એક નવલકથા પરથી બનેલી ફિલ્મે એક વેશ્યાને સમાજ સામે તીવ્ર પ્રશ્નો કરતી કરી, એ ઘટના નૉંધપાત્ર છે
આપણે વેશ્યાકર્મને અન્ય કર્મોના જેટલું જ સહજ અને ઉમદા કર્મ શું કામ નથી ગણતા?
વ્લાડિમીર નબોકોવની જગવિખ્યાત નવલકથા ‘લોલિટા’ 1955-માં પ્રકાશિત થઈ હતી. તે પરથી પહેલી વાર ફિલ્મ બનેલી 1962-માં. પછી બનાવી 1997-માં એડ્રિએન લેને. બન્ને વખતે શીર્ષક અપાયેલું, ’લોલિટા’.
ઈન્ગ્લૅન્ડમાં સ્થાયી સૅક્સવર્કર (વેશ્યા) પરન્તુ ઍક્ટિવિસ્ટ ફ્રીલાન્સ સ્ત્રીલેખકે ‘તમૅરા મૅકલાઉડ’-ના છદ્મનામથી લેનની ‘લોલિટા’ સંદર્ભે એક વિચારોત્તેજક લેખ કર્યો છે.
એક નવલકથા પરથી બનેલી ફિલ્મે એક વેશ્યાને સમાજ સામે તીવ્ર પ્રશ્નો કરતી કરી, એ ઘટના મારે મન ઘણી નૉંધપાત્ર છે. મેં લેખ વાંચ્યો; ફિલ્મ પણ જોઈ.
તમૅરાએ ’લોલિટા’ ૧૨ વર્ષની વયે ટેલિવિઝન પર જોયેલી. એણે જોયું કે ૧૨-ની લોલિટા અને ૩૭ વર્ષનો એનો પ્રેમી પાલક હમ્બર્ટ, બન્ને જણાં, બદનામ મૉટેલોમાં ભમતાં ફરતાં રહે છે. એક વાર અંધારિયા રૂમમાં બન્ને જણાં શરીરોને ભોગવતાં’તાં, ને એમ કરતાં કરતાં મજાક-મસ્તીએ ચડી ગયેલાં. તમૅરા જણાવે છે કે ત્યાંલગીનું એ ‘રોમૅન્ટિક ઍસ્થેટિક્સ’ ધીમે ધીમે કરીને આછરી જાય છે. પછી પથારી સિક્કાઓથી છવાઈ ગઈ હોય છે. લોલિટા એ પૈસા સમેટતી હોય છે. હમ્બર્ટને થાય છે -અરે, આ તો મને છોડીને ભાગી જવાની ! ફિલ્મમાં દર્શાવાયું છે, દરેક ‘પ્લે’ માટે લોલિટાએ 2 ડૉલર માગેલા અને હમ્બર્ટે આપેલા. પછીના દૃશ્યમાં ખુલ્લા અને લડાલડીભર્યા આઘાતક શૉટ્સ હતા. લોલિટા બરાડી ઊઠે છે – મારી કમાણીના છે એ પૈસા !
તમૅરા પોતાની વાત કરતાં કહે છે, હું વલ્નરેબલ – આક્રમણભોગ્ય – હતી. મને ભોગવી ગયેલા પુરુષોને હમ્બર્ટની જેમ જ ભાન ન્હૉતું કે તેઓ મારા વિષયમાં શું કરી ગયા’તા. ગરીબ છોકરી અને એને પૈસાથી ભોળવનારા પુરુષો વચ્ચેની એ એક ‘પાવર સ્ટ્રગલ’ હતી – કોણ જીતે છે, કોણ હારે છે. ‘મારી કમાણીના છે એ પૈસા’ – વચનથી હમ્બર્ટને થયું, એમની વચ્ચેનો પ્રેમ-સમ્બન્ધ લેવડદેવડનો છે, કૉમોડિટી-ઍક્સચૅન્જ છે. એ તો દુરાચાર ! એ એટલો તો બેબાકળો થઇ જાય છે કે લોલિટાને લાફો મારે છે. ફિલ્મમાં દર્શાવાયું છે, લોલિટા હમ્બર્ટને બરાડો પાડીને કહે છે : તમે મારી મા-ને મારી નાખી ! હવે મને મારો ! મને મારો ! મારો ! : ક્રોધાવેશમાં વરસતા વરસાદમાં એ સાઇકલ પર નીકળી પડે છે. હમ્બર્ટ એને શોધી કાઢે છે; પસ્તાવો કરે છે; લોલિટા માની જાય છે …
કમાણીની વાતે હમ્બર્ટને લોલિટા શું લાગી? હલકટ. કદાચ વેશ્યા. તમૅરા કહે છે, વગેરે જે થયું એમાં કશી નવાઈ નથી. વેશ્યાકર્મને ધર્મચુસ્ત કટ્ટરપન્થીઓથી માંડીને ઉગ્ર નારીવાદીઓ પણ હલકું ને હીણપતભર્યું ગણતા આવ્યા છે. પરન્તુ હકીકતો જુદી છે. કદીક વેશ્યાકર્મ હીણ નથી પણ હોતું, કદીક ગેરકાયદેસરનું હોય છે, પણ મોટે ભાગે તો કાયદાને કારણે જ ગૂંચવાતું જતું …
આટલું કહ્યા પછી તમૅરા તાતો સવાલ એ કરે છે કે – વેશ્યાકર્મને એક કર્મ ગણવામાં શી તકલીફ છે? હું કરું છું ને એ કર્મ ! પણ વિવેચકો ઇચ્છે છે કે આપણે એ બાબતે બાયનરી ડિસિઝન્સ લઈએ : લોલિટા વેશ્યા કે પરિસ્થતિનો શિકાર? : હમ્બર્ટ દયાપાત્ર કે હેવાન? : તમૅરા પૂછે છે, બન્ને જણાં બન્ને વાતે એમ ન હોઈ શકે? કહે છે – હું એવી દુનિયામાં મોટી થઈ, મેં જોયું, જેમાં મારી કમનીય કાયાનો જ મહિમા હતો. પહેલી વાર એક પીઢ પુરુષે મને કામવાસનાથી જોઈ ત્યારે હું માત્ર ૧૧-ની હતી. એ દિવસથી મારામાં કશુંક એવું જાગ્યું જેથી મને પુરુષોને પટાવતાં-રમાડતાં આવડી ગયું. થોડાંક વર્ષોમાં સમજી ગઈ કે મારી પાસે સૌન્દર્ય છે, યૌવન પણ છે. બદલામાં પુરુષજાત મને પૈસા, મૉજશૉખની ચીજો, વગેરે બધું આપવાને તલસે છે. શરમ-બરમને ભૂલીને હું જો ઠસ્સો રાખીશ કે મારી પાસે ભોગ્ય શરીર છે, ઘણું પામીશ. હું ગરીબાઈમાં જીવતી’તી … મને ટીકી-ટીકીને જોતી દરેક પુરુષનજર, દરેક કૅટકૉલ – વ્હિસલ – મારા માટે સુવર્ણ તક હતી …
જો કે, એ મારું એક જાતનું પલાયન હતું. પિતા હોત, નક્કી ઘર હોત, તો એ બધું કરવાની મને જરૂર પડી હોત? ના. સંજોગોએ મને આકર્ષક કામિની બનાવી દીધી. મારી કામુકતા પર મને બહુ ભરોસો બેઠો. અને, કામેચ્છાઓ મને પોતાને પણ હતી જ ને વળી ! ફાયદો મારે બે વાતે હતો – કામ સંતોષાય ને નાણાં ય મળે …
હમ્બર્ટ (37) અને લોલિટા (12)
જણાવે છે, વેશ્યાકર્મની નાનમ મને અંદરથી કોરી ખાતી’તી. જો કે, જાતીય વ્યવહારોને સમ-દૃષ્ટિએ જોતા ‘સૅક્સ-પોઝિટિવ ફૅમિનિઝમ’-થી મને એ દરમ્યાન સારું પણ લાગતું’તું. તેમ છતાં, શરીરને વેચવા હું જે ‘સ્ટ્રક્ચરલ રીઝન્સ’-થી દોરવાયેલી, ભુલાતાં ન્હૉતાં. એ કારણો ન હોત તો આદર્શોમઢી આ દુનિયામાં મારે બીજું જે કરવું હોત, ખુશીથી કરી શકી હોત !
તમૅરાનો આ લેખ, મારા મતે, બે પ્રશ્ન આગળ કરે છે – આપણે વેશ્યાકર્મને અન્ય કર્મોના જેટલું જ સહજ અને ઉમદા કર્મ શું કામ નથી ગણતા? – વેશ્યાકર્મ પાછળનાં ‘સ્ટ્રક્ચરલ રીઝન્સ’ માટે શું સમાજ અને સંસ્કૃતિ જવાબદાર નથી?
તમૅરા દાખલા આપે છે : ધન ખાતર શ્રીમન્તને પરણેલી ગૃહિણી સમાગમની ચરમ સીમા નથી અનુભવતી; ઢૉંગ કરે છે. ભોગ અને ફરજ વચ્ચેના ફર્કનું શું? : કોઇ પુરુષ સાથે સિન્ગલ મધર સમ્ભોગ કરે છે, પણ ખરેખર એ માટે એ સમ્મત ન્હૉતી ને એને ગમ્યું પણ ન્હૉતું અને પેલાએ તો એને એટલા સમય પૂરતી જ રાહત આપેલી. પત્ની જો પતિ સાથે જાતીય આનન્દ નથી માણી શકતી, તો એ પ્રશ્ન લગ્નનો છે. ઘરાક સાથે વેશ્યા જાતીય આનન્દ નથી માણી શકતી, એનો અર્થ એ કે એ કામ એણે કચવાઈને સ્વીકાર્યું છે, કહો કે, પોતાના જાતીય શોષણ માટે એણે સમ્મતિ નથી આપી : સમ્મતિ અને શોષણ વચ્ચેના ફર્કનું શું?
આમ, કાં તો શોષણ અથવા તે માટેની સમ્મતિ; કાં તો કામ આને કહેવાય અથવા આને ન કહેવાય; વાત એ રીતે થાળે પડેલી છે. તમૅરા તરત ઉમેરે છે – ના, વાસ્તવિકતા ઘેરી અને ગંદી છે. કેમ કે એમાં માનવસમ્બન્ધોની સંકુલતા અતિશયિત હોય છે અને એ કોઈને દેખાતી નથી. એ અંધાપો સુવિકસિત મનોવિજ્ઞાને પણ સેવ્યો છે. જણાવે છે, આર્થિક અને લૈંગિક અસમાનતાઓ વેશ્યાકર્મનાં મૂળ કારણો છે. એ વિશે ઊંડેથી વિચારવાની, જરૂરી ટીકા કરવાની અને ખાસ તો વેશ્યાકર્મીઓનો પક્ષ કરવાની જરૂરત છે. તમૅરા આપણા ‘કૉગ્નિટિવ ડિસ્સોનન્સ’-ની સખત ટીકા કરે છે. એટલે એમ કે આપણે આપણાં સદ્વર્તનો માટે આવશ્યક પણ હકીકતે અસંગત ને જૂઠાં મનોવલણોથી ગ્રસ્ત છીએ અને તેનો કદી નિકાલ નથી કરતા. તમૅરા ચૂંટલી ખણે છે : આ વાત કબૂલવા આપણે આપણાં ભૉંડાં ‘હા’-માં નમાવવાની જરૂર છે …
કરુણતાથી કહે છે, પોતે તો ભૌતિક સગવડો માટે જાતને વેચી. લોલિટા તો બાળકી હતી ને ભોગવાઈ. એને ખબર પડી ગયેલી કે આ પિતૃસત્તાક સમાજના અર્થકારણ વચ્ચે પોતાની કાયાની શી ભૂમિકા છે. એવી ખબર તમૅરાને પણ પડેલી.
તમૅરાએ મર્મમાં કહ્યું છે એને હું દોહરાવું છું : આપણે સૌ આપણાં શોષણ થવા જ દઈએ છીએ ….
= = =
[મંગળવાર, તારીખ ૮/૧૦/૨૦૧૯ના રોજ ‘નવગુજરાત સમય'માં પ્રકાશિત લેખ અહીં સૌજન્યસહ મૂક્યો છે]