Opinion Magazine
Number of visits: 9684088
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 13

દીપક મહેતા|Opinion - Opinion|6 October 2019

છેલ્લો કટોરો ઝેરનો પીવા માટે

૧૯૩૧માં ગાંધીજીની દરિયાઈ મુસાફરી

મુંબઈ ટુ લંડન વાયા રાણપુર!

મુંબઈથી લંડન જવા માટે જે જમાનામાં બીજી કોઈ સગવડ નહોતી, ત્યારે ગાંધીજી આગબોટનો ઉપયોગ કરે એ તો સમજાય, પણ રાણપુર એ તો કાઠિયાવાડનું એક નાનકડું ગામ. બંદર પણ નહિ.. તો ગાંધીજી વાયા રાણપુર કઈ રીતે જઈ શકે? પણ એવું બન્યું હતું. કઈ રીતે બન્યું એ જાણવા આગળ વાંચો.

૧૯૧૫માં ગાંધીજી મુંબઈના એપોલો બંદરે ઉતર્યા એ ઘટના જેમ હિન્દુસ્તાનના ઇતિહાસમાં મહત્ત્વની બની ગઈ, તેમ ૧૯૩૧માં ગાંધીજી મુંબઈથી ઇંગ્લંડ જવા રવાના થયા એ ઘટના પણ મહત્ત્વની બની ગઈ. અને એ ઘટના અંગે લખાયેલું એક ગીત ગુજરાતી કાવ્યસાહિત્યમાં અનોખું સ્થાન ધરાવતું થઇ ગયું. આજે એ ઘટના વિષે અને એ ગીત વિષે થોડી વાત. બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ૧૯૩૧ના ઓગસ્ટની ૨૯મી તારીખે  ગાંધીજી મુંબઈથી એસ.એસ. રાજપૂતાના નામની સ્ટીમરમાં બેઠા. આ પરિષદમાં ભાગ લેવા જવાનું લગભગ છેલ્લી ઘડીએ નક્કી થયું હતું. વાટાઘાટ માટે સિમલા આવવાનું વાઈસરોયે તારથી આમંત્રણ આપ્યું ત્યારે ગાંધીજી અમદાવાદ હતા. ‘આવું છું’ એમ તારથી જણાવી ગાંધીજી અમદાવાદથી સિમલા ગયા.

૨૫મી ઓગસ્ટની સવારે વલ્લભભાઈ પટેલ, સર પ્રભાશંકર પટ્ટણી, એમ.એ. અન્સારી અને પંડિત જવાહરલાલ નેહરુ સાથે ગાંધીજી સિમલા પહોંચ્યા અને સર હર્બર્ટ ડબલ્યુ. એમર્સનને મળ્યા. એમર્સન બ્રિટિશ સિવિલ સર્વન્ટ હતા અને બ્રિટિશ સરકાર અને ગાંધીજી વચ્ચેની વાટાઘાટોમાં વચેટિયા તરીકે કામ કરતા હતા. તેમની સાથે ચર્ચા કર્યા પછી બીજે દિવસે સવારે આ સૌ વાઈસરોય અર્લ ઓફ વિલિન્ગડનને મળ્યા. એ મિટિંગ ત્રણ કલાક ચાલી. ત્યાર બાદ એક જાહેરનામું જારી કરવામાં આવ્યું (જે ‘નવા કરાર’ તરીકે ઓળખાય છે) જેમાં જણાવવામાં આવ્યું કે બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી કૉન્ગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે હાજર રહેશે.

આ જાહેરનામા પર ૨૭મી તારીખે સહીસિક્કા થયા અને ૨૮મીએ તે બહાર પાડવામાં આવ્યું. પણ લંડન જવા માટેની સ્ટીમર ૨૯મી તારીખે મુંબઈથી ઉપડવાની હતી. ગાંધીજી સમયસર મુંબઈ પહોંચી શકે એ માટે વાઈસરોયે સિમલાથી કાલકા સુધી ખાસ ટ્રેનની સગવડ કરી. ૨૯મી તારીખે ગાંધીજી મુંબઈ પહોંચ્યા. મુસાફરીની સગવડ તો થઇ, પણ બીજી એક મુશ્કેલી હતી. ગાંધીજી પાસે પાસપોર્ટ જ નહોતો. એટલે ૨૭મીએ હોમ ડિપાર્ટમેન્ટે સિમલાથી મુંબઈના પોલીસ કમિશનરને તાર કર્યો કે ગાંધી ૨૯મીએ મુંબઈ પહોંચે તે વખતે તેમને ખાસ પાસપોર્ટ મળી જાય તેવી વ્યવસ્થા કરશો. એટલે ગાંધીજી મુંબઈ પહોંચ્યા ત્યારે તેમના હાથમાં પાસપોર્ટ મૂકવામાં આવ્યો. પાસપોર્ટનું કામ ખૂબ ઉતાવળે કરવું પડ્યું હતું તેથી તેમાં ગાંધીજીના જન્મનું વર્ષ ભૂલથી ૧૮૭૦ લખાયું છે. તારીખ અને મહિનો તો લખ્યાં જ નથી.

છેલ્લી ઘડીએ તૈયાર થયેલો ગાંધીજીનો પાસપોર્ટ

સિમલાથી નીકળતાં પહેલાં ગાંધીજીએ ઘનશ્યામદસ બિરલાને તાર કર્યો હતો : “અમારે માટે પાંચ ટિકિટ સૌથી નીચેના વર્ગની લેજો.” પણ એસ.એસ. રાજપૂતાના પર બે જ વર્ગ હતા: પહેલો અને બીજો. એટલે ન છૂટકે ગાંધીજી અને તેમના સાથીઓએ બીજા વર્ગમાં મુસાફરી કરવી પડી.

એસ.એસ. રાજપૂતાના પર ગાંધીજી

ગાંધીજીએ જે સ્ટીમર પર પ્રવાસ કર્યો તેનો ય નાનકડો પણ રસપ્રદ ઇતિહાસ છે. પી. એન્ડ ઓ. સ્ટીમ નેવિગેશન કંપની માટે હાર્લેન્ડ એન્ડ વોલ્ફ ગ્રીનોક નામની કંપનીએ ૧૯૨૫માં આ સ્ટીમર બાંધી હતી. ૧૬,૫૬૮ ગ્રોસ ટન વજનની આ સ્ટીમર ૫૪૭ ફૂટ લાંબી અને ૭૧ ફૂટ પહોળી હતી. તેમાં પહેલા વર્ગના ૩૦૭ અને બીજા વર્ગના ૨૮૮ મુસાફરોની સગવડ હતી. કંપની હિન્દુસ્તાન અને ગ્રેટ બ્રિટનના રૂટ પર જ આ સ્ટીમર વાપરતી. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયા પછી ૧૯૩૯ના સપ્ટેમ્બરની ચોથી તારીખે બીજી ઘણી ઉતારુ સ્ટીમરોની જેમ આ સ્ટીમર પણ લડાઈ માટે રોયલ નેવીએ હસ્તગત કરી લીધી એટલે તે એચ.એમ.એસ. રાજપૂતાના બની. પહેલા વિશ્વયુદ્ધ પહેલાંની આઠ જરીપુરાણી તોપ તેના પર બેસાડવામાં આવી. દરેક તોપ ફક્ત છ ઇંચના વ્યાસવાળી હતી. ૧૯૩૯ના ડિસેમ્બરથી આ સ્ટીમર વેપારી સ્ટીમરોના કાફલા સાથે જતી વળાવિયા સ્ટીમર તરીકે કામ કરતી થઇ. અમેરિકા, વેસ્ટ ઇન્ડીઝ, બર્મ્યુડા, નોર્થ એટલાંટિક વગેરેના દરિયાઈ વિસ્તારોમાં તેણે ફરજ બજાવી. પણ ૧૯૪૧ના એપ્રિલની ૧૩મી તારીખે સવારે પાંચ વાગ્યાના સુમારે જર્મનીની યુ-૧૦૮ પ્રકારની સબમરીને બે ટોર્પીડો વડે રાજપૂતાના પર હુમલો કર્યો. સ્ટીમરના એન્જિન રૂમનો કચ્ચરઘાણ નીકળી ગયો. સાત ખલાસીઓ તત્કાળ મૃત્યુ પામ્યા. સ્ટીમર ખોટકાઈને દરિયાનાં પાણીમાં ફસાઈ ગઈ. ગવર્નિંગ ઓફિસરે બધી તોપો વડે ચારે દિશામાં ગોળા વરસાવવાનો હુકમ આપ્યો. આટલી જરીપુરાણી તોપો વડે આટલા નાના ગોળા છોડવાનો કશો અર્થ નહોતો, પણ દુશ્મનનો સામનો કર્યા વગર મરવું નહિ, એટલે સૈનિક-ખલાસીઓએ એ આદેશનું પાલન કર્યું. પછી સ્ટીમર ધીમે ધીમે ડૂબવા લાગી. હુમલાના દોઢ કલાક પછી તેનો ઘણોખરો ભાગ પાણીની નીચે હતો. ત્યારે સ્ટીમર પરના સૌને સ્ટીમરનો ત્યાગ કરવાનો હુકમ અપાયો. ૨૮૩ ખલાસીઓ મહામહેનતે બચી ગયા. પણ કેપ્ટન કમાન્ડર સી.ટી.ઓ. રિચર્ડસન અને બીજા ૪૨ ખલાસીઓએ સ્વેચ્છાએ જળસમાધિ લીધી. અને આમ શાંતિદૂત ગાંધીજીએ જે સ્ટીમર પર પ્રવાસ કર્યો હતો તે યુદ્ધનો ભોગ બનીને નાશ પામી.

એસ.એસ. રાજપૂતાના

નાઉ ઓવર તું રાણપુર ઇન કાઠિયાવાડ. અમૃતલાલ શેઠ ત્યાંથી ‘સૌરાષ્ટ્ર’ નામનું સાપ્તાહિક ચલાવતા. પછીથી જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળ્યું તે કવિ ઝવેરચંદ મેઘાણી ‘સૌરાષ્ટ્ર’માં કામ કરે. એ વખતે છાપવા માટે આજના જેવાં ઝડપી મશીનો નહોતાં. આઠ કે સોળ પાનાંનો એક એક ફર્મો છપાતો અને પછી બધા ફર્મા ભેગા કરી અંક તૈયાર થતો. લગભગ બધાં અખબાર-સામાયિક આ જ રીતે છપાતાં. ‘સૌરાષ્ટ્ર’નો પહેલો ફર્મો દર ગુરુવારે સાંજે છાપવા માટે મશીન પર ચડતો. તે પહેલાંના કલાકમાં મેઘાણીએ ગીત લખ્યું: ‘છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બંધુ.’ લખ્યા પછી તરત અમૃતલાલ શેઠને બતાવ્યું. તેમને તે ખૂબ ગમ્યું, પણ તેમણે એક સુધારો સૂચવ્યો: ‘બંધુ’ને બદલે ‘બાપુ’ કરો. મેઘાણીએ તરત સૂચન સ્વીકારીને ફેરફાર કર્યા. અમૃતલાલ શેઠે તાબડતોબ જાડા આર્ટ કાર્ડ પર ગીતની નકલો છપાવી અને તે જ દિવસે મુંબઈ મોકલી. એક-બે નકલ ગાંધીજીને પહોંચાડવી અને બાકીની ગાંધીજીને વિદાય આપવા બંદર પર આવેલા લોકોમાં વહેંચવી એવી ખાસ તાકીદ કરી. એ રીતે ગાંધીજી માટેની નકલ તેમના વતી મહાદેવભાઈ દેસાઈએ સ્વીકારી. બંદર પર નકલો વહેંચી ત્યારે થોડુંક ન ધારેલું બન્યું. મેઘાણીના જ શબ્દોમાં જોઈએ: “બંદર પર આ વહેચાયું ત્યારે રમૂજી ઇતિહાસ બની ગયો. ‘ઝેર’ ‘કટોરો’ વગેરે રૂપકો પરથી કેટલીક પારસી બહેનોને આ ક્રૂર કટાક્ષ-ગીત લાગ્યું. એમનાં હૃદયો દુભાયાં. એક ગુજરાતી બહેને ભાવ સ્પષ્ટ કર્યો ત્યારે પેલાં બહેનોનાં હૃદય આનંદિત બની ઊઠ્યાં.”

ગાંધીજીએ મુસાફરી શરૂ કરી તે પહેલાં તેમના પર ઢગલાબંધ કાગળ અને તાર આવ્યા હતા. સ્ટીમર ઉપડ્યા પછી તે બધા વાંચવાનું તેમણે શરૂ કર્યું. તેમાં આ ગીત ગાંધીજીના હાથમાં આવ્યું. આખું વાંચી ગયા પછી ગાંધીજીએ મહાદેવભાઈ અને મીરાંબહેનને કહ્યું: “મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે તે તદ્દન સાચું છે. કવિએ તો એનું આખું હૃદય એમાં ઠાલવ્યું છે.” ગાંધીજીના આ શબ્દો મહાદેવભાઈએ તેમની ડાયરીમાં નોંધ્યા છે. મહાદેવભાઈ જ્યારે એમની ડાયરી લખતા હતા, ત્યારે ભવિષ્યમાં એ પ્રગટ થશે એવો ખ્યાલ એમને ન જ હોય. પણ ૨૯ ઓગસ્ટ ૧૯૩૧ના દિવસે જ તેમણે પોતાની ડાયરીમાં ‘છેલ્લો કટોરો’ કાવ્યનું છાપેલાં ચાર પાનાં  (મહાદેવભાઈની ડાયરી, ભાગ ૧૫, પાનાં ૪-૭) જેટલું વિસ્તૃત વિવરણ કે રસદર્શન લખ્યું છે. એટલે આ કાવ્ય એમને પણ ખૂબ સ્પર્શી ગયું હશે. મહાદેવભાઈ લખે છે: “મેઘાણીના કાવ્યને વાંચતાં તો જાણે મેઘાણીનો આત્મા ગાંધીજીના છેલ્લા પંદર દિવસનો સતત સાક્ષી રહ્યો હોય એમ પ્રતીત થાય છે. ૧૧મી ઓગસ્ટે હોટસન સાહેબનો કાગળ આવ્યો ત્યારથી માંડીને તે ૨૭મીએ સિમલાથી નીકળ્યા ત્યાં સુધીનું દરેક પગલું જાણે મેઘાણીજીએ ક્યાંક છુપાઈને – પેલી આપણી પ્રાચીન વાર્તાઓનો અંધાર પછેડો ઓઢીને – જોયા કીધું હોય એમ લાગે છે … છેલ્લા પંદર દિવસના કડવા ઘૂંટડાનો કટોરો હજી પૂરો થયો નહિ હોય તેમ વિલાયત એ પૂરો કરવાને માટે જતા હોય એ કવિની ભવ્ય કલ્પના હૃદય સોંસરી ચાલી જાય છે.”     

મહાદેવભાઈની વાતનું મહત્ત્વ સમજવા માટે એ દિવસોનો ઘટનાક્રમ જરા વિગતે જોઈએ. કાલકાથી મુંબઈ ટ્રેનમાં આવતાં રસ્તામાં ગાંધીજીએ ‘બોમ્બે ક્રોનિકલ’ના પ્રતિનિધિને ખાસ મુલાકાત આપી. “ગોળમેજી પરિષદનાં પરિણામો વિષે આપ આશાવાદી છો?” એવા સવાલના જવાબમાં ગાંધીજીએ કહેલું: “જો મારે આજની સ્થિતિ જોઇને ભવિષ્યનો ખ્યાલ કરવાનો હોય તો કહીશ કે ‘ના.’ પણ હું જન્મથી જ આશાવાદી હોઈને મેં કદી અભેદ્ય અંધકારમાં આશા ગુમાવી નથી.” ગાંધીજી ૨૯મીની સવારે મુંબઈ આવ્યા. પછી આઝાદ મેદાન પર જાહેર સભામાં ભાષણ કર્યું હતું. તેમાં કહ્યું હતું: “સામાન્ય સંજોગોમાં જો તમારો વિશ્વાસ ન હોત તો મેં લંડન જવાની ના પાડી હોત. પણ તમારો વિશ્વાસ મને બળ આપશે. મને મારી ઊણપો અને નબળાઈઓની પૂરેપૂરી ખબર છે. પણ સત્ય અને અહિંસા મારા માર્ગદર્શક સિદ્ધાંતો રહેશે અને હું આશા રાખું છું કે મારા લંડનના કાર્યમાં એ સોળે કળાએ પ્રગટ થશે.”

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી

મણિભવનથી લખેલા એક પત્રમાં પણ ગાંધીજીએ લખ્યું હતું કે ક્ષિતિજ તો હોઈ શકે એટલી ધૂંધળી છે. પણ ઈશ્વરને એકમાત્ર ભોમિયા તરીકે રાખીને મારે લંડન તો જવું જ રહ્યું.”  એસ.એસ. રાજપૂતાનાએ મુંબઈનું બારું છોડ્યું તે પહેલાં એસોસિયેટેડ પ્રેસને સ્ટીમર પરથી આપેલા નિવેદનમાં ગાંધીજીએ ફરી કહેલું: “ક્ષિતિજ ઉપર આશા પ્રેરે એવું કશું જ દેખાતું નથી, તેમ છતાં હું જન્મથી આશાવાદી હોઈને નિરાશામાં પણ હું આશા સેવી રહ્યો છું” (‘ગાંધીજીનો અક્ષરદેહ’, ભાગ ૪૭). બોમ્બે ક્રોનિકલના પ્રતિનિધિ સમક્ષ બોલાયેલા શબ્દો, જાહેર સભામાં બોલાયેલા શબ્દો અને સ્ટીમર ઉપડતાં પહેલાં બોલાયેલા શબ્દો ૨૭મીની સાંજે કાવ્ય લખતાં પહેલાં મેઘાણી સુધી પહોંચ્યા હોય એ શક્ય જ નથી. છતાં કેવળ કલ્પનાના બળે મેઘાણી ગાંધીજીની મનોદશાને તંતોતંત પામી ગયા છે, અને અત્યંત અસરકારક રીતે તેને પોતાના કાવ્યમાં વ્યક્ત કરી છે. આને પરકાયાપ્રવેશ નહિ તો બીજું શું કહી શકાય?

૧૯૧૩માં કવિ લલિતજીએ ગાંધીજી વિશેનું પહેલવહેલું કાવ્ય લખ્યું તે પછી આજ સુધીમાં ગાંધીજી વિષે કાવ્યો તો ઢગલાબંધ લખાયાં છે, પણ ‘છેલ્લો કટોરો’ની તોલે આવે એવાં કાવ્યો ભાગ્યે જ લખાયાં છે. આ કાવ્યમાં જે રીતે ગાંધીજીની મનોવેદના મેઘાણીએ વ્યક્ત કરી છે તે જોતાં થાય કે મુંબઈથી લંડન જતાં પહેલાં ગાંધીજી રાણપુર જઈને મેઘાણીને મળ્યા તો નહિ હોય? પોતાની વેદના શું ગાંધીજીએ તેમની પાસે વ્યક્ત કરી હશે? ના. પોતાની સર્જક પ્રતિભાને બળે મેઘાણીએ ગાંધીજીની મનોવેદના અનુભવી અને તેને અત્યંત અસરકારક રીતે પ્રગટ કરી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

સૌજન્ય : “ગુજરાતી મિડ ડે”, 05 ઑક્ટોબર 2019

Loading

ડ્રેગનની ઊંચી ઉડાનઃ ચીનની સફળતામાંથી ઘણું શીખાય પણ આંધળુકિયા વિનાશ નોતરશે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|6 October 2019

ચીને જે આજથી પચાસ વર્ષ પહેલાં કરી લીધું તે હવે આપણે કરવા જઇશું તો સામાજિક, આર્થિક, કુદરતી વ્યવસ્થાને હાનિ પહોંચાડી બેસીશું

૧લી ઑક્ટોબરે પિપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના(પી.આર.સી.)ની સ્થાપાનાને ૭૦ વર્ષ પૂરાં થયાં. પ્રગતિ, વૈશ્વિક સ્તરે મજબૂત સ્થાન બનાવવું, સંસ્કૃતિ અને સંસ્કારોને વળગી રહેવું પણ પછાત કે હિંસક હોવાની છાપ ક્યારે ય ન ખડી કરવી વગેરે ચીનની લાક્ષણિકતાઓ છે. આપણે આ બધા જ મામલે ચીન પાસેથી કેટલીક ચીજો શીખવા જેવી ખરી. કોઇ તરત એમ કહી શકે કે ચીન અને ભારતમાં તો શાસનની નીતિ અને પદ્ધતિ સુધ્ધાં સાવ જુદાં છે તો તેની સરખામણી કેવી રીતે થઇ શકે? ભારત અને ચીનનાં સ્વતંત્ર સ્થાપન વચ્ચે બે-ત્રણ વર્ષનો માંડ ફેર છે અને બંન્નેની આગવી પ્રાચીન સંસ્કૃતિ છે. સરકાર અને શાસન એકબીજાથી જુદા હોવા છતાં પણ ચીન અને ભારતમાં વહીવટ અને આર્થિક વિકાસને મામલે કેટલીક સામ્યતાઓ છે. આટલી બધી સમાનતાઓ હોવા છતાં પણ હજી ૯૦ના દાયકા સુધી ભારત કરતાં જી.ડી.પી.ની સરખામણીએ ‘ગરીબ’ ગણાતો આ દેશ આજે આખા વિશ્વની ‘ફેક્ટરી’ બની ચુક્યો છે. ચીનનો પર કેપિટા જી.ડી.પી. આજે ૨૦૧૯માં ભારત કરતાં ૪.૬ ગણો છે. ચીનની આ સફળતાનાં કારણો અને આપણાં વિકાસની મંદ ગતિ પાછળનાં તર્કને સમજવા જરૂરી છે. છેલ્લાં ૭૦ વર્ષમાં ચીને ૮૫૦ મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર ખેંચી કાઢ્યા છે અને દર આઠ વર્ષે ચીનનું અર્થતંત્ર સાચા અર્થમાં બમણું થતું જાય છે.

ચીનનો આધુનિક ઇતિહાસ જોઇએ તો ચીનના કૉમ્યુનિસ્ટ નેતા માઓ ઝેડોન્ડ આર્થિક વિકાસનાં રસ્તે કંઇ બહુ આગળ ન વધી શક્યા. પરંતુ તેમના મૃત્યુ પછી જે શાસક આવ્યા, તેણે ખાસ કરીને દરિયા કાંઠાનાં વિસ્તારોમાં આયાત-નિકાસ સરળ બને તેમ વિદેશી રોકાણ માટે દરવાજા મોકળા કર્યા. કૃષિ ઉદ્યોગ સરકારનાં નિયંત્રણમાંથી મુક્ત કરાયો તો માત્ર એક જ બાળકનો કાયદો વસ્તી વિસ્ફોટનાં ધડાકાને પહેલેથી જ રોકવામાં સફળ રહ્યો, જેથી રાષ્ટ્રનાં ડૅમોગ્રાફિક ડિવિડન્ડનો યોગ્ય ઉપયોગ થઇ શકે. વસ્તી વધારાને મામલે આમ તો સિત્તેરના દાયકામાં કુટુંબ નિયોજનની વાત કરનાર દેશ તરીકે ભારત વિશ્વનાં અન્ય રાષ્ટ્રોની સાથે હતો પણ છતાં ય જાગૃતિ અને પ્રચાર-પ્રસારને અભાવે વસ્તીને મામલે આપણે ત્યાં કોઇ કાબૂ ન રહ્યો.

ચીનમાં વહીવટી ખાતું કે અમલદારીશાહી ઘણી જડ રહી છે પણ છતાં ય ટૅક્નોલૉજીમાં આવતા પરિવર્તનોનો સ્વીકાર કરવામાં તેઓ કશે પાછા નથી પડ્યા. ચીનની કાર્ય કુશળતાની પ્રસંશા થાય છે કારણ કે પરિવર્તનનો માત્ર સ્વીકાર જ નહીં પણ તે માટે જરૂરી અમલીકરણ પણ જોવા મળે છે. ચીન કદાચ ક્યારે ય પણ બધાને ગમે એવો, આખી દુનિયામાં બધા સાથે મૈત્રી રાખનારો દેશ નહીં બને, પણ તેણે એટલું તો સાબિત કર્યું છે કે પોતે એવો દેશ તો છે જ જ્યાં પ્રોજેક્ટ માત્ર વિચાર જ નહીં પણ વાસ્તવિકતા બને છે. એશીના દાયકા પછી સ્થાનિક પબ્લિક એજન્ટ્સ અને ઉચ્ચ વર્ગનાં લોકો વચ્ચે વિશ્વસનિયતા અને સ્પર્ધા પર ધ્યાન અપાયું અને પરિણામે આખી સિસ્ટમ ‘કૉર્પોરેટાઇઝ્ડ’ થઇ ગઇ જેને કારણે ચીનનું અર્થતંત્ર સડસડાટ વિકસવા માંડ્યું.

આપણે ત્યાં જવાહરલાલ નેહરુએ સમાજવાદી આર્થિક માળખું અપનાવ્યું જ્યાં સંપત્તિ એકઠી કરવી અને મોટા ખાનગી ઉદ્યોગોને મહત્ત્વ આપવું પ્રાથમિકતા નહોતી. આઝાદી પછી તરત આવેલી સરકારે ભારત સ્વતંત્ર બજાર તરીકે ખડું થાય, આયાત થતી ચીજોનો વિકલ્પ દેશમાં જ ખડો થાય તેવું ધાર્યું ખરું પણ આપણે લાંબા સમય સુધી આયાતો પર આધાર રાખ્યો. અંતે એવી સ્થિતિ આવી કે આપણે ગુણવત્તાસભર કે આંતરરાષ્ટ્રીય વિકલ્પો સામે ટકી શકે તેવી ચીજોનાં ઉત્પાદનની ક્ષમતા પૂરેપૂરી રીતે કેળવી જ ન શક્યા. પહેલાંની સરકારનાં પ્રશ્નો જુદા હતા તો હવે છેલ્લાં બે વર્ષમાં સરકારે પ્રોટેક્શનિઝમ અને નિકાસના વિકલ્પને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે પણ આ નીતિ આપણે ત્યાં પહેલાં પણ નિષ્ફળ ગઇ છે અને આર્થિક વિકાસમાં આડે આવી છે.

ચીનના જાહેર સાહસો, રાજ્ય શાસિત વ્યાપાર ઉદ્યોગોનું માળખું ખૂબ મજબૂત છે. ૧૯૯૩ પહેલાં આ બધાં ‘રેઢિયાળ સરકારી તંત્ર’ની માફક ઢસડાતા હતા. સત્તાધિશોએ આ ઉદ્યોગોની સિકલ ધરમૂળથી બદલી નાખી અને આજે આ તમામ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં ટકી શકે તેટલાં મજબૂત છે. આપણે ત્યાં સાવ વિપરીત સ્થિતિ છે. એક બે સફળ અને પ્રમુખ જાહેર સાહસો સિવાયનાં મોટા ભાગનાં રાજ્ય શાસિત ઉદ્યોગો કે જાહેર સાહસો મરવાને વાંકે જીવે છે અથવા તો ‘નોન-પરફોર્મિંગ એસેટ્સ’ ગણવા માંડ્યા છે. ચીનની પંચવર્ષિય યોજનાઓમાં નિયત કરાયેલી માળખાકિય સુવિધાઓ ખડી કરવાને માલમે ચીનને ક્યારે ય પણ જમીન હસ્તગત કરવામાં મુશ્કેલીઓ નથી નડી. ચીનમાં સસ્તી લેબર આધારિત ઉદ્યોગો જેમ કે ટેક્સટાઇલ, લાઇટ એન્જિનિયરીંગ અને ઇલેક્ટ્રોનિક્સમાં મોટે પાયે રોકાણ કરાયું. વળી સેઝ પણ ચીનમાં પહેલાં જ અસ્તિત્વમાં આવ્યા. વળી ચીનમાં પ્રોજેક્ટ્સ વહેંચવાને મામલે સરકારે માત્ર છેવાડાના વિસ્તારો પર જ ધ્યાન આપ્યું એમ ન થયું. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં એક સરખી રીતે નવાં કામ અને પ્રોજેક્ટ્સની વહેંચણી કરવામાં આવી. કેન્દ્રીય રીતે માળખાકિય સુવિધાઓમાં થયેલા આર્થિકરોકાણને કારણે બીજા ક્ષેત્રોમાં રોકાણની શક્યતાઓ પણ વધતી ચાલી અને આર્થિક વિકાસની ગતિમાં પણ વધારો થયો. આપણે ત્યાં માળખાકિય સુવિધાઓને મામલે બહુ મોટી ખાઇ છે. રોડ અને રેલ્વેઝ માટે બજેટ મંજુર થયું હોવા છતાં ય સરકાર માટે કોઇ લાંબાગાળાની યોજના હોય તેવું વર્તાતું નથી. ચીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મામલે આપણાં કરતાં અડધો યુગ આગળ છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. આપણે ત્યાં સેઝ વગેરે શરૂ થયાને હજી ગણતરીનાં વર્ષો થયાં છે. સસ્તું લેબર આપણે ત્યાં પણ ઉપલબ્ધ હતું પરંતુ, આપણે શરૂઆતમાં કૅપિટલ ઇન્ટેન્સિવ ઉદ્યોગો વિકસાવ્યા જેને કારણે બેરોજગારીનો પ્રશ્ન મોટો બનતો ગયો.

ચીનનું સૈન્ય ભારત કરતાં કંઇકગણું આધુનિક છે જ્યારે આપણાં સૈન્યમાં બધાં જ મામલે ક્લેવર બદલવાની જરૂરી છે. ચીનની લડાયક ધમકીઓ સામે ટકવા માટે આપણે લશ્કરી સજ્જતાને મામલે ચીન જેવાં મજબૂત થવાની જરૂર છે. ચીનમાં ઊર્જાની બચત પ્રત્યેની જાગૃતિ પણ નોંધપાત્ર છે, ભારત ધીમે ધીમે એ દિશા ભણી નજર કરે છે. ચીનમાં વિશ્વનાં સૌથી વધારે ઇલેક્ટ્રીક વાહનો છે જે પ્રદૂષણ ઘટાડવાથી માંડીને ઊર્જાનાં સ્રોતની બચતમાં મોટો ફાળો આપે છે. ભારત પાસે ચીન કરતાં ચારગણાં તાજાં પાણીનાં સ્રોત છે પણ ચીન પાણીની સમસ્યાથી નથી પીડાઇ રહ્યો. ચીનમાં પાણીનાં ઉપયોગ પર નિયંત્રણ, ખેતીમાં પાણીનાં વપરાશને ઘટાડે તેવા સંશોધનો પર સતત કામ કરાય છે. વળી ચીનમાં વધુ પડતાં ભૂગર્ભ જળનો ઉપયોગ કરનારા ઉદ્યોગો અને વ્યાપારને દંડ સુધ્ધા ફટકારાય છે. ભારતમાં અતિ વિભાજીત જમીન માલિકીને કારણે ભૂગર્ભ જળનો ઉપયોગ ધાર્યા કરતાં વધારે થાય છે માટે ખેતીમાં પાણીનાં વપરાશ અંગે વિકેન્દ્રિય નીતિ રચીને જાગૃતિ પ્રસરાવવની અનિવાર્ય છે.

ચીનનું વિકાસ મૉડલ સામાજિક દ્રષ્ટિએ પરફેક્ટ નથી. ચીનનો અનુભવ શીખવે છે કે કોઇપણ નીતિ અદ્ધરતાલ નથી ઘડાતી અને તેની સીધી અસર સમાજ પર પડે છે જેને કારણે સમસ્યાઓ પણ ખડી થઇ શકે છે. વિકાસનાં પાટે સડસડાટ દોડતા ચીનમાં જ એક આખી ‘ખોવાયેલી પેઢી’નો પ્રશ્ન છે કારણેકે તેમને શિક્ષણ મેળવવાની મંજૂરી નહોતી આપવામાં આવી. પિતૃસત્તાક અને પિતૃવાદી સંસ્કૃતિને કારણે ભરપૂર જીવી શકાય તેવી જિંદગીઓને બદલે લોકો ત્યાં માનસિકતાની સંકડાશ વેઠી રહ્યાં છે અને ત્યાં માનસિક સ્વાસ્થ્યનું સ્તર સતત કથળતું રહ્યું છે. સી.સી.પી. એટલે કે ક્રિટીકલ કંટ્રોલ પોઇન્ટની કાયદેસરતા ચીનનાં રાષ્ટ્રવાદમાંથી નહીં પણ તેની આર્થિક સફળતામાંથી પેદા થઇ છે.

બાય ધી વેઃ

આપણે લોકશાહી રાષ્ટ્ર છીએ અને માટે માત્રને માત્ર આર્થિક સફળતાને ધ્યાનમાં રાખી, બીજું બધું હાંસિયામાં ધકેલી દેવાનું આપણે માટે શક્ય નથી અને એમ હોવું પણ ન જોઇએ. ચીનના પ્રભાવમાં આપણને આંધળુકિયાં ન પોસાય. ચીને જે આજથી પચાસ વર્ષ પહેલાં કરી લીધું તે હવે આપણે કરવા જઇશું તો સામાજિક, આર્થિક, કુદરતી વ્યવસ્થાને હાનિ પહોંચાડી બેસીશું. ગણતરી પૂર્વકનાં ધીમાં પણ મક્કમ પગલાં જ ભારતનો આર્થિક વિકાસ કરી શકે તેમ છે. ડ્રેગનની ઝાળથી અંજાઇ જઇ આપણાં હાથીને અંકુશથી મારી ગાંડોતૂર કરવાની ભૂલ આપણે ન કરવી જોઇએ. ગણતરીના મહિનાઓ પહેલાં આપણે વિશ્વની સૌથી ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર છે, એવાં વિધાન થયા હતાં, જેને મંદીએ ખોટા સાબિત કરી જ દીધા છે. વિશ્વ સ્તરે ઝડપથી વિકસતા અર્થતંત્રની ઓળખ જોઇતી હોય તો પહેલાં ઘરમાં સંજોગો સુધારવા પડશે અને તે પણ વૈચારિક પગલાં લઇને.

સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 ઑક્ટોબર 2019

Loading

સ્વાનુભૂત સંવેદનોના સર્જક – ભગવતીકુમાર શર્મા

અરવિંદ વાઘેલા|Opinion - Literature|6 October 2019

'હું અક્ષર બ્રહ્મમાં ડૂબ્યો છું , પણ ઈશ્વરને જઈ કહેજો;
જો મારી જરૂરત હોય તો તે આભેથી અનાહત નાદ કરે !'
(નખદર્પણ)

૫ મી સપ્ટેમ્બર, શિક્ષકદિનની સવારે જ ઈશ્વરને જરૂરત ઊભી થઈ અને આભેથી અનાહત નાદ આવ્યો –

'અઢી અક્ષરનું ચોમાસું ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, સજન,પૂરજો તમે!'
(અઢી અક્ષર …)

આ અડધા અક્ષરની ખોટ પુરાવા સ્વાનુભૂત સંવેદનોના સર્જક ભગવતીકુમાર શ,ર્મા આપણા માટે સ્મરણોનું રાજપાટ છોડી, અનંતની યાત્રાએ નીકળી પડ્યા. જો કે તેઓને ખબર છે કે – 'હું નહિ હોઉં ને દુનિયા ચાલશે, જો કે મારી થોડી ચર્ચા ચર્ચા ચાલશે.’ આપણે પણ એ જ ઉપક્રમ રાખી આ ચર્ચા માંડી છે.

ગુજરાતી સાહિત્યમાં તેઓ કવિ, ગઝલકાર, નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, પ્રવાસ લેખક અને પત્રકાર તરીકે વિશેષ જાણીતા છે. ૩૧મી મે ૧૯૩૪ના રોજ સૂર્યપુત્રી તાપીને ખોળે, સૂરતની દેસાઈની પોળમાં, પિતા હરગોવિંદ શર્મા અને માતા હીરાબાના સંસ્કારી બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા 'બકુ' ભગવતીકુમાર શર્મા વૈયક્તિક રસાયણને એક વિશાળ પરિપ્રેક્ષ્યમાં ઘૂંટનારા સર્જક છે. 'અસૂર્યલોક'નું બીજ લઈ જન્મેલા ભગવતીકુમારની આંખ ભલે નબળી હોય પણ એમની દ્રષ્ટિમાં, એમના દર્શનમાં જન્મજાત પ્રતિભાનું તેજ ભારોભાર છે. 'હું શબ્દમાં જીવું છું’ એમ કહેનાર ભગવતીકુમાર કોઈના પણ માર્ગદર્શન કે પ્રોત્સાહન વિના પોતાના એકાકીપણા અને મનના ખાલીપાને ટાળવા વાંચવા લખવાનું શરૂ કરે છે. સર્જનનો લય પામવાની સતત મથામણ કરતા અને લય કે રિધમ મળે પછી જ  સર્જન કાર્યમાં પ્રવૃત થતા ભગવતીકુમાર આધુનિકતા અને પરંપરા વચ્ચે સમન્વય સાધનાર મધ્યમમાર્ગી સર્જક છે સર્જનમાં તેઓ શબ્દના સથવારે પોતાની, પોતાના મૂળની શોધ આદરે છે. કેમ કે તેમને લાગે છે કે 'હું જ્યાં છું, જ્યાંનો છું તે 'હું' ક્યાં મારી રચનાઓમાં સંકેતાયો છે ? અને એટલે જ જાણે કે કવિ-ગઝલ, નિબંધ અને નવલકથામાં સર્જકનું Personal element ડોકાતું રહે છે.

'આદિવચનો' નામના પુસ્તકમાં ક.મા. મુનશી કહે છે કે – 'પુસ્તકને સમજવા માટે પુસ્તકની સર્જન પ્રક્રિયા, એનું મૂળ ને એના વિકાસનો અભ્યાસ કરવો જોઈએ'. ભગવતીકુમાર શર્માના સર્જનમાં પણ કલાપી અને રાવજીની જેમ અંગત જીવનની સર્જક ચેતના ધબકે છે. 'ઊર્ધ્વમૂલ' નવલકથાની કેફિયતમાં નિખાલસ એકરાર કરતાં તેઓ કહે છે કે – ' હું અતિ નાજુક ભાવુક, સંવેદનસભર ચિત્તતંત્ર ધરાવતો માણસ છું. મારું બાળપણ અને તારુણ્ય નિતાંત એકલતામાં વીત્યાં છે. હજીયે, જીવનના પાછોતરા કાળે ય, એકલતાની  મારી અનુભૂતિઓ ઉત્કટ અને સુદીર્ઘ રહે છે. ઉદાસી, વિષાદ, શૂન્યતા, અજંપો એ બધા મારા લગભગ સ્થાયી ભાવો છે. મૃત્યુ વિશે મને એક પ્રકારનું રોમેન્ટિક આકર્ષણ છે ….  … ઝૂરતાં, હિજરાતાં, ગૂંગળાતાં, અવ્યક્ત રહેતાં, સહન કરતાં, લઘુતાગ્રંથિથી પીડાતાં, જતુ કરતાં, ગુમાવી દેતાં, ખસી જતાં, વૈયક્તિકતા ગુમાવી દેતાં પાત્રોના આલેખનમાં કદાચ હું મારાં સ્વનાં પ્રતિબિંબો અને રૂપાંતરો આલેખતો હોઉં છું. અંધકાર અને ઝાંખપનો હું આશિક છું. જો કે કુદરતે મને ઝાંખી દ્રષ્ટિ આપી છે.' (પૃ.૨૪ 'ઊર્ધ્વમૂલ') એમની નવલકથાના નાયક નાયિકાઓમાં પણ એમના 'સ્વ'નું જ પ્રતિબિંબ વિશેષ ઝીલાયું છે. તેમના વિચારો કે ચિંતનમાં પણ એમના વ્યક્તિત્વનું પ્રતિબિંબ પડતું હોય એમ લાગે છે. એમની જાણીતી નવલકથાઓ 'વ્યક્તમધ્ય', 'ઉર્ધ્વમૂલ', ‘સમયદ્વીપ',  'અસૂર્યલોક' એની સાબિતી આપે છે.

ઊર્ધ્વમૂલ' માનવ જીવનની મૂલવિહિનતા(Rootlessnes)ને આલેખતી ' સર્જકની ઓટોબાયોગ્રાફિકલ મેથડથી નાયિકાને મુખે કહેવાયેલી નવલકથા છે . એની કેફિયતમાં તેઓ કબૂલે છે કે  – 'ઘણાં પાત્રોમાં હું બોલું છું. – વર્તુ છું એવું આળ સ્વીકારવાની તૈયારી રાખીને ય હું કહીશ કે આ પાત્રોની હયાતીમાં હાજર રહેવાનું મારાં પૂરતું તો અનિવાર્ય છે. 'ક્ષમા એક નારી પાત્ર હોવા છતાં તેનાં કેટલાંયે સંવેદનોમાં હું ,એક પુરુષ વિસ્તર્યો છે. ક્ષમાનો કાવ્યપ્રેમ એ મારી કાવ્યપ્રીતિ છે, ક્ષમાની ઉદાસી, વિષાદ, અવ્યક્તતા, ભીરુતા ,લઘુતાગ્રંથિ એ બધાં વાનામાં ઓછેવત્તે અંશે હું પણ છું જ. ક્ષમાની Myopic (માયોપિક) જાડા કાચનાં ચશ્માંથી ઢંકાયેલી તે તો મારી જ આંખો છે.' (પૃ. ૧૫ 'ઊર્ધ્વમૂલ')

સ્વના સંવેદનોને શબ્દસ્થ કરતા સર્જક ભગવતીકુમારને જીવનપર્યંત વેદના સાથે અતૂટ નાતો રહ્યો છે. એટલે જ તો 'મળી છે’ કાવ્યમાં તેઓ કહે છે :

'સૂર્ય ડૂબ્યોને કાજળની ઠકરાત મળી,
 મને વેદના જાણે આંગળિયાત મળી.'

સર્જક સ્વની વેદના – સંવેદનાને પોતાની કૃતિઓમાં આલેખતા રહે છે. એમની નવલકથા 'સમયદ્વીપ' એક વ્યક્તિના આંતર સંઘર્ષની કથા નિમિત્તે કહેવાયેલી આપણાં પલટાઈ રહેલા સમાજ અને સંસ્કૃતિના સંઘર્ષની કથા છે. નાયક નીલકંઠનો અતીત એના મનોવિશ્વમાં ખળભળાટ મચાવે છે. પરંપરા અને આધુનિકતા, શ્રદ્ધા અને અશ્રદ્ધાના બે અંતિમો વચ્ચે મનોમંથન અનુભવતો આ નવલકથાનો નાયક નીલકંઠ વર્તમાનમાં હતાશા, એકલતા અને વિષાદભર્યું જીવન જીવે છે. વિચ્છિન્ન દામ્પત્યના દ્વીપ પર નીલકંઠ એકલો રહી જાય છે. ભારતીય સંસ્કૃતિના મૂલ્ય અને આધુનિકતા વચ્ચેનો સંઘર્ષ અનેક પ્રશ્નો ઊભા કરે છે. મહાનગરોની યાંત્રિકતા અને રોજગારી માટેની દોડધામને કારણે હવે કુટુંબ પહેલાં જેવું સંયુક્ત રહ્યું નથી, છતાં પેલો કુટુંબભાવ ટક્યો છે ખરો ! પરંતુ સહિષ્ણુતા ટકી છે ખરી ? ભગવતીકુમાર જેવા સંસ્કૃતિચિંતકના સંસ્કારોનો સંઘર્ષ 'સમયદ્વીપ'માં સ્વયંભૂ પ્રગટે છે. તેઓ આ નવલકથાને સંદર્ભે કહે છે કે – ‘સમયદ્વીપ' એ મારા કૌટુંબિક પરિવેશની, મારા પૂર્વજો જે હવામાં ઉછર્યા હતા તેની, મારા કેટલાક પડોશીઓ હજી જે હવામાં શ્વાસ લઇ રહ્યા હતા તેની, એ સર્વમાંથી મને સાંપડેલા આછા પાતળા શબ્દની કથા છે. એનો નાયક નીલકંઠ ઘણે અંશે હું જ છું.' (પૃ.૯  સવ્યસાચી …)

સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર વિજેતા નવલકથા 'અસૂર્યલોક'ની પ્રસ્તાવનામાં તેઓ કહે છે કે -'અસૂર્યલોકનું બીજ લઇને જ હું જન્મ્યો હતો.' દસેક વર્ષની વયે આંખો પર ચશ્માં ચઢ્યાં ત્યારથી આંતર મનમાં જે બીજ રોપાયું હશે તે લગભગ સાડા ચાર દાયકે આ નવલકથારૂપે વૃક્ષત્વ પામ્યું. (પૃ.૯ સવ્યસાચી…) ૬૦૦ પાનાંની 'અસૂર્યલોક'માં ચાર પેઢીની નેત્રવિહિન પરિસ્થિતિ ને મનોવેદનાને અને તેના પુરુષાર્થને પ્રભાવક રીતે ઉપસાવવાનો લેખકે સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. નવલકથામાં સ્થૂળ દૈહિક અંધાપા કરતાં માનવીની ચેતનાના, વૃતિ વલણોના સૂક્ષ્મ અંધાપાને વ્યંજિત કરી છે. એક નવલકથાકાર તરીકે ઝૂરતાં, હિબકતાં, રિબાતાં, તરફડતા પાત્રોનું એમને આકર્ષણ રહ્યું છે. એમની નવલકથાના પાત્રો આનંદ કે સુખ ભાગ્યે જ અનુભવે છે. તેઓ વિશેષ મૃત્યુ પર્યવસાયી હોય છે. ભગવતીકુમાર શર્માના પાત્રો પ્રતિકૂળ પરિસ્થિતિનો પ્રતિકાર તો કરે છે. પણ જીવનનો ઘોષ ભાગ્યે જ કરે છે. પરંતુ અસૂર્યલોક એ રીતે જુદી પડે છે. અહીં અંતે જીવનના જય ઘોષનું આલેખન છે.  'तमसो मा ज्योतिर्गमय' (‘ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા’નો મંત્ર પડઘાય છે. 'સર્વાઈવલ' કાવ્યની આ પંક્તિઓ જાણે એમની આ  વાતને સમર્થન આપે છે.

'ટકી રહેવાનું છે, કોઈ પણ હિસાબે 
 ટૂંટિયું વાળીને, ટાચકા ફોડીને બચી જવાનું છે.'  

સૂરતના ગઝલ મુશાયરાઓના માહોલમાં શાયર તરીકે ઊછરીને સંસ્કારાયેલા ભગવતીકુમારે કવિ તરીકે 'સંભવ', છંદો છે પાંદડા જેના', 'ઝળહળ', અને 'નખ દર્પણ, 'અઢી અક્ષરનું ચોમાસું' ,એક કાગળ હરિવરને 'ગઝલયાન' અને 'આત્મસાત' જેવા કાવ્યસંગ્રહો આપે છે. આ સંગ્રહોમાં કવિનું આત્મકથન અભિવ્યક્તિ પામતું રહે છે, ગીત ગઝલ અને સોનેટ આ સંગ્રહનાં. આધુનિક માનવીની વેદના, ખેદ,અજંપો, વિષાદ, મૂંઝવણ અને એકલતાને વાચા આપે છે. મૃત્યુ વિશે એમને ગજબનુ રોમેન્ટિક આકર્ષણ છે. એટલે નવલકથાની જેમ કાવ્યોમાં પણ મૃત્યુ વિષય બને છે. ‘સંભવ'ની એક રચનામાં તેઓ કહે છે કે –

એના હરેક કણમાં અનાગતની ઝંખના;  તૂટી રહેલા આખરી વેળાનો શ્વાસ છું,
ધુમ્મસની જેમ પળમાં વિખેરાઈ જઈશ હું? આમેય ક્યાં જીવંત છું ? હોવાનો ભાસ છું '
(સંભવ )’

જીવન પ્રત્યેની નિર્લેપતાને  કારણે જ તેઓ મોતને પણ પડકારી શકે છે. જુઓ –

'મોત જો મોડું કરે તો શું કરું ?

મારી તો હંમેશ તૈયારી હતી'.

પોતાના સર્જનમાં જાતને મળવાની મથામણ કરતા ભગવતીકુમાર એક ચિંતકની અદાથી જીવનને એની મર્યાદા બતાવી દે છે.

'તોફાની અશ્વ જેવું છે જીવન મનુષ્યનું,
 કાબૂમાં રહે છે એ મરણની લગામથી'  

નિખાલસ મનના માનવી ભગવતીકુમાર જીવનની જ નહિ પોતાની મર્યાદાઓ પણ જાણે છે. નિયતિએ  આપેલા 'અસૂર્યલોક'ને કારણે જીવનસંધ્યાને સમયે પોતાના ક્ષીણ થતા ઉજાશને તેઓ આ રીતે ઓળખાવે છે. 

'ક્યાં સુધી તું ચન્દ્રના ઝાંખા પ્રકાશે આ ગઝલ,
 લખતો રહેશે લોહીમાં બોળી કલમ ?
 ભગવતી તું પણ હવે અહીંયા અટક / લાઈટ્સ ઓફ' 
     –  (સંભવ)

શબ્દને સથવારે સ્વની શોધ આદરતા સર્જક સ્વયં કહે છે કે – 'હું મારી સ્વાનુભૂતિઓ અને સ્વ સ્પંદનોને ઝીલતી લેખિનીનો જ આહલાદ માણું છું.' આપણે માટે સ્મરણોના રાજપાટ છોડી ગયેલા સર્જક સ્વર્ગસ્થ નહિ શબ્દસ્થ થયા છે. શબ્દસ્થ થયેલા સર્જકને એમના શબ્દોમાં જ શ્રદ્ધાંજલિ ….

'હું મને છોડીને ચાલ્યો જાઉં પણ,
ક્યાં જશે સ્મરણોના મારાં રાજપાટ' 
(છંદો છે…)

સંદર્ભ ગ્રંથ   

૧. ઊર્ધ્વમૂલ – ભગવતીકુમાર શર્મા

૨. સમયદ્વીપ – ભગવતીકુમાર શર્મા

૩. અસૂર્યલોક – ભગવતીકુમાર શર્મા

૪. સવ્યસાચી સાહિત્યકાર ભગવતીકુમાર  – ડૉ. ઋજુતા ગાંધી

૫. વિકિપીડિયા − ભગવતીકુમાર શર્મા                                                                           

સી.યુ. શાહ સિટી આર્ટ્સ કૉલેજ, અમદાવાદ – 380 001 

Loading

...102030...2,7012,7022,7032,704...2,7102,7202,730...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved