવેશક છે. નિષ્ફિકર અને નિર્ભયપણે કવિ કહે છે, કહોને કે પડકાર ફેંકે છે : મારી પાંખો કાપો, પગમાં બેડીઓ નાખો, મારી કેડીઓ ઉજાડો; હું તો સરાણિયા પાસે લાલપીળી ચકમક ઉડાડતી, જિંદગીના પથ્થર પર બંને બાજુ રૂપેરી કોર ચમકાવતી, જીભને બેધારી કરી રહું છું! કાવ્યના શબ્દો આમ છે :

ળળળળળ … …


એકમાત્ર જીભના બળ પર


હું લડતી રહું


પંખ છોને કાપ મારી


નાખ પગમાં બેડીઓ


ચાહે તો જા, તું ઉજાડ


સારી કેડીઓ.


… …


મારી બેધારી જિહ્વાની અસર


તેં હજી જાણી નથી. (સરાણિયો, પૃ. ૧૭)

પણ કવિના આક્રોશને અંકુશમાં રાખતો કાવ્યવિવેક આ બેધારી તલવારને કાગળ પર ફેરવી લોહીલુહાણ કરવા તત્પર છે! આ કાવ્યની પહેલી પંક્તિમાં જીભને વધુ ધારદાર બનાવવા હેતુપૂર્વક પાંચપાંચ ળ છે! સરાણિયો થઈને શબ્દની ધાર કાઢતા રહેવું તે જ તો કવિકર્મ છે, કવિતાની સાર્થકતા છે. આ ભાવ લે કાવ્યમાં પણ પડઘાય છે. હાથ-પગ કપાઈ ગયા પછીનું કાવ્યનાયિકાનું ધડ છૂટી પડી ગયેલી ગરોળીની પૂંછડીની જેમ છૂરાના ઘામાં છટપટતું હોય ત્યારે કવિને ખુમારીપૂર્વક કહેવું છે :

હવે હું ઊડું છું


મુક્ત ગગનમાં


એમની નજર કરતાં ય


બહોળો વિસ્તાર છે


મારી પાંખનો


તેં મને દોડતાં રોકી


લે, હું હવે આકાશમાં ઊડું છું! (લે…!, પૃ. ૨૫)

અહીં લે-નો ખુમારીભર્યો રણકો સાંભળવો ગમે છે.

પ્રતિકારનો શબ્દ અગ્નિદાહ (પૃ. ૨૧) કાવ્યમાં જુદું જ રૂપ લઈને આવે છે. સ્ત્રીવિશેષના અનુભવો નિરૂપતાં કાવ્યો વચ્ચે પિતાના અવસાનને વર્ણવતું આ કાવ્ય ભાવક માટે ચોંકાવનારું છે. ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં પિતાના મૃત શરીરને અપાતા અગ્નિદાહનું અહીં નિર્મમ વર્ણન છે જે ભાવકને પણ દઝાડે છે. મૃત શરીરને દાહ આપતો માણસ જ જાણે જીવંત વ્યક્તિને દાહ આપતો અજાણ્યો જલ્લાદ બની જાય છે. પિતાને દેવાયેલો અગ્નિદાહ સાથોસાથ પુત્રી પણ અનુભવે છે. વેદના અનુભવ્યા વિના એક શરીર ભસ્મ થઈ જાય છે, બીજું ભસ્મ થયા વિના પારાવાર દાહકતા અનુભવે છે.

પણ પપ્પાના શરીરની જેમ


શરીર ભસ્મ થતું જ નથી! (અગ્નિદાહ, પૃ. ૨૪)

આ સંગ્રહનાં કાવ્યોને એમણે ક, ખ, ગ … એમ છ વિભાગોમાં હેતુપૂર્વક અને સમજણપૂર્વક ગોઠવ્યાં છે. દરેક વિભાગ એક વિશિષ્ટ વિષય કે ભાવને કેન્દ્રિત કરે છે. ક વિભાગનાં કાવ્યોમાં કિશોરી મટીને, કલ્પનાના સ્વૈરવિહારો ભંગ થયા પછીના રોજિંદા જીવનની જવાબદારીઓ વેંઢારતી સ્ત્રીની વ્યથા-કથની છે. વાસ્તવિકતાને સહન અને સામનો કરતી નાયિકાનો વલવલાટ છે. સંવેદનાને કહેવાતી કે કૃતક સંસ્કારિતાથી કવિ વેગળી રાખી શક્યાં છે એ કારણે એમની અભિવ્યક્તિમાં નિર્ભીકતા અને સાહસ આપણને વારંવાર નજરે ચડે છે.

ગીધડાંને ક્યાં પડી છે


મડદું ભૂખ્યું છે કે તરસ્યું છે (મિજબાની, પૃ. ૪૧)

ગૃહિણી થયા બાદ ઘરસંસારને કારણે જીવનમાં આવતી યાંત્રિકતા ને તેને લીધે થતી ગૂંગળામણને આ વિભાગનાં ઘણાં કાવ્યો યથાતથ પણ તારસ્વરે નિરૂપે છે. ખેલ (પૃ. ૨૭), પ્રેમિકા (પૃ. ૩૫), કવિતા કર … (પૃ. ૩૯)ને આ દૃષ્ટિકોણથી જોઈ શકાશે. જો કે વારતા (પૃ. ૧૧) અને પાનખર (પૃ. ૨૦) જેવાં કાવ્યો અનપેક્ષિત આશ્ચર્યો આપવામાં નિષ્ફળ નીવડે છે.

ખ વિભાગનાં કાવ્યોમાં એ જ રોજિંદા ગૃહિણીજીવનની વેદનાઓ હવે વધુ કાવ્યાત્મક અભિવ્યક્તિ તરફ ગતિ કરે છે. હવે લક્ષ અનુભૂતિ પરથી અભિવ્યક્તિ પર ખસે છે. કાવ્યો રૂપકોનો આધાર લઈને વધુ પરિપક્વ બને છે જેમાં કવિ તરીકે એમનો થઈ રહેલો વિકાસ નોંધી શકાય છે. મોટા ભાગે ઘરના કે પોતાની ગૃહસ્થીના પરિવેશને અગાઉનાં કાવ્યોમાં ખપમાં લેતી કવિનજર હવે ઘરની બહાર, આંગણામાં, વૃક્ષો, સવાર આદિ સામગ્રી તરફ વળે છે. ભીતરી ઊથલપાથલને બાહ્ય પ્રકૃતિ સાથે અનુબંધિત કરવાનો પ્રયાસ શરૂ થાય છે. એમ કરવાને લીધે એમની અનુભૂતિની ત્રિજ્યા પણ વિસ્તરે છે.

તારા શરીરના


તામ્રવર્ણ વળાંકોમાં


ઊડે છે અલપઝલપ


સોનેરી પતંગિયાં (સવાર, પૃ. ૫૧)

અલબત્ત, આ વિભાગનાં કાવ્યોનો વિષય તો — ભોંકાયેલી પેન્સિલની અણીએ હથેળીમાં કોરેલી કણીમાં લાવાની જેમ ધસમસ વહી આવતો પ્રેમ ભડકે બળે છે, નાયિકાને બાળે છે— તે જ રહે છે. (સંદર્ભ : ઘાવ, પૃ. ૬૫) આ બધાં કાવ્યોમાં પીંજરામાં પુરાયેલા પંખીની એકલતાની વેદના નથી પરંતુ ઊડવા, ઊડી જવા મથતા પણ ઊડી ન શકતા પંખીનો તલસાટ છે. અહીં નિરાશા કરતાં નિરુપાયતાની માત્રા વિશેષ હોય એવું લાગે છે. આ પ્રકારનાં કાવ્યોમાં મુખર થઈ જવાનું ભયસ્થાન હોય છે અને સભાનતા દ્વારા એનાથી બચવાનું હોય છે. ઝાંઝર (પૃ. ૬૬) કાવ્યમાં યાદોની યાદીથી લગભગ બોલકી થઈ ગયેલી કવિતા છેલ્લે વેરાઈ ગયેલી ઘૂઘરીઓને સમેટીને ઝાંઝર પહેરાવવાની વાતે ઊગરી જાય છે. જો કે વ્યંગ (પૃ. ૬૯) કે મહેલ (પૃ. ૭૧) સામાન્ય કાવ્યો થવામાંથી બચી શકતાં નથી.

ગ વિભાગમાં નાયિકા માત્ર કોઈ પરિણીતા નથી, સપનાં રોળાયેલી કૌટુંબિક સ્ત્રી નથી, પણ સ્ત્રી છે અથવા ખરેખર તો એક વ્યક્તિ છે. વ્યક્તિને સુખ-દુઃખ છે, આકાંક્ષાઓ-હતાશા છે, એકલતા-વિફળતા છે અને એટલે ખાલીપો (પૃ. ૧૦૦) જેવું, તરત જ ગમી જાય એવું કાવ્ય મળે છે. ખાલીપો એક બહેનપણી કે કોઈ વહાલસોયું અથવા તો કોઈ અજાણ્યું, અણગમતું જન હોય એમ પાત્રરૂપે આવે છે. કોઈ અન્ય વ્યક્તિ હોય એમ વર્ણવાયેલો ખાલીપો, સરવે કાને કવિતા સાંભળતાં પ્રતીતિ કરાવે છે આ તો અળગો, આઘો રાખવા ધારેલો પોતાનો જ અવિભાજ્ય અંશ છે!

ત્યાં તો દૂધવાળાની દરવાજે


ઘંટડી પર ઘંટડી


ને ઝબકી, મૂકતો પોક


બાઝે સજ્જડ મને વળી પાછો


કોઈના ગયા પછીનો 


આ સાવ એકલો ખાલીપો. (ખાલીપો, પૃ. ૮૨)

વાંચતાં વાંચતાં ચૂંટીને ગજવે મૂકી દેવા જેવું આ કાવ્ય છે. એ જ પ્રમાણે દિવસ(પૃ. ૧૦૪)માં કોઈ પ્રેમી હોય એવું સજીવારોપણ છે. આવી કાવ્ય-પ્રયુક્તિઓને લીધે વાચકનો રસ જળવાઈ રહે છે.

ઘ વિભાગમાં બાળપણની સ્મૃતિઓ અને ખોવાઈ ગયેલી સૃષ્ટિનાં કાવ્યો છે. બાળપણની સ્વપ્નનગરીનાં અનેક પાત્રોમાં માનું પાત્ર વારંવાર ભરાઈને આવે છે. કાવ્યનાયિકાનો મા સાથેનો સંબંધ, એ સમય માટેનો હિજરાટ આર્તસ્વરે પોકાર કરે છે. અહીં એ પણ નોંધવું જોઈએ કે અન્ય કાવ્યોની જેમ અહીં પણ માને એક દીકરી, એક સ્ત્રીના દૃષ્ટિકોણથી જોવામાં આવી છે અને એટલે વિગતો કોઈ દીકરી જ ત્વરિત નોંધી શકે એ રીતે નિરૂપાઈ છે. (જુઓ, કાવ્ય સ્મૃતિકિરણ, પૃ. ૧૩૦) કે —

શણગારતી ઘર-વરંડો-ગોખલો એકેક


એ ટગમગતા અજવાળાંએ


ના અજવાળતી


ધૂંધળી આંખો


આંખ મહીં ઊંડાશા


અંધારિયા નિર્જન ઓરડા (દિવાળી, પૃ. ૯૯)

હૉસ્પિટલમાં (પૃ. ૧૩૩) કે મા મરી ગઈ (પૃ. ૧૩૮) કાવ્યો હૃદયદ્રાવક છે. કાવ્ય પછી કાવ્યમાં મા-દીકરીના સંબંધ અને વિરહનું વર્ણન કરુણને ઘૂંટી ઘૂંટી કાવ્યાત્મકતા સિદ્ધ કરવા પ્રેરાય છે, કરે છે. મા મરે પછી પપ્પા સાવ બીકણ ફોશી થઈ જાય (મા મરે પછી, પૃ. ૧૪૬) તે નિરીક્ષણ જીરવવું કપરું બને એમ છે.

ળ વિભાગમાં પ્રતિષ્ઠા પંડ્યાનો કવિઅવાજ સ્પષ્ટ અને પોતીકી રીતે, અનોખો અને અલાયદો થઈને ભરે છે અને મારા મતે આ ળ વિભાગ સંગ્રહનાં ઉત્તમ કાવ્યોને સમાવે છે. અનેક પૌરાણિક પાત્રોને લઈ અહીં કાવ્યો રચાયાં છે; પણ આ કાવ્યોમાં જે તે પાત્રના જીવનનું પુનઃકથન નથી કે નથી એ પાત્રોને નિમિત્ત બનાવીને પોતાની સંવેદનાને વહન કરાવવાનું કોઈ પ્રયોજન. અહીં તો એ પાત્રની સંવેદનાનો તાણો લઈને એમાં પોતાની સંવેદનાનો વાણો વણીને ભાત રચવામાં આવી છે જે ભાવકને તોષ કરાવતો કાવ્યાનુભવ આપી રહે છે. આ કાવ્યોમાં સ્ત્રી-પુરુષનાં જાતીય સંવેદનો અને આવેગોના અંકનમાં છોછ રાખ્યા વિના આરંભથી જ જે સાહસિકતા વારંવાર દેખાતી હતી તેનો વધુ હિંમતભેર ઉપયોગ થયો છે. આ કાવ્યયુક્તિ એમને આપોઆપ એક મુક્ત અવકાશ રચી આપે છે જેનો તેઓ ભારે સૂઝથી વિનિયોગ કરે છે.

દ્રૌપદી કાવ્ય દ્રૌપદીનું છે એટલું જ અર્જુનનું કાવ્ય પણ છે!

એ પૂછતો દ્રૌપદીને


કે એનો કયો સમય સૌથી વધુ ગમે છે


પાંચ ભાઈઓમાંથી એને સૌથી વધુ કયો ગમે છે?
 (દ્રૌપદી, પૃ. ૧૧૭)

અર્જુનના પ્રશ્નમાં રજૂ થતા સંવેદનમાં કવિએ ખાસ્સું સાહસ દેખાડ્યું છે અને એમ કરીને એને હાડ-માંસનો માણસ બનાવ્યો છે. આ મનુષ્યસહજ પ્રશ્નમાં છતી થતી કવિની મનુષ્યનિસબત, પાત્રનો સ્થળકાળનો સંબંધ બદલી નાખે છે. દ્રૌપદી માટે એને પ્રાપ્ત પરિસ્થિતિ કે સ્ત્રી તરીકેની નિયતિથી ઊગરવાનો કદાચ એક જ ઉપાય છે કે તે બંનેથી લિપ્ત થયા વગર એ રાસની કલ્પનામાં રમમાણ રહી કૃષ્ણ સાથે અનુસંધાન કરી લે.

ગોળ


ગોળ


ગોળ


ગોળ


ફરે છે દ્રૌપદી


ને મનમાં તો


કૃષ્ણને સ્મરે છે! (દ્રૌપદી, પૃ. ૧૧૭)

આગવી અને અનોખી રીતે, દેખીતા પૌરાણિક કાવ્યવિષયને ગ્રહણ કરવાની રીતિ આ ગુચ્છનાં કાવ્યોથી આ સંગ્રહનો એક મહત્ત્વનો ખંડ રચાય છે અને પ્રતિષ્ઠા પંડ્યા આપણાં અભિનંદનનાં હકદાર બને છે. આ અને આ પ્રકારનાં કાવ્યોમાં સ્ત્રીના વિશિષ્ટ દૃષ્ટિકોણથી નિર્ભીકપણે આલેખાયેલાં જાતીય સંવેદનો આજે લખાતી ગુજરાતી કવિતામાં પણ કવિનો તાજો અને જુદો અવાજ સંભળાવે છે. અને જો ઝીણી નજરે જોઈએ તો આ કાવ્યો કોઈ પણ લાચાર છતાં ઉન્નત મસ્તક સ્ત્રીનાં જુદી જુદી રીતે થતાં શારીરિક શોષણનાં કાવ્યો છે.

સત્યની અનુભૂતિ જો શરીર સોંસરી છે


તો શરીર શું અસત્ય છે? (અહલ્યા, પૃ. ૧૧૯)

દ્રૌપદી હો કે અહલ્યા કે ગૌતમી કે ગાંધારી આ તમામ પાત્રોને ખરેખર તો કવિએ પડકાર અને પ્રતિકારનો શબ્દ ળળળ … જીભવગો કરી આપ્યો છે. સાંભળવો છે આવો એક વધુ ળળળ … અવાજ?

પણ મારા મનમાં વિસ્તરતી ક્ષિતિજોને


નાનો પડવા લાગ્યો તારો ઘડો


ને એક દિવસ હું ચાલી નીકળી


તોડીને ઘડો


તરછોડીને જળાશયો


મૂકી વહેતી બાંધેલી નદીઓ


ભૂલીને મનુની હોડી


હું ચાલી નીકળી


બની એક વિશાળકાય માછલી (મત્સ્યાવતાર, પૃ. ૧૨૬)

ભાષાની હિંસકતા, તીવ્રતા અને વિચારોની સ્પષ્ટતા દ્વારા અવતારવિષયક જુદાં જુદાં કાવ્યોમાં કવિએ એ સૂરને ઘૂંટી ઘૂંટીને આ સંગ્રહની ઉત્તમ પ્રાપ્તિ બનાવી છે! મેં અગાઉ નોંધ્યો તે મુદ્દો કે આ તમામ પૌરાણિક પાત્રોને કવિતાએ જીવતા, સંવેદનશીલ મનુષ્યો બનાવ્યા છે અને તેનું અનુમોદન સંગ્રહની છેલ્લી કવિતામાં મળી રહે છે.

પણ આંખ સામે આંખ


કદી માંડશો


તો છલકાઈ ઊઠશે


એની દાબીને રાખેલી લાગણીઓ


સાવ દુન્યવી, આર્ત, ગભરુ, વિહ્વળ


ને તમે જોશો


નવવધૂની જેમ એ સૌને સંકોરી ઊભેલી


એક સાવ એકલી નારી. (એક દુર્ગા એક નારી, પૃ. ૧૩૪)

પૌરાણિક પાત્રોને આ કાવ્યોમાં દેહધારી મનુષ્યો બનાવી પ્રતિષ્ઠા પંડ્યા સરાણિયા પાસે ધાર કઢાવેલી બેધારી છરીથી અડે છે. લોહીલુહાણ થવું અપેક્ષિત છે, અનિવાર્ય છે, પણ ફળસ્વરૂપ એક સંતર્પક કાવ્યાનુભવ મળે છે.

કૃતક અને પોચટ લાગણીવેડામાં લપેટાઈને કાવ્યપ્રવૃત્તિમાં રચ્યા રહેતા ઘણા નવલખિયા મિત્રો માટે આ કાવ્યસંગ્રહ એક ઉદાહરણ છે. એવા વાતાવરણમાં પોતાના જુદા અવાજ માટે કોઈ કવિ મથે ત્યારે આ કપરા સમયમાં કવિતાનું હવે શું થશે એ પ્રશ્ને થતી અવારનવાર મૂંઝવણ માટે આપણને નિશ્ચિત જ હૈયાધારણ મળે છે કે ઊગરી જવાની હજુ શક્યતા છે!

સહૃદય ભાવક તરીકે આપણે કહેવા ઇચ્છીએ છીએ, કહી શકીએ છીએ કે ળ કોઈનો નહીં— નહીં; ળ કવિતાનો!

પણ ળ ને કવિતાનો કરી લીધા પછી શું? દરેક કવિતાયાત્રા પૂરી થયા પછી ફરી એકડે એકથી જ કવિતા શરૂ કરવાની હોય છે. સાચો કવિ દરેક કવિતા વખતે પહેલી વાર કવિતા લખતો હોય એવું અનુભવે છે. એને જો લાગે કે એણે કવિતા તો લખી લીધી, તો પછી કવિતા લખવાનો કોઈ અર્થ નથી રહેતો. અને એટલે ળ પછી ફરી ક જ ઘૂંટવાનો હોય, ઘૂંટવો જોઈએ! અને એમ ફરી આરંભાતા એક નવા, એક જુદા ક વિભાગમાં સાત નગરકાવ્યો દ્વારા કવિતાનો નવો અને જુદો આયામ પ્રસ્તુત થાય છે. આ ક સાથે અનુસંધાન જાળવીને પ્રતિષ્ઠા પંડ્યા ફરી કવિતાના ળ સુધી પહોંચે એવી શુભેચ્છા રાખી, ગુજરાતી કવિતામાં ળળળ … નું હરખભેર સ્વાગત કરું છું.

[પ્રતિષ્ઠા પંડ્યાના “ળળળ …” નામક કાવ્યસંગ્રહનો ઉપોદ્દઘાત; પૃ. 05 થી14]

“ળળળ …” : કાવ્યસંગ્રહ : કવયિત્રી – પ્રતિષ્ઠા પંડ્યા : પહેલી આવૃત્તિ, જૂન 2019 : પ્રકાશક – નવજીવન મુદ્રણાલય, અમદાવાદ – 380 014 : ISBN : 978-81-7229-920-0 :પાન – 144 : કિંમત રૂ. 200/-

•••••

કવિની પ્રસ્તાવના :−

ક ખ ગથી ળ સુધી

ક કમળનો ક

ખ ખલનો ખ

ગ ગણપતિનો ગ

ઘ ઘરનો ઘ

એમ બધું લયબદ્ધ ચાલતું હોય ત્યાં ટીખળ કરતો હોય એમ વચમાં ‘ળ’ આવે ને બારાખડીની એકધારી ભાત થોડી હાલી જાય, વીખરાઈ જાય. તંત થોડો તૂટે; કારણ, ‘ળ’ કોઈનો થઈને ના રહે. ‘ળ’થી કોઈ નવી શરૂઆત ન થાય. ‘ળ’થી બારાખડીમાં માત્ર સહેજ અમસ્તો ખળભળાટ થાય. પોતાના જ કરેલા ખળભળાટથી થોડો વિસ્મિત, થોડો ક્ષોભિત, થોડો ભયભીત, થોડો પુલકિત, નહીં સાવ ટટ્ટાર ને નહીં સાવ કોકડું વાળેલું શરીર લઈ એ બારાખડીના એક ખૂણામાં બેસી જાય. ‘ળ’ની મને ખૂબ દયા આવતી, પરંતુ એક વાર પિતરાઈ ભાઈઓએ મારી કોઈ વાત સાંભળવી નહોતી ને મને “ળળળળળળ …” કરીને ચૂપ કરી દીધી હતી ત્યારે મને ‘ળ’ની શક્તિનો ખરો પરચો થયેલો. જાણે કહેતો’તો : “આપણાથી શબ્દ શરૂ ના થયા તો શું, આપણે એકલા ભલભલાના ગુમાનને ચૂર કરી શકીએ છીએ!” આજે વર્ષો પછી મારી અંદર અને બહારથી આવતા મને ચૂપ કરવા મથતા તમામ અવાજો સામે મારું પોતાનું “ળળળ …” મૂકું છું.

— પ્રતિષ્ઠા પંડ્યા

(પૃ. 05)

………………………

− અને, એક કાવ્ય :

સહાય સૌજન્ય : કમલ વોરા, કિરણ કાપુરે તેમ જ સોહમ પટેલ

Loading

...102030...2,7062,7072,7082,709...2,7202,7302,740...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved