Opinion Magazine
Number of visits: 9576716
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એકલ દોકલ વરસાદે કેવી ભીંજાણી હું

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|29 August 2019

હૈયાને દરબાર

એકલ દોકલ વરસાદે કેવી ભીંજાણી હું,
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ.

સાંજ પડે ને વ્હાલમ આવી પૂછે, ‘કેમ છો રાણી’,
છે મજા એવું બોલીને છલકે આંખે પાણી,
તો આંસુના દીવાને એ પછી એણે ફૂંક મારી – ‘ફૂ’

વ્હાલમ (૪) ક્યારે દરિયો દિલનો ઢોળે,
ક્યારે વ્હાલમ મૂકી માથું સૂવે મારે ખોળે.

ને મેં કહ્યું કે રોકાઈ જા, તો એ કહે – ઉંહું
એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું,
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ.

• કવિ : મૂકેશ માલવણકર   • સંગીતકાર અને ગાયક : પરેશ ભટ્ટ

વરસાદની આ ભીની ભીની મોસમને અનુરૂપ આથી વધારે ઉત્તમ ગીત કયું હોઈ શકે? પ્રેમથી તરબતર બે હૈયાં એક છત્રી નીચે ભીંજાયાં હશે, ત્યારે કદાચ આ ગીતનો ઉદ્ભવ થયો હશે. પાણીના અનેક રંગની જેમ સ્ત્રીની સંવેદનાનો એક આ પણ રંગ છે. વિરહની વેદનાનાં આસું આંખથી છલકાય છે, છતાં વ્હાલમની સ્મૃતિઓ દિલને તરબતર કરી દે છે. વ્હાલમોની ફિતરત જ કદાચ તરબતર ભીંજવીને છૂ થઈ જવાની હોય છે! પેલું એક ગીત ફિલ્મી છે ને, ઈતના ન મુઝ સે તૂ પ્યાર બઢા કિ મૈં એક બાદલ આવારા, કૈસે કિસી કા સહારા બનું, કિ મૈં ખુદ બેઘર બેચારા …!

વરસાદમાં પોતાના વ્હાલમની ગેરહાજરીથી શુષ્કતા અનુભવતી પ્રિયતમા, અલબત્ત, પછીથી પ્રિયતમના આગમન પછીની કલ્પનામાં પુષ્કળ ભીંજાય છે.

ગીતના રચયિતા મૂકેશ માલવણકર મૂળ મહારાષ્ટ્રીયન હોવા છતાં જન્મે અને કર્મે શુદ્ધ ગુજરાતી છે. વડોદરા આકાશવાણી કેન્દ્ર સાથે વીસ વર્ષ સંકળાયેલા માલવણકરે દોઢસોથી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું છે, અઢળક પુરસ્કારો-એવોર્ડ્સ મેળવ્યાં છે. દેશ રે જોયા દાદા પરદેશ રે જોયાં ફિલ્મનાં એમનાં ગીતો રેકોર્ડ બ્રેકિંગ પુરવાર થયાં છે. મનહર ઉધાસને કંઠે ગવાયેલા એમના ગીત દીકરી મારી લાડકવાયીએ અપાર લોકચાહના મેળવી છે, તથા મનહર ઉધાસના નવા આલ્બમમાં લેવાયેલું સાસરે જતી દીકરીનું ગીત એથી ય વધુ લોકપ્રિય થશે એમ મનહરભાઈ માને છે.

કવિ મૂકેશ માલવણકર એકલ દોકલ ગીત વિશે રસપ્રદ વાત કરે છે, "હું અને પરેશ ભટ્ટ ખાસ મિત્રો. એક વાર વરસાદની ઋતુમાં હું ભૂજથી રાજકોટ બસમાં પ્રવાસ કરી રહ્યો હતો અને સૂરજબારી પૂલ પર અચાનક મને છૂ શબ્દ સૂઝ્યો. રાહ જોતી પ્રિયતમાને છોડીને ચાલી જતા વ્હાલમ માટે ‘ગયો’ શબ્દ પણ મને ભારે લાગતો હતો. લાગણીના ઉભરાને પંપાળીને વરસાદમાં ભીંજાઈ રહેલી પ્રિયતમા હજુ તો પ્રેમના ધોધમાં પૂરેપૂરી ભીંજાય એ પહેલાં તો વ્હાલમ છૂ થઈ જાય છે! એ વાત અચાનક મનમાં સ્ફૂરી અને શબ્દો ઊતરવા લાગ્યા. પાસે કાગળ પેન્સિલ કંઈ ન હોવાથી આખું ગીત મેં મારી હથેળીમાં લખી દીધું.

રાજકોટ જઈ સીધો પહોંચ્યો આકાશવાણી પર પરેશને મળવા. હાથમાં લખેલું ગીત જોઈ એ અચંબિત થઈ ગયો. ગીત એને એટલું ગમી ગયું કે એ જ વખતે એણે કમ્પોઝ કરી દીધું. છૂ શબ્દને એણે જે રીતે સંગીતબદ્ધ કર્યો એ જબરજસ્ત હતો. કમ્પોઝ કરવામાં આ ગીત ઘણું અઘરું હતું કારણ કે એમાં કહન છે, અભિનય છે. વ્હાલમ શબ્દ મેં ચાર વાર એટલે લીધો કેમ કે તો જ એની ધારી અસર પડે એમ હતી. પરેશે ચાર જુદી રીતે એ રજૂ કરીને કમાલ કરી હતી. એમાં ય ‘રોકાઈ જા’ શબ્દ તો એણે જે અદ્દભુત રીતે ગાયો છે એવો આજ સુધી કોઈ કલાકારે ગાયો નથી. પ્રિયતમને રોકાઈ જવા કરવામાં આવેલી વિનંતી આબેહૂબ એણે ગાઈ અને પછીની પંક્તિ, તો એ કહે – ઉંહું…માં એ ફક્ત ખભો જ ઉલાળતો અને ઉમાશંકર જોશી સહિત ઉપસ્થિત અનેક ધૂરંધરો છક્કડ ખાઈ જતા. આ ગીત ઘણા કલાકારોએ ખૂબ સરસ રીતે ગાયું છે પણ પરેશની ગાયકી લાજવાબ હતી. કાવ્યમાં હું તો એવા જ શબ્દો પસંદ કરું કે અભણ માણસને પણ હૈયા સોંસરવા ઊતરી જાય. પરેશનાં ગીતોની ખૂબી એ હતી કે શબ્દો અને સંગીત બેઉની બારીકી ઉજાગર થતી. એના સંગીતની મીઠાશમાં શબ્દો ખોવાઈ જતા નહોતા, પરંતુ પૂરેપૂરો અર્થ પામતા. બીજું કે એનામાં એક આગ, જુનૂન હતાં. પરેશ ગાવા બેસે પછી બીજા કોઈ કલાકારને ઓડિયન્સ સ્વીકારે જ નહીં એવો હતો એનો જાદૂ. પ્રેક્ષકોને વશ કરી દે એવું સંગીત હતું. આજે એ હયાત હોત તો સુગમ સંગીતને ચાર ચાંદ લગાવી દીધા હોત.

https://www.youtube.com/watch?v=hXETIKd-LJM

૨૪ જૂન ૧૯૫૦માં પરેશ ભટ્ટનો જન્મ અને અવસાન ૧૪ જુલાઈ ૧૯૮૩માં. ખૂબ નાની વયે અવસાન પામ્યા હોવાથી, આ ઉત્તમ સ્વરકાર-ગાયકથી ઘણા લોકો પરિચિત નથી, પરંતુ આ સંગીતકારના સંક્ષિપ્ત કાર્યકાળને અવગણી શકાય તેમ નથી. સંગીતની પ્રારંભિક તાલીમ એમણે વિશ્વનાથભાઈ વ્યાસ (રાજકોટ) અને વિજ્યાબહેન ગાંધી પાસે લીધી હતી. ત્યારબાદ સંગીતકાર રાસબિહારી દેસાઈ સંચાલિત ‘ભવન્સ સંગીત’ના વર્ગમાં દાખલ થયા. ૧૯૮૦ સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ગાયનકલામાં સ્નાતક થયા હતા.

૧૯૭૩થી આકાશવાણી અમદાવાદ-વડોદરા ઉપર કાર્યક્રમ આપવાની શરૂઆત કરી હતી. સુરતની જીવનભારતી સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા તથા આકાશવાણી વડોદરા અને રાજકોટના ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવ તરીકે કામગીરી બજાવી હતી. યુવાવાણી અને શૈક્ષણિક ક્ષેત્રને લગતાં અનેક કાર્યક્રમનું સંચાલન તેઓ કરતા. ૧૯૮૦માં આકાશવાણીનાં સહકાર્યકર નીતા ભટનાગર સાથે પ્રણયલગ્ન થયાં હતાં, પરંતુ આ પરિચય પૂરતો નથી. પરેશને સાચી રીતે સમજનારા અને અનુસરનારા લોકો તેને આધુનિક ગુજરાતી સુગમ/કાવ્ય સંગીતનો ફરિશ્તો અને મશિનરી મ્યુઝિશિયન ગણે છે. તેનું કારણ એ છે કે કવિતાને અનુરૂપ સ્વર બાંધણી કરવી એ પરેશ ભટ્ટની આગવી દેણ હતી.

ચાહકોનાં મંતવ્ય અનુસાર કોઇપણ શબ્દ રચનાની બંદિશો માટેના શાસ્ત્રીય નિયમો તો પરેશ બખૂબી જાણતા હતા, પરંતુ આ ઉપરાંત કોઈ એક ગૂઢ બાબત (પરેશત્વ!) એવી તો તેમને આત્મસાત્‌ હતી કે જેનાથી એમની બંદિશોમાં કશુંક ચમત્કારિક નીપજતું હતું. પરેશે સ્વરો સાથે એવું ઝીણું નકશીકામ અને નવા પ્રયોગો કર્યા કે જેને કારણે ગુજરાતી સંગીતને નવો આયામ સફળતાપૂર્વક આપી શક્યા.

શબ્દ રચનાને સહેજ પણ હાનિ કે અન્યાય ન થાય એ રીતે વાતાવરણમાં ચિત્ર ઊપજાવવાની હથોટી એમને સિદ્ધ હતી. તેઓ કવિતા ગાતા નહોતા, બલકે કવિતામાં આરપાર પરોવાઈ જતા હતા. પાશ્ચાત્ય સંગીતની ‘કોર્ડઝ’નો સૌ પ્રથમ પ્રયોગ પરેશ ભટ્ટ દ્વારા થયો હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. પરેશ ભટ્ટે કવિતાને વિઝ્યુઅલ સ્વરૂપ આપ્યું હતું. તેઓ કલાકાર તરીકે જેટલા સમૃદ્ધ એટલા જ માણસ તરીકે પણ ઊંચા. મનગમતા મિત્રો મળે તો પરેશ બાગબાગ થઈ જાય એ વિગતો પરેશ ભટ્ટ સ્મૃતિ ગ્રંથ તથા ઇતિ સિદ્ધમ્: ‘સમાઈ ગયો, અલગારીનો નાદ નાદબ્રહ્નમાં’ મૂકેશ પચ્ચીગરના લખાણમાંથી મળી છે.

રાજકોટમાં નિવાસ સ્થાન નજીક જ વીજળીનો કરંટ લાગતા ફક્ત ૩૩ વર્ષની યુવા વયે એમનું અવસાન થયું અને સંગીત જગતે એક ઝળહળતો સિતારો ગુમાવી દીધો.

આ ગીત પરેશ ભટ્ટ ઉપરાંત હેમા દેસાઈ, તૃપ્તિ છાયા, વિભા દેસાઈના સ્વરમાં નિખરી ઊઠ્યું છે. મેં સૌ પ્રથમ હેમાંગિની દેસાઈના મીઠા કંઠે સાંભળ્યું હતું, ત્યારથી આ ગીત હૈયે વસી ગયું હતું. હેમાબહેન આ ગીત વિશે કહે છે, "મારું આ ખૂબ ગમતું ગીત છે. કિરવાણીનો બેઝ ધરાવતાં આ ગીતમાં કમ્પોઝર પરેશ ભટ્ટે નાયિકાના મનની સ્થિતિ આબેહૂબ ઝીલી છે જેમાં એક ગૂંજ સતત ચાલે છે. સાંજ પડે વાદળ થઈને પાછો આવતો વ્હાલમ પૂછે કે કેમ છો રાણી? એ કલ્પના પણ કેવી સરસ છે. અટપટું છતાં અત્યંત કર્ણપ્રિય સ્વરાંકન હોવાથી લગભગ બધી લીડ સિંગર્સ આ ગીત ગાય છે.

રમેશ પારેખે એક સ્થાને લખ્યું હતું, "પરેશ જીવનરસનો ધોધ હતો, ઊર્મિલ હતો, સ્નેહાળ હતો, નિખાલસ હતો. ગુજરાતનું બેનમૂન મોતી હતો. જ્યારે ઉમાશંકર જોશી કહેતા કે, મંચ ઉપર વાદ્ય સાથે ઊભેલા પરેશની સૂરધારા ધસમસતી આવી. એમાં માર્દવ હતું, દર્દ હતું, શ્રદ્ધાની ખુમારી હતી, કર્મયોગના ખમીરનો રણકો હતો. પરેશને અખબારનો ફકરો આપો તો પણ એ કમ્પોઝ કરી આપે. એવી ક્ષમતા ધરાવતો સ્વરકાર હતો.

એમના મૃત્યુનાં આટલાં વર્ષો પછી ય પરેશ ભટ્ટ સ્મૃતિ સમારોહ ગુજરાતમાં અનેક સ્થળોએ ઉજવાય છે. મુંબઈમાં એ ઉજવાય તો એમનાં અદ્દભુત ગીતોનો લ્હાવો સંગીત પ્રેમીઓને મળી શકે.

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 29 ઑગસ્ટ 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=576657  

Loading

‘થેંક્યુ ,ખૈયામ સા’બ : તમે મને જેલમાં જતા બચાવ્યો!’

સંજય છેલ|Opinion - Opinion|29 August 2019

વેંચાયેલા લોકો, ના વેંચાયેલા લોકોને દરેક યુગમાં ગાળો આપે છે

મલ્હાર રાગથી કોઇ વરસાદ વરસાવી શકે, દીપક રાગથી દીવા પ્રગટાવી શકે પણ એક ગીતને કારણે કોઇ જેલમાં જતાં બચી શકે? જી હાં, જો એ ગીત 'ખૈયામ'નું હોય તો! 1997નો સમય હતો. મારી લખેલી ફિલ્મ 'રંગીલા' સુપરહિટ થઇ ગયેલી અને નિર્દેશક રામગોપાલવર્મા (રામુ) સાથે હું બીજી ફિલ્મ 'દૌડ' લખી રહ્યો હતો. જો કે 'દૌડ', 'રંગીલા' જેટલી હિટ નહોતી પણ એના મેડ સંવાદો-પાત્રો આજે ય લોકોને યાદ છે! એ 'દૌડ' ફિલ્મનું શૂટીંગ રાજસ્થાનના રણથંભોર જંગલમાં થઇ રહ્યું હતું ને હું ત્યાં પર હાજર હતો. એક દિવસ જંગલની વચ્ચોવચ્ચ ઝરણામાં ઊર્મિલા-સંજય દત્તનું દૃશ્ય ફિલ્માવાઇ રહ્યું હતું. અચાનક બે ત્રણ પોલીસની જીપ અને ફોરેસ્ટ ઓફિસરો આવ્યા અને શુટિંગની પરમિશન અંગે રામુને અને મને પણ પોલિસે હિરાસતમાં લીધો. આગળ પોલીસની જીપ અને પાછળ રામુની કારમાં હું, રામુ અને ફોરેસ્ટ ઓફિસર. થોડીવાર તો અમને ટેંશન થયું પણ પછી મેં કાર સ્ટીરિયો પર 'ઉમરાવ જાન'નાં ગીતો વગાડ્યા. રામુને ઉર્દૂ-હિંદી બહુ આવડે નહીં, એટલે હું ''દિલ ચીઝ ક્યા હૈ, આપ મેરી જાન લીજીયે'' કે પછી ''યે ક્યા જગહ હૈ દોસ્તો ..'' જેવી ગઝલોના શેર રામુને સમજાવી રહ્યો હતો. ગીતોની બંદિશ, એમાં તબલાંની થાપ, આશાજીની મુરકીઓ, સારંગીના શાર્પ ઉપયોગ વિશે હું રામુને કહેવા માંડ્યો. રામુ પણ નિર્માતા તરીકે ઘડી ભર ભૂલી ગયા કે શૂટીંગ અટકવાથી લાખોનું નુકસાન થઇ રહ્યું છે, કલાકારોની તારીખો વેડફાઇ રહી છે, 200 લોકોનું યુનિટ નવરું બેઠું છે! પણ પછી રામુએ ખૈયામના ગીતો અને એ.આર. રહેમાનનાં 'રોજા'નાં ગીતો વચ્ચે સરખામણી શરૂ કરી. મારી ને રામુ વચ્ચે જામી ગઇ.

એ બધામાં 40-50 કિલોમીટરનો રસ્તો કપાઇ ગયો હતો. પેલો ફોરેસ્ટ ઓફિસર અમને બેઉને ચુપચાપ જોઇ રહ્યો હતો. ના તો અમે અમને છોડી દેવા માટે વિનંતિ કરી કે ના તો ફિલ્મના હિરો સંજય દત્તને કહીને એના મિનિસ્ટર પિતા સુનીલ દત્ત દ્વારા, દિલ્લીમાંથી કોઇ પાસે ફોન કરાવ્યો કે ના તો એ ફોરેસ્ટ ઓફિસરને 10-15 હજાર આપીને છૂટી જવાનો પ્રયત્ન કર્યો! આખરે પેલા ફોરેસ્ટ ઓફિસરથી રહેવાયું નહીં ને એણે ડ્રાઇવરને કહ્યું, ‘ઓયે .. ગાડી રોક. મુઝે ઊતરના હૈ.’ મેં પૂછ્યું, ''ક્યા હુઆ, સાબ?’' ત્યારે ફોરેસ્ટ ઓફિસરે ફિક્કું હસીને કહ્યું,''કૈસે પાગલ લોગ હો! તુમ દોનોં કો પુલીસ પકડ કે લે જા રહી હૈ, લાખોં કા નુકસાન હો રહા હૈ ઔર આપ જૈં કિ ઢોલક-તબલે મેં લગે હુએ હો? અબ તુમ કો સઝા ભી ક્યા દેં? સાલે હમ તો ઐસે હી જંગલકી ખાક છાનતે રહેંગે ઝિંદગી ભર, કમ સે કમ આપ લોગ તો મસ્ત રહો અપને પાગલપન મેં. ચલો જાઓ – અપની ફિલ્મ બનાઓ.’’ ફોરેસ્ટ ઓફિસર કારમાંથી ઊતરીને પોલીસ વેનમાં બેસીને જતો રહ્યો. એ દિવસે ખૈયામના 'ઉમરાવ જાન'વાળાં ગીતો જો ના હોત તો ખબર નહીં અજાણ્યાં રાજસ્થાનમાં અમારી સાથે શું થાત! આખી વાતમાં જાદૂ 'ઉમરાવ જાન'નાં સંગીતનો તો છે જ પણ સરકારી નોકરીના રૂટિન-રાગથી કંટાળેલ પેલો દયાળુ ઓફિસર અમારી ઘેલછા જોઇને કેવો હલી ગયો હશે એ વાત મહત્ત્વની છે.

'ઉમરાવ જાન', 'બાઝાર', 'કભી કભી’, 'રઝિયા સુલ્તાન' કે 'નૂરી' જેવી અનેક યાદગાર ફિલ્મોના સંગીતકાર ખૈયામ 92 વર્ષે હમણાં જતા રહ્યાં. થેંક ગોડ કે બીજાઓની જેમ ઉછીની માહિતી પીરસવાની મને પુરસ્કાર વાંચ્છું જરૂરત નથી પણ ખૈયામ વિશે અમુક જાણી-અજાણી વાતો જરૂરર શેર કરવી છે. શંકર-જયકિશન, લક્ષ્મી પ્યારે, કલ્યાણજી આંણંદજી, ઓ.પી. નૈયર, આર.ડી. બર્મનથી લઇને બપ્પી લહરીના જમાના સુધી ખૈયામ પોતાના મખમલી મુલાયમ સંગીત સાથે ટકી ગયા કારણ કે તેઓ બીજા વિશ્વયુદ્ધમાં સૈનિક તરીકે લડેલા અને એ લડાકૂ લોહી જ એમને બોલિવુડમાં લડવાની શક્તિ આપતું.

કિતાબો મેં છપતે હૈં ચાહત કે કિસ્સે
હકીકત કી દુનિયા મેં ચાહત નહીં હૈ

                                 (સાહિર – ખૈયામ)

ખૈયામે, 1980-83માં 'ઉમરાવજાન' અને 'બાઝાર' જેવી ફિલ્મોમાં શુદ્ધ ગઝલો આપીને હિટ કરાવી (1980-84 સુધી સળંગ ફિલ્મફેર એવોર્ડ જીત્યા) એ ખરેખર સિદ્ધિ જ કહેવાય કારણ કે 80ના દાયકામાં 'રંભા હો – સંભા હો' ટાઇપનાં ડિસ્કો-ગીતો છવાયેલાં હતાં. બોક્સિંગ રિંગમાં કોઇ મોરપિચ્છ લઈને જીતી જાય એવી અદ્ભુત વાત હતી. એનું કારણ? ખૈયામની કવિતાની ઊંડી સમજ. 50ના દાયકામાં સાહિર નામનો નવો શાયર આવ્યો હતો અને એનો પહેલો સંગ્રહ 'તલ્ખિયાં' લોકપ્રિય થયેલો પણ ''ઉર્દૂ મેં આ ગઇ હૈ 'પસ્તીયાં' બહુત, કહતેં હૈ કિ ચલતી હૈ કિતાબ 'તલ્ખિયાં બહુત'.'' જેવા જોડકણાં બનાવીને વિદ્વાનો સાહિરની મજાક કરતાં. (હા,ત્યારે પણ વાતે વાતે બાઝણાં કરીને કેરીઅર બનાવનારા સ્મોલ ટાઉન વાંકદેખાઓ ઓછા નહોતાં!)

એક દિવસ કૈફી આઝમીના ઘરે સાહિર સામે ખૈયામે 'તલ્ખિયાં'માંથી ''કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ'' અને ''મૈં પલ દો પલ કા શાયર હૂં'' જેવી રચના ગાઈ સંભળાવી ત્યારે સાહિરે ખૈયામને કહ્યું, “લગતા હૈ કિ યે નઝમ મૈંને નહીં આપને હી લિખી હૈ!’' પછી તો સાહિર અને ખૈયામે અનેક ફિલ્મો કરી. આઝાદી બાદ દેશ, બેકારી અને નિરાશાના દૌરમાં હતો, ત્યારે 'ફિર સુબ્હ હોગી' નામની ફિલ્મ માટે હિરો રાજકપૂરે શરત મૂકી કે ફિલ્મનું સંગીત એ જ આપી શકે જેણે દોસ્તોવસ્કીની નવલકથા 'વોર એંડ પીસ' વાંચી હોય! ખૈયામે વાંચી હતી અને ખૈયામને ચાન્સ મળ્યો. એ જમાનામાં 'સારે જહાં સે અચ્છા હિંદોસ્તા હમારા' લોકપ્રિય હતું પણ લેપ્ટિસ્ટ વિદ્રોહી કવિ સાહિરે 'સારે જહાં સે અચ્છા'નું પ્રતિકાવ્ય ''ચીનો અરબ હમારા, હિંદોસ્તા હમારા, રહને કો ઘર નહીં હૈ સારા જહાં હમારા'' લખ્યું અને ખૈયામે ધૂન બનાવી. પછી સેંસર ર્બોડને અને નિર્માતાઓને પણ લાગ્યું કે ગીત બહુ નિરાશાજનક છે અને માટે બે પોઝિટીવ લાઈનો પણ ઉમેરાવી. એ જ ફિલ્મમાં 'વો સુબ્હ કભી તો આયેગી' ગીતમાં ઉદ્દાત, લિબરલ હિંદુસ્તાનનો અદ્ભુત આશાવાદ છે જે આજે તો હવે અતિ અસંભવ ભાસે છે.

પછી 1975ની આસપાસ કવિ સાહિરની કેરિયર ઢળાણ પર હતી, ત્યારે એમણે યશ ચોપરાને 'કભી કભી' જેવી રોમેંટિક ફિલ્મ માટે ખૈયામનું નામ સૂચવ્યું. સૌએ ના પાડી કે ખૈયામનું મ્યુઝિક હિટ થાય છે, પણ ફિલ્મો ચાલતી નથી! પણ યશજી એ વ્હેમમાં ના પડ્યા અને 'કભી કભી' ગોલ્ડન જ્યુબિલી હીટ થઈ! 'કભી કભી' ગીત સાંભળીને અમિતાભ, જૂહુના બંગલેથી ચાલીને અડધી રાત્રે ખૈયામને ભેટવા ગયેલા એ કિસ્સો પણ ફિલ્મ જગતમાં મશહૂર છે!

ખૈયામ અનોખા સંગીતકાર તો હતા, માણસ પણ એટલા જ સંવેદનશીલ. પોતે મુસ્લિમ, પત્ની શીખ ગાયિકા જગજીતકૌર અને દીકરાનું નામ રાખ્યું પ્રદીપ ! પ્રદીપે સમજણા થતા પૂછ્યું, ''હું હિંદુ ધર્મ પાળું?’' ખૈયામે તરત જ હા પાડી. પ્રદીપ ક્રિસમસને દિવસે જન્મેલો, માટે ખૈયામના ઘરના મંદિરમાં ગુરુબાની, ગીતા, કુરાન સાથે બાઇબલ પણ રાખવામાં આવ્યું – જ્યાં રોજ બે વખતની આરતી થતી અને રાત્રે બાઇબલને ચૂમવામાં આવતું! પછી એ પ્રદીપ ખૈયામ 2012માં નાની વયે ગુજરી ગયો … અને ખૈયામે આખી જિંદગીની બચત રૂ.10 કરોડ, નવા કલાકારો અને ટેક્નીશિયનો માટે 'ખૈયામ જગજીત કૌર ટ્રસ્ટ' બનાવીને સમાજને આપી દીધી. થેંક ગોડ, દેશપ્રેમની ઠાલી વાતો ઓકનારાં, ચવન્ની છાપ લોકો વચ્ચે પણ એકાદ ''ખૈયામ'' ભૂલથી આવી જાય છે!

એંડ ટાઇટલ્સ:

આદમ : સા..રે.ગ..

ઇવ : બ,સ,ક,ર

https://www.facebook.com/sanjay.chhel/posts/10156268906546034  

Loading

મચ્છરજન્ય રોગચાળા માટે જનતા જવાબદાર કે સરકારી તંત્રો ?

મનીષી જાની|Opinion - Opinion|28 August 2019

20 ઓગસ્ટ, વિશ્વ મચ્છર દિવસ હતો. એ દિવસે જ ગુજરાત હાઇકોર્ટમાં કોઈ સચિન્ત નાગરિકે જાહેર હિતની અરજી દાખલ કરી દાદ માંગી કે ગુજરાત સરકાર મચ્છરજન્ય રોગગ્રસ્ત દર્દીઓના આંકડા સરકાર છૂપાવે છે. સાચા આંકડા તે જાહેર કરે. હાઈકોર્ટે નોટિસ કાઢી સરકાર પાસે જવાબ માંગ્યો છે.

અને આ જ દિવસે રાજ્યના આરોગ્યમંત્રીએ અધિકારીઓને ધમકાવ્યા છે કે જે વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળો જોવા મળશે તે વિસ્તારના જવાબદાર અધિકારીની ખેર નથી.

સાથે સાથે અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને કમિશનર બન્નેએ કહ્યું કે અમે અમારા ઘરની એક કલાક જાતે સફાઈ કરી મચ્છર પેદા કરતી જગાઓનો નાશ કરવાનાં છીએ ને લોકોને અપીલ કરી કે સૌ કોઈ પોતાનાં ઘર સાફ કરે, ઘરમાં જ ડેન્ગ્યુના મચ્છર પેદા થાય છે. અને છાપાંઓમાં ને ટીવી ચેનલો પર રોગચાળો અટકાવવા લોકોએ શું કરવાનું છે તેની જાહેરખબરો પણ અપાઈ ગઈ ..!

જનતાને જાહેરખબરોથી પાણીજન્ય ને મચ્છરજન્ય રોગો વિશે જાગૃત કરવા જરૂરી છે, પરંતુ સવાલ એ થાય છે કે કોઈ પણ રોગચાળો ફાટી નીકળે જેમ કે ટાઈફોઈડ, કમળો, સ્વાઈન ફ્લૂ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા ને મેલેરિયા ત્યારે લોકોએ શું કરવું અને શું ન કરવું એની જાહેરાતો મોટા પાયે સરકારી તંત્રો કરે છે અને સરકાર પોતે શું કરી રહી છે, કેવાં પગલાં કેટલા વખતથી લેવાઈ રહ્યાં છે, કેટલો વધુ સ્ટાફ કે વિશેષ નાણાં આ અંગે ફાળવ્યા છે કે આ રોગ વિશે બેદરકારી દાખવનાર અધિકારીઓ, સ્ટાફને શી સજા કરાઈ તેની વાત નથી કરવામાં આવતી.

વળી હાસ્યાસ્પદ વાત એ હોય છે કે બધા પાણીજન્ય ને મચ્છરજન્ય રોગો વિશેની માહિતી ને જાગૃતિની વાત જ્યારે રોગચાળો વકરી ગયો હોય, બેફામ બની ગયો હોય, લોકોમાં હાહાકાર મચ્યો હોય ત્યારે જ કરવામાં આવે છે. બાકી આગોતરી જાણકારી, જાહેરાતો કે સરકારી તંત્રોને જગાડવામાં આપણે હંમેશાં ઊણાં ઊતરતાં રહ્યાં છીએ એવું દર વર્ષે વધુને વધુ લાગી રહ્યું છે.

મચ્છર કરડવાથી થતો મેલેરિયા કે જેને આપણે ટાઢિયો તાવ કહીએ છીએ તે દુનિયાના ગરીબ દેશોમાં જ છે. આફ્રિકા અને એશિયાના દેશોમાં ખાસ જોવા મળતાં આ મચ્છરજન્ય રોગના દર વર્ષે કરોડો લોકો શિકાર બને છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડા મુજબ 2017માં દુનિયાભરમાં 21.9 કરોડ કેસ મેલેરિયાના નોંધાયા હતા. જેમાંથી 4.35 લાખ લોકો, આ સાવ સામાન્ય સારવારથી મટી જાય એવો રોગ હોવા છતાં મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયા !

અને આ જ 2017માં દુનિયાભરમાં ડેન્ગ્યુના 1,88,401 કેસ નોંધાયા હતા.

હમણાં આપણા ગુજરાતમાં અને દેશના કેટલાક રાજ્યોમાં ડેન્ગ્યુને લઈ સરકારી તંત્રો દર વર્ષની જેમ છેલ્લી ઘડીએ જાગીને હાંફળા ફાંફળા થઈ દોડાદોડ કરતાં હોય એવા રિપોર્ટ મીડિયામાં જોવા મળે છે. જો કે કેટલું કામ ખરેખર આ બાબતે થઈ રહ્યું છે એ તો પ્રશ્નાર્થ રહે જ છે.

આપણા ગુજરાતમાં 2019ના આરંભથી માંડી 20 ઓગસ્ટ સુધીમાં કુલ 1,100 કેસ ડેન્ગ્યુના નોંધાયા છે. જેમાં આ ઓગસ્ટ મહિનાના 20 દિવસમાં જ 387 કેસ એટલે કે કુલ ડેન્ગ્યુના કેસોમાં સીધો જ 35%નો વધારો !

અને 20 ઓગસ્ટ એટલે કે વિશ્વ મચ્છર દિવસ ! શું એટલે જ વધુ મચ્છરો પેદા થવા માંડ્યા હશે ?કે પછી સરકારી તંત્રો ની નિષ્ઠુર બેદરકારી ?

ડેન્ગ્યુનાં મચ્છરનો લાર્વા લાંબા સમય સુધી પડી રહેતાં ચોખ્ખા પાણીમાં પેદા થાય છે અને તેને લઈ જાણે કે ઊભરાતી ગટરો કે વરસાદી પાણીને પ્રદૂષિત પાણીથી ખદબદતાં તળાવો-ખાબોચિયાં અન્ય પ્રકારના મચ્છરો માટે ય જવાબદાર ન હોય એમ માનીને લોકોનાં ઘરમાં જ ડેન્ગ્યુના મચ્છરો પેદા થાય છે, એવી હવા એક યા બીજી રીતે ઊભી કરવાનો પ્રયત્ન સરકાર દ્વારા થતો રહે છે.

ખરેખર તો અમદાવાદ ને રાજકોટ જેવાં મોટાં શહેરોમાં ડોક્ટરોનાં જે નીરિક્ષણો છે તે મુજબ તો જ્યાં જ્યાં મોટા પાયે કન્સ્ટ્રક્શન કામો ચાલી રહ્યાં હોય છે, મોટા શૈક્ષણિક કે વ્યાવસાયિક સંકુલો છે તેની આસપાસના વિસ્તારોમાંથી નોંધપાત્ર રીતે ડેન્ગ્યુના કેસ જોવા મળી રહ્યા છે.

સરકારી પ્રચારમાં તો સતત કહેવાતું રહ્યું છે કે ઘરમાં રહેલી ફૂલદાનીઓ, એર કૂલર, ઉઘાડાં પાણી ભરેલાં વાસણો, ખૂલ્લી પાણીની ટાંકીઓને લઈને મચ્છરો પેદા થાય છે.

સવાલ એ થાય છે કે ફૂલદાનીઓ શહેરના કેટલા અને ક્યા વર્ગના લોકોના ઘરમાં હશે ? આંગણામાં તુલસીક્યારો જરૂર હશે પણ ફૂલદાની રાખવાની વાત તો કોર્પોરેટ કંપનીઓ, સરકારી ઉચ્ચ અધિકારીઓની કેબીનો કે ઉચ્ચ રાજકીય હોદ્દેદારોની ઓફિસોમાં જ મહદ્દ અંશે જોવા મળે. ઉનાળા પછી કૂકરમાં પાણી ભરાઈ રહેવાની સંભાવના જૂજ માત્રામાં જરૂર હોઈ શકે.

રોજના વપરાશનું પાણી જ જ્યાં માંડ માંડ મળતું હોય ત્યાં તેને દિવસો લગી ભરી રાખવાની વાત શક્ય નથી અને આપણા સમાજમાં તો પાણીની ચોખ્ખાઈ વિશે એવા ભ્રમ, ખોટા ખ્યાલો પ્રવર્તે છે કે રોજેરોજ માટલાનું પાણી અને રસોઈનું પાણી બીજા દિવસે સવારે 'પાણી વાસી થઈ ગયું' એવી માન્યતા સાથે ઢોળી દેવાય છે અને ‘નવું – તાજુ પાણી' ભરાય છે. લોકોને એ ખ્યાલ નથી હોતો કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાંકીઓનું કે ભૂગર્ભ જળ કેટલું જૂનું હોય છે …!

પોતાના ઘરમાં રોજ કચરા-પોતું કરવું એ મધ્યમવર્ગ ને ગરીબ, બધાંયમાં ચલણ છે જ. અલબત્ત, આપણે, સૌ કોઈ લોકો, માત્ર ને માત્ર પોતાના ઘરને આંગણાના પગથિયાં સુધી જ સ્વચ્છતા રાખવામાં માનીએ છીએ ! ઘરનો કચરો ઘરની બહાર ચાર-પાંચ દિવસ પડી રહે યા પડોશીનાં આંગણામાં પડ્યો રહે તેની ચિંતા આપણે નથી કરતા એ ય કડવી હકીકત છે.

સ્વચ્છતા બાબતે પોતાના પરિવારને સાચવીને ચાલનારા અને એ ય કચરા – પોતાં કરવા એ સ્ત્રીઓની જ જવાબદારી છે એવું માનનારા આપણે લોકો, ખાસ કરીને પુરુષો કેટલા બધા બેદરકાર છે તે જોવું હોય તો શહેરના નાનાં – મોટાં કોમર્શિયલ સેન્ટરોમાં આવેલી દુકાનો, ઓફિસો જોવા જેવી છે. બહુમાળી મકાનોના પેસેજ માં, સીડી-પગથિયાંઓ પર જે કચરો-ગંદવાડ જોઈએ તો ત્યાં જાણે કે કોઈની જવાબદારી ના બનતી હોય એવું લાગે.

એવી જ દશા મોટા મસ કોમર્શિયલ સેન્ટરના ભોંયરાઓમાં આવેલી વાહન પાર્કિંગની જગ્યાઓની.

અમદાવાદનાં સેટેલાઈટ રોડ પર આવેલા એક સાત માળના વિશાળકાય કોમ્પલેક્ષમાં આવેલા થિયેટરમાં હમણાં ફિલ્મ જોવા ગયો. વાહન પાર્કિંગ ભોંયરામાં હતું. ત્યાં પાણીનાં ખાબોચિયાં ભરેલાં હતાં અને ભેજથી ગંધાતા અંધારા ભોંયરામાં શ્વાસ લેવો પણ મુશ્કેલ લાગે એવું હતું !

આવી જગ્યાઓએ મચ્છરો પેદા ન થાય એ જોવાની અને તપાસવાની જવાબદારી કોની ?

એ જ રીતે જ્યાં જ્યાં મોટા યા નાના પાયે મકાન કન્સ્ટ્રક્શનનાં કામો ચાલી રહ્યાં છે ત્યાં વરસાદમાં ક્યાંક ને ક્યાંક પાણી દિવસો લગી ભરાઈ રહેવાની શક્યતાઓ રહે છે. બીજું મોટી મોટી જાહેર સંસ્થાઓ જ્યાં મોટાભાગે અનેક મકાનો અને ખૂલ્લી જગાઓ હોય છે ત્યાં રોજેરોજ સફાઈ પૂરી થવાની સંભાવનાઓ ઓછી હોય છે અને સૌથી વધારે તો રસ્તાઓ પર પડતાં ભૂવા-ખાડાઓને ખોદકામને લીધે દિવસો લગી પાણીનાં ખાબોચિયાં ભરાયેલાં રહે છે.

આ બધું જોતાં એક સામાન્ય નાગરિક જે મચ્છર કરડવાથી મેલેરિયા, ડેન્ગ્યુનો દરદી જરૂર બની જાય છે પણ તેને એનાં માટે કેટલો જવાબદાર ઠેરવવો ?

અને ખાસ નોંધપાત્ર વાત એ છે કે જ્યાં મોટા પ્રમાણમાં મેલેરિયાનો રોગચાળો ગ્રામીણ વિસ્તારોમાં ફેલાય છે તેમાં ડેમ સાઈટ, કેનાલોની પણ ભૂમિકા મોટી છે. વર્ષો પૂર્વે ખેડા જિલ્લામાં ઝેરી મેલેરિયાએ હાહાકાર મચાવેલો, મોટા પ્રમાણમાં લોકોનાં મોત થયેલાં તે અંગે ઘણાં આંતરરાષ્ટ્રીય સંશોધનો થયેલાં. મહી-કડાણા પ્રોજેક્ટનો મેલેરિયા માટે ઉલ્લેખ થયેલો .. આ બધી બાબતે મેલેરિયાનો ભોગ બનતા દરદીઓનો વાંક કેટલો ?

ડેમ ને ગાબડાં પડતી કેનાલોને લઈ થતાં મચ્છરોને અંકુશમાં લેવાની જવાબદારી કોની ?

મચ્છર કરડવાથી મેલેરિયા કે ડેન્ગ્યુ થાય અને દિવસો લગી ઘરમાં કે હોસ્પિટલના ખાટલે પડી રહેવું પડે છે. નોકરી-ધંધા-મજૂરી બંધ અને ઉપરથી હોસ્પિટલો, દવાઓ અને સાથે રહેનાર પરિવારજનોના વાહનભાડાને ભોજનના ખર્ચ !

સુરતની હોસ્પિટલોમાં ડેન્ગ્યુના દરદીઓ પાછળ થતાં ખર્ચ વિશેનો એક અભ્યાસ દર્શાવે છે કે ડેન્ગ્યુ નો એક દરદી ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય છે તે બેથી ચાર દિવસ હોસ્પિટલમાં સારવાર લે છે તે 20થી ત્રીસ હજાર રૂપિયાના ખાડામાં ઊતરી જાય છે !

સરકારી હોસ્પિટલો કરતાં લગભગ 25-30 ગણો વધારે ખર્ચો ! અને સરકારી હોસ્પિટલોમાં દર વર્ષે આ ડેન્ગ્યુ-સ્વાઈન ફ્લુ જેવા રોગચાળાને લઈ ખાસ વોર્ડ ઊભા પડે છે ને અને તે માટે મોટા ખર્ચા કરવા પડે છે એનો ય હિસાબ ગણીએ તો જાહેર આરોગ્યની આગોતરી વ્યવસ્થાઓ કરતાં ખૂબ મોટો ખર્ચો ગણવો જ રહ્યો.

અહીં લોકો પોતે જાગૃત નથી એવી વાત પૂરેપૂરી સ્વીકારી શકાય એમ નથી જ કારણ કે છેવટે તો એમને જ ભોગવવાનું રહે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ વર્ષના અત્યાર સુધીની ફરિયાદોના આંકડા તપાસીએ તો મુખ્ય રસ્તાઓ પરની ઉભરાતી કે જામ થઈ ગયેલી ગટરો માટે લોકોએ કુલ 50,563 ફરિયાદો કરી . વારંવાર ગટરો ઉભરાઈ જવા અંગે 15,435 ફરિયાદો લોકો એ કરી. મેલેરિયા નિયંત્રણ માટેનું દવા છાંટવાનું કે ધૂમાડા છાંટવાનું કામ બરાબર થતું નથી તે અંગે લોકોએ આ આઠ મહિનામાં 10,929 ફરિયાદો જનતાએ નોંધાવી !

જો લોકો આટલી હજારોની સંખ્યામાં ફરિયાદ નોંધાવતા હોય તો પછી મચ્છરોને નાથવામાં ઊણાં કોણ ઊતરે છે ?

એક આંતરરાષ્ટ્રીય અભ્યાસ પ્રમાણે આપણા દેશમાં મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગચાળા ડામવા માટે ખર્ચો વધવો જોઈએ તેને બદલે દિવસે દિવસે ખર્ચો ઘટતો નજરે પડે છે.

શહેરોની જાહેર જગાઓ પર મચ્છરો શોધવા માટેની મોટી ટીમો બનાવી યુદ્ધના ધોરણે કામ કરવું એ મ્યુનિસિપલ તંત્રો માટે સહેજ પણ અઘરું નથી જ. એક બાજુ લાખો બેકાર યુવાનોની ફોજ છે જેને રોજી જોઈએ છે. બીજી તરફ સરકાર મચ્છરો મારવાનાં ફોગ મશીનો ચલાવવા માટે ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપી દે છે. કોન્ટ્રાકટરો ઓછા કર્મચારી-કામદારો રાખી અને મચ્છર મારવા માટેનાં પ્રવાહી ઓછામાં ઓછું વપરાય એ ફિરાકમાં જ સતત રહેતા હોય છે ત્યારે લોકોના જ ટેક્ષનાં પૈસા ખર્ચાયા છતાં લોકોને ડેન્ગ્યુ કે મેલેરિયાથી પીડાવું પડે એને કેવી કરુણતા ગણવી રહી ?

હમણાં જ પંજાબના મોહાલીમાં એક 23 વર્ષની યુવતી ડેન્ગ્યુથી મૃત્યુ પામી. તેના ઘરની પાસે જ જ્યાં કન્સ્ટ્રક્શન કામ ચાલતું હતું ત્યાં ડેન્ગ્યુના મચ્છરો પેદા થયાં હતાં તેવું તપાસ કરતાં જાણવા મળ્યું એટલે આ ડેન્ગ્યુથી મૃત્યુ પામેલી યુવતીના પરિવારજનો એ આ બધી જ સાબિતીઓ ભેગી કરીને ગયા મહિને જ કોન્ટ્રાક્ટર-બિલ્ડર પર કાનૂની પગલાં લેવાય તે માટે સ્થાનિક કોર્ટમાં ફરિયાદ કરી છે.

આવાં પગલાંઓની જાગૃતિથી જ આપણા ભ્રષ્ટ સરકારી તંત્રોમાં બેસી મચ્છરોથી પણ વધુ જનતાનું લોહી પીતાં અધિકારીઓ ને સ્થાનિક રાજકીય નેતાઓને સીધા દોર કરી શકાશે એટલી વાત નિશ્ચિત ગણવી રહી.

સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”, 28 ઓગસ્ટ 2019

Loading

...102030...2,7012,7022,7032,704...2,7102,7202,730...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved