Opinion Magazine
Number of visits: 9763423
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બ્રાહ્મણોએ પોતાનું ઉચ્ચ સ્થાન કેમ ગુમાવ્યું ?

રમેશ ઓઝા|Opinion - Opinion|7 November 2019

બ્રાહ્મણ એટલે હિંદુસ્તાનની સર્વશ્રેષ્ઠ જ્ઞાતિ, બધા જ ગુણ તેમનામાં છે એમ તેઓ માને છે. તેમને એટલે કે હિંદુસ્તાનના સર્વોચ્ચ-સર્વશ્રેષ્ઠ લોકોને અડધા કરતાં વધુ હિંદુસ્તાન પર રાજ કરવાનો મોકો મળ્યો હતો, પણ તેમને રાજ કરતાં આવડ્યું નહીં, એ વાતનો ચચરાટ મહારાષ્ટ્રના બ્રાહ્મણો અનુભવતા હતા અને આજે પણ અનુભવે છે. પેશ્વાઓએ સામ્રાજ્યની રચના તો નહોતી કરી; પરંતુ ચોથાઈ લઈને તે પૈસા દ્વારા બ્રાહ્મણ શાસકો વિલાસી જીવન જીવતા હતા, તેમનું શાસન દરેક અર્થમાં બ્રાહ્મણી સનાતની હતું, તેઓ આપસમાં કાવાદાવા કરતા હતા, વિશ્વાસઘાત કરતા હતા, પોતે જ પોતાને કમજોર કરતા હતા અને શાસકમાં હોવી જોઈતી દીર્ઘ દૃષ્ટિ નામની હતી.

બ્રાહ્મણ પરાજીત થયા અને એ પણ મુઠ્ઠીભર અંગ્રેજો સામે. એક પ્રસંગ મહારાષ્ટ્રના ઇતિહાસમાં વારંવાર ટાંકવામાં આવે છે. પેશવાઈનો અંત આવ્યો અને અંગ્રેજોનું રાજ આવ્યું ત્યારે મુંબઈનો ગવર્નર એલ્ફીન્સ્ટન પૂના ગયો. બ્રાહ્મણો મહારાષ્ટ્રની શાસક પ્રજા હતી એટલે તેમને શાંત પાડવાના ઈરાદાથી તેણે પૂનામાં વગ ધરાવનારા બ્રાહ્મણોને મળવા બોલાવ્યા. ન્યાયી શાસનનો સધિયારો આપ્યા પછી એલ્ફીન્સ્ટને મહારાષ્ટ્રના વગદાર બ્રાહ્મણોને પૂછ્યું કે તમારી કોઈ માગણી હોય તો કહો. બ્રાહ્મણોએ માગણી કરી કે પેશ્વાઓ અમને દક્ષિણા આપતા હતા એ જળવાઈ રહેવી જોઈએ. એલ્ફીન્સ્ટને ધાર્યું હતું કે બ્રાહ્મણો કદાચ સત્તામાં ભાગીદારી માગશે, કેટલાક હોદ્દાઓ માગશે, પણ માગી માગીને દક્ષિણા? તથાસ્તુ.

સામે પક્ષે બાબરે મરતા પહેલાં પોતાના પુત્ર હુમાયૂને શી સલાહ આપી હતી એ જુઓ : “હિંદુસ્તાનમાં અનેક ધર્મોના લોકો વસે છે. અલ્લાહનો આભાર માન કે તેણે તને આ દેશનો શાસક બનાવ્યો. તું સબૂરી સાથે, નિષ્પક્ષ રહીને, દરેક ધર્મને આદર આપીને ન્યાયપૂર્વક રાજ કરજે. ગાયને હિંદુઓ પવિત્ર માને છે એટલે બને ત્યાં સુધી ગોવધ ન થાય એનું ધ્યાન રાખજે અને હિંદુઓના મંદિરો/પૂજાસ્થાનો નષ્ટ કરવામાં ન આવે એનું ધ્યાન રાખજે.” ભોપાલના આર્કાઈવમાં બાબરનું વસિયતનામું સંગ્રહિત છે અને તે બાબરનું જ હોવાનું કેટલાક વિદ્વાનો માને છે.

બાબર માણસ તરીકે કેટલો મહાન હતો કે નહોતો એ ચર્ચાનો વિષય નથી. ચર્ચાનો વિષય એ છે કે પરાઈ ભૂમિ પર પગ મુક્યા પછી તેને કેમ સ્થિર કરવો અને પછી કેમ ફેલાવવો એ શાસકનો ગુણ તેનામાં હતો. ટકી રહેવા માટે અને ફેલાવા માટે ઇસ્લામને બાજુએ રાખજે એમ સલાહ આપવા જેટલું ભાન બાબરને હતું, પણ એ જ પચરંગી હિંદુસ્તાનમાં ટકી રહેવા માટે અને ફેલાવા માટે હિન્દુત્વ અને બ્રાહ્મણત્વને બાજુએ રાખવું જોઈએ એનું ભાન પેશ્વાઓને નહોતું. જેનું ભાન વિદેશીને હતું તેનું ભાન સ્વદેશીને નહોતું. આને કારણે હાથ લાગેલી અમૂલ્ય તક બ્રાહ્મણોએ ગુમાવી દીધી. બીજા કોઈએ નહીં, આ ધરતી પર પોતાને સર્વશ્રેષ્ટ જાતિ તરીકે ઓળખાવનારાઓએ એ તક ગુમાવી દીધી. આ ચચરાટ જેવો તેવો નથી.

એમાં અંગ્રેજોએ ઇતિહાસ લખીને ભારતની પ્રજાને અને આખા જગતને કહી દીધું કે પેશ્વાઓ(બ્રાહ્મણો)નો પરાજય શેને કારણે થયો. તેમને સામ્રાજ્યની રચના કરતા આવડ્યું નહોતું એ પણ કહ્યું. અંગ્રેજી શિક્ષણ મેળવેલી હિંદુઓની એક પછી એક પેઢી આવવા લાગી તેમણે પણ જોયું કે ભારતની સર્વોચ્ચ ગણાતી જાતિના શાસકો તો સાવ ફૂહડ સાબિત થયા. આ બાજુ બહુજન સમાજમાં પણ ભણેલી પેઢી આવવા લાગી અને તેમણે પણ અનુભવ્યું કે બ્રાહ્મણો શાસકો તરીકે ફૂહડ તો હતા જ પણ અન્યાયી પણ હતા. ન્યાય તો હવે અંગ્રેજો આપે છે.

આ બધું મહારાષ્ટ્રમાં બન્યું હતું એટલે મહારાષ્ટ્રના બ્રાહ્મણોની અકળામણ જેવી તેવી નહોતી. આ અકળામણ છૂપાવવા માટે તેઓએ બ્રાહ્મણગૌરવનો આશરો લીધો. બ્રાહ્મણગૌરવને વિસ્તારીને તેને હિંદુગૌરવ સાથે જોડીને હિન્દુત્વ વિકસાવ્યું. એને સ્વાભાવિક ક્રમે હિન્દવી સ્વરાજ અને હિંદુ રાષ્ટ્ર સાથે જોડ્યું. આ માટે તેમણે અતીતમાં પ્રવેશ કર્યો તે આજ સુધી તેમાંથી તેઓ બહાર આવ્યા નથી અને હિંદુઓને બહાર આવવા દેતા નથી. વર્તમાન ઉઘાડો અકળાવનારો છે, નાક કાપનારો છે એટલે સધિયારો અતીતમાં જ મળી શકે એમ છે. અનુકૂળ ઇતિહાસ શોધવાનો અને જો હાથ ન લાગતો હોય તો રચવાનો. વર્તમાનમાં વર્તમાનની જરૂરિયાત મુજબ ઇતિહાસ રચવાનો. મહારાષ્ટ્રમાં આ ઉદ્યોગ દોઢસો વરસથી ચાલે છે. ઇતિહાસમાંથી શૌર્ય શોધવાનો, ઓછુ પડતું હોય તો ઉમેરણ કરવાનો અને ઇતિહાસમાં ખરે ટાણે હિંદુઓમાં હોવું જોઈતું શૌર્ય ન જડતું હોય તો આરોપવાનો આ ઉદ્યોગ છે. આ ઉદ્યોગના પ્રવર્તક વિનાયક દામોદર સાવરકર છે. મૂળ ઉદ્દેશ મોકો ગુમાવવાની અને ખરે ટાણે ફૂહડ સાબિત થવાની શરમ છૂપાવવાનો છે. લોકોનું ધ્યાન બીજે દોરવાનો છે.

તમે ક્યારે ય વિચાર્યું છે કે શા માટે હિન્દુત્વનો પાયો મહારાષ્ટ્રમાં નખાયો છે? શા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રીયન બ્રાહ્મણો દ્વારા થઈ? શા માટે આજે પણ સંઘના મોટા ભાગના નેતાઓ મહારાષ્ટ્રના બ્રાહ્મણો છે? શા માટે ગાંધીજીની હત્યા કરવાના પ્રયાસ મહારાષ્ટ્રમાં જ થયા અને શા માટે ગાંધીજીની હત્યા મરાઠી બ્રાહ્મણોએ કરી? ગાંધીજી પર બોમ્બ ફેંકનાર મદનલાલ પાહવા પંજાબી હતો, પણ ગાંધીજીની હત્યા કરવામાં તેને મહારાષ્ટ્રના બ્રાહ્મણોએ જ મદદ કરી હતી. પકડાયા પછી તેણે પોલીસને કાવતરાખોરોનાં જે નામો આપ્યાં હતાં એ બધાં મહારાષ્ટ્રના બ્રાહ્મણોનાં જ નામ હતાં. ક્યારે આ વિષે વિચાર્યું છે ખરું?

મહારાષ્ટ્રના બ્રાહ્મણો કૉન્ગ્રેસ દ્વારા રાષ્ટ્રીય રાજકારણમાં વર્ચસ્વ ધરાવતા હતા. સુધારકો તેમના દુશ્મનો હતા, પરંતુ સુધારાવાદી વિનીતોને પ્રજાનો ટેકો નહોતો એટલે તેમની ચિંતા કરવાની જરૂર નહોતી. ૧૯૧૫માં ગાંધીજી ભારતમાં આવ્યા એ પછી સ્થિતિ પલટાઈ ગઈ. ગાંધીજી વિનીતોમાં વિનીત હતા, જહાલોમાં જહાલ હતા અને હિંદુઓમાં હિંદુ હતા. ભારતમાં દરેકને એમ લાગવા માંડ્યું કે ગાંધીજી તેમની ભાષા બોલે છે. દરેકને એમ લાગ્યું કે આ માણસ આપણો છે. ગાંધીજી માત્ર એ લોકોની ભાષામાં નહોતા બોલતા જે ભાષામાં મહારાષ્ટ્રમાં હિન્દુત્વવાદી બ્રાહ્મણો બોલતા હતા. તેઓ પોતાને સનાતની હિંદુ તરીકે ઓળખાવતા હતા, પરંતુ હિંદુગૌરવની વાતો નહોતા કરતા. આને કારણે લોકમાન્ય તિલકના અવસાન પછી મહારાષ્ટ્રના બ્રાહ્મણો ગાંધીજીની સાથે જઈ શકે તેમ નહોતા.

તેમને ગાંધીજી માફક નહોતા આવતા અને કૉન્ગ્રેસ પર ગાંધીજીનો કબજો હતો એટલે તેમની પાસે માત્ર બે જ વિકલ્પ બચતા હતા. કાં તો આખા દેશની પ્રજાની સરખી ભાગીદારીવાળા ગાંધીજીની કલ્પનાના ભારતનો સ્વીકાર કરવો અને કાં ગાંધીજી અને કૉન્ગ્રેસનો ત્યાગ કરવો. દેખીતી રીતે પહેલો વિકલ્પ તેમને ભાવે તેમ નહોતો એટલે તેઓ કૉન્ગ્રેસની વિરુદ્ધ ગયા. ૧૯૨૫માં તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી. મહારાષ્ટ્રના બ્રાહ્મણો ગાંધીજી અને કૉન્ગ્રેસથી દૂર થયા એટલે મહારાષ્ટ્રનો બહુજન સમાજ ગાંધીજી સાથે થઈ ગયો. મહારાષ્ટ્રમાં બ્રાહ્મણો અને બહુજન સમાજ સાથે રહી શકે એ ત્યારે શક્ય જ નહોતું.

ગાંધીજી જ્યારે પાઘડી દ્વારા જ્ઞાતિની ઓળખ ખતમ કરવા અને કાપડનો વેડફાટ બચાવવા ગાંધીટોપી લઈ આવ્યા ત્યારે મહારષ્ટ્રના બ્રાહ્મણોએ ગાંધીટોપીનો વિરોધ કર્યો હતો. તેમણે પાઘડીપુરાણ રચ્યાં હતાં હતાં અને ટોપીની હાંસી ઉડાવી હતી. તેમણે જ્યારે જોયું કે પાઘડી તેનું સ્થાન ગુમાવી રહી છે તો તેમણે ટોપી તો અપનાવી પણ તેનો રંગ સફેદને બદલે કાળો કરી નાખ્યો. આ બાજુ બહુજન સમાજે ધરાર ટોપી અપનાવી લીધી. ગાંધીટોપી આજે આખા ભારતમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ વપરાય છે. હવે બહુજન સમાજના જે લોકો ટોપી નથી પહેરતા એ લોકો પણ શુભાશુભ પ્રસંગે ગાંધીટોપી અવશ્ય પહેરે છે. ૧૯૪૮માં મહારાષ્ટ્રના બ્રાહ્મણોએ ગાંધીજીની હત્યા કરી એ પછી મહારાષ્ટ્રમાં બહુજન સમાજના લોકોએ બ્રાહ્મણોનાં ઘર બાળ્યાં હતાં. ગાંધીદ્વેષી બ્રાહ્મણો માટે બહુજન સમાજને દ્વેષ હતો.

આનો રાજકીય અને ચૂંટણીકીય લાભ કૉન્ગ્રેસને મળતો રહ્યો છે. ૧૯૭૭માં ઈમરજન્સી પછી કૉન્ગ્રેસનો અનેક રાજ્યોમાં પરાજય થયો હતો, પરંતુ મહારાષ્ટ્રમાં નહોતો થયો. કૉન્ગ્રેસ વિરોધી પક્ષો માટે ત્યારે દેશનાં અનેક રાજ્યોમાં અનુકૂળતા પેદા થઈ હતી, પરંતુ મહારાષ્ટ્રમાં તો તેમને માટે પ્રતિકૂળતા જ હતી. મહારાષ્ટ્રમાં બ્રાહ્મણવિરોધી રાજકારણ આટલી હદે તીવ્ર છે અને ધ્રુવીય છે.

આજે એ બધી વાતોને સો વર્ષ થવાં આવ્યાં છે. આ ઉપરાંત કૉન્ગ્રેસ હવે એ ગાંધી-નેહરુની કૉન્ગ્રેસ રહી નથી. હિન્દુત્વ અને રાષ્ટ્રવાદનો જુવાળ છે. નરેન્દ્ર મોદી લોકપ્રિયતાની ટોચે છે. ગોદી મીડિયા નરેન્દ્ર મોદીના પક્ષમાં રાષ્ટ્રીય સંમતિ પેદા કરવા મથી રહ્યા છે. વોટ્સેપ યુનિવર્સિટી સક્રિય છે અને બી.જે.પી. પાસે માપબાર પૈસા છે. આ બધા સંજોગો જોતાં એમ લાગતું હતું કે મહારાષ્ટ્રમાં આ વખતે બિન કૉન્ગ્રેસી પક્ષને અર્થાત્ બી.જે.પી.ને સ્પષ્ટ બહુમતી મળી જાય તો આશ્ચર્ય નહીં. પણ ફરી એકવાર એવું બન્યું નથી જે બતાવે છે કે આઝાદી પહેલાનાં છેક ૧૯મી સદી સુધી લઈ જનારાં પરિબળો હજુ પણ સક્રિય છે.

આ પરિબળો બીજાં અંતિમે તામિલનાડુમાં પણ સક્રિય છે. ત્યાં બ્રાહ્મણો ગાંધીજીની સાથે રહ્યા એટલે પોતાને આર્ય સંસ્કૃતિના વિરોધી ગણાવતા ત્યાંના દ્રવિડો કૉન્ગ્રેસની વિરુદ્ધ ગયા હતા. તામિલનાડુમાં બ્રાહ્મણોને આર્ય સંસ્કૃતિના રખેવાળ માનવામાં આવે છે. 

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 07 નવેમ્બર 2019

Loading

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|7 November 2019

હૈયાને દરબાર

દર બેસતા વર્ષે, વહેલી સવારે, મારી મનગમતી સી.ડી.ઝમાંથી એટલિસ્ટ એક સી.ડી. તો સાંભળવી જ એવો નિત્યક્રમ છે. આ ગમતી સી.ડી.ઝમાંની એક એટલે ‘જય જય શ્રીનાથજી’. સવારની ભક્તિમય શરૂઆત ચિત્ત શાંત કરે. એમાં ય સુરેશ દલાલનાં ગીતો, આશિત દેસાઈનું સ્વરાંકન અને સર્વોચ્ચ ગાયકોએ ગાયેલાં સર્વોત્તમ ભજનો હોય પછી પૂછવું જ શું?

નૂતન વર્ષની શુભ સવારે આહિર ભૈરવના સૂર છેડાય અને આશિત દેસાઈના ઘેરા અવાજમાં જેણે મને જગાડ્યો એને કેમ કહું કે જાગો … ભક્તિ રચના શરૂ થાય પછી ભક્તિભાવનો જે કેફ ચડે એ અવર્ણનીય. આ જ આલ્બમની જ અન્ય બે ગમતી કૃતિઓ એ સાંજ પહેલાંની સાંજ ઢળી છે શ્યામ હવે તો જાગો તથા મોરપીંછની રજાઇ ઓઢી તમે સૂઓને શ્યામ ..! પણ લાજવાબ છે. અમુક ગીતો સદા સર્વદા તાજાં જ લાગે. આજે વાત કરવી છે એવા જ આપણા સૌના માનીતા ભક્તિગીત, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી ગીત તથા પુષ્ટિમાર્ગીય સંગીત વિશે. ભક્તિગીત અને ભજન તલ્લીન થઈને ગાવામાં આવે તો પારલૌકિક અનુભૂતિ થયા વિના રહે નહીં. પાર્શ્ર્વગાયિકા અનુરાધા પૌડવાલે એક વખત આ ભક્તિ રચનાનો ખાસ ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી મારું સૌથી પ્રિય ભજન છે. આ ગીતમાં એક વૈષ્ણવની કૃષ્ણભક્તિ સરળ-સહજ અને ભાવપૂર્ણ રીતે વ્યક્ત થઈ છે.

રાજસ્થાનના નાથદ્વારા સ્થિત મંદિરમાં શ્રીનાથજીનાં વસ્ત્ર અને અલંકાર તિથિ અનુસાર જુદાં જુદાં હોય છે. પ્રત્યેક તિથિ અનુસાર તેમનાં વસ્ત્રો અને અલંકારનો શણગાર કેવા પ્રકારનો હોવો જોઈએ એ વાત નક્કી જ હોય છે. સમગ્ર વર્ષના ૩૬૫ દિવસ માટે તે જુદો જુદો હોય છે.

૫૦૦ વર્ષો પહેલાં શ્રી વલ્લભાચાર્યજીએ પાડેલી પ્રથા અનુસાર શ્રીનાથજીનો પ્રત્યેક તિથિ અનુસાર કરવામાં આવતો વિશિષ્ટતાપૂર્ણ શણગાર અને જુદા જુદા સ્વરૂપે શ્રીનાથજીને જોવા એ પણ અદ્ભુત લહાવો. શ્રીનાથજીના મોરપીંછથી માંડીને ચરણ સુધીના અલંકાર પ્રતિદિન જુદા હોય છે. તેમના પૂજન દરમ્યાન કરવામાં આવતા સંગીત ઉપચારોમાં ગાવામાં આવતાં ભજનો પણ તિથિ અનુસાર જુદી જુદી રાગદારીમાં હોય છે. શૃંગાર કરતી વેળાએ ઋતુ અનુસાર અલંકાર પહેરાવવામાં આવે છે, જેમ કે ગ્રીષ્મઋતુમાં મોતીના દાગીના, ફાગણ માસમાં સોનાના, જ્યારે અન્ય મહિનાઓમાં રત્નજડિત દાગીના પહેરાવવામાં આવે છે.

નાથદ્વારા એ વૈષ્ણવોનું ખૂબ જ પવિત્ર અને પ્રખ્યાત યાત્રાધામ છે. ત્યાં શ્રીનાથજી પ્રભુની ઝાંખી (દર્શન) કરો એટલે મન શાંત થઇ જાય, હૃદયમાં એક પ્રસન્નતા છવાઈ જાય. શ્રીનાથજી બધાને પ્રિય છે. શ્રીનાથજીના મંગલા, શણગાર, ગ્વાલ, રાજભોગ ઉત્થાપન ભોગ, શયન મનને આનંદ આનંદ આપે છે. નાથદ્વારામાં આખું વર્ષ ઉત્સવો ઉજવાય છે. એમાં પીછવાઈ અને પુષ્ટિ કીર્તનનું અનેરું મહત્ત્વ છે.  ગુંસાઈજીએ શૃંગાર, કીર્તન સંગીતનો અનન્ય લાભ આપ્યો છે. આ પ્રણાલિકા આજે પુષ્ટિમાર્ગમાં પ્રચલિત છે.

૧૬મી સદી પછી નરસિંહ-મીરાંના ભક્તિમાર્ગમાં વૈષ્ણવધારાનો એક વિશિષ્ટ પ્રવાહ ભળ્યો. એ છે પુષ્ટિ સંપ્રદાયનો સંગીત પ્રવાહ. આ સંપ્રદાયના પ્રવર્તક શ્રીમદ્ વલ્લભાચાર્યજી અને તેમના પછી પુત્ર વિઠ્ઠલનાથજીએ ધર્મોપદેશ માટે જ્યાં રોકાણો કર્યાં એ સ્થળો ‘બેઠક’ તરીકે ઓળખાયાં. ભારતમાં આવી લગભગ ૮૪ બેઠકો છે.

પુષ્ટિમાર્ગની સ્થાપના સાથે અષ્ટસખાઓનાં પદ પણ લોકપ્રિય થયાં. એમાંય સુરદાસજી, કૃષ્ણદાસજી, પરમાનંદદાસજી, કુંભનદાસજી ઈત્યાદિનાં કીર્તનો ખૂબ ગવાતાં. કહેવાય છે કે સુરદાસજીએ તો કૃષ્ણની બાળલીલાથી હિંડોળા સુધી સવા લાખથી વધારે કીર્તન લખ્યાં છે. આ બધાં કીર્તન રાગ અને ઋતુ પ્રમાણે લખાયાં છે. તન્મય થઈને ગાતાં આ કીર્તનકારોને સાંભળીએ તો પ્રભુભક્તિમાં લીન થઈ જવાય એવાં સુંદર છે. પુષ્ટિ સંપ્રદાયની કીર્તન પદ્ધતિને આકાશવાણી પરથી રજૂ કરવાના આરંભે ચં.ચી. મહેતાએ ‘હવેલી સંગીત’ સંજ્ઞા આપી હતી. આ હવેલી સંગીત ધીમે ધીમે લુપ્ત થઇ રહ્યું છે. જોકે, પંડિત શ્રી ભગવતીપ્રસાદજી ભટ્ટે સ્વરલિપિમાં ‘પુષ્ટિ સંગીત પ્રકાશ’ નામના ગ્રંથનું નિર્માણ કર્યું છે જેમાં ૮૦ રાગોમાં ૧૩૭ પદ સ્વરલિપિબદ્ધ સ્વરૂપે ઉપલબ્ધ છે. આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ સ્નેહલ મુઝુમદારે કર્યો છે. મુંબઈમાં વિલેપાર્લેમાં રહેતા કુંજવિહારી લીમડી પાસે કીર્તન પરંપરાની ઘણી માહિતી છે. કૃષ્ણ ભક્તિનાં અનોખાં આલ્બમ્સમાં કવિ અવિનાશ પારેખનાં ગીત પંચમી, ગીત ગમતીલાં અને ગીત સુરીલાંનો સમાવેશ કરવો જ પડે. કૃષ્ણભક્તિ પ્રણય-ભક્તિ સ્વરૂપે એમાં જુદી રીતે બહાર આવી છે. રૂપા ‘બાવરી’એ પણ શ્રીનાથજીનાં સુંદર પદ રચ્યાં છે. ‘બાવરી કે શ્રીનાથજી’ સચિત્ર પુસ્તકમાં એમણે શ્રીનાથજીનાં અદ્ભુત પેઇન્ટિંગ બનાવી સામે એને અનુરૂપ પદ લખ્યાં છે. ભક્તિ ચરમસીમાએ પહોંચે ત્યારે ભક્ત શરીરથી આત્મા સુધી પોતાનું સર્વસ્વ શ્રીનાથજીને ચરણે ધરી દે છે. રૂપા બાવરી આવાં સમર્પિત કૃષ્ણપ્રિયા છે. એમનું આ પદ વાંચો :

આતમ હવેલી મેં બિરાજો શ્રીનાથજી
અબ કહીં ઔર ન જાજો શ્રીનાથજી
આતમ હવેલી મેં ના કોઈ દ્વાર
ના ખિડકી ના દીવાર
નિર્મલ શુદ્ધ તેજપુંજ પ્રકાશિત
રૂપ તેરા સાકાર. …!

આતમને અજવાળવાની કેવી સરસ વાત છે આ પદમાં. આવાં તો અનેક વૈવિધ્યસભર પદ વાંચવા અને પુસ્તક સાથેની સી.ડી.માં સાંભળવા મળી શકે છે.

આ ઉપરાંત, દેવદિવાળીએ તુલસી વિવાહ નિમિત્તે ગવાતાં પદો, અન્નકૂટનાં પદો અને વસંતોત્સવ દરમ્યાન ધમાર શૈલીમાં ગવાતાં વાસંતી પદો શબ્દ અને સંગીતની રીતે ઉત્કૃષ્ટ ગણાય છે. એ જ રીતે વૈષ્ણવ પરંપરામાં ‘રસિયા’ બહુ લોકપ્રિય થયા હતા. કૃષ્ણ હોળી – ફાગ ખેલે તે વખતે ગવાતો ‘રસિયા’ પ્રકાર સંગીતની એક વિશિષ્ટ શૈલી ગણાય છે. દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના ‘રસિયા’ આજે ય લોકો સાંભળવાનું પસંદ કરે છે. આજનું આ ગીત ફક્ત વૈષ્ણવો જ નહીં, દરેક ગુજરાતીનું માનીતું ગીત છે. અનેક કલાકારોએ ગાયેલું આ ગીત અંગતપણે આશિત દેસાઈ અને હેમા દેસાઈના સ્વરમાં વધુ ગમે છે. સ્વાભાવિકપણે ‘જય જય શ્રીનાથજી’ સી.ડી.માં પણ એનો સમાવેશ થયો જ છે. ભારતના સર્વ ધાર્મિક સંપ્રદાયોમાં સંગીતકલાને સન્માનિત સ્થાન આપવામાં આવ્યું છે. એમાં વલ્લભ સંપ્રદાયનું સ્થાન પ્રથમ છે. પ્રભુ સેવામાં એવો કોઇ ક્રમ નથી જેમાં સેવાક્રમ સાથે સંગીતની સુરાવલિઓ ન હોય.

આ મીઠું મધુરું ભક્તિ ગીત તમને મનહર ઉધાસથી લઈને રૂપા બાવરી સહિત અનેક કલાકારોને કંઠે સાંભળવા મળી શકે છે. નૂતન વર્ષે શ્રીનાથજીને સ્મરીને એમનાં આશીર્વાદ સૌ કોઈ પામે એવી શુભેચ્છાઓ.

—————————

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી

શ્રીયમુનાજી શ્રીમહાપ્રભુજી
મારું મનડું છે ગોકુલ વનરાવન
મારા તનના આંગણિયામાં તુલસીનાં વન
મારા પ્રાણ જીવન … મારા ઘટમાં

મારા આતમના આંગણિયામાં શ્રીબાલકૃષ્ણજી
મારી આંખો વાંચે ગિરધારી રે ધારી
મારું તન મન ગયું છે જેને વારી રે વારી
મારા શ્યામ મોરારી … મારા ઘટમાં

મને પ્રાણ થકી મારા વૈષ્ણવો વ્હાલા
નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા
મેં તો વલ્લભપ્રભુજીનાં કીધાં છે દર્શન
મારું મોહી લીધું મન … મારા ઘટમાં

હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું
હું તો આઠે સમા એની ઝાંખી રે કરું
મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું
જીવન સફળ થયું … મારા ઘટમાં

મને ભક્તિ મારગ કેરો રંગ રે લાગ્યો
મેં તો પુષ્ટિમાર્ગ કેરો સંગ રે સાંધ્યો
હીરલો હાથમાં આવ્યો … મારા ઘટમાં

મારી અંત સમયની સુણો રે અરજી
લેજો ચરણોમાં શ્રીજી બાવા દયા રે કરી
મારા નાથ તેડાવે … મારા ઘટમાં

ગાયક કલાકાર : આશિત-હેમા દેસાઇ

https://www.youtube.com/watch?v=dLJntMBSHFw

—————————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 07 નવેમ્બર 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=602760  

Loading

ચરિત્રહીન સ્ત્રીઓ!

हिन्दी : कृष्ण आनंद चौधरी / ભાવાનુવાદ : બકુલા ઘાસવાલા|Opinion - Opinion|7 November 2019

આ હિન્દી કવિતા કોઈ અજ્ઞાત કવિની રચના છે, તેમ આરંભે લાગ્યું. મને અલ્પમ્ દેસાઈ- ભટ્ટની વોલ પરથી એ જડી. આભાર, અલ્પમ્. મને કૃતિ ગમી એટલે અનુવાદ કર્યા વગર ન રહેવાયું. મનીષી જાની અને ગજેન્દ્રકુમાર દ્વારા જાણવા મળ્યું કે આ કાવ્યરચના કૃષ્ણ આનંદ ચૌધરીજીની છે.
 

ચરિત્રહીન સ્ત્રીઓ!

હા,
મને પણ ચારિત્ર્ય વગરની સ્ત્રીઓ ગમે છે …..
તેઓ બેહદ … બેહદ … ખૂબસૂરત હોય છે …..
બેફિકર, ઘૂમટા વગરની, સ્વતંત્ર અને મનસ્વિની …..
કારણ કે એમનું કોઈ ચારિત્ર્ય નથી હોતું.
ફક્ત ચારિત્ર્યહીન સ્ત્રીઓ જ ખૂબસૂરત હોય છે.
પિંજરામાં પુરાયેલી ચકલી ગમે એટલી રંગીન હોય તો પણ
સુંદર લાગતી નથી.
ભલેને કોઈ એમના પર ગમે એટલી કવિતાઓ લખે ..
ચારિત્ર્ય એટલે શું ….?
ચારિત્ર્ય એટલે ગુલામી, એક બંધન …
એ તો શરતોને આધીન હોય છે.
ચારિત્ર્ય અકુદરતી છે.
પ્રકૃતિવિરોધી …
કોઈ વાસ્તવ પર થોપી દીધેલી શરતો … કદાચ.
સહજતા એ ચારિત્ર્ય છે …
હવાનું ચારિત્ર્ય( ગુણ) શું છે?
શાંત, ધીમું, તેજનું તોફાન …
પાણીનું ચારિત્ર્ય (ગુણ) શું છે?
શીત, ઉષ્ણ કે હિમ ….
અને માટીનું ચારિત્ર્ય?
મૂર્તિ કે ઈંટ …
દમિત સ્ત્રીઓ નિસંદેહ સુંદર નથી હોતી,
પરંતુ સ્વતંત્ર ચરિત્રહીન સ્ત્રીઓ ખૂબસૂરત જ હોય છે …..
ક્યારેક વિચારજો …,
જ્યારે તમે પુરુષને સમર્પિત થયાં …
ત્યારે જો એ સમર્પણ ફક્ત પુરુષ માટે હતું
તો જ તમે ગુણિયલ હતાં …
પરંતુ જો એ મનમરજીનું હતું
તો એમાં છે ચરિત્ર્યહીનતા …
પોતાને માટે, પોતાનાં તનમન માટે મુક્ત થઈ
જીવતી સ્ત્રીઓ સુંદર લાગે છે …..
આપણે તો એમને ચારિત્ર્યહીન જ કહીશું
જે ચારિત્ર્યહીન હોય છે તે જ સુંદર હોય છે …
આઝાદ લોકો જ ખૂબસૂરત હોય છે …..
કોણ સુંદર છે …?
પોતાની ઈચ્છાઓનું દમન કરીને ખૂણે બેઠેલી
એ મૂંગી ચારિત્ર્યવાન કઠપૂતળીઓ …..
કે
ક્યાંક મોકળાશમાં પોતાના મનથી મુક્ત હાસ્ય વેરતી
ચારિત્ર્યહીન સ્ત્રીઓ?
બાળકો ચારિત્ર્યહીન હોય છે …
એમનું બધું જ નફકરું …
તેઓ મુક્ત હોય છે,
મન ભરીને હસે છે ને રડે છે,
સુખદુ:ખ, હરખશોક …
બધું સ્પષ્ટપણે સામે રાખી દે છે.
તેઓ પોતાનું દમન કરતાં નથી.
પરંતુ આપણે ચારિત્ર્ય દમન કરીએ છીએ
પહેલાં પોતાનું પછી પોતાનાંનું ને
પોતાના સમાજનું …
ધ્યાનથી જોજો,
જે જેટલો ચારિત્ર્યવાન હોય છે
તે તેટલો જ દમિત હોય છે,
પછી એટલો જ મોટો દમનકારી હોય છે.
હા, ચારિત્ર્યહીન સ્ત્રીઓ ખૂબસૂરત હોય છે ..
તેઓ, ઈચ્છા હશે ત્યારે મનગમતા પુરુષને
સમર્પિત થઈ પ્રગાઢ આલિંગન આપશે …
તેઓ મન થશે ત્યારે રોટલા ઘડતાં ઘડતાં
પણ નાચી ઊઠશે ..
ને બુલંદ અવાજે ગાઈ ઊઠશે …
અને ખડખડાટ હાસ્ય લહેરાવશે.
તે ઈચ્છે તો પ્રિયપાત્રને ખોળે પણ બેસી જશે …
તે નિરાવરણ પણ થશે …
ને ઇચ્છશે તો વસ્ત્રાવરિત પણ થશે.
તે ઇચ્છશે તો બાળકને સ્તનપાન કરાવશે અને લાડ કરશે.
પ્રસવ સમયે તો એ દર્દનાક ચીસો પાડે
એમાં પણ ચારિત્ર્યહીનતા છે …
આજુબાજુની સ્ત્રીઓ એને ચૂપ કરે છે.
અવાજ ન કરવાની સલાહ આપતી હોય છે …..
ચુપચાપ પીડા પચાવી લેવા કહેતી હોય છે …..
ચારિત્ર્યનું આ બંધન કબૂલ ન કરવું જોઈએ.
પ્રસવપીડા …
તકલીફ છે,
સૃજનતાની તકલીફ …
તો એનાથી ધરતી ગૂંજવી જોઈએ.
પોતાના પુરુષ સાથેના મુક્ત મનના સાહચર્યની
ઈચ્છાનું દમન પણ અકુદરતી છે.
એ પણ મુક્ત હોવું જોઈએ,
એમાં પણ ચારિત્ર્યહીનતા જ હોવી જોઈએ …..
પોતાના આનંદચર્યની ચરમસીમાએ
ગાઈ ઊઠતી સ્ત્રી વિશે કોઈ દિવસ સાંભળ્યું છે ?
પોતાના ભાવવિશ્વને એ કેમ મુખર કરી શકતી નથી?
કારણ કે એનાથી એ ચારિત્ર્યહીન કહેવાય છે ……
પરંતુ એ સ્ત્રીઓ લાગે છે તો ખૂબસૂરત …..
આ ધરા પરની દરેક બાબતનું સુખ માણતી
પોતાની ભીતર અને બહાર,
દરેક ચીજ માટે મુક્ત મને રાજી રહેતી ….
આકંઠ પ્રેમમાં ડૂબેલી મુક્ત મનસ્વિની ….
હા, એ ચારિત્ર્યહીન સ્ત્રીથી ખૂબસૂરત કાંઈ જ નથી.
હા, મને પણ એ સ્ત્રીઓ ગમે છે.
બસ, તેઓ જ સુંદર હોય છે ….
પિંજરે પુરાયેલી, કુંઠિત, બંદિની ચારિત્ર્યવાન
સ્ત્રીઓ તો કુરુપ હોય છે,
બેહદ, બદસૂરત અને બનાવટી …
મને પ્રકૃતિ પસંદ છે
એનાથી ચારિત્ર્યહીન બીજું કાંઈ નથી,
કારણ કે એનું કોઈ ચારિત્ર્ય નથી.
ચારિત્ર્યના અર્થમાં અભિપ્રેત બંધન
જે મને તો નાપસંદ ……..

અલ્પમ્ દેસાઈ – ભટ્ટની વોલ પરથી : ૭/૧૧/૨૦૧૯

************

चरित्रहीन औरतें !
हां
मुझे भी चरित्रहीन औरतें पसंद हैं…
बेहद… बेहद.. खूबसूरत होतीं है वो..
बेबाक, बेपर्दा, स्वतंत्र और उन्मुक्त…
कि उनका कोई चरित्र नहीं होता।
केवल चरित्रहीन औरतें ही खूबसूरत होती हैं।
पिंजरे में कैद चिड़िया कितनी भी रंगीन हो,
सुन्दर नहीं लगतीं…
चाहे कोई कितनी भी कविताएं लिख ले उनपर..
क्या होता है चरित्र…?
चरित्र गुलामी है, एक बंधन…
वो शर्तों से तय होता है।
चरित्र गैर कुदरती है…
प्रकृति विरोधी…
अप्राकृतिक
चरित्र है…
किसी तथ्य पर थोपीं गई शर्तें..
शायद
हवा का चरित्र क्या है ?
शांत, धीमे, तेज कि आंधी …
पानी का चरित्र क्या है…?
गर्म, ठंडा या बर्फ..
और
मिट्टी का चरित्र ?
मूरत या ईंट…
जो चरित्रहीन होते हैं, सुंदर वही होते हैं…
आजाद लोग ही खूबसूरत होते हैं….
कौन सुंदर है…?
कोने में अपनी ही कुंठाओं में दबी खामोश औरत
चरित्रवान औरत….
या
किसी खुले में अपने मन से ठहाके लगाकर हंसती
चरित्रहीन औरत ?.
कौन है सुंदर ?
वो जो चाहे तो आगे बढ़कर चूम ले…
बोल दे कि प्यार करती हूँ…..
या वो….
जो बस सोचती रहे असमंजस में
और अपने मन का दमन किए रहे…
दमित औरतें निसंदेह सुंदर नहीं होती,
पर स्वतंत्र चरित्रहीन औरतें होती हैं खूबसूरत…
सोचना कभी ….,
जब अपनी टांगे फैलाई तुमने अपने पुरुष के सामने…
अगर वो केवल पुरुष के लिए था
तो ही वो चरित्र है….
लेकिन वो तुम्हारे अपने लिए था
तो चरित्रहीनता….
अपने लिए, अपने तन और मन के लिए
खुल कर जीती औरते सुन्दर लगती है….
हम उसे चरित्रहीन ही पुकारेगें
बच्चे चरित्रहीन होते हैं…
उनका सबकुछ बेबाक…
आजाद होता है।
वो हंसते हैं खुलकर, रोते हैं खुलकर,
दुख सुख, खुशी गम…
सब साफ सामने रख देते हैं।
वो दमन नहीं करते अपना।
चरित्र दमन है…
पहले अपना,
फिर अपनों का,
फिर
अपने समाज का….
गौर करना….
जो जितना चरित्रवान होता है,
वो उतना ही दमित होता है,
और फिर उतना ही बड़ा दमनकारी होता है।
हां, चरित्रहीन औरते सुंदर होती हैं..
वो, जिसका मन हो तो अपने पुरुष की हथेली
अपने स्तनों तक खींच ले….
वो, जिसका मन हो तो वो अपने पुरुष को
अपनी बांहों में जोर से भींच ले….
वो, जिसका मन करे तो रोटियां बेलते, नाच उठे…
वो जिसका मन करे तो जोर से गा उठे….
वो, जो चाहे तो खिलखिलाकर हंस सके।
वो जो चाहे तो अपने प्रिये की गोद में धंस सके।
वो, जो चाहे तो अपने सारे आवरण उतार फेंके।
वो, जो चाहे तो सारे कपड़े लपेट ले।
वो, जो चाहे तो अपने बच्चे को स्वतंत्रता से अपना
स्तन खोल दूध पिला सके, उसे दुलरा सके।
बच्चे को जन्म देते जब वो दर्द में चीखती है
तो वो चरित्रहीनता है…
आसपास की औरतें उसे चुप करातीं हैं।
आवाज नहीं निकलाने की सलाह देती हैं….
सारा दर्द खामोशी से सहने को कहती है…
चरित्र का ये बंधन कबूल नहीं होना चाहिए।
प्रसव पीड़ा…
तकलीफ है,
सृजन की तकलीफ…
तो उससे धरती गूंजनी चाहिए।
अपने पुरुष के साथ
उसके मदमस्त खेल का दमन भी गैर-कुरदती है।
इसे भी मुक्त होना चाहिए,
उसे भी चरित्रहीनता होना चाहिए……
सुना है कभी किसी औरत को अपने परमानंद के क्षणों में एकदम खुलकर गाते ?
क्यों नहीं ,बोल पाती वो, अपने भावों को स्वरों में ?
क्योंकि ये उसे चरित्रहीन साबित करेगा…
पर ऐसी औरतें ही सुन्दर लगती हैं….
धरती की हर चीज का सुख लेते,
अपने भीतर और बाहर
हर चीज से खुलकर खुश होते….
प्यार में डूब सबकुछ से प्यार करती आजाद औरत।
हां, उस चरित्रहीन औरत से खूबसूरत कुछ भी नहीं।
हां मुझे भी चरित्रहीन औरतें सुंदर लगती हैं.
बस वही सुंदर होती हैं…
कुंठित, गिरहबंद, बंद चरित्रवान
औरतें तो कुरूप होती है,
बेहद बदसूरत, बनावटी।
मुझे कुदरत पसंद हैं
और उससे चरित्रहीन कुछ भी नहीं,
उसका कोई चरित्र नहींl
चरित्र के मायने बंधा हुआ कैद
जो मुझे नापसंद……

— कृष्ण आनंद चौधरी  

Loading

...102030...2,6992,7002,7012,702...2,7102,7202,730...

Search by

Opinion

  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335
  • પ્રચંડ ધડાકો અને ઉલ્કાપાત

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved